ધરતીનું ધાવણ/23.સોરઠનો ભક્તિપ્રવાહ 2

From Ekatra Wiki
Jump to navigation Jump to search


23.સોરઠનો ભક્તિપ્રવાહ 2
[‘સોરઠી સંતવાણી’નો પ્રવેશક : 1947]

વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે...હો જી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી, ભજનના વાગે ભડાકા ભારી રે હો જી. મહિના મહિનાની અજવાળી રાત્રિએ, કાઠિયાવાડના કોઈ પણ ગામમાં સૂતા હો, ગહરી નીંદરમાંથી જાગી જાઓ, તો સાંભળી શકશો — વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે હો જી. શબ્દ-સ્વરોના ભડાકા વાગે છે, સામટા સૂરો થંભેલ હવાના શ્યામસાગર પર લહેરાય છે. એ સમૂહ-સ્વરો લયવંતા ને સુમેળવંતા હોય છે. ઢોલક અથવા દોકડ તાલ પૂરી રહે છે. મંજીરાનો મંજુલ રવ એ સમૂહ-સૂરોને મખમલે મઢે છે. ને એ સર્વની પાછળ નેપથ્યમાંથી ટપકતો હોય એવો એક અવિરત નાદ પીઠિકા રચતો હોય છે. એ છે એકતારાનો નાદ. ભજનિકો એને ભાખે છે રામસાગર. કંઠ છે પુરુષ-વૃંદનો — વચ્ચે કોઈ કોઈ વાર નારી કંઠની નાજુક સુરાવળ ટીપને તીણે કંઠે સિંચાય છે. તમારા દિલમાં સાચ્ચે જ કોઈ ભડાકા થાય છે — ‘વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે હો જી’. તેઓ સમરે છે — બાર બાર બીજના ધણીને : નકળંક નેજાધારીને. સર્જનહારને? પરમ આતમતત્ત્વને? સતને? કોને? કોઈ અવતાર ને? સચ્ચિદાનંદને? ખબર નથી. તેઓ સંબોધે છે ‘બાર બીજના ધણીને’ તેમના આરાધ્ય દેવ ‘નકળંક નેજાધારી’નું પ્રતીક બીજનો ચંદ્ર છે, આવું પ્રતીક બીજે ક્યાંય જાણ્યું નથી. સોરઠી ભજન-પરંપરાની એ એક આગવી વિશિષ્ટતા છે. આ ‘બાર બીજના ધણી’ એ પછી તો ફક્ત ‘ધણી’ શબ્દે જ સંબોધાય છે — ભજનનો વેપાર ધણી! તારા નામનો આધાર, કર મન! ભજનનો વેપારજી! પછી તો એ ‘ધણી’ ગુરુસ્વરૂપ ધારણ કરી રહે છે; એનો પાર પમાતો નથી. એની અકળ કળા જણાતી નથી. એ અખૂટ વિસ્મયનો આધાર બનીને આરાધાય છે, ભજનના નવા ભડાકા થાય છે — ગુરુ! તારો પાર ન પા....યો એ જી તારો પાર ન પાયો પ્રથમીના માલિક! તારો હો જી. હાં રે હાં ગવરીના નંદ ગણેશને સમરીએં હો જી. એ જી સમરું શારદા યે માત, આ વારી! વારી! વારી! અખંડ ગુરુજીને ઓળખો જી હો જી! અને એ ‘ધણી’નો એ અખંડ ગુરુનો પ્રભાવ કેવો છે? — હાં રે હાં જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યા જી હો જી! એ જી થંભ વિણ આભ ઠેરાયો રે, આ વારી! વારી! વારી! અખંડ ધણી હવે ઓળખો જી હો જી! વાહ રે ધણી! તમે તો મૂળ વગર પૃથ્વી આકાશને રોપ્યાં, તમે તો થંભ વગર વિરાટ ગગનને ઠેરવ્યું. અખંડ ધણીની સાચી ઓળખ માટે, આ ભજન-ભડાકાની અંદર મથામણ ચાલે છે. લોકસાહિત્યને એક વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ; ગીતો, વાતો, ટુચકા, ઉખાણાં, વ્રતાદિને એનાં ડાળી, પાંદડાં, પુષ્પો ને વિટપો કહીએ, તો ભજનો એનાં આખરી ફળોરૂપી સમજી શકાય. લોકવાણીનો અંતિમ પરિપાક આ ભજનવાણી છે. સંસારની ઝીણીમોટી સકળ માનવોર્મિઓને સંગીતતાલબદ્ધ શબ્દોએ રચનારી લોકવાણી જો આખરી આત્મિક રહસ્ય-મંથનના ભજન-શાખોને ન રસાવત તો એ અધૂરી અધૂરી, આછોતરી, કેવળ સપાટીને જ સ્પર્શીને અટકતી ગણાત, અને જ્ઞાન, અધ્યાત્મ, આત્મતત્ત્વ, એને વેદો, ઉપનિષદો તેમ જ ભાગવત ઈત્યાદિમાંથી દોહીને આ લોકવાણી જો જનસામાન્યને સ્પર્શે તેવા તાલસંગીતના કટોરામાં ન ઉતારત તો પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત. ધણી! તારો પાર ન પા...યો ન પાયો રે પ્રથમીના માલિક! તમે તારો હો.....જી! જનસામાન્યના પ્રતિનિધિ અને જનતાને ખોળે સંસારનાં સુખદુ :ખ, વ્યવહાર લઈને બેઠેલ દેવાયત નામના એક આહિરે કે રબારીએ ઉપલું સ્તોત્ર ગાયું અને ‘અખંડ ધણી’ને ઓળખાવ્યા. ઉપનિષદે કહૃાું : ‘યતો વાચો નિવર્તન્તે’ : લોકસંતે ઝીલ્યું : ‘ધણી! તારો પાર ન પાયો’ : બન્ને એક. ગીતાએ કહૃાું : ‘ઉર્ધ્વ મૂલમધ :શાખ :’. લોકસંતે પડઘો દીધો — જમીં આસમાન બાવે મૂળ વિણ રોપ્યાં હો...જી થંભ વિણ આભ ઠેરાવ્યો, એ વારી! વારી! વારી! આ ઓળખાણો યુગોની જૂની લાગે છે. આ શબ્દો પ્રાકૃત જનના અંત :સ્તલને પહોંચે છે અને કોઈક અગોચર સત્ત્વ ગોચર બને છે. ‘અખંડ ધણી’ સાક્ષાત્ થાય છે. ‘શૂન રે શિખર પર અલખ અખેડા, વરસે નૂર સવાયો, એ વારી! વારી! વારી!’ શૂન્યના (બ્રહ્મરંધ્રના) શિખર પર અલક્ષ્યનો અખાડો આવેલો છે. ત્યાંથી સવાયાં નૂર-તેજ વરસે છે, તેનાં દર્શન વિરલા જ પામે છે. આ ‘અખંડ ધણી’ની ઓળખાણ તો અનેક લોકસંતો કરાવી ગયા છે — કાયાના ઘડનારને તમે ઓળખો રે, રામ અભિયાગતને નરખો રે, રામજીને બનાયા પવન-ચરખો, એ રામ રામ રે જી! જીવો રામ જીવો! જિયાં જુઓ તિયાં સરખો ઈ રામ-ચરખો. દેવળ દેવળ દેવે હોંકારા, પરખું હોય નર પરખો ઈ, રામજીને બનાયા પવન-ચરખો 2 ધૂડના ઢગલામાંય જી જ્યોત જલત હૈ. અંધાર મટ્યો કાળા દલકો એને અજવાળે રામ, અગમ ન સૂઝ્યો તેને ભેદ મળ્યો નૈ એના ઘર કો રામજીને બનાયા પવન-ચરખો. 3 પાંચ તતવ કેરા જી!...જીવો રામ જી! સંચ ચલાય જી એકેય દોય દોય નરખો; પવન-પૂતળી રમે ગગનમાં નૂરતે સૂરતે નરખો — રામજીને 4 કે, રવિ સાબ સંતો....જીવો રામજી સદ્ગુરુ સાચા; મૈં હૂં ગુલામ એના ઘર કો, આ રે કાયાનો ગરવ ન કરશો; ચરખો નહિ આ તો સરખો રામજીને બનાયા પવન-ચરખો. સોરઠિયો સંત રવિસા’બ પૂર્વાવસ્થાનો જાલિમ વ્યાજખાઉ, એક ગામડિયો વાણિયો, એક જ તીવ્ર અનુભવની ચોટે જખ્મી બનીને રહસ્યવાદના મહાપંથે પળે છે; મરમી રવિસા’બ કહે છે — કાયાના ઘડનારને તમે ઓળખો રામજીને બનાયા પવન-ચરખો. પવનના ચરખા આ દેહને ‘જિયાં જુઓ તિયાં સરખો’ કહી, રવિદાસ અભેદનું દર્શન કરે છે : એ દેહના દેવળે દેવળે રામ પોતે જ હોંકારા દે છે. જ્યોતિ જલે છે — પણ ક્યાં? ધૂડના ઢગલામાં : ધૂડનો ઢગલો નથી તો બીજું શું છે આ દેહડી! કાળા તમસમય દિલનો અંધકાર એ જ્યોતિએ મટે છે. પણ એ નિજાત્મજ્યોતને અજવાળે જેને અગમ-સ્વરૂપ ન સૂઝ્યો, તે માનવીને, ‘એના ઘરનો’ — એ અખંડ ધણીના ગામનો પત્તો ન લાધ્યો. તો શું આ બધો ભજનભંડોળ એ કેવળ શૂન-શિખરના અલખ-અખાડામાં, ગગનમંડળની ગોધેનમાં અને જલત જ્યોતમાં જ ઘૂમતો કોઈ ધુમ્મસના બાચકા ભરતો વાણીવ્યાપાર હતો? નહિ. એના પગ પૃથ્વી પર ઠેરાયા હતા. દૃષ્ટિસમીપના વાસ્તવની એને મજબૂત પકડ હતી. જૂઠ, પાખંડ અને પ્રતિમાવાદના હદ છાંડી ગયેલા અજ્ઞાનબંધ પર એ જ બીજચંદ્રની રાત્રિએ ભજન-ભડાકા અફળાય છે. એ વાણી સાંભળતા પ્રશ્ન થાય છે કે આધુનિક કયો સુધારક આથી વધુ ચોટદાર પ્રહાર મૂર્તિપૂજાના અતિરેક પર કરી શક્યો હોત? એ જી, મનષા માયલી જી રે, ગોરખ, જાગતા નર સેવિયેં. જાગતા નર સેવિયેં તુંને મળે નિરંજન દેવ. — મનષા

પથર પૂજ્યે હર મિલે તો મેં બી પૂજું પ્હાડ જી. ઓહી પ્હાડકી ચકી બનત હૈ પીસ પીસ જગ ખાત. — મનષા

માલણ લાવી ફૂલડાં એ ધર્યાં હરિની પાસ જી એ દેવમાં જી સાચ હોય તો કેમ ન આવે વાસ. — મનષા ‘હે મારી આંતરવાસિની મનીષા! મૂર્તિને નહિ, પણ જાગતા નરને સેવીએ, તો જ તને નિરંજન દેવ મળશે. પથ્થરની પ્રતિમામાં જો પ્રભુ હોય તો તો હું સારાય પહાડ પૂજવા તત્પર છું. પણ એ પહાડમાંથી તો ઘંટી બને છે, જેમાં અનાજ પીસી પીસીને જગત રોટી જમે છે. એ પથ્થરમાં જો પ્રાણ હોય તો પોતાની છાતી પર પગ મૂકી પ્રતિમા ઘડનારા શિલ્પીને જ એ દેવ ભક્ષી ન જાત? એમાં દેવત્વ હોય તો એને ધરાતાં ફૂલોની સુવાસ કાં ન આવત?’ મૂર્તિપૂજાની આવી વેધક વિડમ્બના નાથ-સંપ્રદાયના છેલ્લા નવવિધાયક અને લોકસંત ગોરખનાથે ઉડાવી. પણ ભજન-વાણી એકદેશીય નથી. આ ગોરખ, આ દેવાયત, આ રવિ, મોરાર, જેઠીરામ, લાખો લોયણ, એ કેવળ નિરનિરાળી વ્યક્તિઓ નથી. તેમનાં ભજનો એ નોખાનોખા વાદ વચ્ચે વિતંડા માંડતી કૃતિઓ નથી. તેમની વાણીનું એક સમુચ્ચય સ્વરૂપ છે. એ શબ્દોમાં સમષ્ટિનાં આત્મમંથનો સાકાર બન્યાં છે. મહાવૃક્ષની જૂજવી ડાળીઓ, સર્જનહારનાં સ્તોત્રો : ગુરુશરણાગતિનાં અને ગુરુપ્રશસ્તિનાં પદો : ગુરુવિરહ અને પ્રભુવિરહના પ્રેમલક્ષણાત્મક ભક્તિપુકારો : આત્માને ચેતવનારાં ભજનો : મનખાદેહનાં મૂલ્ય દાખવતાં પદો : યોગસાધનાનાં : વૈરાગ્યનાં : બ્રહ્માનંદ-મસ્તીનાં : આગમનાં : અવળવાણીનાં : આખ્યાયિકાઓ : પ્રભાતિયાં : આરાધ : રવેણી : સાવળ : આ બધાં તો એક જ ચૂંદડીના તાણાવાણા છે. એ ચૂંદડી સોરઠી લોકસંત મૂળદાસે ગાઈ છે — સુંદર વરની ચૂંદડી માંઈ છે આતમરામનો આંક વોરો સંતો ચૂંદડી! તપતીરથ મેં બહુ કર્યાં, વ્રત કર્યાં રે અપાર, ભગવત ભવાની બહુ ભજ્યાં, મારે હરિવર વરવાની આશ.

— વોરો રામા ચૂંદડી.

બ્રહ્માએ વણ વાવિયાં ને વીણે ચારે વેદ, સનકાદિકે સૂતર કાંતિયાં, તેને કોઈ ન જાણે ભેદ. — વોરો રે ત્રિગુણ તાણ્યો તાંતણો ને

માંઈ પ્રેમનો રસ પાણ,

નૂતન સૂરત નળી ચાલતી રે,

વણનારા ચતુર સુજાણ. — વોરો રે

વિદુર વ્યાસે રંગી ચૂંદડી ને

શુકદેવે પાડી ભાત.

