ધરતીનું ધાવણ/18.લોકસાહિત્યની નવી દુનિયા 1

From Ekatra Wiki
Jump to navigation Jump to search


18.લોકસાહિત્યની નવી દુનિયા 1
[‘દાદાજીની વાતો’નો પ્રવેશક : 1927]

બલિ રાજાને ઘેર તે દિવસે પ્રભુ વામનરૂપે પધાર્યા અને ત્રણ ડગલાંમાં એ વિરાટે આકાશ, ધરતી ને પાતાળ માપી લીધાં. માનવીને આંગણે પણ એ જ વિરાટ શક્તિ રોજ રોજ આવીને ઊભી રહે છે : કરોડો વામનોને વેશે : સવા વેંતનાં શિશુઓને રૂપે. પરંતુ આ સૃષ્ટિ એ વિરાટોને સાંકડી પડે છે. એમના મનોરથો આ મૃત્યુલોકની શેરીમાં સમાતા નથી. એમના તરંગો આકાશપાતાળને બાથ ભરવા મથે છે. એમનાં માવતરોને મૂંઝવણનો પાર નથી રહ્યો. રૂપકથાઓ દેશદેશનાં દાદાઓએ અને દાદીઓએ આ દુ :ખ એક જ સરખું અનુભવ્યું. એટલે એમણે પોતાનાં બચ્ચાંઓ માટે નવી નવી, નિત્યનવપલ્લવિત સૃષ્ટિઓ સરજી. એ સૃષ્ટિમાં સંતાનોને રમતાં મેલી દીધાં. મોટેરાંઓ, દુનિયાદારીના ડહાપણદારો, નક્કર સત્યોની સાથે જ રમનારાઓ પણ આ સૃષ્ટિમાં લોભાયા અને તેઓએ પણ રોજરોજ રાત્રિએ, દુનિયાદારીમાં ચોળાયલા સાજ ઉતારી નાખી, કલ્પનાના વાઘા સજી, બાલકોચિત બેવકૂફી ધારણ કરી, આ અનંત ખંડોવાળી દુનિયાની અંદર બાલવિહાર માણ્યો. એ દુનિયા તે આ રૂપકથાઓની અથવા પરીકથાઓની. અને ત્યાં શું શું જોયું? આભમાં ઊડતા આવતા રથો અને પાંખોવાળા ઘોડા : બાર-બાર ગાઉમાં ઝેર પ્રસારે એવા ફણીધરો : વાવકૂવાનાં ઠંડા નીરમાંથી નીકળતી અગ્નિજ્વાળાઓ : માનવીની ભવિષ્યવાણી ભાખતાં ગરુડ-પંખીનાં કે હંસ-હંસલીનાં જોડલાં : હીરાજડિત વીંટીમાંથી ખડા થતા સર્પો : સામસામા અથડાતા જીવભક્ષી ડુંગરાઓ : આપોઆપ પડી જતી દરવાજાની કમાનો : ગુપ્ત વાત કરતાં પથ્થર બની જતી માનવ-કાયાઓ : ભૂતકાળની વાર્તાઓ ભાખતી કાષ્ઠની પૂતળીઓ : અધરાતે છટ્ઠીના લેખ લખવા આવતી વિધાતાદેવી અને ચોરીના માટલા ઉપરના ચિતરામણમાંથી સજીવન બનતા સિંહો : સાત કોટડી માયાવાળા રાફડા ઉપર બેસીને માનવીની ભાષામાં વાતો કરતા, માનવસ્વરૂપો ધરતા સર્પો અને વાવનાં બિલોરી નીરમાં મૃત્યુલોકની રમણીઓની પેઠે જ વિલાપ કરતી ઊભેલી નાગ-પત્નીઓ : સાગરને તળિયેથી ડૂબેલાં વહાણને બહાર કાઢનારા દરિયાપીર અને મરેલાં ભક્તોને જીવતાં કરનારી દેવી કાળકા : દરિયાને તળિયે બેસીને ઈંડાં સેવતાં દેવાંશી હંસ પક્ષીઓ : સર્પોની વિષ-ફૂંકે સળગતી કે અમૃત-ફૂંકે લીલીછમ બની જતી