નરસિંહથી ન્હાનાલાલ/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નર્મદ
‘મારી હકીકત’ અને ‘ધર્મવિચાર’ એટલે નર્મદની આત્મકથા, એના સમૃદ્ધ જીવનની સાહસકથા, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા. ‘મારી હકીકત’માં પૂર્વજીવનનો બહિર્મુખ નર્મદ છે, ‘ધર્મવિચાર’માં ઉત્તરજીવનનો અંતર્મુખ નર્મદ છે. પૂર્વજીવનના નર્મદનું ઉદ્બોધન છે :

‘સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’

ઉત્તરજીવનના નર્મદનું આત્મસંભાષણ છે :

‘રણ તો ધીરાનું, ધીરાનું,
નહિ ઉતાવળા કાયરનું.’

પૂર્વજીવનનો નર્મદ એટલે સમુદ્રના જળ જેવી તરલતા, ગતિશીલતા, ચંચળતા, વિહ્વળતા, વીરરસની મૂર્તિ, પ્રેમશૌર્યની યૌવનમૂર્તિ, આવેગ અને આવેશ, ઝંખના અને ઝંઝાવાત (stress and storm). ઉત્તર જીવનનો નર્મદ એટલે સરોવરના જળ જેવી સ્વસ્થતા, સ્થિરતા, નીરવતા, નિ:સ્તબ્ધતા, શાંતરસની મૂર્તિ, પ્રૌઢતા-પ્રગલ્ભતાની પ્રજ્ઞામૂર્તિ, અરવ એકાન્તનો અપાર આનંદ (bliss of solitude). નર્મદ એટલે સચ્ચાઈ, સંપૂર્ણ સો ટકા સચ્ચાઈ, નરી પારદર્શક સચ્ચાઈ. ‘મારી હકીકત’માં એણે લખ્યું છે, ‘આ હકીકતમાં... જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ. પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો.’ બલવન્તરાયે એમના ‘યૌવનમૂર્તિ નર્મદ’ વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘સચ્ચાઈ તો એના રોમરોમમાં... નર્મદ સાહસિક પણ પછી. નર્મદ અવ્વલ દરજ્જે સત્યવકતા.’ નર્મદમાં સૌથી વિશેષ આસ્વાદ્ય અને આકર્ષક છે એનું વ્યક્તિત્વ. એની અસ્મિતા, એનું બહુરૂપી વ્યક્તિત્વ, એની બહુરંગી અસ્મિતા, એનું વ્યક્તિત્વ, એની અસ્મિતા વિરોધાભાસી અને વિસંગતિપૂર્ણ છે, છતાં એ એકકેન્દ્રી અને ઐક્યપૂર્ણ છે. એના પૂર્વજીવનમાં અને માનસપરિવર્તન, વિચારપરિવર્તન પછીના એના ઉત્તરજીવનમાં, ઉચ્છેદક નર્મદમાં અને સંરક્ષક નર્મદમાં એકસમાન અને એકસરખી સચ્ચાઈ છે. એની સચ્ચાઈમાં એકવાક્યતા અને એકસૂત્રતા છે. એનું કારણ એની આત્મનિષ્ઠા અને એનું આત્મબળ છે, એનું ટેકીલાપણું છે. નર્મદે ગાયું છે, ‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.’ નર્મદ અને નંદશંકર વચ્ચે મનદુ:ખ થયું હતું. એ મનદુ:ખનો સુખદ અંત આવ્યો ત્યારે નર્મદે જેમાં એના વ્યક્તિત્વની સૌ લાક્ષણિકતાઓ એક સાથે પ્રગટ થાય છે. એવા પત્રમાં નંદશંકરને લખ્યું હતું, ‘તમારા મનમાં મારા વિષે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હતો, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો એ જ વિચાર તમને મારું અભિમાન રાખવાને બસ છે. એ જ હું અભિમાનથી કહું છઉં કે તમે એ અભિમાનથી હસશો જ– હસો હવે. આ કાગળ બંધ કરતાં મરતી મૈત્રી પાછી ઊઠી એની ખુશાલીમાં હું મારા પાન સોપારી ખાઉં છઉં ને તમે તમારી તપખીર સૂંઘજો.’ બલવન્તરાયે એમના પૂર્વોક્ત વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘એવો ટેક એના જમાનામાં વિરલ, બલકે સારા ગુજરાત– કાઠિયાવાડમાં આ એક સપૂતમાં જ.’ એની આત્મકથામાં, એનાં આત્મસંભાષણોમાં, એનાં ઉદ્બોધનોમાં, એની ઉદ્ઘોષણાઓમાં એનું આ વ્યક્તિત્વ, એની આ અસ્મિતા સુરેખ અને સચોટ પ્રગટ થાય છે. નર્મદનો જન્મ ૧૮૩૩ના ઑગસ્ટની ૨૪મીએ સુરતમાં. નામ નર્મદાશંકર. પિતા વડનગરા વૈદિક સદ્ગૃહસ્થ નાગર લાલશંકર દવે. માતા નવદુર્ગા. પિતાનો લહિયાનો વ્યવસાય એથી મુંબઈમાં એમનો નિવાસ. ૧૮૩૮માં ૫ વર્ષની વયે ભૂલેશ્વરની ગામઠી શાળામાં અને પછી ૧૮૪૩-૪૪માં સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. ૧૮૪૪માં ૧૧ વર્ષની વયે નાનીગૌરી સાથે લગ્ન. ૧૮૪૫માં ૧૨ વર્ષની વયે મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલમાં વધુ અભ્યાસ. ૧૮૫૦માં ૧૭ વર્ષની વયે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ. એ જ વર્ષમાં કૉલેજના તેજસ્વી યુવાનોની સંસ્થા ‘બુદ્ધિવર્ધક સભા’ની સ્થાપના. એમાં ‘મંડળી મળવાથી થતા લાભ’ વિશે વ્યાખ્યાન. આ વ્યાખ્યાન – ગદ્યનિબંધ – થી સર્જકજીવનનો આરંભ. ૧૮૫૧માં પત્ની પુખ્તવયનાં થવાથી કૉલેજના પ્રથમ વર્ષમાં જ કૉલેજનો ત્યાગ અને સુરતમાં નિવાસ. ૧૮૫૩માં પત્નીનું અવસાન અને થોડોક સમય સુરતમાં શિક્ષક. ૧૮૫૫ના સપ્ટેમ્બરની ૨૧મીએ ૨૨ વર્ષની વયે કવિતા રચવાનો આરંભ. એ જ વર્ષમાં કૉલેજમાં પુન: પ્રવેશ. ૧૮૫૬માં થોડાક માસ પછી કૉલેજનો સદાયને માટે ત્યાગ અને ડાહીગૌરી સાથે લગ્ન. પુનશ્ચ શિક્ષક. ૧૮૫૮ના નવેમ્બરની ૨૩મીએ ૨૫ વર્ષની વયે શિક્ષણમાંથી રાજીનામું આપ્યું : ‘મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળઝળિયાં સાથે તેને અરજ કરી, હવે હું તારે ખોળે છું.’ ગુજરાતના સાહિત્યજગતની આ એક મહાન ઘટના. એ જ વર્ષમાં ‘નર્મકવિતા’ના ૧-૩ અંકોનું અને પછી ૧૮૫૮માં ૪-૮ અંકોનું પ્રકાશન. ૧૮૬૦થી ૧૮૬૬ લગી ઉચ્છેદક સુધારાના નાયક યુગપુરુષ તરીકે નર્મદના સક્રિય જીવનનો સુવર્ણકાળ. ૧૮૬૦માં વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદવિવાદ. જ્ઞાતિ તરફથી બહિષ્કાર. ૧૮૬૪માં કરસનદાસ આદિ દાતા-મિત્રો શેરસટ્ટાના આર્થિક સંકટમાં. ૧૮૬૫ના જુલાઈમાં આર્થિક સહાયને અભાવે મુંબઈનો ત્યાગ અને સુરતમાં સરસ્વતીમંદિરમાં નિવાસ. ‘પ્રેમશૌર્ય’નો મુદ્રાલેખ. ૧૮૬૪-૬૫માં ‘ડાંડિયો’નું સંપાદન. ૧૮૬૬-૬૭માં પોતાને ખર્ચે ‘નર્મકોશ’ અને ‘નર્મકવિતા’નું પ્રકાશન. ૧૮૬૫-૭૫ દરમિયાન માનસપરિવર્તન અને વિચારપરિવર્તન પછી ઉચ્છેદક. સુધારાથી નિર્ભ્રાંત અને સંરક્ષક સુધારાનો પ્રણેતા. ૧૮૬૯માં વિધવા નર્મદાગૌરી સાથે લગ્ન. ૧૮૭૫-૮૫માં આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક. ૧૮૭૬માં મુંબઈમાં જીવનનિર્વાહ માટે નાટકોનું લેખન અને અર્થોપાર્જનનો નિષ્ફળ પ્રયત્ન. ૧૮૮૬માં અસહ્ય આર્થિક સંકટને કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞાનો ભંગ અને ગોકલદાસ તેજપાલના ધર્માદાખાતામાં નોકરી. ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૫મીએ ૫૩ વર્ષની વયે સુરતમાં અવસાન. નર્મદે ૧૮૫૫માં ૨૨ વર્ષની વયે કવિતા રચવાનો આરંભ કર્યો હતો અને ૧૮૬૭માં એનો અંત આવ્યો હતો. ઉત્તરજીવનમાં નર્મદને જેમ ઉચ્છેદક સુધારાની નિ:સારતાનો અનુભવ થયો હતો તેમ કવિતાની નિરર્થકતાનો પણ અનુભવ થયો હતો. ૧૮૮૩માં એણે એક મિત્રને કહ્યું હતું, ‘મને એ કવિતાઓ બિલકુલ ગમતી નથી. તું બિલકુલ એનું મારી પાસે નામ લઈશ નહિ.’ આમ, નર્મદે માત્ર ૧૨ વર્ષ જ કવિતા રચી હતી. પણ એણે એટલા ટૂંકા સમયમાં વિપુલ પ્રમાણમાં કવિતાનું સર્જન કર્યું હતું. દલપતરામે ૧૮૪૫થી ૧૮૯૮ લગી, અરધી સદી ઉપરાંતના સમયમાં કવિતા રચી હતી. નર્મદે માત્ર ૧૨ વર્ષના સમયમાં દલપતરામની જેમ અઢળક કવિતા રચી હતી. એ પરથી કવિતાનું સર્જન કરવામાં નર્મદને કેટલો આવેગ અને આવેશ હશે, કેવો જોસ્સો હશે એનો ક્યાસ કાઢી શકાય. નર્મદે ભલે ૧૨ વર્ષ જ કવિતા રચી, પણ એટલા અલ્પ સમયમાં તો એણે ચાર સદીની ગુજરાતી કવિતાની પરંપરામાં મૌલિક વસ્તુવિષય – પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશપ્રેમ તથા મૌલિક શૈલીસ્વરૂપ માત્રામેળ અને લયમેળ છંદોમાં રોળા, લાવણી, કટાવ આદિ અને અક્ષરમેળ છંદો – દ્વારા આમૂલ પરિવર્તન કર્યું હતું. એણે ગુજરાતીમાં પ્રથમવાર જ પાશ્ચાત્ય ઊર્મિકાવ્યનો બીજનિક્ષેપ કર્યો હતો. નર્મદ સંસ્કૃત અને ગુજરાતી ભાષા તથા કાવ્યશાસ્ત્રથી અભિજ્ઞ હતો. એણે ૧૮૫૮માં કવિજીવનના આરંભે જ ‘અલંકારપ્રવેશ’ અને ‘રસપ્રવેશ’ પ્રગટ કર્યા હતા. પછીથી એણે ‘નર્મકોશ’, ‘પિંગલપ્રવેશ’ અને ‘વ્યાકરણ’ જેવા શાસ્ત્રીય ગ્રંથો પણ રચ્યા હતા. એને એનું મૌલિક કાવ્યશાસ્ત્ર હતું અને કવિતાની એની મૌલિક વ્યાખ્યા – વિભાવના પણ હતી. આમ, એ ગુજરાતી ભાષામાં પ્રથમ વિવેચક હતો. કવિતાની એની વ્યાખ્યા છે : ‘સાચા કવિ પોતાના દિલની વાત પોતાના ઊભરામાં બહાર કાઢી નાંખે છે... બહુબહુ રીતના વિવેકે પણ દબાતો નથી એવો જે કુદરતી જોસ્સો તેને બહાર કાઢવામાં પુણ્ય છે.’ એમાં ‘ઊભરો’ અને ‘જોસ્સો’ શબ્દો અત્યંત સૂચક છે. એમાં વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનું સ્મરણ થાય છે : ‘Poetry is a spontaneous overflow of powerful emotions.’ નર્મદની કવિતાની વ્યાખ્યા એ રોમૅન્ટિક કવિની વ્યાખ્યા છે. એના કવિતાના આદર્શમાં કવિતા પદ્યમાં હોય કે ગદ્યમાં હોય, પણ શબ્દ અને અર્થની ચમત્કૃતિ નહિ, પણ રસની ચમત્કૃતિ એ જ કવિતાનો આત્મા છે. રાગડા સાથે કવિતાને કોઈ સંબંધ નથી એવું એનું વિધાન બલવન્તરાયના પ્રવાહી પદ્યની નાન્દીરૂપ છે. ‘કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો.’ આ વિધાનમાં એણે રોમૅન્ટિક કવિની પ્રેરણા અને પ્રતિભાનો મહિમા કર્યો છે. અહીં આરંભે જ નોંધવું જોઈએ કે કવિતાના એના આદર્શને એની કવિતામાં એ અલ્પાંશે જ સિદ્ધ કરી શક્યો છે. ‘નર્મકવિતા’ના વિપુલ કાવ્યરાશિમાં સાદ્યંત સુશ્લિષ્ટ હોય એવું એકાદ કાવ્ય પણ ભાગ્યે જ હોય. એનું કવિત્વ માત્ર પંક્તિઓ અને પંક્તિખંડોમાં જ સિદ્ધ થયું છે.