સદ્બુદ્ધિએ બુટા જડ્યા

ને એની જૂજવી જૂજવી ભાત. — વોરો રે

ગુરુએ ઓઢાડી મને ઘાટડી રે,

ઉપર શ્રીફળ સુંદર ચાર;

નિર્ગુણ સાથે સગાઈ કરી

મારા પુણ્યનો નહિ પાર. — વોરો રે

વિવેકના તો વિવા રચ્યા ને

લીધાં વૈરાગ્યનાં રે લગન,

પ્રભુજી વર પધારિયા રે

મારું મોહે ભરાણું છે મન. — વોરો રે

મન ક્રમ વચને આબરૂ ને

મેં મેલી લોકડિયાંની લાજ;

હથેવાળો હરિ સું ગ્રહૃાો ને

માંઈ છે વાણી તણી વરમાળ. — વોરો રે

રાતો રંગ રહેણી તણો રે

એનો પૂરણ લાગ્યો પાસ;

અનંત જુગે નહિ ઊપટે રે!

વાણી ગાય છે મૂળદાસ
વોરો રે રામા! ચૂંદડી!

ભક્તિરૂપી એ સનાતન ચૂંદડીને સારુ વણ (કપાસ) પ્રથમ બ્રહ્માએ વાવ્યું. ચારેય વેદોએ આ વીણ્યું, સનકાદિક જ્ઞાનવંતોએ સૂતર કાંત્યું. મેં સૂતરના ધાગાને પાણી પાયું પ્રેમરસનું. નૂરતા અને સુરતારૂપી નળીઓ ચલાવીને સુજાણ સંતો એ વણવા શાળ પર બેઠા. વિદુરે ને વ્યાસે એ ચૂંદડી રંગી. શુકદેવ મુનિએ એમાં ભાત પાડી. એ ઓઢીને સંત-વૃત્તિરૂપી કન્યા હરિની સાથે હથેવાળે પરણી. એ ચૂંદડીનો રંગ કદી નહિ ઊપટે. ભક્તિરસની આ ચૂંદડીનો ઉદ્ભવ માત્ર સૌરાષ્ટ્રી નહોતો, ભારતવ્યાપી હતો. ચૌદમી સદીનો એ વિરાટ ચમત્કાર હતો. આગલા યુગોથી ભિન્ન એક વિચારધારા અને વાણીધારા જનતાસમસ્તમાં રેલાઈ ગઈ. દર્શનશાસ્ત્રના પાંડિત્ય પર અને સંસ્કૃત ભાષાના આડમ્બરપૂર્ણ વિલાસ પર એક પ્રહાર થયો — કોઈ કહે ઈસ્લામની અસર, કોઈ કહે ઈસાઈ ધર્મનો પ્રભાવ. પરંતુ આજના અભ્યાસીઓએ પુકારી પુકારીને કહ્યું છે કે ઈસ્લામની તરવારે તારાજ કરેલી ભારતીય પ્રજાના પરાજિત માનસે શોધેલું આ છટકાવાદી, હતાશાયુક્ત શરણ નથી, ખ્રિસ્તી ધર્મની અસરનું પરિણામ પણ નથી. એ તો ભારતીય ચિંતનધારાના સાતત્યવંત વિકાસક્રમની સ્વાભાવિક નવભૂમિકા છે. ‘હિસ્ટરી ઑફ ઈન્ડિયન ફિલોસૉફી’ નામના આઠ ગ્રંથો લખનાર પ્રોફેસર રાનડેનું નીચલું વિધાન નિહાળીએ : “હિન્દી આત્મચિંતનના વિકાસનું પગેરું આપણે ઋગ્વેદકાળના છેક ભળભાંખળાથી આરંભીને, ઈશ્વરવાદ ઈત્યાદિ તુમુલ તત્ત્વવાદ-સંઘર્ષણોમાં થઈને મધ્યયુગના રહસ્યવાદની સંધ્યાવેળા સુધી મેળવ્યું છે. તત્ત્વદર્શનનું વ્યવહારુ પાસું હોઈને આ મધ્યયુગી રહસ્યવાદ એકલો જ, જેઓ દર્શનશાસ્ત્રની જીવનના એક માર્ગે લેખે પરવા કરે છે તેમને સંતોષી શકે તેમ છે. ઉપનિષદકાળથી માંડીને આર્યાવર્તની ફિલસૂફીનો જે ઉત્તરોત્તર વિકાસ થતો આવ્યો છે તેની અંદર એક સામાન્ય રહસ્યધારા નિરંતર વહેતી રહી છે, પણ જ્યારે આપણે ઈસુની બીજી સહસ્રાબ્દીમાં પહોંચીએ છીએ ત્યારે આ રહસ્યવાદનું ઝરણું એક અસાધારણ મહત્ત્વને પામી રહે છે કારણ કે હિન્દના જુદા જુદા પ્રાંતોના મરમી સંતોએ શીખવેલી વ્યવહારુ અધ્યાત્મવિદ્યાનો ઉદ્ભવ આ સહસ્રાબ્દીમાં થાય છે. આપણે જોયું છે કે ઉપનિષદ-ફિલસૂફીનો અંતિમ પરિપાક રહસ્યલક્ષી (‘મિસ્ટિકલ’) હતો, પણ ઉપનિષદોનો રહસ્યવાદ, આ મધ્યયુગી ગૂઢાર્થવાદથી વિભિન્ન હતો. કારણ કે પ્રથમ કહ્યો તે તો પ્રાચીન દ્રષ્ટાઓના તત્ત્વચિંતનનો જ એક જળતરંગ હતો, જ્યારે બીજો કહ્યો તે પાવિત્ર્યે અને ભક્તિએ ભરપૂર હૈયાની નૈસર્ગિક નિષ્પત્તિરૂપ હતો; પાપ અને સંતાપની સમાનતામાંથી એ પ્રભવ્યો હતો અને દિવ્યતત્ત્વમાં વ્યવહારુ અદાથી ઓતપ્રોત થઈ જવાની આરઝૂમાંથી એ ઉદ્ભવેલ હતો. ઉપનિષદનો હતો નિસર્ગપ્રેરિત તાત્ત્વિક રહસ્યવાદ : મધ્યયુગનો હતો આચારનિષ્ઠ ભક્તિપ્રધાન રહસ્યવાદ. ઉપનિષદના રહસ્યવાદમાં વિલક્ષણ તરંગો, અજબ કલ્પનો તેમજ સત્ તત્ત્વ વિશેનાં બેધડક વિધાનો અસંગત નહોતાં; જ્યારે મધ્યકાલીન રહસ્યવાદ એ તો દાર્શનિક ખુલાસાઓને તેમજ કલ્પનોને, સત્ તત્ત્વના વ્યવહારુ ગ્રહણની બાબતમાં, નિરર્થક ગણીને તુચ્છકારનારો હતો. ઉપનિષદોનો રહસ્યવાદ એ તો જનતાના કોલાહલથી વેગળા, મઠોમાં વસનારાં માણસોનો, જેમને સોબત તો કોઈક પોતાના શિષ્યોની જ સાંપડતી તેમનો હતો; જ્યારે મધ્યકાલીન રહસ્યવાદ તો માનવજાતિની આચારનિષ્ઠ ઉન્નતિમાં ઓતપ્રોત બનનારો રહસ્યવાદ હતો અને સાધકનો પાતાનો આત્મિક વિકાસ એ એનો પાયો હતો. ઉપનિષદનો શોધક, માનવીની વચ્ચે, એની આત્મિક અવસ્થાના ઉદ્ધારકાર્યને માટે ઈરાદાપૂર્વક અગ્રેસર બનવા સારુ આવતો નહિ : જ્યારે મધ્યકાલીન સાધકનું કાર્ય તો જનસામાન્યની અંદર, પાપાત્માઓ, સ્ત્રીઓ અને અસ્પૃશ્યોની અંદર — આત્મિક જીવનની થોડી પણ ખેવના કરનારાં, એ જીવનને વિશે ભ્રામક વિચારમાં પડેલા અને ભલે ને અલ્પાંશે પણ જેઓ સંતને ઓળખવાને ઉત્સુક હતાં તેવાં માનવોની અંદર — ભેળવવાનું હતું. ટૂંકમાં એમ કહી શકાય કે ઉપનિષદના રહસ્યવાદમાંથી જ્યારે આપણે મધ્યકાલીન રહસ્યવાદ તરફ વળીએ છીએ, ત્યારે આત્મિક જીવન આપણને મઠોની દીવાલોમાંથી બહાર નીકળીને ચૌટામાં બેઠેલું દેખાય છે.” ઉપનિષદ ભક્તિસાધકવાદ જ મધ્યકાલીન ભક્તિવાદનું મૂળ ઝરણ છે એવું શ્રી રાનડેનું અદ્યતન પ્રતિપાદન છે. ‘હિન્દી સાહિત્ય કા ઈતિહાસ’ના વિદ્વાન લેખક શ્રી રામચંદ્ર શુક્લનું વિધાન આવું છે : “દેશમાં મુસલમાનોની શાસનપ્રતિષ્ઠા થઈ, આંખો સામે મંદિરો તૂટવા લાગ્યાં, અને હિન્દુ જનતાના હૃદયમાં ગૌરવ કે ઉત્સાહને માટે સ્થાન ન રહ્યું, એટલે ન તો તેઓ પોતાની વીરતાનાં ગાન બતાવી શકતા હતા કે ન એ ગાનને વગરલજ્જાએ સાંભળી શકતા હતા. પોતાના પૌરુષને હારી બેઠેલી હતાશ જાતિને માટે ભગવાનની શક્તિ તેમજ કરુણા તરફ ધ્યાન લગાડવા વગર બીજો માર્ગ પણ શો હતો?” શ્રી શુકલના આ વિધાન પર ઉપહાસ કરતા બીજા પ્રખર હિન્દી વિદ્વાન શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી ઉપલા મતનું ખંડન પોતાના ‘સૂર-સાહિત્ય’ નામના ગ્રંથમાં કરે છે અને નિર્ણય આપે છે કે ભારતીય ચિંતનપ્રવાહ સ્વાભાવિકપણે જ આ ભક્તિમાર્ગ તરફ આગળ ધપતો હતો. શ્રી હજારીપ્રસાદ એમના ‘હિન્દી સાહિત્ય કી ભૂમિકા’માં આ મુદ્દાની નીચે મુજબ આલોચના કરે છે : “અંગ્રેજ વિદ્વાન ગ્રિયર્સને આ ભક્તિવાદના મહાન રાષ્ટ્રવ્યાપી આંદોલનને નિહાળીને એવું વિધાન કર્યું કે ‘પંદરમી સદી તેમજ તેની પછીની શતાબ્દિઓનું સાહિત્ય વાંચવાનો મોકો મળ્યો હોય તેવા કોઈપણ મનુષ્યને આ નવી તેમજ પુરાણી ધાર્મિક ભાવનાઓની વચ્ચે પડેલા જબરદસ્ત વ્યવધાન લક્ષમાં આવ્યા વગર રહેશે નહિ. આપણે એક એવા માર્મિક આંદોલનની સમક્ષ આવી ઊભીએ છીએ કે જે આંદોલનના કરતાં વધુ વિશાળ બીજું આંદોલન ભારતવર્ષે કદી જાણ્યું નહોતું. બૌદ્ધ ધર્મના આંદોલનથીયે વધુ વિશાળ આ ભક્તિવાદનું આ મોજું હતું, કારણકે એનો પ્રભાવ આજ પર્યંત મોજૂદ છે. ધર્મ એ આ યુગમાં જ્ઞાનનો નહિ. બલકે ભાવાવેશનો વિષય બની ગયો હતો. અંહીંથી આપણે સાધન અને પ્રેમોલ્લાસ (‘મિસ્ટિસિઝમ ઍન્ડ રેપ્ચર’)ના પ્રદેશમાં પ્રવેશીએ છીએ અને એવા આત્માઓનો સાક્ષાત્કાર કરીએ છીએ, કે જે કાશીની દિગ્વિજવંત પંડિતોની કોટિનો નહિ પણ જેમની સરખામણી મધ્યયુગના યુરોપી સંત બર્નાર્ડ થૉમસ અને સંત થેરીસાની સાથે થઈ શકે છે.” હિન્દી સંસ્કૃતિ-વિકાસના એ વિદેશી નિરીક્ષકે વિશેષમાં લખ્યું કે “વીજળીના ચમકારાની પેઠે અચાનક આ સમસ્ત પુરાણા ધાર્મિક મતોના અંધકારની ઉપર એક નવી વાતે દેખા દીધી. કોઈ હિન્દુ જાણતો નહોતો કે આ વસ્તુ ક્યાંથી આવી. કોઈ એના પ્રાદુર્ભાવનો સમય પણ નક્કી કરી ન શક્યું”. ગ્રિયર્સનને લાગ્યું કે આ તો ખ્રિસ્તી ધર્મને આભારી હતું. શ્રી હજારીપ્રસાદજી આ વિધાનના પ્રતિવાદમાં કહે છે કે આ વાત વીજળીના ચમકારા જેવી અણધારી નહોતી, એને માટે તો સેંકડો વર્ષોથી મેઘાડમ્બરની જમાવટ થઈ રહી હતી. ભલે એનો પ્રાદુર્ભાવ એકાએક બની ગયો. સેંકડો વર્ષોથી જમાવટ પામી રહેલી આ મેઘમાલા કઈ? બૌદ્ધ ધર્મની આખરી પતિતાવસ્થામાં પ્રકટ થયેલો સહજયાન પંથ, જેણે બૌદ્ધ ધર્મને મઠોનાં બારણાંની બહાર કાઢી જનતાના ખાસ કરીને નીચલા થરોમાં રેલાવ્યો; ને સાથે જનતાની વાણી. નાથપંથના યોગીઓ અને સિદ્ધો, જેમાંના મોટા ભાગના સાધકો નીચલા વર્ણોમાંથી ખડા થયા હતા — એમણે પુકારેલો પૌરાણિકો સામેનો બળવો. ન્યાતજાતની ઉચ્ચનીચતા સામેનો વિદ્રોહ. દક્ષિણ ભારતના, જાતિભેદોની જડો વડે જકડાયેલ પ્રદેશમાં ભક્તિપૂર્ણ ઉપાસના-પદ્ધતિને અનુસરવા આલવાર-ભક્તોની પરંપરામાં વૈષ્ણવ આચાર્ય રામાનુજનો ઉદ્ભવ. રામાનુજે વિષ્ણુભક્તિનો આશ્રય લઈને નીચલી જાતિઓને ઊંચી લીધી; વ્યવહારક્ષેત્રે પ્રવર્તતા ઊંચનીચ ભેદોને વણસ્પર્શ્યા રહેવા દઈ, ધર્મક્ષેત્રમાંથી એ ભેદભાવને રૂખસદ દીધી. પ્રભુને ઉપાસવાનો સર્વનો સમાન અધિકાર સ્થાપિત કર્યો. શ્રી રામાનુજની પાંચમી પેઢીએ પ્રકટેલા સુપ્રસિદ્ધ સ્વામી રામાનંદે, ગુરુ સાથે મતભેદ પડતાં પોતાના બુલંદ સંપત્તિશાળી મઠનો લોભ જતો કરી, ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું, અને જનસમસ્તને નવો મંત્ર દીધો કે ભગવાનની શરણાગતિ ગ્રહનારને માટે વર્ણાશ્રમનાં બંધનો વ્યર્થ છે, સર્વે ભાઈઓ છીએ, સર્વે એક જ કોમ છીએ, શ્રેષ્ઠતા ભક્તિથી મપાય છે, જન્મથી નહિ. સંસ્કૃતના પારગામી પંડિત, ઉચ્ચ બ્રાહ્મણકુળના નબીરા અને એક પ્રભાવશાળી સંપ્રદાયના ગુરુ એવા શ્રી રામાનંદે સર્વસ્વનો ત્યાગ કર્યો; દેશી ભાષામાં કવિતાની રચના ચાલુ કરી, બ્રાહ્મણથી ચંડાળ પર્યંત સર્વને રામનામનો મંત્ર દીધો. અને એનો સ્પર્શ થતાં સર્વ કંઈ સોનું બન્યું. એમના શિષ્યોમાં રોહીદાસ ચમાર હતા, કબીર વણકર હતા, ધન્ના જાટ હતા, સેના હજામ હતા, પીપાજી રજપૂત હતા. ભક્તિમાર્ગના મહાથંભ રામાનંદ : ભક્તિ સાહિત્યના મહારચયિતા પણ રામાનંદ : એ રામાનંદનું જ ભક્તિબીજ કબીરમાં રોપાયું. કબીરે બહારવાળાઓ પાસેથી કશું ઉછીનું-ઉધાર લીધું નહોતું. બેશક આ વાત સાચી છે કે કબીરે દક્ષિણ ભારતીય વૈષ્ણવભક્તિની સાથોસાથ ઉત્તર-પૂર્વ ભારતના નાથોસિદ્ધોની મુક્ત વિચારધારા અપનાવી, પશ્ચિમના સૂફીવાદને પણ પોતાનામાં ટપકવા દીધો. કબીરમાં પરિપાક પામેલું મધ્યયુગી મહામાર્ગી ભક્તિવાદનું સ્વરૂપ આમ શુદ્ધ રૂપે ભારતીય હતું. જુઓ એની ભક્તિમાર્ગી કાવ્યધારા, એના દોહા, એની સાખી, એનાં પદ, ચોપાઈ, એની અવળવાણી, એ બધા નાથપંથીઓએ તેમજ સહજયાનના સાધકોએ પ્રયોજેલી જુક્તિઓ શૈલીઓને જ અનુસરી છે એમાં વિલસતી મસ્તી, અજડાઈ, અક્કડપણું, ફક્કડપણું, કઠોર કુહાડાના પ્રહારો — બધાં, ક્યાંક ક્યાંક એ શબ્દશ : પેલા પુરોગામીઓનાં જ છે. એ બધી વિચારધારા ને નિરૂપણપદ્ધતિ શુદ્ધ ભારતીય છે. વિરાટ ભારતીય જનતાને ભીંજવી ગયેલા એ જ મધ્યકાલીન રહસ્યવાદના, આ ગુજરાતી ભજનિકો, નાના નાના પ્રણાલીવાહકો બન્યા. ગોરખનાથ, રામાનુજ, રામાનંદ, કબીર, જ્ઞાનેશ્વર, નામદેવ, જ્ઞાનદેવ વગેરે મધ્યકાલીન સંતો અલગ અલગ પ્રાંતના છતાં પરંપરાદૃષ્ટિએ અભિન્ન એક સંસ્થા કે સંઘસ્વરૂપ હતા. એ રહસ્યવાદીઓની ગૂઢ વાણીને ગુર્જર સાંઈસંતોએ પોતાની ગુજરાતી ભાષાના વાહનમાં બેસારી મઠો તપોવનો અને મંદિરોની બહાર, શ્રી રાનડે કહે છે તેમ, ચોકચૌટામાં લાવી મૂકી હતી. એવું બોલાતું સાંભળ્યું છે કે આ ગુર્જર ભજનકારોમાં નિજનું તો કાંઈ જ નથી. એ તો પેલા મધ્યકાલીનોની, મુખ્યત્વે કબીરની ઉક્તિઓનું ને જુક્તિઓનું અનુકરણ જ માત્ર છે. ના, એ અનુકરણ કે નકલ નથી, મૂળ પરંપરાનો જ, નિજત્વના તૉર પર પ્રવહમાન રાખેલો સાહિત્ય-સ્રોત છે. મધ્યકાલીન રહસ્યવાદ કે જે સમગ્ર ભારતવર્ષમાં છવરાઈ જઈને એક તેમ જ અખંડ સ્વરૂપને ધારણ કરી બેઠો હતો, તેના ગૂઢાર્થ આ ભજનિકો ગુજરાતી વાણીની છાબમાં ઝીલી શક્યા હોય, અદલ ને અસલ સ્વરૂપે, નાદે, છંદે, તાલે ને લયે અપનાવી શક્યા હોય, એ જનસામાન્યને હૈયા-દ્વારે જો એ અસલ રહસ્યવાદની ખુશબૂને મહેકાવી શક્યા હોય, એ પરંપરાને અતૂટ અને અવિચ્છિન્ન રાખી શક્યા હોય, તો તે આપણે માટે બસ બની જાય છે. દૃષ્ટાંત તરીકે

જમીં આસમાન બાવે મૂળ વિણ રોપ્યાં ને થંભ વિણ આભ ઠેરાણાં હો જી અખંડ ધણીને હવે ઓળખો હો જી. — એ દેવાયતભાખ્યા ગુજરાતી બોલ; અથવા નો’તા રે મેરુ ને નો’તી મેદની, નો’તા જે દી ધરતી ને અકાશ રે હાં હાં ચાંદો ને સૂરજ જે દી દોય નો’તાં ધણી મારો તે દી આપોઆપ રે હાં હાં એવી સર્જનહાર-ધણીની સ્વયં ઉત્પત્તિનું ભવ્ય જેસલ-દર્શન; અથવા તો — સરવ વંશમાં નામ તમારું

નામ વિના કોઈ ઠામ નહિ,

જપ જપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો, ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો. — સત અનંત ક્રોડમાં આગેં ઊભા, સમશ્યામેં સાધ કહાયો; કહે ભાણો, હરિ ભીતર ભેદ્યા, જ્યોતિમેં જ્યોતિ મિલાયો. — સત આ ભાણ-વાણીમાં નિરંજનની એકોપાસના, બાહ્ય જપતપ-તીર્થાદિની બેતમન્ના, જ્યોતિમાં જ્યોતિનું મળી જવું એ જ સાચી દશા હોવાની માન્યતા, વગેરે તત્ત્વજ્ઞાન તરવરી રહે છે. ભીતરમાં ભેદાઈ જવું, રૂંધાઈ જવું, નિર્ભય નામનું સુણવું, ઈત્યાદિ વાક્યપ્રયોગો નર્યા પાંડિત્ય અને જ્ઞાન પ્રત્યેનો અભાવ સૂચવે છે. પરમની પ્રાપ્તિ એ ભાણની દૃષ્ટિએ ભીતરનો વિષય છે. ખીમસાહેબ સંત ખીમદાસ તે ભાણસાહેબનો પુત્ર તેમજ શિષ્ય હતો. અનુયાયી લોકો એને ‘ખલક દરિયા ખીમસાહેબ’ કહે છે, તે એવી માન્યતાથી કે ખીમ દરિયાપારના અવતાર હતા. અને એનાં ‘નયનોમાં નૂરનો દરિયો’ દેખાતો. પોતાના પિતાને પોતાના કરતાં રવિદાસ ઉપર વધારે સદ્ભાવ હતો તેથી ખીમનું હૃદય દુભાયેલું રહેતું. પિતા ડાહ્યા હોવાથી કશું બોલ્યા વગર કાળના પરિપાકની રાહ જોઈ બેઠા. આખરે ખીમને પ્રતીતિ થઈ કે રવિ તો યોગમાં તેમજ આંતર દર્શનમાં ક્યાંય ચડિયાતો છે, ત્યારે એનો ગર્વ ગળી ગયો. પિતા તે દિવસે એને પૂરેપૂરા સુજ્ઞ દેખાયા. એનાં પદોમાં ગુરુ પરની શ્રદ્ધાના અને ભીતરના શુદ્ધ યોગની લહેરના ધ્વનિ ગાજે છે. જેમ કે — મુને ભેટ્યા સતગુરુ ભાણ, દિયા મોહર છાપ પરવાના અમરપટા લિખ દિયા અગમરા, ગગન-ઘરમેં જાના; ઝલમલ જ્યોત અખંડ અજવાળાં, ઠીક તિયાં ઠેરાણાં. — મુને એ અખંડ અજવાળું પાથરનાર ઝલમલ જ્યોતના આંતર દર્શન થકી કેવો અનુભવ થયો? — દર્શન દેખી ભયા મન મગના, સહેજે સૂન સમાના, તેનું આગે નૂર નિરખિયા, નહીં મોટા નહીં નાના. — મુને એ જ ભાવ વડે પ્રેરાઈને આ ભક્ત વારંવાર એની એ આતમ-ઓળખાણને વ્યક્ત કરવા મથે છે : કોઈ જુવો ને ગગનાં હેરી, બજે બંસરી ગહેરી.

ગગનમંડલમેં કર લે વાસા, વાં હે જોગી લહેરી, સદ્ગુરુએ મુને સાન બતાઈ, જાપ અજંપા કેરી. — કોઈ જુવો ને

જી રે ગગનાં મંડળ ધૂન જાગી રે, ગડગડ ગડગડ ગગનાં બાજે, બાજે અનહદ તૂરા, લાગ રિયા ઝણકાર ગગનમેં, વરસે નિરમળ નૂરા. — ગગના આ બધી ભાષા આનંદસમાધિની છે. આ ગગનમંડળ, ઝણકારઝાલરી, અનહદ તૂરના નાદ, વગેરે પરિભાષા યોગની હોવાનું કહેવાય છે. આ માનવદેહમાં નાભિથી મસ્તક સુધી છ કમલ છે, અને ધ્વનિ કુલ દસ છે : ખંજરી, વાંસળી, મોરલી, ઝાલરી, ઢોલ, પાવા, મૃદંગ વગેરે. હવે યોગી અમુક કમલ ઉપર શ્વાસ ચડાવે ત્યારે તે દસ માયલો અમુક ધ્વનિ સંભળાય છે, અર્થાત્ અમુક ભવિષ્ય ભાસે છે. કમલ ઉપર શ્વાસ ઠેરવવો એને ‘કમલ ભેદવું’ કહેવાય છે. એ બધી યોગની ક્રિયાઓ અને તેને લગતી પરિભાષા સમજીએ ત્યારે જ આવી વાણીનો સંકેત સ્પષ્ટ થાય છે. દાખલા તરીકે, પાંચ તત્ત્વકા દેવળ બનિયા, તામેં હે દસ દ્વારા, નવ દરવાજે નોહભત બાજે, દસમે મો’લ દિદારા. ઉસ દેવળમેં દેવ બિરાજે, આરતી અખંડ ધારા, ચંદ સૂરજકી જ્યોત જલત હે, ઝિલમિલ નૂર અપારા. મતવાલા જોગી સૂન પર બેઠા, ખેલ રમે ચોધારા, ગગનમંડલમેં રમતા દેખ્યા, ભીતર જોઉં ત્યાં બારા. એવી ભજનવાણીનો શબ્દાર્થ લઈએ તો કશું સમજાતું નથી. પણ આ યોગમાર્ગના સંતોની એ યોગ વિશેની, દેહરચનાને લગતી સંકેતવાણી હોવાનું કહેવાય છે. પરંતુ વધુ સુગમ્ય, અને તેથી વધુ પ્રચલિત, ખીમવાણી તો આ છે : આ રે કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથ પાળા, એ રે ગંગામાં અખંડ નાઈ લ્યો, મત ન્હાવ નદિયું નાળાં,

સંતો, ફેરો નામની માળા.

આ દિલ અંદર બુદ્ધિસમુંદર, ચલત નાવ ચોધારાં, એ રે નાવમાં હીરા માણેક હે, ખોજે ખોજનહારા. — સંતો અથવા એ જ ભાવના : તપ તીરથ ઓર દેવી દેવતા, વેર કુરાન વિસ્તારા, પીર પેગમ્બર સિદ્ધ ઓર સાધક, ઈ ઉરલા વહેવારા. —

કોઈ સરજનહારા ન્યારા.

