તુલસી-ક્યારો/૩. ભદ્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. ભદ્રા

‘આ છોકરાની દ્વારા એની માતા જ ફરીથી બોલતી લાગે છે,’ એવા એક મનોદ્ગાર સાથે ડોસા પોતાના આંગણાની કૂઈ પર નાહવા ગયા. દેવુ પણ સાથે નાહવામાં શામિલ થયો. નાહતાં નાહતાં ઠંડીનું ભાન ભુલાવી દેતા શ્લોકોનું રટણ ચાલતું હતું. દાદાના કંઠમાં હિન્દની તમામ જીવનદાત્રી નદીઓનાં એક પછી એક નામો છંદોધારે વહેતાં હતાં. નાનો દેવુ એ શ્લોક-રટણમાં પોતાના કિશોર-કંઠનો પંચમ સૂર મિલાવીને ઠંડી ઉડાડતો હતો. સંગીતનો આસવ ગળામાં ઘૂંટાતો હતો, સાથોસાથ પોતે અનાયાસે ભૂગોળ પણ ભણતો હતો. દાદાની ડોલમાંથી પોતાના મસ્તક પર રેડાતાં એ ઘરઆંગણની કૂઈનાં નીરને ને આ રાષ્ટ્રવ્યાપી નદનદીઓનાં જળને કોઈક પ્રાણસંબંધ છે, કોઈક રહસ્યમય મિલનભોમ છે, કશીક ગુપ્ત એકાત્મતા છે – તેવા ધ્વનિ એના મગજમાં ઘૂમતા હતા. ઘરમાં હજુ દીવો નહોતો થયો. રસોડામાં બળતા ચૂલાનો તાપ બાજુના ઓરડામાં જ થોડું અજવાળું ફેંકતો હતો. તેનાથી સંતોષ માનતાં વિધવા ભદ્રાવહુ અનસૂયાના બરડામાં થતી વેદના પર હાથ પસારતાં એક પ્રભુપદ ગાન ગાઈ અનસૂયાના કાન વાટે વ્યાધિ-શમનની દિવ્ય દવા રેડતાં હતાં. ને પાછલી પરસાળે સોમેશ્વર માસ્તરના સાળા – એટલે કે પ્રો. વીરસુતના આંધળા મામા જ્યેષ્ઠારામ – હાથના હળવા હળવા તાળોટા પાડીને “રઘુપતિ રામ હૃદેમાં રે’જો રે” એ પદ ગાતા હતા. એમ કરવામાં કોઈને પ્રકાશની જરૂર નહોતી. પહેલો દીવો હમેશા ઘરમાં તુલસીના રોપ નીચે જ પેટાતો. સોમેશ્વર માસ્તર અથવા દેવુ જ સાંજનું સ્નાન કરીને પછી એ પેટાવતા. આજે જરા અસૂર થયું હતું તે તો યમુનાના આવવાને કારણે. પરંતુ ઘરમાં યમુનાના માર ખાઈને ભાગી આવવાથી કશો જ મોટો અકસ્માત બન્યો નહોતો. કોઈને ન લાગ્યું કે, નવી કશી મૂંઝવણ આવી પડી છે. નાનાંમોટાં સૌ પોતપોતાના ઠરેલા કામકાજમાં મગ્ન હતાં. મોટા ફળીની બે-ચાર પાડોશણો કુતૂહલવૃત્તિને દબાવી ન શકાયાથી ક્યારની આંટા મારી ગઈ હતી. તેમને તમામને વિધવા ભદ્રાએ મીઠો પણ ટૂંકો જવાબ વાળી દીધો હતો કે, “સારું થયું કે યમુનાબેન હેમખેમ પાછાં ઘેર આવ્યાં. મને તો નિરાંત વળી ગઈ. મારું તો કાળજું ફફડી હાલતું.” “પણ ત્યારે, મૂઈ,” ફળિયાની પાડોશણ કહેતી : “તમારે જ આવડી બધી શી પડી છે જમનાની? એની બેન્યુંને ત્યાં મોકલી દ્યોને!” “મારા સસરા ના પાડે છે.” “સોમેશ્વર ભૈજીને તો પારકી પળોજણ કરવાના હેવા જ છે, બૈ!” સરસ્વતી ડોસીએ કહ્યું. “ના, મા, સંજ્યાટાણું છે; મારા સસરાનું વાંકું લગીરે બોલતાં ના : તમારે હાથેપગે લાગું, શરશતી બૈજી!” એમ હસતે મોંએ બોલતી બોલતી વિધવા ભદ્રા પાડોશણનો પગ પકડી લઈને ચુપકીદી પળાવી શકેલી. “મારી શોગાન, થોડીવાર ઊભાં રે’જો હો, શરશતી બૈજી!” એમ બોલતી વિધવા ભદ્રા ઘરમાં દોડી જઈ, મગજની એક લાડુડી લાવીને એમને દેતી દેતી બોલી : “લો, ઝટ તમારી વસુને ખવરાવો. હું તો મૂઈ હૈયાફૂટી, તે વીશરી જ જાત; પણ મારા સસરાએ સવારે ખરાવીખરાવીને કીધેલું કે, ‘વહુ, શરશતી ભાભીની વસુને ચોક્કસ દેજો, હો કે!’” સસરાની નિંદાને નાનકડી એક લાડુડીથી દબાવરાવી લેવાની ફોગટ આશા સેવતી વિધવા ભદ્રા તે વખતે તો ‘શરશતી બૈજી’ને વળામણાં દઈ દેતી; પણ કૂતરાની પૂંછડી જેવી શરશતી બૈજીની જીભ વળતા દિવસના પ્રભાતે જ પાછી વાંકા વેણ લઈને હાજર થતી. અરે, પોતાની વસુને લાડુડી ખવરાવતાં ખવરાવતાં પણ એ બોલતાં કે, “ગાંડી અમસ્તી કાંઈ નથી સાચવી; એના દરદાગીના દબાવેલ છે. હં-અં, માડી!” સવાર પડતું ત્યાં પાછાં એ જ સરસ્વતી ડોસી અર્ધો પૈસો લાવીને સોમેશ્વર માસ્તરને આપતાં : “લ્યો, ભૈ! શાક લેતા આવજો. જોડે બે તીરખી કોથમરીનીય લાવજો, હો ભૈ! અને એકાદ મરચુંય લાવજો.” ફળી મોટું હતું. ઘણીખરી વિધવાઓ રહેતી. ઘણીખરી સાસરિયાંથી રુખસદ પામેલી હોઈ કાલાં ફોલીને નભતી. તે બધીય શાકપાંદડું લાવી દેનાર સોમેશ્વર વિશે માનતી કે, રોયો પોતાના ઘરનું શાક તો પરભારું અમારામાંથી જ કાઢતો હશે! આવા કચવાટની સોમેશ્વર માસ્તરને ખબર હતી. પણ પોતે એનું દુ:ખ રાખતા નહોતા; કેમકે એને લાગ્યા જ કરતું હતું કે, કોણ જાણે આ ફળીવાળાંમાંથી જ કોઈના નસીબનું આપણે ખાતાં હશું તો! આમ સોમેશ્વર માસ્તરના સંસારનું ગાડું ચાલ્યા કરતું. ભાણા-ખડખડ ઘરમાં બિલકુલ નહોતી થતી એમ પણ નહીં. ગાંડી યમુના અને પાછલી પરસાળે બેસી રહેતા મામા – એ બેઉ વચ્ચે ઘણી વાર ચકમક ઝરતી ત્યારે મામા કહી નાખતા કે, ‘આવી છે મારાં ભાણેજડાંનો જીવ લેવા – તે ભરખી-કરીને જ જશે!’ અર્ધ સમજમાં અને અર્ધ અભાનમાં યમુના પણ ઘર ગજાવી મૂકતી કે, ‘મારાં મૂડીમાયા લઈ લેવા સૌ ભેગાં થયાં છો : કાં ને? હું નાગણી છું – નાગણી!’ ને પછી બીભત્સ ગાળો. વિધવા વહુ ભદ્રા ઉપર વારંવાર એક જુદી જ ફરજ આવી પડતી : અમદાવાદ રહેતા પ્રો. વીરસુતનાં નવાં પત્નીને જ્યારે જ્યારે થોડી કે વધારે માંદગી થઈ આવતી ત્યારે તાબડતોબ ભદ્રાભાભીને મોકલવાનો તાર પિતા પર પહોંચતો. સોમેશ્વર માસ્તર ઘણુંયે લખતા કે, ‘ભાઈ, નવી વહુને આંહીં મોકલ તો એમનું સચવાય તે સાથે સૌનું સચવાય. આ ગાંડીનું કાંઈ ઠેકાણું નહીં; રોટલા કરી આપે કે ન કરી આપે. મોટી વહુ વગર મુશ્કેલી પડે. મને તો કાંઈ નથી : હું તો હાથે રાંધી લઉં. પણ ઘરની સાચવણી વીંખાઈ જાય છે. નવી વહુ આંહીં આવીને રહે તો હું ચીવટ રાખીને દવા કરાવી શકું, તેમ તેને ઘરકામ કરવાનો થોડો વ્યાયામ પણ મળે. ઘર એનું છે, એટલે પોતે ઘરની સાચવણ કરતાં થાય.’ પણ વીરસુત જવાબ વાળતો કે, ‘મારે નવીને પણ ત્યાં મૂકીને સંસ્કારહીન નથી બનાવવી. મારે એને એ ઘરની ધૂળ ઝાડવાઝાપટવાનું ભળાવવું નથી. એકને ગુમાવી છે તે ઘણુંબધું છે. માટે મોકલવાં હોય તો ભદ્રાને મોકલજો; નહીંતર ઇસ્પિતાલમાં જ મૂકીશ.’ પિતા લખતા કે, ‘મારો જીવ સહેજ સંકોડાય છે, કેમકે ભદ્રા આખરે તો વિધવા છે. આંહીં પગ ઢાંકીને બેસી રહી શકે; ત્યાં મોકળા સંસારમાં એના જીવનો મેળ ન મળે. …’ વગેરે વગેરે. પુત્રનો ફળફળતો ઉત્તર આવતો : ‘ફિકર રાખશો મા : હું નહીં એને પુનર્લગ્ન કરાવી દઉં! એ બીક હોય તો ન મોકલતા.’ આખરે તો ભદ્રાને જ બે વાર જવું પડેલું. બે વાર જવાનું ખાસ કારણ એ હતું કે નવી વહુને ઉપરાઉપરી બે કસુવાવડો થઈ હતી. ત્રીજી વાર ભદ્રાને જવાનું તેડું આવ્યું ત્યારે લખ્યું હતું કે, ‘અનસુ માંદીને ત્યાં જો રાખી શકાય તો રાખીને એકલાં જ મોકલવાં. ભદ્રાના હાથ બે માંદાંની માવજત કરી શકે નહીં. ઊલટાનું બન્નેનું બગડે.’