નારીસંપદાઃ વિવેચન/સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસીઃ હસ્તપ્રત અને કૃતિ
સુધા ચૌહાણ
કથા કહેવી કે સાંભળવી એ માનવમાત્રનો સ્વભાવ છે. પ્રાચીનકાળથી દુનિયાની એવી કોઈ પ્રજા નથી જેની પાસે પોતીકો કથાવારસો ન હોય. તેથી જ આદિમ માનવ- પ્રકૃતિનાં રહસ્યોને કથા-વાર્તામાં જોડી કાઢતો. કથા દ્વારા માણસ પોતાની જાતનું અને અન્યનું મનોરંજન કરતો આવ્યો છે. ‘કથા’ શબ્દ સંસ્કૃત ‘કથ્’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે. તેનો અર્થ ‘કહેવું’ કે ‘બોલવું’ એવો થાય છે. સંસ્કૃતિ સાહિત્યની પૂર્વ પરંપરા તપાસીએ તો બધાં જ ચરિત-કાવ્યોમાં રચયિતાઓએ પોતાનાં કાવ્યને ‘કથા’ કહી છે. પ્રાચીનકાળમાં ચરિતકાવ્યોને ‘કથા’ કહેવાની પ્રથા ઘણાં વર્ષો સુધી ચાલી, આ કારણે કથામાં અપાર વૈવિધ્ય સંભવિત છે. ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા-કથા’ (ઈ. ૭૭૯)માં કહ્યું છે : ‘કહબંધે નં નન્થિ જયમ્મિ જે કહ વિ ચુક્ક’ અર્થાત્ ‘જગતમાં એવો કોઈ પદાર્થ નથી જેને કથારચનામાં સ્થાન ન મળ્યું હોય" - આ વિધાન દ્વારા તે કથાસાહિત્યમાં રહેલાં વૈવિધ્ય અને વ્યાપને સૂચવે છે. મધ્યકાલીન કથાસાહિત્યના અભ્યાસી-સંશોધક હરિવલ્લભ ભાયાણી પ્રાચીન ભારતીય કથાસાહિત્યને ‘અગાધ અને અતાગ’ મહાસાગરની ઉપમા આપે છે. હજારો ગ્રંથો અને હસ્તપ્રતોમાં સંગ્રહિત પ્રાચીન ભારતીય કથાસાહિત્ય આખા વિશ્વમાં અનન્ય છે. આ કથાસાહિત્યમાં વિક્રમવિષયક વાર્તાઓ-વાર્તાચક્રોનું સ્થાન અનેરું છે. વિક્રમ નામ બોલતાં જ આંખો સમક્ષ ખડો થાય પરદુઃખભંજન રાજા. જે અંધારપછેડો ઓઢી પોતાની પ્રજાનાં સુખ- દુઃખ જોવા નગરચર્યા માટે નીકળી પડે છે. ભારતીય પ્રજા માટે જેમ રામ-કૃષ્ણનાં ચરિત્રો હૃદયસ્થ છે એમ જ વિક્રમનું પાત્ર ભારતીય જનમાનસમાં વિરાજમાન છે. વિક્રમને લગતાં કથાચક્રો, પ્રાચીન ભારતીય સાહિત્યનો એક મહત્ત્વનો હિસ્સો છે. ‘કથાસરિત્સાગર’માં વિક્રમવિષયક અનેક કથાઓ છે. ઐતિહાસિક રીતે વિક્રમના સમય અંગે અનેક મતમતાંતરો પ્રવર્તે છે. આજે ભારતમાં ચાલતો વિક્રમ સંવત ઈસુના જન્મ પહેલાં ૫૬ વર્ષે શરૂ થાય છે. પણ એ સમયે અવંતિમાં એવો કોઈ સમ્રાટ થયો હોય એવું ઇતિહાસ નોંધતો નથી. કેટલાક વિદ્વાનો પાંચમી સદીમાં થઈ ગયેલા ગુપ્તવંશના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને કથાનાયક વિક્રમ માને છે. આમ છતાં ‘કથાસરિત્સાગર’ના ‘શશાંકવતીલબંકમાં આવતી વાર્તા ત્રિવિક્રમસેન જો શ્રી ગુણાઢ્યની મૂળ ‘બૃહત્કથા’માંથી લેવામાં આવી હોય તો ઈ.સ.ની શરૂઆતમાં પણ એક વિક્રમ નામે રાજા હશે એમ માનવું પડે. ભારતીય જનસમાજમાં વિક્રમનું ચરિત્ર અનેક કલ્પનાઓથી રંગાયેલું છે. આ વિક્રમના ચરિત્રમાં વીરત્વ ઉપરાંત પરદુઃખભંજકતા તથા દાનવીપરપણું પ્રધાન લક્ષણ છે. વિક્રમની ઉપલબ્ધ બધી જ વાર્તાઓમાં ન્યાય, દાનવીરતા, પરદુઃખભંજકતા, સાહસ અને વીરત્વ જેવાં લક્ષણો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે વિક્રમવિષયક કથાચક્રોમાં ‘વૈતાલપંચવિશતિકા’ જૂનામાં જૂનું કથાસ્વરૂપ છે. ‘કથાસરિત્સાગર’ અને ‘બૃહત્કથામંજરી’માં પણ વિક્રમવિષયક કથાચક્રો જોવા મળે છે. શ્રી એર્ગટને