દરિયાપારથી.../વયોવૃદ્ધ બુદ્ધિજીવી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વયોવૃદ્ધ બુદ્ધિજીવી

ઇજિપ્તના કૅરો શહેરના જૂના લત્તાઓમાં ચાલતાં, સ્વાભાવિક રીતે જ, એક વ્યક્તિ યાદ આવી જાય છે – ત્યાંના વિખ્યાત લેખક નગિબ માહફૂઝ (Naguib Mahfouz). ૧૯૮૮માં સાહિત્ય-ક્શેત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા એ પ્રથમ અરબી સર્જક છે. એમની ઉંમર ત્યારે ૭૭ વર્ષની હતી. આખી જિંદગી ઇજિપ્તના સરકારી ખાતામાં નોકરી કર્યા પછી ૧૯૭૧માં એ નિવૃત્ત થયેલા, અને આ પોરિતોષિક દ્વારા આંતર્રાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા પછી જ એમનાં પુસ્તકોના વેચાણમાંથી આવક થવા માંડેલી. એ વખતે તો ધ કૅરો ટ્રિલોજી તરીકે ઓળખાતી નવલ-ત્રયીનો જ અંગ્રેજીમાં અનુવાદ થયેલો, ને તે પણ- અમેરિકાની મોટી મોટી પુસ્તકોની દુકાનોમાં પણ- અપ્રાપ્ય હતો. માહફૂઝ (૧૯૧૧-૨૦૦૬)ની સૌથી પહેલી નવલકથા ૧૯૩૯માં બહાર પડેલી. ત્યાર પછી તો એમણે બીજી પાંત્રીસેક નવલો લખી, અને સોળેક વાર્તા-સંગ્રહો પણ બહાર પડી ચૂક્યા છે. હવે તો એમનું કામ દુનિયાની ત્રીસેક ભાષાઓમાં અનુદિત થઈ ગયું છે, તથા વાર્તા-કળાના પ્રતિનિધિ-સંગ્રહોમાં અન્ય ભાષાઓના વિખ્યાત લેખકો – બેકેટ, કામુ, ગ્રીન, બોર્હેસ, માર્કેઝ વગેરેની સાથર માહફૂઝની વાર્તાઓ પણ સામેલ થતી આવી છે. કદાચ લેખન-કાર્યમાં જ માહફૂઝને સૌથી વધારે આનંદ મળતો રહ્યો હતો, છતાં સંજોગો હંમેશાં એમને અનુકૂળ રહ્યા નહતા. દા.ત. ૧૯૬૭માં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા દારુણ યુદ્ધની અસર એમના દિલ પર એવી થઈ કે ચારેક વર્ષ એ લાંબી નવલ લખવામાં ધ્યાન પરોવી નહતા શક્યા. ત્યારે એ ટૂંકી વાર્તાઓ તરફ વળ્યા, ને એ સમય દરમ્યાન એમણે ઘણી નિરાશાવાદી અને હતાશ સૂરવાળી વાર્તાઓ લખી, જેમાં મૃત્યુ કેન્દ્રમાં રહેલું જણાય છે. માહફૂઝ વાતચિતમાં ઘણો વિનોદ દાખવી શકતા, અને એમની નવલકથાઓમાં પણ સાધારણ સુખ અને આનંદનો ભાવ જોવા મળે છે, પરંતુ ટૂંકી વાર્તાઓ વિશેષતઃ અંધારી કોટડીમાંથી પસાર થયાનો અનુભવ કરાવે છે. એમાં બધાં પાત્રો ગરીબ, અભણ, દુઃખી, અછત ભોગવતાં, હંમેશાં નિષ્ફળ જતાં, હેરાન થતાં દેખાય છે. બધા પુરુષો ઘરડા, નબળા કે કદરૂપા હોય છે, તો સ્ત્રીઓ જાડી, ફુવડ ને કજિયાળી હોય છે. એ ઇજિપ્તના સૌથી વધારે વેચાતા અને વંચાતા લેખક બનેલા છે, કારણકે ત્યાંનું જીવન એમનાં લખાણોમાં મૂળભૂત અને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે. અન્ય