પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાનું ભાષણ

છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ: અમદાવાદ
એપ્રિલ: ૧૯૨૦


સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
(ઈ.સ. ૧૮૪૪–૧૯૩૧)

છઠ્ઠી સાહિત્ય પરિષદને પ્રમુખપદે સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા બિરાજ્યા હતા. ગુજરાત તેમને ઓળખે છે ‘સાહિત્ય’ માસિકના સંસ્થાપક અને સંચાલક તરીકે “‘સાહિત્ય’ એટલે આમવર્ગનું માસિક” એ ધોરણે એમણે સંપાદન કરેલું. એમના પછી એમના પુત્ર મટુભાઈએ પણ એ નીતિ જ ચાલુ રાખેલી. વડોદરા રાજ્યે ગુજરાતી સાહિત્યને વેગ મળે તેવી ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે એ તો સર્વવિદિત છે. આ પ્રવૃત્તિઓમાં એક કે બીજે સ્વરૂપે હરગોવિંદદાસભાઈ સંલગ્ન હતા. અને ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદકોમાંના તેઓ એક હતા એ તો સમસ્ત ગુજરાત જાણે છે. કાવ્યો અને વાર્તાઓ એ બંને ક્ષેત્રોમાં, એમણે સર્જેલું સાહિત્ય આજે ઉપલબ્ધ છે. તે ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે. પ્રકૃતિ અને પ્રવૃત્તિથી વેપારી ગણાય એવા આ સાહિત્યકારને ગુજરાતે પોતાની અમદાવાદ ખાતે મળેલી છઠ્ઠી સાહિત્ય પરિષદનું સુકાન સોંપ્યું હતું. સાહિત્યનો સામાન્ય જીવનવ્યવહાર સાથે સંબંધ વિચારી સાહિત્યને પણ વ્યવહારુ બનાવવું એ એમનો ઘણે સ્થળે વ્યક્ત થતો આશય છે. અને આ આશયના પ્રચારમાં ‘સાહિત્ય’ માસિકે પોતાના જીવન દરમ્યાન ઘણું કાર્ય કર્યું છે. વડોદરા રાજ્યે એમની સાહિત્યસેવાનો કરેલો સરવાળો, રાજ્ય તરફથી એમને બક્ષાયેલા “સાહિત્યમાર્તંડ”ના ખિતાબમાં આપણી દૃષ્ટિએ પડે છે. જીવનવ્યવસાયના અનેક ક્ષેત્રોમાં ગૂંથાયેલા આ સાહિત્યકારે સાહિત્ય સાથેનો પોતાનો સંબંધ આજીવન જીવતો રાખ્યો હતો. એમની સરળતા એમના સર્વ વ્યવહારોમાં ભૂષણરૂપ બનતી હતી. આવા સરળ સાહિત્યકાર હતા સ્વ. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.

ઉપોદ્‌ઘાત

સાહિત્ય પરિષદ જેવા વિદ્વજ્જનોના મહામંડળનું પ્રમુખપદ અતિ માનવંતું ને જોખમ ભરેલું છતાં તેને માટે સત્કારમંડળીના જે સભ્યોએ, તથા જે પત્રકારોએ, સંસ્થાઓએ અને અન્ય ગૃહસ્થોએ મારા લાભમાં સંમતિ આપવાની કૃપા કરી છે, તેમનો હું ખરા અંતઃકરણથી આભાર માનું છું. મારી પૂર્વે એ પદને જે સુપ્રસિદ્ધ સાક્ષરોએ શોભાવ્યું છે, તેમની સાથે સરખામણી કરતાં મારી યોગ્યતા ઊતરતી છે, અને મારા કરતાં વધારે લાયક વિદ્વાનો ઘણા છે એમ હું માનું છું. તેમ છતાં મારી જ પસંદગી કરવામાં આવી છે, તો હું મારું કર્તવ્ય બજાવવા પ્રયત્ન કરીશ. પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરવા માટે અને સાહિત્યના હિતની ખાતર, કદી કોઈને અપ્રિય લાગે એવું કથન કરવું પડે, તો તેને માટે હું ક્ષમા ચાહું છું. બીજી બાબત મારે નિવેદન કરવાની એ છે, કે સાહિત્ય શબ્દને વાઙ્મયના અર્થમાં વાપરીને આ પરિષદનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. સાહિત્યમાં કાવ્યો, કાદંબરીઓ ને નાટકોનો જ નહિ, પણ બીજા સર્વ વિષયોનો સમાવેશ કરવો; એટલે તે સર્વ જાતિના ને સ્થિતિના લોકોને ઉપયોગી થઈ પડે, એવો આશય રાખવો જોઈએ. ત્રીજી બાબત હું નમ્રપણે એ જણાવું છું, કે આ વખત જેમ લોકસમૂહને માટે ભાષણો આપવાની યોજના કરી છે, તેમ આપણી પરિષદમાં તેઓ ભાવથી ભાગ લેતા થાય એવા ઇલાજ લેવા જોઈએ. એટલે આ પરિષદ એકલા સાક્ષરમંડળ માટે જ નહિ, પણ ગુજરાતી બોલનારા સર્વને માટે સમજવી જોઈએ. સરસ્વતીદેવીનાં મંદિર સર્વને માટે ખુલ્લાં રહે, અને આપણે જનસમૂહને સાથે રાખીએ, તો જ સાહિત્યનો ખરો ઉપયોગ થઈ દેશની ઉન્નતિ થવાની છે. ભાષાના ઇતિહાસ વગેરેના સંબધમાં વિદ્વાનો ઘણું લખી ચૂક્યા છે; પરંતુ નવાં નવાં સાધનો મળી આવવાથી જે નવી નવી બાબતો પ્રકાશમાં આવતી જાય તે દર્શાવવાના તથા જુદા જુદા વિચારોની સરખામણી કરી બતાવવાના હેતુથી મેં એ વિષય છોડી દીધો નથી. ભાષણ શરૂ કરતાં અગાઉ મારે અતિ દિલગીરી ભરેલી નોંધ લેવાની ફરજ બજાવવી પડે છે, તે એ કે ગઈ સાહિત્યપરિષદ ભરાયા પછી પાંચ વર્ષના ટૂંકા અરસામાં આપણે કેટલાક સારા લેખકો ખોયા છે. રણજીતરામ વાવાભાઈ, ભોગેન્દ્રરાવ દીવેટિયા, ચીમનલાલ દલાલ, ગણપતરામ ત્રવાડી, અમૃતલાલ પઢિયાર, શિવુભાઈ બાપુભાઈ, મલયાનિલ, ખુરશેદજી ફરામરોજ, તારાપુરવાળા, ભાગળિયા અને જહાંગીર પોલીસવાળાનો સ્વર્ગવાસ બહુ ખેદજનક છે. પડેલી ખોટ જલદીથી પૂરાતી નથી એ કમનસીબની વાત છે.

ભાષા

ભાષાની ઉત્પત્તિ મનુષ્યની ઉત્પત્તિની સાથે જ થયેલી હોવી જોઈએ, કેમકે તે વગર મનુષ્યો એક બીજાના મનમાં ઉદ્ભવતા વિચાર જણાવવાને, અને એક બીજાની સહાયતા મેળવવાને શક્તિમાન થાય નહિ. ભાષા વગર પણ કેટલીક હદ સુધી માણસ વિચાર કરી શકે છે, અને તે કરપલ્લવી, નેત્રપલ્લવી જેવી નિશાનીઓથી બીજાને સમજાવી શકે છે; પરંતુ એ મૂંગાં-બહેરાંના જેવા સાધન વડે મનુષ્યનો કારવ્યવહાર સારી રીતે ચાલી શકે નહિ. ઇશ્વરે તેને વાચા આપી છે, તે વડે તે ભાષા ઉત્પન્ન કરી શકે છે. કોઈ કહે છે કે ભાષા ઇશ્વરદત્ત છે. પરમેશ્વરે માણસને ઉચ્ચાર કરવાને વાણીસ્થાન આપ્યાં છે, તેટલા પૂરતી તે ઇશ્વરદત્ત ગણાય, બાકી ભાષાને ઉપજાવનાર સમાજ છે, અને તેથી તે સમાજની સામાન્ય મિલકત છે. એ મિલકત પેઢી દરપેઢી વધતી જાય છે; અને તેનો વારસો વંશજોને મળ્યા કરે છે. તરતનું જન્મેલું બાળક અવાચક હોય છે. ધીમે ધીમે તે કંઈ અર્થ વગરના ઉચ્ચાર કરે છે. એ ઉચ્ચાર બહુધા ઓષ્ઠસ્થાની ને કંઠસ્થાની હોય છે. તે મ મ મા બ બ બા એવા ઉચ્ચાર કરે છે, તેને નજીકનાં સગાં – તેની માતા વાચક છે એમ સમજીને જરૂર પડે ત્યારે તે મા બા કહીને પોતાની માડીને બોલાવતાં શીખે છે. તે સહેલાઈથી બોલી શકે તેટલા માટે મા, બા, મમ (ખાવાનું), ભૂ, પા, બાપા, ભાઈ, બહેન, મામા, માસી, ફોઈ એવા ઓષ્ઠસ્થાની શબ્દો કે આદિ અક્ષરો વાળા નાના શબ્દો તેની માતા અને આસપાસનાં માણસો શરૂઆતમાં બોલતાં શીખવે છે, અને અમુક મનુષ્ય કે પદાર્થને લાગુ પાડી આપે છે. એ રીતે ભાષાની શરૂઆત થાય છે. બાળકને નવું નવું જાણવાની જેમ જેમ જિજ્ઞાસા વધતી જાય છે, તેમ તેમ તેનું શબ્દભંડોળ વધતું જાય છે. સૃષ્ટિ સમયે માણસને થોડી વસ્તુઓનો ખપ હોય અને તેના વિચાર પણ ટૂંકા હોય, તેની ભાષા નાની હોય. ભાષાની ઉત્પત્તિ મનુષ્યની સાથે થઈ, પરંતુ તે ક્યારે ને ક્યાં થઈ તે જાણવાને સાધન નથી. આપણે ભાષાને અનાદિ કહીએ છીએ, પણ જો મનુષ્ય અનાદિ હોય તો ભાષા અનાદિ કહી શકાય. ટેલર કહે છે કે સૃષ્ટિ સમયે માણસની ભાષા એક હતી. જો મનુષ્યની ઉત્પત્તિ એકજ સ્થળે અને એકજ જાતની થઈને આખી પૃથ્વી પર પસરી હોય, તો આ વાત માન્ય કરી શકાય. ભૂસ્તરવિદ્યાની શોધખોળ પ્રમાણે મનુષ્યની ઉત્પત્તિને લાખો વર્ષ થઈ ગયા છે (અને એજ માન્યતા આપણી અને જૈન બંધુઓની છે.) પરંતુ ભૂસ્તરના જુદા જુદા યુગમાં જુદે જુદે સ્થળેથી જે માણસના અવશેષ મળી આવે છે, તે ઉપરથી જુદી જુદી જાતના મનુષ્યો જુદા જુદા યુગમાં થયેલા જણાય છે. એટલે તેમની ભાષા એક હોઈ શકે નહિ. જુજવી જાતોની બોલી એક નહિ પણ જુજવી હોય. ભૂસ્તરવેત્તાઓની શોધથી પાષાણયુગના ‘પેલીઓલીથિક’ સમયમાં વસતાં મનુષ્યોના શેષ ભાગ ફ્રાન્સ અને સ્પેન વચ્ચેના પિરિનિઝ પર્વતની ગુફામાંથી મળી આવ્યા છે. ગુફાની ભીંતોએ પ્રાણીઓનાં સપ્રમાણ ચિત્રો તથા ચિત્રલેખન કાઢેલાં છે, તે ઉપરથી લાખો વર્ષ પૂર્વે મનુષ્ય જાતમાં ભાષા હતી, તે ચિત્રલેખન વડે લખી જાણતી અને અને ચિત્રકળા પણ તે સારી રીતે જાણતી હતી, એમ માલમ પડે છે. વિદ્વાનોએ ભાષા વિષે જે શોધ કરેલી છે, તે બહુ કરીને યુરોપ અને એશિઆની ભાષા સંબંધે છે, તેમાં પણ તેમને ત્રણ કુટુંબથડની ભાષાઓ માલમ પડી છે. પરંતુ એ ત્રણનું પણ એક મૂળ નીકળતું નથી. તો બીજી સેંકડો ભાષાઓ જે આફ્રિકા, અમેરિકા આદિના અસલી વતનીઓમાં સ્વતંત્ર રીતે ચાલે છે, તેમનું મૂળ ક્યાંથી હોય? અર્થાત્ સૃષ્ટિ સમયે એક જ ભાષા હતી એ કલ્પના સાધાર જાણાતી નથી. સામાન્ય માન્યતા એવી છે કે જંગલી લોકોની ભાષાઓ ઘણી નાની એટલે હજાર પાંચસેં શબ્દોની બનેલી હોય છે; પણ સેંકડો વર્ષથી ચાલી આવતા સમાજનો વ્યવહાર એટલા થોડા શબ્દોથી ચાલી જ ન શકે. મી. મેરેટ જણાવે છે કે ટેરા ડેલ ફુઈગોના જંગલી લોકોની ભાષામાં ત્રીસ હજાર કરતાં વધારે શબ્દો છે.

