નરસિંહથી ન્હાનાલાલ/૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દલપતરામ

અહમદશાહ મધ્યકાલીન અમદાવાદના પિતા છે, તો દલપતરામ અર્વાચીન અમદાવાદના પિતા છે. અમહદશાહે આરંભમાં તો પાટણમાંથી રાજ કર્યું હતું, પણ એમને એમની અસ્મિતાથી અંકિત એવી સ્વસર્જિત રાજધાનીમાંથી ગૌરવથી રાજ કરવાની મહેચ્છા હતી, એથી એમણે સાબરમતીના પૂર્વ તટ પર પૂર્વે જ્યાં આશા ભીલનું આશાવળ નગર હતું તે આદિવાસી ગ્રામપ્રદેશમાં અમદાવાદ વસાવ્યું હતું. એમણે એમાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જુમ્મા-મસ્જિદ આદિના જગપ્રસિદ્ધ સ્થાપત્ય દ્વારા તથા વેપાર-ઉદ્યોગના કેન્દ્ર સમા માણેકચોકની સ્થાપના દ્વારા અમદાવાદને વિકસાવ્યું હતું. તો દલપતરામે ફોર્બ્સ, કર્ટિસ અને હોપ – ત્રણ ઉદાર અને ઉદાત્ત અંગ્રેજ સજ્જનોના નેતૃત્વથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા સાંસ્કૃતિક, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં અમદાવાદના નગરજનોના મધ્યકાલીન માનસનું અર્વાચીન માનસમાં પરિવર્તન કર્યું હતું. દલપતરામ માત્ર અમદાવાદના સંદર્ભમાં જ નહિ પણ સમગ્ર ગુજરાતના સંદર્ભમાં અનેક ક્ષેત્રોમાં એમનાં અંગત જીવન અને કવનના પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા મધ્યયુગ અને અર્વાચીન યુગ વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુરૂપ હતા. રોમૅન્ટિક અભિનિવેશમાં કોઈએ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યા હોય તો ભલે, પણ વાસ્તવમાં તો ‘અર્વાચીનોમાં આદ્ય’ તો હતા દલપતરામ. ન્હાનાલાલે સાચ્ચું જ કહ્યું છે, ‘કવિતા કે સુધારો નર્મદના ચિરસ્થાયી રંગો ન હતા; એક દાયકાના રંગ હતા. ’૬૫માં સૂરતવાસ કર્યે બંનેય પ્રધાનત: ઊપટી ગયા.’ પૂર્વજીવનમાં ‘યાહોમ કરીને પડો’ ગાનાર નર્મદને ઉત્તરજીવનમાં ‘રણ તો ધીરાનું ધીરાનું’ ગાવાનું પ્રાપ્ત થયું હતું. નર્મદને માનસપરિવર્તન કરવાનું થયું હતું. જીવનભર ‘સજન સંભળાવજો રે ધીરેધીરે સુધારનોે સાર’ ગાનાર દલપતરામને ક્યારેય માનસપરિવર્તન કરવાનું થયું ન હતું. એમનું જીવન અને કવન ૧૮૪૮થી ૧૮૯૮ લગી, અરધી સદી લગી સતત સુસ્થિર રહ્યું હતું. કવિતા અને સુધારો એમના ચિરસ્થાયી રંગો હતા. દલપતરામનો જન્મ ૧૮૨૦ના જાન્યુઆરીની ૨૧મીએ વઢવાણમાં. પિતા ડાહ્યાભાઈ ત્રંબક ત્રવાડી અને માતા અમૃતબા. પિતા વેદપાઠી, કર્મકાંડી બ્રાહ્મણ. આર્થિક સ્થિતિ સામાન્ય. યજમાનવૃત્તિથી જીવનનિર્વાહ. સમાજમાં ડાહ્યા વેદિયાને નામે પરિચિત. ૮ વર્ષની વયે દલપતરામનો યજ્ઞોપવીત-સંસ્કાર અને વેદાભ્યાસનો આરંભ. ગામઠી શાળામાં ઔપચારિક પ્રાથમિક શિક્ષણ. પિતાનો ઉગ્ર સ્વભાવ. એક પ્રસંગે દલપતરામથી મંત્રોચ્ચારમાં દોષ થયો હતો એથી પિતાએ એમને નિષ્ઠુરપણે શિક્ષા કરી હતી. પરિણામે એ ઘરમાંથી ભાગી ગયા હતા. પછી એમને બાવા ઉપાડી ગયા હતા, એમાંથી લોકોએ એમને મુક્ત કરાવ્યા હતા અને મામા એમને સુરક્ષિત ઘરે લાવ્યા હતા. પણ હવે પિતા સાથે રહેવાનું અશક્ય હતું એથી માતા પુત્રો સાથે બરવાળામાં પિયરમાં વસ્યાં હતાં. એ સમયમાં ૮ વર્ષની વયે ગઢડાના મંદિરમાં એમને સહજાનંદસ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. પછી ૧૪ વર્ષની વયે ભૂમાનંદસ્વામીના પ્રભાવથી એમણે સ્વામીનારાયણ સંપ્રદાયનો ધર્મ અંગીકાર કર્યો હતો. એથી માતાને આઘાત થયો હતો, પણ પિતાને તો એવો ભારે આઘાત થયો હતો કે એમણે સંન્યાસ ધારણ કર્યો હતો. ૧૮૪૪માં દલપતરામની ૨૪ વર્ષની વયે પિતાનું અવસાન થયું હતું. એમને પિતાનું સુખ પ્રાપ્ત થયું ન હતું. દલપતરામે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષાને કારણે કિશોરવયમાં જ દેવાનંદસ્વામીની નિશ્રામાં અમદાવાદમાં કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને વ્રજ-કવિતાનો અભ્યાસ કર્યો