નર્મદે કવિતા રચવાનો આરંભ દલપતરામની સાથે સ્પર્ધાના હેતુથી, દલપતરામની કવિતાના અનુસરણથી અને વિશેષ તો મધ્યકાલીન ગુજરાતી કવિતાની પરંપરાથી કર્યો હતો. નર્મદને દલપતરામની કવિતાનો અને નરસિંહથી દયારામ લગીના કવિઓની કવિતાનો પરિચય હતો. ૧૯૫૧-૫૩માં ઉચ્ચ શિક્ષણ અર્થે મુંબઈમાં નિવાસને કારણે નર્મદને સુરતનો અને સ્વજનોનો વિયોગ થયો હતો. વિશેષ તો ૧૮૫૩માં પત્નીનું અવસાન થયું હતું એથી નર્મદને તીવ્ર શોકનો અનુભવ થયો હતો. પરિણામે એણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદો અને ભજનોથી કવિતા રચવાનો આરંભ કર્યો હતો. આ કવિતા ચિંતનપ્રધાન કે ઊર્મિપ્રધાન નહિ, પણ બોધપ્રધાન હતી. ‘આત્મબોધ’ એનું પ્રથમ કાવ્ય હતું. એણે આખ્યાનકવિતાની પરંપરામાં ‘ભાગવત’ અને ‘રામાયણ’માંથી વસ્તુવિષય ઉદ્ધૃત કર્યું હતું અને ‘રુક્મિણીહરણ’ તથા ‘અદ્ભુત યુદ્ધ’ આખ્યાનકલ્પ પરલક્ષી કાવ્યો રચ્યાં હતાં. એણે શામળના અનુસરણમાં ‘વજેસંગ અને રાજબા’ કથાકાવ્ય રચ્યું હતું. નર્મદ આ પરલક્ષી બોધપ્રધાન કવિતામાં નિષ્ફળ રહ્યો છે, તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની આત્મલક્ષી ઊર્મિપ્રધાન અને ચિંતનપ્રધાન કવિતામાં પણ એ લગભગ એટલો જ નિષ્ફળ રહ્યો છે. જોકે અપવાદરૂપ કેટલીક પંક્તિઓ અને પંક્તિખંડોમાં એ કંઈક સફળ રહ્યો છે :

‘રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત.
‘કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત,
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.’