ઇજિપ્શિયન લેખકો પણ સંમત થાય છે કે દેશના લોકો બરાબર એમનાં પાત્રો જેવા જ છે. માહફૂઝની કલમમાં એ સચ્ચાઈ છે. પણ આ સર્જનશીલતા અને સચ્ચાઈના પુષ્ટ પ્રવાહમાં જ્યારે એમની બૌદ્ધિકતા અને મંતવ્યો ભળે છે ત્યારે એમના જ દેશના રૂઢિચૂસ્ત ઇસ્લામ પંથીઓને એ અપ્રિય અને અસહ્ય લાગે છે. ૧૯૫૯માં લખાયેલી એક નવલને પ્રકાશનની પરવાનગી ક્યારેય મળી નહતી. એટલું જ નહીં, સરમુખત્યારો, તેમજ યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામના ધર્મગુરુઓના સંદર્ભ આપતી એ નવલને કારણે ૧૯૮૯માં – લખાયાના ત્રીસ વર્ષ પછી, ને નોબેલ પારિતોષિક મળ્યા પછી – એમના પર એક ધાર્મિક ફતવો દાખલ કરવામાં આવ્યો હતો. એમના લેખન પર જ નહીં, એમના જીવન પર પણ. ૧૯૯૪માં ખરેખર, એમની હત્યા કરવાનો પ્રયત્ન થયો પણ હતો. કૅરોના એમના ફ્લૅટની બહાર જ, મોટરના ખુલ્લા કાચમાંથી એક હત્યારાઓ એમના ગળામાં ચાકુ હુલાવી દીધું હતું. બાજુમાં જ એક ડૉક્ટર-મિત્ર બેઠા હતા, જેમની સમયસૂચકતા તથા નજીકમાં જ આવેલી એક હૉસ્પિટલમાં તાત્કાલિક સારવારને લીધે એ બચી તો ગયા, પણ ત્યારે અમુક મજ્જાતંતુઓને થયેલી હાનિને કારણે એમના લખવા પર ભારે અસર પહોંચી. તે પછી એ માંડ હાથમાં પેન પકડી શકતા, અને માંડ ત્રીસેક મિનિટ જેવું એક સાથે એ લખી શકતા. માહફૂઝ એ પ્રકારના સર્જક રહ્યા છે જેમને કાગળ પર લખવામાં પરમ સંતોષ થતો હોય, અને જે પેનમાંની સ્યાહીની સાથે વિચારો અને શબ્દો વહી આવે છે, એમ માનતા હોય. એવા સર્જકને જીવનનાં છેલ્લાં બાર વર્ષો સુધી, સીધી લીટીમાં, ને વંચાય તેવું લખવામાં કેટલી બધી શક્તિ ખરચવી પડી. એ માનતા હતા, કે “કોઈ પણ લેખકે દરરોજ કાગળ અને પેન લઈને કશું પણ લખવા બેસવું જ જોઈએ. કદાચ એ સફળ થશે, અથવા કંઈક નવું એને સુઝી આવશે. કદાચ એ કોઈ વાર્તા પૂરી કરશે, અને કદાચ કશું જ નહીં બને.” લાંબી લાંબી નવલકથાના લખનારાને ત્યારથી પોતાનાં સ્વપ્નો પરથી સાવ નાનકડી, આંગળીના એક વેઢા જેવડી, પ્રાસંગિકાઓ લખવી પડતી હતી. સિત્તેરેક જેટલી એમણે લખી પણ ખરી. સ્વપ્નો પરથી એમણે પહેલાં ક્યારેય એમણે લખ્યું નહતું. એમણે કહ્યું છે, “હું તો ગલીઓ, શેરીઓ અને કૅરોના કાફેઓમાં ફરતો રહેતો હતો. થોડાક જ કલાક ઊંઘતો હતો. સ્વપ્નો માટે મારી પાસે સમય જ નહતો.” એ બધું ફરવાનું પણ આ ઈજા પછી બંધ થઈ ગયું. નાઇલ નદીને કિનારે ફરવાનું, ખાન-અલ-ખલિલિ બજારની ભારે ભીડમાંથી નીકળવાનું, ‘ફિશાવી’ કાફેમાં રોજ જઈને બેસવાનું, મિત્રો સાથે જાતજાતની ચર્ચામાં