દક્ષિણાયન/દક્ષિણાયન સુન્દરમ્ની દક્ષિણાપથની
– ચંદ્રકાન્ત શેઠ
સુન્દરમ્નો જો કવિ તરીકેનો પરિચય આહ્લાદક છે તો તેમનો પ્રવાસી તરીકેનો પરિચય પણ ઓછો આહ્લાદક નથી. આ ‘દક્ષિણાયન’ આપણને પ્રવાસી સુન્દરમ્નો પરિચય કરાવે છે. સુન્દરમે ૧૯૩૫ ના નવેમ્બર અને ડિસેમ્બરમાં દક્ષિણ હિંદનો પ્રવાસ કરેલો. એ પ્રવાસ તેમણે શ્રી રત્નમણિરાવના આયોજન-માર્ગદર્શન હેઠળ કરેલો. એ પ્રવાસ તે વખતના મુંબઈ ઇલાકાની દક્ષિણ સરહદે આવેલા જોગના ધોધથી શરૂ કરેલો. જોગથી હિંદના પશ્ચિમ કિનારાના મૈસૂર, ઉતાકામંડ, મલબારનાં બૅક વૉટર્સ અને ત્રાવણકોર વિસ્તારમાં થઈને તેઓ પછી કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી ઉત્તરાભિમુખ અને ક્યાંક પૂર્વાભિમુખ થતાં થતાં મદુરા, રામેશ્વરમ્, ત્રિચી, પોંડિચેરી, મદ્રાસ અને ત્યાંથી પશ્ચિમાભિમુખ થઈ મદ્રાસ ઇલાકાની સરહદ પરના વિજયનગરમ્ પહોંચી ત્યાં પ્રવાસની પૂર્ણાહુતિ કરી. એ રીતે ‘દક્ષિણાયન’માં જોગથી વિજયનગરમ્ સુધીની યાત્રાનું વર્ણન-દર્શન છે. આ પ્રવાસમાં સુન્દરમે પ્રકૃતિસૌન્દર્ય, નગરો તથા તીર્થક્ષેત્રોનું દર્શન અને જનસંપર્કને લક્ષ્યમાં રાખેલાં. તેમણે ‘સૌન્દર્યાભિમુખ સંસ્કૃતિદર્શી અભિગમ’થી આ પ્રવાસ ખેડેલો. તેમણે દક્ષિણનાં તીર્થક્ષેત્રોની મુલાકાત લીધી ત્યારે પોતાનું માનસ ‘એક ભગવદ્ભક્ત કરતાં શિલ્પસ્થાપત્યના અને જનનારાયણના સૌન્દર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યાનું જણાવ્યું છે. તેમણે આ પ્રવાસ કરતાં ત્યાંની પ્રજાનાં લક્ષણો, તીર્થધામોની દંતકથાઓ, સ્થળોની કથાઓ વગેરે જે કંઈ સાંભળવા મળ્યાં તેની નોંધો કરેલી. વળી આ પ્રવાસની પૂર્વતૈયારી રૂપે દક્ષિણ હિંદનાં ઇતિહાસ-ભૂગોળ વિશેય થોડુંક વાંચેલું. આ બધાંનો સંદર્ભ લઈ તેમાં પોતાનાં અનુભવ તેમ જ ભાવસંવેદન મેળવી સુન્દરમે આ પ્રવાસકથા લખી છે. આ પ્રવાસ લખવો શરૂ કર્યો ત્યારે, સુન્દરમ્ કહે છે તેમ, સીધું ગદ્ય લખવાનો એમનો અભ્યાસ ઘણો ઓછો હતો. વળી આવા ‘ભૃતાર્થવાળા વસ્તુપ્રધાન objective વિષય’ને રસાવહ બનાવી લખવાનું કાર્ય તેમને વિકટ પણ લાગતું હતું. પોતાનું આ પ્રવાસાત્મક લખાણ રેલવે-ગાઇડ, સ્થાપત્યની વિગતપોથી, અંગત સ્મરણોની હારમાળા કે વસ્તુવિમુખ એવો અધર કલ્પનાવિહાર ન બની જાય તે પણ જોવાનું હતું. આમ સુન્દરમ્ની સર્જકતા માટે આ પ્રવાસકથાલેખન એક પડાકરરૂપ હતું. એમ છતાં એ પડકાર સુન્દરમે ઝીલ્યો અને નોંધપાત્ર સર્જનાત્મક સામર્થ્યથી આ કાર્ય તેમણે સિદ્ધ કર્યું એમ કહેવું જોઈએ. સુન્દરમ્ આ પ્રવાસકથાની ભૂમિકા આપતાં વિનીત ભાવે પોતાને એક પ્રાકૃત જન (‘લેમન’) તરીકે ઓળખાવે છે. તેઓ આ પ્રવાસવર્ણનમાં વ્યક્ત કરેલાં સંવેદનોને ‘પ્રાકૃત માનસનાં ક્ષણિક સંવેદનો’ તરીકે નિર્દેશ છે. પોતાની આ પ્રવાસકથાને પોતાની ‘અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદનકથા’ તરીકે તેઓ ઓળખાવે છે. સુન્દરની આ વિનમ્રતામાં જ એમની સર્જક તરીકેની મોટાઈ છે. ગુજરાતીમાં દક્ષિણ ભારત વિશેનાં જે કેટલાંક પ્રવાસ-વર્ણનો લખાયાં છે તેમાં સુન્દરનું આ પ્રવાસ-વર્ણન ગુણવત્તાએ ઉત્તમ અને અનન્ય છે. સુન્દરમ્ની ગદ્યકાર તરીકેની શક્તિનો ઉઘાડ અહીં સ્પષ્ટતયા પ્રતીત થાય છે. સુન્દરને ગુજરાતીમાં જે કંઈ પ્રવાસસાહિત્ય છે તેનો એક અંદાજ છે જ અને તેથી તેઓ એમના આ પ્રવાસવર્ણનમાં સાદ્યંત લેખક તરીકેની પોતાની સંપ્રજ્ઞતા ને શિસ્ત પણ દાખવે છે. આ પ્રવાસકથામાં સુન્દરમે પોતાની આંખે જે જોયું, પોતાના હૃદય-ચિત્તે જે અનુભવ્યું તેનું બયાન આપ્યું છે. એમાં એમની વિશેષતા સાથે અનિવાર્યતયા એમની મર્યાદાયે આવી જાય તે સમજાય એવું છે. સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા’બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે:
- “દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.”