એવાં એવાં પદો મૂર્તિપૂજા, તીર્થયાત્રા, બાહ્ય ક્રિયાઓ આદિની સામે બંડ પોકારે છે; અને ‘ગુરુગમ ખોજો રે ઘટ માંહી’ એ ધ્વનિ વારંવાર ઉલટાવી ઉલટાવીને પ્રજાને અંતર્મુખ થવા પ્રેરે છે. ખીમની વાણીએ કબીરજીના ઉદાર તત્ત્વબોધને એ પ્રકારે ઠીક ઠીક જોર દીધું છે. રવિસાહેબ શ્રી ક્ષિતિમોહન સેનના વ્યાખ્યાનમાં મીરાંબાઈના ગુરુનું નામ ‘રવિદાસ’ આપેલ છે. મને લાગે છે કે કદાચ અનુવાદની જ આ ભૂલ છે. મીરાંબાઈના ચમાર જાતિના ગુરુ ‘રઈદાસ’ નામે કાશી તરફ, અને આપણે ત્યાં ‘રોઈદાસ’ નામે સુપ્રસિદ્ધ છે. એ સૌરાષ્ટ્રમાં સારી પેઠે રહી ગયા મનાય છે. ગીરકાંઠાના અગતરાઈ નામે ગામમાં રોઈદાસ ચમારનો ચામડાં ધોવાનો ચમત્કારી કુંડ અત્યારે બતાવવામાં આવે છે. અને એના નામે ચડેલા અન્ય પરચાઓ ગામોગામ જાણીતા છે. મીરાં-રોઈદાસનો સબંધ સૂચવતું એક સોરઠી ભજન પણ ગવાય છે : એ જી તમે મારી સેવાન શાલિગરામ!

મીરાં, તમે ઘેર જાવ ને!

તમે રે રાજાની કુંવરી ને અમે છૈયેં જાતના ચમાર, જાણશે તો મેવાડો કોપશે ને ચિત્રાડો ચોંપે દેશે ગાળ;

મીરાં, તમે ઘેર જાવ ને!

કાશી રે નગરના ચોકમાં રે ગુરુ મને મળ્યા રોઈદાસ,

મીરાં, તમે ઘેર જાવ ને!

આ રોઈદાસ ચમાર સંતથી રવિદાસ (કબીરપંથી રવિસાહેબ) તદ્દન જુદા છે. પોતે જ પોતાના પદમાં ગાયું છે કે — વારાહી શહેર લોહર વંસ, પ્રગટે ભાણ ટાળણ ફંસ, વાકા બાળક રવિદાસ, અનભે કથ્યો દૃઢ વિશ્વાસ. એ તણછા ગામના વ્યાજખાઉ, રક્તશોષક વાણિયાને ગુરુ ભાણના પ્રતાપે પોતાનાં પાપકર્મ ઉપર ધિક્કાર ઊપજ્યો અને — રવિદાસ રંગ લાગિયા, અખંડ જ્યોતિ અપાર

દિલ ખોજી દેશી મળ્યા, પ્રેમ ઉદાસી જન રવિરામ વિછડે નહિ, જેવું જલ સેતી મીન. એવો વૈરાગ્યનો પાકો રંગ લાગી ગયો, એને લાગેલી પ્રભુલગની જે અનેક ભજનોમાં ઉચ્ચારણ પામી છે, તે ભજનો આજ સુધી સમસ્ત ભજન-સાહિત્યનાં શિરોમણિ મનાયાં છે. પ્રથમ તો પોતે પોતાના આતમદર્શનને સારુ વાણી શોધવામાં જ મૂંઝવણ અનુભવે છે — કાઈ કેહંદા રે, કહત ન આવે મોઈ! દેખે વાંકુ વાચા નહિ, વાચા દેખત નાંહિ; ગૂંગેકી ગત ગૂંગા જાને, સમજ સમજ મુસકાઈ. — કોઈ સૂરેકી ગત સૂરા જાને, કાયરકું કલ નાંઈ; કથણી બકણી કામ ન આવે, આપ મે આપ સમાઈ. — કોઈ મરજીવા સો મોતી લાવે, ઉપર રહે સો તારા; ધીકા સ્વાદ હીંજીભ્યા જાને, કયું કહે મીઠા ખારા. — કોઈ કહે રવિરામ ભાણ પ્રતાપે, ઈગમ અગમ અપારા; લૂણકી પૂતળી ગિર ગઈ જળમાં, કયું કર નિકસે બારા. — કોઈ આ પદ રવિદાસનું લાક્ષણિક છે. ભીતરમાં અનુભવાતી આતમલહેરને એ વાણીથી પર માને છે. ‘યતો વાચો : નિવર્તન્તે’ના સૂત્રને આ લોકસંત લોકવાણીમાં વ્યક્ત કરે છે : કોઈ કહો રે કહો, મને કહેતાં નથી આવડતું, દેખે છે તેને વાચા નથી, અને વાણીના બબડાટ કરનારને એ દર્શન નથી : મૂંગું માનવી પોતાના મનોનુભવને પોતે એકલું એકલું જ સમજીને મૂંઝવણ અનુભવે છે; શૂરવીર પોતાના શૌર્યના તનમનાટો એકલો પોતે જ સમજે છે; ભીરુને એ સુખાનુભવ ન હોય; જીભ બિચારી ઘીના સ્વાદની લજ્જત લઈ શકે છે પણ એ સ્વાદ કેવો છે તે કહી શકે શી રીતે? એ બધું તો નિમકની પૂતળી જેવું છે. એક વાર પાણીમાં ઓગળી ગયા પછી એ બહાર નીકળી શકતી નથી. બ્રહ્મજ્ઞાનને વિશે આત્માનું નિમજ્જન પણ એવા જ પ્રકારનું છે. સાચી આનંદસમાધિ તો એકલ અનુભવનો જ વિષય છે — મેં માનુની રે મેં ભેદન પરિહાર! મેં પનિહારી રામકી, છીલર જળે ન ન્હાઉ. પડદાતોડ પિયાળે પહોંચુ, નિરમલ જલ ભરી લાઉં. — મેં આમ સાચા પ્રભુરસનો શોધક (‘સીકર’) પોતાને ‘રામની પનિહારી’ કહી ઓળખાવે છે, અને છીછરાં નીરમાં નાહતાં છેક પાતાળના પડદા તોડી નિર્મળ નીરની હેલ્ય ભરી લાવવાના કોડ દર્શાવે છે. પોતાની આ મનોદશાને રવિદાસ વારંવાર — રવિરામ ગેબી ગુલતાના, પતિવ્રતા પટરાની

મેં પતિવ્રતા નાર પિયાકી, બાહેર કબહુ ન જાઉં

રવિદાસ પતિવ્રતા પિયુકી, સ્નેહ સુતરિયે જોડ્યા એવી એવી પંક્તિઓમાં વ્યક્ત કરે છે. મીરાંબાઈના સખીભાવ કરતાંય વધુ સુગમ એવો પત્નીભાવ અથવા સુંદરીભાવ આ સંત કવિએ પોતાનાં અનેક પદોમાં આલેખ્યો છે. જેમકે — વાલપણાની વાતડી, કેવાય નહિ ક્યાંઈ રે, ગૂંગાહંદી ગોઠડી, સમજી રેવું મન માંઈ રે. ચંદન મલ્યાગર રૂખડું, આપે રહ્યું છુપાઈ રે, છત એની છાની નહિ રહે, સુગંધી શીતળાઈ રે.

— વાલપણા

ઓચિંતા પિયુને પકડિયા, રાખ્યા નેનુંમેં છુપાઈ રે. રવિદાસ હરિની સુંદરી, પિયુ મારો અળગો ન જાઈ રે.

— વાલપણા

રવિદાસની વિવિધતાભરી અને પ્રચુર વાણીમાં પણ ક્યાંયે કોઈ સાંપ્રદાયિક ઉચ્ચાર નથી. એને તો કેવળ નિરંજન નિરાકાર અને અનામી જ્યોતિનાં આંતરદર્શન થયાં છે, તેના ઉપર એ વારંવાર ભાર મૂક્યા કરે છે — સંશય સરવે સમાઈ ગિયો, વિશ્વાસે વરોળું; રવિરામ બ્રહ્મ અગાધમાં કરે ઝાકમઝોળું. સતગુરુ સાથે ગોઠડી, બીજાસેં નહિ બોલું. એ રીતે રવિનાં તમામ પદો અંતર્મુખ બનવાની જ હાકલ કરે છે : બોલે છે માંઈ એકતારો એકતારો. માંઈ હેરે હેરણહારો. — બોલે છે

માઈ ભભકું દિયે તેને ભાળો. — બોલે છે તે સિવાય સીધો નીતિધર્મનો ઉપદેશ કરતાં પદો પણ એમનાં ઘણાં છે. પાખંડ ઉપર એમણે ખૂબ પ્રહારો કરેલ છે. ‘ચડી ખુમારી ન ઊતરે’, ‘આઈ પ્રેમ કેરી લહેર’ એવી ‘ખુમારી’ રવિને પ્રિય છે. એનો બીજો પ્રિય શબ્દ છે ‘અનભે’. ‘અનભે’ એટલે નિર્ભયતા : ભયનો નાશ. જ્ઞાનીપણાનો ગર્વ રવિદાસને કડવો ઝેર જેવો લાગે છે. નરભેરામ નામના એક મહાજ્ઞાની પુરુષની ખ્યાતિ એમને કાને આવેલી. મેળાપ કરવા બહુ મન હતું. ઘણી ઘણી વાર નિમંત્રણ મોકલેલ, પણ જ્ઞાનગર્વી નરભેરામને આ ભજનો ગાનાર સાધુડા પ્રતિ તિરસ્કાર હતો. ગિરનારના મેળામાં રવિસાહેબ પોતે એને મળવા આવ્યા, પણ મેળાપ ન થઈ શક્યો. પછી રવિસાહેબ ખાસ મળવા સારુ નરભેરામના વતન કચ્છ - અંજારમાં ગયા, અને જ્ઞાનપિપાસા છિપાવવા વિનંતી કરી. ગુમાની નરભેરામે પાણીનો લોટો ભર્યો. લોટો બતાવીને મૂંગી સમશ્યા કરી કે ‘હું આ ભરપૂર લોટા જેવો જ્ઞાનપૂર્ણ છું’. આના પ્રત્યુત્તરમાં રવિસાહેબે હસીને સાકરના થોડા ગાંગડા લઈ લોટામાં નાખ્યા. સાકર ઓગળી ગઈ એટલે રવિએ કહ્યું : ‘ગુરુ નરભેરામ, હવે ચાખી જુઓ. આ છલોછલ લોટામાં કશું સમાઈ શક્યું છે કે નહીં?’ પ્રસંગનો ધ્વનિ એ હતો કે પરિપૂર્ણ જ્ઞાન પણ અધૂરું ને લૂખું છે, એમાં પણ પ્રભુરસને સમાઈ જવાનો અવકાશ છે. નરભેરામ જ્ઞાની પોતાના ઘવાયેલા અભિમાન સાથે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. રવિસાહેબનું મેળાપ વિષેનું માર્મિક પદ આ રહ્યું : નિજ જ્ઞાની નરભેરામ, તમને રવિ કરે પ્રણામ, તમારી વાણીમાં બહુ વા’લ, એવી શુદ્ધ ચાલજો ચાલ. — નિજ મળ્યા હતા ગિરનારને મેળે, બેઠાં રતી ન ફાવ્યું, વરતિ ઠરી નહિ વણ નેઠે, ચરચાનું સુખ ના’વ્યું. — નિજ ઉતાવળા અંજારે આવ્યા, મન મળવાને તરસ્યું, જાણ્યું, હેતે હરિજન સાથે મનની વાતું કરશું. — નિજ વેદ સંતમુખ એમ કહે છે, શ્રીમુખ બોલ્યા સાવું, સતિ સનેહી કાને સાંભળી તુરત ત્યાં કે જાવું. — નિજ આ કળજુગનું કારણ એવું માને માન બૂડ્યાં, આવરણમાં અંજાઈ ગિયા, અનુભવ ન ફળે ઊંડા. — નિજ પ્રેમ શુદ્ધ પરગટિયો જેને, હિરદા ચક્ષુ ખૂલી, ગોપી ગોકુલની સબ સખિયું દેહી દશા ગઈ ભૂલી. — નિજ વગરે પંક્તિઓ જ્ઞાનથી ચડિયાતે દરજ્જે શુદ્ધ પ્રેમને તેમજ હૃદયચક્ષુને મૂકે છે. પરંતુ રવિસાહેબને પોતાને પણ હજુ બાહ્ય જગતનો થોડો મોહ રહી ગયો હતો. એ મોહાવરણ ભેદ્યું લીંબડીના સંતકવિ મીઠા ઢાઢીએ. ઢાઢી એ ઘણી ઊતરતી પંક્તિની મુસલમાન કોમ છે. એ લોકો રાજરજવાડાંની બિરદાવળ ગાવાનો ધંધો કરે છે. પરંતુ મીઠાએ તો — કાંધ રવાજ કરી ગઢપત કોઈ ગાયો નહિ, ઢાઢી! ધ્યાન ધરી મોહન લડાવ્યો તેં મીઠિયા! અર્થાત્, ખભે રવાજ નામનું વાદ્ય લઈને કોઈ ગઢપતિ (રાજદરબાર)ની ખુશામતો ન ગાઈ પણ મોહનને — પ્રભુને — ભજનો ગાઈને લાડ લડાવ્યાં. એવા એ પ્રભુભક્ત મીઠા કવિએ રવિસાહેબનાં પદોનો ઉત્કૃષ્ટ પ્રેમરસ ચાખ્યો હતો. પોતાને રવિનાં દર્શનની ઘણી પ્યાસ હતી. એવે એક દિવસ એણે સાંભળ્યું કે રવિસાહેબ તો એનાં ત્રણસો સાધુડાંની મંડળી લઈને વૃંદાવન રાસલીલા જોવા જાય છે! મીઠાને અતિ અચંબા સાથે આઘાત લાગ્યો. રવિ સરખાનેય શું હજુ વૃંદાવન સુધી રાસલીલા જોવા જવાનું બાકી રહ્યું છે? લીંબડીને પાદર ઊતરેલા રવિની સમીપે જઈને એણે ભજન ઉપાડ્યું કે હે રવિ! સાચી કૃષ્ણબંસી તો ભીતરમાં, અંતરના વૃંદાવનમાં વાગી રહી છે : બંસરી વાગી રહી બનમાં સુરતા લાગી રહી સૂનમાં. ત્રણ ભુવન રણુંકાર અધર ધુન વચન સુણાયો, સોહં વચનકી માંય બ્રહ્માએ વેદ બનાવ્યો, ઈ વેદમાં ભેદ છે, સમજે તે નર સંત, ઓર સકલ પરપંચ હે, તમે મત ભૂલો ગુણવંત.

— બંસરી વાગી રહી બનમાં.

