દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧. મુક્તકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. મુક્તકો

થોડા જનો ઠગાય પણ, પ્રસિદ્ધ જ્યાં તે થાય;
લક્કડના લાડુ પછી, કોઈ ન લેવા જાય.
તુજ ઘર પાણી પડે, પરઠવ ત્યાં પરનાળ;
નભ સઘળું ઢંકાય નહિ, તું તારું સંભાળ.
મન ઢોંગી મન ધૂર્ત છે, મન મેગળ મસ્તાન;
મન સુધરે તો મિત્ર છે, નહિ તો શત્રુ સમાન.
ઘટમાં જે ઘૂંટાય, છાનું છેક રહે નહિ;
બે બાંકે દેખાય, કીધાં ઢાંકણ કાંચનાં.
નિર્મળ જનને ક્યમ કરી, ગુપ્ત ભેદ કહેવાય
કમાડ જેના કાચના ગુપ્ત ચીજ ન રખાય
મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત;
ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.
જે જેને મન સહિ રહ્યું, તે તેને સુખરૂપઃ
મગરને સાગર ગમે, કચ્છપને મન કૂપ.
પ્રથમ પડાવી પુષ્પને, છેવટે છાંટે છાર;
ધમ્યું કનક ધૂળે ધરે, એ પણ એક ગમાર.
શિલા સુધારણ કાજ, સલાટ ટાંકે ટાંકણે;
ટુકડા થાય તમામ, સલાટ તેને શું કરે?
સદા સોયનું સોયથી કામ થાય,
કૃપાણે કહો કે કરી શું શકાય?
ખીલો ખુદ ધાતુ તણો, અતિ બરડ દેખાય;
જંતરડામાં નીકળે, તેમ નમ્ર તે થાય.
સત્ય સાચવે તેહને, ખળ જન શું કરનાર;
કેમ શ્વાન કરડી શકે, જે ગજ શિર અસ્વાર.
સજ્જન સમ ગણી સેવતાં, દુર્જન સુજન ન થાય
એરંડે રસ નવ ચઢે, શેલડી સંગ સિંચાય.
મૂરખ જીવ જતાં લગી છોડે નહિ છંછેડ;
મંકોડો મૂકે નહિ બચકું તૂટે કેડ.
મગજ જેહનું પવનવશ, તેનો શો વિશ્વાસ?
પવન કદિ વૃષ્ટિ કરે, કદી વૃષ્ટિનો નાશ.