દેવદાસ/પ્રકરણ ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાવધ અને વ્યવહારકુશળ માણસોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ આંખે જોતાની સાથે જ કોઈ પણ વસ્તુના ગુણદોષ વિષે અભિપ્રાય આપી દેતા નથી. –પૂરો વિચાર કર્યા વિના પૂરો અભિપ્રાય બાંધી લેતા નથી. બે બાજુ નજર નાખી ચાર દિશાની વાત કરતા નથી. પરંતુ બીજા એક પ્રકારના માણસો હોય છે- બરાબર આમનાથી ઊંધા જ. કોઈ પણ વસ્તુ વિષે લાંબો વિચાર કરવાની ધીરજ તેમનામાં હોતી નથી. ગમે તે વસ્તુ હાથમાં આવતાંની સાથે જ નક્કી કરી નાખે- આ સારી છે કે ખરાબ છે. તળિયે જઈને જોવાની મહેનત, પોતે માની લીધેલા વિશ્વાસના જોર ઉપર જતી કરે છે. આ બધા માણસો દુનિયામાં કામ નથી કરી શકતા એવું નથી, ઉલટું ઘણી વખત વધારે કામ કરે છે. એમનું નસીબ પ્રસન્ન હોય તો ઉન્નતિના સર્વોચ્ચ શિખરે બેઠેલા પણ જોવામાં આવે છે. અને નહિ તો, અવનતિની ઊંડી ગુફામાં હંમેશને માટે સૂતા હોય છે. ત્યાંથી ઊઠી શકતા નથી; બેસી પણ શકતા નથી. પ્રકાશ ભણી દ્રષ્ટી પણ કરતા નથી; નિશ્ચલ, મૃત, જડ પોદળાની માફક પડ્યા રહે છે. આ કોટિનો દેવદાસ હતો. બીજે દિવસે સવારે તે ઘેર આવી પહોંચ્યો. માએ આશ્ચર્ય પામી પૂછ્યું, ‘દેવા ! કોલેજમાં શું પાછી રજા પડી?” દેવદાસ ‘હા’ કહીને બેધ્યાન હોય તેમ ચાલ્યો ગયો. પિતાના પ્રશ્નનો પણ એવો જ કંઇક જવાબ આપી બાજુએ થઇ સરકી ગયો. તેમણે બરાબર ન સમજી શકવાથી ગૃહિણીને પૂછ્યું. માતાએ બુદ્ધિ દોડાવી કહ્યું, “હજુ ગરમી ઓછી થઇ નથી એટલે ફરી રજા પડી.” બેએક દિવસ તો દેવદાસે તરફડિયાં માર્યા કર્યા, કારણ કે તેની આંતરિક ઈચ્છા પૂરી થતી નહોતી- પાર્વતીની સાથે એકાંતમાં બિલકુલ જ મેળાપ થયો નહિ. બેએક દિવસ પછી પાર્વતીની માએ દેવદાસ સામો મળતાં કહ્યું, “આવ્યો જ છે, તો ભાઈ, પારુના લગ્ન સુધી રહી જજે !” દેવદાસે કહ્યું, “ભલે” *

બપોરે જમી પરવારી પાર્વતી રોજ બંધ ઉપર પાણી ભરવા જતી. કાખમાં પિત્તળનો ઘડો લઈને આજે પણ તે ઘાટ ઉપર ચાલી જોયું તો થોડે જ દૂર એક બોરડીની આડમાં દેવદાસ પાણીમાં માછલી પકડવાનો સોટો નાખી બેસી રહ્યો હતો. એક વાર તેના મનમાં થયું, “પાછી જાઉં.” ફરી થયું, “ચુપચાપ પાણી લઇ ચાલી જાઉં.”