દલપત પઢિયારની કવિતા/સર્જક-પરિચય
રાજેશ મકવાણા
દલપતસિંહ નારણસિંહ પઢિયારનો જન્મ તા. ૧.૧.૧૯૫૦માં મોસાળમાં ચરોતરના શીલી ગામે થયો હતો. બાળપણ અને કિશોરકાળ પોતાના વતન કહ્ાનવાડી (તા. આંકલાવ)માં મહિસાગરના પ્રકૃતિસભર પરિવેશમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કહ્નવાડીમાં અને માધ્યમિક શિક્ષણ બોચાસણની વલ્લભવિદ્યાલયમાં પ્રાપ્ત કરેલું. સાત પેઢીથી જ્યાં ભજનની સરવાણી વહી રહી છે એ ધરા પર ઢોલક અને તબલા સાથે જ રમ્યા છે. ગોરખથી માંડીને ગંગાસતી સુધીની સંતપરંપરાના અવનવા રૂપ અનુભવ્યા છે. ભજનના પરંપરિત ઢાળ અને રાગે કવિની પ્રતિભાને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા બજાવી છે. અઢીસો જેટલા ભજનો કંઠસ્થ હોય, સાંજે ગાવા બેસે તો બીજા દિવસની સાંજ સુધી એક પણ ભજન પુનરાવર્તન ન પામે એ રીતે અસ્ખલિત ધારા વહેતી રહે છે. એટલે જ કવિને મન કવિતા પણ ચોખ્ખી આધ્યાત્મિક પ્રવૃત્તિ જ રહી છે. કોઈ વિધિ-વિધાન કે ક્રિયાકાંડ નહીં પણ સૃષ્ટિને સમજવાનું ઉપાદાન છે. એટલે શબદ એ ઈશ્વરનું રૂપ છે. બ્રહ્મને પણ ઓળખમાં આવવું હોય તો શબદમાં આવવું પડે. આમ, પારિવારિક આધ્યાત્મિક સંસ્કારો થકી કવિનું પોત દીવાની જ્યોત સમું ઝળહળે છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં મેળવ્યું અને ત્યાં જ મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શનમાં ‘ગાંધીયુગનું ગદ્ય’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે. આરંભમાં અમદાવાદમાં એસ. વી. કૉલેજ અને સરસપુર કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે અને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, રાંધેજામાં અધ્યાપક તરીકે ત્યાં થોડા વર્ષો નોકરી કરી પછી સીધી ભરતીથી, ગુજરાત સરકારના વર્ગ એકના અધિકારી તરીકે પસંદ થયા. અને ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે નિયુક્ત થયા. દીર્ઘકાળની વહીવટી સેવાઓ બાદ ગાંધીનગરમાં અધિક માહિતી નિયામક પદેથી ૨૦૦૮માં સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ રવિભાણ સંપ્રદાયની શેરખી જગ્યાની એક શાખા કહ્નવાડીની ગાદીના સાતમી પેઢીના ગાદીપતિ તરીકે બિરાજમાન છે. ‘છોગાળા હવે છોડો’ બાળવાર્તાથી ખ્યાત બનેલા દલપત પઢિયાર પાસેથી ૧૯૮૨માં ‘ભોંય બદલો’ અને ૨૦૧૦માં ‘સામે કાંઠે તેડાં’ એ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. ૧૯૯૦માં એમના પીએચ.ડી.ના શોધનિબંધ ‘ગાંધીયુગનું ગદ્ય’નો પ્રથમ ભાગ પ્રકાશિત થાય છે. ૧૯૭૪માં ચિનુ મોદીના વડપણ હેઠળ કવિતા લખનારાઓનું ‘હોટલ પોએટ્સ’ ગ્રૂપ બનેલું અને દર ગુરુવારે નિયમિત રૂપે કવિતા લખીને લઈ જવાનું, કવિતાને પ્રસ્તુત કરવાનું પ્લૅટફૉર્મ પ્રાપ્ત થયું. જે કેન્ટીનમાં બેસીને કવિતાની કેફિયત થતી એનું નામ ‘ઓમિસ’ હતું, એ પરથી ‘ઓમિસિયમ’ નામે સામયિક શરૂ કરેલું. દલપત પઢિયારની કવિ પ્રતિભાને પોંખનાર આ પ્રથમ પ્રકાશન હતું. ‘ભોંય બદલો’ની મોટાભાગની કવિતાઓ આ ‘હોટેલ પોએટ્સ’ નિમિત્તે લખાયેલી ગુરુવારીય રચના છે. ગામ-વતનનો વિચ્છેદ એમની કવિતાનો મુખ્ય વિષય બની રહે છે. એમની કવિતાની ભૂમિકામાં અનુભવનું વિશ્વ છે. નગરજીવનનું વાસ્તવ કવિતાનો વિષય બને છે. જેમકે ...