Vikram’s Adventures" નામે વિક્રમચરિત્રની શ્રદ્વેષ આવૃત્તિ પ્રગટ કરી છે. એની પ્રસ્તાવનામાં એર્ગટન ‘સિંહાસનબત્રીસી’ અથવા ‘વિક્રમચરિત્ર’ વિષયક ‘દ્વાત્રિંશત્પુત્તલિકા’ની જુદી જુદી પાંચ વાચનાઓનો ઉલ્લેખ કરે છે. ગુજરાતમાં વિક્રમવિષયક જૂનામાં જૂની રચના સંવત ૧૪૫૦ની આસપાસ સંસ્કૃતમાં લખાયેલી ક્ષેમંકરકૃત ‘સિંહાસન દ્વાત્રિંશિકા’ રચના મળે છે. ત્યાર બાદ સંવત ૧૫૧૯ની આસપાસ ‘મલયચંદ્ર’ નામના સર્જક પાસેથી મધ્યકાલીન જૂની ગુજરાતીમાં ‘સિહાસનબત્રીસી’ જેના વિશે શ્રી રણજિત પટેલ ‘અનામી’એ સંશોધન કરી એની સમીક્ષિત વાચના આપી છે. આજથી ૫૫૦ વર્ષ પહેલાં લખાયેલી આ કૃતિ સાંસ્કૃતિક ભાષાશાસ્ત્રીય અને સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યવાન કૃતિ છે. ‘સિંહાસનબત્રીસી’ વિશેની ગુજરાતીમાં ઉપલબ્ધ આ પહેલી કૃતિ છે. ત્યારબાદ અજ્ઞાત બ્રાહ્મણ કવિ, જ્ઞાનચંદ્ર અજ્ઞાત ગદ્યવાર્તાકાર, સિદ્ધિસૂરિ હીરકલશ, વિનયલાભ, સુંદરજી, શામળ, પેસ્તનજી કાવશજી અને બીજા ઘણા વાર્તાકારો પાસેથી ‘સિંહાસનબત્રીસી’ની કથાઓ મળે છે જે અંતર્ગત સંવત ૧૬૧૬માં સિદ્ધિસૂરિ નામના સર્જકે રચેલી ‘સિંહાસનબત્રીસી’ કૃતિ અને તેની હસ્તપ્રતો વિશે વાત કરવાનો અહીં ઉપક્રમ છે. ‘સિંઘાસનબત્રીસી’ના કર્તા સિદ્ધિસૂરિ જૈન સર્જક છે. તેમના જન્મ વિશેની માહિતી કે પૂર્વજન્મ વિશેની માહિતી અપ્રાપ્ય છે. સિદ્ધિસૂરિ વિક્રમની ૧૬મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા. તેઓ બિવંદણિક ગચ્છના દેવગુપ્તસૂરિના શિષ્ય જયસાગરના શિષ્ય હતા. તેમની પાસેથી ‘અમરદત્ત મિત્રાનંદ રાસ’ (પ૨૩ કડી : સં. ૧૬૦૬) ‘સિંહાસનબત્રીસી’ (૨.સં.૧૬૧૬), ‘કુલધ્વજકુમારરાસ’ (૨.સ. ૧૬૧૮) તેમજ ‘શિવ (સર્વ)દત રાસ’ અથવા ‘પ્રાપ્તવ્યક (પ્રાપ્તિઆ)નો રાસ’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ માહિતીના આધારે આ કવિનો કવનકાળ વિક્રમની ૧૬મી સદીનો ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. આ સિવાય આ કવિના જીવન અંગે અન્ય કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. સિદ્ધિસૂરિકૃત ‘સિંહાસનબત્રીસી’ની કુલ છ હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ છે, જેમાં પાંચ હસ્તપ્રતો લા.દ.ભા.સ. વિદ્યામંદિર (અમદાવાદ)માંથી ઉપલબ્ધ થઈ છે જ્યારે અન્ય એક પ્રત આણંદ સાર્વજનિક પુસ્તકાલય (આણંદ)માંથી પ્રાપ્ત થયેલ છે. આ હસ્તપ્રતો નીચે મુજબ છે :
૧. સિપાસન બત્રીસી કથા (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ, ક્ર. ૬૧૧૦)
૨. સિહાસન બત્રીસી (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ, ક્ર. ૧૦૩૦૩)
૩. બત્રીસ પૂતળીઓની કથા (આણંદ સાર્વજનિક પુસ્તકાલય, આણંદ)
૪. સિહાસન દ્વાત્રિંશિકા (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ, કે. ૬૩૪૨)
૫. સિહાસન બત્રીસી (લા.દ,ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ, ક્ર. ૧૧૫૧૨)
૬. સિહાસન દ્વાત્રિશિકા (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ, ક. ૧૧૫૧૧)