આર્ય ભાષા

ઉપર કહ્યું તેમ યુરોપએશિઆની મુખ્ય ભાષાઓને ત્રણ કુટુંબ – થડમાં વહેંચેલી છે. ૧. આર્ય – ‘આર્યન’ (જેને ‘ઇંડોજર્મેનિક’ કે ઇંડોયુરોપિયન કહે છે.) ૨. ‘તુરેનિયન’ અથવા તુરાની અને ૩ સેમિટિક. એમાંની પહેલી બે ભાષાઓ સાથે હિંદની ભાષાઓને નિસ્બત હોવાથી સેમિટિકને આપણે છોડી દઈશું. યુરોપમાંની ‘આર્યન’ ભાષાઓ ‘સેલ્તિક’, ‘ઇતાલિક’, ‘ટ્યુટોનિક’, ‘હેલેનિક’ અને ‘ઇલાઇરિક’ છે. અને એશિયામાં ઇરાનની ને ભરતખંડની આર્ય ભાષાઓ છે. આર્ય લોકોનું મૂળ સ્થાન કાકેસસ પર્વત તરફ માનવામાં આવે છે. હિંદના ભાષાશાસ્ત્રના કર્તા બીમ્સ કહે છે, કે તેઓ ઉત્તરપશ્ચિમ તરફથી આવ્યા હતા. કોઈ હિંદુકુશ પર્વતને આર્યોનું મૂળ સ્થાન કલ્પે છે, તો કોઈ તે સ્થળ યુરોપની ઉત્તરપશ્ચિમે હતું, એમ કહે છે. છેલ્લી શોધને આધારે ગ્રિઅર્સન જણાવે છે, કે તે યુરોપને એશિયાની સરહદ ઉપર એટલે દક્ષિણ રૂશિઆના મુલકમાં હતું. લોકમાન્ય ટિળક સાબિત કરે છે, કે આર્યોનું નિવાસસ્થાન ઉત્તર ધ્રુવ તરફ હતું, જગદીશ ચેટરજી કહે છે, કે તેમનું મૂળ રહેઠાણ પોન્તસ ને આમિનિઆ હતું. આર્ય લોકોની સાથે બાબિલોનિઅન, ઈજીપ્શિઅન, ઈજીઅન અને હીબ્રુ લોકો હિંદમાં આવ્યા હતા, એટલું જ નહિ પણ દસ્યુ – દાસ, જેમને કેટલાક વિદ્વાનો આ દેશના અસલ વતનીઓ માને છે, તે પણ આર્યો સાથે આવ્યા હતા. આ ઉપરથી જણાશે કે આર્યોની સાથે બીજી ભાષાઓ વાપરનારા લોકો પણ પ્રાચીન સમયે આ દેશમાં આવી વસ્યા હતા. બીમ્સ લખે છે કે ‘તુરેનિઅન’ની પાંચ શાખા પૈકી ચાર શાખા આપણા તરફ ચાલે છે. (૧) હિમાલયી, (૨) લોહિટિ, (૩) કોલ, અને (૪) દ્રાવિડી. હિમાલયીની ૨૩ શાખા, લોહિટિ એટલે બ્રહ્મદેશની ભાષાની ૨૬ શાખા, કોલની ૯ શાખા (હિદુસ્તાનના જંગલી લોકો સન્થાલ, ગોંડ વગેરેની) અને, દ્રાવિડીની ૧૨ શાખા (સિંહલી સાથે) દ્રાવિડ દેશમાં વપરાય છે. દક્ષિણ હિદુસ્તાનમાં ‘તુરેનિઅન’ ભાષાઓએ આ દેશની આર્ય ભાષાઓ ઉપર કેટલીક અસર કરી છે, તેમ તેમની ભાષાઓ ઉપર આર્ય ભાષાઓની પણ ઘણી અસર થયેલી છે. કોઈ એમ પણ માને છે કે આર્યોની પહેલાં ‘તુરેનિઅન’ લોકો હિંદમાં આવીને આખા દેશમાં વસ્યા હતા.

સંસ્કૃત ભાષા
આર્ય લોકો સામટા એકીવખતે આ દેશમાં આવ્યા નહોતા. જુદાં જુદાં ટોળાં લાંબા અંતરે આવે તો તેમની ભાષામાં ફેરફાર હોય જ. તેમ અનેક ભાષા બોલનારી પ્રજાઓના ભેળસેળ થવાથી પણ ભાષામાં વધારે ઓછું મિશ્રણ થવા પામે. વેદની ભાષા થઈ તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. જગદીશ ચેટરજી જણાવે છે, કે વેદ બન્યા પછી ઘણે કાળે આર્યો હિંદમાં આવ્યા હતા. તે તો વળી આગળ વધીને એમ પણ જણાવે છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ના બનાવ પણ હિંદમાં બન્યા નહોતા! નવા નવા શોધોથી કેવી કેવી વાતો પ્રગટ થશે તે કહી શકાતું નથી. પામિર અને ગોબીના રણથી ઢંકાએલ ફળદ્રૂપ દેશમાં પૂર્વે આર્ય પ્રજા વસતી હતી. તેમનાં દેવળો ને પુસ્તકો સુધ્ધાં હાલમાં હાથ લાગ્યાં છે, તે ઉપરથી ભાષાઓની ઉત્પત્તિના સંબંધમાં વખતે નવો પ્રકાશ પડશે. સિંહલીની બીમ્સે ‘તુરેનિઅન’માં ગણના કરી છે, તે કદાચ હિમાલયમાં વસતી સિંહલીઆ જાતની ભાષા ‘તુરેનિઅન’ મૂળની છે, તેઓ પૂર્વે સિંહલ દ્વીપમાં જઈ રહ્યા હોય, એમ ધારીને કિંવા દ્રવિડ લોકોની મોટી સંખ્યા તેમાં જઈ વસી છે, તે ઉપરથી કલ્પના કરી હશે; પરંતુ બુદ્ધ ધર્મના પ્રચાર અર્થે ઈ.સ. પૂ. ૫૪૩માં વિજયે પાલિ ભાષા દાખલ કરી, તે પછી તેનો એટલો પ્રચાર થયો છે કે હાલની સિંહલીને આર્ય ભાષાની શાખા ગણી શકાય, અને તે જાણે ગુજરાતી સાથે બહુ સંબંધ ધરાવતી હો. એવી દેખાય છે. તેમાંના થોડાક શબ્દો જુઓઃ
સિંઘાલી ગુજરાતી સિંઘાલી ગુજરાતી
માસમ માંસ એકય એક
દવસ દિવસ તુનય ત્રણ
મુલ મૂળ અટય આઠ
પેટ્ટીય પેટી દહય દસ-દહ

વળી હાલના સિંહલીઓમાં સંસ્કૃત શબ્દો વાપરવાની રૂઢિ વધી પડી છે. જ્યાં જ્યાં બુદ્ધ ધર્મ પ્રવર્ત્યો, ત્યાં ત્યાં પાલિ અને સંસ્કૃતની અસર થયેલી છે. જાવા ને બાલિ બેટોમાં ધર્મને લીધે તથા ખાસ કરીને પ્રાચીન આર્યો જથાબંધ જઈ વસેલા હોવાથી ત્યાં સંસ્કૃત શબ્દો ઘણા વપરાય છે. જાવાની જૂની કવિતાની ભાષા જેને કવિ ભાષા કહે છે, તે તો લગભગ આખી આર્ય ભાષા છે. આ દેશની સર્વ આર્ય ભાષાઓ – પ્રાકૃત અને ચાલુ – નું મૂળ સંસ્કૃત છે. તેણે આપણને અખૂટ ભંડાર વારસામાં આપેલો છે. તેની મહત્તા સંબંધે પંડિત હરબિલાસે પોતાના કીમતી ગ્રંથમાં જે વિદ્વાનોના મત ટાંક્યા છે, તે મેં ‘સાહિત્ય’ માસિકમાં છપાવેલા છે. તેથી તેમાંના એક જ વિદ્વાનનું મત અત્રે આપી સંતોષ માનીશ. સર વિલિયમ જોન્સ કહે છે કે સંસ્કૃતનું બંધારણ આશ્ચર્યકારક છે; તે ગ્રીક કરતાં વધારે પૂર્ણ, લાટિન કરતાં વધારે વિશાળ અને બંને કરતાં વધારે સુંદર રીતે સંસ્કારી છે. સંસ્કૃત ભાષાનું સર્વોપરિપણું સાબિત કરવા માટે બીજો એક જ દાખલો બસ થશે. ભગવાન પાણિનિએ શાસ્ત્રીય રીતે લખેલા વ્યાકરણ જેવું વ્યાકરણ કોઈ ભાષામાં નથી. વળી મહામહોપાધ્યાય શ્રી. હરપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું, કે શ્રીમાન રાજેંદ્રલાલ મીતરે વ્યાકરણશાસ્ત્રના જુદા જુદા ૮૫૦ ગ્રંથનો સંગ્રહ કર્યો હતો. દુનિયામાં છે કોઈ એવી ભાષા કે જેમાં વ્યાકરણશાસ્ત્રના સેંકડો ગ્રંથ હોય? લેખનકળા સંબંધે ટેલર કહે છે કે રોમીય ભાષા બોલનારે ગ્રીક લોકોને પ્રથમ અક્ષરજ્ઞાન ઈ.સ. પૂ. ૧૪૯૩–૧૫૦૦માં આપ્યું: અર્થાત્ લેખનકળા પ્રથમ રોમીય લોકોએ શોધી કાઢી એમ કહેવાનો ભાવાર્થ છે. મેક્સ મ્યુલર કહે છે કે ઈ.સ.પૂ. ૩૫૦ અગાઉનાં લેખી પુસ્તકો નથી. આ બંને મત ખરાં નથી, તેના પ્રમાણમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ પૂર્વદેશીય ભાષાજ્ઞોની લંડનમાં મળેલી પરિષદ (સન ૧૮૮૩)માં જે લેખ વાંચ્યો હતો તેમાં જણાવ્યું છે, કે મેક્સ મ્યુલરને પોતાને કબૂલ કરવું પડ્યું હતું કે સૂત્રોના કર્તાઓ લેખનકળા જાણતા હતા. વળી તે કહે છે કે વેદની સંહિતાઓમાં બ્રાહ્મણ અને સૂત્રોના ગ્રંથોમાં એવાં શબ્દો ને વાક્યો છે, કે તે વડે પ્રાચીન હિંદમાં લેખનકળાનો ઉપયોગ થતો તે વિષે શંકા રહેતી નથી. પાણિનિની પૂર્વે લાંબા વખત પરના જે નિયમિત પ્રબંધો ગદ્યમાં છે તે લેખનની મદદ વગર બને નહિ. પ્રોફેસર વિલ્સન કહે છે કે છેક જૂના વખતથી હિંદમાં અક્ષરજ્ઞાન હતું અને તે શિલાલેખો ને તામ્રલેખોમાં જ નહિ, પણ સામાન્ય જિંદગીના દરેક કામમાં વપરાતું. કાઉન્ટ જોનેસ્ટર્જન જણાવે છે કે હિંદુ કને ઈ.સ. પૂર્વે ૨૮૦૦ અથવા ઈબ્રાહિમની પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાંનાં લેખી ધર્મનાં પુસ્તકો હતાં. મહાભારત સંબંધે એવી વાત ચાલે છે કે વ્યાસ ભગવાને તે તૈયાર કર્યું, તેને લખવા માટે શ્રી. ગણપતિએ બીડું ઝડપીને તે લખ્યું હતું. આ વાતને ઓછામાં ઓછાં પાંચ હજાર વર્ષ થઈ ગયાં. ટેલર અક્ષરજ્ઞાન માટે ઈ.સ.પૂ. ૧૫૦૦ પરની વાત કરે છે, પરંતુ બાબિલોનના લોકોને ઈ.સ.પૂ. ૨૦૦૦ની પહેલાં લખવાની કળા માલમ હતી. ‘આસિરિઅન’ અને ‘એક્કેડિઅન’ ભાષાના શબ્દસંગ્રહો, વ્યાકરણો, કોષો અને પાઠ્ય પુસ્તકોનો શોધ લાગ્યો છે (પાટી ઉપરના હજારો લેખોમાંનો ઘણો ભાગ વિલાયતના સંગ્રહસ્થાનમાં રાખેલો છે.) બાબિલોનના લોકો ઝાડની છાલ વગેરે પર અને પાછળથી માટીની નાની પાટીઓ ઉપર વતરણાથી લખતા હતા. મીસરના છેક પ્રાચીન કાળના લોકો ચિત્રલેખન (લિપિ)થી કામ નિભાવતા. ભાષા પેદા થયા પછી થોડે કાળે લેખનની જરૂર પડે, કેમ કે ગામ પરગામ ખબર આપવાના, હિસાબ રાખવાના, પોતાના વિચાર સંગ્રહી રાખવાના પ્રસંગ આવ્યા વિના રહે નહિ. શરૂઆતમાં આ કાર્ય ચિત્રલેખનથી થતું એમ માલમ પડે છે. સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત [1] ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?” આ ઠેકાણે જણાવવું જોઈએ કે જે ધર્મના ને અન્ય વિષયોના ગ્રંથો સંસ્કૃતમાં લખવાનો વહીવટ હતો, તે તોડીને લોકભાષાનો ઉપયોગ કરવાનું માન જૈન અને બૌદ્ધ આચાર્યોને ઘટે છે. તેમણે જેમ પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા, તેમ તેઓ વ્યાખ્યાન વગેરે પણ પ્રાકૃત ભાષામાં આપતા હતા. બૌદ્ધ ધર્મની પાલિ ભાષા પછી ઉદ્ભવેલી પ્રાકૃતોમાં તેમના ગ્રંથો પ્રકટ ન થયા; પરંતુ જૈનોએ તો જેમ જેમ ભાષાઓ બદલાતી ગઈ તેમ તેમ નવી થયેલી ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે, એ તેમનું કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને એ જ પદ્ધતિથી તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યની ઉમદા સેવા બજાવી છે.

