દક્ષિણાયન/બેલૂર-હળેબીડ
શિમોગા આવ્યા, નાહીધોઈને બેઠા અને ધોધના પરિભ્રમણમાં જેને વિસારી મૂક્યાં હતાં તે ભૂખ અને થાક પોતાની બધી શક્તિ સાથે ચડી આવ્યાં. અમારા યજમાન શ્રી પુટ્ટનંજપ્પાના કુટુંબ સાથે હજી લગી અમે ભળી શક્યા જ ન હતા. વખત અને ભાષા બંને અમારે માટે નડતરરૂપ હતાં. હવે નિરાંતે જમીશું, હળીશું, મળીશું, અહીંના સંસ્કારી લોકોની સાથે વાતચીત કરીશું અને વીણા વગેરેનું સંગીત સાંભળીશું એવી યોજનાઓ વિચારવા લાગ્યા. શ્રી પુટ્ટનંજપ્પા તેમના મોટા મકાનમાં અમને લઈ ગયા. દસબાર વરસની અંદરનાં સાતઆઠ બાળકો એક ઓરડામાં ટેબલ પર પત્તાં રમી રહ્યાં હતાં. અમને જોઈને તે જરા ક્ષોભ પામ્યાં. મેં તેમને નામ પૂછ્યાં. બધાંનાં નામ સાંભળ્યા પછી મારાથી કહેવાઈ ગયું, ‘આ તો અમારાં ગુજરાતનાં જ નામ છે!’ એટલામાં ત્યાંની સાહિત્યસભાના બે મંત્રીઓ પણ આવ્યા અને ગોષ્ઠિ જામી. ભાષા અને ખોરાક સિવાય ગુજરાત અને કાનડાના લોકોમાં કશો ફરક ન દેખાયો. અહીંના ખેડૂત, અહીંના વેપારી ગુજરાતના જેવા જ લાગે છે અને શિક્ષિત વર્ગ તથા અમલદારવર્ગ તો હિંદભરમાં એકસરખો થઈ ગયો છે. લાંબી કાળી ટોપી અને કોટધોતિયું પહેરેલા મંત્રીઓ જાણે અમદાવાદી જ હતા. જોકે અમારો વાણીવ્યવહાર તો અંગ્રેજીમાં જ ચાલ્યો. દક્ષિણની સુવિખ્યાત ઈડલીનો નાસ્તો અમારી આગળ આવ્યો અને પછી ચાંદીના લાંબા પ્યાલામાં કૉફી આવી. દક્ષિણમાં ચા-કૉફી પીવાની આ શુદ્ધ બ્રાહ્મણિયા રીત આપણાથી જુદી જ છે. એને સરસ પણ કહી શકાય, કહેવી પડશે. પછી અમારો કાવ્ય-સાહિત્યનો વ્યાપાર શરૂ થયો. ગુજરાતના નમૂના-રૂપે મારાં થોડાં કાવ્યો મેં સંભળાવ્યાં. એમણે એમના ઉત્તમ કવિનાં સંભળાવ્યાં, કાવ્યોની ભાષા તો અમારે પરસ્પર અગ્રાહ્ય જ હતી, તોય ‘રંગરંગ વાદળિયાં’નું વર્ણસંગીત એમને ગમ્યું. એમણે સંભળાવેલાં કાવ્યોમાંથી મને બે ખાસ આકર્ષક લાગ્યાં. એકમાં કવિ પોતાના આંગણે કાગડાને નાચતો જોઈ પોતાની પ્રિયાને નાચવાને આમંત્રણ આપે છે, તેને આખા જગતમાં વ્યાપેલું નૃત્ય બતાવે છે અને છેવટે ઉન્મત્ત થઈ તેઓ બંને નાચે છે. તેમાં વારંવાર ધ્રુવપદ તરીકે આવતી લીટી ખૂબ મંજુલ-મધુર હતી. ‘કુણિયોનુ બા, બા કુણિયોનુ બા’, ‘ચાલો નાચીએ, ચાલો નાચીએ’એવો એનો અર્થ છે. બીજું કાવ્ય ત્યાંના અગ્રગણ્ય કવિ શ્રી પુટપ્પાનું ‘કલ્કિ’ નામે હતું. શ્રી પુટ્ટનંજપ્પાએ તે છટાથી વાંચ્યું. એ સૌમ્ય આકૃતિ એક અચ્છા નટ છે એમ મેં સાંભળ્યું ત્યારે મને નવાઈ થયેલી; પણ કલ્કિ અવતારની કવિએ કરેલી રુદ્ર કલ્પનાને એ જે બળથી. અને આવેશથી શબ્દમાં ઉતારતા હતા તે જોતાં મારી નવાઈ મટી ગઈ. જગતની દીનદલિત જનતા કલ્કિરૂપે વિશ્વમાં નિર્દય રીતે ક્રાન્તિ લાવી તમામ અન્યાયોનો ઉચ્છેદ કરશે એ આખા કાવ્યનો ભાવ હતો. એ ખાસું લાંબું કાવ્ય ઘણીયે વાર રંગભૂમિ પર ગવાયું છે. કાનડી સાહિત્યનું એ અતિ લોકપ્રિય ધન છે. એ કાવ્યના લેખકને મૈસૂરમાં મળવાનો પ્રસંગ થોડા દિવસ પછી મળ્યો. ‘કલ્કિ’માં પ્રતીત થતી માનવબંધુત્વની ભાવનાનો આવેશ એમનામાં રગેરગ દેખાતો હતો. કાનડી ભાષાની અસ્મિતા માટે ઝૂઝનાર કેટલાક વીરોમાંના એ એક છે. ગુજરાતી અને કન્નડ બંનેના મૂળમાં સંસ્કૃત રહેલી છે. છતાં પ્રથમ શ્રવણે તે તદ્દન નવીન જ લાગે છે. ગુજરાતી સાહિત્યરસિકો એ બાજુ જતા નથી અને ત્યાંના આ તરફ આવતા નથી એટલે બંનેમાં ઘણાં સમાન તત્ત્વો હોવા છતાં આપણે અન્યોન્યથી અપરિચિત જ પડ્યા છીએ. મૈસૂરમાં જ્યારે એક નાની મિત્રમંડળીને મેં ગુજરાતી સાહિત્યનો વિકાસ કહ્યો ત્યારે એ ભાઈઓ અચંબાથી બોલી ઊઠ્યા, ‘અમારે ત્યાં પણ એમ જ છે.’સંસ્કૃત અને અંગ્રેજ સાહિત્યની અસરથી એ સાહિત્ય પણ રંગાયું છે, ઘડાયું છે. ત્યાં પણ પાંડિત્યપ્રૌઢ સાક્ષરોનો યુગ હતો અને હવે સાહિત્ય આમજનતા તરફ અભિમુખ બનવા લાગ્યું છે. નવા લેખકો જૂનો આડંબર તજી સાદી અને સીધી લેખનરીતિ અપનાવતા થયા છે. વાતો ઘણી રિસક હતી. પડખે કર્ણાટકી સંગીતની રેકર્ડે વાગતી હતી. ત્યાં અમારા પ્રવાસના સુકાની ધબધબ દાદરો ચડી આવ્યા. ‘કલાક પછીની ગાડીમાં જ ઊપડવાનું છે!’