સુણ બંસીકો નાદ વિવેકકો વધે વધારો, ટળશે દેહ અભિમાન, અંતરનો મટે અંધારો. હુવા અંજવાળા ગેબકા વણ ચંદે વણ સૂર, રોમેરોમે રંગ લાગી ગિયો, નખશિખ પ્રગટ્યાં નૂર.

— બંસરી

થિયો આનંદનો ઓધ, પ્રેમની લાગી તાળી, કર્યાં સંતનાં કામ, બડે બડે કુંજવિહારી. આ બંસીકી બીચમેં મોહ્યા સકલ સંસાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ મોહિયા, કહેતા ના’વે પાર.

— બંસરી

મેં નિજ નામી, નામ પર સુરતાધારી ઉલટ અજંપા માંય, ખુલ ગઈ બ્રહ્મકી બારી. અણી અગરની ઉપરે નર પોઢ્યા નિરધાર, ઝળહળ તિયાં જ્યોતું જલે, ઝીણો હુવો ઝણકાર.

— બંસરી

એ બંસી શ્રીકૃષ્ણકી, ફેર રચાયો શે’ર, મીઠો ભગત કે’ મોરી કરી લ્યો, નહિ પ્રીત નહિ લેર.

— બંસરી

આ પદ સાંભળ્યા પછી રવિસાહેબ વૃંદાવન જતા અટકીને પાછા વળ્યા હતા એમ કહેવાય છે. મોરારસાહેબ રવિનાં પદોનો ઊંડો પ્રભાવ છેક મારવાડની મરુભોમમાં જઈ પહોંચ્યો. મરુભોમના થરાદ નામે રજવાડાના યુવાન રાજકર્તા માનસિંહજીએ રવિદાસના ભક્તિરસે સિંચાઈ જઈને લગ્નજીવનમાં પડવા ના કહી. વિધવા માતાને એમણે સમજ પાડી કે ભીતરમાં પોતે રવિની હાકલ સાંભળી છે. વૈરાગ્ય લઈને ચાલી નીકળવાના પોતાના ઊંડા મનોરથ એમણે માતા કને આ રીતે ગાયા : મૈયા મારો મનવો હુવો રે વિરાગી, મારી લે’ તો ભજનમાં લાગી રે,

મૈયા, મારો મનવો હુવો રે વેરાગી.

સંસાર વેવાર મને સરવે વીસરિયો, બેઠો સંસારિયો ત્યાગી રે. — મૈયા કામ ને કાજ મુને કડવાં લાગે, મારા મનડાની મમતા લાગી રે. — મૈયા મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો, માંહી મોરલી મધુરી ધૂન વાગી રે. — મૈયા રાજ મોરારને રવિ ગુરુ મળિયા, ભગતી ચરણની માગી રે. — મૈયા કહેવાય છે કે વૈરાગ્યમાં ગળી પડેલ એ રાજપુત્રને માતા પોતે જ રવિદાસ પાસે તેડી ગયાં અને જામનગર શહેરમાં રવિની પાસે ભેખ અપાવ્યો. ભેખધારી માનસિંહજીનું નામ તે દિવસથી મોરારસાહેબ પડ્યું, અને ગુરુ-આજ્ઞાથી અમણે જામખંભાળિયા નામના ગામમાં જગ્યા બાંધી. મોરારસાહેબનાં પદોમાં નવીનતા નથી, પૂર્વપુરુષોને પગલે જ એમની વાણી વિશેષ કારુણ્યવાળી બનીને વહે છે. એમણે પણ જીવતાં જ મૃત્યુસમાધિ લીધી હતી. સંવત 1905માં એ સમાયા હોવાનું કહેવાય છે. ભાણથી માંડીને મોરાર સુધીની ત્રણ પેઢીમાં આ કબીરપંથીઓએ નીચા ગણાતા વર્ગોમાંથી માત્ર બે સંતો નિપજાવ્યાનું જણાય છે. એક હતા ખીમસાહેબના શિષ્ય ત્રિકમ, અને બીજા મોરારના ચેલા હોથી. ત્રિકમ ‘ઢેઢગરુડા’ની અસ્પૃશ્ય કોમમાંથી આવ્યા, ને હોથી મુસલમાન હતા. સંત હોથી નેકનામ ગામના સંધી મુસલમાન સિકંદરના એ પુત્ર થાય. મોરારની ભજનમંડળીમાં એમની ઊઠબેઠ વધતી ગઈ, તેમ તેમ એમના પિતાને અત્યંત આઘાત થતો ચાલ્યો કે, જુવાન દીકરો તરવાર-બંદૂકને બાંધવાને બદલે તંબૂરા વગાડવામાં લપસી પડ્યો. બાપે બેટાને નમાલો નમાલો કહી નિત્ય મહેણાં દેવા માંડ્યાં, પણ હોથીને રામતાળી લાગી ગઈ હતી. એમણે હિન્દુ-મુસલમાન ધર્મોના ભેદ ટાળ્યા હતા. પછી એકવાર મોરારનું ભજનમંડળ ઢેઢવાડે બેઠક કરવા ગયું. સિકંદરે હોથીને અંત્યજોના વાસમાં જતો રોકવા બહુ કહ્યું, છતાં હોથી ગયો, ને મોડી રાતે મંડળ વીખરાયું ત્યારે રસ્તે ચાલ્યા જતા લોકોને મોંએથી સિકંદરે ઘરમાં બેઠાં બેઠાં તારીફ સાંભળી કે ‘વાહ! હોથીનું ગળું ક્યાંય થાવું છે! શાં દિલભેદક ભજનો ગાયાં હોથીએ!’ કહેવાય છે કે પિતાને આ પ્રશંસાનો એટલો મર્માઘાત થયો કે એણે અફીણ ઘોળ્યું, અને પુત્રને કહ્યું, ‘કાં તો તું પી ને કાં હું પીઉં; કેમ કે આવું બદનામ જીવતર સંધીની કોમમાં હવે નથી સહેવાતું’. ‘તમે શીદ પીવો, મારે જ પીવું જોવે’ એમ કહીને હોથી વિષપાન કરી ગયો, અને ઓરડો બંધ કરી કામળો ઠાંસી સૂઈ ગયો. પણ પરચામાં શ્રદ્ધા ધરાવનારી જનતા કહે છે કે રાતે પણ ઢેઢવાડાની ભજનમેદની ચાલુ હતી ત્યારે શ્રોતાઓ હોથીની ભજન ગાવાની હલક વખાણતા વખાણતા નીકળ્યા, અને પિતાએ તપાસ કરતાં હોથીની હાજરી ઓરડામાં સૂતેલ દેહે, અને ઢેડવાડે કીર્તન ગાતો જાગ્રત હાલતમાં, એમ બન્ને સ્થળે દીઠી. પિતા પગમાં પડી ગયો. એ તો ગમે તે હો, તોપણ સંત હોથી જીવ્યા અને ‘દાસ હોથી’ના નામચરણથી અંકિત અનેક ભજનો રચી ગયા. પોતાના ‘સતગુરુ’ પ્રત્યેની અહેસાનમંદીનાં પદોમાં એમનું અંતર આર્દ્ર બની વહ્યું છે : ઘણા દિવસ મન મસ્તાનું ફરતું રે

ઘર નવ જોયું જાગી રે,

પુરુષ મળ્યા મને અખર અનિતા

સુરતા સુનમાં લાગી રે,
તેણે મારી ભે ભાગી રે ભે ભાગી.

સતગુરુ મુજ પર કરુણા કીધી રે

અંતર પ્રેમ પ્રકાશી રે,

દાસ હોથીને ગુરુ મોરાર મળિયા રે

કાટી જનમ કેરી ફાંસી રે,
તેણે મારી ભે ભાગી રે ભે ભાગી.

ભય ભાંગી ગયો યમદૂતનો, અને પુનર્જન્મનો ફાંસલો ટળી ગયો, એ એમનું તત્ત્વજ્ઞાન છે; અને ભાવભીની ભક્તિ વગરની લૂખી જ્ઞાનબુદ્ધિને, ભક્ત હોથી ‘દુબધ્યા’ (દુર્બુદ્ધિ) કહી ઓળખાવે છે, નરી બાહ્ય ધર્મક્રિયાને ધિક્કાર આપે છે : દિલડામાં દુબધ્યા, ભીંતર ન ભીંજ્યા રે પીર થઈને પુંજાવે રે, ગુરુગમ ક્યું પાવે, ક્યું પાવે. ભક્તિ તો ભાવ વિના નવ આવે રે — ગુરુગમ ક્યું પાવે, ક્યું પાવે. ઉપલા ભજનમાંનો ‘દુબધ્યા’ શબ્દ સોરઠી ભજનોમાં લૌકિક ફિલસૂફીનો પારિભાષિક શબ્દ બની ગયો છે. શાસ્ત્રોના વાદવિવાદ અને શાબ્દિક બ્રહ્મજ્ઞાનની ઠેકડી કરતો દાસ હોથી ભાખે છે કે — આતમ ચીન્યા વિના કથણી કથે રે, કૂડાં બ્રહ્મ ગન્યાન, ભક્તિ તણો જેને ભેદ ન લાધ્યો રે, મેળે ઢૂંસાની પરાણ, વાદ તો વદીને રે, કાઠે છે હડિયા હડી, આ રંગ શેનો રે, બીબે બીજી ભાત પડી. આ પદમાં ‘મેળે ઢૂંસાની પરાણ’ એ લોકભાષાનો લાક્ષણિક અને ચોટદાર પ્રયોગ છે. ‘પરાણ મેળવી’ એટલે દોરડું વણવું. દાણા ઉપરનાં ઢૂંસા (ફોતરાં)માંથી નહિ પણ રેસામાંથી જ વળ ચઢાવીને રસી વણાય છે, તે રીતે વાદવિવાદમાંથી બહ્મજ્ઞાન નથી મળતું, અંત :કરણની ભક્તિ વડે લાધે છે. આમ ‘દાસ હોથી’ની કાવ્યવાણી આગળના સંતોની રચના કરતાં વધુ સીધી, નિરાડમ્બરી ને પરિણામે વેધક છે; ને જોઈ શકાશે કે બીજાં પદોની માફક આ મુસ્લિમ સંતના ઉદ્ગારોની પણ વિશિષ્ટતા એ છે કે એમાં અનામી એકોપાસનાનો જ બોધ છે, ઈશ્વરનાં કશાં નામવિશેષ આવતાં નથી. પંથ-સંપ્રદાયનો ઈશારો પણ નથી, તેમજ હિન્દુ પૌરાણિક કથાઓને કોઈ ઘટનાનો, દેવ-દેવીનો કે વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી. ત્રિકમસાહેબ ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા જે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા સંતોનો સમુદાય, તેનો આરંભ આ ત્રિકમસાહેબથી થાય છે. આદ્યપુરુષને હંમેશા સહેવી પડતી સતામણીના ભોગ આ ત્રિકમસાહેબ પણ થઈ પડ્યા હતા. રામવાવ નામે ગામના ઢેઢ-ગરુડા (ઢેઢ લોકોના ગોર) જાતિમાં જન્મીને એમણે રવિસાહેબનો ગુરુમંત્ર લીધો હતો. રવિએ પોતે એમના પ્રતિ કેવું વર્તન રાખેલું તેનો તો કોઈ કિસ્સો જડતો નથી, પરંતુ રવિ જ્યારે શિષ્યમંડળને લઈ સોરઠમાંથી કચ્છ જતા હતા, વચ્ચે દરિયો પાર કરવાનો હતો, ત્યારે ત્રિકમની આભડછેટ બેસે તે કારણે એ બિચારાને સાધુઓએ પાતાના મછવામાં બેસવા દીધા નહોતા. બીજો મછવો પણ એ અસ્પૃશ્યને બેસારે તેમ નહોતું. એમને કહેવામાં આવ્યું કે ‘ત્રિકમ, તું પગરસ્તે રણમાં થઈને પાછળ આવી પહોંચજે.’ પછી તો એમ બોલાય છે કે ટૂંકે જળમાર્ગે થઈને મછવો જ્યારે રાત્રિએ કચ્છને કિનારે પહોંચે છે ત્યારે ત્રિકમના ભજન-સૂર ત્યાં સંભળાય છે ને તપાસતાં એ ત્યાં પહોંચીને બેઠા જણાય છે; પછે એમણે બળતા હુતાશનમાં બેસીને પોતાનો દેહ ચીરી બ્રાહ્મણોને જનોઈ બતાવી હતી. આવી પરચાકથાઓમાં શો ગૂઢાર્થ પડ્યો હશે તેની આપણને ગમ નથી પડતી. પરંતુ એક વાત તો ચોક્કસ ઠરે છે કે ત્રિકમ જેવા અંત્યજની દીક્ષા સામે બ્રાહ્મણોનો વિરોધ અતિ ઉગ્ર હતો, કેમ કે ત્રિકમ જ્યારે આખરે કચ્છના સાપર ગામને પાદર ગુરુ ભાણની જગ્યામાં જીવતી સમાધિ લેવા ગયા ત્યારે લોકોએ એમના ઉપર પથ્થરો ફેંક્યા હતા, જગ્યા નહોતી આપી. પરચાના શ્રદ્ધાળુઓ કહે છે કે પછી ત્રિકમે ત્યાં ઊભેલી આંબલીને કહ્યું કે ‘બાઈ, તું ખસીને મને જગ્યા દે!’ ને એ મુજબ એ ખસેલી આંબલીને સ્થાને એમણે સમાધ લીધેલી. એમનું લોકપ્રિય પદ આ છે : તરવેણીના તીર જ ઉપર છે રે મોતીડાંની હાર રે. હંસ રે હરિજન સાધુજનો

એ રે મોતીડાંનો આહાર રે. — તરવેણીના

સુરતા સિંહાસન પ્રેમનાં પાથરણાં ને અવલ ઓસીકડાં ઓછાડ રે, તા પર મારો સતગુરુ બેઠા, એને