‘ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
‘મારો ભોંય બદલો’માં પોતાના પલટાયેલા પરિવેશમાં વતનની સ્મૃતિ નવું પરિમાણ રચે છે.
‘હું
આ નગરમાં ભૂલો પડેલો જણ છું.
કાચની બારીમાંથી
રોજ સાંજે વીખરાઈ પડતું ધણ છું.
મહી નદી!
મારા સામું જોઈશ નહીં
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી
ઇન્જેક્શન લઈ લઈને
વતન વિચ્છેદની વેદના ‘વિચ્છેદ’માં આ રીતે વ્યક્ત થઈ છે.
‘હે મન!
ઉકેલી નાખો તમારાં
બધાં આવરણ.
ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા
ત્યારથી જ
આપણો
ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે.
હું કદાચ મોટો થઈ ગયો છું
કોઈ મારે કપાળે માટી ભરો,
‘ભોંય બદલો’ની પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘માણસની આંખો અંજાઈ જાય અને આગળ ડગલું ભરતાં એ ખમચાય એવી એક મુદ્રા એમના અછાંદસ કાવ્યોમાં છે.’૧ ઉમાશંકર જોશીને પણ ‘ભોંય બદલો’ની ‘ટેંટોડો’ જેવી કવિતાથી આ કવિ યાદ રહી જાય છે. દલપત પઢિયારની સરકારી નોકરીને લઈને એમણે કહેલું કે, ‘વહીવટ કરજો પણ વહેણ ચાલુ રાખજો.’ અછાંદસ કવિતા પછી ગીતમાં પણ જુદા પડે છે. તળપ્રદેશની પ્રકૃતિ, પરંપરા બધું જ એમાં ઘુંટાય છે. ભજન, લગ્નગીત, મરસિયાના ઢાળ ગીતને નવું પરિમાણ બક્ષે છે. ‘પુણ્યસ્મરણ’નો પિંડ તો સ્મરણમાં છે એ હયાત હતા ત્યારે જ બંધાયેલો.
‘એવી રે કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયા તૂટે ને સમદર ઉમટે...’
આ રચના એમના ઘુંટાયેલા કંઠે સાંભળીએ છીએ ભારે અનુભવનું અનુભૂતિમાં થયેલું રૂપાંતર કેવી આભા રચે છે એની પ્રતિતી અવશ્ય થાય છે. ‘સામે કાંઠે તેડાં’માં ગીતનાં વિશિષ્ટ ભજનશૈલીના ઢાળ સાથેનું લયસર્જન, રંગવૈવિધ્ય અને ભાષાનિયોજન પ્રગટે છે. ‘મને હું શોધું છું!’માં પરંપરાનો આપણી ધારાનો અનુભવ છે. પોતાના આંતરખોજની પ્રક્રિયા, પોતાના મૂળ અને કુળના પ્રશ્નો સતત કવિતામાં દસ્તક દે છે.
‘કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?’
‘ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું...’
પોતાના આંતરખોજની પ્રક્રિયા, પોતાના મૂળ અને કુળના પ્રશ્નો સતત કવિતામાં દસ્તક દે છે.
‘કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?’
એમના ગીતોમાં આવતા આધ્યાત્મિક સંદર્ભો સંતપરંપરાના અનુબંધને વ્યક્ત કરે છે. ‘અઢી હજાર વર્ષથી ચાલતી પરંપરાની ઉર્જાના વાહક કવિને ગુપ્ત સાધનાધારાનો પરિચય પણ છે. નારી ગુરુપદ પામે એ પરંપરા-પાટ પરંપરા છે.’
‘પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું....’
સાધનાની પરાકાષ્ઠા છે. સાત પેઢીથી પ્રત્યેક પૂનમે પાટ પર દીવો પેટાયો છે. દિવાળીના દિવસોમાં ગામડામાં વાઘબારસથી દેવદિવાળી સુધી પાણિયારે, ગમાણે, ઉકરડે પણ દિવડો મૂકવામાં આવે છે.
‘મેં તો ઉંબર પર દીવડો મેલ્યો,
કે ઘર મારું ઝળહળતું!’
અધ્યાત્મના ભગવા રંગને પ્રબળ રીતે પ્રયોજતા કવિતામાં દીવો, પાટ, આસન, જ્યોત, નવખંડ ધરતી, બ્રહ્માંડ, પિયાલા, ઇંગલા, પિંગલા વગેરેના આલેખન સાથે ઈશ્વર સાથેનો અનુબંધ રજૂ કરે છે. રવિભાણ સંપ્રદાયના કવિઓની બાની સહજ રીતે સાંપડી છે. ભજનના લય-ઢાળનો વિનિયોગ ગીતમાં બખૂબીથી થયો છે.
‘મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ!
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!’
મારા સતગુરુની સંગે રે...’
