તુલસી-ક્યારો/૩૯. કેવો નાદાન પ્રશ્ન!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. કેવો નાદાન પ્રશ્ન!

આઠ જ દિવસ માટે દેવુને માતાજીને પગે લગાડવાની માનતા કરવા જઈએ છીએ, એવું કહીને ગયેલા પિતાનો વીરસુત પર પંદરેક દિવસે કાગળ આવ્યો કે, દશેરાના નિવેદ પણ ભેગાભેગ પતાવતા આવીએ છીએ. દશેરા ગયા. દિવાળી પણ વતનમાં જ ઊજવી. છતાં પિતા અને દેવુ પાછા વળતા નથી. બીજી બાજુ વીરસુત છૂપી રીતે તો કંચનને પણ શહેરમાં ગોતાવી રહ્યો છે. એટલી જ ગંધ આવી કે, હમણાં ક્યાંક બહારગામ છટકી ગઈ છે. કોને પૂછે? મિત્રો-સ્નેહીઓને પૂછતાં હામ કેમ હાલે? ... પોલીસમાં તપાસ કરું? પેલા બાતમી દઈ જનાર અમલદારને પોતે શોધતો હતો. થોડા દિવસે એ અમલદાર પોતે જ આવી ચડ્યો અને બળાપા કાઢવા લાગ્યો : “આવો આકરો ઠપકો મને ખવરાવવો હતો ને, સાહેબ! આપે સારા માણસે ઊઠીને મારી આટલી હદે ઠેકડી કરાવી, ને મને ઉપરીની આંખે ચડાવ્યો!” “શી બાબત?” વીરસુતની કલ્પના કામ ન કરી શકી. “આપે મને ચાહીને તપાસ રાખવા ન કહ્યું હોત તો હું આવા કામમાં રસ ન લેત. મારા ધરમના સોગન ખાઈને કહું છું, હો સાહેબ, મને આવી બાબતનો શોખ નથી. પણ હું તો ઉલ્લુ બની બેઠો.” “શાની વાત કરો છો?” “આપના ‘વાઇફ’ની જ તો! બીજા કોની? જે દિવસે એ અહીંથી આપના ડોસા જોડે આપને ગામ ગયાં ....” “શું કહો છો તમે?” “હજુય મશ્કરી કાં કરો, સાહેબ? તે દિવસે ને તે ટ્રેનમાં જ હું તો ચડ્યો. આપને ગામ પહોંચી આપના પિતાને વળતે દા’ડે મળ્યો અને વાત કાઢી ત્યાં તો ડોસા મારા માથે કાંઈ ઊતરી પડ્યા છે! મારા તો માથાના વાળ જાણે ખરી પડ્યા એટલા એ મને લેતા પડ્યા કે, ‘જોતો નથી? – હું મારે ઘરે પહેલાપ્રથમનો અવસર આવે છે તે ઊજવવા તો આંહીં આવેલ છું. હું તો માફી માગી પાછો નાસી આવ્યો. પણ ડોસાએ તો ઉપરમાં લખાણ કરી મને એક હાથ લાંબા તુમારિયાનો સરપાવ બંધાવરાવ્યો મારા સાહેબ કનેથી!” વીરસુતને એ આખી વાત પોલીસે જોડી કાઢેલી પરીકથા લાગી. એના મોં પરની એકેય રેખા પોચી ન પડી. એ કશો જવાબ વાળે તે પહેલાં અમલદાર ઊઠ્યો અને બોલ્યો : “રજા લઉં છું, સાહેબ, પણ આવી આકરી મશ્કરી કોઈની ના કરશો. હું તો જિંદગાનીમાં પહેલી જ વાર ભરાઈ પડ્યો.” “ભાભી!” એણે જમ્યા બાદ પાછલી પરસાળમાં પાનસોપારી દેવા આવી ઊભેલી ભદ્રાને પૂછ્યું : “સાચી વાત છે? કંચનને બાપુજી ઘેર તેડી ગયેલ છે?” “હા, ભૈ, તુળસીમાએ સંધાં સારાં વાનાં કર્યાં, ભૈ! ઈશ્વરે સામું જોયું.” “તમે પણ આ તર્કટમાં ભળેલાં છો, ભાભી? મને કેમ કોઈ કશી સ્પષ્ટતા કરતાં નથી? આ બધો મેળ અને મેળાપ ક્યારે, કેવી રીતે, ક્યાં થઈ ગયો?” “મને કાં ઘેલી બનાવો છો, ભૈ?” ભદ્રાનું તાજું મૂંડેલું માથું આ બોલ બોલતી વેળા સહેજ ખુલ્લું પડી ગયું. “બાપુજીએ તો બધી વાત તમારી કનેથી જાણીને પછી મને કહી હતી. તમારી છૂપી ચોરીનો તો ઊલટો બાપુજીને ધોખો થતો હતો, ભૈ!” બોલીને યુવાન ભદ્રા બાજુએ વળી ગઈ. “કંઈ જ સમજાતું નથી. કોઈ મને સ્પષ્ટ કરીને કહેતું નથી. મારી સામે આ કયું કારસ્તાન રચાઈ રહ્યું છે! હું આ કારસ્તાનને ભેદવા કોની કને જાઉં?” “કોઈ કારસ્થાન નથી, ભૈ! બાપુજી કાંઈ અબુધ છે કે ભોળવાઈ ગયા હોય?” ભદ્રાએ એને એકસરખા સ્વરે, સમતાપૂર્વક કહ્યું. “કઈ બુદ્ધિ કામ કરી રહી છે તે તો કહો!” વીરસુતના મગજમાં ધમધમાટ હતો. “એબ ઢાંકવાની બુદ્ધિ, ભૈ! માણસ જેવું માણસ ઉઘાડું પડે એથી કોને લાભ, ભૈ!” “માણસ જેવું માણસ કે સડેલું મુડદું?” “બાપની બુદ્ધિએ તપાસી જોયું અને જીવતું જાણ્યું. છો ને બાપુ ગંદવાડ ધોતા, ભૈ! નિર્મળ ને નીરોગી બની શકશે તો સંસારમાં એટલી સુગંધ તો વધશે ને, ભૈ! નરક અને વિષ્ટા તો સૌ રોજ વધારીએ છીએ! એમાં શી નવાઈ છે, ભૈ!” “અને એના પેટનું એ પાપ ....” “એને બાપડાને પાપ કાં કહો, ભૈ! જ્ઞાની થઈને કાં ગોથું ખાવ?” “પૂછું છું કે એ ‘બાપ’ કોને કહેશે, ભાભી?” વીરસુતના દાંત કચડાટી બોલાવતા હતા. “તમેતમારે ન કહેવા દેજો, ભૈ! અમેય નહીં શીખવીએ. પણ એક વાત પૂછું, ભૈ? ખિજાશો તો નહીં ને, બાપા? પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરુષને લાગતું હોત તો ક્યાં મૂકી દેત? એ તો ભેળું જ ભેળું. બાપુજી તો બે જીવને જિવાડી રહ્યા છે કે બીજું કશું? તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા, ભૈ! પણ ભવાડો કર્યે શો લાભ? તમે જ જગબત્રીશીનો માર ખમી નહીં શકો, બાપા! એમને સર્વને તો તમારા જ જીવની ચિંતા લાગી છે, એથી જ તો બાપુ ઢાંકવા લાગી પડ્યા છે.” થંભાવેલા હિંડોળાને ફરી થોડી વારે કિચૂડાટે ચડાવીને વીરસુત વિચારે ચડ્યો. પછી એણે પૂછ્યું : “કંચન તમને મળી છે, ભાભી?” “દરરોજ મળતાં – છેલ્લા પંદર દિવસથી.” “ક્યાં?” “દવાખાને.” “તો મને વાત કેમ કહેતાં નથી?” “પૂછો ત્યારે કહું ને, ભૈ! વણપૂછી વાત ક્યાંક ન ગમે તો?” પછી ભદ્રાએ દેવુને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી. વીરસુતનું હૃદય વિસ્મયના તરંગો પર ડોલી રહ્યું. “તમને લાગે છે, ભાભી, કે મારો સંસાર ફરીથી મીઠો થશે?” વીરસુત કૂણો પડ્યો હતો. “તુલસીમાએ જ મીઠો કરવા ધાર્યો છે ને, ભૈ! નીકર બાપુજી આટલી આપદા ઉઠાવે કદી! બાપુજીને પેટના