મૂળ પ્રાકૃતની શાખાઓ

આપણે ત્રણ પાયરીની પ્રાકૃત જોઈ. એ ઉપરથી જે પ્રાકૃતો પેદા થઈ, જેનાં વરરુચિ, હેમાચાર્ય વગેરે વિદ્વાનોએ વ્યાકરણ રચ્યાં છે, તેમાં પાંચ નામ આવે છે. ૧. શૌરસેની ૨. માગધી ૩. પૈશાચી (તેની એક શાખા ચૂલિકાપૈશાચી) ૪. અપભ્રંશ અને ૫. મહારાષ્ટ્રી. આગળ જતાં તેમાં વધારો થતો ગયો છે, તે એટલે સુધી કે રામતર્કવાગીશ ૨૨ પ્રકારની પ્રાકૃત ગણાવે છે. એમાંની હૃષિકેશ વ્યાકરણમાંથી પાંચાલી, ટક્ક અને આભીરી એ ત્રણનાં નામ મળી આવે છે. એટલે કદાચ પ્રાંત પ્રાંતની જુદી પ્રાકૃતો થઈ ગઈ હશે. ભરતખંડનો મધ્ય દેશ તે ઉત્તરમાં હિમાલયથી માંડીને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી અને પશ્ચિમમાં સરહિંદથી માંડીને પૂર્વમાં ગંગાજમનાના સંગમ સુધી પૂર્વે ગણાતો, તથા તે આર્યોની પવિત્ર ભૂમિ મનાતો, અને બાકીના દેશ મ્લેચ્છ – જંગલીમાં ખપતા. ભગવાન પાણિનિએ સંસ્કૃતનું વ્યાકરણ એ સ્થળે ઈ.સ.પૂ. ૩૦૦ વર્ષ ઉપર રચ્યું હતું. આગળ જતાં એ ભાષાએ ધીમે ધીમે પ્રાકૃતનું રૂપ ધારણ કર્યું. મધ્ય દેશની આજુબાજુએ – પશ્ચિમ, દક્ષિણ, ને પૂર્વમાં – જે મુલક તે વૈદિક સમયે પણ આર્ય જાતોથી વસેલો હતો. એ મુલકમાં હાલનું પંજાબ, સિંધ, ગુજરાત, રજપૂતસ્થાન (હાલ મધ્યદેશ) અયોધ્યા અને બિહાર આવે છે. આ બાહ્ય મુલકોમાં જુદી જુદી જાતો આવી હતી અને તે દરેકની બોલી જુદી હતી તથાપિ એ જાણવું અગત્યનું છે કે સાંપ્રત ભાષાઓનો મુકાબલો કરતાં આ બહારની ભાષાઓ મધ્ય દેશની ભાષા કરતાં એકબીજા સાથે વધારે સંબંધ ધરાવતી હતી. વિશેષ તપાસથી એમ માલમ પડે છે કે મધ્ય દેશમાં આવી વસેલા આર્યો સૌથી છેલ્લા હતા. આગળ જતાં મધ્ય દેશની વસ્તી વધતા લાગી અને તેણે હિંદના બાકીના ભાગો ઉપર અગત્યની સત્તા પ્રાપ્ત કરી. દિલ્લી અને કનોજ એ રાજધાનીનાં શહેર હતાં. અને મથુરાનું પવિત્ર નગર એ દેશમાં હતું. ત્યાંના લોકોએ પૂર્વ પંજાબ, રજપૂતસ્થાન, ગુજરાત અને અયોધ્યા જીતી લીધાં. તેમની ફોજ તથા જઈ વસનારાઓ પોતાની ભાષા ત્યાં લઈ ગયા, તેથી એ સર્વ પ્રદેશોમાં આપણે હાલની ભાષાઓનું મિશ્રણ જોઈએ છીએ. તે દરેકનો પાયો બાહ્ય દેશની ભાષાનો હોઈ તેનું શરીર મધ્ય દેશની ભાષાનું બંધાયું. એમ છતાં જેમ આપણે મધ્યબિંદુથી આગળ જતાં જઈએ, તેમ મધ્ય દેશની ભાષાની અસર નબળી પડતી અને બાહ્ય અથવા સ્થાનિક ભાષાની અસર બળવાન થતી જોઈએ છીએ. તે એટલે સુધી કે છેવટ મધ્ય દેશની ભાષાની છાયા પણ રહેલી નથી. દાખલા તરીકે પશ્ચિમ પંજાબની લહંડા ભાષા તે મધ્ય દેશની ભાષા સાથે કંઈ જ સંબંધ ધરાવતી નથી. જેમ આપણે દક્ષિણપશ્ચિમ ભણી જઈએ તેમ બાહ્ય દેશોની મૂળ ભાષા વધારે ને વધારે જોઈએ છીએ અને તે ગુજરાતમાં ખાસ માલમ પડે છે. છેવટ જ્યાં શક્ય હતું, ત્યાં બાહ્ય દેશના લોકો દક્ષિણમાં ને પૂર્વમાં પ્રસર્યા અને એ રીતે આપણે મરાઠીને મધ્યપ્રાંતોમાં, વરાડમાં અને મુંબાઈ તરફ જોઈએ છીએ. એ જ રીતે પૂર્વમાં ઉડિયા, બંગાળી ને આસામી ભાષાઓ મધ્ય દેશની અસર થયા વગરની છે. મધ્ય દેશની પ્રાકૃત ભાષા તે મથુરાની આસપાસના શૂરસેન દેશના નામથી શૌરસેની કહેવાઈ, અને તે સમયની આર્ય સત્તાનું મધ્ય સ્થાન જે કનોજ તેની નજીકની તે હતી. પૂર્વમાં જેને હાલ બિહાર કહે છે તેમાં માગધી (મગધ દેશ ઉપરથી), અયોધ્યા અને ભાગલખંડમાં અર્ધમાગધી (માગધી અને શૌરસેનીના મિશ્રણ વાળી) અને વરાડ (વિદર્ભ) દેશમાં મહારાષ્ટ્રી ચાલતી. મહારાષ્ટ્રી અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સંબંધ કરનારી કડી હતી. વળી મધ્ય દેશના હુમલા થયા અગાઉ મહારાષ્ટ્રી તે સૌરાષ્ટ્રીને નામે ચાલતી ગુજરાતી ભાષા હતી – સંસ્કૃત નાટકોમાં જે પ્રાકૃત ભાષા વપરાઈ છે, તેની કવિતા બહુધા મહારાષ્ટ્રી પછીનું છેલ્લું પગથિયું અપભ્રંશ (ભ્રષ્ટ, વિકાર પામેલ) હતું, અને તેને પ્રાકૃતોમાં સાહિત્ય ઉદ્ભવ્યા પછી ખરી દેશી ને સુધરેલી – સાક્ષરી શાખાઓનો પાયો ગણી તેને વ્યાકરણકારોએ એ નામ આપ્યું હતું. છેવટે આ અપભ્રંશ ભાષામાં સાહિત્ય લખાવા લાગ્યું, અને જે પંડિતો પૂર્વે ધિક્કારતા હતા, તેમના જ વંશજ વૈયાકરણો તેનો અભ્યાસ કરવા લાગ્યા. પ્રાકૃત ઘસાઈને નિર્મળ થતી ગઈ, અને ઘણા જમાના વીત્યા પછી તેને અપભ્રંશને જગા આપવી પડી. સાંપ્રત દેશી ભાષાઓ એ અપભ્રંશોનાં સીધાં – ઔરસ બાળક છે. શૌરસેન અપભ્રંશ એ પશ્ચિમ હિંદીની ને પંજાબીની માતા છે, તેની સાથે નિકટનો સંબંધ રાખનાર ઉજ્જનની અવંતી (રાજસ્થાનીની માતા) હતી. ગુજરાતી અપભ્રંશ એ ગુજરાતીની માતા છે. પૂર્વ હિંદી એ અર્ધમાગધી અપભ્રંશથી પેદા થઈ છે. મરાઠી એ મહારાષ્ટ્રી અપભ્રંશની પુત્રી છે. મહાન માગધી એ બિહારીની, ઉરિયાની, બંગાળીની અને આસામીની માતા છે. જેનું નામ માલમ નથી એવી અપભ્રંશમાંથી લહંડા અને કાશ્મીરી, જેનો પાયો કોઈ પૈશાચી ભાષા છે, તે પેદા થઈ છે. સિંધી એ વ્રાચડ અપભ્રંશથી નીકળી છે. પ્રાકૃત ભાષાઓમાંથી શૌરસેની, માગધી, અને પૈશાચી (ચૂલિકાપૈશાચી) એ નામ અમુક દેશની ભાષા સૂચવે છે. પિશાચ લોકો હિમાલયના પૂર્વ ભાગમાં વસતા હતા એમ કેટલાક ધારે છે, પણ વ્યાકરણતીર્થ બહેચરદાસ આધારપૂર્વક જણાવે છે કે પાંડ્ય, કેકય, બાલ્હિક, સિંહલ, નેપાલ, કુંતલ, સુદેષ્ણ, વોટ, ગાંધાર અને કનોજ એ બધા પિશાચ દેશો છે (એમાં કેટલાક અનાર્ય દેશોનાં નામ છે.). પિશાચ લોકોનું એક વખતે સિંધમાં પણ જોર હતું એમ માલમ પડે છે. ચૂલિકાપૈશાચી એ પહાડી પૈશાચી, જેને બીમ્સ ‘પહારી’ કહે છે તે હશે. અપભ્રંશ ભાષાનો સંબંધ પાંચે પ્રાકૃત ભાષા સાથે છે. પંડિત બેચરદાસ જણાવે છે કે પ્રાકૃત ભાષા મધુર અને કોમળ છે. કેમ કે હેમચંદ્રસૂરિએ પ્રાકૃત એટલે પ્રકૃતિ – સંસ્કૃત – થી આવેલ એવો અર્થ કરેલો છે. આપણી ગુજરાતી (સર્વ પ્રકારની ગુજરાતી) ભાષામાં દેશ્ય – દેશી પ્રાકૃતનું ઘણું મિશ્રણ થએલું છે. એ જ રીતે સંસ્કૃત કે સંસ્કૃતભવ પ્રાકૃતનો પણ આપણી ભાષા સાથે સંબંધ છે. ગુજરાતી ભાષાને સગપણ અથવા સંબંધ જોઈએ તો તે અપભ્રંશની પુત્રી છે, જૂની પ્રાકૃતની પ્રપૌત્રી છે. શૌરસેની વગેરે નવી પ્રાકૃતો તેની માશીઓ થાય છે, અને ચાલુ દેશી ભાષાઓ હિંદી, બંગાળી, પંજાબી, સિંધી, મરાઠી, કાશ્મીરી, ડોઘ્રા, નેપાળી, ઉડિયા અને આસામી એ તેની મશિઆઈ બહેનો થાય છે; મતલબ કે તે હિંદની સર્વ આર્ય ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહેવાતું નથી. તે સુમારે નવસો વર્ષથી ચાલે છે, એમ ગ્રિઅર્સન કહે છે. બીમ્સનું મત એવું છે કે કદાચ હિંદની આર્ય ભાષાઓમાં ગુજરાતીનું અસ્તિત્વ સૌથી જૂનું ને પહેલું છે. સ્વ. હરિલાલ ધ્રુવ કહે છે કે ગુજરાતી ભાષાની હયાતી સિદ્ધરાજના વખતમાં તો શું પણ વનરાજના વખતમાં પણ હતી. પંડિત બહેચરદાસ જણાવે છે કે ગુજરાતી શબ્દ ગૂરૈચિ ધાતુ ઉપરથી થયો છે, અને તેના આધારમાં હેમચંદ્રનું સૂત્ર ટાંકી બતાવે છે, તે ઉપરથી શ્રી. હેમચંદ્રના સમયમાં ગુર્જર શબ્દ જાણીતો હતો એમ ઠરે છે. ગુજરાત શબ્દ ગુર્જરત્રા ઉપરથી થયો છે, અને તેનો અર્થ ગુર્જરોને પાળનાર અથવા ગુર્જરોને આશ્રિત એવો થઈ તે દેશને લાગુ પડે છે. ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી [2] આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા. ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ અશે (અહીં; એથે) આવ, તાળી (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું કરતોસ, યાનો કેટલો આંકડો તે મેળુદ્યા, અમે વઢું મરાં. માંગર (ગાંડી) ના કશે (કહીં-કેથે) તોહે જાવાં દ્યાં નહિ. તાળી માહે દ્યાં ગામ ખોદું તે કાઢી નાખાં. નરસિંહ મહેતાએ, ભાલણે, ‘કુસુમશ્રી રાસ’ના કર્તા વગેરેએ છઠ્ઠીનો પ્રત્યય ‘ચો’ વાપર્યો છે, તે ક્યાંથી આવ્યો તે હવે સમજાશે. પૈશાચીમાં ‘લ’ ને બદલે ‘ળ’ વપરાતો તે ગુજરાતી ને મરાઠીમાં ચાલે છે. મને લાગે છે કે તે પૈશાચી નજીકની મહારાષ્ટ્રીમાં થઈને મરાઠી ને ગુજરાતીમાં આવ્યો હશે. એ ‘ળ’ અકબરના વખતમાં લખાયેલો મારા જોવામાં આવ્યો છે, મતલબ કે તેનો વાપર આધુનિક નથી. બીજી એક વાત ડૉ. ભાઉ દાજી કહે છે, તે એ કે ઓરિસાની ઉડિયા ભાષા તે દક્ષિણી કરતાં ગુજરાતીને ઘણી મળતી છે. ક્યાં હિંદના પૂર્વ કાંઠા તરફની મહારાષ્ટ્રી ને ઉડિયા, અને ક્યાં પશ્ચિમ કાંઠાના ગુજરાતની સૌરાષ્ટ્રી ને ગુજરાતી? વચ્ચેના અનેક દેશ છોડીને એ ભાષાઓ શી રીતે મળતી થઈ, તેનું કારણ તપાસવા જેવું છે.

