નરસિંહથી ન્હાનાલાલ/૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ન્હાનાલાલ
ગાંધીજી વિશે ગુજરાતમાં સર્વપ્રથમ કાવ્ય રચ્યું હતું ન્હાનાલાલે, ૧૯૧૯માં, ‘ગુજરાતનો તપસ્વી’, ગાંધીજીની ૫૦મી જન્મજયંતી પ્રસંગે. એની આરંભની પંક્તિઓ છે :

મંદિરમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,
પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો,
આજે પચ્ચાસ વર્ષનો ઉત્સવ છે.

૧૯૩૧માં ઉમાશંકરે એમનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય ‘વિશ્વશાંતિ’ ન્હાનાલાલને એમના અભિપ્રાય માટે મોકલ્યું હતું. એના પ્રત્યુત્તરમાં ન્હાનાલાલે પોસ્ટકાર્ડમાં અંગ્રેજીમાં લખ્યું હતું, ‘Vishvashanti is returned herewith unread with thanks, for the undersigned neither receives nor gives presents to the Asahakaries of Gujarat, the majority of whom are a band of rascals and the man whom they call Mahatma is...’ ૧૯૧૯ અને ૧૯૩૧ની વચ્ચે એવું તે શું થયું કે ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ રચનારે ૧૯૩૧માં એવું વાક્ય લખ્યું કે જેના અંતના શબ્દો ટપકાં દ્વારા જ ઉમાશંકર સૂચવી શકે છે, એ શબ્દો જાહેર કરી શકતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું કરુણમાં કરુણ પ્રકરણ છે. ૧૯૦૨થી ૧૯૨૧ લગી ન્હાનાલાલ અંગ્રેજોના રાજમાં મુખ્યત્વે શિક્ષણ અને તે ઉપરાંત ન્યાયના ક્ષેત્રમાં ઉચ્ચ પદે સરકારી અધિકારી હતા. ૧૯૦૯માં ન્હાનાલાલ જ્યારે રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં અધ્યાપક હતા ત્યારે ગવર્નરના એજન્ટ સર કલાંડ હિલે એમને એમના દેશવાસીઓ પર જાસૂસી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે એમણે કહ્યું હતું, ‘મારાથી એ નહિ બને. મારું Conscience ના પાડે છે.’ અને પછી જ્યારે સર હિલે કહ્યું, ‘સરકારને એવા Conscienceની જરૂર નથી.’ ત્યારે એમણે કહ્યું, ‘શુદ્ધ Conscience સરકારને જોઈતું હોય ત્યાં સુધી જ નોકરી કરવી છે, એક દિવસે વધારે નહિ.’ આમ, ૧૯૧૫માં ગાંધીજીના ભારતમાં આગમન પૂર્વે જ, ૧૯૦૯માં ૬ વર્ષ પૂર્વે ન્હાનાલાલે એમનો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો. રાષ્ટ્રપ્રેમ એ કોઈનો, કોઈ વ્યક્તિ કે વર્ગનો ઇજારો નથી. ૧૯૧૫માં ગાંધીજીનું ભારતમાં આગમન થયું પછી અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના, એમાં હરિજન કુટુંબનો સ્વીકાર, ૧૯૧૭માં ચંપારણમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ, ૧૯૧૯માં રોલેટ બિલનો પ્રતિકાર, દિલ્હીમાં ગાંધીજીનો સત્યાગ્રહ, જલિયાંવાલાબાગમાં હત્યાકાંડ, ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, વિદેશી માલનો બહિષ્કાર અને અને ખાદીનો સ્વીકાર – ગાંધીજીના નેતૃત્વમાં આ ક્રાંતિકારી ઘટનાઓને કારણે ગુજરાતમાં અને ભારતભરમાં આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં મહાન નવજાગૃતિના યુગનો આરંભ થયો હતો. ન્હાનાલાલે આ જ સમયમાં ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય રચ્યું હતું. એ રચવા માટે અંગ્રેજ ઉપરી અધિકારીએ ખુલાસો કરવાનું કહ્યું ત્યારે એમણે ખુમારીથી ખુલાસો કર્યો હતો. ૧૯૧૯માં ‘નવજીવન’ના આરંભના અંકમાં જ ગાંધીજીએ ન્હાનાલાલનો ‘પ્રજાજીવનનો ઘસારો અને