નવલકથાપરિચયકોશ/મેળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩૮

‘મેળો’ : માવજી મહેશ્વરી

– રાઘવજી માધડ
Melo Book Cover.png

નવલકથાનું નામ : મેળો નવલકથાકારનો પરિચય : મૂળ ભોજાઈ ગામના વતની, શિક્ષકના વ્યવસાય અર્થે અંજારમાં આવી કાયમી વસવાટ કર્યો. પરિવારમાં પત્ની સમેત બે સંતાનો. કર્મે, ધર્મે શિક્ષક અને સાહિત્યકાર. લેખક : માવજી મહેશ્વરી જન્મ તારીખ : ૩૦-૧૨-૧૯૬૪ અભ્યાસ : એસ.એસ.સી., પી.ટી.સી. વતન : ભોજાઈ, અંજાર (કચ્છ) સાહિત્યસર્જન : નવલકથા - ૫, વાર્તાસંગ્રહો- ૭ અન્ય - ૫ એવૉર્ડ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું ૨૦૦૭નું પારિતોષિક ‘કલાગુર્જરી’ મુંબઈ દ્વારા ૨૦૦૭માં પુરસ્કૃત. અનુવાદ : આવૃત્તિ : ઈ. સ. ૨૦૦૭, ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૭ નવલકથાનું કથાનક : મેળામાં મળી ગયેલી નજરોમાં પાંગરતા પ્રેમની આ પ્રણયકથા છે. જેમાં મુખ્ય પાત્ર દીપક અને જ્યોતિ છે. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાય છે. અને છેવટે જેમ થતું આવ્યું છે તેમ અનેક અવરોધો ઓળંગી બંને એક થાય છે, સામાજિક સ્વીકૃતિ પામે છે. સઘળા અવરોધના મૂળમાં જડ કરી ગયેલી જ્ઞાતિપ્રથા છે. નાયક દીપક ખેડૂત-કણબી અને નાયિકા જ્યોતિ બ્રાહ્મણ જ્ઞાતિની છે. જ્યોતિના શિક્ષક પિતાના કુટુંબની આબરૂ વિશેનાં ધોરણોની સાથે દીપકના ઘરમાં ખેડૂતસહજ સીધી રેખામાં જીવન જીવવાની નેમ જેવી બે સ્થિતિઓ પણ બેઉને એક થવામાં અંતરાયરૂપ બને છે. નાનકડા ગામમાં અલગ-અલગ જ્ઞાતિ-સમાજનાં બે યુવાન હૈયાંઓનો પ્રેમપ્રસંગ ઊથલપાથલ મચાવી દે તે સહજ, સ્વાભાવિક છે. બેઉના પરિવારજનોએ સેવેલી ઉચ્ચ અભિલાષા ભાંગીને ભુક્કો થઈ જવાની દહેશત છે. નાયક દીપક માતાના અવસાન પછી મામાના ઘેર અમદાવાદ રહીને એમ.એ.નો અભ્યાસ કરે છે. દીપકને શહેરની હવા લાગી છે. પણ એનામાં રહેલો ગ્રામજન જીવંત છે. જ્યારે જ્યોતિ ગામડામાં ઊછરી હોવા છતાં માતા-પિતાના સંસ્કારબળે અને બી.એ. સુધીના અભ્યાસ અને સાહિત્યવાંચનની રુચિને લીધે એના આચાર-વિચારોમાં આધુનિક વલણ પ્રગટેલું છે. બેઉના પગ ગ્રામીણ સભ્યતા અને સંસ્કૃતિમાં ખૂંપેલા રહ્યા હોય છે. તેથી કોઈ અવિચારી પગલું ભરતા નથી. કથામાં નાયકના ભાભી મંજુલાનું પાત્ર ભારે મહત્ત્વનું પુરવાર થાય છે. આ ભાભી પોતાની દિયરાણી તરીકે નાની બહેનને લાવવા ઇચ્છે છે. પણ જ્યારે દિયર દીપક અને જ્યોતિના સાચા સ્નેહની પ્રતીતિ થાય છે પછીથી તેનું વલણ બદલાઈ જાય છે. બહેનનો વિચાર પડતો મૂકી જ્યોતિને લાવવા માટે જે કરવું પડે તે કરે છે. જ્યોતિને આધુનિક યુવતી તરીકે ઉપસાવી છે. જ્યાં અન્યાય થાય છે ત્યાં ઉપવાસનું શસ્ત્ર ઉગામે છે. તેમાં સફળ થાય છે. છેલ્લે પણ આ પ્રણયસંબંધને સ્વીકારી પિતા દયાશંકર જ્યોતિને પડખામાં લઈને કહે છે : તું જીતી બેટા! હું કોઈ મોટા અપરાધમાંથી બચી ગયો....