દરિયાપારથી.../આજના અમેરિકાનો સમાજ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આજના અમેરિકાનો સમાજ

અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિયાને ચાલતું નથી. પણ સાથે જ, એ કબૂલ કરવું દુનિયાને ગમતું નથી. એ એવો દેશ છે જેને દુનિયા ચાહે છે, વાંછે છે અને સાથે જ, એની સાથે વાંધા કાઢ્યા કરે છે, એને વખોડ્યા કરે છે. એ એવો દેશ છે જેને વિષે ફાવે તેવા મત તથા ખોટા ખ્યાલ લોકો સહેજમાં બાંધી દેતા હોય છે, પણ એને વિષે સમજણ કેળવવાનો પ્રયત્ન કરતા નથી હોતા. જે સમાજ બહારથી સદંતર ચંચળ અને ચાર્વાકવાદી લાગે છે તે ખરેખર એવો નથી પણ હોતો. એનાં સદસ્યો પણ રિવાજો, રૂઢિચુસ્તતા, વહેમો, માન્યતાઓ વગેરેથી અત્યંત સભાન તેમજ દબાયેલાં હોય છે. દુનિયા માનતી હોય છે તેટલાં ઉન્મુક્ત એ બધાં નથી હોતાં, બલ્કે સામાજિક ટીકાનો ડર એમને પણ નડતો હોય છે. અમેરિકન એટલે મનસ્વી, બિન્ધાસ્ત અને લાપરવાહ એવી વ્યક્તિ, એમ સાધારણ રીતે માનવામાં આવતું હોય છે, પરંતુ અમેરિકન વિચારકો એનાથી જુદું જ માને છે – અમેરિકનોમાંની વૈયક્તિકતાની ઓછપ અંગે ચિંતા વ્યક્ત કરે છે, વધારે પડતી અનુરૂપતા અને અનુસારકતાનાં ભય-સ્થાનોની વાત કરે છે. થોડાં વર્ષો પહેલાં આ વિચારકોએ નોંધ્યું હતું, કે અમેરિકનો સ્વ-નિર્ભર થતાં ગભરાય છે, અને એકમેકનાં જેવાં થઈને ગોઠવાવાની ચિંતા કર્યા કરે છે. શાળાવયીથી માંડીને પુખ્તવયી લોકો “સરખેસરખાં દ્વારા સંપીડન” કહેવાતી, દૃષ્ટ-અદૃષ્ટ બળજોરી અનુભવતાં હોય છે, તે થોડું ધ્યાન આપતાં સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે એ પણ શક્ય છે કે આ જમાનામાં અમેરિકી સમાજની સામુહિક ચેતના એક આખું વર્તુળ ફરી ગઈ હોય, ને વૈયક્તિકતા જ નહીં, પણ સ્વાર્થ-પરાયણતા સુધી પહોંચી ગઈ હોય. આ ભાવ એવો છે કે જલદી સમજી અથવા સમજાવી ના શકાય. દા.ત. કોઈ પણ માણસને પૂછશો તો એ નક્કી કહેશે, કે સ્વાર્થીપણું ખરાબ છે, કે આજ-કાલ બધા લોકો સાવ સ્વાર્થી હોય છે, વગેરે. પણ એ જ માણસ પોતાને એ સામાન્યીકરણમાંથી બાકાત રાખવાનો. લોકો હંમેશાં એમ કહેતા હોય છે કે આજ-કાલ કોઈના ઉપર વિશ્વાસ રખાય એવું નથી રહ્યું, ત્યારે એ લોકો એ વર્ગીકરણમાં પોતાને ક્યાં મૂકતા હોય છે? એમ જોવામાં આવે છે કે બુનિયાદી મૂલ્યો વિષે પૂછવામાં આવે ત્યારે મોટા ભાગના લોકો જવાબદારી, સ્વ-નિર્ભરતા, વિચારોની અભિવ્યક્તિ જેવા ગુણો પોતાની જાતમાં દર્શાવે છે, અને સાથે જ, આ ગુણો