નવલકથાપરિચયકોશ/વાંસનો અંકુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૨

‘વાંસનો અંકુર’ : ધીરુબેન પટેલ

– નીતા જોશી
Vansno ankur.jpg

‘વાંસનો અંકુર’, લેખિકા : ધીરુબેન પટેલ જન્મ : ૨૯ મે, ૧૯૨૬ – અવસાન : ૧૦ માર્ચ, ૧૯૨૩ પિતા : ગોરધનભાઈ પટેલ; માતા : ગંગાબેન વ્યવસાય : પ્રાધ્યાપિકા, સંપાદક, લેખિકા,નવલકથાકાર, નાટ્ય લેખક, ચલચિત્ર પટકથા લેખક, અનુવાદક. પુરસ્કાર : રણજિતરામ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, મુનશી સુવર્ણ ચંદ્રક, દર્શક એવૉર્ડ. વિશિષ્ટ યોગદાન : ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ (૨૦૦૩ અને ૨૦૦૪). ગુજરાત વિશ્વકોશ ટ્ર્‌સ્ટની સ્ત્રીઓ માટે ‘વિશ્વા’ની પ્રવૃતિમાં સક્રિય રહ્યાં. વિવિધ લેખન સ્પર્ધા અને શિબિરનું આયોજન કરી સ્ત્રી લેખિકાઓને પ્રોત્સાહિત કરતાં રહ્યાં. ધીરુબેનને શિક્ષણ અને સાહિત્યલેખન માતા-પિતા પાસેથી વારસામાં મળેલ છે. એમનું ઉચ્ચશિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ (મુંબઈ)માં અને ઓગણીસો ત્રેસઠ, ચોસઠના ગાળામાં દહીસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તેમજ ભારતીય વિદ્યાભવનમાં કાર્યરત રહ્યાં. ‘સુધા’ સાપ્તાહિક્ના તંત્રી તરીકે કામ કર્યું. અને સર્જન ક્ષેત્રે વ્યાપક કામ આપ્યું. તેમની મહત્ત્વની કૃતિઓમાં ‘અધૂરો કોલ’, ‘એક લહર’, ‘વિશ્રંભકથા’ જેવા વાર્તા સંગ્રહ. ‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’, ‘વાવંટોળ’, ‘વમળ’ જેવી નવલકથાઓ. ‘વાંસનો અંકુર’, ‘એક ભલો માણસ’, ‘આંધળી ગલી’ જેવી લઘુનવલ ઉપરાંત નાટક, એકાંકીઓ, બાળવાર્તા, બાળકવિતા, બાળનાટક, હાસ્ય સાહિત્ય અને ઉત્તમ અનુવાદ પણ મળે છે. એમની વાર્તા પરથી ફિલ્મ સર્જક કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’ ફિલ્મ બનાવી હતી જેને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું. ૧૦ માર્ચ, ૧૯૨૩ના રોજ ૯૭ વર્ષનું દીર્ઘ જીવન જીવી આયુષ્ય પૂર્ણ કરે છે. ‘વાંસનો અંકુર’ (લઘુનવલ) ‘વાંસનો અંકુર’ એ પારિવારિક સંબંધોના તાણાવાણા ગૂંથતી, તરુણ વયના દ્વન્દ્વ વ્યક્ત કરતી લઘુનવલ છે. સમાજની બે વિરુદ્ધ સ્થિતિને સાથે મૂકી લેખિકાએ સમાજની અને ભારતીય પારિવારિક જીવનની ઝલક દર્શાવી છે. પૈસાના અહમ્‌ સાથે જોડાઈ જતી વ્યક્તિની જડ માનસિકતા અને ગરીબી સાથે વણાતી લાચાર વિનમ્રતા એ લઘુનવલનું સૂક્ષ્મ સંવેદન છે. આ લઘુનવલ અનેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામી બહોળા વર્ગ સુધી પહોંચી છે. એકસો નેવું પાનાં અંતર્ગત એક કિશોર વયના માનસનું ચરિત્ર ચિત્રણ છે. પ્રથમ આવૃતિ ૧૯૬૮માં પ્રકાશિત થઈ એ પહેલાં નવનીત ગુજરાતી ડાયજેસ્ટમાં ક્રમશઃ પ્રસિદ્ધ થયેલી એ પછી એસ.એન.ડી.ટી યુનિવર્સિટી તેમજ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આ કૃતિ અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. ‘વાંસનો અંકુર’ની બીજી આવૃત્તિ ૧૯૮૦ અને ત્રીજી આવૃત્તિ ૧૯૮૪માં થાય છે. જેના પ્રકાશક એન.