નવપલ્લવતા’ લેખ પ્રગટ કર્યો હતો. ન્હાનાલાલે ગાંધીજીના અસહકાર સાથે સહકાર અને અંગ્રેજોના અમલ સાથે અસહકાર કર્યો હતો. અંતે ૧૯૨૧માં એમણે અંગ્રેજોના રાજના એક અધિકારી તરીકે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને અમદાવાદમાં સ્થાયી નિવાસ કર્યો હતો. ક્યાંય વાંચ્યું નથી પણ સાંભળ્યું છે કે આ સમયમાં ન્હાનાલાલે ખાદી અપનાવી હતી અને ૧૯૨૨માં ગાંધીજી જ્યારે પ્રથમ વાર જેલમાં ગયા અને કસ્તૂરબાને સાબરમતી જેલમાં ગાંધીજીને મળવા જવું હતું ત્યારે ન્હાનાલાલ એમને મળવા લઈ ગયા હતા. વળી ૧૯૨૦માં જ્યારે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી ત્યારે એના પ્રથમ કુલપતિપદે ન્હાનાલાલ હોય એવો વિચાર કરવામાં આવ્યો હતો. બે દાયકાના શિક્ષણના અનુભવ પછી ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ રચ્યા પછી ગુજરાતમાં આ પદને માટે અન્ય કોઈ નહિ પણ એકમાત્ર ન્હાનાલાલ જ સંપૂર્ણપણે સુપાત્ર હતા. આ ભૂમિકા હતી છતાં ૧૯૧૯થી ૧૯૩૧ની વચ્ચેનાં ૧૨ વર્ષોમાં એવું તે શું થયું એનો કંઈક અણસાર ન્હાનાલાલે ૧૯૨૭માં એમના સુવર્ણજયંતીના પ્રસંગે અને ૧૯૨૯માં અમદાવાદની એક વિરોધસભાના પ્રસંગે જે વ્યાખ્યાન-લેખો લખ્યા હતા એમાં છે. ૧૯૧૯માં રાજકોટમાં અંત્યજ શાળામાં અને ૧૯૨૨માં અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં એમને જે અનુભવ થયો એનો એમાં ઉલ્લેખ કર્યો છે. એની વિગતો અહીં આપવાનો અવકાશ નથી. પણ એમાં એમણે રાજકોટના અનુભવ વિશે ગાંધીજીના ‘કાનમાં વિષ’ રેડાય છે અને અમદાવાદના અનુભવ વિશે ગાંધીજીની ‘આંખમાં ધૂળ’ છંટાય છે એવું વિધાન કર્યું છે. એમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી, પણ આ બંને પ્રસંગોએ સર્વોચ્ચ સ્થાનેથી ગાંધીજીની નિકટના કોઈ અગ્રણી નેતાએ ગાંધીજી સાથે પ્રપંચ કર્યો હતો એવો અંગુલિનિર્દેશ કર્યો છે. ગાંધીજી અને ન્હાનાલાલ વચ્ચે પરસ્પર અણસમજ અને ગેરસમજ થાય એવો આ પ્રપંચ છે. એથી એના પ્રત્યાઘાતમાં ગાંધીજીને ક્ષોભ અને દ્વિધાનો અનુભવ થયો હતો અને ન્હાનાલાલને રોષ અને રંજનો અનુભવ થયો હતો. ગાંધીજીએ આ ક્ષોભ અને દ્વિધા પછી વેદના સાથે ‘ભાઈઓ, એમાં કોઈનો વાંક નથી.’ એવું ભરતવાક્ય ઉચ્ચાર્યું હતું અને આ કરુણ નાટક પર પડદો પાડ્યો હતો. આ અને આવા અનુભવોના પ્રત્યાઘાતમાં ન્હાનાલાલે ગાંધીજીની નિકટના અગ્રણી નેતાઓ વિશે લખ્યું છે, ‘આઘેથી હુંયે મ્હોયો હતો. પણ પાસે આવીને જોયું તો એમના નેતાઓનો દીઠો મ્હોટે ભાગે બદમાશોનો સંઘ... કેટલાકે એ લોકોને મ્હારે મોઢે ‘હરામખોર’ કહ્યા છે. હું તો આજ (૧૯૨૭) છ-છ વર્ષથી જાણું છું ને એક જ શબ્દ ઉચ્ચારું છું કે અસહકારના નેતાઓ એટલે મ્હોટે ભાગે બદમાશોનો સંઘ. આજ તો ઘણાંઓએ એ જોયું છે, ઘણાંઓ એ ઉચ્ચારે છે. મ્હારો વાંક એ કે મ્હેં પહેલ્લું જોયું અને પહેલ્લું ઉચ્ચાર્યું.’ આ કરુણ નાટકની પરાકાષ્ઠારૂપ પ્રસંગ તો છે ૧૯૨૯ના સપ્ટેમ્બરમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં એક માંદા વાછડા પર વિષપાનનો અને એક માંદા વાંદરા પર બાણપ્રહારનો ‘અહિંસક’ પ્રયોગ કર્યો હતો તે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદના અહિંસાપ્રિય નાગરિકોએ ૬૦મી ગાંધી- જયંતીના દિવસે ન્હાનાલાલના પ્રમુખપદે બે હજાર શ્રોતાઓની એક જાહેરસભા યોજી હતી. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના અસહકારી યુવાન વિદ્યાર્થીઓએ સભાખંડમાં પ્રવેશ કર્યો હતો અને સતત ‘શેઇમ’, ‘ગાંધીજીકી જય’ આદિ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધાંધલધમાલ અને ઘાંટાઘોંઘાટ કરીને સભાભંગ કરવાનો ‘અહિંસક’ પ્રયત્ન કર્યો હતો. એ વિશે ન્હાનાલાલે એમના પ્રમુખીય વ્યાખ્યાન-લેખમાં લખ્યું છે, ‘અસહકારીઓ વાણીસ્વાતંત્ર્યના ઉપાસકો છે કે વિરોધીઓ ? ને અસહકારસંપ્રદાય પોતાને જ માટે વાણીસ્વાતંત્ર્ય વાંછે છે કે સમસ્ત ભારતીય પ્રજા માટે ?... ગાંધીજયંતીની તિથિએ થયેલું અસહકારીઓનું આક્રમણ એ આજની તિથિનું ગાંધીવાદીઓનું પરમ પાપ છે... ગુજરાતની પ્રજા જુએ છે અને હસે છે કે વાણીસ્વાતંત્ર્યના ઉપાસકો આજ ગાંધીજયંતીની તિથિએ વાણી- પરતંત્રતાના પાઠ ભજવે છે.’ આ વ્યાખ્યાનલેખમાં ન્હાનાલાલે ૧૯૨૧માં અમદાવાદમાં ખાનપુરમાં વિદેશી માલનો બહિષ્કાર થયો હતો એ પ્રસંગના સ્મરણ સાથે ગાંધીજીએ એ પ્રસંગે વલ્લભભાઈ વિશે જે ઉદ્ગારો કર્યા હતા એનું અવતરણ આપ્યું છે અને ગાંધીજી માટે ફાઉસ્ટના અને વલ્લભભાઈ માટે મેફિસ્ટોફેલિસના રૂપક દ્વારા ૧૯૧૯થી ૧૯૨૯ લગીના એક દાયકાના આ કરુણ નાટકનું નામના ઉલ્લેખ સાથે રહસ્યોદ્ઘાટન કર્યું છે. આ કરુણ પ્રકરણ વિશે કોઈ સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીવાદીની ડાયરી, આત્મકથા કે જીવનકથામાં કોઈ ઉલ્લેખ નથી. છે માત્ર અપરાધવૃત્તિનું મીંઢું મૌન, કારણ કે ‘એમાં કોઈનો વાંક નથી.’ સર્વોચ્ચ સ્થાન માટેની એક મનુષ્યની મહત્ત્વાકાંક્ષા કેવી કરુણતા સર્જી શકે છે એ તો ‘મૅકબેથ’ના સર્જક શેક્સપિયર જાણે અને બીજા ‘ગુજરાતનો તપસ્વી’ના સર્જક ન્હાનાલાલ જાણે. આ કરુણતાને પરિણામે ન્હાનાલાલ ગાંધીજીના જીવનમાંથી સદાયને માટે દૂર થયા બલકે એમને દૂર કર્યા. ગાંધીજી અને ન્હાનાલાલ – એક સંત અને એક કવિ – એક જ સમયે એક જ સ્થળે વસ્યા હતા, ૧૯૧૫થી ૧૯૧૯ લગી બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો, બંનેને પરસ્પર પ્રત્યે પ્રેમ અને આદર હતો, બંને વચ્ચે મનોમેળ હતો, છતાં અંતે જીવનભરનો મનોમેળ ન થયો તે ન જ થયો. છતાં ગુજરાતની પ્રજાના હૃદયમાં તો માત્ર ગાંધીજી અને ન્હાનાલાલનું જ સ્થાન છે. અને કોઈ ત્રીજી વ્યક્તિનું સ્થાન હોય તો તે મેઘાણીનું સ્થાન છે.. ન્હાનાલાલનું ઉત્તમ એમની ઊર્મિકવિતામાં છે. ઊર્મિકવિતામાં પણ એમનું ઉત્તમ એમના ‘પિતૃતર્પણ’ અને ‘શરદપૂનમ’ એ બે પ્રાયશ્ચિત્ત- કાવ્યોમાં છે. આ બંને કાવ્યો એમણે એક જ વર્ષમાં રચ્યાં હતાં, ૧૯૧૦માં. પછી ૧૯૧૯માં એમણે ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય રચ્યું એમાં પણ એમણે કાવ્યને અંતે ગાંધીજીને પ્રાયશ્ચિત્ત વિશે ઉદ્બોધન કર્યું છે. ૧૯૧૯ લગી ન્હાનાલાલના સમગ્ર જીવનમાં પિતા દલપતરામ, પત્ની માણેકબા અને મહાત્મા ગાંધી કેન્દ્રમાં હતાં. ન્હાનાલાલ નાનપણમાં ભારે તોફાની હતા. વર્ષો પછી એમણે લખ્યું છે, ‘તોફાન’ મ્હારો વ્હાલો શબ્દ હતો. નિશાળે જાય જ નહિ અને બજાર ગજવે, ઘરમાં પિતાને પજવે, નિશાળમાં માર ખાય કે માર મારે, પણ ઘરમાં તો માર જ ખાય. ૧૮૮૦થી ૧૮૯૨નાં ૧૨ વર્ષોમાં પિતાની ધાકધમકીને કારણે ત્રણ વાર ઘરમાંથી ભાગી ગયા હતા. આ હતો નાનપણમાં ન્હાનાલાલનો દલપતરામ સાથેનો તોફાનનો સંબંધ. પણ આ તોફાન નાદાન અને નિર્દોષ હતું. એમાં કોઈ અનાદર, અપમાન કે અપરાધ ન હતો.