વનસ્પતિઓ : અને મરેલી કાયાના કટકા ઉપર અંજલિ છાંટતાં જ સજીવન કરે તેવા અમીના કૂપા. વિશ્રામસૃષ્ટિ આવા આવા ચમત્કારોથી ભરપૂર એ બાલ-દુનિયા કોને લોભામણી નહિ લાગી હોય? સત્ય-જગતને ખેડતાં ખેડતાં કલ્પના-જગતમાંથી પ્રાણબળ મેળવવું એ તો માનવીની પ્રકૃતિ છે, માનવજીવનનો વિસામો છે. દુકાને ત્રાજવાં તોળનારો, દુકાનીભાર પણ નમતું ન દેનારો, અધરાતના દીવા બાળીને પણ પાઈએ પાઈનો હિસાબ માંડનારો, લાગણી કે ઊર્મિને પોતાના જાગૃત જીવનમાં જરાયે સ્થાન ન આપનારો હાડચામડીનો બનેલો મનુષ્ય પણ ઘડિયાળના કાંટા જેવા પોતાના જીવનક્રમમાંથી વારંવાર કંટાળે છે. આવતી કાલે જ જેની આસામી ધૂળ મળવાની છે એવો મૂડીદાર આજે કોઈ ઈશ્વરી અકસ્માતની આશા નોતરતો હોય છે. આજે જેણે કરોડો ગુમાવી નાખ્યા છે તે આવતી કાલના ગર્ભમાં રહેલી કોઈ માયાવી સમૃદ્ધિના મનોરથો રચે છે. સ્વપ્નમાં એ રૂપિયાની થેલીઓ ઠાલવે છે, તિજોરીઓની ચાવી ખખડાવે છે, મહેલ-મોલાતો ચણે છે. એનેય મનોરથો વિના ન ચાલ્યું. એનેય પોતાનાં આશ્વાસન-આશીર્વાદ અને જગતના રણસંગ્રામમાં ઝૂઝવાનાં જોર કલ્પનામાંથી મેળવવાં પડ્યાં. ત્યારે પછી કુદરતને જ ખોળે રમતાં માયાવિહારી બાળકોનો બીજો શો ઈલાજ? માનવીની મહત્તા અને આ કલ્પના-સૃષ્ટિ શું કેવળ બાળકોના વૈભવની ફૂલવાડી સરખી જ છે? બાળકોની નાજુક કુતૂહલવૃત્તિને બે ઘડી નચાવીને જ શું એની ઉપયોગિતા ખતમ થાય? શું આ અસંભવના ભુવનમાં વિચરતાં બાળકો વહેમી, દરિદ્ર, તરંગી અને સ્વપ્નાધીન બની જાય છે? શું દૈવી કે આસુરી અકસ્માતો વાટે વહી જતી આ કલ્પનાની જિંદગી જોઈ જોઈને બાળકની દૃષ્ટિ દૈવાધીન-પ્રારબ્ધાધીન બની જાય છે? નહીં, એક મત એવો પણ છે કે બાળકોની દૃષ્ટિ તો એ બધી મંત્રમાયાની ઉપર મંડાય છે, એ કુદરતી તેમ જ આસુરી સંકટોની વચ્ચે પોતાની અક્કલ યા ભુજા વાપરીને માર્ગ કાપતાં બહાદુર મનુષ્યો જ બાળકોની આદર્શમૂર્તિઓ બને છે. આ કથાપ્રસંગોના ઘોર જંગલઝાડીઓ વચ્ચે માનવ-શૌર્યના ચમકારા થાય છે. માર્ગ ભૂલીને અઘોર વનમાં મૂર્છાવશ પડેલા રાજાને જોઈ કે અગ્નિના ભડકા ફૂંકતા નાગને જોઈ અંતરમાં ભયનો થડકારો અનુભવનારો બાળક, બીજી જ ક્ષણે જ્યારે મનસાગરા પ્રધાનને તરવાર ઉઘાડીને છલંગ મારતો અને યુક્તિપ્રયુક્તિ યા હાજરજવાબીથી પોતાના મિત્રને સાપના ઝેરમાંથી ઉગારતો નિહાળે છે, ત્યારે તુરત જ એ બાળક