નીરખ ને/મિલોવન જિલાસ અને વિનોબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

“આપણે મૂંઝવનારી દુનિયામાં આવી પડ્યા છીએ. આપણી આસપાસ આપણે જે જોઈએ છીએ – શો અર્થ છે એનો? આ વિશ્વનું સ્વરૂપ શું છે? એમાં આપણું શું સ્થાન છે? અને આપણે ક્યાંથી આવ્યા છીએ? જેમ છે એમ શા માટે છે? ...અત્યાર સુધી મોટા ભાગના વિજ્ઞાનીઓ વિશ્વ શું છે એ વર્ણવનારી નવી ઉપપત્તિઓના વિકાસ સાથે એટલા ગૂંથાયેલા હતા કે વિશ્વ શા માટે છે એ પૂછવાનું થયું જ નહીં. ત્યારે બીજી બાજુ જેમનું કામ જ શા માટે પૂછવાનું છે એ તત્ત્વજ્ઞાનીઓ વૈજ્ઞાનિક ઉપપત્તિઓની પ્રગતિ સાથે તાલ મિલાવી શક્યા નહીં. ૧૮મી સદીમાં તત્ત્વજ્ઞાનીઓ વિજ્ઞાન સમેત આખું માનવીય જ્ઞાન એ પોતાનું ક્ષેત્ર છે એમ માનતા અને વિશ્વને આદિ છે કે નહીં જેવા પ્રશ્નોની ચર્ચા કરતા. પણ ૧૯મી અને ૨૦મી સદીમાં થોડાક વિશેષજ્ઞોના અપવાદ સિવાય તત્ત્વજ્ઞાનીઓ અને બીજાઓ માટે વિજ્ઞાન ખૂબ પારિભાષિક અને ગાણિતિક બની ગયું. તત્ત્વજ્ઞાનીઓએ પોતાની પૃચ્છાનું ક્ષેત્ર એટલું બધું ઘટાડી નાખ્યું કે આ સદીના સૌથી ખ્યાત તત્ત્વજ્ઞાની વિટ્ગેન્સ્ટાઈને કહ્યું, ‘તત્ત્વજ્ઞાનને એક માત્ર કાર્ય બાકી રહ્યું છે – ભાષાનું વિશ્લેષણ.’ એરિસ્ટોટલ અને કેન્ટની તત્ત્વજ્ઞાનની પરંપરાની આ તે કેવી પડતી! પણ જો આપણે એક સંપૂર્ણ ઉપપત્તિ-complete theory શોધી શકીએ તો વખત જતાં વ્યાપકપણે (in broad principle) બધાથી એ સમજાવી જોઈએ – માત્ર થોડા વિજ્ઞાનીઓ જ નહીં. તો પછી આપણે બધા તત્ત્વજ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ અને સામાન્ય માણસો શા માટેના પ્રશ્ન ઉપરની ચર્ચામાં ભાગ લઈ શકીશું. એનો જવાબ આપણને જો મળી જાય તો માનવીય તર્ક-રીઝનની એ આખરી જીત હશે – કારણ કે ત્યારે આપણે પરમાત્માના મનને જાણી શકીશું.

