ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/સમરાંગણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સમરાંગણે
(૧)

હરદ્વારના આઘાત પછી, એકાદ વર્ષ હિમાલયની ગુફામાં યોગ સાધીને, મુખ ઉપર નવી જ કાન્તિ લઈને, દંડધારી દયાનંદ સરસ્વતી પાછા સતનું યુદ્ધ લડવા દુનિયા તરફ વળ્યા. એમણે એમના સિદ્ધાન્તના પ્રચાર માટે પોતાને માટે નીચે મુજબ ત્રિવિધ કાર્યક્રમ યોજ્યો: (૧) ધર્મને નામે ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને ખોટા સિદ્ધાન્તોનો વિરોધ કરવા ભાષણો, વ્યાખ્યાનો અને વિવાદો મારફત વિશેષ જોરદાર બળવો જગાવવો. (ર) વેદધર્મના કાર્યને પોતાનું કરી, તેના પ્રચાર પાછળ જીવન સમર્પનારા યુવકો તૈયાર થાય અને વેદધર્મનો ધ્વજ ગગનમાં અવિચળ ફરકતો રહે એ હેતુથી ગુરૂકુળ અને વિદ્યાલયો સ્થાપવાં. (૩) વેદધર્મ શું છે એ લોકો સરળતાથી સમજે એટલા માટે વેદધર્મનું સાહિત્ય મોટા પ્રમાણમાં તૈયાર કરવું. લોક ​શિક્ષણ અર્થે હિન્દી ભાષામાં પત્રિકાઓ કાઢી અને પુસ્તકો લખવાં. વેદના સંસ્કૃત ગ્રંથોનું હિન્દી ભાષાન્તર કરવું અને તેમનો સાચો અર્થ સમજાવનારાં સરળ ભાષ્યો રચવાં. આ કાર્યક્રમ લઈને, ૧૮૬૮ની આખરમાં મહર્ષિ પાછા ગામે ગામ ભટકવા નીકળી પડ્યા. પ્રથમ એ કનોજ ગયા. ત્યાં પહેલું વ્યાખાન આપી મહર્ષિ ફરૂકાબાદ ઉપડ્યા. ત્યાંથી આસપાસનાં ગામડાંમાં વેદધર્મનો જયનાદ ગજવાતા મહર્ષિ ૧૮૬૯ ના જુલાઈમાં કાનપુર આવ્યા. કાનપુર પહોંચીને મહર્ષિએ વેદધર્મના પ્રચારાર્થે પત્રિકા પર પત્રિકા પ્રગટ કરવા માંડી અને વ્યાખ્યાન ઉપર વ્યાખ્યાન આપવા માંડ્યાં.એ બધાંમાં મહર્ષિએ એક જ પ્રચંડ ઘોષણા કરી કે “વેદધર્મ એક ઈશ્વરમાં જ માને છે, વેદધર્મ મૂર્તિ પૂજામાં નથી માનતો; વેદશાસ્ત્ર એ એકજ સાચું આધારભૂત ધર્મશાસ્ત્ર છે; પુરાણ કે ભાગવત નહીં.” મહર્ષિજીની આ ઘોષણાઓ સ્થિતિચૂસ્ત પક્ષમાં ભારે લોભ ઉત્પન્ન કર્યો. તેમને ભય પેઠો કે આ સંન્યાસી સનાતન ધર્મનું સત્યાનાશ વાળી નાખશે. તેમણે દયાનંદજીના સંબંધમાં લોકોમાં ખોટી અફવાઓ ફેલાવવા માંડી કે એ સાધુ ખ્રીસ્તી ધર્મનો પાદરી છે અને સનાતન ધર્મને — મૂર્તિપૂજાને વગેાવી હિન્દુઓને ખ્રીસ્તી બનાવવા આવ્યો છે. તેમણે હિન્દુઓને દયાનંદજીના વ્યાખ્યાનમાં જવાની મના કરી અને જે કોઈ એવી સભામાં હાજરી આપે તેમને નાતબહાર મૂકવા માંડ્યા. કેટલાયને એ ગુન્હા બદલ પ્રાયશ્ચિત્ત લેવરાવ્યાં. અને એ છતાં, દયાનંદજીની સભામાં હજારોની સંખ્યામાં હિન્દુઓ હાજરી આપતા. સ્થિતિચૂસ્તોએ દયાનંદજીની સામે તેમનાથી બની તેટલી ગેરસમજૂતિ ઉભી કરી, છતાં દયાનંદજીનું