સિદ્ધિસૂરિકૃત ‘સિંહાસનબત્રીસી’ (૨.સં. ૧૬૧૬)ના આ સંપાદનકાર્યમાં છ હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ છ હસ્તપ્રતોને સંક્ષેપમાં અનુક્રમે એક પ્રતને મુખ્યપ્રત તરીકે સ્વીકારી અન્ય હસ્તપ્રતોને ‘ક’, ‘ખ’, ‘ગ’, ‘ધ’, ‘ચ’ નામે ઓળખાવી છે. અહીં ‘સિંઘાસનબત્રીસી’ (એલ.ડી. ઈન્ડોલોજી ક્ર. ૬૧૧૦) ‘ક’ પ્રત, બત્રીસ પૂતળીઓની કથા (આણંદવાળી પ્રત) ‘ખ’ પ્રત, સિંહાસન દ્વાત્રિંશિકા (૬૩૪૨) ‘ગ’ પ્રત, સિંહાસન બત્રીસી (૧૧૫૧૨) ‘ઘ’ પ્રત અને સિંહાસન દ્વાત્રિંશિકા (૧૧૫૧૧) ‘ચ’ પ્રત તરીકે સ્વીકારી છે. અહીં સિંહાસન બત્રીસી (૬૧૧૦)ને મુખ્ય પાઠ ગણી બીજી પાંચ હસ્તપ્રતોનાં પાઠાન્તરો નોંધવાનો ઉપક્રમ છે. મધ્યકાળમાં એક જ કથાને કેન્દ્રમાં રાખીને અનેક કૃતિઓ રચાઈ છે પણ તેમાં ક્યાંક પુનરાવર્તનો તો ક્યાંક પરિવર્તન પણ જોવા મળે છે. કથાનકની લોકપ્રિયતાને કારણે ‘સિંહાસન બત્રીસી’ની પણ અનેક કથાઓ મળે છે. અહીં સિદ્ધિસૂરિ આ કથાનક શા માટે લખ્યું તે જણાવતાં કહે છે :
સંઘાસન બત્રીસી જેહ ! લોક માંહિ પ્રસીધ જેહ ।
તાસ કથા કહઉ બોલસુ ભલી । સાંભલતા પૂગઇ મનંફુલી ।
સંવત ૧૬૧૬માં રચાયેલી સિદ્ધિસૂરિની ‘સિંહાસનબત્રીસી’ની કથા સમગ્ર રીતે જોતાં અત્યાર સુધી રચાયેલી અને ઉપલબ્ધ બધી કૃતિઓમાં બહુ વિશિષ્ટ કોટિની છે અહીં સિદ્ધિસૂરિની જે ‘સિંહાસનબત્રીસી’ની પ્રતનો ઉપયોગ કર્યો છે તે સંવત ૧૭૦૦ના લેખનવર્ષવાળી કૃતિ છે. દરેક વાર્તાને અંતે નોંધ્યું છે કે :
આણી અતિઘણો ઉલટ અંગિ કહી કથાએ મનનિ રંગિ ।
હરખધરી પભણઈ સિદ્ધસૂરિ એહકથા સુણતાં દુઃખ દુરિ ।
અને લેખક અહીં ઉતાવળે છોડી દીધેલી પણ ‘ક’ પ્રતમાં પંક્તિ નં. ૭૪માં કહે છે,
તીહાં શ્રી સંઘ તણે ઉપદેશ રચી ચોપાઈ ધર્મ વિશેસિ ।
કવિ કર જોડિ કહાઈ ઈણિ પરંઈ કહુ દિવસ તે વલી વિસ્તરંઈ ।
આમ આ કૃતિ સિદ્ધિસૂરિની છે. જે તેણે મનોરંજન માટે નહીં પણ સંઘને ધર્મના વિશેષ ઉપદેશ આપવા માટે કહી છે. જૈન કવિતા હાથે રચાયેલી હોવા છતાં કથા ૩ (પંક્તિ ૬,૭,૮,૯)માં યજ્ઞ, વેદપાઠ, પંચામૃત, દેવદેવીના, સંદર્ભો દ્વારા હિન્દુ ધર્મનો સંદર્ભ મળે છે. આ ‘સિંહાસનબત્રીસી’ દોહરા-ચોપાઈમાં રચાયેલી છે. પ્રારંભમાં મંગલાચરણ મળે છે :
વિશ્વ જનનીય રુપાય પ્રણમેવિ | સયલ વિશ્વ સુખ કારણી ।
મુગધ ભગત બહુ બુધિદાતા । કવીયણ મન આનંદની ।
જગત માંહિ તુહિ જ વિખ્યાત । કરજોડી તુમ વીનવઉ ।
દિઉ મુક નિરમલ મતિ । કહુ કથા વિક્રમતણી તે સુણજો એક ચિંતિ ।
આમ મંગલાચરણમાં સરસ્વતીદેવીની સ્તુતિ કરવામાં આવી છે. સિદ્ધિસૂરિની ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાનો નોંધપાત્ર અંશ તેની દરેક વાર્તાની શરૂઆતની પાંચ અને અંતની ત્રણ કે ચાર કડીઓની પુનરુક્તિ છે. કવિનું ભાષા, છંદ અને વસ્તુ પર પૂરેપૂરું પ્રભુત્વ છે કવિનું વલણ પ્રસંગોને બહેલાવીને વાર્તા કહેવાનું છે. અહીં આડકથાઓની ભરમાર નથી પણ કૃતિનું માળખું જ એવું છે કે એક જ કૃતિમાંથી બત્રીસ કથાનકનો રસથાળ આપણને મળે છે. મધ્યકાળમાં પરંપરાનો લાભ લેવાની રીતિ હતી તેથી પુરોગામીઓની વાર્તાઓનો આ સર્જકે લાભ લીધો છે. આ કૃતિનો આસ્વાદ્ય અંશ તેનાં વર્ણનો અને વસંતવર્ણન છે. કથા ૨ ‘ચિત્રકૂટ પર્વતની’માં વનવર્ણન આપે છે; જેમ કે :
અતિ સુંદર જિલ્લાં છઈ આરામ । સોહિ વિવધ વૃક્ષનાં ઠામ !