પુત્રનો અવતાર બગાડવો થોડો ગમતો હશે! પણ એકલદોકલ કાંઈ આખો અવતાર ખેંચાય છે, ભૈ?” “તમારા જેવી ગુણવાન કોઈ આપણી જ્ઞાતિમાંથી મને ન મળી રહેત, હેં ભાભી?” વીરસુતના આ પ્રશ્ન સામે ભદ્રા નીચે જોઈ ગઈ. ઘણી વારે એણે કહ્યું : “સમો બદલી ગયો છે, ભૈ! ને તમે છો ભલા – હદ-બેહદ ભલા – હો ભૈ! ફરી ફરી આવું ને આવું થાય તો તમારી દેઈ કંતાઈ જ જાય કે બીજું કંઈ? અસ્ત્રીની જાત જ ન્યારી છે, ભૈ! ને એને કેળવવાની કળા કોઈમાં હોય, કોઈમાં નયે હોય : બધામાં થોડી હોય છે, ભૈ! ને એ કંઈ શીખવી થોડી શિખાય છે, ભૈ? એ તો બાપુજી બધુંય સરખું કરી દેશે – તમે શીદ મૂંઝાવ છો? પીડા બધી તો આંખના ઝેરની છે. ઝેર નીકળી જાય એટલે પછે શું રહે, ભૈ? – મીઠપ જ ને!” યૌવનના દ્વારે જ ઊભેલી ભદ્રા, જેણે પૂર્વે કદી વીરસુત સાથે આટલો લાંબો વાર્તાલાપ કર્યો નહોતો, તેણે કેમ જાણે ઇરાદાપૂર્વક જ લાંબા વાર્તાલાપને માટે સુરક્ષાકારી એવું વાર્ધક્ય ધારણ કરી લીધું. બત્રીસે દાડમકળી-શા દાંતવાળું એ-નું એ જ મોં ઘડીભર બોખું ભાસ્યું, ચકચકિત લાલ ગાલો જાણે કરચલીઓ ઓઢી ગયા. મોટી બે આંખો મનનશીલ બની રહી. “ત્યારે તમને શું આશા છે, ભાભી, કે આ ઘર ફરી વાર વસશે? – એનો જીવ અહીં પાછો ઠરીને ઠામ થશે?” “નહીં કેમ થાય, ભૈ? બાપુજી બાજુએ જ છે ને!” “ને તમે પણ ખરાં ને?” “મારું તો શું ગજું, ભૈ? પણ તમે પોતે ....” “કેમ ખચકાયાં?” “તમને ફાવટ આવી જાય ને, ભૈ!” “શાની ફાવટ?” “છે તે – પોતાનાં માણસને ઠેકાણાસર રાખવાની ….” વીરસુત ચૂપ થઈ ગયો. એને કંઈ સમજ પડતી નહોતી. એ તો માનતો હતો કે સારી ગૃહિણીઓ જ્ઞાતિમાં ને સમાજમાં તૈયાર કેરીઓ જેવી, દાબે નાખીને પકવેલી, તૈયાર મળે છે. પુરુષને સ્ત્રીનો જીવનદોર રસ્તાસર રાખવાને માટે આવડત, કૌશલ, કળવકળ, વ્યવહારજ્ઞાન કે પાટવ જેવું કંઈ જોઈએ છે એવી એને ગમ જ નહોતી. બે શરીરોનાં સંલગ્ન થવા સાથે જ ઉર અને ઊર્મિની એકતા સંધાઈ જાય છે એવું માની બેઠેલો એ અલ્પજ્ઞ માનવી હતો. મોંમાગ્યાં સાધનોની સહેલી પ્રાપ્તિ અને પતિના પગારની રકમનો પ્રત્યેક માસે અપાઈ જતો કબજો, એ જ એને મન જાણે કે સ્ત્રીના હૃદયમાં આત્મીયતા સ્થાપી દેવા માટે પૂરતાં થતાં સાધનો હતાં. “કહો તો ખરાં મને, ભાભી!” વીરસુતે વધુ હિંમત કરી : “ઘરનું માણસ કઈ રીતે રીઝે?” “જુઓ તો ખરા!” એટલું બોલીને મોં મલકાવીને – ને તે પછી તરત ગંભીર બનીને – બાળક જેવા દેરની દયાએ ઓગળતી ભદ્રા જવાબ વાળ્યા વગર જ ઘરની અંદર ચાલી ગઈ. એની સમજશક્તિ અંધકારે ઘેરાઈ ગઈ. ઘરની સ્ત્રી કેમ કરીને રીઝે? કેવો નાદાન