ન્હાનાલાલ દલપતરામના વારસ પુત્ર ભલે હોય, પણ એ નર્મદના માનસપુત્ર હતા, સંરક્ષક પિતાના ઉચ્છેદક પુત્ર હતા, વિદ્રોહી પુત્ર હતા. દલપતરામનું જીવનભર મધ્યકાલીન માનસ હતું, ન્હાનાલાલનું યુવાનીમાં અર્વાચીન માનસ હતું. ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું તેનાં ૩ વર્ષ પૂર્વે ૧૮૯૫થી કોઈ અકળ કારણે પ્રાર્થનાસમાજ સાથે ન્હાનાલાલના સંવનનનો આરંભ થયો હતો. આ સંબંધ એ દલપતરામ પ્રત્યેનો તથા ‘પિતૃતર્પણ’માં ત્રીજા ખંડમાં જેનું વિગતે વર્ણન છે તે દલપતરામના સમગ્ર જીવનકાર્ય પ્રત્યેનો ગંભીર વિદ્રોહ હતો. ‘પિતૃતર્પણ’ના ચોથા ખંડમાં ન્હાનાલાલે એમના આ વિદ્રોહના અપરાધનો એકરાર કર્યો છે :

‘બહુ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા,
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.
ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું,
ને તમારા દિનો છેલ્લા ઝેર કીધા, સહુ ગયું.’