એમણે જાહેર કર્યું. અને અમે ગાંસડાં-પોટલાં બાંધવામાં પડ્યા. આરામ આરામની જગ્યાએ રહ્યો. હવે અમારું લક્ષ્ય બેલૂર અને હળેબીડ હતું. અહીંથી લગભગ સોએક માઈલ. સવારે નવને સુમારે બેલૂર પહોંચ્યા. નીચાં નીચાં છાપરાંવાળા એક નાના બજારમાં મોટર પેઠી. આડેઅવળે રસ્તે થતી તે આગળ વધતી હતી. ત્યાં સામે જ ઊંચું ગોપુર આવીને ઊભું રહ્યું. લેખોમાં વાંચેલું અને નાનકડા ફોટોગ્રાફોમાં જોયેલું ગોપુર પ્રથમ વાર મૂળ સ્વરૂપે જોયું. ત્રીસેક ફૂટ ઊંચે દરવાજો અને તે પર ક્રમે ક્રમે નાના થતા જતા લંબચોરસ પાંચ માળ અને તે પર નાનાં નાનાં હારબંધ પાંચ કળશાકાર શિખરો. ગોપુર દક્ષિણ હિંદના સ્થાપત્યની એક અજોડ વિશેષતા છે. ગોપુર એટલે મંદિરની ભૂમિમાં પ્રવેશવાના દરવાજા પરનો ટાવર. મંદિરના કદ અને મહિમા પ્રમાણે તેની ઊંચાઈ અને કારીગરી વધારે-ઓછી હોય છે. દક્ષિણ હિંદમાં એકે મંદિર ગોપુર વિનાનું હોય નહિ. નાના ઘર જેવા મંદિરને પણ નાનકડું ગોપુર તો હોય જ. અહીંનાં મંદિરોની રચના સામાન્ય રીતે આવા પ્રકારની હોય છે. પહેલાં વિશાળ ચાર દીવાલોનો કોટ, તેમાં ચાર દિશામાં ચાર ગોપુર, અંદર મોટો ચોક, વચ્ચે દેવનું મુખ્ય મંદિર અને આજુબાજુ દેવનાં વાહન કે બીજા આશ્રિત કે કુટુંબી દેવોનાં નાનાંમોટાં દેવાલયો. કોટની અંદર કે બાજુમાં કુંડ, તળાવ કે નાનું જળાશય પણ હોય. અહીંના લોકોની કલ્પના હમેશાં વસ્તુઓના વિરાટ સ્વરૂપમાં રાચતી લાગે છે. દરેક વસ્તુનું કદ બને તેટલું તેઓ બૃહદ કરે છે. દેવના રથ, પોઠિયા, હાથી, ઘોડા વગેરે બધાં અસાધારણ કદનાં. પણ તેમાંયે ગોપુરની કાયા તો તેથીયે અસાધારણ. ગોપુરના શિખર પર દૃષ્ટિ ઠેરવવા માટે ગરદનને ઠીક ઠીક પાછળ ઝુકાવવી પડે. અંબાડી સાથે હાથી ચાલ્યો જાય એટલો ઊંચો એનો દરવાજો હોય છે અને તે પછી ક્રમશઃ નાના થતા જતા મજલા હોય છે. દરવાજાની ઉપર જ સમાન ઊર્ધ્વ રેષામાં દરેક માળનાં બારણાં આવે છે. આખા દક્ષિણ હિંદમાં માળની સંખ્યા પાંચથી નવ સુધીની જોવામાં આવી; પણ આ મંદિરોના બાંધનાર કેટલીક વખત સંખ્યાને જ વળગી રહેતા દેખાયા છે. નીચા ગોપુરમાં પણ નાના નાના સાત માળ કરેલા જોવામાં આવતા.
|cover_image = File:Daxinayan.ch-3.pic.jpg
બેલૂરમાં ચેન્નકેશવનું મંદિર, ઇશાનમાંથી જોતાં આ મંદિર બેલૂરનાં વિષ્ણુવર્ધન રાજાએ કોયશળ સ્થાપત્ય શૈલીનાં મંદિરોમાં એ એક ઉત્તમ મંદિર ગણાય. ગોપુરો ઉપર ચડવા માટે હોતાં નથી. તે બહારથી જોવા માટે જ હોય છે. તેની અસાધારણ ઊંચાઈ પણ ત્યાં ચડવું કઠણ કરી મૂકે છે. તેની શોભા તેની ગગનચુંબી ઊર્ધ્વતામાં અને તેના પર કોતરેલી મૂર્તિઓમાં હોય છે. ઉપરના મજલાઓની અંદર કંઈ હોતું નથી, પણ બહારની બાજુએ દેવદેવીની મૂર્તિઓ અને કથાઓના પ્રસંગોથી ગોપુરને ઠેઠ શિખર સુધી ખીચોખીચ ભરી દેવામાં આવ્યું હોય છે. જિંદગીમાં પ્રથમ જોયેલા ગોપુર ઉપર આંખો લોલુપ બની ઠરી રહી. જોકે આ ગોપુર તો મદુરા, શ્રીરંગ, રામેશ્વર વગેરે સ્થળોનાં મંદિરોનાં ગોપુર આગળ તો વામન જ કહેવાય. પણ વામન તોય તે ગોપુર હતું. તેની આકૃતિ અને રચના પેલાં ગોપુરોના જેવી જ હતી. માત્ર નાના પાયા ઉપર એટલું જ. તેના ઉપરની મૂર્તિઓના રંગ ઊડી ગયા હતા, છો ખરી પડી હતી. મને થયું, આ ગોપુરની કલ્પના એક જ વ્યક્તિની હશે કે પછી સ્થાપત્યની અનેક પેઢીઓના કલાવ્યાપારનો એ સમુચ્ચય હશે? ગોપુરના ખંડિત મૂર્તિઓવાળા મજલા જોયા પછી અમે મંદિરમાં આંટો મારવા પેઠા. અહીંથી દસ માઈલ દૂર બેબીડ જવાને મોટર તરતમાં જ ઊપડવાની હતી; તે જોઈ આવીને પછી અહીં નિરાંતે અમે આ મંદિર જોવાના હતા. મંદિરમાં પૂજા થતી હતી; પણ અમે બહુ ભક્તહૃદયો ન હતા એટલે દેવનાં દર્શનની ખાસ પરવા કર્યા વિના બહાર થોડુંક ફરી લીધું. અહીંના આ દેવે પોતાની આ ઉપેક્ષાનો બદલો બરાબર લીધો; પણ એ વાત પછી આવશે. અમે હળેબીડનો રસ્તો લીધો. આજુબાજુથી સુકાવા લાગેલી લીલી ટેકરીઓ વચ્ચે થઈને ચાલ્યો જતો માર્ગ કોઈ વિરાટ હસ્તે રમતમાં ખડીનો