પ્રશ્ન! સ્ત્રી-પુરુષનો જીવનપ્રશ્ન શું રંજનનો છે? એનું મન ગોથાં ખાઈ રહ્યું. એને એનો ત્રણ વર્ષ પર મૂએલો પતિ સાંભર્યો. વીરસુતને મુકાબલે તો અભણ લેખાય એવો પતિ. છતાં આજે, એના મૃત્યુ પછી ત્રણ વર્ષે, એ જાણે જંગબારની ખેપે ગયો હોય, ને પલેપલ પાછા આવવાની વાટ હોય – એવું કેમ થતું હતું? ‘આવું છું’ એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા. જીવનભર ન આવે તો પણ ‘આવું છું... ... બિછાનું પાથરી રાખજે!’ એ સૂરો લોપાશે નહીં. શા માટે આમ? એણે શું રિઝાવી હતી મને? એણે તો મને ઘણી ઘણી વાર લાલ આંખો બતાવેલી. એક વાર કહ્યું હતું કે, ‘લે, આ કમાડ ઉઘાડી આપું છું; જા તારે જ્યાં જવું હોય ત્યાં!’ ને એક વાર મને તમાચો ચોડ્યો હતો. ને યાદ આવે છે, મૂઈ? એક વાર તો મેંય એને ધમકાવીને એક લાપોટ લગાવી દીધી હતી. તોય એ ગરીબડા ગુનેગારની જેમ ગુપચુપ બેસી રહ્યા હતા! પ્રસંગ શાનો હતો એ? હાં, હાં – યાદ આવ્યું : બાપુજીની પાસેથી એમણે મારો ચંદનહાર મને પહેરાવવા માટે માગેલો. બાપુજીએ કહેલું કે, ‘વીરસુતની વહુની ડોકમાં નાખવા હું કંઈક કરાવી શકું એટલી વાટ જો. હું એ જોગ કરી જ રહ્યો છું. ચાર મહિનાનું પેન્શન આવી રહેશે એટલે પૂરો વેત થઈ રહેશે. આમ છતાં એણે બાપુજી પાસે હુજ્જત કરી મને ચંદનહાર લાવીને આપ્યો – ને ઉપર જાતે બાપુજીનું મારી કને ઘસાતું બોલી પોતાની બડાઈ મારેલી. તે વખતે રાતના બે વાગેલા. યાદ છે મને – તે વખતે મેં એમને બરાબર ખિજાઈને લાપોટ ચોડેલી. અને કેવાં કડવાં વેણ સંભળાવેલાં! ને એણે સવારે ઊઠીને મને બે હાથ જોડીને એવું કાંઈ જ કહ્યું નહોતું કે, ‘તારી વાત સાચી છે. હું ક્ષમા માગું છું... એણે તો ચંદનહાર જ પાછો બાપુજી પાસે લઈ જઈ બાપુજીને પગે હાથ નાખેલો. પછી એ રાતે મેં એમને કેવા લાડ લડાવેલા! કેવી રસની હેલીમાં ભીંજવેલા! દરિયામાં જેમ મોટો મગરમચ્છ ડૂબકી મારી જાય ને માથે, પાછું જાણે કાંઈ બન્યું જ નથી એમ, પાણી ફરી વળે. એવું જ થયું’તું ને અમારા તે દીના સંસારમાં! સુખનો તે દી ફરીથી જાણે આવું આવું જ થઈ રહ્યો છે. જાણે એનાં જ પગલાં ગાજે છે : ‘આવું છું! આવું છું!’ એ અમારું એમ કેમ, ને આ દેરનું આમ શા માટે? કોણ કહી શકે? હું જ એને કહેત – જો આ મારા શરીર પર સૌભાગ્ય હોત તો. તો તો હું દેરને મારી પાસે બેસારીને અમારા સંસારની ખૂબીઓ સંભળાવત. તો તો હું એને એક પછી એક બધી જ ચાવીઓ – સ્ત્રીના અંતરનાં તાળાં ઉઘેડવાની – બતાવત. પણ આજે મારા મોંમાં વધુ સ્પષ્ટતા શોભે નહીં. આજે તો હું ડરું છું, બૈ! ડગલે ને પગલે ફફડું છું!