પ્રચારકાર્ય જોશભેર આગળ વધવા માંડ્યું અને પુરાણીઓનું પોલાણ પણ દિવસે દિવસે ઉઘાડું પડવા માંડ્યું. આખરે તેમને દયાનંદજીની સાથે શાસ્ત્રાર્થ ઉપર વિવાદ ગોઠવવો ​સાથે શાસ્ત્રાર્થ ઉપર વિવાદ ગોઠવવો પડ્યો. વિવાદની તારીખ ૩૧મી જુલાઈ ઠરી, અને વિવાદસભાનું અધ્યક્ષસ્થાન કાનપુરના જોઈન્ટ માજીસ્ટ્રેટ થેરે સાહેબને અપાયું. મુકરર તારીખે થેરે સાહેબના અધ્યક્ષપદ નીચે મહર્ષિજી અને તેમના વિરોધી પક્ષ વચ્ચે વિવાદ ચાલ્યો. અને અન્તે કાજીને આસનેથી વિદ્વાન્ અંગ્રેજે ઈન્સાફ તોળ્યો કે દયાનંદજીની દલીલો વેદશાસ્ત્રને અનુરૂપ હતી, એટલે દયાનંદજીને જ વિજય વરે છે. ન્યાયમાં અને વિવાદમાં દયાનંદજી અદ્વિતીય હતા. એ ક્ષેત્રમાં એમની સમોવડ કરી શકે એવો એક પણ પુરૂષ એ કાળે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે એવો દયાનંદજીનો બુદ્ધિ પ્રતાપ જાણનારાઓને મુખેથી એ મહર્ષિજીની પ્રશંસા ઝરતી. એમની દલીલ પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરે તેવી સચોટ મનાતી. એમનું વક્તૃત્વ શ્રોતૃવર્ગને વશ કરી લ્યે એવું જાદુઈ લેખાતું. એમના મુખમાંથી વાણીનો એવો અમૃત-પ્રવાહ વહેતો કે સાંભળનારાઓ મુગ્ધ બનીને સાંભળ્યા જ કરતા; અને, કહે છે કે જે મહર્ષિજીનો વિરોધ કરવા આવતા તે એમનો વિજય સ્વીકારી, એમના ચરણમાં મસ્તક ઢાળી એ મહર્ષિજીની ગુણસ્તુતિઓ ગાતા પાછા ફરતા. મહર્ષિજીની એ શક્તિઓએ કાનપુરમાં વેદધર્મનો વિજયધ્વજ રોપ્યો.

કાનપુરથી મહર્ષિજી કાશી ગયા. કાશી એટલે તો હિન્દુઓનું મહા તીર્થ, હિન્દુ ધર્મનું પાટનગર. ત્યાં ધુરંધર પંડિતો વસતા. તેઓ પોતપોતાના મકાન ઉપર જ્ઞાનનો દીપક અખંડ સળગતો રાખતા. દયાનંદજીએ એ પાટનગર સર કરવાનો અને પંડિતોના દીપકો બુઝાવવાનો નિશ્ચય કર્યો. ૧૮૬૯ની ૨૩ મી ઓક્ટોબરે દયાનંદજીએ કાશીમાં પ્રથમ પગ મૂક્યો. ત્રણ અઠવાડીયાં ​સુધી તેમનાં વ્યાખ્યાનો અને ભાષણો ચાલ્યાં. કાનપુરની જેમ કાશીનો પુરાણપ્રેમી પંડિતસમુદાય પણ મૂંઝાયો. આખરે તારીખ ૧૭ મીએ વિવાદસભા ગોઠવાઈ. સભામાં પ્રતિષ્ઠિત સંસ્કૃત પંડિતોએ સારી સંખ્યામાં હાજરી પૂરી. કાશીના મહારાજા પણ હાજર રહેલા. આખી સભા સામા પક્ષની હતી. એ વિરોધીઓની વચ્ચે એકલા છતાં અડગ બેઠેલા મહર્ષિજીએ શાસ્ત્રાર્થ કરવા માંડ્યા. પંડિતોએ પોતાના અર્થ સામા મૂકવા માંડ્યા. વિવાદ કલાકો સુધી ચાલ્યો. ન્યાયની તુલા હજી કોઈ બાજુએ નમી નહોતી, ત્યાં તો વિરોધીઓએ કોલાહલ મચાવ્યો કે દયાનંદ હાર્યા. તાળીઓના બુમરાણમાં દયાનંદજીનો બુલન્દ અવાજ દટાઈ ગયો. સભામાં ભંગાણ પડ્યું. દયાનંદજી ઉપર પ્રતિપક્ષીઓએ ઈંટો અને પથરાનો વરસાદ વરસાવ્યો.