કહું નામ સંખેપિ તાસ । સાંભલતા હોઈ ઉલાસ ।।૮ll
નાલિકેલિ કિર સોપારી સાર | સદા ફલે સોહિ સહિકાર ।
નિબ જંબૂ નારંગી વલી । અતિ મધૂરી છઈ અમૃત ફલી ।।૯ ll
કરણી કેલિ કરઈ કરમદાં । જંબીરી દાડમ છઈ સદા ।
ખજૂરી ખારિક નિ તાડ । સોહિ સરસ સેલડી ચાડ ।।૧૦||
જીવા ફૂલ ઉબંર અંજીર । રાઈણિ રાતા છઈ કણવીર ।
કણવીર લીબુંઈ લહિકિ લૂંબખા । દ્રાખ તણાં દિસિ જૂબખા ।।૧૧।।
કરપટ કારેલી ઘણા । સરલ સાગ તે સોહામણાં ।
પાડલ પારિજાતિ પ્રીઉંગ । જાઈફલ એલચી લિવંગ ।।૧૨।।|
બાવનચંદન નિ મચકંદ । મધૂરા બીજઉરીના વૃંદ ।
ખટરસ ખાટી છે આંબલી । ઈતિ ઊંચી ઉપિ આમલી ।।૧૩।।
અગર તગર નિ મલીઆગરી । નાગર વેલિ ગુણઈ અતિખરી ।
વરસોલા ફાલસા સુસાર । કેતકિ તણું નહિ તિહાં પાર ।।૧૪।।
રુપિ રુડી ચઈ જાસુલ । જાતિ તણઉ નહીઈ મૂલ ।
મહિમ મહિમ વાલું અતિ ભલઉ । મણઉ મરુઉ ગુણ અતિ નિલુ ।।૧૫।।
ચંપક પરિમલ બહુલઉ જાણ । અતિ સુગંધ મલિકા વખાણ ।
લાલ ગુણ લાલગંધિ અતિરુલી । સેવંત્રી સરસી તિહાં વલી ।।૧૬।।
આ ઉપરાંત સોળમી કથામાં સુન્દર વસંતઋતુ અને વસંત-મહોત્સવનું વર્ણન કરી સર્જકે વસંતની વનમાં અને માનવમન પર થતી અસરોનું વર્ણન કરી બતાવ્યું છે. આ કથાનાં વસંત-વર્ણનો આપણાં ફાગુ સાહિત્યસ્વરૂપનાં તમામ લક્ષણો લઈ પ્રગટે છે. "તેના છંદ, રાગ, મસ્તી, તાદૃશવર્ણન વગેરેને કારણે આ ફાગુ ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ ફાગુ સાથે મૂકી શકાય તેમ છે. એમાં પંક્તિઓની શરૂઆતમાં આવતા ‘આહે’ શબ્દથી ગવાતો હો તેમજ ખેલાતો હશે. એવું સૂચન અચૂક થાય છે."[1] અઠ્યાવીસમી કથામાં આઠમી-થી ચૌદમી કડી સુધી સુંદર વનવર્ણન આવે છે.