હતો. એથી પિંગળગુરુ તરીકે એમને ભોળાનાથનો પરિચય થયો હતો. અભ્યાસ પછી એ વઢવાણ પાછા ફર્યા હતા. ૧૮૪૮ના નવેમ્બરની પહેલીએ અમદાવાદમાં દલપતરામના જીવનની સૌથી મહાન ક્રાંતિકારી ઘટના ઘટી હતી – એલેક્ઝાંડર કિન્લોક ફોર્બ્સ સાથેનું મિલન. એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સનો જન્મ ૧૮૨૧ના જુલાઈની ૭મીએ લંડનમાં થયો હતો. એ સ્કૉટલૅન્ડના અમીર કુટુંબના નબીરા હતા. એ શિલ્પ-સ્થાપત્યના અભ્યાસી અને ઇતિહાસવિદ હતા. એમને શિલ્પી-સ્થપતિ થવાની મહેચ્છા હતી, પણ સંજોગવશાત્ એ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તાલીમ પછી ૧૮૪૩માં ભારતમાં અમહદનગરમાં સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. પછી ૧૮૪૬માં અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. ઇતિહાસવિદ એવા ફોર્બ્સે અમદાવાદ-નિવાસના આરંભમાં જ ભાટ-ચારણોને આમંત્રણ આપ્યું હતું અને એમનાં મુખે લોકગીતો અને લોકકથાઓ સાંભળ્યા પછી એમને એ લોકવૃત્તને આધારે ગુજરાતનો ઇતિહાસ રચવાની અને એ માટે ગુજરાતમાં સ્થળેસ્થળે પ્રવાસ કરીને ઇતિહાસની સામગ્રીનું સંપાદન અને સંશોધન કરવાની ઇચ્છા હતી. તેઓ આ કાર્યમાં એમને સહાયક થાય એવી યોગ્ય ગુજરાતીભાષી વ્યક્તિની શોધમાં હતા. ફોર્બ્સના મિત્ર ભોળાનાથ સારાભાઈએ એ માટે દલપતરામ યોગ્ય વ્યક્તિ છે એવું સૂચન કર્યું હતું. પછી ફોર્બ્સે દલપતરામને ‘મોકલી મુદ્દામ માણસ તેડાવ્યા વઢવાણથી.’ દલપતરામ પગપાળા પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા. ૧૮૪૬ના નવેમ્બરની પહેલીએ સાબરમતીના પૂર્વતટ પર ચાંદાસૂરજના મહેલમાં દલપતરામ અને ફોર્બ્સનું મિલન થયું હતું. ત્યારે દલપતરામની ૨૮ વર્ષની વય હતી. ફોર્બ્સ સમક્ષ દલપતરામે વ્રજભાષામાં સ્વરચિત કાવ્યનું પઠન કર્યું હતું. ફોર્બ્સ દલપતરામના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સુમધુર પઠનથી પ્રસન્ન થયા હતા. પછી એમણે દલપતરામને પૂછ્યું હતું, ‘શું વેતન લેશો ’ દલપતરામે કહ્યું હતું, ‘૨૦૦ રૂપિયા.’ ફોર્બ્સને અંગત આવકમાંથી આ વેતનની રકમ આપવાની હતી. એથી એમને મૂંઝવણ હતી કે માસિક વેતનની આટલી મોટી રકમ ક્યાંથી લાવીશ  ત્યાં દલપતરામે ધીરેથી કહ્યું હતું, ‘બાર મહિને ૨૦૦ રૂપિયા.’ એથી ફોર્બ્સ નિશ્ચિંત થયા હતા. અને એમણે દલપતરામને માસિક ૨૫ રૂપિયાના વેતનથી એમના સહાયક તરીકે નિયુક્ત કર્યા હતા. પછી સાત જ સપ્તાહ પછી ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મીએ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી હતી. (આજે હવે એનું નામ છે ‘ગુજરાત વિદ્યાસભા’). એનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું અને શ્રીમંત નગરજનો અને દેશી રાજ્યોના મહારાજાઓ દ્વારા ૧૦ હજાર રૂપિયાનું ફંડ રચવામાં આવ્યું હતું. એક જ ગુજરાતીભાષી સભ્યના અપવાદ સાથે એના અન્ય સૌ સભ્યો શાસકવર્ગના અંગ્રેજો હતા. મુંબઈ પ્રાંતના ગવર્નર એના પેટ્રન. ફોર્બ્સ એના સેક્રેટરીપદે હતા અને દલપતરામ એમના આસિસ્ટંટ સેક્રેટરીપદે હતા. દલપતરામ અને ફોર્બ્સનું મિલન એ દલપતરામના જીવનની સુવર્ણ ક્ષણ હતી. ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના પછી ફોર્બ્સે આયુષ્યના અંત લગી ગુજરાતની પ્રજાને અન્ય અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. ૧૮૪૯ના જાન્યુઆરીની ૫મીએ અમદાવાદમાં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. ૧૮૪૯ના મેની ૨જીએ ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક ‘અમદાવાદ વર્તમાનપત્ર’નું પ્રકાશન કર્યું હતું. (‘વરતમાંન’ દર બુધવારે પ્રગટ થતું હોવાથી તેનું લોકપ્રિય નામ હતું ‘બુધવારિયું’. એનું ૬ રૂપિયા વાર્ષિક લવાજમ હતું. એના ૧૨૫ ગ્રાહકો હતા. એ સ્વનિર્ભર હતું. ૧૮૬૪ લગી એ અસ્તિત્વમાં