- પરંતુ ઉતાવળમાં એકે બન્યું નહિ. ઘડો ઘાટ ઉપર મૂકવા જતાં જરીક અવાજ થતાં જ દેવદાસે નજર નાંખી, અને હાથ હલાવીને બૂમ મારી, “પારુ, વાત કહું.” પાર્વતી ધીરે ધીરે પાસે જઈ ઉભી. દેવદાસે એકવાર માત્ર ઊંચું જોયું, પછી ખૂબ વાર લગી શૂન્ય દ્રષ્ટિએ પાણી તરફ જોઈ રહ્યો. પાર્વતીએ કહ્યું. “દેવદા, મને કંઈ કહેવું છે ?” દેવદાસ નજર ફેરવ્યા વિના કહ્યું, “હં અ, બેસ !” પાર્વતી બેઠી નહિ. નીચું મોં કરી ફરી ઉભી રહી. પણ થોડીવાર લગી જયારે કોઈ કશું બોલ્યું નહિ, ત્યારે પાર્વતી એક એક પગલું ધીરે ધીરે ભરતી ઘાટ તરફ પાછી ચાલવા લાગી. દેવદાસે એકવાર મોઢું ઊંચું કરીને જોયું, અને ફરીથી પાણી તરફ દ્રષ્ટિપાત કરી કહ્યું, “સાંભળ.” પાર્વતી પાછી આવી. પરંતુ તેમ છતાં પણ દેવદાસ કશું બોલી શક્યો નહિ. એટલે વળી તે પાછી ફરી, દેવદાસ નિઃસ્તબ્ધ બની બેસી રહ્યો. થોડીવારે તેણે પાછા ફરી જોયું, તો પાર્વતી પાણી ભરીને જવાની તૈયારીમાં હતી. તરત જ તે સોટો લપેટી લઇ ઘાટ આગળ આવ્યો, બોલ્યો, “હું આવ્યો છું.” પાર્વતીએ માત્ર ઘડો ઉતારી નીચે મૂક્યો, કશું બોલી નહિ. “હું આવ્યો છું, પારુ !” પાર્વતીએ માત્ર ઘડો ઉતારી નીચે મૂક્યો, કશું બોલી નહિ. “હું આવ્યો છું, પારુ !” પાર્વતી થોડી વાર કંઈ બોલી નહિ, છેવટે અત્યંત મૃદુ સ્વરે પૂછ્યું, “શું કરવા?” “તેં લખ્યું હતું, યાદ નથી ?” “ના.” “એ શું, પારુ? પેલી રાતની વાત યાદ આવતી નથી?” “આવે છે. પણ એ વાતનું હવે કામ શું છે?” તેનો અવાજ સ્થિર પણ રુક્ષ હતો. પરંતુ દેવદાસ તેનો મર્મ સમજ્યો નહિ, બોલ્યો, “મને માફ કર, પારુ ! એ વખતે એટલું હું સમજતો નહોતો.” “બસ કરો; એ બધી વાત મને સાંભળવીય ગમતી નથી.” “હું ગમે તેમ કરી માબાપને મનાવીશ. માત્ર તું-” પાર્વતી દેવદાસના મુખ તરફ એક વાર તીક્ષ્ણ દ્રષ્ટિપાત કરી બોલી, “તમારે માબાપ છે, ને મારે નહિ હોય ? એમની રજા લેવાની મારે જરૂર જ નહિ ?” દેવદાસ લજ્જિત થઇ બોલ્યો, “જરૂર તો ખરી જ, પારુ ! પણ એ તો કંઈ અસંમત નથી- તું માત્ર-” “શી રીતે જાણ્યું કે તેઓ અસંમત નથી ? પૂરેપૂરાં અસંમત છે.” દેવદાસે હસવાનો મિથ્યા પ્રયત્ન કરીને કહ્યું, “ના રે, એમની તો લગીરે અસંમતિ નથી, એ હું સારી પેઠે જાણું છું. માત્ર તું-” પાર્વતી વચ્ચે જ તીવ્ર કંઠે બોલી ઉઠી, “માત્ર હું ! તમારી સાથે ? છી !