‘નર્મદ આખરે ધૂળેધૂળ...’

‘દુનિયા જૂઠાની, જૂઠાની...’

‘નવ કરશો કોઈ શોક રસિકડાં...’

પશ્ચિમના પ્રભાવથી એણે મૂર્તિપૂજાનો તિરસ્કાર કર્યો હતો અને એકેશ્વરવાદનો પુરસ્કાર કર્યો હતો. ‘નર્મ ટેકરી’ કાવ્ય બોધપ્રધાનથી યે વિશેષ તો ચિંતનપ્રધાન કાવ્ય છે. આ કાવ્ય બલવન્તરાયની ચિંતનપ્રધાન કવિતાની અને આધુનિક નગરકવિતાની નાંદીરૂપ છે.

‘પ્રેમશૌર્ય’ એનો જીવનમંત્ર હતો, પણ પ્રેમભક્તિનું એનું ઉરતંત્ર હતું. બ્રહ્મગિરિના અનુભવમાં અંતે પ્રેમભક્તિથી ભર્યોભર્યો એક ઉદ્ગાર છે :

‘એ સર્વ જોતાં ચિત તો સમાણું વિશ્વેશમાં.’

વસંતમાં એને ‘બ્રહ્મબાલા’નું દર્શન થાય છે એમાં પણ એની પ્રેમભક્તિની પ્રતીતિ થાય છે. ‘કબીરવડ’માં તો એણે એકસાથે પ્રેમશૌર્ય અને પ્રેમભક્તિનું રૂપક યોજ્યું છે :

‘દીસે હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો’

નર્મદે પ્રકૃતિની કવિતા રચી હતી. સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પ્રકૃતિની કવિતા તો હતી, પણ તે માત્ર પ્રબંધો અને કાવ્યનાટકોના અંતર્ગત અંશરૂપે જ હતી. એનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. નર્મદે એની પ્રકૃતિની કવિતામાં એને એ બંધનોમાંથી મુક્ત કરીને એને એનું આગવું સ્વતંત્ર અસ્તિત્વ અર્પણ કર્યું હતું. આ પ્રકૃતિની કવિતા, ગોપકવિતા એ નર્મદનું નવું મૌલિક પ્રસ્થાન છે. નર્મદની પ્રકૃતિની કવિતામાં કાલિદાસના ‘ઋતુસંહાર’ અને Thomsonના ‘Seasons’ની પ્રેરણા છે. નર્મદની પ્રકૃતિની કવિતા કેટલાંક લઘુ પદોમાં અને ‘ઋતુવર્ણન’, ‘વનવર્ણન’, ‘પ્રવાસવર્ણન’, ‘ગ્રામ અને સૃષ્ટિસૌંદર્ય’ આદિ દીર્ઘ કાવ્યોમાં પ્રગટ થાય છે. ‘ઋતુવર્ણન’માં એણે પ્રણય અને શૃંગારરસને પડછે પ્રકૃતિની કવિતા રચી છે. એમાં ‘ચારુ ખીલી ચંદની ચાર ખૂણે’ જેવું પૂર્ણિમાનું ભવ્ય-સુંદર ચિત્ર અંકિત થયું છે. ‘વનવર્ણન’માં એણે પ્રકૃતિમાં પરમેશ્વરની વિભૂતિના અણસારનો અને શાંતરસનો અનુભવ કર્યો છે.

‘પરવતની તળેટી તેથી થોડેક દૂરે
સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે’

‘સિંધુ, પહાડો, તરુ, નભ સહુ
એક રંગે મળ્યાં રે.’

વસંતનું એણે ‘બ્રહ્મબાલા’રૂપે દર્શન કર્યું છે. વસંતના રસને એણે ‘પ્રભુની પાળ’થી સીમિત-સંયમિત કર્યો છે. બ્રહ્મગિરિના અનુભવને અંતે એણે ‘વિશ્વેશ’ની લીલાનું દર્શન કર્યું છે. ‘કબીરવડ’ તો લગભગ સાદ્યંત સુશ્લિષ્ટ કાવ્ય છે. એમાં એની પરમેશ્વર પ્રત્યેની પ્રેમભક્તિની સૌથી વિશેષ પ્રતીતિ થાય છે. ‘કબીરવડ’માં એની પ્રકૃતિની કવિતાની પરાકાષ્ઠા છે. ‘વનવર્ણન’ની પરમેશ્વરલક્ષી પ્રકૃતિની કવિતાથી રવીન્દ્રનાથની પ્રકૃતિની કવિતાનું સ્મરણ થાય છે. કવિતામાં નર્મદ જે કંઈ અલ્પાંશે પણ સફળ રહ્યો હતો એમાં એ એની પ્રકૃતિની કવિતામાં સૌથી વધુ સફળ રહ્યો હતો.

નર્મદે ગુજરાતીમાં પ્રથમ વાર જ રોમૅન્ટિક પ્રેમની, પ્રણયની કવિતા, આત્મલક્ષી સ્વાનુભવના પ્રણયની કવિતા રચી હતી. જોકે એણે પ્રણયની પરલક્ષી કવિતા પણ રચી હતી. ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’ પ્રણયનું કથાકાવ્ય છે. એમાં ગુજરાતીમાં પ્રણયકવિતામાં પ્રથમ વાર જ નાયક ચંદ્ર અને નાયિકા કુમુદ પ્રેમપત્ર અને છબીના આદાનપ્રદાનનો પરસ્પર વ્યવહાર કરે છે. (પછી ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદ અને ચંદ્રનું જે પ્રતીક યોજ્યું છે એમાં પણ પ્રેમપત્ર અને છબીના આદાનપ્રદાનનો જે પરસ્પર વ્યવહાર થાય છે એમાં નર્મદની પ્રેરણા હોય તો નવાઈ નહિ.) ‘પ્રેમનીતિ’માં કેટલીક સુંદર પંક્તિઓમાં સફળ મુક્તકનું સ્વરૂપ સિદ્ધ થયું છે. રાધાકૃષ્ણવિષયક પદોમાં દયારામના માધુર્યનું અને રામસીતાવિષયક પદોમાં દલપતરામના ચાતુર્યનું સ્મરણ થાય છે. નર્મદનાં આત્મલક્ષી સ્વાનુભવનાં પ્રેમકાવ્યોમાં મિલનથી વિશેષ તો વિરહનો અનુભવ વ્યક્ત થયો છે :

‘નર્મદ આખરે જુદાઈ જ...’

તો કોઈ પ્રેમકાવ્યમાં મિલનનો આનંદ અને વિરહનો શોક એકસાથે પ્રગટ થયો છે :

‘સુખનો શીતળ જાણ્યો ઝરો, હવે દુ:ખનો ઊંડો કુંડ.’