હતું.) ૧૮૫૦ના જુલાઈની ૮મીએ હરકુંવરબાઈના સહકારમાં એક કન્યાશાળાનું સંચાલન કર્યું હતું. ૧૮૫૪ના માર્ચમાં ‘બુદ્ધિપ્રકાશ’નું પ્રકાશન કર્યું હતું. ૧૮૭૮ લગી એ અસ્તિત્વમાં હતું. ૧૮૫૦માં ફોર્બ્સ સૂરતમાં શહેર સુધરાઈના અમલદાર તરીકે નિયુક્ત થયા હતા. અહીં એમણે ‘એન્ડ્રુસ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. એમાં દર બુધવારે સભાનું આયોજન થતું હતું અને વ્યાખ્યાન થતું હતું. વળી દર બુધવારે ‘સુરત સમાચાર’ વર્તમાનપત્રનું પ્રકાશન કર્યું હતું. ૧૮૫૧માં ફોર્બ્સ અમદાવાદમાં આસિસ્ટંટ કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. એમણે ગુજરાતના ઇતિહાસ માટે સામગ્રી એકત્ર કરવા માટે દલપતરામની સાથે ગુજરાત- સૌરાષ્ટ્રનાં અનેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો હતો. ૧૮૫૨માં ફોર્બ્સ મહીકાંઠા એજન્સીમાં પૉલિટિકલ એજન્ટ તરીકે નિયુક્ત થયા હતા. આ વર્ષમાં દીપોત્સવી પ્રસંગે ઈડરમાં અનેક કવિઓને પોતાના નિવાસસ્થાને નિમંત્રણ આપીને ‘કવિમેળો’ યોજ્યો હતો. ૧૮૫૪માં ફોર્બ્સ ૩ વર્ષની રજા પર હતા અને ‘રાસમાળા’ લખવા અને એનું ઇંગ્લૅન્ડમાં જ પ્રકાશન કરવા ઇંગ્લૅન્ડમાં રહ્યા હતા અને ૧૮૫૬માં ‘રાસમાળા ભાગ-૧, ૨’નું ઇંગ્લૅન્ડમાં પ્રકાશન કર્યું હતું. ૧૮૬૨માં ફોર્બ્સ મુંબઈમાં હાઈકૉર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. મુંબઈમાં એ અતિલોકપ્રિય હતા. એમને એશિયાટિક સોસાયટીનું પ્રમુખપદ અર્પણ કરવામાં આવ્યું હતું. એનો એમણે વિનયપૂર્વક સ્વીકાર કર્યો ન હતો, પણ એ એના ઉપ-પ્રમુખપદે રહ્યા હતા. મુંબઈ સરકારે એમને મુંબઈ યુનિવર્સિટીના વાઈસ–ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. ૧૮૬૫ના માર્ચની ૨૫મીએ એમણે મુંબઈમાં મુંબઈના નગરજનો અને સૌરાષ્ટ્રના મહારાજાઓનાં મોટી રકમોનાં દાનની સહાયથી ‘શ્રી ગુજરાતી સભા’ સ્થાપી હતી. તે દિવસે મુંબઈના ટાઉનહૉલમાં એક વિશાળ જાહેરસભામાં એનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફોર્બ્સના અવસાન પછી એમની સ્મૃતિમાં, એમના સ્મરણાર્થે ‘શ્રી ગુજરાતી સભા’નું ‘શ્રી ફાર્બ્સ ગુજરાતી સભા’ એવું નવીન નામકરણ કરવામાં આવ્યું હતું. ૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મીએ પૂનામાં ૪૪ વર્ષની અતિકાચી વયે ‘બહુ વિચાર કરવાથી અને ઘણાં કામ સાથે લેવાથી મગજમાં રોગ થયો’ એથી એમનું અવસાન થયું હતું. ફોર્બ્સની જન્મભૂમિ ભલે ઇંગ્લૅન્ડ હોય, પણ એમની કર્મભૂમિ તો ગુજરાત જ. ૨૧ વર્ષની વયે આ સાહિત્યપ્રિય ઇતિહાસવિદ એવા એક અંગ્રેજ અમલદાર તરીકે ભારત આવ્યા હતા. ૪૪ વર્ષની વયે એમનું અવસાન પૂનામાં – ભારતમાં જ થયું હતું. ૨૩ વર્ષ લગી એમણે ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતની પ્રજા જ્ઞાનસમૃદ્ધ થાય એ માટે ભારે પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. ૧૮૫૬માં ‘રાસમાળા’નું પ્રકાશન થયું ત્યારે નર્મદે એની પ્રશંસા રૂપે લખ્યું હતું, ‘ઓ દેશીઓ! આ શાં તમારાં નૂર! તમે કેવા ઊંઘતા અને આળસુ છો કે તમારી પાસે પડેલી તમારી જ ચીજનું તમે બરાબર ભાન નથી રાખી શકતા! પરદેશીઓ એ વસ્તુઓનું ચોખ્ખું ભાન ધરાવે છે, તોપણ એ ઉપર તમે નિઘા નથી કરતા!’ તેઓ શાસક-વર્ગના સભ્ય હતા, અંગ્રેજ અમલદાર હતા, છતાં અંગ્રેજી અમલ દરમિયાન જ ૧૮૫૭ના બળવા અંગે એમણે નિર્ભીક અને નિષ્પક્ષ નિવેદન કર્યું હતું, ‘લોકોના ઉપર અનેક પ્રકારના અન્યાય થાય તેથી જ બળવો થયો... અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ (માટે અન્યાય કરવો નહિ) એવું લૉર્ડ એલેન્બરો વદે છે તે યથાર્થ અને સત્ય છે.’ ૧૮૬૫ના સપ્ટેમ્બરની ૧૫મીએ નર્મદે ફોર્બ્સની મૃત્યુનોંધમાં એમના સ્વતંત્ર મિજાજની પ્રશંસારૂપે ‘દાંડિયા’માં લખ્યું હતું, ‘બળવાના હિંગામમાં “મુંબઈ કુવાર્ટરલી રીવ્યુ”માં આર્ટિકલો લખીને પોતાના વિચાર તે વખતના તપેલા અંગ્રેજોનાથી જુદા હતા તે બતાવ્યા હતા... ભાંગના ક્યારામાં કોઈ વખત તુલસીનો છોડ ઊગી નીકળે છે, તેમ હાલ બેત્રણ વર્ષ થયાં ઘણી ચવાયેલી અને સઉની દાઢે ચડેલી “સીવિલ સર્વિસ”માં પણ જૂના ટોપીવાલાઓમાંના કોઈ બડા અચ્છા સાહેબો નીવડેલા છે. તેવા મરનાર એલેક્ઝાંડર કી. ફોર્બ્સ સાહેબ થયા. ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી, એમણે તો ગુજરાતને જ પોતાનું વતન જાણ્યું છે.’ આમ, આ ગુજરાતપ્રેમી અંગ્રેજે ગુજરાતને, ગુજરાતનાં ભાષા-સાહિત્યને, ગુજરાતની પ્રજાને અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. પણ એમની સર્વશ્રેષ્ઠ ભેટ તો હતી દલપતરામ – દલપતરામની અર્વાચીનતા. દલપતરામે નાનપણમાં ગામઠી પ્રાથમિક શાળામાં નહિવત્ ઔપચારિક અભ્યાસ કર્યો હતો. એ અનેક કવિઓની જેમ સ્વશિક્ષિત હતા. એમણે કિશોરવયે જ ઉખાણાં, હડૂલા આદિ કાવ્યસ્વરૂપોમાં કવિતા રચવાનો આરંભ કર્યો હતો. શામળ એમનો પ્રિય કવિ હતો. એના અનુકરણમાં એમણે ‘હીરાનન્દી’ અને ‘કમળલોચની’ – શૃંગારરસનાં બે કથાકાવ્યો રચ્યાં હતાં. પણ એમણે ૧૪ વર્ષની વયે સ્વામીનારાયણ-સંપ્રદાય અંગીકાર કર્યો ત્યારે એનો નાશ કર્યો હતો. પછીથી એમણે સંપ્રદાય અને સવિશેષ તો ફોર્બ્સના સાન્નિધ્યમાં ઉચ્ચકક્ષાનું અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. દલપતરામનાં જીવનમાં અને કવનમાં જે નૈતિક મૂલ્યોનો, નૈતિકતાનો આગ્રહ છે એમાં સ્વામીનારાયણ સંપ્રદાયની પ્રેરણા હતી. એને સમાજાભિમુખતાનું, સામાજિક સભાનતાનું પરિમાણ હતું. પછી એને બૌદ્ધિકતાનું, અર્વાચીનતાનું એક વધુ અને નવું પરિમાણ પ્રાપ્ત થયું એમાં ફોર્બ્સની પ્રેરણા હતી. ૧૮૫૧માં દલપતરામે ‘રાસમાળા’ માટે ગુજરાતના ઇતિહાસની સામગ્રી – હસ્તપ્રતો, કંઠસ્થ લોકગીતો અને લોકકથાઓ આદિ – એકત્ર કરવા ફોર્બ્સની સાથે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સ્થળેસ્થળે પગપાળા પ્રવાસ કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન દલપતરામને લોકમાનસનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. એમનાં પદ્ય અને ગદ્ય લખાણો – સવિશેષ હાસ્યનાં કાવ્યો અને નાટકો – માં એ પ્રગટ થયો છે. દલપતરામે કિશોરવયમાં અંગ્રેજી પ્રાઇમરની સહાયથી અંગ્રેજીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ માત્ર અંગ્રેજી મૂળાક્ષરોનો જ પરિચય થયો એટલામાં તો એ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. ફોર્બ્સે પણ દલપતરામ સાથે મિલન થયું તે પૂર્વે થોડોક સમય અમદાવાદમાં ગુજરાતીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમનો એ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો. ફોર્બ્સ જેવા અંગ્રેજ મિત્ર હતા છતાં દલપતરામ અંગ્રેજી ન જ ભણ્યા, પણ દલપતરામ જેવા કવિમિત્રને કારણે ફોર્બ્સ તો ગુજરાતી ભણ્યા જ. દલપતરામ અને ફોર્બ્સે સહપ્રવાસમાં ‘રાસમાળા’ માટેની સામગ્રી એકત્ર કરી હતી, એટલું જ નહિ, પણ ફોર્બ્સે દલપતરામ સમક્ષ એનું સહવાચન કર્યું હતું અને અર્થઘટન કર્યું હતું, સહસંશોધન અને સહસંપાદન કર્યું હતું. ત્યાર પછી ફોર્બ્સે ‘રાસમાળા’ અંગ્રેજીમાં રચી હતી. આમ, એક અર્થમાં ‘રાસમાળા’ એ દલપતરામ અને ફોર્બ્સનું સહસર્જન હતું. જેને ફોર્બ્સ જેવા મિત્ર હોય એવા દલપતરામ અંગ્રેજી ભણ્યા કે ન ભણ્યા એ અપ્રસ્તુત છે, કારણ કે ફોર્બ્સ દ્વારા એમને પશ્ચિમનો અને પશ્ચિમનાં અર્વાચીન જીવનમૂલ્યોનો ગાઢ પરિચય થયો હતો અને એમની ઇતિહાસદૃષ્ટિ ખૂલી-ખીલી હતી. ફોર્બ્સે દલપતરામને ગદ્યમાં નિબંધો લખવાનો આગ્રહ કર્યો હતો. ૧૮૫૦માં એમણે ઇનામી સ્પર્ધા માટે ભૂત-પ્રેત આદિનો ભ્રમ ભાંગવા માટેનો ‘ભૂતનિબંધ’ લખ્યો હતો અને એ ઇનામ જીતી ગયા હતા. ગુજરાતી ભાષાનો આ પ્રથમ નિબંધ હતો. પછીથી ફોર્બ્સે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. દલપતરામને સહજાનંદસ્વામીની ‘શિક્ષાપત્રી’નો અનુભવ તો હતો જ. પછીથી એમણે જીવનભર ગુજરાતના સમાજનાં અનેક દોષો અને દૂષણો–મદ્યપાન, બાળલગ્ન, જ્ઞાતિ, કુસંપ, કુટેવ આદિ – વિશે અનેક નિબંધો લખ્યા હતા અને ઇનામો જીત્યાં હતાં. આ નિબંધોની અનેક આવૃત્તિઓનું પ્રકાશન થયું હતું. પછીથી દલપતરામે બે દાયકા લગી ગદ્યમાં માત્ર નિબંધના સ્વરૂપમાં જ નહિ પણ વાર્તા અને સંવાદ તથા નાટકનાં સ્વરૂપોમાં પણ અઢળક સર્જન કર્યું હતું. દલપતરામના આ ગદ્યગ્રંથોની અનેક આવૃત્તિઓનું પ્રકાશન થયું હતું. એમાં એમનું હાસ્યપ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ મુખ્ય છે. ૧૮૯૨માં રમણભાઈએ ગુજરાતી ભાષામાં પ્રથમ હાસ્યપ્રધાન નવલકથા ‘ભદ્રભદ્ર’ રચી તે પૂર્વે અને ૧૮૮૨માં મણિલાલે ‘કાન્તા’ નાટક રચ્યું તથા ૧૮૯૫માં રમણભાઈએ ‘રાઈનો પર્વત’ નાટક રચ્યું તે પૂર્વે ૧૮૬૯માં દલપતરામે આ નાટક રચ્યું હતું. એથી ગુજરાતી ભાષાનું આ પ્રથમ નાટક છે, જેમાં મૂર્ખતા અને ધૂર્તતાનું વિચિત્ર અને અદ્ભુત મિશ્રણ છે એવું જીવરામ ભટ્ટનું પાત્ર એ દલપતરામનું એક ચિરંજીવ સર્જન છે. ૧૮૪૫માં દલપતરામે ૨૫ વર્ષની વયે ગુજરાતી ભાષામાં ‘બાપાની પીપર’ કાવ્ય રચ્યું હતું. એ મુખ્યત્વે તો ગ્રીષ્મઋતુના વર્ણનનું કાવ્ય છે, પણ એમાં સર્વાનુભવ અને સ્વાનુભવ ઓતપ્રોત છે. એથી એ ગુજરાતી ભાષાનું પ્રથમ અર્વાચીન ઋતુકાવ્ય છે અને ગુજરાતી ભાષામાં પ્રથમ અર્વાચીન કાવ્ય છે. એથી દલપતરામ ગુજરાતી ભાષામાં અર્વાચીન કવિતાના પિતા છે. વ્રજભાષા અને વ્રજકવિતા પર દલપતરામનું પ્રભુત્વ હતું. જીવનભર એમણે રાજસભાઓમાં વ્રજકવિતાનું પઠન કર્યું હતું અને અનેક ઇનામો, પુરસ્કારો અને વર્ષાસનો પ્રાપ્ત કર્યાં હતાં. પણ ૧૮૪૮માં મૈત્રીના આરંભે જ ગુજરાતપ્રેમી ફોર્બ્સે દલપતરામને ગુજરાતી ભાષાના મહિમા અંગે સભાન કર્યા હતા અને ભવિષ્યમાં એમનું મહત્ત્વનું સમગ્ર કાવ્યસર્જન વ્રજભાષામાં નહિ પણ ગુજરાતી ભાષામાં કરવાનું સૂચન કર્યું હતું. એથી દલપતરામે ૧૮૪૮થી આયુષ્યના અંત લગી ગુજરાતી ભાષામાં જ એમનું મહત્ત્વનું સમગ્ર કાવ્યસર્જન કર્યું હતું. ૧૮૫૦માં દલપતરામ ફોર્બ્સની સાથે આગબોટમાં સુરત ગયા હતા અને દોઢેક વર્ષ રહ્યા હતા. ૧૮૫૧ના જાન્યુઆરીમાં એમણે એન્ડ્રુસ લાઇબ્રેરીમાં કર્ટિસના પ્રમુખપદે ‘હુંનરખાનની ચઢાઈ’ રૂપકકાવ્યનું પઠન કર્યું હતું. ફોર્બ્સ હતા તો દલપતરામ આ કાવ્ય રચી શક્યા હતા. એકાદ સદી પૂર્વે ૧૭૫૦ની આસપાસ ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાન્તિ પછી યંત્રઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો હતો અને ઇંગ્લૅન્ડ સમૃદ્ધ થયું હતું તેમ યંત્રઉદ્યોગ દ્વારા સમૃદ્ધ થવાનું આ કાવ્યમાં દલપતરામનું આહ્વાન છે. આજે ભારતમાં જે યંત્રવૈજ્ઞાનિક વિકાસ થાય છે એનું આ કાવ્યમાં આર્ષદર્શન છે. સ્પષ્ટ જ છે કે અંગ્રેજી ભાષાથી અનભિજ્ઞ એવા દલપતરામને ઇંગ્લૅન્ડની ઔદ્યોગિક ક્રાન્તિ અને યંત્રઉદ્યોગનું જ્ઞાન ફોર્બ્સ દ્વારા જ પ્રાપ્ત થયું હતું, એથી આ કાવ્યમાં ફોર્બ્સની પ્રેરણા છે. આ કાવ્ય આજે ગુજરાતી ભાષાની કવિતામાં જે આધુનિકતા છે એના બીજરૂપ છે. આ કાવ્યની કુલ ૪૦ આવૃત્તિઓ અને દોઢેક લાખ નકલોનું પ્રકાશન થયું હતું. દલપતરામે ‘હુંનરખાનની ચઢાઈ’નું કાવ્યવ્યાખ્યાન કર્યું ત્યારે શ્રોતાવૃંદમાં નર્મદ, દુર્ગારામ, મહીપતરામ આદિ સુરતના સુધારકો ઉપસ્થિત હતા. આ પ્રસંગે દલપતરામને એમની સાથે પ્રથમ અંગત પરિચય થયો હતો. દુર્ગારામ તો સુધારાના સંદર્ભમાં એમના સમાનધર્મી હતા. ભૂત અંગે ભૂવાઓ સાથેના વાદવિવાદમાં એક પ્રસંગે દુર્ગારામને તો ડંગોરાથી માર મારવામાં આવ્યો હતો. નર્મદે દલપતરામના સુરતનિવાસ દરમિયાન સરસ્વતીમંદિરમાં દલપતરામના