-” આંખના પલકારામાં દેવદાસની બંને આંખો અંગારાની જેમ સળગી ઉઠી. તે કઠોર સ્વરે બોલ્યો, “પાર્વતી ! મને શું ભૂલી ગઈ ?” પહેલાં તો પાર્વતી ખચકાઈ; પરંતુ બીજી ઘડીએ જ સ્વસ્થ થઇ શાન્ત દઢ સ્વરે તેણે જવાબ આપ્યો, “ના ભૂલું કેમ કરી ? બાળપણથી તમને જોતી આવી છું. સમજતી થઇ ત્યાં લગી બીતી આવી છું – એટલે જ શું તમે મને બીક બતાવતા આવ્યા છો? પણ મનેય શું તમે ઓળખતા નથી?” બોલીને તે નીડર બે આંખો ઊંચી કરી ઊભી રહી. પહેલાં તો દેવદાસથી કંઈ બોલાયું જ નહિ; પછી કહ્યું, “તું સદા મારાથી બીતી જ આવી છે-બીજું કંઈ નહિ.” પાર્વતી દઢ સ્વરે બોલી, “ના, બીજું કંઈ નહિ.” “સાચું બોલે છે?” “હા, સાચું જ બોલું છું. તમારી ઉપર મને જરાય શ્રદ્ધા નથી. હું જેને ત્યાં જાઉં છું તે ધનવાન છે, બુદ્ધિમાન છે, શાન્ત અને સ્થિર છે, તે ધાર્મિક છે. મારા માબાપે મારું ભલું જ ઈચ્છ્યું છે. તેથી જ તેઓ તમારા જેવા એક અજ્ઞાન, ચંચલચિત્ત તોફાની માણસના હાથમાં મને કેમે કરી આપવા માગતાં નથી. ચાલો, રસ્તો મૂકો !” એક વાર દેવદાસે જરાક ગલ્લાંતલ્લાં કર્યા, એક વાર રસ્તો મૂકવા પણ તૈયાર થયો, પરંતુ બીજી જ ક્ષણે દઢ પગલે ઊંચું જોઈ કહ્યું, “આટલો બધો અહંકાર !” પાર્વતી બોલી, “ના શું કરવા હોય ? તમે જ અહંકાર કરી શકો, બીજા નહિ? તમારામાં રૂપ છે, ગુણ નથી- મારે રૂપ છે, ગુણેય છે. તમે મોટા લોક ભલે હો, પણ મારા બાપ પણ કંઈ ભીખ માગતા ફરતા નથી. વળી હવે તો હું પણ તમારા કરતાં કોઈ પણ રીતે ઊતરતી રહેવાની નથી, એ તમે જાણો છો !” દેવદાસ અવાક્ થઇ ગયો. પાર્વતી ફરી બોલી ઉઠી, “તમે ધારો છો, કે મને બહુ નુકસાન પહોંચાડશો. બહુ નહિ તોય થોડુંક નુકસાન તો કરી શકશો, એ હું જાણું છુ. ભલે, મને માત્ર રસ્તો આપો.” દેવદાસ હતબુદ્ધિ થઇ બોલ્યો. “નુકસાન હું શી રીતે પહોંચાડવાનો?” પાર્વતી તે જ ક્ષણે બોલી ઉઠી, “અપવાદ મૂકીને; મૂકજો, અપવાદ મૂકજો.” શબ્દો સાંભળી દેવદાસ વ્રજનો ઘા પડ્યો હોય તેમ જોઈ રહ્યો. તેના મોઢામાંથી માત્ર એટલું જ બહાર નીકળ્યું, અપવાદ કોણ, હું મૂકું ?” પાર્વતી ઝેરના જેવું ક્રૂર હાસ્ય હસીને બોલી, “છેલ્લી ઘડીએ મારા નામ ઉપર કલંક ફેલાવજો, જાઓ ! પેલી રાતે તમારી પાસે એકલી આવી હતી, એ વાત ચારે દિશામાં જાહેર કરી દેજો; મનમાં ખૂબ ટાઢક વળશે.” બોલતાં પાર્વતીનો ગર્વિષ્ઠ ક્રોધભર્યો નીચલો ઓઠ ધ્રુજી બંધ પડી ગયો. પરંતુ દેવદાસનું હૃદય અંદરથી ક્રોધ અને અપમાનથી સળગતા જ્વાળામુખીના જેવું ભયંકર થઇ ગયું, એણે અવ્યક્ત સ્વરે કહ્યું, “મિથ્યા તને બદનામ કરીને દિલમાં શું હું સાંત્વના પામીશ !” બીજી જ ક્ષણે તેણે માછલી પકડવાનો જાડા વાંસનો સોટો જોરપૂર્વક ઘુમાવીને ભીષણ કંઠે કહ્યું, “સાંભળ પાર્વતી- આટલું રૂપ બહુ સારું નહિ. અહંકાર બહુ વધી જાય.” બોલીને અવાજ જરાક નાનો કરીને તેણે કહ્યું : “જોતી નથી, ચંદ્રમામાં આટલું રૂપ છે, એટલે જ તેમાં કલંકનો કાળો ડાઘો છે; પોયણું આટલું સફેદ છે, એટલે જ તેમાં કાળો ભમરો બેસી રહે છે. આવ, તારા મુખ ઉપર પણ થોડી કલંકની છાપ મારી આપું.” દેવદાસ સહનશક્તિ ગુમાવી બેઠો હતો. તેણે મજબૂત મૂઠીથી સોટો ફેરવીને જોરથી પાર્વતીના માથામાં ફટકાર્યો, તરત જ કપાળ ઉપર ઘા પડ્યો; ડાબી ભમરની નીચે સુધી ચીરો પડ્યો. પલકમાં આખુ મોઢું લોહીથી ખરડાઈ ગયું. પાર્વતી જમીન ઉપર ઢળી પડી બોલી, “દેવદા, આ શું કર્યું ?” દેવદાસ સોટાના ટુકડેટુકડા કરી ભાંગી નાખી પાણીમાં ફેંકી દેતાં દેતાં સ્થિર ભાવે જવાબ આપ્યો, “ખાસ કશું નહિ-સામાન્ય થોડુંક ચિરાઈ ગયું છે, માત્ર.” પાર્વતી વ્યાકુળ કંઠે રડી ઉઠી, “ઓ રે, દેવદા !” દેવદાસે પોતાના ઝીણા પહેરણમાંથી ચીંદરડી ફાડી, પાણીમાં ભીંજાવી પાર્વતીના કપાળ ઉપર બાંધતાં બાંધતાં કહ્યું, “ગભરાય છે શું કરવા, પારુ ? આ ઘા તો જલદી રુઝાઈ જશે- માત્ર ડાઘ રહેશે, જો એ જોઇને કોઈ પૂછે તો જૂઠું બોલજે, નહિ તો સાચું બોલી પોતાના જ કલંકની વાત જાહેર કરજે.” “ઓ રે, મા રે !” “છી ! એમ ના કર, પારુ. છેલ્લી વિદાયવેળા માત્ર યાદ રાખવા જેવું ચિહ્ન રાખી જાઉ છું. આવું સોનાનું મોઢું આરસીમાં કદીક કદીક જોશે ને !” બોલીને જવાબની રાહ જોયા વિના તે જવા માટે તૈયાર થયો. પાર્વતી વ્યાકુળ બની રડી પડી, બોલી, “ઓ દેવદાદા !” દેવદાસ પાછો આવ્યો. આંખને ખૂણે એક બિંદુ આંસુ હતું. ખૂબ સ્નેહભર્યા કંઠે કહ્યું, “કેમ રે, પારુ !” “જો જો, કોઈને કહેતા નહિ.” દેવદાસ નિમેષમાત્રમાં ઝૂકી પડી પાર્વતીના વાળ ઉપર ઓઠ લગાડી બોલ્યો, “છી !