ગુજરાતીની શાખાઓ

બીમ્સ ગુજરાતીની ત્રણ શાખાઓ (‘ડાયાલેક્ટ્સ’) ગણાવે છે. ૧. સુરતભરૂચ તરફની, ૨. અમદાવાદની અને ૩. કાઠિયાવાડની. એ ત્રણેમાં એવો તફાવત નથી કે તેમને જુદી શાખાઓ ગણી શકાય. ગ્રિઅર્સન જણાવે છે કે ભીલ અને ખાનદેશના લોકો જ મિશ્ર ભાષા બોલે છે, તે ગુજરાતીની શાખા છે. અહીંઆં ભીલ એટલે ગુજરાત ને ખાનદેશ વચ્ચેના પહાડી મુલકમાં વસનારી કાળીપરજ (જેની અનેક જાતો છે)ના લોકો સમજવાના છે. નાંદોદના રાજમાં આવેલો એક પ્રદેશ જેને મરૂઠ કહે છે, ત્યાંના ભીલ લોકોની ભાષાનું વ્યાકરણ રા. છગનલાલ રાવળે પ્રસિદ્ધ કરેલું છે. સોનગઢ તરફની ને બારિયા તરફની એ પ્રજાના ખાસ શબ્દોનો સંગ્રહ થયેલો છે, તે ઉપરથી તથા ગાયકવાડી રાજમાં વસતા ઘાણકા વગેરેના જાતિ અનુભવ ઉપરથી હું કહી શકું છું કે એ લોકોની ભાષા જો કે સર્વત્ર એકસરખી નથી (તેની ૩૦ બોલીઓ પાહલજી દેશાઈ જણાવે છે), તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય. એમાં ગુજરાતી સાથે મરાઠીનું મિશ્રણ છે. ખાનદેશના ઉત્તર તરફના ભાગમાં સેંકડો વર્ષથી જઈ વસેલા મુખ્યત્વે કણબીઓની સંખ્યા ઘણી મોટી છે. પણ તેમનો મરાઠા ને કાળીપરજ સાથે સંબંધ થવાથી તેમની ભાષા મિશ્ર થઈ ગઈ છે, તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય.

અસલ સૌરાષ્ટ્રી ભાષા કાઠિયાવાડમાં રહી ગયાનું ઉપર જણાવ્યું છે. તે ઉપરાંત ત્યાં ચાલતી ચરણી ભાષા પણ આપણું ધ્યાન ખેંચે છે. કાઠિયાવાડ દેશની જૂની વાર્તાઓ તેઓ પોતાની ભાષામાં એક તારો વગાડીને કહે છે. અને વચ્ચે વચ્ચે કવિતાઓ ગાય છે તે સાંભળવાની ઘણી મઝા પડે છે. કાઠીયાવાડી રત્નોનો કેટલોક સંગ્રહ પુસ્તકના આકારમાં છપાયો છે, તે જૂની કાઠિયાવાડી ભાષા બતાવે છે. ચારણી કવિતા નમૂના હું નીચે આપું છું



સોરઠો (બાવાવાળા વિષે)

વાલગ હાટે (સાટે) વીહ (વિષ), કંઈક ઝાડેજા ઝબે કર્યા;
રાણા હંધુ (સાથે) રીહ (રીશ), કાંઈ વેંઢારસ (વિંઢાળે છે)

વાઘાઉત (વાઘના સુત – વાઘાના)

દાના ભગત વિષે કવિતા

કોક વરહાં (વરસો) તણાં હડી ગેલ (ગએલ) ક્યારડો,
લાકડે (લાકડા જેવા) પાપીએ વાદ લીધો;
સેવગાં (સેવકો) બાપડાં હેક (એક) સધારવા;
તેકેરડો (કેરો – છઠ્ઠી) વીર ઘેઘુમ કીધો;
કોસકી (કોશની) ગરાડી હેગ નીલી કરી,
વરમંડ (બ્રહ્માંડ) લોકો સરે (શિરે) ડંકા વાગા;
ખીલ ઝાંપા તણો ખણાવ્યો ખાખરો,
લુંબ જુંબાં થકી કેસ (કેસુડાં) લાગા;
જાદવા (દાના ભગતના ગુરુ) તણો ઘર પ્રભુ કરી જાણવો,
વીહવા (દાના ભગતના ચેલા) તણીઉં (તણીનું બહુવચન)
આઘાટ (અઘાટ) વાતું (વાતો);
ઉગનીલો હુઓ હંગોરીઓ દેખજો ખપાળી (દંતાળી) તણો જ દાંતો.

અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય. કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે. [3] કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય.

ગુજરાતીનું શબ્દ-ભંડોળ
ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી [4] નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું.
દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી
ઉંડ ઊંડું દેવરાણી દેરાણી
ઓજ્જરી હોજરી પડુઆ પાટુ
ઉંબી ઊંબી પુપ્ફા ફાઈ-ફોઈ
ઉત્થલ્લા ઊથલો રંડુઅ રાંઢવું
કિવિડી કમાડ રોજ્જ રોજ
ખડ્ડા ખાડો વંઠ વાંઢો
ખોલ ખોલકું(ગધેડું) આમોડ અંબોડો
ખલ્લા ખાલ હુડ્ડા હોડ
ચાસ ચાસ મુબ્ભ મોભ
છાણ છાણ ઉત્તરવિડિ ઉત્તરેવડ
ઝાખર ઝાંખરું બબ્બરી બાબરી
ટક્કર ટેકરો
ઠલ્લા ઠાલો
ડબ્બ ડાબો
સંસ્કૃત સંસ્કૃતભવ પ્રાકૃત ગુજરાતી
નીતિશાલા નીઇસાલા નિશાળ
ગ્રહિલ ગહિલ ઘેલો
વૈવાહિક વૈવાહિઅ વેવાઈ
ભગિનીપતિ બહિણીવઇ બનેવી
દૌષ્યિક દોસિઅ દોસી
અધિકરણી અહિઅરણી એરણ

વળી જે શબ્દો હજી ગામડામાં અસલ કે સહજ ફેરફાર સાથે વપરાય છે, તેના મૂળ શબ્દો હૃષિકેશ વ્યાકરણમાંથી આપું છુંઃ

સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત પ્રાકૃત
આર્ય અજ્જો, અજો ઉત્કર ઉકેરો
(કાઠિયાવાડમાં) (છાણનો સડેલ પોદળો)
ઋષિ રસી ઔષઘ ઓષઢ-ઓસડ
કાલાયસ કાલાસ-કાળાશ ક્ષમા ખમા
ચતુદર્શ ચઉદહ-ચઉદ પુરુષ પુરિસ
મૂલ્યં મોલ્લં-મોલ રાજકૂળ રાઉલ-રાવળ
સ્કંધ ખંદ, કંદ સ્નેહ સણેહ
તથા તિમ કુત્ર કેત્થુ-કેથે (સુરત તરફ)

થોડાક અપભ્રંશમાંથી આવેલા શબ્દોઃ

સંસ્કૃત અપભ્રંશ ગુજરાતી
અન્યથા અનુ,અણઇ અને
આપત્આ આવઇ આવે
ઇદશઃ અઇસો એવું
કથમ્ કેમ, કિહ, કિધ કેમ, કિમ, ક્યમ
તત્ર તત્થુ, તત્તુ તહીં, ત્યાં
સહ સહૂ સહુ, સૌ
દિવા દિવે દીએ (દિવસે)
નહિ નાંહિ નહિ, નહીં
શીઘ્રં વહિલ્લું વહેલું
વિના વિણુ વીણ, વણ
યથા જેમ, જિહ, જિઘ જેમ, જિમ, જ્યમ

પીલુ (બચ્ચું): છોકરાં અડકોદડકો વગેરે બોલતાં ‘પીલુ પાકે, શરવણ ગાજે’ બોલે છે. આ શબ્દ બીજી પણ આર્ય ભાષાઓમાં ગયેલ છે.

વકટ – વકટી, વઘટી (કાનડી), (અર્થ) એક. લેન – રેટ રે’ડું – રોંડુ (તેલુગુ), (અર્થ) બે. મૂઠ – મૂડુ (તેલુગુ), (અર્થ) ત્રણ. નાર – નાળ (નાલુગુ) (તેલુગુ), નાલકુ (તાલિમ ને કાનડી) (અર્થ) ચાર. બાંગો વૈદ, - એમાં વૈદ=આરૂ (તેલુગુ ને કાનડી ઉપરથી) (અર્થ) પાંચ. આંખ આર – એમાં આર=આરૂ (તેલુગુ ને તામિલ ઉપરથી), (અર્થ) છ.

ઉપલી સંખ્યા મોઇ (ગિલ્લી) દંડાની રમતમાં વપરાય છે, તે ઉપરથી એ રમત દ્રાવિડમાંથી આવી હશે, એમ લાગે છે.



ફારસી અને અરબી

મુસલમાનોનું આ દેશમાં રાજ્ય સ્થાપાયું તે અગાઉ પ્રાચીન સમયથી ઈરાનીઓ ને આરબો સાથે આપણો સંબંધ હતો; ત્યારથી કેટલાક શબ્દો આપણી ભાષામાં દાખલ થયા છે. તેમનું રાજ્ય સ્થપાયા પછી તો સંખ્યાબંધ શબ્દો આપણી ને બીજી આર્ય ભાષાઓમાં ભળી ગયા છે. મારા ધારવા પ્રમાણે આપણા શબ્દભંડોળમાં તે બે આની કે તેની કંઈક વધારે ફાળો આપે છે. કેટલાક વિદ્વાનો એમને યાવની શબ્દો ગણી પોતાનો અણગમો બતાવે છે; જેમ કેઃ

न वदेद्यावनी भाषां । प्राणैः कंठगतैरपि ।।
सकृत्स्पर्शनमात्रेण । उपवीतं वृथा भवेत् ।।

‘ભક્તિવિજય’ ગ્રંથમાં ‘જગન્નાથપંડિતઆખ્યાન’માંના એ શ્લોકને માન આપીને જમતી વખતે કોઈ ‘બસ’ બોલે તો, શું તું મુસલમાન છે કે આવું બોલે છે કહી તેને વડિલો ધમકાવતા; પણ હાલમાં જમતાં ને વાતચિત કરતાં ફારસી અરબી તો શું, પણ અંગ્રેજી શબ્દો ઘણીવાર વપરાય છે, છતાં બોલનારને કોઈ અટકાવતું નથી. યાવની શબ્દોમાંના ઘણાક તો એવા ઘરગથુ ને રૂઢ થઈ ગયા છે, કે તે અજાણતાં પણ વપરાઈ જાય છે. તેમને આપણા આદ્યય ને પ્રત્યય લાગે છે, તેમ તેમના આદ્યય–પ્રત્યય ગુજરાતી તદ્ભવ શબ્દોને પણ લાગે છે. આવા શબ્દો દાખલ કરવાનું માન (કેટલાકને મતે અપમાન) નાગરિક લોકોને ઘટે છે; કેમકે તેઓ નોકરી કે વેપાર અર્થે યવનોના ગાઢા સંબંધમાં આવવાથી તેમણે તે ગ્રહણ કરેલા. ગામડાંમાં એવા શબ્દો થોડા જ વપરાય છે. કેટલાકને તો ગુજરાતી કરતાં એવા શબ્દોનો વાપર વધારે પસંદ પડે છે. દાખલા તરીકે વાળંદ, ગાંયજો, રાત, બાબર (કાઠિયાવાડમાં), દાવળ (ઉ.ગુજરાતમાં)ને બદલે હજામ શબ્દ, અને તુલના, સરખામણી, સરખાવટ, મેળવવું, મીઢવવું, પડતાલોને બદલે મુકાબલો શબ્દો ગમે છે. કોઈ ‘પોરો’ બોલે તો તે ગામડિયા લાગે અને ‘પેરો’ શબ્દ પસંદ પડે; પણ ‘પોરો’ એ સંસ્કૃત ‘પ્રહર’ ઉપરથી ને ‘પેરો’ એ ફારસી ‘પહર’ ઉપરથી થયો છે, તો બેમાંથી કયાને સારો ગણવો? કેટલીક વાર યાવની શબ્દોને સંસ્કૃતનું રૂપ આપવામાં આવે છે; જેમ કે પલંગ શબ્દ ફારસી છે, તે સંસ્કૃત પર્યેક ઉપરથી, મલાજો મર્યાદા ઉપરથી અસ્વાર અશ્વવાર ઉપરથી અને કોતલ કુંતલ (ઘોડો) ઉપરથી થયા છે એમ કહેવામાં આવે છે. અફીણ શબ્દ અરબી અફિયુમ (અફીમ) ઉપરથી થયો છતાં તેને અહિફેન, અહિફેણ એવાં સંસ્કૃતમાં નામ અપાયાં છે. કેટલાક શબ્દ બંનેમાં સામાન્ય કે મળતા આવતા હોય છે, તેથી વ્યુત્પતિ માટે શંકા પડે છે; જેમ ફા. આગ ને સં. અગ્નિ; ફા. અંદર ને સં. અંતર્; ફા. અંગુસ્ત ને સં. અંગુષ્ટ; ફા. માહ ને સં. માસ, રાજકાજના શબ્દો માટે એક તાલુકો લઈએ તો તાલુકો, મહાલ, પરગણું, તેહસિલ, કુમાવિસી, મામલતદાર, વહિવટદાર, મહાલકરી, કુમાવિસદાર, તેહસિલદાર, તજવીજદાર, અવલકારકુન, શિરસ્તેદાર, નાજર, હવાલદાર, સિપાઈ, ફોજદાર, મુનસફ, વકીલ, કચેરી, અદાલત, દફતર, ફેંસલો, તહોમતનામુ, હુકમનામુ એમાંનો કોઈ શબ્દ આપણો નથી! ઘણા યાવની શબ્દો ગુજરાતી જેવા જ બનીને સર્વત્ર ચાલે છે; જેમ કે, અસર, અસલ, અંદર, આબરુ, આરી (કરવત), ઈજત, ઈજા, ઇનામ, ઇરાદો, ઔરત, અંદેશો, અંબાડી, મહેનત, અક્કલ, આરામ, અજબ, અદબ, અરજ, ઇત્યાદિ. પ્રજાઓમાં ભેળસેળ થવાથી, એક બીજાના પ્રસંગમાં આવવાથી, પદાર્થો, વિદ્યા વગેરે ગ્રહણ કરવાથી સઘળી ભાષાઓમાં થોડા ઘણા પરદેશી શબ્દો આવે છે જ (સંસ્કૃત સુદ્ધાં એથી બચી નથી.) અંગ્રેજી જેવી સૌથી મોટી આધુનિક ભાષામાં શું થયું છે? જોન્સને પ્રથમ કોશ રચ્યો, ત્યારે તેમાં પચીશેક હજાર શબ્દો સમાયા હતા. તે પછી તેમની સંખ્યા વધતાં વધતાં લાખ ઉપર ગઈ, અને હાલ અમેરિકામાં તેનો મોટો કોશ બને છે, તેમાં પાંચ લાખ શબ્દોનો સંગ્રહ થશે એમ કહેવાય છે. અંગ્રેજીમાં કોઈપણ ભાષાના શબ્દો દાખલ કરવામાં કોઈ હરકત લેતું નથી. પ્રશ્ન એ થાય છે કે આપણી ભાષામાં જે પરદેશી શબ્દોએ ઘર કરેલું છે, તેમનો બહિષ્કાર કરવો એ વાજબી છે? અથવા તેમને કાઢ્યા કાઢી શકાય એમ છે? કદી સામાન્ય નામોને બદલે આપણા શબ્દો વપરાય, પણ ગુલાબશંકર ને અવલબાઈ, મુનશી ને કાજી એવાં વિશેષ નામ અને ઉપનામનું શું કરીશું?

તુર્કી શબ્દો

તુર્કી ભાષા જેમ તુર્કસ્તાનમાં ચાલે છે, તેમ તે તાતાર ને મોંગોલિયામાં પણ ચાલે છે. તાતારના મોગલો હિંદમાં આવ્યા પછી આપણી ભાષામાં સેંકડો શબ્દ તુર્કીના ભળી ગયા છે, તેમાંના થોડાક નમૂના તરીકે નીચે આપ્યા છે – તોપ, બંદુક, ચીક (ચક), બબરચી (બાવરચી), ખજાનચી, એલચી, વરક, વરખ, કોમ, કાનુન, કલમ, કાગળ (કાગઝ), નગારુ (નકારા), બાગ, બગીચા, શોખ, મુત્સદ્દી, કીમત, ફરક (ફર્ક), મગરુર, દરબાર, આચાર, રકાબી, ચમચા, શતરંજ, પિસ્તા, બદામ (બાદામ), અંજીર, લગામ, તરાજુ-ત્રાજવાં, જીન, તગં, નાલ, દલાલ (દલ્લાલ), મજૂર (મજદૂર), વકીલ, ચાદર, ચહેરા, શાહી (શિયાહિ–લખવાની), ગંજીફો (ગંજફા), તખતા, ચિરાગ, કૂચ (મુકામ ઉઠાવવો), લેબાસ (લિબાસ), મુરબ્બા, લાશ (શબ), અયાળ, બુલાખ (બુલાક), ચાકુ, કાબુ, કુલી (મજુર), બુચકો (ગાંસડી–જેને બચકો કહેવામાં આવે છે), જાજમ.

પોર્તુગીઝ શબ્દો

(ટેલર વ્યાકરણમાં ઓપેલા)– પાદરી, ગારદી, મેજ (મૂળ તુર્કીમાંથી ગયેલા), તબેલા, ચાવી, પગાર, પોમ (રોટલી) પ્રોફેસર કરકરિયાએ આપેલા શબ્દોમાંના ઘણાને આપણે અંગ્રેજીમાંથી આવ્યા હશે ધારી સુધારીએ છીએ; કે ગામડિયા ગણી કાઢીએ છીએ. ઇજનેર, મૂળ ‘એનજીનહાયરો’, પણ અંગ્રેજી ઉપરથી તેને એનજીનીઅર કહેવામાં આવે છે. કપતાન, મૂળ ‘કાપીટાઉં’ (અંગ્રેજી ઉપરથી નહિ.) ગવન્ડર, મૂળ ‘ગવર્નડોર’ – પણ અંગ્રેજી પરથી તેને સુધારી ગવર્નર કહેવામાં આવે છે. બિસકુટ, મૂળ ‘બિસકોટ’ (અંગ્રેજી બિસકિટ ઉપરથી નહિ) બટન, મૂળ ‘બટાંઉ’ અંગ્રેજી બટન સાથે મળી રહે છે. પાટલુન, મૂળ ‘પાનટાલુન’ (અંગ્રેજી પેન્ટેલુન ઉપરથી નહિ) ટુવાલ, મૂળ ‘ટુવાલ’ (અંગ્રેજી ટોવેલ ઉપરથી નહિ) સપાટ, મૂળ ‘સપાટો’ (અંગ્રેજી સ્લિપર ઉપરથી નહિ) ઇસટાંપ, મૂળ ‘ઈસટાંપા’ (અંગ્રેજી સ્ટેમ્પ ઉપરથી નહિ) બાંક, (બાંકડો) મૂળ ‘બાંકો’ (અંગ્રેજી બેંચ ઉપરથી નહિ) ગેલેરી, મૂળ ‘ગેલેરિયા’ અંગ્રેજી ગેલેરી સાથે મળી રહે છે. આ શિવાય અનાનસ, હાફુસ, પાયરી, બટાટા, પાઉં વગેરે શબ્દો પોર્ટુગીઝમાંથી દાખલ થયેલા છે.

અંગ્રેજી શબ્દો

અંગ્રજી રાજ્ય આવ્યા પછી અંગ્રેજોના સંસર્ગથી, નોકરાચાકરીના સંબંધથી, વેપારરોજગારના કારણથી, અનેક વસ્તુઓ અને વિદ્યાકળા પ્રાપ્ત થવાથી અંગ્રેજી પાઠશાળાઓ અને મહાપાઠશાળાઓનું સ્થાપન થવાથી તેમના પુષ્કળ શબ્દો દાખલ થયા છે, અને તેમાં ઝપાટાબંધ વધારો થયા જ કરે છે. તેમને ઠેકાણે સંસ્કૃત ને યાવની શબ્દો કે નવા ઉપજાવી કાઢેલા શબ્દો વાપરવાના યત્ન થાય છે. પરંતુ તે ફળીભૂત થશે કે કેમ તે વિષે ભારે શંકા રહે છે. જો તેમને ઠેકાણે સહેલા ને સમજાય એવા ચાલતા કે નવા યોજેલા શબ્દો વપરાય તો ચાલી શકે. આપણી ભાષામાં શબ્દો હોય છતાં અંગ્રેજી શબ્દો વાપરવા એ તો ઠીક નથી જ. કેટલાક ટાઇમ, સ્કૂલ, પેપર, કવર, ટીચર, પ્રેસિડંટ, મેનેજીંગ કમિટિ, સ્પીચ જેવા શબ્દો વારે વારે વાપરે છે. વરાળયંત્ર (‘સ્ટીમ એનજીન’), દુર્બીન (‘ટેલીસ્કોપ’), પ્રાણવાયુ (‘ઓક્સિજન’), ઉચ્ચાલન (‘લીવર’), ભલામણી (‘સ્કૂલ ફી’), પ્રમાણપત્ર (‘સર્ટિફિકેટ’), શિષ્યવૃત્તિ (‘સ્કોલરશિપ’) જેવા શબ્દો મજેથી ચાલી શકે; પરંતુ અંગ્રેજી પારિભાષિક કે બીજા શબ્દોને માટે કઠિન ને ન સમજાય એવા શબ્દો યોજવામાં આવે, તો તે ચાલવા મુશ્કેલ થાય. નવા શબ્દો યોજવામાં ઘણું અંધેર ચાલે છે, એકજ શબ્દને માટે જુદા જુદા લેખકો પોતાને ફાવે તેવા તેવા શબ્દો ઘડી કાઢે છે તેમ જુદી જુદી દેશી ભાષાઓમાં તેનાં જુદાં જુદાં નામ હોય છે. કેટલીકવાર તો પારસી ભાઈઓ કહે છે તેમ જડબાતોડ ને ન સમજી શકાય એવા શબ્દોને જન્મ આપવામાં આવે છે. વિજ્ઞાનના એક શબ્દ માટે પાડેલું નામ તે વિદ્યા જાણનાર બીજો વિદ્વાન પણ સાથે અંગ્રેજી શબ્દ ન મૂક્યો હોય તો તેનો અર્થ સમજાવી શકતો નથી. આવો ગોટાળો બંધ પડવો જોઈએ. અને એવા નવા શબ્દો આપવા કરતાં તો વખતે અંગ્રેજી શબ્દ અર્થ સાથે આપવાથી વધારે ઠીક પડે.

સંકરસમાસો ને ભ્રષ્ટ શબ્દો

એક વાત યાદ રાખવા જેવી છે. તે એ કે આપણા લોકો ખપ પડે ત્યારે અન્ય ભાષાના શબ્દોનાં શુદ્ધ નામ પડાવવા સારુ સાક્ષરો પાસે જતા નથી. તેઓ પોતે જ મરજીમાં આવે એવાં નામ પાડી દે છે, અને તે કાળે કરીને ભાષામાં રૂઢ થઈ જાય છે. ફારસી ને અંગ્રેજી મળીને થએલો આગબોટ શબ્દ ઘણી ખરી દેશી ભાષાઓમાં દાખલ થઈ ગયો છે. હાલમાં વળી સત્કારકમિટી, કેળવણીકોન્ફરન્સ, રેલચંબુ, રેલગાડી, પથ્થરપેન, મુનસફ કોર્ટ, સીસાપેન, જેવા સંકર સમાસ ચાલવા લાગ્યા છે. વળી પહેલેથી દાખલ થએલા ફારસી-સંસ્કૃત સમાસ ઘણા ચાલે છે; જેવા કે અંદાજપત્રક, અંગમહેનત, અણમાહિતગાર, અણવાકેફ, અણહદ, કમભાગ્ય. કેટલીવાર મૂળના અંગ્રેજી શબ્દોને ભ્રષ્ટ કરીને લોકો વાપરે છે; જેવા કે ‘લ્યુસર્ન ગ્રાસ’ના લચકો ઘાસ; ‘કેબેજ’ના કોબીજ-કોબી-કરમકલ્લો; ‘વાઉચર્સ’ના વોચરિયાં; ‘ફેઇમ’ના ફરામ, ‘ડ્રોઇંગ’ના ડરામ; ‘ ગ્યારેન્ટીડ’ના ગિરિમિટિયા. એમ છતાં કેટલીકવાર લોકોએ પાડેલા શબ્દો સાર્થ કે પસંદ કરવા જોગ હોય છે; જેમ કે ‘રિટર્ન ટિકેટ’ને ઠામે જતવળતની ટિકેટ, ‘લગેજ’માં જે ઠામે તૈયારીમાં, ‘લ્યુસર્ન ગ્રાસ’ને ઠેકાણે મેથીઓ ઘાસ (મેથીની ભાજી જેવો હોવાથી) ‘વેગન’ને ઠામે ડબ્બા, ‘ગુડસટ્રેન’ને ઠામે ભારખાનું, ‘બ્લોટિંગ’ની જગાએ શાહીચૂસ, ‘ડ્રોપિંગ’નું કણિઉં, ‘ક્લેટસ્ટ્રિપ’નું કટલી, ‘રીલ’નું અટેરો, ‘કોક’નું ચકલી, ‘બીટર’નું પંખો, ‘ઇંડીકેટર’નું ઘડિયાળ, ‘ઝિંક ક્લોરાઇડ’નું જલદ ખાર, ‘હ્યુમિડિફાયર’નું ફુઆરો. છસોસાતસો વર્ષ થયાં મુસલમાનો આ દેશમાં આવી વસ્યા. તેમના સમાગમ વડે ફારસી, અરબી, વગેરે શબ્દોનો પ્રવેશ આસ્તે આસ્તે થયો છે; પરંતુ અંગ્રેજી રાજ્ય સ્થાપન થયાને ગુજરાતમાં તો માત્ર સોએક વર્ષ થયાં છતાં અંગ્રેજી શબ્દો ભાષામાં ઝપાટાબંધ દાખલ થતા ચાલે છે. તેનાં કારણ પૂર્વે દર્શાવ્યાં છે તે શિવાય બીજાં એ કે અંગ્રેજી ભણેલા હીંડતાંચાલતાં અંગ્રેજી શબ્દો ઘણા વાપરે છે. સહેજ ચિઠ્ઠીપત્રી લખવી હોય તે પણ અંગ્રેજીમાં. શહેરોમાં ને ખાસ કરીને મુંબાઈમાં તો ગુજરાતી ભાષા ખીચડિયા થઈ ગઈ છે. શ્રીમંત ગાયકવાડ સરકારે દેશી ભાષાના લખાણમાં કોઈ અંગ્રેજી શબ્દો વાપરે તો તેને સજા કરવાનું ઠરાવ્યું છે, તે સારું છે; પણ તે બધે ઠોકાણે બની શકે નહિ. સૌથી સારો માર્ગ એ છે કે આપણે અંગ્રેજી ભણેલાઓએ બનતા સુધી અંગ્રેજી શબ્દો બોલવાચાલવામાં ને લખવામાં ન વાપરવાનો દૃઢ નિશ્ચય કરવો જોઈએ.