બહુમાનમાં એક મિલનોત્સવ યોજ્યો હતો. ૧૮૫૧માં ફોર્બ્સ બદલીને કારણે સુરતથી અમદાવાદ આવ્યા ત્યારે દલપતરામે એમની સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે પગપાળા સહપ્રવાસ કર્યો હતો અને ફોર્બ્સના પ્રોત્સાહનથી સુધારા અંગે વ્યાખ્યાનો કર્યાં હતાં. ૧૮૫૨માં થોડોક સમય દલપતરામ ફોર્બ્સની સાથે મહીકાંઠામાં સાદરામાં રહ્યા હતા. ઇડરમાં ફોર્બ્સે ‘કવિમેળો’ યોજ્યો એમાં એ સહભાગી થયા હતા. આ સમયમાં પણ દલપતરામે ફોર્બ્સના પ્રોત્સાહનથી સ્થળેસ્થળે સુધારા અંગે વ્યાખ્યાનો કર્યાં હતાં. પછી ૧૮૫૪માં ફોર્બ્સ ‘રાસમાળા’ લખવા માટે ૩ વર્ષની રજા સાથે લંડન ગયા ત્યારે ફોર્બ્સે દલપતરામને એમની આર્થિક સુરક્ષા માટે સાદરામાં એજન્સીની ઑફિસમાં માસિક ૨૫ રૂપિયાના વેતનથી કર્મચારી તરીકે નિયુક્ત કરાવ્યા હતા. ફોર્બ્સ અને દલપતરામ બંનેની અનુપસ્થિતિને કારણે ૧૮૫૪માં સોસાયટીના મુખપત્ર ‘ગુજરાત વર્તમાનપત્ર’નો ભારે દુરુપયોગ થયો હતો. ફોર્બ્સ પછીના સોસાયટીના સેક્રેટરી કર્ટિસ તથા અન્ય અંગ્રેજ સભ્યો ગુજરાતી ભાષાથી અજાણ હતા. એથી મુખપત્રમાં શું પ્રગટ થાય છે એની એમને જાણકારી ન હતી. એમાં મુખપત્રના સંચાલકોએ એમના અંગત રાગદ્વેષોને કારણે અમદાવાદના પ્રતિષ્ઠિત નગરજનો, જાહેર સંસ્થાના સંચાલકો, અધિકારીઓ, અમલદારો અને સ્વયં સરકાર પર આક્ષેપો અને નિંદાત્મક લખાણો પ્રગટ કર્યાં હતાં. એથી બદનક્ષીના કૉર્ટ-કેસો થયા હતા. સોસાયટી પ્રત્યેનો એ સૌનો સદ્ભાવ બંધ થયો હતો. આર્થિક સહાય અને સહકાર બંધ થયાં હતાં. સોસાયટીના સૌ સભ્યો સરકારી અમલદારો હતા. સરકારે એ સૌને સોસાયટીમાં તેઓ ‘વર્તમાનપત્ર’માં સક્રિય ન રહી શકે એવો આદેશ આપ્યો હતો. એથી ‘વર્તમાનપત્ર’ બંધ થયું, એટલું જ નહિ, પણ સોસાયટી પણ બંધ થાય એવી પરિસ્થિતિ હતી. ૧૮૫૪માં કર્ટિસે દલપતરામને અમદાવાદમાં વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપ્યું. દલપતરામે સાદરાથી આવીને ‘રાજ્યવિદ્યાભ્યાસ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. પણ એ નિમિત્તે કર્ટિસે સોસાયટીની કરુણ પરિસ્થિતિને કારણે સોસાયટીમાં પાછા આવવાની વિનંતી કરી હતી, એટલું જ નહિ, પણ એમણે ફોર્બ્સને લંડન પત્ર લખ્યો હતો અને ફોર્બ્સ પણ દલપતરામને સોસાયટીમાં પાછા આવે એવો આગ્રહ કરે એવી ફોર્બ્સને પણ વિનંતી કરી હતી. ફોર્બ્સે લંડનથી દલપતરામને પત્ર લખ્યો હતો અને તેઓ સોસાયટીમાં પાછા આવે એવો આગ્રહ કર્યો હતો. એથી દલપતરામે સોસાયટીના ભવિષ્યને ખાતર સાદરાની ભવિષ્યમાં મોટી રકમના વેતનની નોકરીનો ત્યાગ કર્યો હતો, પોતાના ઉજ્જ્વળ ભવિષ્યનો ત્યાગ કર્યો હતો. ફોર્બ્સે એમના પત્રમાં આગ્રહની સાથેસાથે ભવિષ્યમાં સોસાયટી બંધ થાય તો દલપતરામના જીવનનિર્વાહની જવાબદારી પણ સ્વીકારી હતી. ૧૮૫૫માં દલપતરામને માસિક ૩૦ રૂપિયાના વેતનથી સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (૧૮૭૮માં દલપતરામ નિવૃત્ત થયા ત્યારે એમનું માસિક ૫૦ રૂપિયાનું વેતન હતું.) સૌપ્રથમ તો દલપતરામે હીમાભાઈ નગરશેઠ સાથે અંગત મુલાકાત યોજી હતી અને એમનું હૃદય જીતી લીધું હતું. પછી હીમાભાઈ અને હરકુંવરનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો હતો અને એમની આર્થિક સહાયથી ‘હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ અને ‘હરકુંવર કન્યાશાળા’ની સ્થાપના કરી હતી. ‘બુદ્ધિપ્રકાશ’નું સંચાલન કર્યું હતું અને ૧૮૭૮માં ‘બુદ્ધિપ્રકાશ’ બંધ થયું ત્યાં લગી એમાં એમણે અઢળક લખાણ કર્યું હતું. પ્રકાશન અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓને સજીવન કરી હતી. આમ, દલપતરામના અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થને કારણે સોસાયટી એક આદર્શ સંસ્કારકેન્દ્ર બની હતી, આર્થિક અને બૌદ્ધિક બંને દૃષ્ટિએ સધ્ધર