લસરકો માર્યો હોય તેવો દેખાતો હતો. રસ્તાના લાંબા લાંબા વળાંકોને ઘડી વારમાં સીધા કરી નાખતી મોટર, દુષ્યન્તના રથવેગનું સ્મરણ કરાવતી વેગથી વધતી હતી અને પોતાની પાછળ ધૂળનું એક સળંગ વાદળ મૂકતી જતી હતી. હબેબીડ આવ્યું. હળેબીડ બેલૂર કરતાં પણ નાનું ગામ છે. એક કાળે એ આ પ્રદેશની રાજધાની હતું. હાલ એનો જે કંઈ મહિમા છે તે માત્ર મંદિરને લીધે જ. મોટર અમને ઠેઠ મંદિર પાસે લઈ ગઈ. અહીં તો ગોપુર પણ ન હતું. આજુબાજુ કમર જેટલો ઊંચો કોટ છે અને અંદર એકલું મંદિર ઊભું છે. આનું કારણ એ છે કે આ મંદિર અધૂરું રહી ગયું છે. મંદિરનો પશ્ચિમનો ભાગ જ સમલંકૃત કરાયો છે અને પૂર્વનો ભાગ માત્ર ચણી જ લેવાયો છે. આખું મંદિર બેઠા ઘાટનું છે. સાતેક ફૂટ ઊંચા ઓટલા ઉપર મંદિરની માંડણી કરાઈ છે. ખૂણામાં ખૂણા અને તેમાં ખૂણા એવી રીતે મંદિરનો આકાર ગોઠવાયો છે. માત્ર પચીસ કે ત્રીસ ફૂટ ઊંચી મંદિરની દીવાલ છે. પંદર પંદર ફૂટ ઊંચા અંદરના થાંભલા છે; પણ આટલામાં જ શિલ્પીઓએ ટાંકણાના ચમત્કાર કરી બતાવ્યા છે. હિંદમાં મૈસૂર રાજ્ય જેટલી કળા અને કુદરતી સમૃદ્ધિ એકીસાથે બીજો કોઈ પ્રદેશ ધરાવતો નહિ હોય. એમાંયે માનુષી કળાના શિરોમણિ જેવાં એ બેલૂર, હળેબીડ અને સોમનાથપુરનાં મંદિરો છે. ત્રણે મંદિરોમાં શિલ્પની એક પ્રણાલિકા સતત જળવાઈ રહી લાગે છે. બેલૂરનું મંદિર ઈ. સ. ૧૧૧૭ માં હોયશલ સમ્રાટ વિષ્ણુવર્ધને બંધાવ્યું. હળેબીડનું ઈ. સ. ૧૨૧૯ માં સમ્રાટ બલ્લાળે બંધાવવું શરૂ કર્યું અને સોમનાથપુરનું હોયશલ નૃપ નરસિંહના એક અધિકારી સોમે ઈ. સ. ૧૨૬૫ માં બંધાવ્યું. આ મંદિરની પાછળ માણસે જે ધીરજથી અને ઉદારતાથી પોતાની સમૃદ્ધ કળા ઠાલવી છે તે રાજ્યાશ્રય વિના સંભવે જ નહિ એ અતિ સ્પષ્ટ છે. જોકે આજે તો આ મંદિરોને બાંધનાર અને બંધાવનાર બેમાંથી કોઈનું સ્મરણચિહ્ન મંદિરમાં અતિ પ્રગટરૂપે નથી. મૈસૂર રાજ્યના પુરાતત્ત્વખાતાએ આ મંદિરોનો ઇતિહાસ સંશોધિત કરી છપાવ્યો છે; પણ એનો ઉપયોગ તો વિદ્વાનો જ કરતા હશે. સામાન્ય માણસ માટે તો એ ઇતિહાસ વૃક્ષનાં મૂળ પેઠે અદૃશ્ય જ રહે છે. તે તો જુએ છે એ શિલ્પકારોના કળાબીજમાંથી રાજાઓના જલસિંચન વડે ઊગેલા કળાના આ સમૃદ્ધ અમર વૃક્ષને. એનો આનંદ એટલું જોઈને પણ ક્યાંય સમાતો નથી. શિલ્પવિધાનની આટલી વિવિધતા, આટલી નાજુકતા, આટલી સુંદરતા જોતાં જોતાં જ એની આંખ થાકી જાય છે. આ કલાસર્જકોનો ઇતિહાસ રમણીય છે. શિલ્પવિદ્યા એ માત્ર કારીગરી નહિ પણ દેવની ઉપાસના જેટલી જ ગંભીર પવિત્ર ક્રિયા ગણાયેલી છે. શિલ્પશાસ્ત્ર શિલ્પીનાં ચારિત્ર્ય, ધ્યાન, મૂર્તિરચના વેળાની મનોભાવના વગેરે વિશે આદેશો યોજ્યા છે. શિલ્પવિદ્યાના એ ઉપાસકોની ઉપાસના પણ ભક્તોથી ઓછી નહિ હોય. આ પરમ સુંદર મૂર્તિઓ માત્ર દેવોની પ્રતિમા જ નથી, પણ તે શિલ્પીઓની પ્રગાઢ ઉપાસનાની પણ પ્રતિમાઓ છે. શિલ્પના ક્ષેત્રમાં પણ ઘણા ઉત્તમ સર્જકો થઈ ગયા છે. અહીંની કેટલીક અતિ સુંદર પ્રતિમાઓના પદભાગમાં તેના શિલ્પીનાં નામો મળી આવે છે, પણ આપણી સંસ્કૃતિના ઇતિહાસમાં એકેનું નામ કેમ ઝળકતા રંગોમાં દેખાતું નથી? અશોકથી ઠેઠ વિજયનગરના સામ્રાજ્ય સુધીના આપણા વિશાળ ઇતિહાસપટમાં રચાયેલાં અપૂર્વ સ્થાપત્યો અને શિલ્પો મહાન સર્જક કલ્પનાની કૃતિઓ છે; પરંતુ એમાંથી કોઈનું નામ કેમ આપણી પાસે નથી? અશોકનો કીર્તિસ્તંભ, સારનાથનો સ્તૂપ, અજન્તા-ઇલોરાની ગુફાઓ, મદુરા-ભુવનેશ્વરનાં ગગનચુંબી મંદિરો તથા આ બેલૂર-હળેબીડનાં નખશિખ સુખચિત કળાપુદ્ગલો જેવાં મંદિરો કે તાજમહાલ જેવા રાજાઓના બાંધનાર અપ્રતિમ પ્રતિભાવંત કલાધરોની ઉજ્જવળ પરંપરામાંથી એકેનું નામ આપણા સંસ્કૃતિ-વિધાયકોની હરોળમાં કેમ સ્થાન પામ્યું નથી? આ તે આપણા કળાકારને સહજ એવું કળાકારનું પોતાની કળામાં પરમ આત્મવિલોપન કે ધર્મ કે રાજાની પ્રતિભા આગળ તેનું અગૌરવ છે? મૈસૂરમાં હોયશલ પદ્ધતિનાં અનેક મંદિરોમાં ત્રણ વિશેષ જાણીતાં છે. સોમનાથપુર, બેલૂર અને હળેબીડ. દરેકની કંઈ ને કંઈ લાક્ષણિકતા છે. ત્રણેમાં