નીરખીને થઈ છું નિયાલ રે. — તરવેણીના

અખેમંડલમાં રાસ રચ્યો હે થઈ રિયો થેઈથેઈકાર રે, રોમે રોમે રામ રમતો રે દેખ્યો એ તો

અધ્ધર ખેલે નિરાધાર રે. — તરવેણીના

જમનાજીને કાંઠડલે કાંઈ કિસન ભયા કિરતાર રે, મોહનજીએ મોરલી વગાડી એ તો

મધુરી કરે છે મલાર રે. — તરવેણીના

ભવસાગરમાં બૂડતાં રે મારો સતગુરુ તારણહાર રે, ત્રિકમસાહેબ ગેબી ગાવે

ખીમ ખલક કિરતાર રે. — તરવેણીના

આ બધી પરિભાષામાંથી મુખ્ય ધ્વનિ તો એક જ ઊઠતો ભાસે છે કે માનવદેહની અંદર જ બધું બ્રહ્મ સમાયું છે; નિરંજન નિરાકાર આત્મા એ જ સાચો કૃષ્ણ છે; ભીતરમાં જ એનાં રાસનૃત્ય ખેલાઈ રહેલ છે; ને સાચું અનાહત સંગીત અંદરથી જ બજી રહ્યું છે. આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યક્ત કરનારી આ બધી શબ્દરચના છે. બાકી સરળ પદરચના તો ત્રિકમની એ છે, ને એ વાણી પૈકી ખરેખરી લોકભોગ્ય પણ એ જ છે કે જે ત્યાગવૈરાગ્યનું સાચું હોવું જોઈએ તેવું સ્વરૂપ આલેખે છે — વસતી મેં રેનાં અબધૂત માગીને ખાનાં...જી! ઘરોઘર અલખ જગાના મેરે લાલ! લાલ! મેરા દિલમાં સંતે લાગી વૈરાગી. — માન માનસરોવર હંસા ઝીલન આયો જી! ઇંદરી કા બાંધ્યા અબધૂત! જોગી ન કે’નાં એ જી! જબ લગ મનવો ન બાંધ્યો મેરે લાલ! લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન કપડા બી ધોયા અબધૂત! અંચલા બી ધોયા એ જી જબ લગ મનવો ન ધોયો મેરે લાલ! લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન ખીમ કેરા ચેલા અબધૂત! ત્રિકમદાસ બોલિયા જી, સાધુડાને જુગતિમાં રેનાં મેરે લાલ! લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન લાગી વૈરાગી સંતો, જોયું મેં તો જાગી રે, લાલ મેરા દિલમાં લાગી વૈરાગી. — માન દાસી જીવણ સંખ્યાને હિસાબે, વ્યાપકતાને હિસાબે અને લોકપ્રિયતાને હિસાબે સહુથી પ્રથમનું સ્થાન ‘દાસી જીવણ’નાં પદો ભોગવે છે. એમની વાણીથી મુક્ત એક નાનું નેસડું પણ નહિ હોય. ગીર, બરડા કે ઠાંગા ડુંગરના માલધારીઓના માઝમ રાત્રિઓના એકતારાને તારે તારે ‘દાસી જીવણ’નાં ડોલાવણ ભજનો વધુમાં વધુ મીઠાશથી ગવાતાં હોય છે. સોરઠનાં ભજનપ્રેમીઓ ‘દાસી જીવણ’ની વાણીને ‘બાઈ મીરાં’ની કવિતાના જેટલી જ પ્રસન્નતાથી સેવે છે, અને ‘દાસી જીવણ’ વિશેની ભ્રાંતિ ચાલુ જ છે. ઘણાખરા ભજનપ્રેમીઓ એમ સમજે છે કે એ પણ કોઈ સ્ત્રીભક્ત થઈ ગયાં છે. અથવા ‘દાસી જીવણ’ પુરુષ હોવાનું જાણનારા પૈકી ઘણા જ અલ્પને ખબર હશે કે એ પુરુષનાં નામઠામ શાં છે. સંત જીવણદાસજી ગોંડળથી ત્રણ ગાઉ પર આવેલ ઘોઘાવદર નામે ગામના ચમાર હતા. એમના પિતાનું નામ જગાભાઈ, ને એમનાં માતાનું નામ સામબાઈ. સાખે દાફડા. એમના વિશેની પ્રચલિત સાખીઓમાં ગવાય છે કે — જીવણ જ્યોતું જાગિયું, ભીમ પ્રગટિયા ભાણ; દાફડા ઘેર દીવો હુવો, જીવણ પંડે જાણ. ‘ભીમ’ નામે એમના ગુરુ હતા. ચારણ જાતિમાંથી વટલીને અંત્યજ બન્યા હોવાથી કથા આ આમરણ ગામના સંત ભીમને વિશેની જ લાગે છે. ભીમ હતા ત્રિકમના શિષ્ય. જીવણદાસજીએ એક પછી એક સત્તર ગુરુઓ બદલ્યા કહેવાય છે. સત્તરમાં એકેયની ઉપર એમનું અંતર ન વિરમ્યું. પ્રત્યેકને જુઠો સિક્કો દેખી આખરે સંત ભીમની ભેટ થતાં એમનાં જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં. અને એમણે એ પ્રાપ્તિના ગુલતાનમાં ગાયું કે — અજવાળું હવે અજવાળું, ગુરુ, આજ તમ આવ્યે રે મારે અજવાળું. દાસી જીવણ સંત ભીમ કેરાં ચરણાં અવર દૂજો હું ધણી નહીં ધારું. — ગુરુ એક સૈકા જેટલો સમય એમને થયે વીત્યો હશે. ઘોઘાવદર ગામના ચમારવાડમાં જ્યાં એમનું ઘર છે, ત્યાં આંબલીઓની ઘોરગંભીર ઘટા છે. એમના વિશેની સાખીમાં ગવાય છે કે — દિન આંબલીએ દાયરા, કાસીરા ઠણકા થાય, તણ પાદશાહી જગા તણા, જીવણ મોહોલ જમાય. મતલબ કે એ આંબલીઓની ઘટામાં સંત જીવણનાં ભજનોની ઝૂક બોલતી. પોતે ચમારનો જ ધંધો કરતા. ઘરબારી હતા. પોતાને બે પત્નીઓ હતી. પોતાની મુખમુદ્રા અતિ નમણી હતી. એ મૂછોના મોટા કાતરા રાખતા. માથા પર રૂમાલ બાંધતા. મસ્તાન હતા. કાવ્યરચનાની લહેર એમને ક્યાંય અંતરિયાળ વનની અંદર ચડી આવતી તો ખાખરાનાં પાન તોડી, તેના ઉપર કાંટાની શૂળ વડે શબ્દો ટપકાવી લઈ ઘેર આણતા. મૂએલાં ઢોરને ચીરી, ચામડાં ઉતારીને ધોવાનો-રંગવાનો ધંધો કરનાર આ પુરુષે કવિતાની સાથે હૃદયવીણાના તારનો જે સંવાદ સાધ્યો તે આપણો સહુનો પૂજાર્હ બને છે — વધુ વંદનીય એટલા માટે બને છે કે એક અસ્પૃશ્ય તરીકે એમને આ ભક્તિજીવનમાં અનેક સતામણીઓનો ભોગ બનવું પડ્યું હતું. રવિસાહેબે ‘રવિદાસ હરિની સુંદરી’ એ ભાવ પોતાનાં કેટલાંક પદોમાં મૂક્યો. જીવણદાસજીનાં તો કુલ ભજનોમાંથી પોણા ભાગનાં પદો ‘દાસી જીવણ’ને ભાવે ઈશ્વરને સંબોધાયાં છે. આ સખીભાવ અથવા દાસીભાવ શું વૈષ્ણવ સંપ્રદાયના જ પ્રભાવનું પરિણામ હશે? આ તપાસ કરતાં માલૂમ પડે છે કે કબીરસાહેબે પોતે જ વિરહ-વાણી ગાયેલી છે. ‘વિરહ નિવેદ’ નામના એમના ભજન વિભાગમાં — બાલમ આઓ હમારે ગેહ રે, તુમ બિન દુ :ખિયા દેહ રે, સબ કોઈ કહે તુમારી નારી, મોકો યહ સંદેહ રે; એકમેક હ્યે સેજ ન સૌવે, તબ તક કૈસે નેહ રે. અન્ન ન ભાવૈ નીંદ ન આવૈ, ગૃહ બન ધરૈ ન ધીર રે, જ્યો કામીકો કામિની પ્યારી, જ્યો પ્યાસે કો નીર રે. હૈ કોઈ એસા પરઉપકારી, પિયસે કહે સુનાય રે, અબ તો બેહાલ કબીર ભયે હૈ, બિન દેખે જિઉ જાય રે. આવી વિરહગાથાઓ આવે છે. કબીર-વાણીમાં એ પિયુ-પ્રિયાનો ભાવ સારી પેઠે જલદ અને જોશીલો બની વહે છે : મારા દિન કેવી રીતથી વીતાવવા, એની જુક્તિ તમે બતાવીને જજો! આ પાર ગંગા ને સામે પાર યમુના છે, વચ્ચે મને એક મઢી છજાવી દઈને પછી જજો! અંચળો ફાડીને મેં કાગળ બનાવ્યો છે, તે ઉપર તમારી સૂરત આલેખાવીને જજો! કબીર કહે છે કે મારી બાંહ્ય પકડીને રસ્તો બતાવી જજો! નૈન થકિત ભયે પંથ ન સૂઝે, સાંઈ બેદરદી સુધ ન લિયા, કહત કબીર સુનો ભાઈ સાધો, હરો પીર દુ :ખ જોર કિયા. આ બધાં કબીર-પદોમાં વિરહ ભાવની પ્રેરણા મૂકનાર વૈષ્ણવી ભક્તિ હો વા ન હો, પણ એક વાત દેખાઈ આવે છે કે કબીરના વિરહ-નિવેદનમાં ક્યાંય રાધાકૃષ્ણના નામનું સંબોધન નથી આવતું. ભક્તાત્મારૂપી ચિરવિરહણી કેવળ કો અનામી પરમાત્મ-પિયુને સારુ પુકારી રહે છે કે — તલફે બિન બાલમ મોર જિયા દિન નહિ ચૈન રાત નહિ નિંદિયા તલફ તલફ કે ભોર કિયા. અથવા તો — પિયા મિલનકી આસ રહૌં કબલૌં ખરી ઊંચે નહીં ચઢિ જાય મને લજ્જા ભરી. પાંહ નહીં ઠહરાય ચઢ ગિર ગિર પરું, ફિર ફિર ચઢહૂ સમ્હારિ ચરન આગે ધરું.  અંતરપટ દે ખોલ શબ્દ ઉર ભાવરી, દિલ બિચ દાસ કબીર મિલૈ તોહિ બાવરી. પરંતુ અહીં ‘દાસી જીવણ’ની આરજૂઓ તો સ્પષ્ટ રાધાની કૃષ્ણ પ્રતિની વિરહગાથાઓ જ છે. જીવણને વિશે લોકમાન્યતા પણ એ જ છે કે — જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર, દાસી નામ દરસાવિયું, એ રાધા અવતાર. અર્થાત્ જીવણદાસજી રાધાનો અવતાર હતા. એ ભાવ એમનામાં નૈસર્ગિક બનીને નીતરી રહેલ છે. કોઈક કેફમાં જાણે ચકચૂર બની ગયા છે કે — કોક તો વિલ્યાતીડે મુજને કેફ કરાયો રે ફરું છું હું તો ઘેલીતૂર — બાઈયું મુને સામળિયે કરી છે ચકચૂર. મંત્ર તો પઢીએ કોઈકે અમ પર મેલ્યો રે ઘડીયે રેવાતું નથી દૂર. — બાઈયું સામું જોતા મારી શુધબુધ ભૂલી રે રાખી છે મુને ઉરાઉર. — બાઈયું દાસી જીવણ સંત કેરાં શરણાં રે ધણી આગળ ખડી છું હજૂર. — માડી પણ એ વિરહ-પદમાંય વહે છે તો એકોપાસના : એ રે કામણિયાં મારે પિયુજીએ કીધાં રે દૂજાં કામણ મારી નજરુમાં ના’વે. ચૌદ વિદ્યાયું મારો સતગુરુ જાણે રે કૂડિયું વિદ્યાયું કેની કામ ન આવે. — એ રે લખી દિયો મુંને કટકો કાગળિયો રે મોહન વર મારે મોલે આવે. — એ રે દાસી જીવણ કે’ સંત ભીમ કેરાં શરણાં રે ગરીબ થઈને ગુણ તોરા ગાવે. — એ રે અથવા તો — મીઠાજી, મેં જાણ્યો ઈ તારો મરમ બીજાની બોલાવી બોલું નહિ મારા નાથજી આગળ રુઈયું નરમ — બકીને બોલું તો જગ બધું જાણે ભર્યો રાખું છું તારો ભરમ. પરઘર પાણીડાં નહિ ભરે રે પાદશાહ કેરી હુરમ રે — મારે મોલે માવા પધારો. એ જ પિયુ-પ્રિયાનું રૂપક વાપરીને જીવણદાસજી જડ-બાહ્ય ક્રિયાવિધિઓને અવગણે છે — મારા નાથજીનાં નૈણાં ઉપરેં હું તો ઘડીયે ઘોળી જાઉં. શીદ કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં, નાથજીનાં નૈણાં નીરખી, ભાવનાં ભોજન પાઉં. — મારા આંગણે ગંગા ગોમતી, હું શીદ રેવાજી જાઉં, અડસઠ તીરથ આંગણે, હું તો નિત્ય ત્રિવેણી નાઉં. — મારા બાકી તો સાદાં વિરહનાં પદો જેવાં કે — મનાવીને મોલે લાવ રે મેરમને કોઈ તો મનાવો! લલચાવીને મોલે લાવ રે મેરમને કોઈ તો મનાવો!

મારો જગનો જીવણ, એ હાલ્યો જાય રે

કામણિયાં કોઈ તો કરી...

નાથજી નિવડો રે, ઓધાજી ઉકેલો રે. — કરસન કાજ સુધારો. ભીડ્યું પડ્યે આવવું જોશે, ધોરી વિણ ધર કોણ લેશે, ઓર્યા ને ઉગાળો રે. — કરસન કાજ સુધારો.

આવો વાલા! કરિયેં વાતું, તમ વિણ નથી રે’વાતું આવી છે એકાંતું રે. — કે’જે તારા કાનુડાને! માતાજી મોહનને રે. — કે’જે તારા કાનુડાને! જોઈ જોઈ વોરીયે જીત્યું બીબાં વિણ ન પડે ભાત્યું ઝાલે ભાર ભીંત્યું રે. — કે’જે તારા કાનુડાને! ભીમ સતગુરુએ દીધી દાત્યું વરસી છે ઈ સ્વાંત્યું રે. — કે’જે તારા કાનુડાને!

દાસી જીવણ ભીમને ભાળી વારણાં લઉં વાળી વાળી દાસીને દીવાળી રે. — કે’જે તારા કાનુડાને! એવાં અનેક વિરહ-પદો જ્યારે અસલ પરજના ઢાળમાં ગવાય છે ત્યારે એની ખરી ગ્રામ્ય દર્દેદિલી નિષ્પન્ન થાય છે. એમનું દાસીભાવનું એક પદ એમના સાંપ્રદાયિક ઔદાર્યની સાક્ષી પૂરે છે : સકલ પંથોની ભાવનામાં રમણ કરતા ભેદમુક્ત આત્માની એ પરમાત્મ-પિયુ પ્રત્યે આજીજી છે કે — દાસીને તેડી રે જાજો તમારા દેશમાં! ધોળુડાં વસ્તર મારે અંગડે વિરાજે મારે ફરવું કાપડીઓના વેશમાં — વેશમાં રે વેશમાં. — દાસીને ખલકો ને ટોપી માને અંગડે વિરાજે મારે ફરવું અતીતોના વેશમાં. — દાસીને લીલુડા વસ્તર મારે અંગડે વિરાજે મારે ફરવું ફકીરોના વેશમાં. — દાસીને અપરાધી જીવડો તારે આશરે આવ્યો છે લાખો ગુના સામું જોશ મા. — દાસીને દાસી જીવણ કે’ સંત ભીમ કેરાં શરણાં મારે રે’વું સદા બાળાવેશમાં. — દાસીને એ ઉપરાંત એમનાં કેટલાંક પદો પ્રાસંગિક છે. એક પ્રસંગે એમની મુખમુદ્રા અને મીઠી વાણી પર મુગ્ધ બની એક ગામની સ્ત્રી એમની પાછળ ચાલી નીકળી; અને સુલતાનપુરને માર્ગે મળીને પોતાનો સંકલ્પ જણાવ્યો, ત્યારે પોતે ત્યાં ને ત્યાં ગાયું કે — એવાં શું કરવાં સુખ પારકાં, બાઈ! કરમેં માંડેલ હોય તે જ થાય જી. સામે રે મંદિરિયે મઈડાં રે ઘૂમે, ભૂખ્યા તણું મન જાય જી. દીઠેથી તૃષ્ણા ન છૂટે, પત પોતાની જાય જી. — એવાં પારકો પૂતર પામીએ બાઈ, પોતા તણો ન કે’વાય, એને હાથે પરિયાં ન પામે મર કાશીએ જઈ સરાય. — એવાં રૂપ દેખી નવ રાચિયેં બાઈ! પત પોતાની જાય. — એવાં નબળો સબળો પુરુષ પોતાના ઈશ્વર કહ્યો ન જાય. — એવાં દાસી જીવણ કે’ દિલમાં વિચારો, રામને ભજો તો સુખ થાય. — એવા બીજા પ્રસંગે પાળિયાદના કાઠી સંત વિસામણે મોટો મંડપ (હરિમેળો) કરેલો. નિમંત્રણ પામીને ત્યાં ગયેલા. સંત જીવણદાસજીની પાસે વિસામણ ભક્તે આત્મપ્રશંસા કરી કે આવો મંડપ તો કોઈ બીજાએ કર્યો નથી, વગેરે. સાચુકલા દિલના સંત જીવણદાસે એ સમયે આ ભિથ્યાભિમાની ભક્તને આ પદ ગાઈ સંભળાવ્યું હતું — એક દા’ડે જાવું એક દા’ડે, આવો મોંઘામૂલો મનખ્યો મેલીને જાવું એક દા’ડે. ઉછી ઉધારાં તારાં કેટલા દી રડશે રે, ખોળિયું લીધું છે માગી માંડ ભાડે. — આવો ઢળિયા ડુંગર તારા ધર નહિ ઝાલે રે, બંધ બાંધશે લઈ કાચે નાડે. — આવો જમરા આવ્યે કે’નું જોર નહિ ચાલે રે, જોઈ તો રે’શે સહુ ફાટે જાડે. — આવો જનુની વોળાવે તુંને ઝાંપલા સુધી રે, મિત્રરું મેલીને જાશે ઊજડ પહાડે. — આવો દાસી જીવણ સંત ભીમનાં શરણાં રે, હરિનાં વોળાવ્યા પાછાં કોણ વાળે. — આવો આવા સંસારની અસારતાનાં એમણે ગાયેલાં પદો એ પ્રકારનાં અન્ય સંતોના રચેલાં પદોથી જુદાં પડે છે, કારણ કે જીવણની વાણીમાં વિશિષ્ટ સરળતા ને મીઠી પ્રવાહિતા છે. પોતાની યાત્રાએ આવતાં કોઈક યાત્રિકો એક દિવસ એમને મુસાફરીમાં સામાં મળ્યાં ત્યારે કોઈકે એ યાત્રિકોની સંતની પિછાન આપી. યાત્રિકો સંદેહમાં પડ્યાં કે આવો તે કંઈ ‘દાસી જીવણ’ હોય? એક બાઈ બોલી ઊઠી કે ‘આ તો કોઈ મસ્તાનો ઘોડેસ્વાર લાગે છે’. સાંભળતાં જ જીવણદાસજીએ પદ ઉપાડ્યું — મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શનકા, ખમિયાં ખડગ હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉં ડંકા. — મેં રા અંગનમેં વાસ રોપાવું, ધીરપ ઢોલ બજાઉંગા, નુરત સુરતકા નટવા ખેલે, અભય મોજ લઈ આવુંગા! — મેં પ્રીત પરવાના પટા પ્રેમકા, સંતચરણરજ મેં રંકા, કાળ ક્રોધ દુશમન કું ડરાવું, સત નામકા દઉં સંકા. — મેં ચરણું તણી ચોહટ લઈ ચાલું, હુકમ ગુરુકા હલાવુંગા, રામનામકા અમલ પિલાવું, રસના નામ રટાવુંગા. — મેં બેઠા મોજ લેઉં બંદગીસે, કોટ વસાવું ગુરુ વંકા, દાસી જીવણ સંત ભીમને ચરણે, મેં સિપાઈ હું મેમરકા. — મેં પ્રભુનો હું સિપાહી જ છું, અને ઉપર ગાયાં તે મારાં લક્ષણો છે. બાઈ, તુ સાચું જ કહે છે, હું મસ્તાનો સિપાહી છું ખરો, પણ ભગવાનનો! અન્યનો નહિ. આ સિવાય એમનાં કેટલાંક બીજાં પ્રારંભિક પદોની જોડે એમના જીવનની કેટલીક ઘટનાઓને સાંકળવામાં આવે છે. દાખલા તરીકે એક વાર પોતે પરમાર્થ કાજે હદ બહાર ખર્ચ કરી નાખેલ હોવાથી ભામના ઈજારાની વાર્ષિક રકમ દરબારને ન ચૂકવી શક્યા અને રાજ્યની હેડમાં કેદ પકડાયા, ત્યારે એમણે પણ પોકારનું એક ભજન ગાતાં નરસિંહ મહેતાની માફક કોઈ ઈશ્વરી સહાય આવી પડેલી હોવાનું મનાય છે. પણ આ ભજનનો કોઈ વિશિષ્ટ ગુણ મને દેખાતો નથી. અમુક ઠેકાણે અમુક કૂવામાં પાણી નહોતું આવતું, તેથી સંત જીવણને જોરાવરીથી તળિયે ઉતારી ભજનો ગવરાવી કૂવો સજીવન કરાવ્યો. આવી આવી ઘટનાઓ લોકોમાં પ્રચલિત છે, પણ એની સાથે આ લેખને નિસ્બત નથી. ખરાં માર્મિક ભજનો પૈકી એક તો છે એમના અંતરની આધ્યાત્મિક વેદના પહેલી પ્રથમ ગુરુ ભીમ સમક્ષ રજૂ કરનારું ભજન — સેજેં સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું, કહો રે ગુરુજી, મારું મનડું ન માને મમતાળું. વાળી વાળી મનને હું તો વાડલે પૂરું વા’લા! પતળેલ જાય રે પરબારું — સેજેં ઘડી એક મન મારું કીડી ને કુંજર વા’લા! ઘડીક ઘોડે ને ઘડી પાળું. — સેજેં તીરથ જઈને જાણે તપશા રે માંડું વા’લા! પંચ ધૂણી પરઝાળું. — સેજેં કામ ને કાજ મુને કાંઈ નવ સૂઝે વા’લા ખલક લાગે છે બધું ખારું. — સેજેં હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું વા’લા! રૂઠડા રામને રિઝાવું. — સેજેં દાસી જીવણ સંત ભીમ કેરાં ચરણાં વા’લા સરજ્યું હશે તો થાશે સારું. — સેજેં આ મનોવેદનાના જવાબમાં ગુરુ ભીમે પાઠવેલું ભજન — જીવણ! જીવને જિયાં રાખીએ, વાગે અનહદ તૂર રે ઝિલમિલ જ્યોતું ઝળહળે ને વરસે નિરમળ નૂર રે વગેરે વગરે. કહેવાય છે કે જીવણની દીક્ષાનું આ પદ છે. એ પદની શૈલીનાં પદો જીવણે પણ ગાયાં છે : જા સુહાગણ! જા રે ગગનમાં જ્યોત જલત હે, જા! જા સોહાગણ! જા સોહાગણ! ઓ ઘર કર લે વાસા! સુગરા હોય સો ભર ભર પીવે, નુગરા જાય પિયાસા

ગગન મેં જ્યોત જલત હે જા!

જીવનનો આત્મરસ નુગરાને નથી જડતો. સુગરો મનુષ્ય જ ‘આબે હયાત’ને શોધી કાઢી એ ભરકટોરે પીએ છે. આ બધી મસ્તની ફિલસૂફી છે. પણ ‘દાસી જીવણ’ તો લોકપ્રિય છે એમનાં લોકગમ્ય ભજનો વડે. જેવાં કે, મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે મોરલો મરતલોકમાં આવ્યો. — એ ભજનમાં માનવ-અવતારનું મોર-સ્વરૂપ નિરૂપીને જીવણે મનુષ્યજન્મનો મહિમા અત્યંત ખૂબીથી ગાયો છે. એથી પણ વધુ લોકપ્રિય પદ છે જીવનવાડીના ભમરાનું : વાડી રે વેડીશ મા હો! મારી રે વાડીના ભમરલા! વાડી વેડીશ મા! — મારી રે વાડીમાં માન સરોવર, ના’જે ધોજે પણ પાણીડાં ડોળીશ મા. — મારી મારી રે વાડીમાં ચંપો ને મરવો ફોરમું લેજે પણ કળિયું તોડીશ મા. — મારી દાસી જીવણ કે’ સંતો ભીમ કેરે ચરણે, સરખા સરખી જોડી રે તોડીશ મા. — મારી એવું માનવજન્મની વિવેકપૂર્ણ લજ્જતનો વિવેક શીખવનારું અને — બાણ તો લાગ્યાં જેને, અંગડા વીંધાણાં એનાં નેણાં ધુરે રે નિશાણ! જીવો જેને લાગ્યાં શબદુનાં બાણ. દીપક દેખીને અંગડાં મરોડે ઈ તો પતંગિયાને પરમાણ; પંડ્ય રે પોતાનાં ઈ તો અગ્નિમાં હોમે ને દિયે શરીરુંના દાન. — જીવો જેને પરતીવંતા જેનો પિયુ પરદેશ રે નિત્ય જપે એના જાપ. નાથ રે વિનાની એને નીંદરાયું ના’વે ને સેજલડી સમશાન. — જીવો જેને એવું સાચા ભક્તિ-ઘાયલોને બિરદાવતું ભજન, અને છેલ્લે પોતાનું મૃત્યુ નજીક આવતાં પોતે ગાયેલું — હાટડીએ કેમ રે’વાશે મારા રામની રજા નહિ; બેસવા સારુ હાટડી કીધી, હાટડી ખડી થઈ, તેડાં આવ્યાં શ્રીરામનાં ત્યારે હાટડી પડી રઈ. — હાટડીએ