આંબ આંબલી આંક જંબીર । કદલી કુઠિ કઈર કણવીર ।
જંબૂ જંબીરી જૂઈ જાઈ । નાલિકેલિ નારંગી રાઈણ ।।૮।।
ખદીર ખજૂરી ખારિકિસાર । ખાખર ખસખસનુ નહી પાર ।
સીસમ સાલરીઊ નઈ સાગ । પદ્મકપાંન વેલિ પુન્નાગ ll ૯ ll
અગર આંમલી અમૃત ફલી | અતિ વિસ અગથીઉ બહુ ફલી ।
તમાલ પત્ર તગરને તાડ । કાકેરાં કેરુ આસાડ ।।૧૦||
બદિરી ખજૂરી બદાંમ | કરપટિ કરણી કેતકી નામ ।
લીંબૂઈ લહિકેં લૂંબખા । દ્રાખ તણા દીસંઈ કૂંબખા ||૧૧||
સેવંત્રી સોપારી સાર । સદાફલી સેલડી સફાર ।
બાવન ચંદન બહિકે બહુ ! બીલી બહિડાં બાઉલ સહું ।।૧૨।।
ચંપક જંપ કરઈ અતિભલું । ગુણિ ગિરુઉ મરુઉ ગુણનિલું ।
લાલ ગુલાલ ગંધિ અતિખરી | પારધિ પરમલ બાહિરિ કરી ।।૧૩।।
વારુ વડલાને વણખડા । ટોડી ટીમુરી ડાભડા ।
કરમદ કોમલ કાકડી । ચારુલી ચિમડિ ચીભડી ।। ૧૪।।
ઉપરોક્ત વનવર્ણનની જેમ જ કથા ૧૧માં પણ કવિ આવું જ સુંદરવનવર્ણન આપે છે. આ વનવર્ણનોમાં કવિનાં ભાષામાધુર્ય, વર્ણાનુપ્રાસ અને પ્રવાહી પ્રાસાદિકતા ધ્યાન ખેંચે છે. તો સાથે સાથે સર્જકનાં આ વનવર્ણનો ક. મા. મુનશી કહે છે તેમ જંગલખાતાની યાદી જેવાં લાગે છે. વનવર્ણનની જેમ પ્રત્યેક કથાના પ્રારંભે ઉજ્જૈયિનીનું વર્ણન મળે છે, ‘ઉજેણી નગરી સુવિશાલ પુણ્યવંત પુહવી પ્રતિપાલ’ તેમજ ક્યાંક ક્યાંક ‘ઉજ્જૈયની નગર જાણે નંદનવન, જાણે ઈન્દ્રપુરી અવતરી કે જાણે અમરાપુરી અવતાર’ જેવાં ઉપમાવાચક વર્ણનો મળે છે. સિંહાસનનાં મુહૂર્તવિધિનાં વર્ણનો અને આગિયા વેતાળ કે કોઈ રાક્ષસને ખુશ કરવા બનાવાતી વાનગીનાં વર્ણનો પણ વિગતપૂર્ણ છે. તેનું વર્ણન કરતાં કહે છે: ખીર ખાંડ બહુ બાકલ સાર । નવ નવે જઈ આહુતિ અપાર (કથા-૮, પં.૧૯) પાત્રોનાં વર્ણનો પણ સર્જકે કર્યાં છે. વિક્રમના ગુણગાન તો પ્રત્યેક કથામાં મળે છે. વિક્રમ બત્રીસલક્ષણો, સરળ, સાહસિક, કામદેવનો અવતાર, સજ્જન સુજાણ, બીજો ઈન્દ્ર, દેવલોકનો ચન્દ્ર, વગેરે મળે છે. આ વર્ણનો બહુધા પૂતળીના મુખે કરવામાં આવ્યાં છે. તેમજ વિક્રમની કીર્તિ દેશવિદેશમાં પણ વિખ્યાત છે તે દર્શાવવા સર્જક કથા ૧૭માં પં. ૭,૮ માં કહે છે.
અંગવિ ગતિ લંગ મકારિ । સવાલાખ સોરઠિ મહિસાર ।
મારૂઆડિ મરહઠ કલિંગ । મેદપાટ વૈરાટ ચંગ ||૭||
દેસ પંચાલ અનંઈ વલી ગુડ । ચીણ મહાવીણ અનઈ વલી ચંદ ।
દક્ષણ દેવ મૂલતાંન | કહિ કીરતિ સંથાલ સુલતાન ।।૮।।
આ કૃતિમાં મધ્યકાળમાં મળતાં પરંપરાગત રીતિનાં નારીનાં વર્ણનો નથી મળતાં પણ સ્ત્રીનાં અપલક્ષણો વિશે કથા ૩૨માં પં. ૩૫ થી ૩૭ સુધીની ચોપાઈ મળે છે : નારી નીઠર જાતિની છે જેને અન્યના ઘણા અવગુણ દેખાઈ છે પણ પોતાના અવગુણ દેખાતા નથી. જૂઠું બોલી ધ્રુસકે ધ્રુસકે રડે ને મોઢે મીઠી અને હૃદયમાં જુદી જ હોઈ છે. આપેલ વચન વિસરી જઈને નર પર જ દોષારોપણ કરે. એ સર્વ નારીનાં અપલક્ષણ છે. આવા સ્ત્રીવિષયક છપ્પાઓ દ્વારા વૈરાગ્ય પ્રતિ દોરી જવાનો કર્તાનો આશય જોવા મળે છે. આની સાથે સર્જકે પાત્રોની મનોવ્યથાનું વર્ણન પણ કુશળતાથી કર્યું છે. ઐન્દ્રજાલિકની કથામાં તેની સ્ત્રીની વેદનાનું વર્ણન કરતાં કહ્યું છે કે :
પંજર એહાં મન તિહાં । હીયડૂ કરિ ડમડોલ ।।
કંબ લગિ જાવીઇ બાપડા । ડાળથી વિછનાં ફૂલ ।।
પ્રિયતમ જતાં જીવ જઉં જઉં કરે છે તે માટે નાયિકાના મુખે સુંદર રૂપક મૂક્યું છે :
‘મોરુ હંસ થયઉ ઉડણ હાર’ (કથા-૩૦, પં. ૨૨, ૨૪)
આમ શામળની ‘સિંહાસનબત્રીસી’ની તુલનામાં આ સર્જકે વર્ણનને વધારે સ્થાન આપ્યું છે. કથાવેગને રોકીને વર્ણનની જ્યાં તક હોય ત્યાં વર્ણન કર્યા વિના રહી શક્યા નથી. કથાનકની દૃષ્ટિએ આ કૃતિ મૌલિક નથી. પણ વિક્રમકથા સાથે જોડાયેલી આ કૃતિ ‘સિંહાસનબત્રીસી’નું કથામાળખું જ એવું છે કે તે ભાવકોનું મનોરંજન કરી શકે. તેની લોકપ્રિયતાનું કારણ આ કથાનકને ઘડનારાં કથાઘટકો (motifs) છે. આ કૃતિનાં મહત્ત્વનાં મોટિફ નીચે મુજબ છે.