આ મંદિર-પ્રકારનું શિખરમંડિત સંપૂર્ણ રૂપ સોમનાથપુરમાં છે. બેલૂરમાં શિખરો રહ્યાં નથી. હળેબીડનું મંદિર તો પૂરું બંધાઈ શક્યું પણ નથી. મદુરા, રામેશ્વર, ત્રિવેન્દ્રમ્ વગેરેનાં ચારે દિશામાં ભવ્ય ઊંચા થાંભલાઓની વીથિઓવાળાં, હજારો માણસોને સમાવી શકે એવાં ભવ્ય ગગનગામી દ્રાવિડી મંદિરોની સરખામણીમાં આ મંદિરો ઘણાં નાજુક કહેવાય. હોયશળ પદ્ધતિના નાજુક સ્થાપત્યનો આ પ્રકાર પેલાથી તદ્દન જુદો જ છે. પાંચ મિનિટમાં તો આખા મંદિરની આજુબાજુએ અંદરબહાર બધે ફરી વળાય. પેલાં દ્રાવિડી મંદિરમાં તો ફરતાં ફરતાં જ અર્ધો કલાક વીતી જાય. હળેબીડના શિવમંદિરમાં અમે જે મૂર્તિઓ જોઈ, જે શિલ્પવિધાનો જોયાં, જે અદ્ભુત અંગવિધાનો જોયાં તે કેવી રીતે વર્ણવવાં? એ સૌંદર્ય જો ભાષા દ્વારા સંક્રામ્ય હોત તો એ કળાકારે ભાષામાં જ લખી નાખ્યું ન હોત! પણ તેણે વૈખરી કરતાં બીજી જ વાણીનો આશ્રય લીધો છે. ઊલટું એ એક ડગ આગળ ગયો છે. જે વૈખરીમાં હતું તે તેણે લઈ લીધું છે – રામાયણ, મહાભારત. અને ઇતિહાસ-પુરાણોની કથા લઈ તેણે તેમાં પોતાનું અનન્ય તત્ત્વ – આકાર ઉમેર્યો છે. એ આકાર એની પાસે જ છે. કથાઓને, તેના પ્રસંગોને, દેવોને આકારોની અનંતવિધ લીલામાં મૂર્તિકારે ઉતાર્યાં છે. આકારોની એ અનંતવિધ શોભા વર્ણવવા ભાષા પાસે થોડા જ શબ્દો છે. હળેબીડમાં અમે ઉત્તર દિશા તરફથી પ્રવેશ્યા. મંદિર પૂર્વાભિમુખ છે. પાંચેક ફૂટના ઓટલા ઉપર ચડી જમણે હાથથી જોવું શરૂ કર્યું. ઓટલાની જમીન ઉપર જ્યાંથી મંદિરનો પહેલો પથ્થર શરૂ થાય છે ત્યાંથી તે ઠેઠ દીવાલની ટોચ સુધી ઇંચે ઇંચમાં ખચી ખચીને કળા ભરવામાં આવી છે. આખું મંદિર એક મહાકાવ્ય જેવી સુયોજિત રચના છે. મંદિરની ઉત્તર અને દક્ષિણ બાજુએ મોટાં પ્રવેશદ્વાર છે. પૂર્વમાં બે મંડપો છે. મંદિરનો આકાર ગોળ નથી તેમ જ ચોરસ પણ નથી. પણ અનેક સીધી બાજુઓને વર્તુળમાં ગોઠવીને ગોળ કે ચોરસ આકારની એકવિધતાને તોડી નાખી છે અને આ અસંખ્ય મૂર્તિઓને માટે સાંકડી-પહોળી એવી અનેક બાજુઓ મેળવી લીધી છે. એટલામાં જ યોજકની અદ્ભુત શક્તિ દેખાઈ આવે છે. ગોળ દીવાલ પર તો આવું ઘનાકાર મૂર્તિવિધાન ગોઠવી જ ન શકાય અને સળંગ ચોરસ દીવાલ પર આટલું બધું શિલ્પ ગોઠવવું હોય તો કેટલાય વિસ્તારનું મંદિર કરવું પડે. એટલે યોજકે એક લાંબો પડદો લઈને એને અનેક ઊભી ગડીઓમાં ઊભો ગોઠવી દીધો છે. જોનારને ઝાઝું ફરવાનો ત્રાસ નહિ અને મૂર્તિઓ મૂકવાને માટે જગ્યાનો તોટો નહિ. મંદિરનો જે પશ્ચિમ ભાગ તૈયાર થઈ શકેલો છે તેમાં જ ગણતાં ગણતાં કંઈ નહિ તો બસો-અઢીસો જેટલી નાનીમોટી બાજુઓ થાય! દીવાલની ઊંચાઈ પણ પોતાના ઉપરની મૂર્તિઓ પેઠે અંગભંગ કરતી ઊભેલી છે. પગની પાની પેઠે તેનો મૂળનો ભાગ આગળ પડતો છે. તે પછી દીવાલ અંદર દબાતી જાય છે. તે અંદર દબાય છે, વળી ઊપસે છે અને એમ કરતી છેવટે ઝૂકતા કપાળ જેવા પથ્થરના વાછંટિયામાં મળી જાય છે. અનેક ખાંચાવાળી આ દીવાલને એક સળંગ શિલ્પવિધાનથી સાંકળવામાં આવી છે. એના પગથી તે કમર સુધી એક ઉપર એક સળંગ નાનામોટા કંદોરા છે. દીવાલની કમરથી હડપચી સુધીનું વક્ષઃસ્થળ ચારથી પાંચ ફૂટની મૂર્તિઓથી ભરી દીધું છે અને તે પછી લલાટનો ભાગ તેથી વિશેષ નાની આકૃતિઓથી ભર્યો છે.
હળેબીડના શિવમંદિરનો એક પૃષ્ઠ ભાગ એના અતિશોભિત નવ કંદોરા અને પ્રતિમાઓની અતિસમૃદ્ધ સૌન્દર્યશ્રી પગથી કમર સુધીના ભાગમાં નવ કંદોરા મૂક્યા છે. સૌથી નીચેનો કંદોરો દોઢેક ફૂટ પહોળો છે. તેના ઉપર હાથીઓ છે. તે પછીના કંદોરામાં સિંહ છે. પછી વેલ કોતરેલી એક નાની પટ્ટી, તેની ઉપરના કંદોરામાં ઘોડા, તે પછી વેલની પટ્ટી, તેની ઉપર પટ્ટીમાં સેના, તેની ઉપર કંદોરામાં અનેક સૂંઢવાળા ઐરાવતો, તે ઉપર મોર અને છેલ્લા કંદોરામાં વળી વેલ. આ નવ કંદોરામાં વચ્ચે વચ્ચે સમુચિત સ્થળે મૂકેલ વેલીઓના ત્રણ કંદોરા બાદ કરતાં બાકીના છ કંદોરામાં હાથી, સિંહ, ઘોડા, માણસો, ઐરાવતો અને મોરની અગણિત આકૃતિઓ એક અનંત વૈવિધ્યથી ઊભરાતી પરમાદ્ભુત સૃષ્ટિ ઊભી કરે