સુખનો શ્વાસ મેલે છે, ને પોતે મનસાગરો બનવા તલસે છે. મનસાગરો પથ્થર બની જાય છે તે ઘટનાની કરુણાજનક ભીષણતા, મનસાગરાના મૂંગા બલિદાનની મહત્તા આગળ ઝાંખી પડી જાય છે. વિક્રમરાજાના પેટમાં નાગ પેસી જાય તેનો દુ :ખમય વિચાર, એ આશરા-ધર્મનો બિરદધારી રાજા સાપને ન મારવા માટે કસુંબો ત્યજે એ આત્મભોગના આદર્શ સામે ટકતો પણ નથી. માતા કાળકાની બધી ભૈરવતા એની દયાર્દ્ર વત્સલતાની સામે અને ખાસ કરીને તો છેલ્લી વેળાએ ત્રણેય મરેલાંઓને ચૂંદડી ઓઢાડી સજીવન કરનાર કરુણામય દેવી-સ્વરૂપની સામે વીસરાઈ જાય છે. ફૂલવંતી સતીના ચોધાર વિલાપમાં પોતાનો સૂર મેળવનારાં બાળકો, એ સતીને પોતાના સ્વામીના પગ આંસુડે ધોતી ને ચોટલે લૂછતી ભાળીને ધન્યવાદ ઉચ્ચારે છે; ખૂંધાળી નણંદની ક્રૂરતા પર કે કઠિયારણના ઘાતકીપણા ઉપર સતીના શિયળનું જ્યોતિમંડળ છવાયેલું જુએ છે. કસોટીના મેઘાડમ્બર ઉપર વીર-વીરાંગનાઓનાં બલિદાનનું ઈંદ્ર-ધનુ અંકાયેલું નિહાળી બાળશ્રોતાઓ આ કલ્પના-સૃષ્ટિની ભયાનકતામાં પણ માનવ-આત્માનો વિજય સમજે છે. આ ઘટનાઓમાંથી બાળકો બીકણ બનીને નહિ પણ બહાદુરીનાં પૂજક બનીને નીકળે છે. અને એ સીણાની ખાઈ પાર કરનાર વીરાજી કે મોટાં જંગલો ખૂંદનાર મનસાગરો, જાણે પોતપોતાની વાતો વર્ણવી વર્ણવીને આપણાં સંતાનોને કહેતા જાય છે કે ‘નન બટ ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર’ : સુંદરીઓના હાથ તો શૂરવીરોને જ સાંપડી શકે; સાહસને કંઠે જ સૌંદર્યની વરમાળ શોભે. નવો પ્રવાહ લોકસાહિત્યની આ એક નવી દિશા આજે ખુલ્લી થાય છે. શૂરાઓની ઇતિહાસ-ઘટનાઓને લોકોએ પોતાની વાણીમાં વહેતી કરી, તે આપણે ‘રસધાર’ આદિ ગ્રંથોમાં જોયું. રામાયણ-મહાભારતની પુરાણકથાઓને પણ લોકોએ પોતાની શૈલીના સ્વાંગ પહેરાવી એક કંઠેથી બીજે કંઠે એક જીભને ટેરવેથી બીજી જીભને ટેરવે રમતી મૂકી. વ્રતોની, ઉખાણાંની, રમૂજની, ઠાવકાઈની, પશુની, પંખીની કંઈ કંઈ કથાઓમાં લોક-આત્માએ અનુભવરૂપી દૂધ દોહી લીધાં. તારામંડળો, પક્ષીના સાંકેતિક સ્વરો, પશુઓની કે વૃક્ષોની કંઈ કંઈ વિચિત્રતાઓ, એ તમામની સાથે કોઈ બલિદાનની, સત્યની કે સાદીસીધી માનવ-ઊર્મિની ઘટનાઓ લોકોએ જોડી દીધી તેને ‘કંકાવટી’માં સંઘરેલ છે. અને બીજો એક આખો ઝરો, લોકહૃદયમાંથી ‘લોકગીતો’ને નામે રેલાયો તે ‘રઢિયાળી રાત’ અને ‘ચૂંદડી’નાં છ પુસ્તકોમાં