ચમત્કારી ફળ - D ૯૮૧
પ્રછન્નશ્રવણ – N ૪૫૦
માનવભક્ષી રાક્ષસ : રોજ એક માનવનો ભક્ષ.
એકના બદલે બીજાનો બલિ - S ૨૬૦
આકાશવાણી - F ૯૬૬
ચમત્કારી સિંહાસન – D ૧૧૫૬
સજીવન પૂતળી - D ૧૨૬૪
ચમત્કારી પાણી - D ૧૨૪૨૦.૧
ચમત્કારી રત્ન - D ૧૦૭૧
આભૂષણ દ્વારા કુંવરની ભાળ – H ૯૪
જળાશય સાથે સંકળાયેલ વિશિષ્ટ ઘટના - F ૯૩૫
વિશિષ્ટ સિંહાસન – F ૭૮૫
પશુપક્ષી બોલી - D ૧૮૧૫૦૨
અમરફળ – D ૧૩૪૬૯
સુવર્ણ પુરુષ
દારિદ્ર પુરુષ
રમકડાંનું સૈન્ય સજીવન થાય - D ૫૮૫.૨
ઊકળતા તેલમાં ઝંપલાવતો રાજા - EIS.I
અલૌકિક સ્તંભ
ચમત્કારી કથા - D ૧૧૬૭
ચમત્કારી દંડ - D ૧૨૫૪.૧
ચમત્કારી ખડ્ગ – D૧૦૮૧
ક્ષણમાં ભેગા થાય, ક્ષણમાં છૂટા પડે તેવો પર્વત
ચમત્કારી ટીંબો - D ૯૩૨૦૨
આ મોટિફનો અભ્યાસ કરતાં જણાય છે કે કૃતિમાં ચમત્કાર સાથે જોડાયેલાં મોટિફ વિશેષ છે. વિક્રમની આ કથા ચમત્કારોથી ભરપૂર છે તેથી જ અદ્ભુતરંગી મનોહર સૃષ્ટિ ખડી કરે છે. ચમત્કારો ઉપરાંત નીતિ, ઉપદેશના દુહા-સુભાષિતો પણ આ કૃતિમાં વિશેષ રૂપે પ્રયોજાયાં છે. મધ્યકાળનું સાહિત્ય જીવન ખાતર કલામાં માનનારું હતું. તેથી આ સમયગાળાના સર્જકોએ નીતિબોધ દ્વારા સંસ્કારસિંચન કરવાનું મહત્ત્વનું કામ કર્યું છે. તેમાં સર્જકનાં અનુભવ અને જીવનદર્શન વ્યક્ત થાય છે. આ કૃતિમાં સંસ્કૃત સુભાષિતો અને નીતિઉપદેશબોધ અનેક સ્થાનોએ મળે છે. આવો ઉપદેશ તેમણે દૃષ્ટાંતો દ્વારા સરળ બનાવ્યો છે. કર્મની ગતિ વિશે ઉપદેશ આપતાં કહે છે, “કર્મની ગતિ વસમી હોય છે. કર્મથી બ્રહ્મા કુંભાર થયા, વિષ્ણુએ દશ અવતાર લીધા, કર્મથી હરિશ્ચંદ્રે ભિક્ષા માગી, ઈન્દ્રે અહલ્યાનો સંગ કર્યો, કર્મથી સીતાને કલંક ચડ્યું, કર્મે રાવણ લંકામાં વસ્યો, કર્મથી તપસ્વી ક્રોધી... (કથા ૨૮, પંક્તિ ૨૧, ૨૨, ૨૩). અહીં પૌરાણિક પાત્રો સાથે જોડાયેલી ઘટનાનો સંદર્ભ આપીને ઉપદેશને સરળ બનાવ્યો છે. આ ઉપરાંત પાત્રોનો નિર્દેશ કર્યા વિના પૌરાણિક પાત્રો સાથે જોડાયેલી ઘટનાનો સંદર્ભ આપીને પણ ઉપદેશ આપ્યો છે; જેમ કે : કર્મથી વિયોગ સાલે, કર્મથી અનિષ્ટ સંયોગ આવે, કર્મે રૂપવાન ગુણહીન થાય, કર્મથી પંડિત દીન થાય વગેરે... જેવાં દૃષ્ટાંતો આપી કર્મ વિશે ઉપદેશ આપ્યો છે. તેવી જ રીતે ધનનો મહિમા (કથા-૨૨, પં. ૯, ૧૦), માન અપમાન વિશે (કથા-૧૧, પં. ૧૭,૧૮), જુગાર ન રમવા વિશે (કથા-૨૭, પં.૯), દાન વિશે (કથા- ૧૬, પં.૩૩), વિશ્વાસ કરવા વિશે (કથા-૩૦, પં.૧૧), કોને શું ન મળે વિશે (કથા ૩૨, પં. ૨૨થી ૨૫), કોની સાથે વ્યવહાર ન રાખવા વિશે (કથા-૩૨, પં. ૪૦), કુસંગતિ વિશે (કથા-૧૧, પં. ૧૩થી ૧૪) નીતિઉપદેશ મળે છે. સર્જકનાં આ સુભાષિતો મૌલિક નથી. સંસ્કૃત સુભાષિત-સંચયોમાં આ સુભાષિતો ગ્રંથસ્થ થયેલાં છે. પણ તેનો યોગ્ય સ્થાને ઉપયોગ કરવામાં સર્જકની શક્તિનો પરિચય થાય છે તો કેટલાંક સુભાષિતો, દૃષ્ટાંતો પરંપરામાંથી મળે છે. દા.ત. કથા ૨૭ જુગારીની કથા; આ વાર્તામાં રામચંદ્ર, અજ્ઞાતકવિ અને શામળમાં પણ એક જ પ્રકારનો દુહો મળે છે.
‘જૂઆરી ધરિ રધડી । મંકડ કોટિ હાર ।
ગહેલી માથઈ બેઢલઉ । છાજઈ તે કેતી વાર ll૯ll
તેમજ કથા ૩૨માં
લાસર માણસ કાટરઢોર । વંકણિ ભજા મિત્ર જૂઆર ।
કૃપણહ ધન કાયર હથીઆર । કજહ વાલા હી વિસરાલ ॥૪૧।।
શામળ કે સિદ્ધિસૂરિનાં આવાં દૃષ્ટાંતો મૌલિક નથી. સંસ્કૃત સુભાષિતસંચયનો લાભ આ સર્જકોએ લીધો છે. આ કૃતિમાંથી સમાજનું ચિત્ર પણ સાંપડે છે. અઢાર વર્ણો અહીં રહે છે. શિકારના શોખીન રાજાઓ, હાથી, ઘોડા, રથ, પાયદળ ધરાવતા હશે. પ્રજા વ્યસન કરતી હશે. પ્રજા પુનઃઅવતારમાં વિશ્વાસ ધરાવતી હશે, નસીબ, પાપ-પુણ્યના ખ્યાલો પ્રજામાં દૃઢ થયા હશે. આઠમી વાર્તામાં પંક્તિ ૨૧ થી ૨૬માં નગરના શેઠનાં નામો આપવામાં આવ્યાં છે. જેથી તે જમાનામાં રાખવામાં આવતાં નામોનો ખ્યાલ આવે છે. ઉપરાંત કથા ૧૭ પંક્તિ ૭-૮ માં કવિએ વિક્રમની કીર્તિ ક્યાં ફેલાયેલી છે તે દર્શાવતા મારવાડ, મુલતાન, સંથાલ, કલિંગ. ચીન, મહાચીન, દેવગિરિ, માળવા, મહારાષ્ટ્ર, વૈરાટ, પાંચાલ, ગૌડ જેવા પ્રદેશોનાં નામ આપી પોતાના ભૌગોલિક જ્ઞાનનો પરિચય કરાવ્યો છે. ૧૧મી કથામાં પંક્તિ ૭ થી ૧૨માં કવિ સાત પ્રકારનાં સુખ-દુઃખનું વર્ણન કરે છે. તેમ જ પંક્તિ ૨૭-૨૮માં પ્રેમ અને શ્યામ રંગની વિશેષતાઓ, તેમજ પંક્તિ ૨૮-૨૯, ૩૦માં સ્વજનની વિશેષતાઓ અને અવગુણનો ખ્યાલ આપ્યો છે. આ ઉપરાંત ૨૮મી કથામાં કવિ કર્મનો મહિમા કરતાં પૌરાણિક પાત્રોનાં દૃષ્ટાંતો આપ્યાં છે. તેમજ ૧૮મી વાર્તામાં સાહસ કરવા વિશે, તેમજ સમાજમાં યોગ્યાયોગ્યના જે ખ્યાલો પ્રચલિત છે તે દર્શાવવા ૩૨મી વાર્તામાં બે વસ્તુઓનો સંયોગ કરી કોને શું ન મળે તેના ખ્યાલો દર્શાવ્યા છે. દા.ત.,
ન મલિ અસતી સતી સંસારિ । ન મલિ જુવતી જતી વિચાર ।
ન મલઈ આછીણ નિ ગોખીર । ન મલિ અમૃત ખારું નીર ।। ૨૨
ન મલિ ચતુર પુરુષ સંખની । ન મલિ મુરખ નિ પદમિની ।
ન મલિ શંતિ રૂપ નિ સૂર | ન મલિ તાલ ટચકા તૂર ||૨૩
ન મલિ નિરધન નિ ધનવંત | ન મલિ પાપી નિ પુણ્ઉવંત ।
ન મલિ ગહિલા ને ગુણજાણ । ન મલિ નસિ ખરકે કાંણ ।।૨૪
ન મિલ કૂપણ નઈ દાતાર । ન મલિ દુરબલ જગ સાધાર ।
ન મલિ વસતઉ નિ વલીરાંન | ન મલિ માણસ ભાગા મિત્રા ||૨૫