અને સમૃદ્ધ બની હતી. દલપતરામ અને સોસાયટી એવાં અવિભાજ્યપણે ઓતપ્રોત થયાં હતાં કે બંને પરસ્પરનાં જાણે કે પર્યાયરૂપ હતા. કર્ટિસે દલપતરામને સોસાયટીના વિકાસ અર્થે ભાવનગર અને વડોદરા મોકલ્યા હતા. ભાવનગરમાં દલપતરામની પ્રેરણાથી મહારાજાએ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. વડોદરામાં પણ મહારાજ ખંડેરાવ સમક્ષ ‘ગુર્જરીવિલાપ’ કાવ્યનું પઠન કર્યું હતું અને એમણે એમની પ્રસિદ્ધ પંક્તિઓ ‘ચૌટામાં લૂંટાણી ગુજરાતી રાણી... રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું’નું પઠન કર્યું હતું અને એમ ‘ગુજરાતી વાણી રાણી’ના સ્વનિયુક્ત વકીલ તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. એથી ખંડેરાવે દલપતરામને એમના રાજ્યમાં શાળાઓ અને પુસ્તકાલયો સ્થાપવાનું વચન આપ્યું હતું. ૧૮૫૪માં દલપતરામે અમદાવાદમાં ‘રાજ્યવિદ્યાભ્યાસ’ વિશે વ્યાખ્યાન તો આપ્યું જ હતું, એમાં એમના પ્રસિદ્ધ કાવ્ય ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’માં દેશી રાજ્યોના રાજામહારાજાઓને ઉપાલંભ તો કર્યો જ હતો. પછી ભાવનગર અને વડોદરામાં પૂર્વોક્ત પ્રેરણા પણ આપી હતી. પરિણામે, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક દેશી રાજ્યોમાં શિક્ષણવિભાગો, શિક્ષણસંસ્થાઓ અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. રાજકોટમાં દેશી રાજ્યોના ભાવિ મહારાજાઓ એવા રાજકુંવરો માટે ‘રાજકુમાર કૉલેજ’ પણ સ્થાપવામાં આવી હતી. ૧૮૫૭માં દલપતરામે ‘હોપ વાચનમાળા’માં બીજીથી આઠમી શ્રેણીનાં પાઠ્યપુસ્તકો માટે ૮૧ બાળકાવ્યો રચ્યાં હતાં. ચાર દાયકા લગી ગુજરાતભરમાં શાળાના વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ આ બાળકાવ્યો ભણી હતી. આ બાળકાવ્યો બોધપ્રધાન કાવ્યો તો છે જ, પણ એમાં અવબોધની સાથે આનંદ પણ છે. એથી આ કાવ્યો અત્યંત લોકપ્રિય હતાં. આજે પણ એ એટલાં જ લોકપ્રિય છે. ૧૮૬૩માં મુંબઈમાં દલપતરામ થોડોક સમય ફોર્બ્સના આમંત્રણથી ફોર્બ્સ સાથે રહ્યા હતા. ચક્ષુરોગને કારણે પણ સારવાર માટે એમને મુંબઈ જવાનું થતું હતું. મુંબઈમાં પ્રેમચંદ રાયચંદ આદિ પ્રતિષ્ઠિત સજ્જનો દ્વારા સોસાયટી માટે આર્થિક સહાય પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં પણ એમનો એક વિશાળ શ્રોતાવર્ગ હતો. એમની સમક્ષ એમણે વારંવાર કાવ્યપઠન કર્યું હતું એથી એ અત્યંત લોકપ્રિય હતા અને એમણે મોટા પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. ૧૮૬૫ના એપ્રિલમાં આ ડાહ્યા દલપતરામે શેરસટ્ટો કર્યો હતો. એમાં એમનું હાજાપટેલની પોળનું ઘર, જીવનભરની પરિશ્રમથી પ્રાપ્ત એવી સમગ્ર મૂડી આદિના રોકાણથી શેરસટ્ટો કર્યો હતો. એમાં અંતે મોટું દેવું થયું. દલપતરામને પ્રામાણિકપણે એ દેવું ચૂકવવું હતું એથી એમણે ફોર્બ્સને સહાયભૂત થવા વિનંતી કરી હતી. ફોર્બ્સે દલપતરામને આ દેવામાંથી મુક્ત કરાવ્યા હતા. ઘર તો પાછું આવ્યું, પણ મૂડી તો ગઈ તે ગઈ, પાછી ન આવી. કવિએ પ્રાયશ્ચિત્તરૂપે ‘શેરસટ્ટાની ગરબીઓ’ રચી હતી. આમ, ડાહ્યા દલપતરામને જીવનમાં એક વાર – માત્ર એક જ વાર – એમનું ડહાપણ કામમાં આવ્યું ન હતું. ૧૮૭૯માં દલપતરામે સોસાયટીની ૨૫ વર્ષ લગી તનમનધનથી સેવા કર્યા પછી ચક્ષુરોગને કારણે સોસાયટીમાંથી નિવૃત્ત થયા હતા. સોસાયટીએ આ સેવાના પ્રત્યુત્તરરૂપે દલપતરામને માસિક ૨૦ રૂપિયાનું જીવનભરનું પેન્શન આપ્યું હતું, વિદાયસમારંભપ્રસંગે એમને કીર્તિચંદ્ર અને પાઘડી અર્પણ કર્યાં હતાં. પછીથી હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં એમની છબી મૂકવામાં આવી હતી. ૧૮૮૫માં સરકારે એમને સી.આઈ.ઈ.નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો. ૧૮૯૮ના માર્ચની ૨૪મીએ ૭૯ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.