પછી ૧૯૦૪માં ન્હાનાલાલ પ્રાર્થનાસમાજથી નિર્ભ્રાંત અને નિવૃત્ત થયા હતા. ૧૯૦૦થી ૧૯૧૦ના એક દાયકાના સમયમાં એમણે સંસ્કૃત અને ગીતા-ઉપનિષદોનો અભ્યાસ અને ગીતાનો અનુવાદ કર્યો હતો. એમાં દલપતરામને જે પ્રિય તે ભારતીય સમાજ અને સંસ્કૃતિનો સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો. ૧૯૧૦ના માર્ચની ૨૫મીએ દલપતરામની ૧૨મી પુણ્યતિથિએ ગીતાનો આ અનુવાદ પ્રગટ કર્યો હતો અને એના – ‘પિતૃતર્પણ’ – અર્પણકાવ્યમાં એમણે પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એના ચોથા ખંડમાં ન્હાનાલાલે એમના વિદ્રોહના અપરાધનો એકરાર કર્યો છે અને એ અપરાધ માટે ક્ષમાયાચના કરી છે :

“સૌ અળવીતરાંની એ ક્ષમાઓ, તાત! આપજો,
ન જોશો માટીને, દેવા! માનજો પંક પંકજો.”

આ એકરાર, અપરાધ માટે ક્ષમાયાચના અને પ્રાયશ્ચિત્ત પછી એમના શોકનું શાંતિમાં પર્યવસાન થાય છે :

“પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરે યે પિતા માતા! દૃષ્ટિ તે ભાવની કરો.”