કાશીથી મહર્ષિજી ચંદ્રસેન બારીસ્ટરના આમંત્રણે, ૧૮૭૨ના ડીસેમ્બરમાં કલકત્તા ગયા. કલકત્તા તો બંગાળનું પાટનગર. બંગાળમાં એ વખતે કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ઠાકુર જેવા સુધરકોનો પહોર ચાલતો હતો. બ્રહ્મસમાજની પ્રવૃત્તિ ત્યારે પૂરજોશમાં હતી. બંગાળમાં પશ્ચિમનાં નવાં અજવાળાં ધીમે ધીમે પણ સ્થિરતાપૂર્વક પ્રસરતાં જતાં હતાં. એ સંજોગોમાં હિન્દુસ્તાનના બીજા કોઈ પણ ભાગ કરતાં બંગાળમાં સુધારકનું કાર્ય વિશેષ સરળ હતું. દયાનંદજી કલકત્તા ગયા, ત્યારે ત્યાંની સનાતન ધર્મરક્ષિણી સભા વેદનું શિક્ષણ આપવા અર્થે સંસ્કૃત પાઠશાળા સ્થાપવાનો વિચાર ચલાવતી હતી. દયાનંદજીએ તેમાં બનતી સહાય કરવાનું વચન આપ્યું. વેદ પાઠશાળાની સ્થાપનાના કાર્યને જોઈતો વેગ આપ્યા પછી મહર્ષિજીએ નિયમ મુજબ વેદધર્મ ઉપર વ્યાખ્યાનો ​આપવા માંડ્યાં. વ્યાખ્યાનમાં બ્રહ્મોસમાજના અને શિક્ષિત વર્ગના કેટલાયે પ્રતિષ્ઠિત પુરૂષો અને સ્ત્રીઓ હાજરી આપતાં. દયાનંદજી સંસ્કૃતમાં વ્યાખ્યાન કરતા. તેમના કેટલાક વિચારોની સાથે શિક્ષિત શ્રેાતૃવર્ગ ને મતભેદ રહેતો, છતાં મહર્ષિજીની વિદ્વતા અને વક્તૃતા ઉપર તો સૌ વારી જતા. મહર્ષિજીનાં વ્યાખ્યાનોથી આકર્ષાઈને કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ઠાકુર અને એવા સુક્ષિશિત બંગાળી અગ્રેસરો મહર્ષિજીની મુલાકાત અર્થે વારંવાર તેમને ઉતારે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદજી એ બંન્ને પુરૂષવરો વચ્ચે તો જાણે પ્રેમ બંધાઈ ગયો. પછી તો કેશવચંદ્ર સેનના સૂચનથી દયાનંદજીએ ‘દાર્શનિક તત્ત્વજ્ઞાન' અને ‘સાંખ્ય દર્શન' ઉપર વિદ્વતાભર્યા વ્યાખ્યાનો આપી સૌને ચક્તિ કરી દીધા. મહર્ષિજીના સંસ્કૃત વ્યાખ્યાનનાં ભાષાન્તર કરનારાઓ ખૂબ જ ભૂલો કરતા હોવાથી, કલકત્તાથી મહર્ષિજીએ હિન્દીમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું અને છેલ્લાં થોડાં વ્યાખ્યાન હિન્દીમાં જ આપ્યાં. કલકત્તાથી ચાર માસ રહી મહર્ષિ ૧૮૭૩ના એપ્રીલમાં મુંબઈ જવા નીકળ્યા.