બીજાંઓમાં રહ્યા નથી, કે દેખાતા નથી, એવો મત વ્યક્ત કરતા રહે છે. આ એક એવું ‘વિરુદ્ધ-કથન’ છે કે એવો મત પ્રદર્શિત કરનારાંનું ધ્યાન પણ તરત એ તરફ જતું નથી. જો દરેક જણ પોતપોતાના હિતનો જ વિચાર કરશે, ને અન્ય-જનને નીચા ગણશે, તો સામાજિક અને કૌટુંબિક સંબંધો વધારે ને વધારે નબળા પડતા જવાના. હવે વિચારકો આની ચિંતા કરે છે. હજાર વર્ષ પહેલાં જગતમાં વ્યક્તિવાદ હયાતીમાં નહતો – આપણે આજે જાણીએ છીએ, તે રીતે તો નહીં જ. પુરુષો પિતાના નામથી, ને સ્ત્રીઓ પિતા અથવા પતિના નામથી ઓળખાતાં. ચૌદમી સદી પહેલાં સ્વતંત્ર અટકોનો રિવાજ નહતો. અમેરિકામાંના સીદી-હબસી ગુલામોને તો ઓગણીસમી સદી સુધી અટકો રાખવાની છૂટ નહતી. વળી, રોજિંદું જીવન જાહેરમાં અને સમુહમાં જીવાતું. પોતાની અલગ, નિજી જગ્યાનું કલ્પન છેક અઢારમી સદીમાં યુરોપના શ્રીમંત વર્ગમાં જન્મ પામ્યું. એકસો વર્ષ પહેલાં કેટલાં જણ સાવ એકલાં રહી શકતાં? આજના અમેરિકામાં પ્રજાનો ચોથો ભાગ એક-એક જણવાળાં ઘરોથી બનેલો છે. મધ્યવર્ગીય આર્થિક સદ્ધરતાને કારણે આ શક્ય બન્યું છે. એક સમયે વૈયક્તિકતાનું સ્વરૂપ ‘ઉપયોગિતાવાદી’ હતું, જ્યારે હવે એ ‘અભિવ્યક્તિવાદી’ બન્યું છે, એમ કહેવાય છે. હવે લોકો પોતાની જાતની સહાયમાં અને શોધમાં પ્રવૃત્ત રહે છે. અમેરિકાની સંપન્નતા આ માટે પ્રજાને સમય, છૂટ અને સગવડ આપી શકી છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષથી જ આ શક્ય બન્યું છે. એ પહેલાં વ્યક્તિગત સંવેદનો કે આવશ્યકતાઓની અભિવ્યક્તિની અગત્ય ભાગ્યે જ થોડાં જણને જણાતી રહી હશે. એક પ્રશ્નોત્તરી પ્રમાણે અમેરિકાની જનતા કઈ કઈ બાબતોને અગત્યની ગણે છે, તેની યાદી રસ પડે તેવી છે. પંદર મૂલ્યોમાંનું કયું કયા ક્રમાંક પર છે, તે જોતાં અમેરિકાના આજના, વિભિન્ન-જાતીય સમાજની ખાસ્સી અર્થપૂર્ણ એવી ઝાંખી મળી આવે છે. દા.ત. પંચાણું ટકાથી વધારે લોકો “પોતાનાં કાર્યો માટે જવાબદાર હોવું”- ને પ્રથમ સ્થાને મૂકે છે, અને પંચોતેર ટકા લોકો “ઈશ્વરમાં શ્રદ્ધા હોવી”-ને સૌથી અગત્યનું ગણે છે. લોકોના પ્રત્યુત્તરોને આધારે “હું બરાબર છું, બીજાં સ્વાર્થી છે” જેવું એક વિરચન ઉપસતું જણાયું છે – જેમકે, ફક્ત સત્તર ટકાએ પોતાની જાતને સ્વ-કેન્દ્રીય ગણાવી, જ્યારે સાઠ ટકા બીજાંને સ્વ-કેન્દ્રીય ગણાવે છે. આ જ રીતે, “નજીકનાં તો ગેરફાયદો ના જ ઉઠાવે” એમ કહેનારાં ઘણાં ઓછાં હોય છે, જ્યારે “મોટા ભાગના લોકો ગેરફાયદો ચોક્કસ ઉઠાવવાના” એમ કહેનારાંની સંખ્યા ઘણી વધારે છે. તો આનો અર્થ શું એ હશે, કે અમેરિકા -માં ઘણા સ્વ-કેન્દ્રિત લોકો છે ખરા, પણ જાણે એ કોઈને આ બાબતનો ખ્યાલ જ નથી? કે પછી અમેરિકનો સમાજને એ છે તે કરતાં વધારે ખરાબ કલ્પે છે? ધર્મને લગતી બાબતને અમેરિકા આગવી રીતે જુએ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી, એમ માનનારાં પંચોતેર ટકા છે, પણ ધાર્મિકતાને અગત્યની ગણનારાં એથી ઘણાં ઓછાં છે. ‘ધાર્મિકતા’નું સૂચન જો સામુહિક પ્રાર્થના અને ભક્તિમાં દેખાતું જોઈએ, તો એમ લાગે છે કે મોટા ભાગનાં અમેરિકનો જાહેર અને સામુહિક ધર્મ-પ્રવૃત્તિ-ઓને બદલે નિજી શ્રદ્ધા અને નૈતિક નિયમનનું મહત્ત્વ વધારે ગણે છે. સામાજિક સ્તરે ઘણાં અમેરિકન એકલાં રહેવાનું પસંદ કરતાં લાગે છે, તો દાન પર ટકતી સંસ્થાઓમાં સ્વેચ્છાથી વિવિધ સેવા આપનારાંની સંખ્યા ઘણી વધી છે. આવાં સંધાન સામાજિક સંપર્કનું સ્થાન લે છે. વળી, પુરુષો તેમજ સ્ત્રીઓ માટે નોકરી, કામ, ઘર, છોકરાંનો ઉછેર વગેરેમાંથી સામાજિક ઘનિષ્ટતા માટે સમય કાઢવો કઠિન બનતો હોય છે. એક તરફ સમાજ વ્યક્તિવાદી ગણાય છે, તો બીજી તરફ એ સુસ્થિર સંબંધોની હિમાયત કરતો રહે છે. આ બે તત્ત્વોની વચમાં અમેરિકનોનો, પોતાની જાત વિષેનો ખ્યાલ ઝોલાં ખાતો રહે છે. સફળ મૂડીવાદને કારણે પ્રાપ્ત થયેલા ઉચ્ચ-કક્શાના જીવનમાં લાંબા કાળ માટેના સંબંધો અને અન્યોના આધારની બહુ જરૂર દેખાતી નથી, પણ શક્ય છે કે સમાજની સામુહિક ચેતના પુનઃ એક વર્તુળ ફરે, ને ત્યારે સદસ્યોને પણ ખબર પડવાની કે વૈયક્તિકતાની કિંમત શું ચૂકવવાની આવે છે. છેલ્લે, અમેરિકનોને જે પંદર અંગત મૂલ્યો અગત્યનાં લાગે છે તેની ટકાવારી સાથેની યાદી જોઈએ. એ દ્વારા આ પ્રજાનું નિરાળું અને યથાર્થ ચિત્રણ જરૂર મળવાનુંઃ

૧. પોતાનાં કાર્યોની જવાબદારી હોવી -૯૭%
૨. આરોગ્યની સંભાળ રાખવી -૯૧
૩. સ્વાભિમાન સાથે પગભર રહેવું – ૮૯
૪. પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકવી -૭૮
૫. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી – ૭૫
૬. બાળકો હોવાં -૭૧
૭. સંતોષકારક નોકરી હોવી -૭૦
૮. સારા પાડોશી થઈને રહેવું -૬૮
૯. આર્થિક રીતે સદ્ધર હોવું -૬૫
૧૦. લગ્ન કરવાં – ૬૨
૧૧. ધર્મ-પરાયણ હોવું -૫૬
૧૨. પોતાને માટે પૂરતો સમય હોવો -૫૨
૧૩. સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો -૩૫
૧૪. અનેક મિત્રો હોવા -૨૮
૧૫. આકર્ષક દેખાવ હોવો -૧૮