ગુજરાતી સાહિત્ય

મારા પોતાના કાર્ય માટે સ્થૂળ માને આપણા સાહિત્યના હું બે ભાગે પાડીશ; ૧. જૂનું એટલે મૂળથી માંડીને અંગ્રેજી પદ્ધતિની કેળવણી શરૂ થઈ ત્યાં સુધીનું, અર્થાત્ છેક મહાકવિ દયારામના વખત સુધીનું; અને ૨. તે પછીનું તે નવું સાહિત્ય. મારા માનવા પ્રમાણે જૂનું સાહિત્ય એટલું વિશાળ છે કે તે બીજી ઘણી દેશી ભાષાઓને પાછળ હઠાવે.

જૂનું સાહિત્ય

ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને તેના યુગો પ્રસિદ્ધ કરવાનું પ્રથમ માન શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસને ઘટે છે. તેમની પછી વિદ્વાનોનું લક્ષ તે ભણી દોરાયું, અને રા. કેશવલાલ, રા. નરસિંહરાવ અને રા. બા. રમણભાઈ એમણે એ વિષય ઉપર પ્રશંસનીય પ્રકાશ પાડ્યો છે. આપણે જોયું કે ગ્રિઅર્સન ગુજરાતી અપભ્રંશ ઉપરથી ગુજરાતી થઈ ગણે છે, અને શૌરસેની અપભ્રંશ એ અવંતી (રાજસ્થાનીની માતા) સાથે નિકટનો સંબંધ રાખે છે; પણ ટેસિટોરી જૂની પશ્ચિમ રાજસ્થાનીને ગુજરાતી (હાલની)ની માતા ગણે છે, અર્થાત્ તે જૂની ગુજરાતીને જૂની પશ્ચિમ રાજસ્થાનીનું નામ આપે છે. તેમણે ‘મુગ્ધાવબોધઔક્તિક’ અને જૈન ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. ‘પ્રાકૃતપિંગળ’ના આધાર સંબંધે તો તેમણે પોતે જ શંકા બતાવી છે. પશ્ચિમ રાજસ્થાનીનો પ્રદેશ તેમણે સ્પષ્ટ કર્યો નથી. જો અવંતીમાંથી તે ઉત્પન્ન થઈ હોય, તો તે માળવાની ભાષા કહેવાય. ઈ.સ.ના પ્રથક શતકમાં [5] શક રાજાઓએ પોતાનો અમલ માળવામાં સ્થાપ્યો, અને તેઓએ લાટ દેશ, સૌરાષ્ટ્ર અને અનુપ [6] દેશ ઉપર સત્તા ચલાવી હતી (મુખ્ય ગુજરાત ઉપર નહિ) તે પછી માળવાની સત્તા ગુજરાત ઉપર થઈ નથી. એથી ઊલટું ૧૫-૧૬ના સેંકડામાં માળવાનો કેટલોક ભાગ ગુજરાતે જીતી લીધો હતો.[7] પૂર્વે ગુજરાતનો વિસ્તાર બહોળો હતો, એટલે દક્ષિણ કોંકણની ઉત્તર હદ સુધી તેમ ખાનદેશ અને ઝાલોર સુધી તેની હદ હતી. એવા મોટા પ્રદેશની ભાષાને પશ્ચિમ રાજસ્થાન જેવા નાના મુલકની ભાષા ઉપર આધાર રાખવો પડે એ શક્ય નથી. ઈ.સ.ના પ્રથમ શતકમાં ગુજરાતમાં અપભ્રંશ ને માળવામાં અવંતી ભાષા ચાલતી હશે. અવંતીની દીકરી જેમ રાજસ્થાની છે, તેમ અપભ્રંશની દીકરી જૂની ગુજરાતી છે. મતલબ કે રાજસ્થાનીની દીકરી ગુજરાતી હોય એ માનવું સંશય [8] પડતું છે. જૈન કે બીજા હિંદુ લેખકોએ જૂની ગુજરાતીને રાજસ્થાની કહી નથી. ‘મુગ્ધાવબોધ’ ગુજરાતમાં રચાયો હતો. અને તેમાં આપેલાં ઉદાહરણ પ્રાચીન ગુજરાતીનાં છે. વળી સંવત ૧૪૬૬માં શ્રી. ગુણરત્નસૂરિએ ‘ક્રિયારત્નસમુચ્ચય’ નામક ગ્રંથ ઇડરમાં રહીને રચ્યો હતો, તેમાં સંસ્કૃત ધાતુના રૂપોના સંગ્રહ સાથે તે કાળે ચાલતી ભાષાના રૂપોનો પણ સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાંથી પંડિત બહેચરદાસે થોડાંક ટાંકી બતાવેલાં રૂપ જુઓઃ એઉ કરાઇ (એ કરે), લિઅઇ [9] (લે), દિઅઇ [10] (દે), જાયઇ (જાય), આવઇ (આવે), જાગઈ (જાગે), સુઅઈ (સુએ), એ ઘણાં કરઈ (એ ઘણાં કરે), લિઈ (લે), તૂં કરઁ, લિઅઁ, દિઅઁ, (તું કર, લે, દે), તુમ્હે કરઉ, લિઅઉ, દિઅઉ, (તમે કરો, લ્યો, દ્યો), હું કરઉં, લિઉં, દિઉં (હું કરું, લઉં, દઉં), અમે કરઉં (અમે કરીએ). આ રૂપો સ્પષ્ટ ગુજરાતીનાં છે. વળી ટેસિટોરી કહે છે કે જૂની પશ્ચિમ રાજસ્થાની (જૂની ગુજરાતી) સોળમી સદીના અંત સુધી કદાચ તેથી પણ આગળ ચાલ્યાનો સંભવ છે. (રા. નરસિંહરાવ સોળમી સદીના મધ્યકાળ સુધીની ભાષાને અંતિમ અપભ્રંશ એવું નામ આપે છે.) નરસિંહ મહેતાનાં પદોની ભાષામાં ફેરફાર થયો છે. એટલે તેની ભાષા ‘કાન્હડદે’ પ્રબંધના જેવી તે માને છે, મુખપાઠ કરવાની પરંપરાથી પદોમાં ઘણો ફેરફાર થવાનો સંભવ છે; પરંતુ જે હજારો લેખી પદ હાથ લાગેલાં છે, તેમાં એટલો ફેરફાર ન થાય. “જાગને જાદવા કૃષ્ણ ગોવાળીઆ, તુજ વિના ધેનમાં કોણ ધાશે.” એ નરસૈયાની કે “સોનું રૂપું પહેર્યે શું સુધરે છે, મેલી છાંડોની ડાકડમાળ” એ મીરાંની કડીમાં કેટલો ફેરફાર થયો હોય? વળી ‘સુરતસંગ્રામ’ ને ‘ગોવિંદગમન’ જેવાં નરસિંહ મહેતાનાં કાવ્યોનાં લેખી પુસ્તકોમાં બહુ ફેરફાર ન પડે. એ વાત ખરી છે કે સુશિક્ષિત લહિયા ન હોય, તો જે ન સમજાય એવું હોય, તેને ફેરવી નાંખે. અંગ્રેજી વિદ્વાનોએ ગુજરાતીની ઉત્પત્તિ સુમારે નવસો વર્ષ પર થઈ એમ માનેલું છે, એટલે તેની શરૂઆત સંવત ૧૧મા શતકમાં થયેલી ગણાય. જૂની ગુજરાતીનાં જે પુસ્તકો પ્રથમ હાથ લાગેલાં તે ઘણાં ખરાં ૧૫મા શતકનાં ને કોઈક ૧૪મા શતકનાં હતાં. રા. ચીમનલાલ દલાલ, જેમનું અકાળે અવસાન ખેદકારક છે, તેમણે પાટણના ભંડારમાંથી જે નવા ગ્રંથ શોધી કાઢ્યા છે, તે ઉપરથી તેમણે જણાવ્યું છે કે “વિક્રમના ૧૧મા શતકથી ગુજરાતી ભાષાનો ઇતિહાસ યથાર્થરીતે લખી શકાય.” એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે તે અગાઉ કેટલાંક સૈકાથી લોક-ભાષા (બોલી) ચાલુ થાય. રા. દલાલ જૂની ગુજરાતીનો સૌથી પહેલો ગ્રંથ ‘જંબુસ્વામીરાસ’ માને છે. તેની સાલ ૧૨૬૬ની છે. પરંતુ તે અગાઉ ૧૨૫૦માં ‘અંબડકથાનક’ લખાયો હતો. ‘સદયવત્સચરિત્ર’ એ જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે, પણ તેની સાલ નક્કી થઈ શકતી નથી. વળી પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિને ખંભાતના ભંડારમાંથી તાડપત્ર ઉપર લખેલું ‘મહાવીરસ્તોત્ર’ હમણાં જ હાથ લાગ્યું છે, તેની સાલ ૧૨૦૯ની છે. તે ‘સાહિત્ય’ માસિકમાં છપાવાનું હોવાથી અહીં હું નમૂનો આપતો નથી; પરંતુ મુનિશ્રી લખે છે કે “આ સ્તોત્રની ભાષા તે પંદરમી સદીમાં લખયેલો ‘ગોયમરાસ’, સત્તરમી સદીમાં લખાયેલા રૂષભદાસ શ્રાવકના રાસાઓ, ઓગણીસમી સદીની પં. વિરવિજયની કૃતિઓ અને આ સ્તોત્રના લેખનસમયથી આગળ વધતાં બસેં બસેં વર્ષના આંતરામાં થયલા સપ્તક્ષેત્રીરાસકાર મુનિ સુંદરસૂરિ, નરસિંહ મહેતા, ભલણ, લાવણ્યસમય અને પ્રેમાનંદ, વગેરે અનેક જૈન જૈનેતર કવિઓની ભાષા સાથે સરખાવી, હાલ ગુજરાત નામથી ઓળખાતા દેશના વતનીઓની ભાષાનો વિકાસ કેવી રીતે થયો છે, તે વિચારવાને રસ પડશે.” ગુજરાતીના ઇતિહાસને માટે નીચેના પુરાવા મહત્ત્વના થઈ પડશે. પાટણના જૂના ગણપતિના દહેરામાં એક માતાની મૂર્તિ નીચેનો જે શિલાલેખ છપાઈ ગયો છે તેની સાલ સંવત ૮૦૨ની છે. તેમાં છઠ્ઠીનો ‘ની’ પ્રત્યય, ‘અણહિલવાડઈ’ (વાડે) ‘પાટણિ’ (પાટણે) એવાં રૂપ છે. એક તામ્રલેખ સં. ૧૧૫૬નો હળવદ ગામ બ્રાહ્મણોને મહારાજ સિદ્ધરાજે ઇનામ આપ્યું તે સમયનો મેં ‘વસંત’માં છપાવ્યો છે, તેથી તે અહીં આપતો નથી. (ભાષા આધુનિક હોવાથી તેના ખરાપણા વિષે શંકા લેવાય, પણ તેને આધારે પેશવા અને મુસલમાન સૂબાઓએ ફરીથી પટ્ટા કરી આપ્યા છે, તેથી તે પૂર્વે ઘણાં વર્ષ પર તે થયો હશે, એમ તો ધારી શકાય.) વળી હળવદ વગેરે ઘણાં ગામ સિદ્ધરાજે દાનમાં આપેલાં એવી હકીકત સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસમાંથી પણ નીકળી આવે છે. સંવત ૧૧૯૨નો એક શિલાલેખ વઢવાણ પાસે ભોગાવા નદીની રેતીમાં દાટાવા આવ્યો છે, તેમાં संवत ११९२ श्रावण वदि ११ बुधि श्री जयसिंह राजि कुमर वाहड इटा ।। એમ લખેલું છે. ભાવનગર તાબે રાજુલાની આથમણી બાજુએ કુંભનાથમાં શિલાલેખ ગુજરાતી લિપિમાં બોડિયા અક્ષરનો છે તેઃ સંવત ૧૨૦૧ ન મહ સુદ ૩ શ્રી. કમનથ જત દરૂ ચવડા નગ ભટ અખદા વઉસે જામન વાઘ ૩૦૦) માદેવન જાલ કરશનરે મહા રશેય દર કલઅ થાશે. મારા મિત્ર રા.રા. કુડાલકરે એક પુસ્તકની પ્રતના છેલ્લા પૃષ્ઠે લખેલું મને પૂરું પાડ્યું તે આ પ્રમાણેઃ संवत १३६३ रत्नादेवीये मुल्ये ल्येइ साघुने ओरावी. સદર લેખો નવમી સદીની શરૂઆતથી ચૌદમી સદીના મધ્યભાગ ઉપરાંતની કડીવાર સાંકળ ખડી કરે છે; અને તેમાં ભાષા અપભ્રંશ જેવી કે ૧૫મા સૈકાને મળતી નથી. વળી પંદરમા શતકના ગ્રંથોમાં સમારિસું, પેખી, દેવી, સોહામણું, (‘ત્રિભુવનદીપકપ્રબંધ’ સં. ૧૪૬૦) અને નમીએ, રચિલું રળિયામણું, જાણીએ, વખાણીએ (‘દર્શાર્ણભદ્રરાસ’ સં. ૧૪૮૬) એવાં રૂપો છે; તેવાં તે સમયના બીજા ગ્રંથોમાં ભાગ્યે જ દેખા દે છે.