૧૮૮૩માં ૬ વર્ષની વયે ન્હાનાલાલનું વેવિશાળ ૩ વર્ષની વયના મણિબા (માણેકબા) સાથે થયું હતું અને ૧૮૯૦માં એમનાં લગ્ન થયાં ત્યારે ન્હાનાલાલનું ૧૩ વર્ષનું વય હતું. ૧૮૯૫માં કોઈ અકળ કારણે પ્રાર્થનાસમાજ સાથે ન્હાનાલાલના સંવનનનો જે આરંભ થયો હતો એના પરિણામે ન્હાનાલાલ સુધારક થયા હતા. ત્યારથી એમણે માણેકબાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો: ૧૮૯૫માં એમણે મુંબઈમાં તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષણ આપવાનો ઉપચાર કર્યો હતો. ૧૯૦૮માં માણેકબા આર્યસમાજ સંચાલિત હિન્દુ કન્યા શાળામાં માનદ સંચાલિકા હતાં. ન્હાનાલાલે માણેકબાને નૂતન સ્ત્રીની જેમ શણગારવાનો પ્રયત્ન કર્યો હતો. પરાણે બૂટ પહેરાવે, ઉચ્ચ સમાજમાં પોતાની સાથે હરવાફરવાનો, હળવામળવાનો આગ્રહ ધરાવે, પણ ૧૯૦૪ લગીમાં ન્હાનાલાલને પ્રાર્થનાસમાજ તો કથીર છે અને માણેકબા સાચે જ તેજસ્વી મણિ છે એવું જ્ઞાન-ભાન થયું પછી એમણે માણેકબાની પછવાડે ઘસડાવાનો આરંભ કર્યો હતો અને માણેકબાને પોતાની પછવાડે ઘસડવાનો સંબંધ તથા સુધારા અને પ્રાર્થનાસમાજ સાથેનો સંબંધ એકસાથે બંધ કર્યો હતો. દોઢ દાયકાના આ અપરાધના અનુભવ પછી ૧૯૧૦માં એમણે ‘શરદપૂનમ’ કાવ્ય રચ્યું હતું. શરદપૂનમ એટલે માણેકઠારી પૂનમ અને પત્નીનું નામ પણ માણેકબા – આમ, કાવ્યના શીર્ષકમાં જ આ કાવ્ય એકસાથે પૂનમ અને પત્ની વિશેનું કાવ્ય છે એનું સૂચન છે. એમાં પ્રથમ ૧૨ શ્લોકોમાં મુગ્ધાવસ્થા અને પ્રૌઢાવસ્થાના સુખદ

લગ્નજીવનનો મધુર અનુભવ પ્રગટ થાય છે. પણ પછી ૧૩થી ૧૬મા શ્લોકોમાં પત્નીની દીર્ઘ સમયની અસહ્ય એકલતાનો ઉલ્લેખ છે એમાં એ અંગેના પોતાના અપરાધનો એકરાર કર્યો છે :

‘ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે,
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાકી ઘૂમે.’

આ એકરાર પછી ૧૭મા શ્લોકમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના છે :

‘દેવી! અમારા ઉરમાં પધારજો!
દ્વારે દીપો એમ દિલે સદા હજો!’

દોઢ દાયકા લગી પત્ની દ્વાર પર હતાં, હવે ઉરમાં પ્રવેશ થાય છે. એમાં પતિના ગૃહમાંથી નહિ પણ ઉરમાંથી પત્નીનું નિર્વાચન થયું હતું એવું સૂચન છે. આ પછી સ્તુતિ, સ્તોત્ર અને મંત્રનું સ્તવન થાય છે. આ પ્રાર્થના પછી પતિના શોકનું શાંતિમાં પર્યવસાન થાય છે :

‘તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ!’

તપી તેવી ઘડી તો તે પ્રણયની પૂર્ણિમા દિવ્ય.

૧૯૧૭માં ગાંધીજીએ ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો, અહિંસક આંદોલનનો પ્રથમ પ્રયોગ કર્યો, એ આંદોલન સફળ થયાં. પછી ૧૯૧૯માં રોલેટ બિલના પ્રતિકારમાં રાષ્ટ્રવાદી આંદોલન કર્યું. એ પછીથી જલિયાંવાલા- બાગ આદિ સ્થળોએ હિંસાને કારણે નિષ્ફળ થયું. ગાંધીજીએ એ ‘હિમાલય જેવડી ભૂલ’ હતી એવો એકરાર કર્યો હતો અને પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એ પછી ૧૯૧૯માં ન્હાનાલાલે ગાંધીજી વિશે પ્રશસ્તિકાવ્ય ‘ગુજરાતનો તપસ્વી’ રચ્યું. એમાં કાવ્યના અંતભાગમાં એક અત્યંત માર્મિક પંક્તિ છે :

‘સાધો! સત્યનાયે આગ્રહ ન હોય.’