-તું શું મારે પારકી છે, પારુ ?તને યાદ નથી, તું તોફાન કરતી ત્યારે નાનપણમાં કેટલા તારા કાન આમળ્યા છે !” “દેવદાદા, માફ કરો મને.” “તે કંઈ કહેવું પડતું હશે ! સાચે જ શું, પારુ, તું મને છેક જ ભૂલી ગઈ છે ? મેં ક્યારે તારા ઉપર ગુસ્સો કર્યો હતો ? ક્યારે તને મેં માફી આપી નથી?” “દેવદાદા-” “પાર્વતી ! તું તો જાણે છે, હું બહુ વાત કરી શકતો નથી; બહુ વિચાર કરી કામ કરતો નથી, જયારે જે મનમાં આવે તે કરું છું.” બોલીને દેવદાસ પાર્વતીના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ દઈ બોલ્યો, “તેં સારું જ કર્યું છે. મારી સાથે રહી કદાચ તું સુખી થાત નહિ; પણ તારા દેવદાદાનો અક્ષય સ્વર્ગવાસ થાત.” એ વખતે બંધની બીજી બાજુએ કેટલાક જણ આવતા હતા. પાર્વતી ધીરે ધીરે પાણીમાં આવી ઉભી રહી. દેવદાસ ચાલ્યો ગયો. પાર્વતી ઘેર પાછી આવી ત્યારે સાંજ પડી ગઈ હતી. દાદીએ જોયા મૂક્યા વિના જ કહી નાખ્યું, “પારુ, તળાવ ખોદીને પાણી લાવી કે શું, બહેન ?” પરંતુ તેમના શબ્દો મોઢામાં જ રહી ગયા; પાર્વતીના મોઢા તરફ જોતાવેંત તે ચીસ પડી ઉઠ્યાં, “ઓ મા રે ! આ સત્યાનાશ શી રીતે વાળ્યું ?” ઘામાંથી હજુ પણ લોહી નીકળતું હતું, લગભગ આખું વસ્ત્ર લોહીથી ખરડાયું હતું. તે રડી પડી બોલ્યાં, “ઓ રે ! મા રે ! તારું તો લગન –પારુ!” પાર્વતીએ સ્થિર ભાવે ઘડો ઉતાર્યો. તેની બાએ આવતાં વેંત રડી પડી પૂછ્યું, “આ સત્યાનાશ શાથી વળ્યું પારુ ?” પારુ સહજભાવે બોલી, “ઘાટ પર પગ લપસી પડતાં પછડાઈ ગઈ હતી. પથરા ઉપર માથું ભટકાવાથી માથું ચિરાઈ ગયું. “ *

ત્યાર બાદ બધાં મળીને તેની સેવાચાકરી કરવા લાગ્યાં. દેવદાસે સાચું જ કહ્યું હતું- ઘા બહુ નહોતો. ચારપાંચ દિવસમાં જ રુઝાઈ ગયો. બીજા આઠ દસ દિવસ એમ ને એમ વીત્યા. ત્યાર બાદ એક દિવસ રાતે હાતીપોતા ગામના જમીનદાર શ્રીયુત ભુવનમોહન ચૌધરી વર બનીને લગ્ન કરવા આવ્યા. ઉત્સવમાં ધામધૂમ બહુ થઇ નહિ. ભુવનબાબુ અણસમજુ માણસ નહોતા-પ્રોઢ ઉંમરે બીજી વાર લગ્ન કરવા આવ્યા હતા, એટલે છોકરાની જેમ શણગાર સજવા એમને ગમ્યા નહિ. વરની ઉંમર ચાળીસથી ઓછી નહોતી- બલકે