પ્રથમ મહર્ષિજી હુબલી આવ્યા. ત્યાં પંડિત તારાચરણ સાથે મૂર્તિપૂજા ઉપર વિવાદ થયો. હુબલીથી કાનપુર આવ્યા અને કાનપુરથી ફરૂકાબાદ આવ્યા. ફરૂકાબાદમાં મહર્ષિજીએ વાયવ્ય પ્રાન્તના લેફટેનન્ટ ગવર્નર સર ચાર્લ્સ મુરની મુલાકાત લીધી અને તેને હિન્દુરતાન જેવા ખેતીપ્રધાન દેશ માટે ગૌરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું. મહર્ષિજીએ એ અંગ્રેજ શાસકને ગૌરક્ષાના કાયદા કરવા સૂચન કર્યું અને એ અંગ્રેજે, એ દિશામાં પોતાથી બનતું કરવા મહર્ષિજીને વચન આપ્યું. ત્યારબાદ મહર્ષિજી અલીગઢ, વૃન્દાવન, મથુરા વગેરે અનેક હિન્દુ ધર્મનાં પામોમાં ભટક્યા અને એ બધે સ્થળે સાચા ​સનાતન ધર્મ ઉપર વિપ્લવકારી વ્યાખ્યાનો દીધાં. એમ ફરતા ફરતા મહર્ષિજી અલાહાબાદ ગયા અને ત્યાં ૧૮૭૪ના સપ્ટેમ્બરની આખર સુધી રહ્યા. ત્યાંથી મહર્ષિજી, મુંબઈના કેટલાક અગ્રગણ્ય હિન્દુઓના આમંત્રણને સ્વીકારી, નાશક અને જબલપુર થઈ, મુંબઈ પહોંચ્યા. ૧૮૭૪ના નવેમ્બર માસમાં મહર્ષિજીએ પોતાના વતન તરફના એ રાજનગરમાં પહેલી જ વાર પગ મૂક્યો. મુંબઈ એ વખતે આખા ઈલાકાનું વાણિજ્યનું મથક બની ચૂક્યું હતું, અને વેપારી વર્ગનો મોટો ભાગ, થોડા પારસીઓ સિવાય, વલ્લભાચાર્યના અનુયાયી હિન્દુઓનો હતો. એ કાળમાં વલ્લભ પંથનું પતન થયું હતું. એના આચારવિચારમાં અનાચારનું વિષ પ્રસરી ગયું હતું. અને એની સામે બંગાળના બ્રહ્મોસમાજની જેમ, મુંબઈમાં પણ પ્રાર્થનાસમાજને નામે સુધારક પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. એ વખતે દયાનંદજીએ મુંબઈમાં ઉતરી વેદધર્મનાં પ્રવચનો કરવા માંડ્યાં, અને વલ્લભપંથના સડાઓ નીડરતાપૂર્વક નિન્દવા માંડ્યાં. દયાનંદજીની બળવાની યુદ્ધ-વાણી સાંભળી જેમ બીજા સ્થળોએ સ્થિતિચૂસ્ત વર્ગમાં જબરો ખળભળાટ મચી રહેતો, તેમ મુંબઈમાં યે વલ્લભ-ઘેલા વૈષ્ણવોમાં માટે ક્ષોભ થયો. બીજા સ્થળોએ જેમ દયાનંદજીના શિર ઉપર ઈંટા અને પથરાનો વરસાદ વરસતો, તેમ મુંબઈમાં પણ એવો વરસાદ વરસ્યો; ઉપરાંત મહર્ષિજીના મસ્તક ઉપર નરકની નીકો ખુલ્લી મૂકાઈ અને કેટલાક ધર્મ ઝનુનીઓએ તો એ યોગી પુરૂષને ઝેર પાઈ તેનો જાન લેવાનો પ્રયત્ન કર્યો. દયાનંદજીએ એ બધા હુમલાને હસ્તે મુખે પુષ્પવૃષ્ટિની જેમ વધાવી લીધા. આદિત્ય બ્રહ્મચારી મહર્ષિજી પોતાને ખવરાવાયેલું ઝેર પણ સુખેથી પચાવી ગયા. ​આમ એક નિષ્ફળતા પછી બીજી નિષ્ફળતા મેળવવાજ મુંબઈના પુરાણમાર્ગી પંડિતોએ દયાનંદજીની