શૈલીની ચિત્રાત્મકતા અને વાસ્તવિક જીવનને ભાષામાં વર્ણિત કરવાની સર્જકશક્તિ ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત શુભ પ્રસંગે મુહૂર્ત જોવાની માન્યતા, શુકન જોઈ શુભકાર્ય કરવાની મનોવૃત્તિ પણ પ્રજા ધરાવતી હશે. આ કૃતિમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. ઉજજૈયિની નગરીનાં વર્ણનોમાં એકવિધતા જોવા મળે છે. વિક્રમ રાજાનું અને વનનું વર્ણન સંસ્કૃત પ્રણાલી અનુસાર બીબાંઢાળ છે. પાપ, પુણ્ય, કર્મ અને વિધાતા વિશેના નીતિ-ઉપદેશ પણ પુનરાવર્તન પામેલા જોવા મળે છે. સર્જક એકના એક અલંકાર વારંવાર પ્રયોજે છે. આમ સિદ્ધિસૂરિની આ કૃતિમાં થોડીઘણી મર્યાદા તેનાં ઉત્તમ વર્ણનોની છાયા તળે ઝાંખી થઈ જાય છે. કથામાં યથાયોગ્ય પ્રસંગે પ્રયોજાયેલ નીતિ-ઉપદેશ પણ ભાવકને રસમાં ભાષક બનતા નથી તેથી ભાવકને તે આસ્વાદ્ય બને છે. આમ સિદ્ધિસૂરિની આ ‘સિંહાસન- બત્રીસી’ તેના રચનાસમયને ધ્યાનમાં રાખીએ તો કૃતિ અત્યંત આકર્ષક બને છે. કથામાં પ્રયોજાયેલ વર્ણનો, અને કાવ્યમય કથાનકો ધ્યાન ખેંચે છે. મધ્યકાળનાં કથાચક્રોના વિકાસમાં આ કૃતિ એક મહત્ત્વનું સ્થિત્યંતર બને છે. પણ શામળની ‘સિંહાસનબત્રીસી’ની તોલે તે આવી શકે તેમ નથી. શામળ જેટલું કથા આયોજન કે વાર્તાક્ષમ પ્રસંગને પસંદ કરીને તેને ચલચિત્રાત્મક ગતિએ રજૂ કરવાની કથનરીતિ સિદ્ધિસૂરિમાં નથી. અદ્ભુત રસના આલેખનમાં સિદ્ધિસૂરિ રસસિદ્ધિ દાખવી શકતા નથી. કથામાં કથાનું આયોજન કરી અનેક કથાનો રસ માણવાની તક શામળે આપી છે તે સિદ્ધિસૂરિ આપી શક્યા નથી. ‘સિંહાસનબત્રીસી’ની કથાપરંપરા સિવાયની કથાઓ શામળે પોતાની ‘સિંહાસનબત્રીસી’માં પ્રયોજી છે. તેવી આયોજનની કળા સિદ્ધિસૂરિમાં નથી. સિદ્ધિસૂરિએ બહુધા ‘સિંહાસનબત્રીસી’ની કથાપરંપરાને વળગીને જ કૃતિની રચના કરી છે.
સંદર્ભસૂચિ
૧. કથાસરિત્સાગર, સોમદેવ, આ. ૧૯૩૦
૨. જૈન ગુર્જર કવિઓ (ભાગ ૧-૭), સંપા. મોહનલાલ દ. દેસાઈ, જયંત કોઠારી, ૧૯૮૬-૯૧
૩. પદ્યવાર્તા, હસુ યાજ્ઞિક, ૨૦૦૭
૪. મલયચંદ્રકૃત ‘સિંહાસનબત્રીસી’, રણજિત મો. પટેલ ‘અનામી’, ૧૯૭૦
૫. મોટિફ : સાહિત્યસંદર્ભ મધ્યકાલીન ગુજરાતી કથા, લે. પિનાકીની પંડ્યા, ૨૦૦૬
૬. લોકકથાનાં કુળ અને મૂળ, હરિવલ્લભ ભાયાણી, ૧૯૯૦
૭. Vikrama’s Adventures, Vol. 26, 27, Edgerton, 1926
૮. સાહિત્યિક તથ્યોની માવજત, જયંત કોઠારી
૯. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ આગમ પ્રભાકર અને લેખનકળા, મુનિ શ્રી પુણ્યવિજયજી
૧૦. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, જયંત કોઠારી ૧૯૯૧
- ↑ રણજિત મો. પટેલ ‘અનામી’, મલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીસી’, પૃ-૯૨
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
(પૃ. ૨૦૬-૨૧૪, શબ્દસૃષ્ટિ, નવેમ્બર, ૨૦૧૫)