એમ. ત્રિપાઠી (મુંબઈ) અને આવરણ વિનોદ પીઠડિયાનું છે. એ સમયે પુસ્તક મૂલ્ય ૨૪-રૂપિયા હતું અને હાલ ૧૩૮- આસપાસ છે. આરંભમાં ધરતી ફાડીને રાતની રાતમાં ઊગેલા વાંસની સર્જન ક્ષમતા વિશે કાવ્યાત્મક પૂર્વભૂમિકા બાંધી લેખિકા લખે છે : અવસાદ અને નૈષ્કર્મ્યના ગહવરમાંથી બહાર નીકળવામાં જેણે મને સૌથી વધારે મદદ કરી તે ‘વડવાનલ’ના અજ્ઞાત વાચકને મૉ બ્લાંની કૃતજ્ઞતાભરી યાદમાં. પ્રસ્તુત લઘુનવલ એક કિશોર વયની મનઃસ્થિતિનું નિરૂપણ કરે છે. નાયક કેશવ જન્મથી જ માતાને ગુમાવે છે. પિતા મોતીલાલ દરિદ્ર છે. માતાના પિતા રમણીકલાલ વૈભવી છે અને સ્વભાવે જક્કી વલણ ધરાવે છે. કેશવનો ઉછેર નાનાને ત્યાં સમૃદ્ધિ અને સગવડતા વચ્ચે થાય છે. કેશવની માતા સુશીલા સ્વાભિમાની સ્ત્રી રહી છે. પોતાના પતિને ઘરજમાઈ તરીકે રહેવા ન દેતાં પોતે ગરીબીનો સ્વીકાર કરી જીવવાનું પસંદ કરે છે. એ સમયમાં પિતાની વિરુદ્ધ જઈ પોતાનો નિર્ણય સંભળાવવો એ સ્ત્રીઓ માટે અઘરી વાત હતી એટલે અહીં આ અવાજનું મહત્ત્વ ઘણું છે. કેશવ અને રમણીકલાલ બન્ને એક જ ઘરમાં સાથે રહેતાં અને સાથે જીવતાં વિરોધાભાસી પાત્ર છે. જનરેશન ગેપ તો છે જ. રમણીકલાલ પૈસાદાર છે, સમયના ચુસ્ત અને અનુશાસન પ્રિય વ્યક્તિ છે. પરિવારના રખેવાળ અને શુભચિંતક વ્યક્તિ છે. જ્યારે કેશવ સ્વમાની, પોતાની પસંદ-નાપસંદમાં સ્પષ્ટ એવો તરુણ વયનો વિદ્રોહી અવાજ છે. ધીરુબેનની આ લઘુનવલ યશસ્વી એટલે પણ છે કે બહુ ઓછાં પૃષ્ઠમાં કથાના માધ્યમથી યુવાનોમાં સ્વાભિમાન, સચ્ચાઈ અને બળ સીંચવાનું કાર્ય કર્યુ છે. લેખિકાને એવા વટવૃક્ષનો છાયો મંજૂર નથી જે બીજા નાના છોડને પાંગરવા ન દે. ટાઢ તડકો વેઠીને ઊભો થતો છોડ એનું સામર્થ્ય બતાવે એ લખવાનો એનો ઉદ્દેશ છે. કેશવનું સુખ સાહ્યબી વચ્ચે ભણવામાં મન પરોવાતું નથી પરંતુ એને આ વૈભવી જિંદગી પસંદ છે એવું પણ નથી. જેમ સમજ વિકસે છે એમ વિરોધાભાસ સમજાય છે. એટલે ગરીબ પિતા માટેનો આદર ભાવ વધુ ને વધુ વિકસે છે. પિતા મોતીલાલની આર્થિક સ્થિતિ સારી નથી. એ નથી ઇચ્છતા કે એનો દીકરો અભાવ અને અગવડતા વેઠે. જ્યારે નાના રમણીકલાલ ધનવાન ખરા પણ ઇચ્છે કે જીવન એમના ઇશારે ચાલે. કેશવ આ બન્ને સ્થિતિમાં બંધ બેસતો નથી. કૉલેજ કાળમાં વાસંતી નામની ક્ન્યાથી આકર્ષણ અનુભવે છે અને રમણીકલાલ એમના પરમ મિત્રની પુત્રી સુવર્ણા કે જે વિલાયતથી ડૉક્ટરનું ભણીને આવી છે એમની સાથે સંબંધ બંધાય એવું ઇચ્છે છે. અહીં પણ દ્વન્દ્વ સર્જાય છે. જ્યાં નિર્ણયાત્મક ભૂમિકાએ ક્રિયા-પ્રતિક્રિયા બન્ને સામસામે આવે છે. કેશવ અપરિપક્વ કે ઉછાંછળો યુવાન નથી. એ સમજે છે, નાનાજી સ્વભાવે અક્કડ છે એટલા એમના ભવિષ્ય વિશે હિતચિંતક પણ છે. પિતા મોતીલાલ સાધારણ સ્થિતિના અને પ્રામાણિક વ્યક્તિ છે. પોતાની પત્નીનું સ્ત્રી ધન એ પોતે ન વાપરતા કેશવ માટે સંચિત