ઊતરવાનું. બધું જ. તે ફક્ત એમની ઉંમરને લીધે જ નહીં, એમની સુરક્શાને માટે પણ હતું. એમના ફ્લૅટની અંદર અને બહાર, તેમજ એમની સાથે, ઇજિપ્તની સરકારે કરેલી વ્યવસ્થા પ્રમાણે, સતત પહેરેગીર રાખવામાં આવતા. માહફૂઝને આ રક્શકોની બહુ પડી નહતી, છતાં જાહેર જગ્યાઓમાં જવાનું એમણે બંધ કરેલું. એમને ચાહનારા ને આદર કરનારા બૌદ્ધિકો -પ્રોફેસરો, પત્રકારો, લેખકો, દાક્તરો, સંગીતકારો ઇત્યાદિ – કોઈના ને કોઈના મોટા, સરસ બંગલામાં ભેગા થવા માંડ્યા. નેવુ વર્ષના માહફૂઝ બહુ વાંચી પણ નહતા શકતા, તેથી આ સાપ્તાહિક મિજલસમાં મિત્રો મુખ્ય સામયિકમાંથી કળા ને સાહિત્યના લેખો એમને વાંચી સંભળાવતા. આ સમાગમને માહફૂઝ ઝંખતા રહેતા. ચર્ચાઓ રાજકારણ તરફ પણ વળતી જ. પહેલેથી માહફૂઝ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન- બંને પ્રત્યે ઉદારદિલ હતા. ઇજિપ્ત અને ઇઝરાયેલની વચ્ચે વેરભાવ હતો તે કાળે પણ એ ઇઝરાયેલ સાથે શાંતિના સંબંધના હિમાયતી હતા. છતાં, ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇનને જે સહન કરવું પડ્યું હતું તેની એ વિરુદ્ધ હતા. નોબેલ પારિતોષિકના પૈસામાંથી મળેલું પહેલું વ્યાજ એમણે પેલેસ્ટાઇનની મદદમાં દાન કરી દીધેલું, અને એમના આપઘાતી હુમલા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. અન્ય અરબી બુદ્ધિજીવીઓની જેમ એ પણ માનતા હતા, કે “પેલેસ્ટાઇનના લોકો પોતાની સ્વતંત્રતાના આદર્શને ખાતર પોતાના દેહ તેમજ આત્માનો ભોગ આફવા તૈયાર છે, ને એનાથી ઉદાત્ત લડત કેવી હોઈ શકે?” માહફૂઝને એ ડર હતો કે એટલી બધી હિંસા એવા વ્રણ ને એવાં સ્મરણ સર્જશે કે જે પેઢીઓ સુધી રુઝાશે કે ભુલાશે નહીં. દાયકાઓથી ડહોળાયેલા રહેલા વાતાવરણમાં જીવવા તથા એ વિષે વિચારતા રહેવા છતાં માહફૂઝે રાજકારણને પોતાની કથાઓમાં ગળ પડતું કે વદારે પડતું સ્થાન નથી આપ્યું. પ્રિય શહેર કૅરોનું સામાજિક જીવન એમણે લેખિની દ્વારા ધબકતું રાખ્યું. એને વિશ્વના સાહિત્ય-ક્શેત્રમાં એમનું અસાધારણ પ્રદાન ગનાય છે.અરેબિયન નાઇટ્સ અને કુરાનમાંથી મેળવેલી સર્જન-પ્રેરણા માહફૂઝને એક વિશિષ્ટ અને શાશ્વત ઊંચા સ્થાને દોરી ગઈ. એમની મહાનતાના કારણમાં છે એમની વ્યાપક દૃષ્ટિ, વૈશ્વિક સ્તરે નિરીક્શણ, નિત્ય-જીવનને અપાતી ચમત્કૃતિ, તથા સૂક્શ્મતા અને ઋજુતાથી પાત્રોને અપાતું સ્વમાન. મારી આંખો કૅરોની ગલીઓમાં ચાલતાં ચાલતાં આ પાત્રોને શોધતી રહી હતી, ક્યારેક પામી પણ હશે. એ જ હતું માહફૂઝની લેખિનીનું સામર્થ્ય.