સ્ટિવન હૉકિંગ



મિલોવન જિલાસ અને વિનોબા

દરેક પોતા ઉપરાંત વિચારનારી વ્યક્તિને પોતપોતાનાં સ્વપ્નો હોય છે. વિચારનારી સાથે મને સંવેદનશીલ શબ્દ મૂકવો ગમ્યો હોત. પણ આ શબ્દ એટલો લપટો બની ગયો છે કે મૂકવાનું મન થતું નથી. આ પોતા ઉપરાંત વિચારનારી વ્યક્તિ કેવી છે? એ એવી વ્યક્તિ છે જેનું તંત્ર આજુબાજુની વરવી પરિસ્થિતિ સ્વીકારી શકતું નથી; જેના મનનો અસ્તિત્વના પ્રશ્ને કબજો લીધો છે; જે સમાજમાં આમૂલ પરિવર્તન લાવવા ઝંખે છે. એ એવો સમાજ ઝંખે છે કે જેમાં માણસ ઉન્નત શિરે ગૌરવપૂર્વક સમાન ભૂમિકાએ બધા સાથે જીવી શકે. આ કેવી રીતે થઈ શકે? વિચારના સ્તરે અભિગમોમાં ગમે તે તફાવત હોય, પણ દરેકે એક વાત પોતાના આદર્શ સમાજની કલ્પનામાં સ્વીકારી છે કે પૈસાનું મહત્ત્વ ઘટાડી દેવાનું – એને નહિવત્ કરવાનું કામ સૌ પ્રથમ પાયાનું કામ છે; સોનામાંથી મુક્તિ – કાન્ચનમુક્તિ એ કોઈ પણ ક્રાન્તિકારી સમાજની પાયાની વાત છે. જ્યૉર્જ બર્નાર્ડ શૉએ એક પુસ્તક લખ્યું છે – ‘An Intelligent Woman’s Guide to Socialism.’ એમાં એમણે તદ્દન આર્થિક સમાનતાની વાત કરી છે. એટલે કોઈ પણ વ્યક્તિ સમાજમાં કોઈ પણ કામ કરે, પણ બધાને સમાન ધોરણે જ પૈસા મળે – કોઈ એમાં ઊંચ કે નીચ નહીં. એમના કહેવા પ્રમાણે તો જ પછી પૈસાનું મૂલ્ય નહીં રહે; સમાજમાં કોઈ પણ કંઈ પણ કામ કરે, પણ આર્થિક સ્તરે બધાને સરખું જ મળતું હોય તો પછી પૈસાની કિમ્મત કેવી? ડૉ. રામમનોહર લોહિયાએ એમના એક લેખમાં – ‘ભૌતિકતા અને આધ્યાત્મિકતા’માં આ બાબતે બે મુખ્ય અભિગમોની વાત કરી છે. આ અભિગમોનું પ્રતિનિધિત્વ કરતી બે વ્યક્તિઓ એમણે લીધી છે. એ બે વ્યક્તિઓ છે યુગોસ્લાવિયાના મિલોવન જિલાસ અને આપણા દેશના વિનોબા ભાવે. મિલોવન જિલાસ આમ માર્ક્સવાદી, પણ ટીટોની સરમુખત્યારી સામે એમણે બળવો ઉઠાવ્યો હતો. લોહિયા કહે છે કે ઉપરછલ્લી રીતે તો બન્ને એકબીજાની તદ્દન વિરુદ્ધ દેખાય, પણ તત્ત્વતઃ બન્ને સમાન છે. વિનોબા અને જિલાસ બન્નેનો આદર્શ સોનામાંથી અને ચીજોના વેપારમાંથી મુક્તિ મેળવવાનો છે. પણ બન્નેના માર્ગો અલગ છે. જિલાસ એવા વિશ્વનું સ્વપ્ન સેવે છે કે જેમાં ખાવાની, ઘરની અને કપડાંને લગતી ચીજો ખરીદવામાં કે વેચવામાં નહીં આવે, કારણ કે એટલા ગંજાવર પ્રમાણમાં બધાનું ઉત્પાદન હશે કે માણસે પોતાની જરૂરિયાત પ્રમાણે એમાંથી લેવાનું રહેશે. વિનોબા પણ એવા વિશ્વનું સ્વપ્ન સેવે છે કે જેમાં સોનામાંથી મુક્તિ હશે; એમણે એક ૬થી ૭ એકરના ખેતર ઉપર પ્રયોગ કર્યો હતો કે એના ઉપર કામ કરતા કુટુંબને ખરીદવાની કે વેચવાની જરૂરિયાત ન રહે. હવે થોડું ડૉ. લોહિયાના શબ્દોમાં જોવાથી વધુ સુરેખ ચિત્ર આપણી આંખ સમક્ષ આવશે : “One seeks so