કેટલાંક પ્રેમકાવ્યોમાં પ્રણયની વિષમતા અને વિફળતા પ્રગટ થાય છે :

તો કેટલાંક પ્રેમકાવ્યોમાં શિવ અને શક્તિનાં પ્રતીકો દ્વારા પ્રેમ પરમેશ્વરમાં પર્યવસાન પામે એમાં પ્રેમની ચરિતાર્થતા છે એનું સૂચન છે.

અહીં અંતે નોંધવું જોઈએ કે નર્મદે પ્રણયની કવિતામાં એનો ઊભરો અને જોસ્સો ઘટતા પ્રમાણમાં બહાર કાઢ્યો નથી, ઘટતાથી પણ વધુ પ્રમાણમાં બહાર કાઢ્યો છે :

‘ચલો ચલો શું વાર લગાડો, ચલો પીવા માંડો.’

એથી એની પ્રણયની કવિતામાં મોટે ભાગે એની મનોરુગ્ણતા અને આત્મદયા, એની રુરુદિષા અને વિહ્વળતા જ પ્રગટ થાય છે. એમાં સુરુચિ અને સંયમનો અભાવ છે, એથી એમાં ઔચિત્યભંગ અને રસભંગ થાય છે. નર્મદ કવિતા સિદ્ધ કરવામાં સૌથી વધુ નિષ્ફળ રહ્યો હોય તો એનાં પ્રેમકાવ્યોમાં.

સ્વદેશપ્રેમની કવિતા એ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નર્મદનું એક નવું પ્રસ્થાન છે. આ પ્રસ્થાનના આરંભે જ એણે સહુને આહ્વાન કર્યું હતું :

‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’

આ આહ્વાનની પ્રેરણા ક્યાં હતી ? આ આહ્વાન શા કારણે હતું ? આ આહ્વાનની ફલશ્રુતિ શી હતી ? નર્મદની સ્વદેશપ્રેમની કવિતામાં જ આ પ્રશ્નોના ઉત્તરો છે : ભારતમાં અંગ્રેજોનું આગમન એ ઈશ્વરનો સંકેત હતો એમ નર્મદના સૌ સમકાલીનો અને બલવન્તરાય, ન્હાનાલાલ આદિ અનુકાલીનોની માન્યતા હતી. આ આગમનને કારણે પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું મિલન થયું હતું એ કારણે એમની આ માન્યતા હતી. આ મિલનને કારણે જ ભારતના સમાજમાં અને એની સંસ્કૃતિમાં મહાન પરિવર્તન થયું હતું. એ કારણે એમની આ માન્યતા હતી. આ મહાન પરિવર્તન એ જ ઈશ્વરનો સંકેત. અંગ્રેજોના આગમનથી ભારતવાસીઓને માત્ર અંગ્રેજોની જ અર્વાચીન સંસ્કૃતિનો જ નહિ પણ એ સંસ્કૃતિ જેનો અંતર્ગત અંશ હતી તે પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો પણ પ્રત્યક્ષ પરિચય થયો હતો. પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ એ ૧૬મી સદીના Renaissance–રેનેસાંસ–,પુનરુત્થાન–ના વિજ્ઞાનવાદી, ભૌતિકતાવાદી, બૌદ્ધિકતાવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, બિનસાંપ્રદાયિકતાવાદી, ઉદારમતવાદી, સમાનતાવાદી, માનવતાવાદી એવા એક મહાન બૌદ્ધિક આંદોલનની સરજત હતી. ૧૯મી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજોના શાસનનો આરંભ થયો હતો. પરિણામે ભારતવાસીઓને એમના બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં પુનરુત્થાનની સંસ્કૃતિનાં મૂલ્યો – સવિશેષ તો લોકશાહી સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયનાં મૂલ્યો – ના પ્રબળ પ્રભાવનો અનુભવ થયો હતો અને ભારતમાં પ્રથમ નવજાગૃતિના પ્રથમ યુગનો આરંભ થયો હતો. સૌપ્રથમ તો એમને એમના જીર્ણશીર્ણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓના વિરૂપ અને વિકૃત સ્વરૂપનું ભાન થયું હતું, તેઓ એક નિર્મૂલ અને નિર્બલ પ્રજા છે એનું જ્ઞાન થયું હતું. તેથી એમણે એમના બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં સામાજિક અને ધાર્મિક સુધારણાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. આ સમયને ‘સુધારાયુગ’ – ‘સંક્રાંતિયુગ’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ નવજાગૃતિનો પ્રથમ તબક્કો હતો. ૧૭મી સદીના મધ્યભાગમાં ભારતમાં વ્યાપાર અર્થે અંગ્રેજોના આગમન પછી, લગભગ બે સૈકા પછી ૧૮૫૭માં અંગ્રેજોના શાસનનો આરંભ થયો હતો. એ જ વર્ષમાં ભારતમાં પુનરુત્થાનની પરંપરાની, પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સરજત જેવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. એમાં ભારતના સંવેદનશીલ તેજસ્વી યુવાનોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એથી એમને પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો વધુ પ્રત્યક્ષ પરિચય થયો હતો. પરિણામે એમને અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ અધમ હતું એનું ભાન થયું હતું. સાથેસાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હતું એનું પણ જ્ઞાન થયું હતું. પશ્ચિમના વિદ્વાનોએ પ્રાચીન ભારતના સાહિત્યની સમૃદ્ધિને અંજલિ અર્પી હતી એની પ્રેરણાથી અને એ દ્વારા આ નવશિક્ષિતોમાં એમના આ ભવ્ય વારસા પ્રત્યે સભાનતા પ્રેરી હતી. એની સહાયથી એમણે ભારતના આત્માની શોધનો, ભારતીયતાની ખોજનો આરંભ કર્યો હતો. એમણે પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનું, પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાનું અધ્યયન અને અધ્યાપન કર્યું હતું, એનું મનન-ચિંતન કર્યું હતું. એમણે એમના આંતરજીવનમાં સૂક્ષ્મ આધ્યાત્મિક સુધારણાનો, ભારતીય માનસને સ્વકીય સંસ્કૃતિમાં દૃઢમૂલ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. સાથેસાથે એમણે પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ અને એના સાહિત્યને આત્મસાત્ કરવાનો પણ એવો જ પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. એમણે પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે કંઈ ઉત્તમ હતું એનો સમન્વય કર્યો હતો. આ સમયને ‘સાક્ષરયુગ’ – ‘સમન્વયયુગ’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ નવજાગૃતિનો દ્વિતીય તબક્કો હતો. આ છે નર્મદના પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાની અને ઉત્તરજીવનના સંરક્ષક સુધારાની પૂર્વભૂમિકા. નર્મદ એના સમયના – ગોવર્ધનરામથી તે ન્હાનાલાલ લગીના – સંવેદનશીલ તેજસ્વી યુવાનોમાંનો એક હતો, એટલું જ નહિ પણ એ સૌમાં એ નોખો-અનોખો હતો. નર્મદ એના પૂર્વજીવનમાં ઉચ્છેદક સુધારાના આંદોલનનો વીરનાયક હતો. દુર્ગારામ, મહીપતરામ, કરસનદાસ આદિ એ આંદોલનના સભ્યો હતા. નર્મદે આ આંદોલનના વીરનાયક તરીકે એની સ્વદેશપ્રેમની કવિતા રચી હતી અને ‘સ્વદેશાભિમાન’ સમાસ યોજ્યો હતો. નર્મદના સમયનો સમાજ કેવો હતો ? એ સમાજમાં અનેક દોષો, દૂષણો અને દુરિતો હતાં. સ્વદેશના એ સમાજની અધોગતિનું, એના અધ:પતનનું કર્તૃત્વ સ્વયં સ્વદેશના સમાજનું જ હતું, એનો યશ કોઈ વિદેશીઓને કે વિધર્મીઓને નહિ, પણ સ્વદેશના એ સમાજને જ આપવો રહ્યો. એ સમાજ ઉચ્ચાવચતાક્રમને કારણે જાતિભેદ, લિંગભેદ, જ્ઞાતિભેદને કારણે શતખંડ છિન્નભિન્ન વિચ્છિન્ન થયો હતો, શીર્ણવિશીર્ણ થયો હતો. એણે ખંડ ખંડ વચ્ચે દુર્ભેદ્ય દીવાલો રચી હતી. એમાં શાસ્ત્રોનું શાસન હતું. એથી એ સમાજ જાણે કે અનેક કારાગારોનું કારાગાર હતો. એ સમાજમાં ધર્મ નિર્જીવ અને નિર્વીર્ય થયો હતો. ધર્મમાં આત્મશ્રદ્ધાને સ્થાને અંધશ્રદ્ધાનું, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને સ્થાને વિધિવિધાન, વેવલાઈ અને વિલાસિતાનું, જડ રૂઢિઓ અને નિષ્પ્રાણ પરંપરાઓનું વર્ચસ્ હતું. એમાં સંકુચિતતા અને સાંપ્રદાયિકતા હતી. સમાજજીવનમાં બાળલગ્નો, વિધવાવિવાહનિષેધ, નિર્ધનતા, નિરક્ષરતા, નાદુરસ્તી, કુરિવાજ, કુસંપ, વહેમ, દંભ, પ્રપંચ, દેશી રાજ્યોની વિલાસિતા, પ્રજાવિમુખતા, રાજાઓનો ત્રાસ-જુલમ આદિ અનેક અનિષ્ટોનો ઉપદ્રવ હતો. સ્ત્રીઓની કરુણતાની તો કોઈ સીમા જ ન હતી. સ્વયં નર્મદના જીવનમાં પણ એની શૈશવાવસ્થામાં અને કિશોરાવસ્થામાં કેટલાંક દોષો અને દૂષણોનું દર્શન થાય છે– વહેમ, ભય, સ્ત્રીઓનું આકર્ષણ, વશીકરણમંત્રનો જાપ, અપરાધવૃત્તિ, પ્રાયશ્ચિત્ત, દેવદર્શન, સુરતીલાલાની લાલાઈ, ઉડાઉપણું, બેપરવાઈ આદિ.