ધર્મના કામને ઢીલ ન કરવી, વેળા જાશે વઈ, દાસી જીવણ ભીમ પરતાપે, નામની નોબત થઈ. — હાટડીએ આવી વીતરાગ મનોદશામાં સંત જીવણદાસજીએ દેહ પધરાવ્યો, છતાં જ્યારે ગામમાં એમના મૃતદેહની પાલખી નીકળી ત્યારે વૈષ્ણવજનોએ એ શબને પણ બજાર વચ્ચે લાવવા ન દેવા સારુ તોફાન કરેલું! ભાણથી માંડી જીવણ સુધીની પરંપરા ઉપરાંત આ ‘સોરઠી સંતવાણી’ ખંડમાં જેમનાં પદો રજૂ કરેલ છે તે ભજનકારો દેવરામ, શેલર્ષિની ચેલી લોયણ, દેવાયત પંડિત, મૂળદાસજી, મોડ શિષ્ય રવિદાસ, પીઠો, જેસલ-તોળલ, જેઠીરામ, રાજ અમર, દુલભ, લખમો માળી, ગંગાસતી વગેરેનો ઈતિહાસ, નામાંકનમાં કે ઠામઠેકાણાંની તો વિશ્વસનીય હકીકત મળતી નથી, પણ વાણીને હિસાબે એ નામો સારી પેઠે લોકપ્રિય છે, પણ દરેક કૃતિ એમાં આવતા નામચરણ મુજબ તે કવિની જ છે એમ પણ કહી શકાય નહિ : કારણ કે મુખપાઠ પર રહેલાં આ પદો હોઈ, કવિ-નામો આઘાંપાછાં થઈ ગયાં હોય. આવી કૃતિઓના વેરવિખેર સંગ્રહો બહાર પડ્યા છે, પણ તેનું શબ્દસ્વરૂપ અશુદ્ધ, અર્થો બેસે નહિ. પ્રયોજન ફક્ત ભજનમંડળીઓને ગાવામાં આધાર લેવા પૂરતું જ. મેં આ કૃતિઓને સાંભળી સાંભળી એકત્ર કરી છે. અને એનો શબ્દપાઠ બની શકે તેટલા શુદ્ધ રૂપમાં સ્થિર કર્યો છે : એટલું જ નહિ પણ એને કવિવાર નહિ આપી દેતાં વિષયવાર સાંકળ્યાં છે. આ પ્રથમ ખંડમાં આટલા પ્રદેશો પાડ્યા છે : (1) ધણી અને ધરતી, (2) ભક્તિનો માર્ગ, (3) નવધા ભક્તિ, (4) સતગુરુ, (5) માનવ-અવતાર, (6) પ્રેમલક્ષણા ભક્તિ. આ વિભાગીકરણમાં સજ્જડ ખાનાં પાડવાનો નહિ પણ પ્રત્યેક વિભાગના પ્રધાન સૂરને પકડવાનો ઉદ્દેશ છે. એક ને એક ભજનમાં એક કરતાં વધુ ભાવોની આવ-જા થતી હોવાથી સજ્જડ ખાનાં તો પાડી શકાય પણ નહિ. હજુ બીજા કેટલાક પ્રદેશો — જેવા કે ઉપદેશ, યોગ, શરણાગતિ, મૃત્યુ, કલિયુગ, સમાધ, પ્રભાતી, આખ્યાયિકાઓ, રામાયણ — તેનાં પદો બાકી રહે છે, અને તેનો બીજો ખંડ બનશે. આ સોરઠી સંતવાણીમાં ડગલે ને પગલે કેટલાક વિચિત્ર શબ્દો ને પ્રયોગો આવે છે : દૃષ્ટાંત તરીકે, શબદ, સૂન-ગઢ, સૂન (શૂન્ય), નૂરતી-સૂરતી, ઊલટાં નીર શિખર પર ચડિયાં, ત્રિકૂટિ-મહેલ, ઈંગલા-પિંગલા, સુખમણા, વચન, મૂળ વચન, ગગન-મંડળ, અલખ, નાદ-બુંદ ઉનમૂન, ઈત્યાદિ. ભક્તિમાર્ગમાં આવા પ્રયોગોના વ્યવહાર આપણા ભારતવર્ષની અંદર કડીબદ્ધ વહેતી આવેલી અનેકવિધ ચિંતનધારાઓની થોડીક માહિતી મેળવ્યા વગર સમજવામાં આવશે નહિ. ઈતિહાસ એવો છે કે કબીરના ગુરુ રામાનંદે નીચલા થરોમાં આ નિર્ગુણ ભક્તિપ્રવાહને વહેતો અને ટપકતો કર્યો તેની પૂર્વે, યોગમાર્ગ નામનો એક પંથ સૌથી વધુ પ્રબળ મતવાદ હતો. એ મતવાદના આદ્યપ્રવર્તક આદિનાથ અર્થાત્ શિવ પોતે જ કહેવાય છે. (આ ભજનોમાં પણ મજકૂર ભજનિકોના આરાધ્ય નિજાર ધર્મ, મહાધર્મ, ધૂનાધર્મના મૂળ પ્રવર્તક શિવજીનો જ ઉલ્લેખ છે.) એ માર્ગ હતો હઠયોગનો ઉપાસી. એના પારિભાષિક શબ્દો જ માત્ર નહિ, પણ એની પદ્ધતિ પણ આ ભક્તિમાર્ગમાં ઝાઝે અંશે આવી ગઈ છે. કબીર સરખા નિર્ગુણવાદી સંતોની ને આ યોગીમાર્ગી યોગઓની વચ્ચે, લોકો પર કાબૂ મેળવવાની તીવ્ર હોડ મચી ગઈ હતી. સંતોના પરચા-ચમત્કારો વિશેની આખી માન્યતાનું મંડાણ પણ આ બાબત પર થયું જણાય છે. યોગની ક્રિયાઓ વડે દેહશક્તિ પર કાબૂ મેળવીને યોગીઓનું આકાશમાં ઊડવું, દેહથી જીવને નિરાળો પાડવો વગેરે ચમત્કારોની લોકમાનસ પરની પકડ એટલી મજબૂત હતી કે ભક્તિમાર્ગી સંતોને પણ એની સ્પર્ધા કરતા બતાવવા એવી મનોદશા પ્રવર્તતી હોવી જોઈએ. હવે આપણે ઉપર ટાંકેલા વિચિત્ર શબ્દપ્રયોગોનાં મૂળ તપાસીએ. એ છે યોગની પરિભાષાના પ્રયોગો. યોગમાર્ગવાળાઓની પદ્ધતિ એક સિદ્ધાંત પર મંડાઈ ગઈ હતી. એમના સિદ્ધાન્તાનુસાર, મહાકુંડલિની નામે એક શક્તિ કે જે સમગ્ર સૃષ્ટિમાં પરિવ્યાપ્ત છે, વ્યક્તિમાં પ્રકટ થાય છે ત્યારે આ શક્તિને કુંડલિની કહે છે. આ કુંડલિનીને સમજવા માટે માનવશરીરની રચનાની કલ્પના કરવી જોઈએ. બરડામાં ઊભેલો મેરુ-દંડ (સંતવાણીમાં બંકનાલ્ય) સીધો જઈને જ્યાં પાયુ અને ઉપસ્થના મધ્યભાગમાં લાગે છે ત્યાં સ્વયંભૂ લિંગ છે કે જે એક ત્રિકોણ ચક્રમાં આવેલ છે. એને અગ્નિચક્ર કહે છે. આ ત્રિકોણ અથવા અગ્નિચક્રમાં આવેલા સ્વયંભૂ લિંગને સાડાત્રણ ગૂંચળાંમાં વીંટળીને સર્પાકારે કુંડલિની આવેલી છે.એના પર ચાર પાંખડીનું એક કમળ છે, જેને મૂલધાર-ચક્ર કહે છે. પછી એનાથી ઊંચે, નાભિની આગળ સ્વાધિષ્ઠાન ચક્ર છે જે છ પાંખડીના કમળના આકારનું છે. આની ઉપર મણિપુર-ચક્ર છે અને એથી ઉપર હૃદયના ભાગની પાસે અનાહત-ચક્ર છે. આ બંને ચક્રો અનુક્રમે દસ અને બાર પાંખડીઓના પદ્મના આકારમાં છે. એથી પણ ઉપર જઈએ તો આંખોની ભમ્મરની વચ્ચે આજ્ઞા-ચક્ર છે, જેને બે જ પાંદડીઓ છે. આ છયે ચક્રને ષટ્-ચક્ર કહીને વારેવારે પાછળના કાળના સંતોએ ઉલ્લેખ કર્યો છે. આ ચક્રોને ભેદ્યા પછી મસ્તકમાં શૂન્ય-ચક્ર આવે છે, જ્યાં જીવાત્માને પહોંચાડવો એ યોગીનું આખરી લક્ષ્ય છે. આ સ્થાન પર જે કમલની કલ્પના કરવામાં આવી છે, તેને હજાર પાંખડીઓ છે, એથી એને સહરુાા-ચક્ર પણ કહે છે. શૂન્ય-સૂન-સૂનઘર-સૂન-મંડળ, એટલે ‘કંઈ નહિ’ એમ નથી, પણ એને જ ભક્ત દાદૂ હરિ-સરોવર કહે છે. ‘જલ બીચ કમલ, કમલ બીચ કલિયાં, તા બીચ હોજ ભરી’ એટલે આ સમાધિસ્થ અવસ્થા. હવે મેરુ-દંડમાં પ્રાણવાયુનું વહન કરનારી કેટલીક નાડીઓ છે, જેનો આભાસ આપણને શ્વાસ લેતી વેળા થાય છે. જે નાડી જમણી-ડાબી છે, તેને ઈડા-પિંગલા કહે છે. સંતવાણીમાં એ ઇંગલા-પિંગલા નામે ઓળખાય છે. એ બંને વારાફરતી ચાલુ રહે છે. એ બેની વચ્ચે સુષુમણા નાડી (જેને સંતવાણી સુખમણા કહે છે) આવેલ છે. આમાં થઈને કુંડલિની ઉપર તરફ પ્રવહમાન બંને છે. મૂળ તો સુષમણાની અંદર બીજી પણ કેટલીક નાડીઓ છે. યોગનો સાધક વિધવિધ પ્રકારની સાધનાઓ દ્વારા કુંડલિની શક્તિને ઉપર તરફ એટલે ઊર્ધ્વમુખી કરે છે. સંતવાણીમાં ‘ઊલટા પવન ચલાયા’ અગર ‘ઊલટાં નીર શિખર પર ચડિયાં’ પ્રયોગોનો ગૂઢાર્થ આ પ્રમાણે થાય છે, અર્થાત્ કુંડલિનીની ગતિ ઊર્ધ્વમુખી કરવી એ યોગીનું કામ છે. સામાન્ય માણસોમાં એ અધોમુખ રહે છે, તેથી તેઓ કામક્રોધાદિના દાસ બની રહે છે. કુંડલિની જ્યારે ઊલટી ગતિએ ઉપર ચઢે છે, ત્યારે એનાથી જે સ્ફોટ થાય છે તેને ‘નાદ’ કહે છે. નાદને પ્રકાશ કહે છે, અને પ્રકાશનું પ્રકટ સ્વરૂપ ‘મહાબિંદુ’ કહેવાય છે. આ બિંદુ ત્રણ પ્રકારનાં હોય છે : ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા. યોગી લોકો પોતાની પરિભાષામાં આને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ કહે છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ કહે છે. હવે આ જે નાદ અને બુંદ અને (બિંદુ) છે તે મૂળ અખિલ-બ્રહ્માંડ-વ્યાપી અનાહત નાદ અથવા અનહદ-નાદનું વ્યક્તિગત પ્રકટ સ્વરૂપ છે. અખિલ-વિશ્વ-વ્યાપી અનાહત નાદ જ્યારે કોઈ પણ એક માણસમાં પ્રગટ થાય છે ત્યારે તેને નાદ-બુંદ કહે છે. સામાન્ય જીવની શ્વાસગતિ ઈડા-પિંગલા દ્વારા ચાલે છે. સુષુમણાનો માર્ગ એને માટે બંધ હોય છે, એટલે એ જીવ બહિર્મુખ રહે છે, ને બ્રહ્મનાદ સાંભળી શકતો નથી. પણ ક્રિયાવિશેષ વડે જ્યારે સુષુમણાનો માર્ગ ઊઘડી જાય છે, ત્યાર પછી એ વિશ્વવ્યાપી અનહદ-નાદનું મહાસંગીત સાંભળી તેની મજા માણે છે. આથી કરીને એનું મન વિશુદ્ધ બનીને સ્થિરતા પામે છે. પણ આ બધી જટિલ ક્રિયા ગુરુ વિના નથી શીખાતી. એટલે જ ગુરુ પર સંતવાણીમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. યોગીજનોની મદદથી જ્યારે પ્રાણાયામ દ્વારા વાયુ બ્રહ્મરંધ્ર (શૂન)માં પ્રવેશ કરે છે, ત્યારે જે આનંદપૂર્ણ સ્થિતિ મનને સાંપડે છે, તેને યોગી લોકો ‘લય’ અથવા મનોન્મની (કબીરના શબ્દમાં ‘ઉનમુનિ રહની’) અગર સહજાવસ્થા કહે છે. સોરઠી સંતવાણીમાં ‘ઉન્મુન જોગી’ એવો જે પ્રયોગ છે, તેનું આ રહસ્ય છે. ‘સબદ’ અથવા ‘શબદ’ ભક્તિમાર્ગનો માનવી, નિર્ગુણ પ્રભુની જે પ્રેમસાધના કરે છે, તેના પરિણામે પ્રકટતા અસીમ આનંદને વ્યક્ત કરવા માટેનો આ પારિભાષિક શબ્દ છે. એમને સારુ વિશ્વ ‘શબ્દ’માં બંધાયેલું છે. બ્રહ્માંડની ઉત્ત્પત્તિ, એ પણ પ્રભુના પ્રેમના અસીમ આનંદનું એક પ્રાકટ્ય જ છે. ‘શબદ’ નામના ભજનમાં આપણે જોઈએ છીએ કે પહેલે શબ્દે રણુંકાર થયો, જમીન આસમાન પ્રકટ્યાં. બીજે શબ્દે ઓહંકાર થયો, ને વિસ્મયકારી નૂરીજન પેદા થયા, એમ ‘શબદે શબદે’ આ વિશ્વની લીલા વિસ્તરણ પામતી ગઈ. તારતમ્ય એ છે કે ‘શબદ’નો અર્થ પ્રભુના (તેમ જ સાધક ભક્તના) નિ :સીમ આત્માનંદના પ્રાકટ્યની ક્રિયા — અનાદિ અનંત બ્રહ્મસંગીત. ‘નૂરત-સૂરત’ અથવા ‘નૂરતી-સૂરતી’ : શબદના આ અનાદિ બ્રહ્મસંગીતની તાનને ‘સૂરતી’ કહે છે અને તાલ-લયને ‘વિરતી’ કહે છે. (આ ‘વિરતી’ અને સોરઠી વાણીનો ‘નૂરતી’ શબ્દ એક જ હશે!) સૂરતી-વિરતી સાથે મળીને સર્વને પરિપૂર્ણ કરે છે. સૂર અસીમ છે. ‘તાલ’ સીમાબદ્ધ છે. તાલ વડે બદ્ધ બનીને જ ‘સૂર’ ચોક્કસ રૂપને — આકારને — પામે છે. નિ :સીમ જે પરમાત્મા તે પણ સૂરતી-વિરતીના સૂર-તાલમાં બંધાઈને પોતાને પ્રકટ કરે છે. નૂરતી મેં સૂરતી, સૂરતીમેં રમ લે : તો પૂરણ પાયા તેની ખબર પડી. ભજનની આ પંક્તિનો ભાવ હવે સમજી શકાય છે. પ્રભુના નિ :સીમ પ્રેમસ્વરૂપને માનવી ભક્તના સીમાબદ્ધ પ્રેમ વડે તાલબદ્ધ કરી દેવા થકી જ પૂર્ણને પમાય છે.