ઠાલવેલ છે. આજ આ નવો પ્રવાહ નીસરે છે. આપણાં અભણ ભાંડુઓને અંતરે સુંદર કલાવિધાનમાં સજ્જ થઈને આ વાર્તાઓ મોટાં મોટાં લોકવૃંદોની વચ્ચે એની સંગીતવાણીમાં લલકારાઈ છે. કેટલાં કેટલાં અટ્ટહાસ્ય, નિ :શ્વાસ, ધન્યવાદ અને અશ્રુબિન્દુઓ એ વાર્તાઓની સજીવતાની સાક્ષી દઈ ગયાં છે! ઇતિહાસ કે હકીકતના કશાયે આધાર વિનાની આ કલ્પિત કથાઓ માનવજીવનના મહિમાની અજરામર ગાથાઓ છે. એ કોણે રચી? કોઈ કર્તાનું નામ એમાં નથી અંકાયેલું; માટે જ એ રચાઈ નથી. કુદરત ધરતીકંપ જગાવીને જેમ ઘાટીલાં નદી-સમુદ્રો, સુંદર ગુફાઓ કે પર્વતો સરજાવે, તેમ લોકજીવનનાં મંથનોમાંથી આ કૃતિઓ આપોઆપ સરજાઈ હશે. જનતાએ મિત્રભક્તિ અને બલિદાનનાં દૃષ્ટાંતો દેખ્યાં : તેનો સંચય કરીને મનસાગરો અને વીરોજી ઘડ્યાં. જનતાએ ઘેર ઘેર શિયળવંતી અબળાઓને સંદેહનો ભોગ થઈને પાપી કુટુંબીજનોથી પીડાતી ભાળી : તે તમામનાં આંસુ નિતારીને એક્કેક ફૂલવંતી સરજાવી. ને ત્યાર પછી એવાં વીર-વીરાંગનાઓની આસપાસ, એમનાં સત્ય, શિયળ કે શૂરાતનને કસવાને માટે, દૈવી કે આસુરી, પશુ કે પંખીની દુનિયા વસાવી દીધી, છતાંયે એ વાર્તાઓની ઉપર દેવ કે દાનવનો, પશુ અથવા પંખીનો, કોઈનો આખરી અધિકાર નથી. એ હજારો ચમત્કારો મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દેતા નથી. એ અસંભવિતતાનું વાતાવરણ માનવીની મહત્તાને મૂંઝવી મારતું નથી. ચમત્કારોને ખસેડી લ્યો, અને તમે એ જ વીર-વીરાંગનાઓને જેવાં ને તેવાં માનવસહજ, જેવાં ને તેવાં શૌર્યવંત, જેવાં ને તેવાં સબળ-નિર્બળ જોશો. ચમત્કાર તો બલિદાનના, પ્રેમશૌર્યના ને શિયળના સેવકો થઈ ભમે છે. પશુપંખીની આત્મીયતા ઊલટું મનુષ્યનો મહિમા તો એ રીતે ઉજ્જ્વળ બની રહ્યો છે. આસુરી તત્ત્વો સત્યધર્મને રિબાવી રિબાવીને આખરે નમી પડે છે. સિંદૂરિયા નાગની ઘટના જુઓ : દૈવી તત્ત્વો તો મનુષ્યના સાહસનાં સાથી બનીને ચાલે છે. વીરાજીની વહારે કાળકા ધાય છે, ને ફૂલવંતીનાં આંસુ નાગપદ્મણી લૂછે છે. પશુપંખીએ તો મનુષ્ય માટે જ સ્વાર્પણ કર્યાં, જાગરણ કર્યાં, માનવજીવનના અભિલાષ પોષ્યા. રાજાની છ ઘાતો બતાવનાર ગરુડ-બેલડી, ફૂલસોદાગરને વૈશાખી પૂણિર્માએ દીકરો દેવાડનાર હંસ-હંસલી કે વિક્રમને અમીનો કૂપો દેનાર નાગ-પદ્મણી : એ બધાં જાણે પક્ષી-જગત અને માનવીજગત વચ્ચેનાં અંતર સાંધી લે છે એકબીજા પરસ્પરને