ને શુભમંગળના સંકેત રૂપે લેખક લખે છે : શંકર મંદિરનો ઘંટ રણકી ઊઠ્યો... અન્ય ગૌણ પાત્રોમાં મજીદ, રોમત, ભાભી, બાપા, ધીરજ, દયાશંકર વગેરે છે. કચ્છના ગઢશીશા, લાયજા અને ડુમરા વચ્ચેના ત્રિકોણીય પટ્ટાના એક ગામડાના વતની એવા આ લેખકનું બાળપણ ડુંગરા, નદીઓ, મેદાનો, સાગરકાંઠો, ખારોપાટ અને લીલી કુંજારવાડીમાં પસાર થયું છે તે સ્વાનુભવને પરિવેશ તરીકે ખપમાં લીધો છે. લેખકના કહેવા મુજબ કંઠ પટ્ટની દિલેરી, અબસાડાની સરળતા, અને મીઠાશથી ભર્યું ભર્યું લોકજીવન... આ બધું કથામાં ઝિલાયું છે. નવલકથા લેખનની ભાષા-પદ્ધતિ : સર્વજ્ઞ કથનપદ્ધતિથી સર્જાયેલી આ કથા કોઈ છાપામાં હપ્તે હપ્તે પ્રગટ થઈ છે. તેમાં કથાના ટુકડા કરવા પડે તે છાપાળવી મર્યાદા હોય છે. પરંતુ લેખનશૈલી પ્રાસાદિક હોવાથી તેમજ પ્રસંગો સળંગપણે જોડતા જવાના કસબના લીધે કથાનું વાચન આનંદ પ્રેરે એવું બને છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટક તત્ત્વોની કાર્યસાધકતા : આ નવલકથા જે તે ન્યુઝ પેપરમાં ક્રમશઃ પ્રગટ થઈ છે. તેથી વાચકને કેન્દ્રમાં રાખી લેખકે ચાલવું લગભગ ફરજિયાત જેવું હોય. એક પ્રકરણ પૂરું થાય પછીના પ્રકરણ માટેની ઇન્તેઝારી ઊભી કરવી પડે. વાચકના નાડપારખુ લેખકે આ રીતે પ્રસંગોનો સિલસિલો સરસ ગોઠવી જાણ્યો છે. નાયક-નાયિકાનું મિલન થશે કે નહીં એની ઉત્સુકતા રાખી વાચકોને સતત જાગતા રાખી જાણ્યા છે. તેમાં સંવાદોએ કથા અને કલા પક્ષને જીવંતતા બક્ષી છે. તેમાં ખાસ તો ગામડાનું વાતાવરણ... આમ સંયોજતું તત્ત્વ હોય તો એ પ્રસંગોનું સંવેદનપૂર્ણ આલેખન, સ્મૃતિમાં સચવાયેલ ગ્રામીણ ચિત્રો અને એમાંથી ઉદ્ભવતો સર્જકનો દર્શનગત અભિગમ. સર્જકની સર્જકતા સિદ્ધ કરે છે. નવલકથાનો પ્રકાર : પ્રણયકથા નવલકથા વિશે : આ નવલકથા બે પારિતોષિકો પ્રાપ્ત કરી શકી છે. જોકે પારિતોષિક એ શ્રેષ્ઠતાનું માપદંડ નથી. પણ ઉલ્લેખ કરવો જરૂરી જણાયો છે. જે કથામાં રહેલું સત્ત્વ અને તત્ત્વ માટે અભિપ્રેત છે. આ કથાની ચાર આવૃત્તિઓ થઈ છે. અને ખાસ તો છાપામાં ક્રમશઃ પ્રગટ થઈ છે. આપણે ત્યાં લોકપ્રિયતા અને છાપાળવી કથાઓ માટે એક પ્રકારની સૂગ દર્શાવવામાં આવે છે. પણ અહીં આ કથા એ સૂગનો છેદ ઉડાડી દઈ કલાના કામણ સાથે એક ઊંચાઈ પ્રાપ્ત કરી છે, એ નોંધવું ઘટે. કથા વિશે અન્ય સર્જકનું નિવેદન : માવજીને વાર્તા કહેતાં આવડે છે. તેઓ પરિસ્થિતિ રચે છે. દૃશ્યો ઊભાં કરે છે અને પછી કથાનાં પાત્રો અને વાચકોને સામસામે મૂકી દે છે. લેખક જાતે કશું જ કહેતા નથી. ઘટના અને સંવાદોથી જ અર્થ પ્રગટવા દે છે. જરૂર પડી છે ત્યાં એમણે નાટ્યાત્મકતાને ઘેરી બનાવી છે. પાત્રો તરીકે એક-એકની મનોદશા, પરસ્પર માટેની લાગણી, બેથી ત્રણ પાત્રોનાં ઝૂમખાં અને સમાજ તરીકે બહુજનોની ક્રિયા-પ્રતિક્રિયાઓ વગેરેનું પ્રગટીકરણ માવજીમાં રહેલી કથાલેખકની શક્યતાઓનો પરિચય કરાવે છે. એમણે આખી નવલકથા અત્યંત સાદગીપૂર્ણ શૈલીમાં સળંગ વહેતી કથા રૂપે કહી છે. ક્યાંય કથાલેખનના બિનજરૂરી પ્રયોગો કર્યા નથી. એકસૂત્રતા અને કથાનો ક્રમશઃ વિકાસ જાળવી રાખ્યાં છે. માવજી વાર્તાની દરેક ક્ષણે એના સર્જક તરીકે હાજર રહ્યા હોવા છતાં એમણે ક્યાંય પોતાની હાજરીનો ભાર કળાવા દીધો નથી. આ સર્જક બીજાનું જોઈને પંડને અભડાવે એવો લાગતો નથી એ વાત આશ્વાસક છે. (વીનેશ અંતાણી) આ નવલકથાના સર્જન નિમિત્તે માવજીભાઈએ પોતાનું બાળપણનું ગામડું ગુમાવી દીધું હોવાની વેદના કે પીડા રજૂ કરી છે. બાળપણમાં પોતાનું ગામ છોડીને દૂરના શહેરમાં વસવાટ કરતી વ્યક્તિ વરસો વીતી ગયા બાદ પોતાના ગામની મુલાકાત લેવી જોઈએ નહીં! કારણ કે આધુનિક સમય અને સગવડોની અસર ગામડાંને પણ લાગી ગઈ હોય છે અને સ્મૃતિઓમાં જે ગામડું લીલુંછમ્મ હોય છે તે દાયકાઓ પછી રૂબરૂ જોતાં સાવ સુકાઈ જાય એવું બને છે. લેખકે પણ પ્રસ્તાવનામાં નોધ્યું છે : એક મેળો જે ક્યારેક મારી આંખોમાં, મારા હૈયામાં ભરાયો હતો તેનું ચિત્ર લઈ મારા ગામડે જાઉં છું અને નિરાશા લઈને પાછો વળું છું. છેલ્લા બે દાયકાથી મેળો ભરાયા અને વિખરાયાની ભીંસ અનુભવું છું. આ ભીંસ પણ ‘મેળો’ લખવા માટે કારણ બની હોય. માવજીભાઈના મનમાં જે શંકા જાગી છે તે જ સાચી છે. એ ભીંસે જ તેમની પાસેથી આ નવલકથાનું સર્જન કરાવ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. (રજનીકાંત સોની, ‘કચ્છમિત્ર’) કથાનક ખાસ્સું રૂઢ છે પણ પાત્રોની સંવેદનાનાં આલેખનોમાં પ્રગટેલી સ્વાભાવિકતા અને સહજતા વાચકને જકડી રાખે છે. મજીદ, રોમત, કરસન કાકા, કાંતિયો, દયાશંકર માસ્તર, જ્યોતિના મામા વગેરે પાત્રોનાં આલેખનો મેલોડ્રામેટિક બનતાં નથી. તેમાંનાં પ્રકૃતિવર્ણનો પણ પ્રભાવક છે. નાયક-નાયિકાના પારસ્પરિક અનુરાગની ઉત્કટતા અને તેમનો તલવલાટ એક તરફ, તો નાયક-નાયિકાના પરિવારજનોનો ઉચાટ બીજી તરફ. એ બેનું સંનિધિકરણ ‘મેળો’માં સાદ્યંત અને સમાંતરે થતું રહ્યું છે જેને કારણે પ્રણયકથામાં આવતા ચઢાવ-ઉતાર વાચકના કુતૂહલને ટકાવી રાખે છે. માંડવીના દરિયાથી માંડીને, કચ્છની રેતીનાં ચિત્રાંકનો પણ કૃતિને નિર્ણાયક એવું વાતાવરણ પૂરું પાડે છે. મુગ્ધાવસ્થાના પ્રેમની કરુણમધુર કથા સુવાચ્ય બની શકી છે તે લેખકની સહજ સરળ અને સચ્ચાઈ પૂર્ણ કથનરીતિનું પરિણામ છે. (વિજય શાસ્ત્રી, ‘નવનીત સમર્પણ’, માર્ચ : ૨૦૧૦)

ડૉ. રાઘવજી માધડ
નિવૃત્ત અધિકારી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર
વાર્તા, નવલકથા, નિબંધ, લોકસાહિત્ય સ્વરૂપ તેમજ
શિક્ષણમાં સંશોધન-સર્જન
પ્લોટ નં. ૭૧૫/૧, સેક્ટર ૭બી, ગાંધીનગર
Email: ra_madhad૧૩@yahoo.com