છે. આ આકૃતિઓની સંખ્યા કરતાંયે પ્રત્યેકને જે વિશિષ્ટત્વ અપાયું છે તે અદ્ભુત છે. હજારો ઘોડા, હાથી અને માણસો અનેક અંગભંગમાં અહીં આલેખાયાં છે. એ આલેખનારની શક્તિ ગજબ હોવી જોઈએ. પથ્થરો છૂટા છૂટા કોતરીને ગોઠવેલા છે. એ છૂટા છૂટા કકડાઓ એક સળંગ આકારથી સાંકળી લેવાને મૂર્તિવિધાનની કેટલી દૂરંદેશીભરી કલ્પનાશક્તિ જોઈએ તે તો એ વિષયના નિષ્ણાતો જ સમજી શકે. આ કંદોરાઓમાં સહુથી અદ્ભુત કંદોરો માણસોની આકૃતિઓનો છે. અનેક માનવ-આકૃતિઓ અનેક વ્યાપારોમાં વ્યાપ્ત થયેલી છે. કોક પાલખીમાં જાય છે, કોક રથમાં જાય છે, કોક ઘોડો ખેલવે છે, તો કોક હાથીને રમાડે છે. સુંદર સૌષ્ઠવભર્યાં અંગો, મનોહર પોશાક, મુગુટ, અંગરખાં, પાયજામા, બાણ, રથ, અંબાડી વગેરે સરંજામનું હૂબહૂ આલેખન એક વીરયુગનું સ્વર્ગીય દૃશ્ય રજૂ કરે છે. કંદોરાઓની ઉપર દીવાલના વક્ષ: સ્થળ પ્રતિ દૃષ્ટિ ઠેરવતાં એક ભવ્ય દેવજગત પ્રત્યક્ષ થાય છે. એ પ્રતિમાઓના આકારો માણસના છે અને નથી. માણસના અવયવોની કલ્પના શિલ્પીએ સ્વીકારી છે, પણ તેને ઘાટ તેણે નવો જ આપ્યો છે અને જે ભાવો ધરીને મૂર્તિઓ અહીં બેઠી છે, તે ભાવો માનુષી નહિ પણ દૈવી સૃષ્ટિના જ છે. અહીં દર્શ અવતારરૂપે વિષ્ણુ છે, સરસ્વતી છે, ઇન્દ્ર છે, શણગાર સજતી ઇન્દ્રાણી છે, કામ છે, રતિ છે, શિવ છે, પાર્વતી છે, સંગીતકારોની મંડળી છે, નર્તકોની મંડળી છે, શંકર તાંડવ કરી રહ્યા છે; પણ આ દેવભૂમિમાં થોડાંક પ્રાકૃત પાર્થિવ મનુષ્યો પણ આવી ચડ્યાં છે. જજના જેવી વિગ, લાંબો કોટ અને કમરે પટો પહેરીને એક ચિત્રકાર પણ ઊભો છે. આ કલાપુરુષો કોઈ વેગભર્યા અંગભંગમાં છે, કોઈ આરામથી કમર ઝુકાવી ઊભા છે, કોઈ યોગાસને બેઠા છે અને કોઈ નૃત્યના લલિત ભંગમાં ઊભા છે. આ અનંત વિવિધ મનોરમ પ્રતિમા-પરંપરાઓમાંથી કોનું અલગ વર્ણન કરવું? ઓટલો ચડતાં જ આવતા નંદી પર બેઠેલાં શિવપાર્વતી ખૂબ સૌષ્ઠવથી રચેલાં હતાં. શિવના ખોળામાં વામ ભાગે પાર્વતી છટાથી બેઠાં છે. પાર્વતીનો અંબોડો, અંગશણગાર તથા શિવનો મુગટ બંને અજંતાનાં ભિત્તિચિત્રસ્થ રાજરાણીઓને યાદ કરાવે છે. સુંદર વેલની કમાન નીચે વિષ્ણુ શંખચક્રાદિ સાથે અલૌકિક સ્વસ્થતાથી આસન ઉપર બેઠા છે. એમની પાસે જ બલિરાજા વામનને હાથમાં પાણી લઈને સંકલ્પપૂર્વક દાન આપે છે. તેની પાસે જ વિરાટ સ્વરૂપ આલેખ્યું છે. વિરાટના ડાબા પગ આગળ પાતાળના નાગ બતાવ્યા છે અને જમણો પગ ઊંચો કરી ઠેઠ માથાથીયે ઉપર સ્વર્ગમાં બેઠેલા બ્રહ્માને અડાડ્યો છે. ત્યાં વળી બાજુમાં આઠ હાથમાં વિવિધ આયુધો ધારણ કરી શંકરે તાંડવ આદર્યું છે. વળી પાસે અનેક ભુજાળી કાલિકાએ ખરેખર રુદ્ર બનીને એક રાક્ષસનો સંહાર આદર્યો છે અને આ દેવલીલાનું દર્શન કરતી માનવોની નૃત્યમંડળીઓ મોરલી, ઢોલક અને ઝાંઝ વગાડતી સ્તવન કરી રહી છે. લો, અહીં દેવોનું અંતઃપુર પણ છે. આ ઇન્દ્રાણી હાથમાં આરસી લઈ ચાંદલો. કરે છે. તેની કમર જેટલી ઊંચી દાસી પણ પાસે ઊભી છે. દેવ અને માનવ, રાજા અને સેવક વગેરેના ભેદ બતાવવા આ શિલ્પીઓ બંનેની પ્રતિમાઓના કદમાં જ બેત્રણ ગણો તફાવત મૂકી દે છે, એ બહુ ધ્યાન ખેંચનારી વસ્તુ છે. સરસ્વતી ખૂબ લાંબો હાર અને ખૂબ ઊંચો મુગટ પહેરી વીણાવાદન કરે છે. પણ બસ હવે. આ વર્ણનનો અંત નહિ આવે. ફરતાં ફરતાં અમે દક્ષિણ બારણે પહોંચ્યા. દ્વારની બે બાજુએ છ ફૂટ ઊંચા બે દ્વારપાળ ઊભા હતા. શું એમનો શણગાર અને કમર ઝુકાવીને ઊભા રહેવાની છટા! એમના અલંકારો જોતાં મીઠાઈઓથી ખીચોખીચ ભરેલો થાળ જ યાદ આવે. અમે પૂર્વના ભાગ તરફ વળ્યા. મંદિરનાં બે શિવલિંગોની સામે બે નંદી હતા, પિત્તળના, સાત ફૂટ ઊંચા અને દસ ફૂટ લાંબા, ઢીંચણ વાળી બેઠેલા. આટલી મોટી આકૃતિ છતાં કેટલી સપ્રમાણ! લોકોના હાથ ફરવાથી પિત્તળ ઊજળું રહ્યું હતું. જોકે કેટલાક અમરતાના શોખીન જીવડાઓઅ નંદીઓનાં મોં અને શરીર પર પોતાના નામના અનેક ઉઝરડા કર્યા હતા. અહીં અને તેમાંયે વિશેષ કરીને તો બેલૂરમાં જેને અદ્ભુત શિલ્પ કહી. શકાય તેવી ચીજ તે મંદિરના