અપનાવે છે. ભાષાવૈભવ આ બધું લોક-રસનાએ જે લોક-વાણીમાં ઉતાર્યું, એ લોક-વાણી જ એને જગત-સાહિત્યમાં કાયમી આસન અપાવી રહી છે. એ લોકવાણીની કલાત્મકતાના નમૂના રૂપે જ અત્રે આ વાતો અસલી શૈલીમાં મૂકી દીધેલી છે. એની સ્વાભાવિકતા, પ્રાસાદિકતા, વર્ણનછટા ને ભાવભરપૂરતા તપાસો : ‘મેઘલી રાત : ઘટાટોપ વાદળાં : ત્રમ! ત્રમ! ત્રમ! તમરાં બોલે છે.’ આટલા ટૂંકા વર્ણનમાં હૂબહૂ ભાવ ખડો થાય છે. ‘સોળ કળાનો ચંદ્ર આકાશે ચડ્યો છે : અજવાળા ઝોકાર છે.’ એટલા શબ્દોની અસર, વાર્તા સાંભળનાર બાળકો ઉપર ઊંડી પડે છે. ‘રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા’ એ શબ્દરચનાની ને એ રૂપકની સચોટતા વિલક્ષણ છે. ‘ધો...મ તડકો ધખી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાં અંગારા વરસે છે. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયાંમાં ઝળેળા પડવા મંડ્યા, ગળે કાંચકી બંધાઈ ગઈ.’ શબ્દો વીણી વીણીને યોજેલાં આ મિતભાષી વર્ણનો આપણને લોકભાષાની કલામય સમૃદ્ધિનું ભાન કરાવે છે. અને જ્યાં જ્યાં એવાં ટૂંકાં ટૂંકાં વર્ણનોની વચ્ચે, અપવાદરૂપે, કોઈ રાજસભાનાં, ઝાડીનાં, સજેલી સુંદરીનાં, શસ્ત્રધારી શૂરવીરનાં, કોઈ યોગીનાં કે ગાંગલી ઘાંચણનાં લાંબાં વર્ણનો આવે છે ત્યાં પણ એના બધા શબ્દાડંબરની અંદર સજીવ પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાનું દર્શન કરાવે છે. એ વાતોમાં નથી ‘કાદમ્બરી’ની એકધારી ક્લિષ્ટતા, નથી ‘અરેબિયન નાઈટ્સ’ની નરી સાદાઈ, કે નથી પૌરાણિક અલંકારોનો ઠઠારો. એ તો નિત્ય નવલ છે, વિવિધતાથી ભરપૂર છે. સગવડ પ્રમાણેનાં ટૂંકાં કે લાંબાં સચોટ શબ્દચિત્રો છે. એ સચોટતામાં પુરવણી કરનારા સ્વરપ્રધાન શબ્દો, જેવા કે — મધરાતનાં ઘડિયાળાં ટણણન ટણણન : ઝળળળળ તેજનાં પ્રતિબિંબ : કીચડૂક કીચડૂક હિંડોળયાખાટ : ઘરરરર આકાશને માર્ગે : ઝકાક, બકાક, ધમ ખરરર ઘોડો જાય છે : કડડડ મેડી હલબલી : ઝાળંધરના જેવી દોમ દોમ સાયબી — એવા સ્વરપ્રધાન શબ્દો કંઠસ્થ વાર્તા-સાહિત્યની વાણીમાં શ્રવણનો વૈભવ પૂરે છે. વસ્તુસંકલના જેવી સજીવતા એના ભાષાપ્રવાહમાં છે તેવી જ સ્વાભાવિક સચેતનતા એની વસ્તુસંકલનામાં ધબકારા કરે છે. ઘટનાઓની પરંપરા પૂરા વેગમાં ધસતી જાય છે. નવા, ન ધારેલા છતાંયે જાણે કે પરસ્પર તદ્દન સ્વાભાવિક રીતે સંકળાયેલા પ્રસંગો એક પછી એક ફૂટતા જાય છે. ને આખરે તમામ છેડા એકમેકને મળી જાય છે. એમાં આલેખાયલાં પાત્રો નિર્જીવ પૂતળાં નથી. એ તો ક્ષણે ક્ષણે જીવનના સાહસમાં ઝંપલાવનારાં ઓછાબોલાં, હસતાં ને રડતાં, ભૂલતાં ને પસ્તાતાં, મૂંઝાતાં ને માર્ગ ઉકેલતાં જીવન્ત માનવીઓ છે. વાર્તાની વસ્તુગૂંથણીમાં મર્મકટાક્ષોના, બુદ્ધિચાતુરીના, ઠાવકાઈના સુંદર પ્રસંગોની ભાત ઊપડતી આવે છે. માટે જ એ આખો જાદુનો નહીં પણ જીવનનો પ્રવાહ છે. જાદુ તો માત્ર નદીના પ્રવાહને બન્ને કિનારે ઊગેલાં લીલા વૃક્ષો કે ગાયન ગાતાં નવરંગી પંખી કે સંધ્યા-ઉષાના ખીલતા રંગો જેવો જ ભાગ આ વાર્તાઓના કિનારા પર લઈ રહ્યું છે. પ્રવાહને એ શોભાવે છે, પોતાના પડછાયાથી રમ્ય બનાવે છે, પણ પ્રવાહને રોકતું નથી. લોકનીતિ લોકનીતિની કેટલીક ભાવનાઓ આ વાર્તાઓ પર અંકાયેલ છે. કસોટીના અગ્નિ સોંસરવી ચાલી જતી એ ફૂલવંતી લોકનીતિની સાચી સીતા છે. પોતાના જ પ્રભાવ વડે રાજાને પરણાવનારો અને છેક શયનગૃહ સુધી પણ જઈને મિત્ર રાજવીને બચાવનારો મનસાગરો લોકજીવનનો લક્ષ્મણજતિ છે. પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ જાગ્યા પછી છ-છ મહિના સુધી એ પરદેશી સ્વામીના જાપ જપતી તેમ જ મિલાપ થયા પછી પણ સ્વયંવરે પરણતી પદ્માવતીમાં લોકદ્રૌપદીનાં પુણ્યદર્શન થાય છે. પોતાનાં વ્રત પૂરાં કરનાર બેપરવા વીરપુરુષ વીરાજીની પાછળ એકલવાઈ અને ઉઘાડે પગે ચાલી નીકળનાર રજપૂત-પુત્રી પણ એ લોકનીતિની પ્રતિનિધિ છે. મુક્ત લહરીઓ અને તેમ છતાં આ લોકનીતિને ગૂંગળાવે તેવું પૌરાણિક પવિત્રતાનું આડમ્બરી વાતાવરણ આ કથાઓમાંથી બાતલ રહ્યું છે. બ્રાહ્મણોનાં ફરમાનો છૂટે તે પ્રમાણે અદબ વાળી આ વીર-વીરાંગનાઓ નીતિની કવાયત નથી કરતાં, શિયળનાં ભાષણો નથી કરતાં, ઘૂમટા કાઢીને મોં નથી સંતાડતાં, પુરોહિતના મંત્રોચ્ચાની વાટ નથી જોતાં. વીરાજીની પાછળ રજપૂતાણી કોઈનીયે રજા લીધા વગર દોટ કાઢે છે, છલંગ મારીને એની પછવાડે ઘોડા પર ચડી બેસે છે, ધુતારાના ઘરમાં પોતાના ગાફેલ પતિને ફિટકાર આપે છે, રાજસભામાં પતિ સામે અભિયોગ પોકારે છે; ને છતાં એટલી જ પતિપરાયણ બનીને લગ્નની પ્રથમ રાત્રીથી માંડીને છ-છ મહિના સુધી એકલવાઈ નિર્જન રાત્રીઓ વિતાવે છે. પદ્માવતી પણ પોતાની મુનસફીથી જ પેલાં પ્રાચીન દેવળો પાસે સાંકેતિક સગપણ કરી લેવામાં