દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૦. ચંદ્રોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૦. ચંદ્રોદય

ઉપજાતિવૃત્ત


ઉગ્યો શશી પૂરવ દીશ એવો આકાર આદિત્ય જણાય જેવો;
જાણે મહારાયનું રૂપ ધારી, આવ્યો પ્રજાને ઠગવા રબારી.

પાતાળમાં પન્નગરાય રાજે, તેણે સજાવી રવિરાય કાજે;
વાળુની વેળા નજરે નિહાળી, આ મોકલી એક સુવર્ણ થાળી.

શશાંકનું સુંદર બિંબ જોઈ, કહે વિચારી, કવિ એક કોઈ;
પાતાળમાં શું નટવો નચાવ્યો, તેણે જ આ થાળ ઊંચે ઉડાવ્યો.

શશાંકનું બિંબ ઉંચું ચડે છે, દેખાવ કેવો નજરે પડે છે;
જાણે નિરાધાર જતું નિહાળ્યું, આકાશમાં એક બલૂન ચાલ્યું.

શશાંકનું તેજ બધે છવાયું, જાણે હવે રાજ્ય નવું સ્થાપાયું;
તારા નિહાળ્યે ન જણાય ઝીણા, જાણે દબાયા નૃપ જોરહીણા.

આકાશ સંપૂર્ણ સુધાંશુ શોભે, જોતાં જનોનાં બહુ ચિત્ત લોભે;
જાણે નિશાસુંદરી એક એ છે, તેજસ્વિ તેનું મુખ સ્વચ્છ તે છે.

લગાર જે તીવ્રપણું ન રાખે, તો વિશ્વમાં તે નર કોણ ભાખે;
જો ચંદ્રમાં તીવ્ર નથી લગારે, તો પંડિતો સ્ત્રીમુખતુલ્ય ધારે.

સુધાંશુને છે કૃતિકા સમીપે. દેખાતિ તેની ભલિ દીપ્તિ દીપે;
જાણે હિરાનું શુભ ઝૂમખું છે, કાને નિશાસુંદરિએ ધર્યું છે.

સુધાંશુ જો આ વૃષરાશિમાં છે, તેથી બની અદ્‌ભુત જુક્તિ ત્યાં છે;
જાણે શરીરે શણગાર સાજી, માહેશ્વરી આ વૃષભે બિરાજી.

રહી સમીપે વળી રોહિણી છે, ગાડા સરીખી દિસતી ગણી છે;
જાણે ભરી જોખમવાળી ગાડી, ચંદ્રે ચલાવી કરીને અગાડી.

સીતાંશુની શીતળતા છવાઈ, જ્યાં જોઈએ ત્યાં જગમાં જણાઈ;
જાણે પ્રજાના ગભરાટ કાળે, જણાવિયું શાંતપણું નૃપાળે.

તારા શશીથી અતિ છેક દૂર, તથાપિ દીસે શશિની હજૂર;
જાણે રવિને જીતવા લડીને, આવ્યું શશીસૈન્ય બધું ચઢીને.

ક્યાં સૂર્ય ને ક્યાં રાશિ તે બિચારો, તથાપિ જોજો જનસૃષ્ટિ ધારો;
ગરીબનો કાળ બળીષ્ઠ આવે, ગરીબને રાજ્યપદે ચઢાવે.

અરે શશી તું તજ ગર્વ એવા, ઘણા દિઠા છે શશિ તુંજ જેવા;
ગુરુ કને ચાર શશિ વિખ્યાત, શશી કને તું રાશિ દેખ સાત.

બે લાખને આડત્રિશે હજારે, મૈલે રહે ચંદ્ર મહીંથી પારે;
રવિ રહે છે નવ કોટિ દૂર, પ્રતાપીને હોય બધું હજૂર.

વળી વિધુથી વસુધા ઘણી છે, એકોનપંચાસ ગુણી ગણી છે;
સ્વામી થવાને શશિ આશ લાવે, અજા મુખે કેમ કલિંગ આવે.

થોડી દિસે છે રથ રોહિણી છે, બળિષ્ઠ જો આ બળદે તહીં છે;
તારા ઘણા પેદળ રૂપ ધારી, જાણે નિશાનાથ સજી સવારી.

આકાશ કે મોટું તળાવ એ છે, તારા હશે કે જળજાત તે છે;
અને જુઓ શશી આ ઉગ્યો છે, તેજસ્વિ તે કોઈક કાચબો છે.

શશાંકમાં શામળ ડાઘ જોઈ, કહે વિચારી કવિરાજ કોઈ;
આદર્શ જેવો શશી સ્વચ્છ એ છે, તેમાં ભુમિનું પ્રતિબિંબ તે છે.

બીજો કહે છે નભપત્ર આ છે, તારા નહીં અક્ષર તે લખ્યા છે;
મહોર ઇંદું પ્રભુની પવિત્ર, તેમાં મૃગાકાર વિચિત્ર ચિત્ર.

ત્રીજો કહે મંથિત સિંધુ જ્યારે, હતો શશી સાગર મધ્ય ત્યારે;
જે ઘાવ મંથાચળથી થયેલા, આ ડાઘ તેના શશિમાં રહેલા.

ચોથો કહે છે ક્ષયરોગ એને, વધે ઘટે છે તન રોગ તેને;
તે ટાળવા કાજ ઉપાય કીધા, આ કોઈ વૈદે ઉર કામ દીધા.

ગ્રહો શશી તો ફરતા દિસે છે, તારા બીજા તો સ્થિર થૈ ઠસે છે;
આકાર એથી ફરતા ધરે છે, વિચિત્ર દર્શાનળિકા ફરે છે.

જે એક આદિત્યથી કામ થાતું, શશાંક તારાથી નથી કરાતું;
કરે વડૂં કામ પ્રતાપિ એક, ન થાય નિર્માલ્ય જને અનેક.