સામે ચોવીસ સવાલોવાળી એક નનામી પત્રિકા પ્રસિદ્ધ કરી. એ પત્રિકા દુર્લક્ષ કરવાને લાયક હતી, છતાં દયાનંદજીએ એમાંના બધા સવાલોના જવાબ દીધા. અને પંડિતોનાં મુખ બંધ કરી દીધાં. મુંબઈમાં મહર્ષિજી બે માસ રહ્યા, દરમ્યાન તેમનાં વ્યાખ્યાનોએ અને રૂઢિધર્મ ઉપરના તેમનાં સમક્ષ આક્રમણોએ નવા તૈયાર થતા સુધારક પક્ષને ખૂબ જોર આપ્યું. ત્યારબાદ મહર્ષિજી થોડા દિવસ અમદાવાદ અને રાજકોટ જઈ આવ્યા, કહેવાય છે કે મહર્ષિજી રાજકોટથી એક રાત તેમના વતન ટંકારા જઈ આવેલા. એમ પણ કહેવાય છે કે મહર્ષિજીની એક મહેચ્છા તો તેમની સુધારક પ્રવૃત્તિઓની શરૂઆત તેમની જન્મભૂમિકા કાઠિયાવાડમાં કરવાની હતી, એટલા માટે જ તે રાજકોટ તરફ ગયેલા, પણ તેમને કાઠિયાવાડમાં જરા યે અનુકૂળ વાતાવરણ ન દેખાયું. એટલે મહર્ષિજી ૧૮૭૫ના જાન્યુઆરીની ૧૮મી તારીખે પાછા બીજી વખત મુંબાઈ આવ્યા, મહર્ષિજીએ ત્યાર પછી જન્મભૂમિ તરફ — કાઠિયાવાડ તરફ, તેમના જીવનમાં, ફરીવાર પગલાં કર્યા જ નહીં.

હરદ્વારના મેળામાંથી હતાશ થઈ વધુ સામર્થ્ય માટે અરણ્યમાં ચાલી નીકળેલા મહર્ષિજીના બીજી વારના પ્રયત્નોનો પણ એક દશકો પૂરો થવા આવ્યો. મહર્ષિજીએ અજબ હિંમતથી અને અદ્વિતીય ચાતુર્યથી તેમનો વેદ-સંદેશ ગામેગામ પ્રચાર્યો. મહર્ષિજીએ હિન્દુ ધર્મનાં તીર્થધામોમાં જઈ વિવાદો ચલાવ્યા, પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યા, મહર્ષિજીએ મૂર્તિપૂજાને તુચ્છકારી કાઢી અને એક ઈશ્વર અને એક ધર્મશાસ્ત્રના સનાતન સત્યની ​ઘોષણા કરી. એકલો માણસ જેટલું કરી શકે તેટલું બધુંયે મહર્ષિજીએ એક દશકા સુધી કર્યું. એ સંચલનથી મહર્ષિજીએ પુરાણધર્મની ઈમારતના પાયા ડોલાવી મૂકવાની આશા રાખેલી, પણ એ પાયા ઉંડા નીકળ્યા. અવની અને આકાશ એક કરી શકે એવા અમાનુષી શક્તિશાળી પુરૂષથી પણ ન ડગમગે એટલા ઉંડા અને સુદૃઢ એ પાયા હતા પણ દયાનંદજીએ એ ઈમારતને જમીનદોસ્ત કરવાનો જીવનધર્મ સ્વીકાર્યો હતો. એટલે તેમણે તેમનો હલ્લો વધારે સમર્થ બનાવી નવો માર્ગ શોધવા માંડ્યો. અત્યારસુધીના મહર્ષિજીના નિરંતર પ્રવાસે અને દેશમાં પ્રસરતી જતી વિધવિધ સુધારક પ્રવૃત્તિઓના એમના પરિચયે મહર્ષિને કેટલાયે નવા અનુભવો આપેલા. મહર્ષિજીએ એમના જેવું કાર્ય હાથ ધરી રહેલા બંગાળના બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજ જોયા, તેમના સ્થાપકની અને સંચાલકોની કાર્યપ્રણાલી જોઈ, એ બધા ઉપરથી મહર્ષિજીને લાગ્યું કે