to multiply produce through ever refining appilcation of science to economy that every one has all and more than he needs and he does not buy nor sell. The other seeks to restrain the desires and appetites of the people so that they will have no use for commodities other than they can produce on a small farm with simple methods, and perhaps a little barter thrown in. Djilas seeks to produce in unfailing abundance while Bhave wants to limit desires reasonably. Mr. Djilas seems to be a materialist while Mr. Bhave appears to be a spiritualist, but this surface dissimilarity is exceedingly misleading. Both are highly and equally spiritual phenomenon of the current period. ટૂંકમાં એક અભિગમ પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે ગંજાવર પેદાશો કરવા તરફ છે તો બીજો અભિગમ તૃષ્ણાઓ અને ભૂખને સંયમિત રાખી ક્રાન્તિકારી સમાજનું સ્વપ્ન સેવે છે જેનો પાયો આર્થિક સમાનતામાં રહ્યો છે. લોહિયા કહે છે કે જિલાસ ભૌતિકવાદી લાગે અને વિનોબા આધ્યાત્મિક લાગે, પણ આ ઉપરનું જુદાપણું ગેરસમજ તરફ દોરનારું છે. બન્ને ખૂબ ઊંચી અને સરખી આધ્યાત્મિક ઘટના છે; બન્નેને કાન્ચનમુક્તિમાં રસ છે. લોહિયા હવે બન્ને અભિગમોની મર્યાદાઓ તપાસે છે. વિનોબાનો અભિગમ તપાસતાં એ કહે છે કે જરૂરિયાતો ઉપરનો સંયમ અને સ્વાવલંબી ખેતર કે હુન્નર એ સૈદ્ધાન્તિક સ્તરે પણ અશક્યવત્ છે. બધા જ આવેગો વશ કરવા પડે એટલું જ નહીં, પણ સમાજમાં દરેક વ્યક્તિએ પોતાના મનને એવી રીતે કેળવવું પડે કે એ ઇચ્છા ન કરે. આનું બીજું કશું જ પરિણામ ન આવે પણ પરિવર્તન થાય નહીં અને સ્ટેગ્નેશન-સ્થગિતતા આવે. મઠ સિવાય આવું જીવન શક્ય નથી. ઉપરાંત આપણું અંદરનું વિશ્વ પણ વિનોબાના બોધ સામે કંઈક વિદ્રોહ કરે છે. લોહિયા કહે છે કે માનવીય ચિંતનના ઇતિહાસમાં ભારતના ઋષિમુનિઓએ પહેલીવાર શ્રેય (શુદ્ધસત્ય) અને પ્રેય (આનંદપ્રદ અનુભવ) વચ્ચે તફાવત કર્યો એ મોટો દિવસ હતો; માણસના અંતરઆત્મામાં આ તફાવત સચેત રાખવો એ સંસ્કાર-પરંપરાનો જ અંશ છે. ગૌતમ બુદ્ધ તૃષ્ણાને દુઃખનું મૂળ ગણાવતા હતા એ બિલકુલ તર્કશુદ્ધ છે, પણ તૃષ્ણાને તદ્દન નાબૂદ કરી શ્રેય અને પ્રેય વચ્ચેના જુદાપણાને મિટાવવાની એ વાત કરે છે ત્યારે એ અખિલ કે પૂર્ણ નથી. નવી રચના વડે આ તફાવતનું નિવારણ થવું જોઈએ. શુભ અને સુંદરનો સંગમ થવો જોઈએ – બુદ્ધ અને વિનોબા કહે છે એ રીતે નહીં. આનો અર્થ એવો થતો નથી કે બુદ્ધની સંકલ્પના પ્રમાણેના શુભનું મૂલ્ય નથી રહ્યું. એ આંશિક રીતે પ્રેરણારૂપ હંમેશાં રહેવાનું