દલપત પઢિયારની કવિતાની અભિવ્યક્તિરીતિ ને તપાસતા અજયસિંહ ચૌહાણ નોંધે છે કે, ‘દલપત પઢિયારના ગીતનો પણ અભિવ્યક્તિરીતિએ જોઈએ તો તેમાં ભજન પરંપરાનું અને લોકગીતોનું અનુસંધાન છે ને માટે એમનાં ગીતોમાં મોટાભાગે આઠ આઠ કે નવ અંતરા હોય છે. એટલે આપણા સમયમાં લખાતાં ગીતો કરતાં દલપત પઢિયારનાં ગીતો વધુ પ્રલંબ છે. પણ આ પ્રલંબતાની કોઈ નકારાત્મક અસર તેમના ગીતો પર પડતી નથી. તેમના ગીતના ઉપાડથી શરૂ કરી અંત સુધી સાદ્યંત ભાવની તીવ્રતા જળવાઈ રહે છે.’૨ ‘દલપતરામ’, ‘દલજી’, ‘દલુભા’ કે ‘દલપતિ’ એવા દલપત પઢિયાર આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો અનોખો અવાજ છે. કૃષિજીવન યુક્ત ગ્રામપરિવેશ, રવિભાણ સંતપરંપરાનું અનુસંધાન, ગૂજરાત વિદ્યાપીઠનું ગાંધીપ્રેરિત વાતાવરણ અને ‘હોટેલ પોએટ્સ’નું મિત્રવૃંદ દલપત પઢિયારની કવિપ્રતિભાને ઘડનારા મુખ્ય પ્રેરકબળ છે. ગામમાંથી લીલા કપાયેલા લીમડા, રાયણો ટ્રેક્ટરમાં ભરેલા જુવે છે ત્યારે ગામનું સ્મશાન નજીક આવી રહ્યાંનું અનુભવે છે. માટીની માયા સાથે જોડાયેલા કવિનો ભીતરનો રંગ ભગવો છે. એટલે જ ભીતરના અંધકારને ઉલેચીને ઝળહળ થવાની ખેવના બળકટ રીતે રજૂ કરે છે. સ્વ પર આકરા પ્રહારો કરીને અંધારાને કાપવાની વાત કરે છે.
મેલો, દલપત, ડા’પણ મેલો!
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!
ભણ્યા ગણ્યા બહુ દરિયા ડો’ળ્યા,
ગિનાન ગાંજો પીધો,
છૂટ્યા નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતર ક્યાં અઘરી છે, જીવણ?
થકવી નાખે થેલો...’
ગીત અને અછાંદસ કવિતામાં અનુઆધુનિકતાનું નાવિન્ય નજરે પડે છે. અધ્યાત્મની ઊંચાઈનું તત્ત્વ અને નાભિથી નાયિકા સુધીની યાત્રા એમની સર્જકતાને આગવી હરોળમાં મૂકે છે. ‘સામે કાંઠે તેડાં’ની પ્રસ્તાવનામાં ચંદ્રકાન્ત શેઠ નોંધે છે કે, ‘દલપતમાં એક સાચા કવિમાં અનિવાર્ય એવી સચ્ચાઈ, અંતર્મુખતા, પારદર્શકતા, સાહજિકતા, મુક્તતા ને સાહસિકતા જેવી પાયાની ગુણસંપત્તિ હોવાના કારણે એમની કવિતાનું આકર્ષણ રહે છે. પોતાના અહંભાવને નાથીને, જરૂર પડ્યે વ્યંગ-વિડંબના વગેરે દ્વારા એની ઝાટકણી કાઢીને પણ સત્ના માર્ગે જ પોતાની કવિતાને વાળવા-વિકસાવવાનો એમનો પુરુષાર્થ પ્રશસ્ય છે. ઉપલકિયા બાબતોમાં અટવાયા વિના તલાવગાહી અભિગમથી પોતાનામાં ડૂબકી મારતાં-મારતાં જગત આખાની અલપઝલપ ઝાંખી કરાવી દેવાની એમની ખૂબીની પણ નોંધ લેવી પડે એમ છે.’૩ પોતાની કવિતાને ‘અર્થનો ખોટો ખીલો’ ન લાગી જાય એની પરવા કરનાર દલપત પઢિયાર પોતિકા નિજી ભાવવિશ્વને કવિતામાં સુપેરે કંડારે છે.
સંદર્ભ : ૧. ‘ભોંય બદલો’, દલપત પઢિયાર, પ્ર. આ. ૧૯૮૨, પૃ. ૩. ૨. ‘આધુનિકોત્તર કવિતા’, અજયસિંહ ચૌહાણ, પ્ર. આ. ૨૦૧૩, પૃ. ૧૦૨. ૩. ‘સામે કાંઠે તેડાં’, દલપત પઢિયાર, પ્ર. આ. ૨૦૧૦, પૃ. ૨૪.