ઉપર હતી; ગૌરવર્ણ, જાડું, પહોળું, કૃષ્ણ કનૈયાના ઘાટનું શરીર હતું. અરધી કાચીપાકી મૂછ ને માથામાં ટાલ હતી. વર જોઈ કોઈ હસ્યું, કોઈ ચૂપ રહ્યું. ભુવનબાબુ શાંત, ગંભીર મુખે જાણે અપરાધીની જેમ ચોરીમાં આવી ઊભા. કાન આમળવા વગેરે પજવણી થઇ નહિ. કારણ, આવા સમજુ અને ગંભીર માણસના કાને હાથ અડાડવાની કોઈની હિંમત ચાલી નહિ. ‘શુભદ્રષ્ટિ’ને સમયે પાર્વતી ટગરટગર જોઈ રહી. ઓઠને એક ખૂણે આછી હાસ્યની રેખા આવી ! ભુવનબાબુએ બાળકની જેમ દ્રષ્ટિ નીચે કરી દીધી. ફળિયાની સ્ત્રીઓ ખિલખિલ કરતી હસી પડી. ચક્રવર્તી મહાશય દોડાદોડી કરતા ફરવા લાગ્યા. ઘરડા જમાઈની તહેનાતમાં તેઓ થોડાક હાંફળાફાંફળા થઇ ગયા હતા. જમીનદાર નારણ મુખરજી આજે કન્યાના વાલી તરીકે હતા. ચતુર માણસ હતા- કોઈ પણ પ્રકારે, કોઈ પણ દિશામાં કશી ત્રુટી રહી નહિ. શુભકર્મ સારી પેઠે પાર ઊતર્યું.

*

બીજે દિવસે પ્રાતઃકાળે ચૌધરી મહાશયે એક પેટી ભરી ઘરેણાં કાઢ્યાં. પાર્વતીને સર્વાંગે એ બધાં ઝળહળી ઉઠ્યાં ! માતાએ તો જોઇને છેડા વતી આંખનો ખૂણો લૂછ્યો. પાસે જ જમીનદારની ગૃહિણી ઉભાં હતાં, તેમણે સ્નેહપૂર્વક ઠપકો આપી કહ્યું, “આજે આંસુ પાડી અપશુકન કરીશ નહિ, બહેન.” સંધ્યા પહેલાં થોડી વારે મનોરમા પાર્વતીને એક નિર્જન ઓરડામાં ખેંચી લઇ ગઈ અને આશીર્વાદ આપ્યા, “જે થયું તે સારું જ થયું. આજથી તું જોજે- તું કેટલી સુખે રહે છે.” પાર્વતી જરાક હસીને બોલી, “રહીશ જ, યમરાજની સાથે કાલે થોડોક પરિચય થયો છે ને !” “એ શું બોલે છે રે ?” “વખત આવ્યે બધું સમજાશે.” મનોરમાએ બીજી વાત કાઢી, તે બોલી, “એક વાર મન થાય છે, દેવદાસને બોલાવી લાવી આ સોનાની મૂર્તિ દેખાડું !” પાર્વતી જાણે ચમકીને જાગી, “તું બોલાવી લાવશે, દીદી? એક વખત બોલાવી લવાય નહિ ?” એનો કંઠસ્વર સાંભળી મનોરમા કંપી ઉઠી, “શું કરવા પારુ ?” પાર્વતીએ હાથની ચૂડી ફેરવતાં ફેરવતાં અન્યમનસ્ક થઇ કહ્યું, “એક વાર ચરણરજ માથે ચડાવું- આજે જવાની છું ને?” મનોરમાએ પાર્વતીને છાતીસરસી ચાંપી. બંને જણાં ખૂબ રડ્યાં. સંધ્યા થઇ ગઈ છે. ઘોર અંધકાર છે- દીદીએ બારણું ઠેલી બહારથી કહ્યું, “ઓ પારુ ! ઓ મનો ! તમે બહાર આવો, બહેન !” તે જ રાતે પાર્વતી સ્વામીગૃહે ચાલી ગઈ.