નર્મદે એની સ્વદેશપ્રેમની કવિતામાં જાણે કે એના સમકાલીન સમાજની વિરુદ્ધ સ્વયંઘોષિત યુદ્ધ જ જાહેર કર્યું હતું. એની સ્વદેશપ્રેમની કવિતા લઘુ ઊર્મિકાવ્યો અને દીર્ઘ કથાકાવ્યો રૂપે પ્રગટ થાય છે. નર્મદ એની પ્રણયની કવિતામાં જેમ લઘુ ઊર્મિકાવ્યોમાં મોટે ભાગે નિષ્ફળ રહ્યો છે અને જે કારણોથી નિષ્ફળ રહ્યો છે એ જ કારણોથી એની સ્વદેશપ્રેમની કવિતામાં પણ એ લઘુ ઊર્મિકાવ્યોમાં મોટે ભાગે નિષ્ફળ રહ્યો છે. માત્ર કેટલીક પ્રથમ પંક્તિઓ અને કેટલાક પંક્તિખંડોમાં જ એ સફળ રહ્યો છે :

‘શંખનાદ સંભળાયે ભૈયા, શૂરપુરુષને તેડું હો!’
‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’

‘ઝટ ડોળી નાંખો રે મનજળ થંભ થયેલું.’

‘ફરી જોબનિયું આપે હરિ! તું ફરી જોબનિયું આપે!’

‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’

નર્મદ એની પ્રકૃતિની કવિતામાં જેમ સફળ રહ્યો છે તેમ એની સ્વદેશપ્રેમની કવિતામાં અને એનાં દીર્ઘ કથાકાવ્યોમાં સૌથી વધુ સફળ રહ્યો છે. નર્મદને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હતી. એણે ૧૮૬૨માં ‘જીવરાજ’માં એનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો. પછી ૧૮૬૭માં ‘વીરસિંહ’માં એણે બીજો નિષ્ફળ અને અપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. એમાં પરાધીનતાને પડછે એણે એની સ્વતંત્રતાનું સ્તોત્ર રચ્યું છે. નર્મદ મહાકાવ્ય રચવામાં નિષ્ફળ રહ્યો હતો, કારણ કે એનામાં મહાકાવ્ય રચવાની માત્ર મહત્ત્વાકાંક્ષા હતી, પણ પ્રતિભા ન હતી. એ આદિથી અંત લગી માત્ર ઊર્મિકવિ જ છે. છતાં અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં જેને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હોય એવા કવિ તરીકે તે પ્રથમ રહેશે. ૧૮૬૩-૬૫માં નર્મદે ‘હિન્દુઓની પડતી’ દીર્ઘ કથાકાવ્ય રચ્યું હતું. નર્મદે પોતે જ એને ‘સુધારાનું બાઇબલ’ કહ્યું છે. એણે ત્રણ વર્ષના સમય દરમિયાન ત્રણ ગાળામાં પંદરસો જેટલી પંક્તિઓમાં આ દીર્ઘ કથાકાવ્ય રચ્યું હતું. એમાં સુધારાદિત્ય નર્મદ સેનાની દ્વારા વહેમયવન વિરુદ્ધ યુદ્ધ કરે છે એવું રૂપક છે. એણે આ સમય દરમિયાન ધર્મ, સમાજ અને ઇતિહાસનો સઘન અભ્યાસ કર્યો હતો એથી એમાં ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક પરિમાણો છે. એમાં રોળાછંદમાં એકસાથે વીર અને કરુણરસ પ્રગટ થાય છે, એનું મુખ્ય કારણ એમાં ‘ભક્તું પેઠું... વંઠ્યું’ જેવા ઉપાલંભો છે. નર્મદનાં અન્ય સૌ દીર્ઘ કથાકાવ્યો અપૂર્ણ રહ્યાં હતાં. આ એક જ દીર્ઘ કથાકાવ્ય એ સંપૂર્ણ કરી શક્યો એ એની નાનીસૂની સિદ્ધિ નથી. ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત’, ‘આપણે ગુજરાતી’ ગુજરાત અંગેનાં સ્તોત્રો છે એમાં ગુજરાતની અસ્મિતાનો પ્રથમ આવિષ્કાર છે. ૧૮૬૫માં એણે ‘સુરત’ કથાકાવ્ય રચ્યું હતું. ૧૮૬૫માં એણે મુંબઈનો ત્યાગ કર્યો હતો અને સુરતમાં સરસ્વતીમંદિરમાં નિવાસ કર્યો હતો. એ સમયમાં એણે આ કથાકાવ્ય રચ્યું હતું. એમાં સુરતના આ લાલે એની પ્રિય જન્મભૂમિને અશ્રુપૂર્ણ હૃદયે ગૌરવપૂર્ણ અંજલિ અર્પી છે :

‘આ તે શા તુજ હાલ સૂરત સોનાની મૂરત
તાપી દક્ષિણતટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ,
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.’

નર્મદના ‘કબીરવડ’ કાવ્યમાં એક માર્મિક અને સૂચક પંક્તિ છે :

‘દીસે હાર્યો જોદ્ધો હરિતણું હૃદે ધ્યાન ધરતો.’

એમાં તેણે એક જ પંક્તિમાં ઉત્તરજીવનના નર્મદની ઓળખ આપી છે. એ ઉત્તરજીવનમાં સંરક્ષક સુધારાના ઉપાસક તરીકે ‘હરિતણું હૃદે ધ્યાન ધરતો’ હતો અને એક અર્થમાં પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાના વીરનાયક તરીકે ‘હાર્યો જોદ્ધો’ હતો.

નર્મદે પૂર્વજીવનના ઉચ્છેદક સુધારાના નાયક તરીકે આહ્વાન કર્યું હતું :

‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો ફતેહ છે આગે.’
‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું...’