છે. માનવીય વ્યક્તિત્વની એક બાજુ એમણે ખુલ્લી કરી છે. પણ જન્મવો જોઈએ આખો માણસ, આંશિક નહીં. માણસને જો સતત પોતાના આંતરિક વિશ્વ સાથે સંઘર્ષ કરતા રહેવું પડે તો આખો માણસ કેવો? લોહિયા કહે છે કે વિશ્વે વધતેઓછે અંશે આ કે તે કારણે જિલાસના જીવનની ઢબ સ્વીકારી છે. આ દુનિયા સતત ઉત્પાદનની ટેક્નિકોમાં ફેરફાર કર્યા કરે છે; વધુ ને વધુ માલ અને સંપત્તિ પેદા કરવાનું એમનું લક્ષ્ય છે અને સ્વાભાવિક રીતે જ આમાં વધુ ને વધુ સોનાનો ઉપયોગ થતો રહે છે. ગરીબો અને જેમનું બધું ઝૂંટવાઈ ગયું છે એવાઓને આ પ્રકારના જીવનનું ન ખાળી શકાય એવું આકર્ષણ હોય છે. વિનોબાજીની કાન્ચનમુક્તિની કલ્પના આ દુનિયાની સામે ટકી શકે એવો કોઈ જોગ નથી. જિલાસની કાન્ચનમુક્તિની કલ્પના પણ લગભગ એટલી જ મુશ્કેલ છે. બધા યંત્રવૈજ્ઞાનિક વિકાસનો ઇતિહાસ એ છે કે દરેક મુખ્ય શોધની સાથે વિપુલ ઉત્પાદનની આશા બંધાઈ છે. માનવજાતે આ વિપુલ સમૃદ્ધિની આશા રાખ્યા કરી છે પણ ક્યારેય એ આવી નથી. સાચેસાચ તો કંઈ પણ વધ્યું હોય તો એ ક્લેશો છે. વસ્તીવધારો, યુદ્ધ માટેની તૈયારીઓ, મૂડીનો બગાડ વગેરે અનેક કારણો એની પાછળ છે. વિશ્વ તદ્દન અસમાન છે, અસમાન રાષ્ટ્રોનું બનેલું છે. યુરોપ અને અમેરિકામાં વિશિષ્ટ ઐતિહાસિક પરિસ્થિતિને કારણે જે ઔદ્યોગિક યુગ આરંભાયો એને પહોંચી વળવું એશિયાનાં રાષ્ટ્રો માટે અશક્યવત્ છે. આપણા આંતરિક વિશ્વનો જિલાસના પેદાશના બાહુલ્ય સાથે પણ મેળ ખાતો નથી. લોહિયા કહે છે, ‘The older European cultures have had too much of it, and are unable to reconcile the world within with the world outside. The tension, speed, wearying down, and getting used up that are caused to the spirit and the body by the industrial civilisation are persuading west Europeans of the futility of it all. Long before the satiating multiplication could be achieved the European spirit seems to have wearied.’ લોહિયાએ આ લેખમાં મૂડીવાદી અને માર્ક્સવાદીના ભૌતિકવાદી અભિગમના તફાવતને કદાચ હેતુપૂર્વક ધ્યાનમાં લીધો નથી. આનું એક કારણ એ પણ હોઈ શકે કે ઉત્પાદનના કેન્દ્રીકરણ અને વધુ ને વધુ ટેક્નોલોજીનો ઉત્પાદન વધારવા માટે ઉપયોગ કરવાનું તો બન્ને સ્વીકારે છે. માર્ક્સવાદ પ્રમાણે સામ્યવાદમાં પહેલા પ્રોલેટેરિયટ વર્ગની સત્તા સ્થપાય; પછી એવી પરિસ્થિતિ સર્જાય જેમાં એ પ્રોલેટેરિયટ વર્ગનું વર્ગવિહીન સમાજમાં રૂપાંતર થાય અને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને શક્તિ પ્રમાણે વિપુલ ઉત્પાદનમાંથી ઉપાડ કરી શકે. આ જિલાસની કલ્પનાનો ક્રાન્તિકારી સમાજ છે. મૂડીવાદી તંત્ર ક્યારેય આ સ્થિતિ પ્રાપ્ત કરી શકે એમ એમણે માન્યું નથી. પણ વાસ્તવમાં શું બન્યું છે? રશિયામાં કહેવાતી પ્રોલેટેરિયટ સરમુખત્યારી આવી, પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન તો દૂર રહ્યું, આજે પણ રશિયા કારમી અછતોમાંથી પસાર થઈ રહ્યું છે. લોહિયા આથી વિનોબાની અને જિલાસની બન્નેની કાન્ચનમુક્તિની રીતિઓ નકારે છે. રાષ્ટ્રો વચ્ચેની ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક અસમાનતા નવી સભ્યતા અને નવી ટેક્નોલોજીથી જ દૂર થઈ શકશે. ભૌતિકવાદને અમુક હદ સુધી સ્વીકારવો જોઈશે, પણ એના ઉપર નિયંત્રણ રાખવું પડશે જેથી સત્ય અને આનંદનો સુમેળ સધાઈ શકે. આર્થિક ક્ષેત્રે એમણે વિકેન્દ્રીકરણની સંકલ્પના સ્વીકારી છે. નાનાં નાનાં યંત્રો, ભલે વીજળીથી આણ્વિક શક્તિથી ચાલતાં હોય, પરંપરાગત પદ્ધતિ એમાં અપેક્ષિત નથી, પણ મનુષ્યક્યાં યંત્રનો ભાગ નથી બની જતો, વિખૂટાપણું નથી અનુભવતો, એ ગૌરવપૂર્વક જીવી શકે છે. જ્યાં જ્યાં સંભવિત હોય ત્યાં નાનાં યંત્રો અને મોટા પાયા ઉપરનું ઉત્પાદન જ્યાં અનિવાર્ય હોય ત્યાં એ અર્થતંત્રના પાયામાંની વિચારણા હોવી જોઈએ. લોહિયાએ સૂચવેલો આ મધ્યમ-માર્ગ ગાંધી-વિનોબાની વિચારણાની વધુ નજીક છે. એમણે જે ધ્યાન આપ્યું છે તે એ છે કે કોઈ પણ ક્રાન્તિકારી સમાજની આપણી કલ્પનાનો આપણા અંદરના વિશ્વ સાથે પણ સુમેળ પડવો જોઈએ, અને શુદ્ધ સત્ય અને આનંદપ્રદ અનુભવનો સુભગ સંગમ થવો જોઈએ; એટલી હદે ભૌતિકવાદી ન બનવું જોઈએ કે સૌન્દર્ય સત્યને ભ્રષ્ટ કરે અને એટલી હદે આનંદ ન નકારવો જોઈએ કે માણસને સતત પોતાની જાત સાથે સંઘર્ષમાં રહેવું પડે. આપણા આખા અધ્યાત્મના પાયામાં મોક્ષપ્રાપ્તિ માટે Total Denialની વાત થઈ છે. આવો વૈરાગ્ય થોડી સંખ્યામાં માણસોમાં હોય છે પણ ખરો. આપણને પણ જીવનમાં ક્યાં આવી વૈરાગ્યની પળો નથી આવી જતી? પણ તન્દુરસ્ત બહુજનસમાજની રચનામાં બેફામ ભૌતિકવાદમાંથી જન્મતા ક્લેશો અને ભૌતિકવાદને તદ્દન નકારવાથી માણસના આંતરિક વિશ્વમાં ઊભા થતા સંઘર્ષો – બન્નેને સ્થાન નથી. દાદા ધર્માધિકારીએ એમના પુસ્તક સ્ત્રી-પુરુષ-સહજીવનમાં સેક્સ અને સ્ત્રી-પુરુષ સહજીવનની સમસ્યા ને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તપાસી છે જે લોહિયાના મધ્યમ-માર્ગી અભિગમને તદ્દન અનુરૂપ છે. આ પુસ્તક વિષે મેં એક લેખમાં લખ્યું છે એટલે અહીં દોહરાવતી નથી. દાદા ધર્માધિકારી ગાંધીવાદી જ હતા. એટલે વારંવાર મને કહેવાનું પ્રાપ્ત થાય છે કે ગાંધીજીને અક્ષરશઃ લેવાને બદલે એમનાં પાયાના તત્ત્વને જાળવી પરિસ્થિતિ અનુરૂપ નવી રીતો અજમાવવાની રહેશે – જો તમે એમનું પાયાનું તત્ત્વ સ્વીકારતા હો તો.

[નવેમ્બર, ૧૯૯૦