રાખે છે. મોતીલાલના પગમાં ફ્રેક્ચર થાય છે ત્યારે કેશવને એમના પિતા પાસે જવાનું સૂચન રમણીકલાલ જ કરે છે. આમ જુદી જુદી સ્થિતિ વચ્ચે પારિવારિક ફરજ અને જવાબદારીનું ભાન લેખિકાએ જ્યાં જગ્યા ઊભી થઈ ત્યાં કુશળતાથી કરાવ્યું છે. પિતાજીની શારીરિક સ્થિતિ સારી અનુભવાતા કેશવ નોકરી અર્થે ઘર ત્યજે છે. નવલકથાના અંતે સંવાદ આ પ્રકારનો મુકાયેલ છે : ‘ને બીજું એક સાંભળી લો. હવે તમારે મિલમાં જવાનું નથી.’ ‘અરે’ ‘ના. ઘણું વૈતરું કર્યુ. હવે નિરાંતે ઘરે બેસો.’ ‘પણ ભાઈ!’ ‘બાપા, એક વાત કહું. જુઓ આ કાગળ. આ નોકરી કોને મળી છે, જાણો છો? મને. કેશવને. રમણીકલાલની દીકરીના દીકરાને નહીં, સમજ્યા? ત્યાં જઈને હું જે કમાઈશ તે પાછું ઠેલવાનો કોઈને હક નથી, સમજ્યા? હવે હું તમારું કાંઈ સાંભળવાનો નથી, સમજ્યા?’ પ્રસ્તુત સંવાદ સ્પષ્ટ કરે છે કે કેશવનો વિદ્રોહ અવિવેકી નહીં પણ જાતને સાબિત કરવાનો રહ્યો છે. એટલે જ અહીં લેખિકાને કહેવું હશે કે ‘બધી જ પરંપરા કાંઈ આંખો મીંચીને સ્વીકાર્ય હોતી નથી. દરેક પેઢીનું જનૂન ક્યાંક ને ક્યાંક પોતાનો રસ્તો બનાવવા કે વિચાર નિર્માણ માટે અનિવાર્ય બનતું હોય છે.’ નવલકથાના અંતે કેશવના પિતાની સ્વગત ઉક્તિ છે કે - ‘તમને ખબર નથી ડૉક્ટર, આખરે છોકરો કોનો? એની ઉંમરે હું પણ આમ જ ઘરમાંથી નાસી છૂટ્યો હતો!’ આ સંવાદ વાંસનો અંકુર શીર્ષકની સાર્થકતા બતાવે છે. લેખિકાએ કથાના માધ્યમથી સ્વમાન અને સ્વાવલંબનનું ચિત્રણ માર્મિક રીતે આલેખ્યું છે. વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિ વચ્ચે મોટો થતો કેશવ એક એવો વાંસનો અંકુર સાબિત થાય છે જે તીક્ષ્ણ અણીથી ધરતી ફાડી પોતાની જગ્યા આપમેળે બનાવે છે. નાનાજીની સમૃદ્ધિમાં ખોવાઈ ન જતા કે ‘હા જી હા’ ન કરતા પોતાનું બળ અને પોતીકી ઇચ્છાઓને જાતે જ ચકાસે છે. આ એક સાઇઠ, સિતેરના દાયકાનું સમાજ જીવન છે, જે અનેક રીતિરિવાજ અને મર્યાદા સાથે જોડાયેલું છે. એવા સમયમાં લેખિકા એવી સ્વમાની સ્ત્રીનું સર્જન કરે છે જે પિતાની વિરુદ્ધ લડત આપે છે. વડીલોનાં વેણ ઉથાપિ જ ન શકાય એવા સમયમાં કેશવ જેવો તરુણ બધી તાકાત ભેગી કરી કહે છે ‘મને ભણવાની ઇચ્છા નથી.’ અન્ય સંબંધોનું પણ ભાવવાહી નિરૂપણ છે. જેમ કે બહેનના મૃત્યુ પછી જવાબદારી સમજી કાળજીથી મોટો કરતી બન્ને માસી. તેમજ ભાઈ વિધુર થયા પછી તકેદારી રાખતી કેશવની ફોઈ અનસૂયા. લેખિકાએ પૂરા સંયમ સાથે ભારતીય પારિવારિક જિંંદગીને લાઘવ શૈલીમાં મૂક્યું છે. ‘ગુજરાતી કથાવિશ્વઃ લઘુનવલ’( સંપાદક : બાબુ દાવલપુરા-નરેશ વેદ) વિવેચન પુસ્તક અંતર્ગત બાબુ દાવલપુરાની ‘વાંસનો અંકુર’ પુસ્તકની સમીક્ષા અને લઘુનવલના સાહિત્ય સ્વરૂપ વિશેની નોંધ વિસ્તારથી વાંચવા મળે છે. આમ ‘વાંસનો અંકુર’ ઓછાં પાનાંની, માર્મિક સંવાદો સાથે લખાયેલી, જુસ્સાભર્યા તરુણનું મનોવાસ્તવ દર્શાવતી લઘુનવલ છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com