૧૮૫૫થી ૧૮૬૦ લગી દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’માં ક્રમેક્રમે પિંગળ વિશે પરિચયલેખો લખ્યા હતા. પછી ૧૮૬૨માં ‘ગુજરાતી પિંગળ’ શીર્ષકથી એનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું હતું. દલપતરામના જીવનકાળમાં એની કુલ ૮૬૦૦૦ નકલોની ૨૧ આવૃત્તિઓનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૨૨માં એની ૨૨મી આવૃત્તિનું ‘દલપત પિંગળ’ શીર્ષકથી મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૪૯માં એની ૩૦મી આવૃત્તિનું પ્રકાશન થયું હતું. એથી ૩૦ આવૃત્તિઓની કુલ એક લાખ નકલોનું મુદ્રણ થયું હતું. ‘દલપત પિંગળ’ ગુજરાતી ભાષામાં પ્રથમ પિંગળ છે.

૧૮૬૮માં દલપતરામે બાળલગ્નનિષેધ અને વિધવાવિવાહ એટલે પુનર્લગ્ન વિશે આખ્યાન પરંપરામાં ૧૪૪ પદોનું દીર્ઘ કાવ્ય ‘વેનચરિત્ર’ રચ્યું હતું. ગુજરાતે એને ‘સુધારાનું પુરાણ’ નામથી નવાજ્યું હતું. એમણે ૧૮૮૧માં ‘માંગલિક ગીતાવલિ’, ૧૮૯૦માં ‘કચ્છ ગરબાવળી’ અને ‘પદ ગરબી સંગ્રહ’માં સ્ત્રીઓ માટે અનેક ગરબીઓ રચી હતી. એમાં જીવનના અનેક સુખદ સામાજિક પ્રસંગો વિશેની ગરબીઓ છે. એ સમયમાં આ ગરબીઓ અત્યંત લોકપ્રિય હતી. એથી દલપતરામ ‘ગરબીભટ’ તરીકે પ્રસિદ્ધ હતા. આ ગરબીઓમાં ક્યારેક દલપતરામમાં વિરલ એવું સૌંદર્ય પ્રગટ થયું છે 

‘વાવલિયા વાયા રે પિયુ વૈશાખના,

રજ ઊડે ને માણેક મેલું થાય જો.’

ત્યારે દલપતપુત્ર ન્હાનાલાલનું સહેજે સ્મરણ થાય છે.

૧૮૬૫માં ફોર્બ્સનું અવસાન થયું પછી દલપતરામે ફોર્બ્સને અંજલિરૂપે કરુણપ્રશસ્તિકાવ્ય ‘ફાબર્સવિરહ’ રચ્યું હતું. એમાં કેટલીક હૃદયદ્રાવક પંક્તિઓ છે 

‘વાલા તારાં વેણ સ્વપનામાં પણ સાંભરે,

નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.’

‘ફાર્બસવિરહ’ ગુજરાતી ભાષામાં પ્રથમ કરુણપ્રશસ્તિકાવ્ય છે. પછી ૧૮૬૭માં દલપતરામે ફોર્બ્સ સાથેની લગભગ બે દાયકાની વિરલમધુર મૈત્રીનાં સ્મરણો વિશે ‘ફાર્બસવિલાસ’ કાવ્ય રચ્યું હતું. એ નિમિત્તે એમણે એમનાં હાસ્યરસનાં પ્રસિદ્ધ કાવ્યો ‘ઊંટ કહે’, ‘નમેલી ડોશી’, ‘શરણાઈવાળો’ રચ્યાં હતાં. દલપતરામે જીવનનાં અંતિમ વર્ષોમાં સહજાનંદસ્વામીના જીવનચરિત્ર જેવું ‘હરિલીલામૃત’ કાવ્ય રચ્યું હતું. આમ, દલપતરામના જીવનનો જ્યાંથી આરંભ થયો હતો ત્યાં અંત આવ્યો હતો. દલપતરામની કવિતા ધર્માભિમુખ હતી એથી એમની કવિતામાં ક્યાંય સાંપ્રદાયિકતા નથી. દલપતરામે અનેક વિષયો – ઋતુઓ, સ્થળો, પ્રસંગો, પાત્રો, પશુપંખીજંતુ આદિ વિશે કવિતા રચી હતી. દલપતરામને માટે કોઈ વિષય અસ્પૃશ્ય ન હતો. દલપતરામના જીવનકાળમાં એમનાં કાવ્યોના બે સંચયો પ્રગટ થયા હતા  ૧૮૭૯માં ‘દલપતકાવ્ય–ભાગ૧’ અને ૧૮૯૬માં ‘દલપતકાવ્ય–ભાગ૨’. દલપતરામ જો ‘ગરબીભટ’માંથી ‘કવીશ્વર’ થયા હોય તો એમનાં હાસ્યરસનાં કાવ્યો – ‘ઊંટ કહે’, ‘નમેલી ડોશી’, ‘શરણાઈવાળો’ આદિને કારણે. દલપતરામ પદ્યમાં ‘હુંનરખાનની ચઢાઈ’ રૂપકકાવ્ય અને ગદ્યમાં ‘મિથ્યાભિમાન’ નાટક દ્વારા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે.