નવલકથાપરિચયકોશ/અધિકરણલેખન માટેનો નિમંત્રણપત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અધિકરણલેખન માટેનો નિમંત્રણપત્ર

પ્રિય સર્જકમિત્ર, સાદર નમસ્કાર આપની કુશળતા ચાહું છું. શ્રી અતુલભાઈ રાવલ દ્વારા સંયોજિત અને સંચાલિત એકત્ર ફાઉન્ડેશનની ઈ-બૂક અને સંચયન ઈ-મૅગેઝિનની પ્રકાશનપ્રવૃત્તિ વિશે તમે ખૂબ સારી રીતે પરિચિત છો. એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ પુસ્તકોનું ઈ-બૂક સ્વરૂપેનું પ્રકાશન વિશ્વભરમાં રહેતા ગુજરાતી ભાષાના વાચકોને ઉત્તમ વાચનસામગ્રી ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી કવિતા, કથાસાહિત્ય, નાટક, ગ્રંથકારશ્રેણી અને સામયિકોના પ્રકાશન દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યની સમૃદ્ધિનો અનુભવ કરાવે છે. હવે, ગુજરાતી ભાષાનાં પુસ્તકો/સામયિકોનું ઈ-બૂક સ્વરૂપેની પ્રકાશન પંરપરામાં એક નવું પ્રકાશન કરવાની યોજના વિચારી છે. શ્રી અતુલભાઈ રાવલે ગુજરાતી નવલકથાપરિચયકોશનું પ્રકાશન કરવાનો પ્રસ્તાવ મારી પાસે રજૂ કર્યો. મેં આ પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો. શ્રી અતુલભાઈ રાવલે ગુજરાતી નવલકથાપરિચયકોશનું સંપાદન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મને સવિશેષ આનંદ થયો. એ પ્રસ્તાવને મૂર્ત કરવા માટે મેં પ્રાથમિક સ્તરનાં કાર્યોની શરૂઆત કરી છે. ગુજરાતી નવલકથા પરિચયકોશ માટે મેં એકસો પાંત્રીસ (૧૩૫) ગુજરાતી નવલકથાની પંસદગી કરી છે. આ સંખ્યામાં જરૂર પડ્યે થોડો વધારો થઈ શકે છે. ઈ. સ. ૧૮૬૦થી શરૂ કરીને વર્ષ ૨૦૨૨ સુધીના સમયગાળામાં પ્રકાશિત ગુજરાતી નવલકથાઓમાંથી માત્ર એકસો પાંત્રીસનું ચયન મારે માટે સંપાદક તરીકે પડકાર હતો. પરંતુ મારા સંપાદકીય દૃષ્ટિકોણ પ્રમાણે પ્રત્યેક તબક્કાનું પ્રતિનિધિત્વ કરતી નવલકથાઓની પંસદગી કરી છે. નવલકથા પસંદગી માટે ઐતિહાસિક અભિગમ સ્વીકાર્યો છે. નવલકથા પસંદગી માટેનો અભિગમ ઐતિહાસિક હોવાથી નવલકથા સ્વરૂપના કલાગત વિભાવની સાથે અન્ય વિભાવોનો પણ સમાવેશ કર્યો છે. હું માનું છું કે આ પરિચયકોશ છે, સમીક્ષા નથી તેથી પરિચયકોશનું બંધારણ અને તેના હેતુઓ અનિવાર્યપણે કેટલીક વિગતોની અપેક્ષા રાખે છે. તેથી વિષયવસ્તુનું વૈવિધ્ય, કલાપરકતા, પ્રયોગશીલતા, સામાજિક-સાંસ્કૃતિક બાજુઓ, ઇતિહાસ, લોકપ્રિયતા, લેખનરીતિ અને દાર્શનિક ભૂમિકાઓ દર્શાવતી નવલકથાઓની પસંદગી કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યનો વિશ્વ-ગુજરાતી સહૃદય ભાવક ગુજરાતી નવલકથાલેખનના ઇતિહાસનો અનુભવ કરી શકે અને ગુજરાતી સાહિત્યના પ્રત્યેક તબક્કે દિશા બદલતી, વળાંકો લેતી અને નવાં પરિમાણો સિદ્ધ કરતી નવલકથાઓનો પરિચય કેળવીને નવલકથાનું વાચન કરવા માટે ઉત્સુક બને તે આ કોશનું મુખ્ય ધ્યેય છે. પ્રસ્તુત નવલકથાપરિચયકોશમાં અધિકરણલેખન માટે આપને આદરપૂર્વક નિમંત્રણ પાઠવું છું. અધિકરણલેખન સંબંધી કેટલીક જરૂરી માહિતી અને અધિકરણલેખનનું માળખું એ સંદર્ભે નીચે વિગતો દર્શાવી છે. ૧.  અધિકરણલેખન માટે પસંદ કરેલ નવલકથાનું નામ. ૨.  અધિકરણલેખન માટેની શબ્દમર્યાદા – એક હજાર શબ્દો. ૩.  અધિકરણલેખન માટેના પુરસ્કારની રકમ – પ્રત્યેક અધિકરણ માટે રૂ. ૧૫૦૦ ૪.  અધિકરણલેખન માટે સંપાદકે સૂચવેલ માળખું (Framework)

– નવલકથાનો ટૂંકો પરિચય. જન્મ (જો હયાત ન હોય તો મૃત્યુ તારીખ), વતન, અભ્યાસ, વ્યવસાય, સાહિત્યિક પ્રદાન, ઈનામો.
– પસંદ કરેલ નવલકથાનું પ્રકાશનવર્ષ, પ્રથમ આવૃત્તિનું વર્ષ ને મહિનો, નકલની સંખ્યા, પ્રકાશક, પ્રસ્તાવના કે ભૂમિકા લખનારનું નામ, અવતરણો, અર્પણ, જો એક કરતાં વધુ ભાગમાં હોય તો પ્રત્યેક ભાગની ઉપર મુજબની માહિતી આપવી. જો નવલકથા પરથી ફિલ્મ બની હોય તો તેનો માત્ર નિર્દેશ કરવો.
– નવલકથાનું કથાનક.
– નવલકથાની લેખનપદ્ધતિ
– નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા દર્શાવવી
– નવલકથાનો પ્રકાર (સામાજિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, લિરિકલ વગેરે)
– નવલકથા વિશેના વિવેચનલેખોમાંથી કોઈ એક લેખમાંથી અવતરણ.

૫.  અધિકરણલેખનની સમયમર્યાદા – ૬૦ દિવસ, બે મહિના. ૬.  અધિકરણની સૉફ્ટ કોપી tathapi૨૦૦૫@yahoo.com પર મોકલવી. ૭.  અધિકરણની હાર્ડ કોપી સંપાદકના ઘરના સરનામા પર મોકલવી. ૮.  તમારું અધિકરણ ભાષાશુદ્ધિ, વાક્યરચના અને પ્રૂફની દૃષ્ટિએ સુવાચ્ય હોવું જરૂરી છે. અધિકરણલેખક તરીકે આપને નમ્ર વિનંતી કરું કે અધિકરણલેખન માટેનો નિમંત્રણ પત્ર મળ્યા બાદ કે ઈ-મેલ મેસેજ મળ્યા બાદ તમારો પ્રત્યુત્તર સાત દિવસમાં વૉટ્સએપ નંબર ૯૮૨૪૦ ૫૩૨૭૨ કે email: tathapi૨૦૦૫@yahoo.com પર જણાવશો. આશા રાખું છું કે ગુજરાતી નવલકથાપરિચયકોશનું પ્રકાશન કરવા માટે અધિકરણલેખક તરીકે આપનો સહયોગ જરૂર મળશે. અધિકરણલેખન બાબત કોઈ મૂંઝવણ કે સવાલ હોય તો આપ ઉપર દર્શાવેલ મારા વૉટ્સએપ નંબર પર સંદેશ મોકલશો. આભાર સાથે.

વડોદરાઃ તા. ૩ ફેબ્રુઆરી, શુક્રવાર જયેશ ભોગાયતા