એ જંગ જીતવા ગયો હતો અને યાહોમ કરીને પડ્યો હતો. એણે ડગલું ભર્યું હતું, પણ એક અર્થમાં આગે ફતેહ ન હતી, એ જીત્યો ન હતો, એ હાર્યો હતો.

નર્મદને ઉચ્છેદક સુધારા અંગે નિર્વેદ અને નિર્ભ્રાંતિનો અનુભવ થયો હતો. જોકે એ સુધારો રાતોરાત સફળ થશે એવી એને ભ્રાંતિ ન હતી. એ સુધારાનું એણે નિકટથી યથાર્થ દર્શન કર્યું હતું :

‘નથી સેન તૈયાર એક પણ વાતે હમણાં
નથી પ્રેમ ને નેમ, શૌર્યનાં તો છે સમણાં.’

સુધારાનું આંદોલન સક્રિય અને સફળ રહેવાનું હોય તો એ સમાજ, સંસ્કૃતિ અને ધર્મને હાનિરૂપ છે એવી એને શંકા હતી, એવો એને ભય હતો. એને એ સુધારાની નિરર્થકતા અને નિ:સારતાનો અનુભવ થયો હતો. એનામાં ઉચ્છેદક સુધારા પ્રત્યે દ્વેષ કે પૂર્વગ્રહ ન હતો, તો એનામાં સંરક્ષક સુધારાના સાધક તરીકે પ્રરક્ષકો(જડ રૂઢિચુસ્તો, પરંપરાગ્રસ્તો)ના જેવો અતીતરાગ પણ ન હતો. ઉત્તરજીવનમાં એ સંરક્ષક સુધારાના સાધક તરીકે સતત સક્રિય રહ્યો હતો. એથી, એ અર્થમાં, એ ‘હાર્યો જોદ્ધો’ ન હતો, હઠ્યો ન હતો. એ હઠે કે હારે એવો એ નામર્દ ન હતો, એ નર્મદ હતો. ઉચ્છેદક સુધારો અને સંરક્ષક સુધારો – એ બંને સુધારામાં કેટલુંક સામ્ય હતું અને કેટલુંક અસામ્ય હતું. એમાં નિદાનમાં સામ્ય હતું, ચિકિત્સામાં અસામ્ય હતું. ચિકિત્સાનું સ્વરૂપ ભિન્નભિન્ન હતું. આ અર્થમાં સંરક્ષક સુધારો એ ઉચ્છેદક સુધારાના અનુસંધાનરૂપ હતો, એની પૂર્તિરૂપ હતો. એથી નર્મદે જ્યારે ઉચ્છેદક સુધારાનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો ત્યારે જાણે કે એણે પોતાનો જ પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો. એ બંને સુધારાનો નાયક હતો. આમ, નર્મદે અને સૌ સુધારાવાદીઓએ સમાજ, સંસ્કૃતિ અને ધર્મનું જે નિદાન કર્યું હતું એ યથાર્થ હતું, પણ એની જે ચિકિત્સા હતી તે યથાર્થ ન હતી એવી ૧૮૬૫-૬૬ લગીમાં નર્મદની પૂર્ણ પ્રતીતિ હતી. એથી એનું માનસપરિવર્તન, વિચારપરિવર્તન થયું હતું. અને ૧૮૬૫-૬૬થી લગભગ આયુષ્યના અંત લગી એ સંરક્ષક સુધારાનો સાધક-ઉપાસક-ઉપદેશક રહ્યો હતો. ૧૮૮૨માં નવલરામે મણિલાલના ‘કાન્તા’ નાટકનું અવલોકન કર્યું હતું ત્યારે એમણે જે ઉચ્છેદક સુધારાનો નર્મદ નાયક હતો તે સુધારાને ‘દારુડિયો’ સુધારો કહ્યો હતો. નવલરામે એક જ વાક્યમાં સમગ્ર ઉચ્છેદક સુધારાનું સારસર્વસ્વ પ્રગટ કર્યું હતું, નવલરામનો એ સુધારા અંગેનો નિષ્કર્ષ હતો, કારણ કે એ સુધારામાં વધુ પડતો આવેગ અને આવેશ હતો, અતિરેક અને અભિનિવેશ હતો. એથી એ સુધારો અંતે વ્યભિચાર અને મદ્યપાનમાં વિરમ્યો હતો. એમાં એ સુધારાના નાયક તરીકે નર્મદનું પણ અર્પણ હતું. નર્મદે આહ્વાન કર્યું હતું, ‘ચલોે હવે શું વાર લગાડો, ચલો પીવા માંડો.’ એક ગદ્યનિબંધમાં જાણે કે જાહેર એકરારરૂપે લખ્યું હતું, ‘હું દિલોજાન દોસ્તોમાં પિવું ખરો, નશા માટે નહીં રે, જરા લિજ્જત. એ ભાઈઓને ટેવ તેમનાથી અતડો ન રહેવા; અરે સાચું બોલાવો તો છાંટો ગળે ઉતરે તેમાં જ ભ્રષ્ટતા કે પાપ નથી તો, એ મ્હારૂં સુવિચારબળે બાંધેલું સ્વતંત્ર મત જાહેર કરવાને હું તો પિવું છ, કે બીજા સમઝુ પણ એવી એવી વ્હેમી ગુલામિયતમાંથી છૂટીને માણસાઈમાં આવે અને આ વ્હેમબદ્ધ દેશનો દહાડો ફરે.’ અને પછી ઉમેર્યું હતું, ‘હું જે કંઈ કરું છું, તે જાહેરમાં, સૌ જોવું હોય તો ક્યારે જોઈ લે તેટલું જ; જાહેરમાં બોલવું કંઈ, લોકમાં દેખાડ કરવો એક, ખાનગીમાં કરવું અન્ય, એ તો ઘોર અધર્મ અને વળી નીચ દંભ.’ વળી ‘વૈધવ્યચિત્ર’ કાવ્યમાં એણે વ્યવહારુ વાસ્તવવાદી તરીકે વિધવા સ્ત્રીઓના જીવનમાં વ્યભિચાર, અનીતિ અને એ માટેની ઉત્સુકતાનો પુરસ્કાર કર્યો હતો. ઉચ્છેદક સુધારાવાદીઓ માટે સુધારો એ જાણે કે યુરોપથી મુંબઈબંદરે કોઈ અપ્સરાના આગમન જેવો હતો. એમના મંડળમાં ઘીની જેમ દારૂ પીરસાતો હતો. એમાંના અનેક સભ્યો – કરસનદાસ સુધ્ધાં – એ રાતોરાત કરોડોની કમાણી કરવા શેરસટ્ટો ખેલ્યો હતો. નર્મદ સુરતનો લાલ, સુરતી લાલો, સુરતીઓનો સુરતી, એનામાં લાલાઈ, લાપરવાઈ હતી. વળી વ્યભિચારી, નશાખોર અને દંભી શિષ્યો અને મિત્રોના વર્તુળના કેન્દ્રસ્થાને હતો. એનાં પ્રેમકાવ્યોમાં મોટે ભાગે રસરુચિનો અભાવ હતો. ‘ડાંડિયો’ના ગદ્યનિબંધો – લેખોમાં એ ક્યારેક વધુ પડતી અસંસ્કારી ભાષામાં વધુ પડતો આક્રમક હતો. એનામાં શત્રુઓ સર્જવાની સુકોમળ કળા હતી. ‘હું લોકો માને છે એવો નથી તો મને લોકોની શી પરવા ?’ એવી એનામાં બેપરવાઈ હતી. આ સૌ કારણોના સરવાળારૂપે ઉચ્છેદક સુધારાના પુરસ્કર્તાઓએ એની લંપટ અને નશાખોર તરીકે નિંદા કરી હતી. આ સૌ કારણોથી લોકસ્મૃતિમાં એની એક મિથ્યા મૂર્તિ પ્રતિષ્ઠા પામી હતી. લોકમાનસમાં એનું કાંઈ પરિવર્તન થયું ન હતું. ડાહ્યા દલપતરામે પણ એનો ‘દુરાચારી વ્યભિચાર જો વિચારી’ એવો આક્ષેપપૂર્વકનો ઉપહાસ કર્યો હતો. (જોકે વીર નર્મદે પણ ‘શૂન્ય વિચારી ચોર તે દલપત પ્રસે વ્હાય’ એવો દલપતરામનો ઓછો ઉપહાસ કર્યો ન હતો.) આ નિંદા અને ઉપહાસમાં મુખ્યત્વે પૂર્વોક્ત લોકમાનસનો પ્રભાવ હતો. નર્મદમાં અખૂટ સર્જકતા હતી, અતૂટ પરિશ્રમ અને પુરુષાર્થ હતો. એ ઉદાર અને ઉત્સાહી હતો. આવો નર્મદ કદી એના નિંદકો અને ઉપહાસકો માને છે એવો અને એટલો અવિચારી, દુરાચારી, વ્યભિચારી હોય જ નહિ, એ એના નિંદકો અને ઉપહાસકોએ વિચારવાનું હોય. નવલરામે નર્મદના પૂર્વજીવનના ઉચ્છેદક સુધારા અંગે ‘દારૂડિયો સુધારો’ એવું તહોમતનામું રજૂ કર્યું હતું, તેમ એમણે નર્મદના ઉત્તરજીવનના સંરક્ષક સુધારા અંગે બચાવનામું રજૂ કર્યું હતું. નર્મદના માનસપરિવર્તન, વિચારપરિવર્તન પછી એને જે સંરક્ષક સુધારાનું સત્ય પ્રાપ્ત થયું હતું, તે સુધારો તો સમકાલીન સમાજનાં અનેક દોષો, દૂષણો અને દુરિતોના સંદર્ભમાં મંદ ગતિથી જ સફળ થાય. ઉચ્છેદક સુધારામાં એ માટેનું ધૈર્ય કે વીર્ય નથી એવી શંકાને કારણે નર્મદે ઉચ્છેદક સુધારાનો ત્યાગ કર્યો હતો એવું નવલરામનું બચાવનામું હતું એમાં, અલબત્ત, અસત્ય નથી, પણ એમાં અર્ધસત્ય છે; સત્ય નથી, સત્યનો પડછાયો છે. એમાં સંરક્ષક સુધારાનું નકારાત્મક અર્થઘટન છે. નર્મદ પાટલીબદલુ છે, પક્ષપલટુ છે એવું ઉચ્છેદક સુધારાવાદીઓનું મંતવ્ય હતું એમાં પણ અર્ધસત્ય છે. એમાં અસ્તિવાચક મૂલ્યાંકન છે. નર્મદે ઉચ્છેદક સુધારાનો દ્રોહ કર્યો ન હતો, એની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હતો. એમાં એની અર્વાચીન પ્રત્યેની પલાયનવૃત્તિ ન હતી, એનો પ્રાચીન પ્રત્યેનો અતીતરાગ ન હતો. ઉચ્છેદક સુધારામાં પશ્ચિમનું બધું જ સારું અને પૂર્વનું બધું જ નરસું, પશ્ચિમનું બધું જ ઉત્તમ અને પૂર્વનું બધું જ અધમ, પશ્ચિમનું બધું જ ચડિયાતું અને પૂર્વનું બધું જ ઊતરતું એવું પૂર્વગ્રહપૂર્વકનું વલણ અને વર્તન હતું. નર્મદના સંરક્ષક સુધારામાં પૂર્વનું બધું જ સારું, અને પશ્ચિમનું બધું જ નરસું, પૂર્વનું બધું જ ઉત્તમ અને પશ્ચિમનું બધું જ અધમ, પૂર્વનું બધું જ ચડિયાતું અને પશ્ચિમનું બધું જ ઊતરતું એવું પક્ષપાતપૂર્વકનું વલણ અને વર્તન ન હતું. એમાં પશ્ચિમનું જે સારું છે તે સારું જ છે અને જે નરસું છે તે નરસું જ છે, પૂર્વનું જે નરસું છે તે નરસું જ છે અને જે સારું છે તે સારું જ છે, પશ્ચિમનું જે ઉત્તમ છે તે ઉત્તમ જ છે અને જે અધમ છે તે અધમ જ છે, પૂર્વનું જે અધમ છે તે અધમ જ છે અને જે ઉત્તમ છે તે ઉત્તમ જ છે, પ્રત્યેક અન્યથી ચડિયાતું કે ઊતરતું નથી એવું તર્કશુદ્ધ અને બુદ્ધિપૂત, સમુચિત અને સમતોલ વલણ અને વર્તન હતું. નર્મદે ઉચ્છેદક સુધારામાં જે વલણ અને વર્તન હતું તેનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો. નર્મદને ઉચ્છેદક સુધારામાં કોઈ મૂળભૂત તત્ત્વની ઉપેક્ષા છે, કોઈ મૂળભૂત સત્ત્વની અવજ્ઞા છે અને એ તત્ત્વ કે સત્ત્વ છે ધર્મ એવી પ્રતીતિ હતી. એ સુધારામાં માત્ર સામાજિક અને રાજકીય સુધારાનું જ ધ્યેય હતું. એમાં નૈતિક અને આધ્યાત્મિક સુધારાનું ધ્યેય ન હતું. એથી એણે ધર્મના સંદર્ભમાં એ સુધારાને સુધારવાનો પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. આમ, સંરક્ષક સુધારો એ ઉચ્છેદક સુધારાના અનુસંધાનરૂપ હતો, એની પૂર્તિરૂપ હતો. એમાં બંને સુધારાનું અસ્તિવાચક મૂલ્યાંકન હતું, હકારાત્મક અર્થઘટન હતું. આમ, નર્મદ સુધારકોનો સુધારક હતો. સંરક્ષક સુધારક તરીકે નર્મદ ઉચ્છેદક સુધારાવાદીઓ અને પ્રરક્ષકોમાં એકસરખો અપ્રિય અને અસ્વીકાર્ય હતો. વળી એને કોઈ શિષ્ય કે મિત્રનો સદ્ભાવ કે સહકાર પ્રાપ્ત થયો ન હતો. ઉચ્છેદક સુધારક તરીકે એ જેમ પ્રાર્થનાસમાજનો સભ્ય ન હતો તેમ સંરક્ષક સુધારક તરીકે એને આર્યસમાજ પ્રત્યે, આર્યસમાજના ધ્યેય પ્રત્યે સદ્ભાવ અને સમભાવ હતો છતાં એ આર્યસમાજનો સભ્ય થયો ન હતો, થયો હોત તો એના ઉત્તરજીવનમાં અસહ્ય આર્થિક સંકટ ન હોત! સંરક્ષક સુધારો એ નર્મદના જીવનનું સર્વશ્રેષ્ઠ સાહસ હતું, સાહસોનું સાહસ હતું. ઉચ્છેદક સુધારક તરીકે એનામાં જેટલી સચ્ચાઈ હતી એટલી જ સંરક્ષક સુધારક તરીકે એનામાં સચ્ચાઈ હતી. બંનેમાં એની એકસમાન બૌદ્ધિક પ્રામાણિકતા હતી. સંરક્ષક સુધારક તરીકે એને જે સત્યનું દર્શન થયું હતું એ સત્યમાં એ અડગ અને અણનમ રહ્યો હતો. એ સત્ય માટે એણે પૂરેપૂરી કિંમત ચૂકવી હતી. હવે