તેમનું જીવનકાર્ય પાર ઉતારવા અને ભવિષ્યમાં એ જુસ્સો ટકાવી રાખવા એક સંસ્થા જોઈએ. મહર્ષિજીના એ વિચારને પરિણામે ૧૯૭પના એપ્રીલ માસની ૧૦મી તારીખે મુંબાઈમાં આર્યસમાજની સ્થાપના થઈ. મુંબઈના પ્રજાજનોની જાહેરસભાએ આર્યસમાજના અઠ્ઠાવીશ નિયમો નક્કી કર્યા. એ નિયમોમાં ૧૮૭૭માં મહર્ષિજીના હસ્તે સુધારાવધારા થયા પછી, આજે આર્યસમાજમાં નીચેના દસ સિદ્ધાન્તોનું શાસન ચાલે છે. ૧. સર્વ સત્યવિદ્યા અને જે વસ્તુઓ સત્યવિદ્યાથી જાણી શકાય છે તે બધાનું આદિ મૂળ પરમાત્મા છે. ર. ઈશ્વર સચ્ચિદાનન્દ સ્વરૂપ, નિરાકાર, સર્વ શક્તિમાન્, ન્યાયકારી, દયાવન્ત, અનન્ય, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, ​અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિનો સરજનહાર છે. પરમેશ્વર એક જ ઉપાસનીય છે. ૩. વેદ સર્વ સત્ય વિદ્યાઓનો ગ્રંથ છે. વેદનો પાઠ કરવો અને કરાવવો, વેદનું શ્રવણ કરવું અને કરાવવું એ પ્રત્યેક આર્યનો ધર્મ છે. ૪. સત્યનો સ્વીકાર કરવામાં અને અસત્યનો ત્યાગ કરવામાં સદા તત્પર રહેવું ઘટે. ૫. દરેક કામકાજ ધર્માનુસાર એટલે સત્યાસત્યનો વિચાર કર્યા પછી જ કરવું ઘટે. ૬. સંસારનું કલ્યાણ કરવું એટલે ચેતન માત્રની શારીરિક, સામાજીક અને આત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવા એ આ સમાજનો મુખ્ય ઉદેશ છે. ૭. પ્રેમ, ધર્મ અને ન્યાય અનુસાર સર્વની સાથે વર્તવું. ૮. અવિદ્યાનો નાશ કરવો અને વિદ્યાની વૃદ્ધિ કરવી. ૯. કોઈએ માત્ર પોતાની અંગત ઉન્નતિમાં સંતોષ નહિ માનવો જોઈએ, પરંતુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઈએ. ૧૦. સમષ્ટિના હિતને અર્થે સમાજના જે નિયમો હોય તેનું સૌએ પાલન કરવું ઘટે; પરંતુ જે નિયમો માત્ર વ્યક્તિના હિતને સ્પર્શતા હોય તેના પાલનમાં પ્રત્યેક મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઈએ. એવા પવિત્ર સિદ્ધાંત સાથે, મુંબઈમાં આર્યસમાજનું પ્રથમ બીજ રોપાયું. એ બીજમાંથી આજે આખા આર્યાવર્તમાં તેની શાખાઓ અને ઉપશાખાઓ પ્રસારતું એક પ્રચંડ વૃક્ષ નીકળ્યું છે. એ વૃક્ષની કોઈ કોઈ શાખા તો દુનિયાના બીજા ખંડોમાં યે પહોંચી છે. એની છાયા નીચે — આર્યસમાજના આશ્રય નીચે આજે લાખોની સંખ્યામાં હિન્દુ નરનારીઓ તેમના ધર્મની, તેમની કોમની, તેમના દેશના ઉદ્ધારની અનેકવિધ પ્રવૃત્તિઓ અથાક કરી રહ્યા છે. એજ મહર્ષિજીનું જીવનકાર્ય હતું. એના પાયા મુંબઈમાં નખાયા.​