કશાયનોય આગ્રહ ન હોય, કારણ કે આગ્રહમાત્ર મોટે ભાગે દુરાગ્રહમાં, આક્રમકતામાં, હિંસામાં પરિણમે છે. તેમાંયે સત્યના આગ્રહ તો ન જ હોય. એક તો સત્ય શું છે, એ એક રહસ્યમય કૂટપ્રશ્ન છે. અને વળી સાથેસાથે સર્વશક્તિમાન છે, એને આગ્રહની આવશ્યકતા નથી. એના અનુસંધાનમાં પછીની પંક્તિઓમાં ગાંધીજીને પ્રાયશ્ચિત્ત અંગે ઉદ્બોધન છે :

‘પ્રાયશ્ચિત્તકાળ પૂરો થયો છે, ભારતનો કે ભારતવાસીઓનો ? પ્રાયશ્ચિત્તયુગ સમાપ્યા પહેલાં /
શેં ઊગશે સ્વર્ગનાં સ્હવાર / કોઈનાં, કે ત્હારાં, કે અમારાંયે ?’

એટલે પછી આજ્ઞાર્થ રૂપે કહ્યું છે,

‘ને યોગેન્દ્ર, સબૂર... સાધુજન, ધીરો થા.’

આ પછી ૧૯૨૧માં ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં બારડોલીમાં ફેબ્રુઆરીની ૮મીથી આંદોલન અંગેનો પ્રસ્તાવ થયો. પણ આંદોલનનો આરંભ થાય તે પૂર્વે ફેબ્રુઆરીની ૪થીએ ચોરીચોરામાં ભારે હિંસાને કારણે એ આંદોલન ન થયું ત્યારે ગાંધીજીએ હૃદયમાં પારાવાર વેદના સાથે ભગ્નકંઠે કહ્યું હતું, ‘ઈશ્વરે મને ત્રીજી વાર ચેતવ્યો છે કે સામૂહિક આંદોલન માટે ભારતમાં હજુ સત્ય અને અહિંસાનું વાતાવરણ નથી.’ આ પછી ગાંધીજીએ ૧૯૨૨થી ૧૯૨૮નાં ૬ વર્ષ લગી પ્રાયશ્ચિત્ત કર્યું અને ભારતવાસીઓ પાસે કરાવ્યું. ગાંધીજી ૬ વર્ષ લગી રાજકીય પ્રવૃત્તિમાં નહિ, પણ માત્ર સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. આમ, એમણે તપ કર્યું અને ભારતવાસીઓ પાસે કરાવ્યું અને એમને સત્ય અને અહિંસાના પાઠ પઢાવ્યા. ત્યાર પછી જ ૧૯૨૮માં બારડોલીનું આંદોલન અને ૧૯૩૦માં દાંડીકૂચનું આંદોલન સફળ થયું. ૧૯૨૨ના ફેબ્રુઆરીની ૨-૩જીએ ન્હાનાલાલ અને રવીન્દ્રનાથે, ભારતના આ બે મહાન કવિઓએ ૧૯૨૨ના બારડોલીના આંદોલનના પ્રસ્તાવ અંગે એક પત્રનો પત્રવ્યવહાર કર્યો હતો. એમાં એમણે એ સામૂહિક આંદોલન અહિંસક રહેશે ? એવી શંકા અને હિંસા થાય તો ?; – એવી ચિંતા વ્યક્ત કરી હતી. રવીન્દ્રનાથ અને ગાંધીજી વચ્ચે જાહેર જીવનના એકેએક મહત્ત્વના મુદ્દા અંગે મતભેદ હતો. છતાં બંને વચ્ચે જીવનભરનો મનોમેળ હતો, કારણ કે રવીન્દ્રનાથ શાંતિનિકેતનમાં હતા અને ગાંધીજીના અંતેવાસી નેતાઓથી દૂર અગમ્ય હતા. ન્હાનાલાલ અને ગાંધીજી વચ્ચે આરંભમાં કોઈ મતભેદ ન હતો, છતાં બંને વચ્ચે જીવનભારનો મનોમેળ ન થયો તે ન જ થયો, કારણ કે ન્હાનાલાલ અમદાવાદમાં હતા અને ગાંધીજીના અંતેવાસી નેતાઓની નિકટ સુલભ હતા.