રા.રા. કુડાલકરે લીમડીના એક બ્રાહ્મણ પાસેથી મળી આવેલો એક ગુટકો મને મોકલી આપ્યો, તેમાં બ્રાહ્મણધર્મી ગોવર્દ્ધનકૃત ‘ગરુડપુરાણ’ સંવત ૧૩૨૪ની સાલનું બાળબોધ અક્ષરે લખેલું છે. લખ્યા સાલ સં. ૧૮૬૫ની છે. ‘ગરુડપુરાણ’ની ભાષા અપભ્રંશ કે તે વખતના જૈનગ્રંથોના જેવી નથી; જુઓ નમૂનોઃ

एवी कृष्ण बोल्या वाण्य ।। पुरु कीधुं गरुड पुराण ।।
संवत तेर ने चोवीसे (સ હશે) ।। जम कायामां शिरोमण शीश ।।
पुराण मध्ये शीरोमण सार ।। जे मुखे कविये देर मोरारय ।।
गोवर्द्धन कथानो कवी ।। संवश्य रहतो त्यां वैभवी ।।
रसवट राखो हरीशुं रीझ ।। जेवे मोस (માસ હશે) अजुवाली बीज ।।

આથી ઊલટું ‘સદયવત્સવીરચરિત્ર’ (સંદેવંતસાવલિંગાનું જૂનું કાવ્ય) બ્રાહ્મણધર્મી ભીમે સોળમા શતકના આરંભમાં રચ્યાનું રા. દલાલ જણાવે છે, તેની ભાષા સમકાલીન જૈન અને જૈનેતર ગ્રંથકારોની ભાષાથી જુદી પડે છે, એટલે તે અંતિમ અપભ્રંશ નહિ પણ પ્રાકૃત ને જૂની ગુજરાતી બતાવે છે. જુઓઃ

माइ महा माइ मझे बावन वन्नस्स जो सारो ।
सो बिंदु ओक्कारो ओंकारेण नमोक्कारो ।।१।।
जिणइ रचीय निगम आगम पुराण सर अक्खराण वित्थारो ।
सा बह्माणी वाणी पय पणमविसु पयमग्गोसु ।।
उज्जेणी अवणि वाणि मझ्झे नयरी नयरसयल सिंगारो ।।
तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।।

આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે. સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી [11] અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ આसो रे मुझ આज फली मन આसा । सरसति । ऋषमादे (પડી માત્રા) व नमि कीधो । पुण्य प्रसंसा रासो रे । मुझ पोहोती मननि આसो।। આचसी ।। मेर मही । तब લગ રइहइज्यो रासो रे ।। मु ।। सुणी सांभલી जे नर चेत्या । છુटा भवनो पासो । रीषभ कहई ए रास सुणंता । અनत सुष મ્હા वासोर (रे) मुज पोहोती मननी આसो ।। ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ) ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ

ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।।


दूहा


नादई तूसइ देवता । धर्मनादथी धारी ।।
सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।।
नादक पकडावइ सरप । रहइ रोतउ लघु बाल ।।
शिर आपइ मृग नादथी । एहवउ नाद रसाल ।।

આ બે છેલ્લી કવિતા ઉપરથી શું સમજવું? ઋષભદાસની ૧૭મા શતકની ગુજરાતી કે જિનહર્ષની અઢારમા શતકની જૂની જૈન ઢબની ગુજરાતી, કે તે અંતિમ અપભ્રંશ છેક અઢારમા શતક સુધી જઈ લાગી છે એમ ગણવું? વળી અહીં સંવત ૧૭૪૬નો મહોરછાપ વાળો ફારસી સાથેનો ગુજરાતી લેખ અસલ પ્રમાણે જિનહર્ષની ભાષા સાથે તથા હાલ ચાલતી ભાષા સાથે સરખાવવા માટે આપું છું. ‘શ્રી દીવાન પ્રગણે મહમદનગર અરક હલવદ જગીરખાંન શ્રી. આદેશાત કશબે મેહેમદનગરનાં બ્રાહ્મણ સમસ્ત જોગ જત તમારા પસાયતા ધરતી જે પહેલાં હતી તે પોતાની ખાતર જમે રાખી ખેડજો. તેનો ગવતની હકીકત વગત સંવત ૧૭૪૬ ચૈત્ર સુદ ૩ સોમે.’ ઋષભદાસના સમયમાં ખંભાતના કવિ શિવદાસે ‘હંસાચારખંડી’ નામની વાર્તા કવિતાબદ્ધ રચી છે. તેની ભાષા શામળભટની વાર્તાઓ સાથે લગભગ મળી રહે છે. એ વાર્તા ‘સાહિત્ય’ માસિકમાં હું છપાવું છું, તેથી તેમાંના નમૂના આપવાની જરૂર નથી. આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.

જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.



રાગ ધનાશ્રી

મદન મહેતો મન વિચારો ।। પરહસ્તે જશે વાતજી ।।
નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧

મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।
પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨

છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।
શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।

પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।
મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪

એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।
લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।

વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।
અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬

એજ રીતે સુશિક્ષિત લહિયાઓને હાથે લખાયેલાં પુસ્તકો, જેવાં કે દયારામભાઈની હયાતીમાં તેમના મોટેરા શિષ્ય ઘેલાભાઈ અમીનનાં ઉતારેલાં કામ લાગશે એવું મારું માનવું છે. જૂની ગુજરાતીમાં ઘણું ખરું પદ્યસાહિત્ય છે. અને ગદ્યસાહિત્ય નહિ જેવું છે, એમ મનાતું આવ્યું છે, પણ રા. દલાલ જણાવે છે કે “ગુજરાતી ગદ્યના નમૂના પણ ભંડારોમાંથી ઘણા મળી આવે છે. ૬૫૦ વર્ષ પહેલાં આપણી ભાષાનું ગદ્ય કેવું હતું, તે તાડપત્રના પુસ્તકોમાંથી બરાબરા જણાઈ આવે છે. ૧૬મા તથા ૧૭મા શતકના ગદ્યના નમુના તો ઘણા છે.” એ પછી સંવત ૧૩૩૦થી માંડીને તે નમૂના આપે છે. ગઈ સાહિત્ય પરિષદમાં તેમનો નિબંધ વંચાએલો તથા તે પછી પ્રસિદ્ધ થયેલો હોવાથી પુનરાવૃત્તિ ન કરતાં એટલું કહું છું કે સં. ૧૪૪૯માં લખાએલા ગણિતસારના નમૂનામાં ‘ઉ’ જૂદો ન લખતાં તેનું ચિહ્ન પાછલા વ્યંજનમાં મેળવી દીધું છે, અને તે ‘ઓ’ દર્શક છે, પણ ‘ઇ’ ‘ઇં’ જુદી લખી છે. વળી જેમાં નીપજાવિઉ, તસુ, કરીઉ, કિહિ, જાણિવા તણઈ (તણે), અર્થિ (અર્થે, ઈ, જુદી નહિ) એવા પ્રયોગ છે. આ સિવાય ઔક્તિકો ને ટબ્બામાં ગદ્યનો ઉપયોગ થયો છે. વળી બ્રાહ્મણધર્મીઓએ વૈદ્યકના ઉતારા ને ગીતાના અર્થ ગદ્યમાં આપેલા મળી આવે છે. મારી પાસે ૧૮મા શતકનો ગીતાના ભાષાંતરનો લેખી ગ્રંથ છે. અખાએ ગુરુશિષ્ય-સંવાદ ગદ્યમાં પણ લખ્યો કહેવાય છે. પ્રેમાનંદસુત વલ્લભે ગદ્યપદ્યસંવાદાખ્યાન નામનો અલંકારનો ગ્રંથ લખેલો છે. સ્વામીનારાયણ પંથના શુકાનંદે ગદ્યમાં લખેલ જણાય છે. દયારામે “શ્રી હરિહરાદિ-સ્વરૂપ-તારતમ્ય” નામક ગદ્યમાં લખેલા ગ્રંથમાંથી રા. નારાયણદાસે નીચે પ્રમાણે ઉતારો મોકલી આપ્યો છે. “શ્રી હરિ તો સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, અવિસ્મય છે, સ્વયંભૂ છે, અનાદિ છે. સર્વના કર્તા મૂળપુરુષ છે. સર્વના શાસ્તા છે. માયાકાળાતીત છે. આદિપૂજ્ય છે. સર્વપૂજ્ય છે. સર્વને શરણ આપવા યોગ્ય છે. અનંતકોટિ બ્રહ્માંડના નાયક છે. અદ્વિતીય છે. સર્વના સ્વામી છે. સર્વના દુઃખભયભંજન છે. સ્વયંપ્રકાશ છે. નિર્ભય છે. અદ્ભુત છે. જેની માયાએ સર્વ મોહ પમાડ્યું છે. તે સર્વ વસ્તુ કીધી છે. તે માયાના કર્તા પોતે છે. ઇત્યાદિ અનેક લક્ષણના ભરેલા શ્રી. હરિ છે. એ જે કહ્યાં તે લક્ષણ શ્રી. કૃષ્ણ રાધિકારમણ વિના શેષ શિવાદિકમાં નથી. ત્યારે બરોબર શી રીતે કહેવાય. તે જુઓ કે શ્રીહરિએ ધ્રુવાદિકને, વરદાન આપ્યાં છે, તે સદા સર્વદા નિત્ય છે. કોઈ થકી ભંજાય નહી, કોઈ થકી ઉચ્છેદ થાય નહી, ને શિવજીનાં વરદાન આપ્યાં સદા રહેતાં નથી તે જુઓ કે રાવણને બાણાસુરને, ત્રિપુરાસુરને, ભસ્માંગદાદિકને આપ્યાં તે.” સૌથી અગત્યનું ને ચઢિયાતું ગદ્ય સાહિત્ય તો મહાકવિ પ્રેમાનંદનાં નાટકો જ પૂરું પાડે છે. પ્રાચીન સાહિત્ય પ્રસિદ્ધ કરવાની પહેલ અમદાવાદવાળા બાજીભાઈ અમીચંદે કરીને સામળભટ્ટની વાર્ત્તાઓ અને પ્રેમાનંદના નાનાં આખ્યાનો શિલાછાપની છાપ્યા. તે પછી દલપતરામે ‘કાવ્યદોહન’ અને નર્મદાશંકરે ‘દશમસ્કંધ’ તથા દયારામે ‘પદસંગ્રહ’ બહાર પાડ્યાં. મારા તરફથી પ્રથમ નાનાં પુસ્તકો છપાયાં પછી પ્રાચીન ‘કાવ્ય ત્રિમાસિક’ અને છેવટે દિ.બા.મણિભાઈના પ્રયાસથી તથા શ્રીમંત મહારાજા સાહેબ ગાયકવાડના ઉદાર આશ્રય વડે ‘પ્રાચીન કાવ્યમાળા’ના ૩૫ ભાગ પ્રસિદ્ધ થયા. એ અરસામાં સદ્ગત ઇચ્છારામ દેસાઈએ ‘બૃહત્કાવ્યદોહન’ શરૂ કરીને તેના આઠ ભાગ છપાવ્યા. એ સિવાય કેટલાક છૂટક ગ્રંથ પણ પ્રકટ થયા. પરંતુ હવે એ કામ મંદ પડવા જેવું થયું છે. હાલ સુધીમાં જે કંઈ બ્રાહ્મણ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તે માત્ર નિસરણીનું પહેલું પગથિયું ચઢવા બરોબર છે. એકલું ‘મહાભારત’ ચાર કવિઓ વિષ્ણુદાસ, નાકર, પ્રેમાનંદ અને રત્નેશ્વરે રચ્યું છે, તેમ તેનાં છૂટાં પર્વ કેટલાક બીજા કવિઓએ લખેલાં છે. એક ‘મહાભારત’ ૫૦-૬૦ પુસ્તકોનું પૂર થાય. આખું ‘ભાગવત’ પ્રેમાનંદે ને રત્નેશ્વરે રચેલું છે. ભાલણના ને પ્રેમાનંદના મુકાબલા માટે લક્ષ્મીદાસ અને પરમાણંદ (દિવાના)ના ‘દશમસ્કંધ’ છપાવા બાકી છે. એકલા પ્રેમાનંદની જ કૃતિઓ લઈએ તો ‘મહાભારત’ સિવાય તેનાં સાત નાટકો ‘રઘુવંશ’, ‘કર્ણચરિત્ર મહાકાવ્ય’, ‘ભીષ્મ ચંપૂ’, ‘જયદેવાખ્યાન’, ‘વલ્લભાખ્યાન’, ‘વલ્લભઝઘડો’, ‘શુકજનકસંવાદ’, વગેરે બાકીમાં છે. તેમ તેનાં પુત્રનાં નવરસનાં સ્વતંત્ર પુસ્તકોમાંનાં સાત, ‘ગદ્યપદ્ય સંવાદ આખ્યાન’, ‘છંદમાળા’ (પિંગળ), ‘પ્રેમાનંદ કથા’, ‘દ્રૌપદીહરણની ટીકા’, ‘મિત્રધર્માખ્યાન’, ‘પ્રેમાનંદપ્રંશસા’, ‘પ્રેમાનંદનિંદા’, ‘આત્મસ્તુત્યાખ્યાન’, વગેરે ગ્રંથ લખનાર કવિઓ – દયારામ [12], ભોજો, નાકર, પ્રીતમ, સામળ, ભગવાન (બે), નરસિંહ મહેતા, મનોહરદાસ [13], ભાલણ, વગેરેનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં નથી. બીજા છૂટક કવિઓ જે જાણવામાં આવ્યા છે, તેમની સંખ્યા લગભગ ૫૦૦ (તેમાં સ્ત્રી કવિઓ)ની થાય છે. શ્રી. સ્વામીનારાયણ પંથનાં, શ્રી. વલ્લભસંપ્રદાયનાં અને બીજાં પંથોનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થવા પામ્યાં નથી. શોધખોળ કરવાથી ન જાણીતું પુષ્કળ પ્રાચીન સાહિત્ય હાથ લાગે એમ છે.