થાંભલા છે. થાંભલા સળંગ પથ્થરના અને એવા ગોળ હતા કે જાણે સંઘાડા પર ખાટલાના પાયા પેઠે ઉતાર્યા ન હોય! વળી આખો થાંભલો એક સળંગ ગોળાકારનો નહિ; તેનો અમુક ભાગ ચોરસ પણ હોય. ગોળ ભાગમાં નાનીમોટી કિનારીઓ કાઢેલી. કેટલીક કિનારીઓ તો કંકણની ધાર જેવી અતિ બારીક હતી અને શી એની સુંવાળપ! એટલી સફાઈથી એમને પૉલિશ કરવામાં આવ્યા હતા કે હાથ મૂકતાં સરી પડે અને સુંવાળપ સાથે એમાં ચળકાટ પણ કેવો! કાળા રંગનો પથ્થર પણ તેય કેટલો બધો પ્રકાશિત, ઝગઝગતો! પણ આ સ્તંભોના અપ્રતિમ સૌંદર્યનું પાન બેલૂરમાં જ ધરાઈને કરીશું. જો માત્ર હાથથી જ આટલો ગોળાકાર સિદ્ધ કર્યો હોય, યા તો તેમ કરવાને ગમે તે યંત્રને વાપર્યું હોય તોયે એને ચલાવનાર હસ્તનું કૌશલ્ય અદ્વિતીય હોવું જોઈએ. અંધારામાં ઢંકાયેલી રહેતી છતો પણ શિલ્પ વગરની નથી. આ શિલ્પમાં જડાયેલી સહસ્રદલ કમલિનીઓને તેમના પિતા સવિતૃદેવનો કરસ્પર્શ, અહીં ગોઠવાયા પછી કદી નહિ થયો હોય તોયે તે કમલિનીઓ હજી તેટલી જ પ્રફુલ્લિત છે! પણ અહીં આટલી બધી શોભા અંધારામાં કેમ ગોઠવી દીધી છે? શું અહીં દિવસે પણ એટલી બધી ઝળહળતી દીપાવિલ રહેતી હશે કે જેની રોશનીમાં આ છતનાં કમળોનાં તથા અનેકવિધ શિલ્પોનાં દર્શન થયાં જ કરે? મંદિર અધૂરું રહી ગયું છે. દેવની પૂરી પ્રતિષ્ઠા પણ થઈ લાગતી નથી. ઉત્તર તરફનું એક શિવલિંગ હાલ પૂજાય છે. દક્ષિણ તરફનું અપૂજય છે. અમે પ્રથમ એ અપૂજ્યની પાસે જ ગયા. તદન અંધારું હતું. સાતેક હાથ લાંબી જળાધારીમાં તેટલું જ ઊંચું એક સુરેખ શિવલિંગ હતું. પાસેના બીજા ગર્ભદ્વારમાં પૂજય શિવલિંગની એક બ્રાહ્મણ મંત્રોચ્ચારપૂર્વક પૂજા કરી રહ્યો હતો. ફર્ગ્યુસને કહ્યું છે કે જો આ મંદિર પૂરું બંધાયું હોત તો એકલા તેનાથી જ હિંદુસ્તાન પોતાના સ્થાપત્યનો ડંકો જગતમાં વગાડી શકત. દુર્ભાગ્યે, એ મંદિર અધૂરું રહી ગયું છે. હજી અમારે થોડે દૂરનું જૈનમંદિર જોવાનું હતું. જે રાજાએ બેલૂરમાં મંદિર બંધાવ્યું છે તેને આચાર્ય રામાનુજમે વૈષ્ણવ કર્યો તે પહેલાં તે જૈન હતો, ત્યારે તેણે બંધાવેલાં આ બે જૈનમંદિરો છે. રડ્યાખડ્યા મુસાફરો સિવાય અહીં કોઈ આવતું લાગતું નથી. મૂર્તિની પૂજા પણ થતી લાગતી નથી. અમે મોટાં બારણાં ધકેલી અંદર ગયા. પેલા શિવમંદિર જેવા જ કાળા ચળકતા થાંભલા. એક બારથી ચૌદ હાથ ઊંચી, થાંભલાના જેવા જ કાળા પથ્થરમાંથી કોરેલી મહાવીરની મહાકાય દિગંબર મૂર્તિ તપોમગ્ન ઊભી હતી. તેની પાછળ એક મોટો નાગ વાંકોચૂંકો થઈ પોતાની ફેણનું મહાવીરને માથે છત્ર કરીને ઊભો હતો; અંધારા મંદિરમાં બહારથી આવતા પ્રકાશને ઝીલીને મૂર્તિ આછું ચળકતી હતી. એના મોઢા ઉપર સ્થિર અવિચળ શાંતિ હતી. જગતમાં થતી ધર્મની ગતિ-અગતિ જોઈને જ જાણે તે અંતર્મગ્ન ન થઈ ગઈ હોય! અમે બેલૂર પાછા આવ્યા. બારેક વાગ્યા હશે. મંદિર બંધ થઈ ગયું હતું. ત્યાંના પૂજારીએ મંદિર તો ખોલી આપ્યું પણ અંદરનું ગર્ભદ્વાર તો ન જ ખોલ્યું. અમે થોડી વાર ઉપર ઉવેખેલા દેવ બારણા પાછળ જ અમે પ્રાયશ્ચિત્તરૂપે બારણાંના ઉંબર ઉપર માથું મૂકીને ત્યાંની તડમાંથી, બૅટરીનો પ્રકાશ ફેંકી દેવનાં દર્શન કર્યાં! અંદર ઘીના દીપકની જ્યોતમાં દેવની સુલંબ મુખાકૃતિ ઉપર સુંદર આંખો દમકતી હતી. આખું શરીર વસ્ત્રોથી ઢાંકી દીધેલું હતું. છતાં તેમાંથી દેખાતા અવયવો તેની સુંદરતાનો ખ્યાલ આપતા હતા. મૂર્તિ ખરેખર સુંદર હતી. એ દેવનું નામ પણ ચન્નકેશવ છે. ચન્ન એટલે સુંદર. નિષિદ્ધ સમયે બૅટરીના પ્રકાશથી પોતાનું દર્શન કરતા આવા અભદ્ર ભક્તો ચન્નકેશવને જવલ્લે મળ્યા હશે. અમારી એ વાંકા વળીને જોવાની ક્રિયા ઇચ્છા-અનિચ્છાએ પણ સાષ્ટાંગ પ્રણામ જેવી થઈ ગઈ. પુત્રના નામનું સ્મરણ કરતા અજામિલના શબ્દોને દેવે પોતાને ઉદ્દિષ્ટ થયેલા માની તે અધમાધમને પણ નામસ્મરણનું ફળ આપ્યું હતું, તો આ અમારા પ્રણામ તો દેવે સવિશેષ સ્વીકાર્ય ગણ્યા નહિ હોય? બેલૂરનું મંદિર એના અત્યારે હયાતીમાં નથી એવા શિખરને બાદ કરીએ તો સર્વથા સંપૂર્ણ છે. એની રચના હળેબીડ કરતાં પણ વધારે મનોરમ કળાસમૃદ્ધ છે. હળેબીડમાં રચનાની ભવ્યતા છે. બેલૂરમાં નાજુકાઈ છે, કોતરણીની ઘણી ઝીણવટ છે. અહીં એકેએક વસ્તુ અલૌકિક સૌંદર્ય અને કુમાશથી આલેખાઈ છે. હળેબીડમાં શિલ્પીએ ઝીણવટને વિસારી મોટાં પ્રબળ મૂર્તિવિધાનો જ દૃષ્ટિ સમક્ષ રાખ્યાં છે. આ મંદિરનું ખૂબ આકર્ષક શિલ્પ બહારના પૃષ્ઠ ઉપરની નેવાણીની નીચે થોડા થોડા હાથને અંતરે ચારે બાજુ ગોઠવેલી સ્ત્રીઓની પ્રતિમાઓનું છે. લૌકિક જીવનની બધી સુંદરતા શિલ્પીએ અહીં ઉતારી છે. મૂર્તિકાર જીવનની રમૂજ પણ વીસર્યો નથી અને જીવનની રસિકતાને તો એણે ભારોભાર ઉતારી. છે. એક કંદોરામાં તો એણે વાત્સ્યાયનનું આખું કામસૂત્ર તેનાં બધાં કામાસનો સાથે ચીતરી નાખ્યું છે! આ રમણીઓની પ્રતિમાઓમાંથી કેટલીક ગજબની વેધક છે. દરેકેદરેક આકૃતિનો અંગભંગ નૃત્યની કોઈક સ્થિતિ બતાવે છે. પ્રતિમાને સામાન્ય રીતે ઊભી રાખવી હોય તોપણ શિલ્પી તેને એવા અંગભંગ આપી દે છે કે તેમાંથી મનોરમ આકાર ઊભો થઈ જાય. એક પછી એક આ પ્રતિમાઓ તરફ માથું ઊંચું કરી જોતા જઈએ છીએ અને દૃષ્ટિપટ પર સ્વર્ગની પરીઓ પસાર થતી હોય તેમ લાગે છે. આ પૂજાની સામગ્રી હાથમાં લઈ વેગથી મંદિરે જાય છે. તેનો ઊપડેલો પગ કેવો પાછળ અધ્ધર રહી ગયો છે! આ બીજી સારંગી વગાડનારી પોતાની સારંગી ઉપર જ આંખ ઢાળી મગ્ન થઈ ગઈ છે. આ એક ધનુષ ચડાવી બાણ તાકે છે. આ એક પાન ખાય છે. આ બીજી આરસીમાં જોઈ રહી છે. વળી આની સાડીને વાંદરો ખેંચી રહ્યો છે અને આ રમણી તો શરીર પરથી સર્વ વસ્ત્રને દૂર કરીને પોતાના લાવણ્યનો ઉત્સ પ્રત્યેક અંગથી ઉડાવી રહી છે. અહીંની કળાનો જગતમાં અનન્ય એવો અતિ સમૃદ્ધ ખજાનો હજી અંદર છે. મંદિરના શિરોભાગને માથે લઈ ઊભેલા અંદરના થાંભલાઓ એ શિરોભાગ – ધાબાના વજનથી કેટલાય ગણા ગુણભારવાળી સૌંદર્યસમૃદ્ધિ પોતાના ઉપર ધારણ કરીને અહીં ઊભા છે. કાળા પથ્થરમાંથી ઘડેલા આ થાંભલાની ચોરસ બાજુઓ અને સંઘાડે ઉતાર્યાં હોય તેવાં ગોળ મથાળાં ઉપર ઠેઠ નીચેથી ઉપર સુધી અતુલિત સુંદરતા ખર્ચી દીધી છે. આવી અણમોલ કળાવાળા અડતાળીસ થાંભલા અહીં છે. એકએક થાંભલો એકએક મહાશિલ્પકાવ્ય હોય તેવો છે. અહીં શિલ્પીએ થાંભલાઓની સમયોજના ઉ ૫૨ નહિ, પણ દરેક થાંભલાને અનન્ય અદ્વિતીય કરવા પાછળ ધ્યાન આપ્યું છે. દરેક થાંભલા પાછળ શિલ્પીની નિઃસીમ તપશ્ચર્યા છે. સ્વયંવરમાં ભેગા થયેલા રાજાઓ પેઠે આ થાંભલાઓ કળાદેવીના હાથની વરમાળા પહેરવાની આકાંક્ષાથી પોતપોતાનું અતુલ્ય અદ્વિતીય સૌંદર્ય વ્યક્ત કરવા બેઠા છે અને એ સૌ કલાનિધિઓમાં કોને ઉત્તમ ગણવો એ વિચારમાં કળા સાચ્ચે મૂંઝાઈ ગઈ લાગે છે. અહીંના શિલ્પી પાસે શોભારૂપ વેલબુટ્ટા અને આકૃતિઓનો તોટો નથી. એક પણ આકૃતિની તેણે ક્યાંય પુનરાવૃત્તિ થવા દીધી નથી. પ્રત્યેક બાજુએ, પ્રત્યેક સ્થળે તે નવી જ આકૃતિઓ, નવાં જ સંયોજનો, નવી જ છટાઓ લઈ આવે છે. કોઈ અગાધ કલ્પનાસાગરમાંથી તે આકૃતિઓના ભંડાર ઉપરાઉપરી વેર્યે જ જાય છે.
ચૈન્નકેશવના મંદિરમાં ગર્ભગૃહની સામેના નવરંદ મંડપમાં આવેલા અનુપમ સૌન્દર્યથી ખંડિત એવા કેટલાક સ્તંભ પણ આ બધામાંયે માણસના આકારોને ઉપજાવવામાં તો એ બધાની ટોચ સાધી જાય છે. થાંભલાઓની આજુબાજુએ એણે દેવદેવીઓને દૈવી કળાથી આલેખ્યાં છે એમ કહીએ તો ખોટું નથી. કાળમીંઢ પથ્થરો એના હાથમાં માખણરૂપ બની ગયા છે. પ્રત્યેક આકારની સુરેખતા અને સફાઈ અપૂર્વ છે. શામોદરી, સુસ્તની, કમલવદના, બિંબૌષ્ઠી, કદલીજંઘા એવી દેવીઓ તથા સિંહોરુ, ભવ્યભાલ, પૌરુષ અને માર્દવના સંગમ જેવા દેવો અહીં વિરાયા છે. શિલ્પીએ મનુષ્યદેહની જાણે આદર્શ સ્થિતિ અહીં ઉપજાવી છે. ગ્રીક સ્થાપત્ય પર તેની સુરેખ સુંદરતા માટે વારી જનાર લાભક્તોને માનુષી આકારની આદર્શ આલેખનાનો ખ્યાલ મેળવવા આ મૂર્તિવિધાનો જોવા નોતરવા જોઈએ. મૈસૂર રાજ્યે આ બંને મંદિરોનો ઇતિહાસ સંશોધિત કર્યો છે અને તેમની કળાસમૃદ્ધિને ગૌરવ આપે તેવી રીતે તેમની એકેએક ઉત્તમ મૂર્તિ અને કલાવિધાનની છબીઓ તથા વિગતવાર નોંધ સાથે દળદાર ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. આ મંદિરોનું સંપૂર્ણ રસદર્શન પરોક્ષ રીતે તો તેમાંથી જ વધારેમાં વધારે મેળવી શકાય. આ અડતાળીસ સ્તંભોમાં ગર્ભદ્વારની સામેના ચતુષ્કોણ ઉપર આવેલા ચાર થાંભલા અને તેના મથાળે ઝૂકતી ચાર પ્રતિમાઓ અવર્ણ લાલિત્યથી ભરેલાં છે. આ ચાર ને અહીંના મહાસ્તંભોમાં પણ સ્તંભમણિ કહેવાય. એક થાંભલાને મથાળે કથકલી અને ઉદયશંકરના નૃત્યપ્રયોગોએ આપણને પરિચિત કરાવેલી ભરતનાટ્યશાસ્ત્રની કળાની અનુપમ રીતે નૃત્ય કરતી સરસ્વતી ઊભેલી છે. એક આખા પથ્થરમાંથી જ સરસ્વતીની આકૃતિ, તેની ઉપરનો વેલનો મંડપ અને તેના ઢીંચણ જેટલી ઊંચી, તેના પગ આગળ મૃદંગ, મંજીરા અને ઝાંઝ વગાડનારની આકૃતિઓ કોરી કાઢી છે. આમાંથી કોઈની એક ટચલી આંગળી પણ ખંડિત થઈ નથી. અલંકારો નૂપુર, કાંબી, હાર, બાજુબંધ, કટિરશના, કંકણ, મુગટ બધું અસાધારણ સફાઈ, ઝીણવટ, વિગત અને માર્દવથી કોરી કાઢ્યું છે. હજી કેટલીક સુંદર વસ્તુઓ તો છતમાં જોવાની હતી; પણ ત્યાં તો મધરાતના જેટલો અંધકાર હતો. અમારી વીજળીની બત્તી પણ ત્યાં દુર્બળ બનતી હતી. છતાં એ ઝાંખા પ્રકાશમાં પણ હળેબીડના જેવાં કમળ, હાથી પરની સવારીઓ અને અવતારકૃત્યો, ખાસ કરીને નૃસિંહાવતાર વગેરેનાં દર્શન કર્યાં. આ શિલ્પીઓએ પોતાની કળાની ઉત્તમોત્તમ સિદ્ધિ તો વિષ્ણુ વગેરેની મૂર્તિઓમાં બતાવી જ દીધી છે; પણ સાથે સાથે લોકોને રંજન કરે તેવી રીતે કળાની રમતો પણ કરી છે અને એ રમતમાં પણ પોતાનું કૌશલ્ય અને ચાતુર્ય પરોક્ષ રીતે બતાવી દીધાં છે. ઉપર કહેલી પ્રતિમાઓનાં આભૂષણોમાં શિલ્પીએ મૂર્તિના જ પથ્થરમાંથી કંકણ કોરીને હાથ પર રમતું કર્યું છે. વળી તેના સેંથામાં પથ્થરનું એક બોર પણ લટકતું કરી આપ્યું છે. બહારની બાજુએ એક ઝાડ પર ફળ આકાર્યું છે, તે પર એણે માખીના કદની જ તેની પાંખો, આંખ, પગ બધું સ્પષ્ટ દેખાય તેવી માખી ઉપજાવી છે અને તેને ખાવા ધસતી ગરોળી પણ ગોઠવી આપી છે! એક બીજે ઠેકાણે એક સ્ત્રીની સાડી પર વીંછી ચડી ગયો છે એટલે શરીર પરથી સાડી કાઢીને તેને તે ખંખેરી રહી છે. ગાંધીજી અહીંનું મંદિર જોવા આવેલા ત્યારે આને જોઈ ‘વિષય રૂપી વીંછીને એ પોતાનામાંથી ખંખેરી નાખે છે,’એવું બોલ્યા હતા એમ સાંભળ્યું છે. આ દર્શનાન્દને સીમા નહોતી. એક વાગ્યો હતો. સવારથી કાંઈ ખાધું નહોતું; પણ આ દર્શનભૂખ આગળ પેટની ભૂખ ક્યાંય દબાઈ ગઈ હતી. આ બધું જોતાં જોતાં મને મારા ચિત્રકારમિત્રો વારંવાર યાદ આવ્યા કરતા હતા. એ આ જુએ તો એમની કલ્પનાને કેટલો વેગ મળે! અલંકારોનું વૈવિધ્ય શું છે, આકારોની અનેક રીતિઓ શી છે અને ભાવની આકારણી શી છે એ વસ્તુઓ આ મંદિરો જેટલું શીખવી શકે તેટલું કદાચ બીજું કોઈ નહિ કરી શકે. છેવટે ભૂખ અને મોટર અમને અહીંથી ખેંચી ગયાં. એક નાનકડી હોટલમાં ઠંડાં દાળભાત ખાઈ અમે મોટરમાં બેઠા. હવે અમારે હાસન થઈ શ્રવણબેલગોડા જવાનું હતું. મોટરવાળા સાથે ત્યાંની લોકચર્ચાને અંગે હિંદીમાં વાત કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જ એક ઊંચી કાળી ટોપી પહેરીને બેઠેલા ગૃહસ્થે ગુજરાતીમાં જવાબ આપ્યો! અને અમારા તરફ મોં ફેરવ્યું. એ તો કાઠિયાવાડના એક વોરાજી નીકળ્યા. હોઝિયરીનો વેપાર કરતા હતા. એમની મુંબઈની પેઢીના એ કૅનવાસર હતા. છૂટથી કાનડી બોલતા હતા. હાસન જિલ્લાનું મથક છે. હાઈસ્કૂલ, કોરટ વગેરે મોટરના થોભાવની આજુબાજુ જ હતું. અહીં ચણાના છોડની નાની ઝૂડીઓ બાંધી લોકો વેચવા બેઠા હતા. પાપડાંમાંથી કાચા ચણા પણ અહીં ખાઈ શકાતા હતા! આપણા તરફ લીલા ચણાને માત્ર શેકીને જ ખાઈએ છીએ; પણ સ્થલપ્રભાવ મોટો છે. અમે પણ કાચા ચણા ખાવાનો પ્રયોગ કરી જોયો અને એ કુમળા દાણા મીઠા પણ લાગ્યા! હજી શ્રવણબેલગોડા ૩૨ માઈલ દૂર હતું. અહીંથી ઊપડી રાતે આઠેક વાગે શ્રવણબેલગોડા પહોંચ્યા. અમારા સાથી શ્રીકાન્તનું એ માદરેવતન. એમને ઘેર અમે પહોંચ્યાં. એક શુદ્ધ કર્ણાટકી ઘરનું સ્વાગત ચાખીને સવારે ટેકરી ચડવાની યોજના કરી અમે પથારીમાં ઝંપલાવ્યું.