૧૯૨૦માં ન્હાનાલાલ અંગ્રેજોના રાજના અધિકારી તરીકે રજા પર રહ્યા હતા અને ૧૯૨૧માં એમણે એમના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને જીવનભર અમદાવાદમાં વસ્યા હતા. હવે એ મુક્ત હતા અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ માટે એ જ એકમાત્ર સુપાત્ર હતા છતાં એ કુલપતિ ન થયા – બલકે એમને કુલપતિ ન કર્યા. પછી ન્હાનાલાલને આજીવિકા માટે એકબે આકર્ષક ઓફર હતી, પણ એમણે એનો સાભાર અસ્વીકાર કર્યો હતો અને ૧૯૨૧થી ૧૯૪૬ લગી – ૨૫ વર્ષ લગી એકાંતવાસમાં રહ્યા હતા. એ સ્વમાન અને ગૌરવથી રહ્યા હતા, એમણે ક્યારેય દીન કે હીન વચન ઉચ્ચાર્યું ન હતું. રવીન્દ્રનાથને પણ ૧૯૦૫-૧૯૦૭માં બંગભંગ અને સ્વદેશી આંદોલનના નેતાઓના દંભ અને સ્વાર્થનો અનુભવ થયો હતો એથી એ નિર્ભ્રાંત થયા હતા અને તે પછી સક્રિય જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા હતા અને ૧૯૦૭થી ૧૯૪૧ લગી – લગભગ ૩૫ વર્ષ લગી એ એકાન્તવાસમાં રહ્યા હતા અને સાહિત્યસર્જન દ્વારા રાષ્ટ્રકલ્યાણનું કાર્ય કર્યું હતું. ૧૯૧૯-૧૯૨૨માં ન્હાનાલાલને પણ ગાંધીજીના અંતેવાસી એવા અસહકાર આંદોલનના નેતાઓના દંભ અને સ્વાર્થનો એવો જ અનુભવ થયો હતો એથી નિર્ભ્રાંત થયા હતા. પછી સક્રિય જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા હતા. અને ૧૯૨૨થી ૧૯૪૬ લગી – લગભગ ૨૫ વર્ષ લગી એકાન્તવાસમાં રહ્યા હતા અને સાહિત્યસર્જન દ્વારા રાષ્ટ્રકલ્યાણનું કાર્ય કર્યું હતું. ગાંધીજી પણ ૧૯૩૩ પછી કૉંગ્રેસ એમના ગ્રામોદ્વારના રચનાત્મક કાર્ય પ્રત્યે, સામાજિક ક્રાંતિના કાર્ય પ્રત્યે ઉદાસીન હતી અને માત્ર સત્તાના રાજકારણમાં જ રચીપચી હતી એથી અંતે નિર્ભ્રાંત થયા હતા અને અમદાવાદથી વર્ધા ચાલ્યા ગયા હતા. સને ૧૯૪૭માં જ્યારે એમના ‘વારસો’ માટે દિલ્હી દૂર ન હતું ત્યારે ‘દિલ્હી દૂર છે, નોઆખલી નજીક છે’ એમ કહીને ‘એકલો જાને રે’ ગાતાં-ગાતાં હિન્દુ-મુસ્લિમ-એકતા માટે નોઆખલીમાં ઘેરઘેર ફર્યા હતા અને દિલ્હીમાં આવ્યા ત્યારે એકલતાનો અનુભવ કર્યો હતો. ન્હાનાલાલને તો ૧૯૨૨થી જીવનભર એકલતાનો અનુભવ થયો હતો. એમણે ‘ધૂમકેતુનું ગીત’ કાવ્યમાં જાણે કે એમનું હંસગીત રચ્યું હતું :

‘બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું,
ત્યહાં એકલો ઊંડું.’