પોતાના ધર્મનો લોપ નથી માનતી, કેમ કે એનો ધર્મ કોઈ શાસ્ત્રાજ્ઞાઓમાં નથી, અંતરાત્માની અંદર છે. વીરત્વ એનો ધર્મ છે, વીરત્વને એણે કનકાવતી નગરી શોધી કાઢવાની કસોટીએ ચડાવ્યા પછી જ સ્વયંવર-લગ્ન કીધાં. એ જ રીતે એ સ્વામીભકત મનસાગરો — નાહં જાનામિ કેયૂરમ્ નાહં જાનામિ કુણ્ડલમ્ એવો કશોય શ્લોક બોલવાને બદલે, પોતાના બાંધવને બચાવવા માટે તો છેક મિત્રદંપતીના શયનગૃહમાં સંતાઈને રાણીના ગાલ પરથી ઝેર ચૂસવા જેટલો શાસ્ત્રનીતિનો લોપ દાખવે છે, છતાં એની આંતરિક નીતિ ઉજ્જ્વળ રહે છે. માતાને શરીરે સ્પર્શનાર બાળકનો જ એ મધુર ભાવ હતો. નીતિને એવી ઉન્મુક્ત, સુગંધમય, નિર્મળ લહરીઓ લોકજીવનમાં વાતી હતી. જીવન સ્વાભાવિક માનવધર્મની સુવાસે મહેકતું હતું, શાસ્ત્રધર્મના તાપથી કરમાતું નહોતું. સાત સમુદ્રો વીંધીને દેશાટન કરનારા ફૂલસોદાગરની સાહસિકતાના સરજનહાર એ યુગને ‘સમુદ્ર-ઉલ્લંઘન મહાપાપ’ની પંડિત-સત્તા હજુ પહોંચી નહીં હોય. મનુષ્યો સાહસિકતાની છલંગો ભરતા હશે. એટલા પ્રાચીન સમયથી ચાલી આવતી, અને શાસ્ત્રાજ્ઞાઓના વિધિનિષેધોથી મુક્ત જીવનનું પ્રતિબિમ્બ પાડતી આ વાર્તાઓ માતાઓએ કહી ને પુત્રીઓએ સાંભળી; વૃદ્ધોએ કહી ને યુવાનોએ સાંભળી. કોઈએ કશોયે સંકોચ નથી અનુભવ્યો. હંસારાજા ફૂલસોદાગરને વૈશાખી પૂર્ણિમાએ એની સ્ત્રી પાસે એક પહોર રાત્રી ગાળવા લઈ ગયો, કે ફૂલવંતીનું હૈયું ઉત્તર દિશામાં ઊઘડતાં જ એના થાનેલામાંથી દૂધની ધારા વછૂટી, કે રાજારાણીની છેલ્લી ઘાત વેળાની જે શયન-ગૃહની ઘટના બની, એવી એવી વાતોમાં લોકનારીઓએ કૃત્રિમ લજ્જા નથી બતાવી. એનાથી આપણી માતા-બહેનો ભડકીને ભાગેલી નથી, કેમ કે એ પ્રસંગો કાં તો માતૃત્વના છે, કાં નિર્દોષ દામ્પત્યના છે. અને શૃંગારના હોય તો પણ એ શૃંગાર જીવનના સાચા સ્વાભાવિક અંશરૂપ હતા. વાનગી કલ્પનાને રમાડતી, બલિદાનને પ્રબોધતી, સાહસ, શૌર્ય અને શિયળના લોક-આદર્શો ઊભા કરતી, અને કલાવિધાનથી વિભૂષિત આવી રૂપકથાઓનો મોટો ખજાનો આપણા સૌરાષ્ટ્રના કોઈ કોઈ વૃદ્ધ દાદાજીઓની સ્મૃતિઓનાં ખંડેરો નીચે દટાયેલો પડ્યો છે. કંઈ કંઈ નવી નવી ઘટનાઓનાં એના ગૂંથણકામ છે. એનો લોપ થઈ જવાને હવે ઝાઝી વાર નથી. એના ઊંડાણમાં આપણો વાચક-વર્ગ કેટલો ઊતરી શકે છે તે માપવા નમૂનાઓ આજે રજાૂ થાય છે. આપણા કંઠસ્થ સાહિત્યમાં આ સહુથી પહેલો પ્રયાસ છે. વિક્રમ રાજાની વાતો પણ સોરઠી શૈલીમાં ને સોરઠી ભાવોમાં રંગાઈને બીજે બહાર નથી પડી. બંગાળી રૂપકથાઓ બીજા પ્રાંતો પૈકી બંગાળાએ તો પોતાની રૂપકથાઓને સાંગોપાંગ હાથ કરી લીધી છે. એ કથાઓનાં નિરનિરાળાં પાઠાન્તરોના કંઈ નહિ તો દસેક સંગ્રહો ત્યાં બહાર પડી ગયા છે. અને ‘દાદાજીની વાતો’ માફક, અસલી દાદાશૈલીને આબાદ સ્વરૂપે રજૂ કરનારો સંગ્રહ ‘ઠાકુરદાર્ ઝુલી’ નામનો ગણાય છે. આટલું જ બસ નથી. આ રૂપકથાઓનું સાચું મૂલ્ય તો બંગાળાએ સંશોધનશાસ્ત્રની દુનિયામાં મૂલવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીએ રાયબહાદુર દિનેશચંદ્ર સેનને ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની પદવી એનાયત કરીને, બંગાળાનું લોકસાહિત્ય વિવેચવા માટે ‘રામરતન લાહિરી ફેલો’ તરીક નિયુક્ત કરેલા છે. એ વિદ્વાને આ રૂપકથાઓ ઉપર રસની, સાહિત્યની, જીવનની અને પુરાતત્ત્વની દૃષ્ટિએ જે તલસ્પર્શી વ્યાખ્યાનો અનુસ્નાતક વર્ગની સમક્ષ આપેલાં હતાં, તે વ્યાખ્યાનો ‘ધ ફોક લિટરેચર ઑફ બેંગાલ’ નામના પુસ્તકરૂપે યુનિવર્સિટીએ પ્રગટ કરેલાં છે. બંગાળી રૂપકથાઓનો સંગ્રહ અને આ પુરાતત્ત્વની મીમાંસા વાંચતાં જ્ઞાન થયું કે બંગાળામાં પણ આ-ની આ જ કથાઓ કેટલાં એક પ્રાંતોચિત પ્રસંગાન્તરો સાથે જન્મ પામી છે, અને જનતાની નસોનાં રુધિરમાં રેડાઈ ગઈ છે. બંગાળી રૂપકથાઓ કંઈક વધુ વિશુદ્ધ વિપુલ વસ્તુભરી અને શુદ્ધ સંસ્કારોથી સોહામણી ભાસે છે. ‘ફૂલસોદાગર’ની આપણી રૂપકથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી ‘શંખમાલા’ની ઘટનાઓ મેં આંહીં અપનાવી લીધી છે. એટલું જ બસ નથી. આ મીમાંસાકાર તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ-પશ્ચિમની આ દોલતને એક જ સ્થળેથી ઉદ્ભવેલી બતાવે છે. અને એ પોતે બાહ્ય તેમ જ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળાની જ આ રૂપકથાઓ, પ્રાચીન કાળમાં પરદેશ ખેડતાં આપણાં જહાજોમાં ચડીને, આપણાં મલમલ કે મશરૂની સાથે જ, દેશવિદેશને કિનારે ઊતરી — એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાઈ ને પરદેશીઓને કાને પડી, તેમાંથી એ વાર્તાઓએ ત્યાંના યુરોપી સ્વાંગ સજ્યા ને પછી ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’ને નામે પ્રગટ થઈને યુરોપી રમણીઓ બની પાછી હિન્દમાં આવી!