એ એકલવાયો હતો. સમાજ અને સંસ્કૃતિનું આમૂલ પરિવર્તન કરવું હોય તો સુધારામાં ધર્મનું પરિમાણ અનિવાર્ય છે એવી નર્મદની પ્રતીતિ હતી. ઉચ્છેદક સુધારામાં માત્ર સામાજિક અને રાજકીય પરિમાણ જ હતું, નૈતિક અને આધ્યાત્મિક પરિમાણ ન હતું. એથી નર્મદે પૂર્વના પ્રાચીન અને પશ્ચિમના અર્વાચીન સમાજ, એની સંસ્કૃતિ તથા એનાં ધર્મ અને જીવનમૂલ્યો આદિના ઇતિહાસનું વાચન, મનન અને ચિંતન કર્યું હતું. પ્રાચીન યુગમાં પૂર્વના સમાજમાં ધર્મનું સાચું સ્વરૂપ અસ્તિત્વમાં હતું એનું નર્મદને દર્શન થયું અને એનું ધર્મનેત્ર ખૂલી ગયું. એના સંદર્ભમાં અર્વાચીન યુગમાં પૂર્વના સમાજમાં જડતા, નિષ્ક્રિયતા, અગતિશીલતા, અંધશ્રદ્ધા આદિને કારણે એનું વિરૂપ અને વિકૃત સ્વરૂપ અસ્તિત્વમાં હતું. એમાં જે કંઈ રહ્યુંસહ્યું સત્ત્વ હતું એનો હ્રાસ-નાશ કરવામાં ઉચ્છેદક સુધારો રચ્યોપચ્યો હતો. છતાં એમાં ધર્મનું સાચું સ્વરૂપ પુન: પ્રાપ્ત કરવું શક્ય છે અને એમ કરવું જોઈએ. ધર્મનું પુનરુત્થાન કરવું અનિવાર્ય છે, એવો નર્મદનો આગ્રહ હતો. પૂર્વના પ્રાચીન સમાજની સ્થાયી પ્રકૃતિ સત્ત્વગુણપ્રધાન હતી. પશ્ચિમના અર્વાચીન સમાજની સ્થાયી પ્રકૃતિ રજોગુણપ્રધાન છે. એથી એમાં અર્થ અને કામના પુરુષાર્થોનો મહિમા છે, ધર્મ અને મોક્ષના પુરુષાર્થોની મહત્તા નથી. એથી એમાં આત્મા અને હૃદયની મહત્તા નથી, તર્ક અને બુદ્ધિનો મહિમા છે. (‘I think and therefore I am’ – Descartes.) વળી પુનરુત્થાન પછી ૧૬મી સદીથી એમાં ધર્મનું, ધર્મસત્તાનું વર્ચસ્ નથી, રાજ્યનું – રાજ્યસત્તાનું વર્ચસ્ છે. સમાજ અને સંસ્કૃતિના કેન્દ્રમાં રાજ્ય છે – રાજ્યસત્તા છે. સમાજ અને સંસ્કૃતિ અંગે ન્યાય અને નિર્ણય કરવાની રાજ્યની, રાજ્યકર્તાની, રાજાની સત્તા છે. જાણે કે રાજ્ય એ જ રાષ્ટ્ર છે. એથી એ રાજ્ય રાષ્ટ્રવાદી રાજ્ય – nation state છે. એમાં રાષ્ટ્રપ્રેમથી વિશેષ તો રાષ્ટ્રવાદ છે. વળી પશ્ચિમમાં અર્વાચીન યુગમાં ભિન્નભિન્ન રાજ્યો છે. એથી રાજ્ય રાજ્ય વચ્ચે સર્વોચ્ચતા અને સર્વોપરિતા માટે સ્પર્ધા છે, દ્વેષ અને ઈર્ષ્યા છે. પ્રત્યેક રાજ્યને ધન અને સત્તા માટે લોભ અને સ્વાર્થ છે. એથી રાજ્ય-રાજ્ય વચ્ચે સંઘર્ષ છે, પરિણામે યુદ્ધ અને હિંસા છે. એમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના નથી, ‘એકનીડમ્’નો આદર્શ નથી. તો આ હતું પશ્ચિમના આધુનિક યુગના – એટલે કે એના સમયના – સમાજનું દર્શન. ઉચ્છેદક સુધારામાં પશ્ચિમના આ અર્થ અને કામના પુરુષાર્થનો અને એ સિદ્ધ કરવાની એની નીતિરીતિનો મોહવ્યામોહ હતો, એનું અનુકરણ અને અનુસરણ હતું. સુધારામાં માત્ર અર્થ અને કામનો જ પુરુષાર્થ તો નહિ જ, એ સિદ્ધ કરવા પશ્ચિમની સામાજિક અને રાજકીય નીતિરીતિનો જ મહિમા નહિ, પણ ધર્મ અને મોક્ષના પુરુષાર્થનો અને એ સિદ્ધ કરવા પૂર્વની મૌલિક એવી નૈતિક અને આધ્યાત્મિક નીતિરીતિની મહત્તા પણ હોવી જ જોઈએ એવી નર્મદની દૃઢ માન્યતા હતી. એથી એણે ઉચ્છેદક સુધારાનો પ્રતિકાર અને પ્રતિવાદ કર્યો હતો અને આયુષ્યના અંત લગી એ સંરક્ષક સુધારાનો સાધક-ઉપાસક અને ઉપદેશક રહ્યો હતો. પશ્ચિમના આધુનિક યુગના સમાજમાં રાજ્યનું, રાજ્યસત્તાનું, રાજ્યકર્તાની – રાજાની સાર્વભૌમ સત્તાનું વર્ચસ્ હતું – કારણ કે એના રાજ્યતંત્રમાં ક્યાંય ઉચ્ચાવચતાક્રમનું, ધર્મપુરુષો અને શ્રીમંતોનું, જ્ઞાતિઓ અને મહાજનોનું અસ્તિત્વ ન હતું. એથી નર્મદના સંરક્ષક સુધારામાં ઉચ્ચાવચતાક્રમ, બ્રાહ્મણો, કર્મકાંડ, શાસ્ત્રો, મૂર્તિપૂજા આદિ પ્રતિગામી અને પ્રગતિવિરોધી મૂલ્યોને સ્થાન હતું. જીવન સતત ગતિશીલ, પરિવર્તનશીલ છે. એથી સુધારો એ એક સતત ગતિશીલ, પરિવર્તનશીલ પ્રક્રિયા છે. કોઈ પણ સુધારો – ઉચ્છેદક કે સંરક્ષક – સ્થાયી નથી, નિત્ય નથી. કોઈ પણ સુધારો સુધારાવાદીઓની વ્યાખ્યામાં સીમિત નથી, પરિસીમિત નથી. આજે ઉચ્છેદક અને સંરક્ષક બંને સુધારા કાલગ્રસ્ત છે. વળી આજનો સુધારો આવતી કાલે કાલગ્રસ્ત હશે અને આવતી કાલનો સુધારો – બલકે સુધારાઓ દૂર-સુદૂરના ભવિષ્યમાં સમગ્ર મનુષ્યજાતિમાં વૈશ્વિક માનવતાવાદ અસ્તિત્વમાં આવશે ત્યાં લગી કાળગ્રસ્ત થયા કરશે. આ છે સૌ સુધારાઓનો બોધપાઠ. નર્મદ ભલે મહાપુરુષ ન હતો, તો એ ‘ઘરદીવડું’ પણ ન હતો; એ યુગપુરુષ હતો. એના યુગનું એક પ્રબળ અને પ્રચંડ પરિબળ હતો, એક નવનવોન્મેષશાળી પ્રસ્થાનકાર હતો, એક અડગ અને અણનમ અગ્રયાયી હતો. એની સચ્ચાઈ, એનું સાહસ, એની અસ્મિતા, એનું વ્યક્તિત્વ અનન્ય અને અસાધારણ. એ કારણે એ ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.