(પ્રાસ્તાવિક: પૃ. ૭)
સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે:
- “આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે.”
(પ્રાસ્તાવિક: પૃ. ૯)
સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય’– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું’હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે. વળી સુન્દરમ્ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત., • તેની કીર્તિની કમાન જેવાં મેઘધનુષ રચાય છે. (પૃ. ૪૧) ધોધની પાસેના ખડકોએ પોતાની અણીદાર ચિબુકો ખીણ પર ઝુકાવી છે. (પૃ. ૪૧) • વિશાળ શહેર તગતગતા બુટ્ટાનો શ્યામલ ઉપરણો ઓછી સૂતું હતું. (પૃ. ૭૧) • અંધારામાં એકાએક દીવાસળી સળગે તેમ મને થયું. (પૃ. ૯૬) મલબારના તાપે તપાવી તપાવી કાળાં કરેલાં તેમનાં ઉઘાડાં શરીર લીલી ભૂમિમાં જીવતાં છાયાચિત્રો જેવાં લાગતાં હતાં. (પૃ. ૯૭) • ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, આમ ગંગાના મુખ સુધી, આમ સિંધુના મુખ સુધી, સળગતી જામગરી પેંઠે દૃષ્ટિ સડસડાટ ચાલી શકે તો. (પૃ. ૧૧૦) • મોટું ટીપણું ઉખેળાતું હોય તેમ પાલમાયરા વૃક્ષોની વિવિધતાથી ભરપૂર એવો ભૂમિપટ ઊઘડવા લાગ્યો. (પૃ. ૧૧૬) • ક્ષણે ક્ષણે નવીનતા ધરતું અને સદાય રુચિરતા પ્રગટાવતું સ્થૂલ મૂર્તિમાન સૌન્દર્ય પૃથ્વી પર કોઈ હોય તો તે વાદળોનું જ છે. (પૃ. ૧૧૯) • લાડુ ખાધા પછી મીઠું પાણી પીતા હોઈએ તેમ આ ખુલ્લાં ખેતરો અને તેમાં ઊગેલી તુવેરની આછી લીલોતરીને નિહાળતાં અમે આગળ જવા લાગ્યાં. (પૃ. ૧૨૦). • કુંભેશ્વરના કોટ પર મઝાના નંદીઓ હતા. જાણે ખોખો રમવાને જ બેઠો ન હોય! (પૃ. ૧૬૪) • વાદળોના બનેલા, સંપૂર્ણ સફાઈપૂર્વક પ્લાસ્ટર કરેલા ઘુમ્મટ જેવા આકાશ નીચે આજુબાજુની પ્રકૃતિનું દર્શન કોઈ મ્યુઝિયમમાં ફરતા હોઈએ તેવો ભાસ કરાવતું હતું. (પૃ. ૧૯૬). • આખો પ્રવાસ જાણે બે ખૂંધવાળા ઊંટની ઉપર આપણે કીડીરૂપે ચાલી રહ્યાં હોઈએ તેવો લાગે છે. (પૃ. ૨૦૫) સુન્દરમ્ના આ ‘દક્ષિણાયન’માં એમની સૂક્ષ્મ સંવેદનશીલતા, એમની માનવપ્રીતિ ને રાષ્ટ્રપ્રીતિ, એમની પ્રકૃતિરસિકતા ને કલારસિકતા, એમની વિસ્મયવૃત્તિને કરુણા-ભાવના, એમની લીલારસિકતા ને વિનોદરિસકતા, એમની ને ચિંતનશીલતા ને કલ્પકતા વગેરેનો અનેક રીતે આહ્લાદક અનુભવ થાય છે. જોગના ધોધની દર્શનયાત્રામાં સુન્દરમ્ સમય અને શક્તિ હોય તો પગે ચાલીને પ્રવાસ કરવાની હિમાયત કરે છે. (પૃ. ૩૩). તેમને વેગીલી મોટરના પ્રવાસમાં ભૂમિની સાથે આત્મીયતા નહીં સધાતી હોવાનો અસંતોષ રહે છે. જોગના ધોધનું દિવસે દર્શન કરવું એક અનુભવ છે; પણ એનું રાત્રે દર્શન કરવું એ બીજો અનુભવ છે. એ કેવો અપૂર્વ રસાનુભવ છે તે તો સુન્દરમ્માંનો કવિ જ પામી શકે. સુન્દરમ્ રાત્રિના વાતાવરણમાં ધોધનું દર્શન કરતાં લખે છે.
- “પણ પછી, શ્યામ ભૂમિકાવાળા પાટિયા પર કોઈ ચિત્ર શનૈઃ શનૈઃ આલેખાતું હોય તેમ ધોધની ધારાઓ દેખાવા લાગી. પહેલાં સહેજ સફેદ, પછી એથી વધુ સફેદ, પછી એથીય વધુ સફેદ અને થોડી જ ક્ષણમાં એ ચાર શ્વેત પ્રવાહો એ અંધકારમાં ઝળહળી રહ્યા એમ કહીએ તો ચાલે.”(પૃ. ૩૯)
સુન્દરમે જેમ જોગના ધોધનું તેમ, નીલિંગર અને મલબાર કાંઠાનાં, કન્યાકુમારી અને રામેશ્વરનાં, પક્ષીતીર્થ અને તીરુપતિ વગેરેનાં કેટલાંક સુંદર વર્ણનો અહીં આપ્યાં છે. ‘પક્ષીતીર્થમ્’માંનું એક વર્ણન જોઈએ:
- “તેમની રાહ જોતાં જોતાં કંટાળીને મન આસપાસની પ્રકૃતિ તરફ વળ્યું અને બેશક, તેમાં પંખીદર્શનની ઉત્સુકતાની પૂર્તિ કરતાં વિશેષ આહ્લાદકતા હતી! આ પેલા મંદિરનાં ગોપુર. લીલી ભૂમિની શેતરંજ ઉપર કોઈ રથનાં પ્યાદાં ચલાવી, રમત અધૂરી મૂકી હમણાં જ ચાલી ન ગયું હોય જાણે! આમ પૂર્વમાં પેલો મહાબલિપુરમ્ જવાનો, લીલાં વૃક્ષોની પ્રલંબ વીથિ વચ્ચે પાંથી જેવો જતો પાણ્ડવર્ણી રસ્તો; દૂર ક્ષિતિજમાં દેખાતી સમુદ્રની ધોળી રેખા; વચ્ચે વચ્ચે અહીંતહીં લીલા ચણિયા પર જડેલાં આભલાં જેવાં નાનાં નાનાં તળાવ અને ખેડેલાં સફાઈદાર ખેતરો; આમ ઉત્તરે ચિંગલપટ જતી સડક અને તેના પરની હારબંધ નાળિયેરીઓ, જાણે શેરવાની પર જડવામાં આવેલાં સજ્જડ બટનો જ! લીલા રંગની અનેક છાયાઓમાં માટીની રતૂમડી છાયાઓ અને ઝાડ તથા રસ્તા, તળાવો તથા ખાબડાં જોઈને આંખ મીરાંબાઈના ભજન જેવું માધુર્ય અનુભવવા લાગી. પક્ષીઓના ચમત્કારિક કે પાવક દર્શન કરતાંયે નિસર્ગની આ મુગ્ધ કરનારી મનોહર તનુનું દર્શન કરવા જ આટલો ચડાવ ચડીએ તોય ફેરો સાર્થક થઈ જાય.” (પૃ. ૧૮૭-૧૮૮)
સુન્દરના પ્રકૃતિવર્ણનમાં રંગ-રેખાની – દૃશ્યાત્મકતાની પ્રભાવકતા, કલ્પનાની ગતિલીલા તેમ જ સંવેદનાની સચ્ચાઈની ત્રિવેણી કેવો તો રમણીય રસાનુભવ કરાવે છે તેનું આ એક સચોટ ઉદાહરણ છે. આવાં પર્વત, સમુદ્ર, ધોધ, નદી, જંગલ-ઝાડી વગેરેનાં તો ખરાં જ; તે સાથે વ્યોમ-વાદળનાંયે રમણીય વર્ણનો પ્રવાસાનુભવની એક અનિવાર્ય ઉપલબ્ધિરૂપે આપણને મળતાં રહે છે; દા.ત.,
- “તિનવેલીની ભાગોળમાંથી વાદળાંઓએ પર્વતનાં શિખરો સાથે શરૂ કરેલી રમતો હજી પુરવેગથી ચાલુ હતી. જોતાં થકાય જ નહિ તેવું એ દૃશ્ય હતું. દૂર દૂર સરતી પર્વતમાળા ‘આવજો, આવજો’કહેતી વાદળોના રૂમાલ ઉડાડતી હતી. રંગોની મિલાવટ ઝડપથી શીખી રહ્યાં હોય તેમ વાદળો ઘડીકમાં પર્વતનો રંગ ધારણ કરીને દર્શકને ભુલાવામાં નાખતાં તો ઘડીકમાં સૂર્યનાં કિરણોને પણ શરમાવે તેવી ઉજ્જવળતા ધરી લેતાં અને તેમણે સાંઝને વખતે તો પોતાની રંગલીલા પૂરા ઠાઠમાં ઊજવી આપી. રંગોના વેપારી સૂરજ મહાશયે ઉદાર હાથે આ લોકોને રંગ ધીર્યા. સોનાનું એક મોટું ઝરણ આવીને પશ્ચિમની આકાશભૂમિમાં લાંબું રેલાઈ ગયું અને એમાં પોતાની પીંછીઓ બોળી બોળીને વાદળાંએ. આકાશને ચીતરી નાખ્યું.” (પૃ. ૧૧૯)
સુન્દરમ્ રામેશ્વરમાં રામઝરૂખે પહોંચી ત્યાંના મંદિરના ઓટલે ઊભી જે પ્રાકૃતિક અનુભવ કરે છે તે કંઈક વિલક્ષણ હોઈ અહીં નોંધવા જેવો છે. તેઓ લખે છે:
- “આમ પૂર્વમાં સમુદ્રના આછા ભણકારા, આ બાજુએ રેતી અને તેમાં લીલા બાવળ, વાદળી રતૂમડા આકાશમાં ઢંકાયેલો સૂર્ય અને એ સૌને વ્યાપતી વિરાટ શાંતિ, એ સહુનો આસ્વાદ અનેરો હતો. મલબારની લીલીકુંજાર વનશ્રી કે કન્યાકુમારીની ઝળહળતી સાગરસપાટી કે નીલગિરિની ઉગ્ર અને મનોરમ કેડીઓ, એમાંનું અહીં કંઈ નહોતું. પણ આ નીરવતા નિર્જનતા અને નિઃશ્રીકતા એક મધુરો, હૃદયને નિચોવી લેતો હોય તેવો, કરુણકૃતિને અંતે અનુભવીએ છીએ તેવો આસ્વાદ આપી રહ્યાં હતાં. જીવનમાંથી જાણે કોઈ સૌ ઝંખનાને, સૌ તલસાટને ખેંચી જતું હોય અને કોક નવા અનુભવ તરફ લઈ જતું ન હોય! લાંબો વખત આવી સ્થિતિ સહન કરવી કઠણ થઈ પ હું બે ક્ષણ પવનના આછા સુસવાટને તથા સાગરના ગર્જનને સાંભળી રહ્યો. એક ધોબી કપડાંની ગાંસડી લઈ આ ઢોળાવ વટીને આગળ જતો દેખાયો. આ પણ કેટલો શાંત હતો! એના પગના અવાજને પણ રેતી ચૂસી લેતી હતી.” (પૃ. ૧૪૬-૧૪૭)
સુન્દરમ્ શિલ્પસ્થાપત્યના દર્શનમાં અહીં વિશેષભાવે દિલચસ્પી દાખવતા જણાય છે. તેમનું કલાપ્રવણ ચિત્ત દક્ષિણ ભારતના શિલ્પ-સ્થાપત્યની જે વિશેષતાઓ છે તેની નોંધ લેવાનું ચૂકતું નથી. મંદિર-દર્શનમાંયે તેમનું કલાદર્શન જ સવિશેષ બળવાન હોય છે. તેઓ દેવપ્રતિમાના દર્શનમાંયે કલાસૌન્દર્ય પ્રતિ સવિશેષ દત્તચિત્ત હોય છે. તેઓ હળેબીડના મંદિરમાંની પરમ સુંદર મૂર્તિઓ જોતાં લખે છે: “આ પરમ સુંદર મૂર્તિઓ માત્ર દેવોની પ્રતિમા જ નથી. પણ તે શિલ્પીઓની પ્રગટ ઉપાસનાની પણ પ્રતિમાઓ છે.” (પૃ. ૪૮-૪૯) તેઓ બેલૂરના મંદિરના આકર્ષક શિલ્પનું દર્શન કરતાં તેનો તાદેશ ચિતાર આ રીતે આપે છે:
- “એક પછી એક પ્રતિમાઓ તરફ માથું ઊંચું કરી જોતાં જઈએ છીએ અને દૃષ્ટિપટ પર સ્વર્ગની પરીઓ પસાર થતી હોય તેમ લાગે છે. આ એક પૂજાની સામગ્રી હાથમાં લઈ વેગથી મંદિરે જાય છે. તેનો ઊપડેલો પગ કેવો પાછળ અધ્ધર રહી ગયો છે. આ બીજી સારંગી વગાડનારી પોતાની સારંગી ઉપર જ આંખ ઢાળીને મગ્ન થઈ ગઈ છે.
આ એક ધનુષ ચડાવી બાણ તાકે છે. એક પાન ખાય છે. આ બીજી આરસીમાં જોઈ રહી છે. વળી આની સાડીને વાંદરો ખેંચી રહ્યો છે અને આ રમણી તો શરીર પરથી સર્વ વસ્ત્રને દૂર કરીને પોતાના લાવણ્યનો ઉત્સ પ્રત્યેક અંગથી ઉડાવી રહી છે.” (પૃ. ૫૬) સુન્દરમ્ના પ્રત્યક્ષીકરણના વ્યાપારમાં ગદ્ય કેવું સહાયક થાય છે તે ઉપરની ચિત્રપટ્ટિકામાં જોઈ શકાય છે. આ સુન્દરમ્ નીલગિરિને માણસ અને પ્રકૃતિની અનાદિ હોડના જીવંત દૃષ્ટાંતરૂપે જાણે જીવતો બેઠો હોય તે રીતે વર્ણવે છે. એ નીલિંગર પર ચડતી મોટરનું વર્ણન પણ વિલક્ષણ ને તેથી ધ્યાનાર્હ છે. (પૃ. ૮૪) એવું જ ધ્યાનાર્હ વર્ણન છે નીલિંગિર પરથી ઊતરતી રેલગાડીનું. (પૃ. ૮૭-૮૮) સુન્દરમે મંદિરવર્ણનોમાં પણ પોતાની કાવ્યસર્જકતાનો અસરકારક વિનિયોગ કર્યાનાં અહીં અનેક દૃષ્ટાંતો છે. તેમણે ચાલુક્ય ઢબનાં તેમજ દ્રાવિડી ઢબનાં મંદિરોનું વર્ણન કરતાં ફૂલગુચ્છ તેમ જ મહાવટવૃક્ષનાં ઉપમાનોનો આધાર લીધો છે. તેઓ લખે છે:
- “પેલાં ચાલુક્ય ઢબનાં મંદિર જાણે સૌન્દર્યનો હાથમાં લઈ સૂંઘી શકાય તેવો સુરેખ સુખચિત મઘમઘતો ફૂલગુચ્છો. આ દ્રાવિડી ઢબનાં મંદિર મહાવટવૃક્ષના જેવાં, વિશાળ, ભવ્ય, બાથમાંય ન માય, દૃષ્ટિમાંયે ન માય.”(પૃ. ૯૦)
અન્યત્ર ભવ્યતાની હદે પહોંચતાં રામેશ્વર અને મદુરાનાં મંદિરોની વાત કરતાં તેઓ રામેશ્વરના મંદિરને રામાયણ સાથે અને મદુરાના મંદિરને મહાભારત સાથે સરખાવે છે. (પૃ. ૧૨૩). સુન્દરમ્ દીપકનો મહિમા વિશેષભાવે દક્ષિણ ભારતનાં મંદિરોમાં થતો હોવાનું નોંધે છે. (પૃ. ૧૦૧) ત્રિવેન્દ્રમ્ની ચિત્રશાળા પછી મંદિરની મુલાકાત લેતાં ત્યાં શેષશાયી ભગવાન પદ્મનાભની મૂર્તિની જે દશા છે તે જોઈને કવિ નોંધે છે :
- “અરે બિચારા દેવ! ત્રિલોકના પતિની આ દશા? ત્રણ બારણાં પાછળની કેદ? ના, મને દેવની દશા કેદી કરતાં પણ વધારે દયાજનક લાગી. મને થયું કે દેવ માંદા પડ્યા છે અને અહીં સૂઈ ગયા છે અને આપણી રૂઢ વૈદિક દૃષ્ટિ પ્રમાણે એમના ઘરનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. હવે દેવ જ્યારે સાજા થશે અને આળસ મરડી બેઠા થશે ત્યારે એમના માથાના અડવાથી જ ઉપરનું છાપરું ઊડી જશે અને આળસ ખાતાં લંબાવેલ હાથથી આ બારણાં અને થાંભલા અને બીજું બધું મલોખાના મહેલ પેઠે ઊડી જશે. એવા તંદુરસ્ત દેવનાં દર્શનથી જ માનવતાને મુક્તિ મળશે કે પછી તંદુરસ્ત અને મુક્ત માનવતા આવીને જ દેવને મુક્ત કરશે?” (પૃ. ૧૦૩)
સુન્દરમ્નો દેવતા અને માનવતા પ્રત્યેનો દૃષ્ટિકોણ – અભિગમ કેવા પ્રકારનો છે તેનો અહીં સ્પષ્ટ સંકેત મળે છે. સુન્દરમાં મુગ્ધ ભક્તિ નથી. (પૃ. ૧૦૪) તેઓ ભગવાનના ધામ એવાં મંદિરો પણ સર્વભૂતહિતની લોકગમ્ય ભાવનાની કસોટીએ કેવાં છે તે જોવાનું પસંદ કરે છે. તેઓ આ મંદિરો અને એમના આધારે વિકસેલાં તીર્થોનું દર્શન કરતાં લખે છે:
- “આજનાં ઘણાંખરાં તીર્થોમાં સૌંદર્ય છે, કલા છે, ધનસમૃદ્ધિ છે, પણ માનવહિતનું ચિંતન નથી, સ્થાપન નથી. તીર્થના સ્નાનથી, દેવના દર્શનથી. કે જપ-તપ અને દ્રવ્યદાનથી જીવનને કૃતાર્થ ગણનાર ભલે પોતાનાં જન્મભરનાં સારાંનરસાં કર્મોમાં આ તીર્થયાત્રાના પુણ્યના આંકડા ઉમેરવાનો પ્રયત્ન કરે, પણ એમાં સાચી સાધના કે સિદ્ધિ શી છે તે ભગવાન જાણે!” (પૃ. ૧૦૪)
સુન્દરમ્ને દક્ષિણના પ્રકૃતિસૌન્દર્ય અને શિલ્પસ્થાપત્યના કલાસૌન્દર્યે પ્રભાવિત કર્યા એ ખરું, પરંતુ ત્યાંની ગરીબાઈએ તેમને વ્યથિત પણ એવા જ કર્યા છે. ‘મહાબલિપુરમ્’ના કલાસૌન્દર્યે પ્રસન્ન સુન્દરમ્ તરાપા પર બેઠેલ પુરુષ-સ્ત્રીઓની દીનહીન દશા જોતાં લખે છે:
- “એક વખતના દક્ષિણાધિપતિના મહાસમૃદ્ધ નગરની ભૂમિ પર આજે રોટલાના સાંસાવાળી વસ્તી વસતી હતી. માણસોએ પથ્થરમાંથી કોરી કાઢેલા ગૃહસ્થ દેવોનું, તેમના સુંદર અંગભંગો અને મુદિત મુદ્રાઓમાંથી આ વિકૃત થતી માનવજાતિ પર ઊતરતું કટાક્ષભર્યું સૌમ્ય સ્મિત જાણે આખા ટાપુ પર રમતું હતું. અરે એ દેવો પોતાની પડખે ઊભેલા દેવનો ક્ષય કેટલી સ્વસ્થતાથી જોતા હતા! તો પછી માણસોની દુર્દશા જોઈને તેમના સ્મિતમાં શાનો ફેર પડે?” (પૃ. ૧૮૫)
સુન્દરમ્ માનવગરિમાનો — માનવતાનો હૃાસ થતો જુએ છે ત્યારે તેઓ અવારનવાર વ્યંગકટાક્ષનો આશ્રય લે છે અને પોતાની વાણીની ધાર બરોબર કાઢે છે. ‘સમૃદ્ધ પ્રકૃતિમાં દરિદ્ર પુરુષનાં દર્શન’ (પૃ. ૯૨) તેમને બેચેન કરી મૂકે છે. ખેતરમાં કાળી મજૂરી કરતા ખેડૂતો (પૃ. ૯૨) હોય કે પોતાનાથી નાની ઉંમરવાળો પોતાને ખેંચી જતો પગરિક્ષાવાળો હોય (પૃ. ૯૩) – સુન્દરમ્ના હૃદયને તે કરુણા ને કારુણ્યે ઊભરાવી રહે છે. દેવ ને મનુષ્યની અવદશા કરનાર પૂજારીઓ ને પંડાઓ પ્રત્યે તેમને અભાવો છે. તેથી તેમની વાત કરતાં તેમની વાણીમાં સહજતયા જ વ્યંગ્યની તીક્ષ્ણતા આવી જાય છે. (જુઓ, પૃ. ૮૨-૮૩, ૧૨૬, ૧૩૮, ૧૬૭, ૧૯૦, ૧૯૧, ૧૯૩ વગેરે) સુન્દરમ્ કેટલીક વાર એમની કટાક્ષલીલા અંગ્રેજ શાસકો સુધીયે વિસ્તારતા જણાય છે. ત્યારે તેમનો રાષ્ટ્રીયતા — ભારતીયતા પ્રત્યેનો ઝુકાવ સ્પષ્ટતયા પ્રતીત થાય છે. તેઓ કાંજીવરમના અનુસંધાનમાં રાજત્વ ને ધર્મત્વના સંબંધની ચર્ચા કરતાં લખે છે:
- “આર્યોના રાજકીય આધિપત્ય સાથે તેમનું ધાર્મિક આધિપત્ય પણ હિન્દમાં આવ્યું જ. રાજત્વ ધર્મત્વનું પૂરેપૂરું રક્ષક હતું. ધર્મત્વ રાજત્વનું પૂરેપૂરું સમર્થક હતું. ગઈ કાલ સુધી પશ્ચિમની કથા પણ આથી જુદી નહોતી. પણ આજે રાજત્વને પોતાના સમર્થન માટે ધર્મત્વની બહુ જરૂર નથી. રહી. તેના આશ્રય વિનાનું ધર્મત્વ માલિક વિનાનાં શેરીનાં કૂતરાંઓ જેવું, પ્રજાની વ્યક્તિ વ્યક્તિએ ભીખ માગી રહ્યું છે જાણે!” (પૃ. ૧૯૦)
સુન્દરમે દક્ષિણ ભારતની યાત્રા એક સંવેદનશીલ પ્રકૃતિ અને માનવતાના પ્રેમી કલાસર્જક તરીકે કરી છે. તેમને આ પ્રવાસમાં પ્રસંગોપાત્ત, સરકારીપણાનો (પૃ. ૮૫), કંટાળા-રસ (પૃ. ૧૧૭) અને સંતાપત્રિવેણી (પૃ. ૧૫૦) વગેરેનો અનુભવ તો ખરો જ; સાથે સાથે ભક્તિ, વાત્સલ્ય, માંગલ્ય, ઔદાર્ય, ત્યાગ વગેરેનોયે અનુભવ થાય છે. એમની કવિદૃષ્ટિ તોડાજાતિનાં ‘ભવનો’, ‘વેપારનાં ખેતરો’, માથામાં પીળું ફૂલ ખોસનારી સ્ત્રીઓથી માંડીને શિલ્પવૃક્ષ જેવા સ્તંભો, ગોપુરો, દેવપ્રતિમાઓ, નંદીઓ, રથમંદિરો, મ્યુઝિયમો, જલચરમંદિર તેમ જ સમુદ્રતટ, નદી, ટેકરીઓ ને આકાશ સુધી ફરી વળે છે. વળી એમની નજરમાં રવિ વર્માનાં ચિત્રોયે ખરાં જ. પ્રસંગોપાત્ત, તેઓ રત્નમણિરાવ (પૃ. ૭૧), કવિ ખબરદાર (પૃ. ૧૯૯) વગેરેથી માંડીને શ્રીનિવાસ શાસ્ત્રી (પૃ. ૧૬૯) અને મહાત્મા ગાંધી (પૃ. ૧૦૫-૧૦૬) વગેરેનીય વાતો કરે છે. સુન્દરમ્ ‘કાળતીર્થ’ એવા ‘હિન્દુ’ની નોંધ પણ ઉમળકાથી લે છે. (પૃ. ૨૦૧) આમ સુન્દરનું દક્ષિણાયન એક પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક અને માનવહિતરક્ષક સાહિત્યસર્જકનું ભૂમિપરિક્રમણ છે. આ પરિક્રમણમાં જીવન અને કલાની દૈવત માટેની એમની તરસ – એમની અભીપ્સા સ્પષ્ટતયા વર્તાય છે. પ્રકૃતિના પ્રપાતસંગીતને ડુબાવી દેતા સંસ્કૃતિના ઘર્ઘરાટવાળો મોટરનો વેગ એમની પસંદગી નથી. (પૃ. ૩૪) એમની પસંદગી છે કળાકારનું પોતાની કળામાં થતું પરમ આત્મવિલોપન. (પૃ. ૪૯) પરંતુ એ સહેલું નથી તે તેઓ બરોબર જાણે છે. સુન્દરમે આ પ્રવાસકથાને અનેક પુરાણકથાઓ, દંતકથાઓ, ઇતિહાસકથાઓ વગેરેના સંદર્ભોના યથોચિત વિનિયોગથી જીવંત અને રસપ્રદ કરી છે. દક્ષિણ ભારતનાં સંસ્કાર-સંસ્કૃતિનાં પત્ર-પુષ્પો-ફળનો આસ્વાદ લેતાં તેનાં મૂળિયાં પકડવા – પામવાની એમની મથામણ પણ જોવા મળે છે. તેઓ કૅમેરાની આંખે તેમ પોતાની અંદરની આંખે પણ પ્રકૃતિ-સંસ્કૃતિ ને માનવકૃતિના અવનવા અંશોને ગ્રહવા – આત્મસાત્ કરવાનો સચ્ચાઈભર્યો ઉદ્યમ અહીં દાખવે છે. વિરૂપતાનાં દર્શન પણ કરવાં પડ્યાં ત્યાં કર્યાં (જેમ કે, મૈસૂરની સૌન્દર્યયાત્રાના છેલ્લા તીર્થરૂપ એક બદસૂરત કન્યાનું દર્શન, પૃ. ૮૧), પરંતુ એમની ભાવના તો તત્કાલીન ‘આધ્યાત્મિક મંદી’(પૃ. ૧૯૨) માંયે પ્રકૃતિ, કલાકૃતિ તેમ જ સંસ્કૃતિના ત્રિવેણીસંગમે આંતરદેવતાના દર્શનની જ રહી લાગે છે. તેઓ પોંડિચેરીની મુલાકાત લેતાં ત્યાંના સમુદ્રની સરલ સપાટી નીચે છુપાયેલી અગાધ ઊંડાઈ જેવી શ્રી અરવિંદની યોગસાધનાની ખાસ નોંધ લે છે (પૃ. ૧૭૧) અને છેલ્લે લખે છે:
- “કોઈ મૂંગું સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનના સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂકતું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદનાં પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર ઉપજાવી શકતાં હશે. પણ શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો, જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહીં દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ. હમણાં તો ચાલો આ સ્ટેશને, પેલા સ્ટેશને અને વળી પેલા...”
આમ સુન્દરમે ‘દક્ષિણાયન’માં એમની એક મહાન અધ્યાત્મયાત્રા માટેનો સંકલ્પ પણ વ્યક્ત કરી દીધો હતો. સુન્દરમે ‘ઇતિહાસના કબ્રસ્તાન’ એવા ‘માનવના અહંના સીમાચિહ્ન’રૂપ વિજયનગર આગળ એમના દક્ષિણાયનની સમાપ્તિ થઈ તેમાં ઔચિત્ય જોયું. દક્ષિણ ભારતની મહાસાગર જેવી સંસ્કૃતિની ભરતી જે વિજયનગર સુધી પહોંચી તે ત્યાં શત્રુઓના ખડક પર પછડાઈને શીણવિશીર્ણ થઈ ગઈ તેમ છતાં તેમને દક્ષિણ જીવતું હોવાની રૂડી પ્રતીતિ તો થઈ જ. (પૃ. ૨૧૯) તેઓ લખે છે,
- “મોજું કિનારા પર વેરાઈ જવાથી સમુદ્ર મટી જતો નથી તેમ દક્ષિણનો સંસ્કારદેહ હજી અખંડ છે, સજીવન છે. શ્રીરંગમ્, મદુરા અને રામેશ્વરનાં ગોપુરો હજી એ જ ભક્તિનિનાદથી ગાજી રહે છે. બેલૂરના ચન્નકેશવો અને મદનકાઈઓ, વિષ્ણુઓ અને શિવો પોતાના દૈવી પ્રતાપથી શિલ્પસ્વરૂપે હજી પણ સજીવન છે અને એ ધાર્મિકતા અને સામાજિક સંસ્કારિતા આંગ્લ સંસ્કારોના પ્રબળ આક્રમણ સામે, બીજા કોઈ પ્રાંત કરતાં પણ વિશેષ સરળતા અને સફળતાથી છેલ્લામાં છેલ્લી અંગ્રેજી કેળવણી લેનાર દાક્ષિણાત્યના લલાટ ઉપર ત્રિપુંડતિલક રૂપે અવિચળ રહી છે.”
સુન્દરમ્ દક્ષિણાયનથી નિઃશંક આત્મસમૃદ્ધ થયા હતા અને એની પ્રસન્નતા પણ એમણે વ્યક્ત કરી છે. ‘દક્ષિણાયન’થી સુન્દરમ્ એક સારા પ્રવાસવર્ણનકાર ઉપરાંત સારા ગદ્યકાર તરીકેય પ્રતિષ્ઠિત થાય છે. ગુજરાતી ગદ્યનો પ્રસાદ, એની અવનવી છટાઓ સુન્દરમે અહીં પ્રગટ કરી છે. સુન્દરમ્ની ગદ્યશક્તિ અહીં વર્ણન-ચિંતનમાં, આલંકારિક અને વ્યંગ્યાત્મક ઉક્તિઓમાં, વિલક્ષણ શબ્દ-પ્રયોગો (જેમ કે, ‘હૃત્યુંપ’, ‘સ્વાગત ચાખીને’, ‘ભક્તિની રક્તજ્યોતિ’, ‘ઘીભીનું’, ‘ઇતિહાસના ઘેરા ધૂપથી’, ‘આર્ય મોટ૨’, ‘વેપારનાં ખેતર’, ‘ભક્તિવ્યાપાર’ વગેરે) માં ચમકતી જોવા મળે છે. કેટલાંક સંવેદનચિત્રો – ભાવચિત્રો પણ હૃદયંગમ છે. કન્યાકુમારીના દક્ષિણતમ બિન્દુએ જમીનથી પચાસેક હાથ દૂરના ખડક ઉપરથી ભારતભૂમિનું દર્શન કરતાં જે સંવેદના સુન્દરમાં ઊભરી તે કેટલી પ્રબળ હતી તે નીચેના ગદ્યોદ્ગારથી પ્રતીત થાય છે. તેઓ કહે છે:
- “આ હિંદ, મારી જન્મભૂમિ! એની અંદર હતો ત્યારે જે નહોતો સમજી શકતો તે હવે સમજી શકું છું. આજે તેના તરફ ખરો ભૌગોલિક ભૌતિક પ્રેમ અનુભવી શકું છું. મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે. એનાથી ભિન્ન થતાં જ, આંચળેથી વછોડાયેલા વાછરડાની પેઠે, એની સાથેના અવિચ્છેદ્ય સંબંધનું ભાન થાય છે, હૃદય પીગળે છે. માતા, આ તારાં ચરણ, ત્યાં ત્યાં. આળોટવાનું મન થાય છે. નમો નમઃ ભગવતિ! (પૃ. ૨૧૯)
આપણે પણ સુન્દરમ્ને “નમો નમઃ ભગવિત!’ના પ્રત્યુદ્ગાર સાથે જણાવી શકીએ કે “અમને પણ ‘દક્ષિણાયન’દ્વારા તમારી સાથે દક્ષિણ ભારતની માનસયાત્રા કરતાં કરતાં જોગના ધોધથી તરબોળ થવાનું, કન્યાકુમારી ને રામેશ્વર પહોંચી ત્યાં સમુદ્રસ્નાન કરવાનું, બેલૂર-હળેબીડ, ચિદંબરમ્ કાંજીવરમ્ અને તીરુપતિ આદિનાં મંદિરોમાં આરતી-મંગલ કરવાનું, ગોમટેશ્વરની ચરણવંદના કરવાનું, મૈસૂરના વૃંદાવન ગાર્ડનમાં, નીલગિરિ પર ને મલબાર કાંઠાના બૅકવૉટર્સ વગેરેમાં ઘૂમવાનું ને તક મળે ત્યાં રેતીમાં આળોટવાનું કે હરિયાળીમાં લેટવાનું તેમ જ આકાશમાં સૂરજ, ચંદ્ર ને વાદળોની રંગતગમ્મતમાં ભાગ લેવાનું ઉત્કટ મન થાય છે.’’ ‘દક્ષિણાયન’ની આવી પ્રેરક-ઉત્સાહક શક્તિમાં પણ સુન્દરી આ યાત્રાકથાની સાર્થકતા છે એમ આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું રહ્યું.