નવું સાહિત્ય

નવું સાહિત્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે નવા સાહિત્યની ઉત્પત્તિ અંગ્રેજી ઢબની કેળવણી શરૂ થયા પછી થઈ, અને વર્તમાનપત્રો, માસિકો, નિબંધો, નવલકથાઓ, પાઠ્ય પુસ્તકો અને બીજા ઉપયોગી ગ્રંથો ગદ્યમાં લખાવા લાગ્યા. છેલ્લાં બે શતકની જૂના સાહિત્યની ભાષા શરૂઆતના નવા સાહિત્યમાં બહુધા વપરાઈ છે. દલપતરામ, વ્રજલાલ શાસ્ત્રી, રણછોડભાઈ ગિરધરભાઈ, મોહનલાલ, પ્રાણલાલ, ભોગીલાલ નંદશંકર, મહીપતરામ, વગેરે સાદી ને સરળ ગુજરાતી વાપરનારા હતા. સંસ્કૃત શબ્દોનો બહુ વાપર કરવાનું કે તદ્ભવ શબ્દો સુધારવાનું વલણ તે વખતે થયું નહોતું. ગ્રામ્ય અને પ્રાંતિક ભેદની મારામારી ચાલતી નહોતી, અને જોડણી પણ લોકભાષાને અને જૂનાં સાહિત્યને અનુસરીને સાદી રીતે કરવામાં આવતી. દલપતરામ અને વ્રજલાલ શાસ્ત્રી ગદ્ય પણ સાદી ભાષામાં લખતા. ભાષાંતરો ને અનુવાદો એવી સરળ ભાષામાં થતાં કે તે સાધારણ ભણેલા પણ સમજી શકે; દાખલા તરીકે ‘બાળમિત્ર’, ‘શાળોપયોગી નીતિગ્રંથ’, ‘હિંદુસ્તાનનો ઇતિહાસ’, ‘ચરિત્રનિરૂપણ’ (તેના એક લેખક પારસી ગૃહસ્થ હતા), ‘યંત્રશાસ્ત્ર’, ‘ત્રિકોણમિતિ’, વગેરે ગ્રંથો મોજૂદ છે. એ પછી મી.ટી.સી. હોપ સાહેબના પ્રમુખપણા નીચે વાંચનમાળા વગેરે પાઠ્ય પુસ્તકો રચાયાં, તેમાં પણ સાદી ને સરળ ભાષા વપરાઈ અને શબ્દોની જોડણી મુકરર થઈ. રણછોડભાઈના નાટકો, ‘કરણઘેલો’, ‘ભટનું ભોપાળું’ એમની ભાષા ડોળઘાલુ નહોતી. નર્મદનાં ગદ્યપદ્યનાં પુસ્તકો એ ઉત્તમ ગુજરાતીના નમૂના છે. મહીપતરામે ઘણાં પુસ્તકો સાદી ભાષામાં લખ્યાં છે. કરસનદાસની ભાષા સાદી પણ મુબંઈગરીના ભેગવાળી છે. ‘બુદ્ધિપ્રકાશ’, ‘ધર્મપ્રકાશ’ અને ‘બુદ્ધિવર્ધક’ માસિકો ને વર્તમાનપત્રો શુદ્ધ ભાષામાં લખાતા નહોતાં, પરંતુ તેમની ભાષા આડંબર વગરની હતી. નવલરામ અને નર્મદાશંકરની ભાષામાં પાછળથી થોડા સંસ્કૃત શબ્દો ઉમેરાયા. છેલ્લા જમાનાથી એટલે આશરે ત્રીશેક વર્ષથી ભાષાનું વલણ બદલાવા લાગ્યું. જ્યારથી મહાપાઠશાળાઓમાં સંસ્કૃત દાખલ થયું ત્યારથી તે ભાષાના વિદ્વાનોની સંખ્યા વધતી ગઈ, તેની સાથે ગુજરાતીમાં સંસ્કૃત શબ્દો ઉમેરવાનું ને તદ્ભવ શબ્દોને શુદ્ધ કરવાનું કામ વધી પડ્યું. એ પવન બંગાળાથી અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યો. બંગાળી ને મરાઠી મૂળની ભાષા ગુજરાતી જેવી જ સાદી હતી; પણ જ્યારથી સંસ્કૃત પંડિતો લેખક થયા, ત્યારથી તેમણે ભાષા સંસ્કૃતમય કે સંસ્કારી કરી નાખી. જરૂર પડે ત્યાં સંસ્કૃત કે યાવની શબ્દો વાપરવા વિષે કોઈ સમજુ માણસ વાંધો લઈ ન શકે; પરંતુ જાણીબુઝીને પોતાની પંડિતાઈ બતાવવા સારુ કે માતૃભાષાના અપૂર્ણ જ્ઞાનને લીધે કિંવા શબ્દભંડોળ વધારી દેવાની ખાતર, યા ભાષાને સંસ્કારી કરવાના હેતુથી જ્યાં ને ત્યાં ભાષાના શબ્દો હોય તે છતાં તેમને ઠેકાણે સંસ્કૃત નવા શબ્દો મૂકવા, કે તદ્ભવો સુધારી નાખવા, એ બરોબર નથી. સાક્ષરવર્ગને માટે કે તેમાં રસ લેનારા માટે વિદ્વાનો સંસ્કૃમય ભાષામાં થોડું સાહિત્ય પેદા કરે તે ઇષ્ટ છે; કેમ કે ભાષામાં જુદી જુદી શૈલીનાં સાહિત્ય હોવાં જોઈએ. ગહન વિષય લખવામાં સંસ્કૃત આદિના શબ્દોની જરૂર પડે એ વાત જુદી છે. પરદેશી નવા વિચારો – ભાવનાઓ – કલ્પનાઓ દર્શાવવામાં પણ તેમ કરવું પડે; પરંતુ એક સંસ્કૃત ‘રસસાર’ નામના ગ્રંથ વિષે પ્રો. રોય જણાવે છે, કે “આ ગ્રંથમાં ન સમજાય એવા પારિભાષિક શબ્દો મળી આવે છે. વસ્તુની ગંભીરતા દેખાડવાને આ રીત યુરોપ તેમજ હિંદુસ્તાનમાં પ્રચલિત હતી.” એવી રીત લેખકે ગ્રહણ કરવી ન જોઈએ. સંસ્કૃતમય શૈલી જનસમૂહને કામ ન લાગે. સાહિત્ય સર્વત્ર અને સર્વ લોકોમાં ચાલે, તો જ તેનો ખરો ઉપયોગ છે, અને તો જ દેશની ઉન્નતિ થવાની છે. આના સંબંધમાં વિદેશી અને દેશી વિદ્વાનો શું કહે છે તે જોઈએ. સાન્વય વ્યાકરણના કર્ત્તા મી. બીમ્સ લખે છે, કે “ભાષાશાસ્ત્ર વિષેની આજ સુધીની શોધો ઉપરથી એ સ્પષ્ટ છે, કે સર્વ ભાષાઓના વિકાસનું વિવર્ધન થાય છે, તે કઠોર ગૂંચવણ ભરેલાથી કુમળા ને સાદા રૂપમાં થાય છે. આ તત્ત્વ પ્રમાણે ગુજરાતી ભાષાને સંસ્કૃત પ્રાકૃત આદિ રૂપોમાં ફેરવવી એ અયોગ્ય છે એમ ઠરે છે.” બીમ્સ આગળ જતાં લખે છે કે અંતરવેધ (ગંગા જમના વચ્ચેનો પ્રદેશ), જ્યાં જુદા જુદા વિચારસૂચક સંસ્કૃત શબ્દો હયાત હતા, ત્યાં હમેશના ઉપયોગ વડે તે ધીમે ધીમે સાદુ રૂપ પકડતા ગયા, અને તે પ્રદેશની ભાષા – હિંદી – આ પ્રમાણે તદ્ભવ રૂપોમાં ગબ્બર થઈ. બ્રાહ્મણોની એક મોટી કલ્પના એવી છે, કે દેશી ભાષાઓને, દાખલા તરીકે બંગાળીને, શુદ્ધ કરવા ને સુધારવા માટે દરેક શબ્દને તેનાં સંસ્કૃત મૂળ રૂપમાં લઈ જવો, અને નદીને તેના મૂળ તરફ વહેવરાવવી. તેમને કમનસીબે પણ સકળ દુનિયાને સદ્ભાગ્યે બોલાતી ભાષા વિષે તેમ થઈ શકે એમ નથી; પણ તે કંઈક અંશે ગ્રંથોમાં – ખાસ કરીને શાળાઓમાં ચાલતાં પુસ્તકો, જે અંગ્રેજોએ લખાવ્યા હતાં તેમાં થઈ શક્યું. એ વિચાર એટલો પૂર્ણ રીતે પ્રચારમાં આવ્યો કે ખરા જૂના તદ્ભવોનો પુસ્તકમાંથી કેવળ બહિષ્કાર થયો, અને સંખ્યાબંધ તત્સમોને તેમની ઘોરોમાંથી ખોદી કાઢવામાં આવ્યા અને તેમનું પુનઃજીવન રોજના ઉપયોગમાં આવ્યું. બંને પ્રાંતોમાં પ્રજાની ભાષાને પુસ્તકોમાંથી દેશવટો આપ્યો, અને તે હવે લોકોના મોંમાં વાસ કરી રહી છે. મરાઠીમાં તત્સમ શબ્દોનું અધિકપણું સ્પષ્ટ જણાઈ આવે છે. એ ભાષા સર્વથી બેડોળ હતી, તેને ઉન્નત કરવા માટે સંસ્કૃત શબ્દોને સજીવ કરવાનો માર્ગ લેવાયો. મી. ગ્રિઅર્સન બંગાળી વિષે કહે છે કે “બોલવાની અને લખવાની ભાષામાં બહુ ફેર છે. સાહિત્યની ભાષામાં જેમ સંસ્કૃતનું ભરણું છે, તેમ તેના વ્યાકરણમાં પણ તફાવત છે. ગઈ સદીની શરૂઆતથી અંગ્રેજીની અસર નીચે સાહિત્યની ભાષા શરૂ થઈ, ત્યાં સુધી તળપદા કાવ્યસાહિત્યમાં બોલાતી ભાષા શુદ્ધ સ્વરૂપમાં વપરાતી. અંગ્રેજો આવ્યા પછી ગદ્યની જરૂર પડી, અને તે પૂરું પાડવાનું કામ સંસ્કૃત પંડિતોને હાથ આવ્યું. ઓગણીશમી સદીના પ્રથમ અર્ધ ભાગમાં ગદ્યભાષા ઉત્પન્ન થઈ તેનાં કરતાં વધારે કંટાળા ભરેલ – ભયંકર (‘મોન્સ્ટ્રસ’) ભાષા ધારવી મુશ્કેલ છે. ઉત્તમ વિષયોને ઉમદા વિચારોનાં પુસ્તકો લખાયાં, પણ તે એવી ભાષામાં કે જેમાંથી ખરા બંગાળી શબ્દો આશરે ૯૦ ટકા બાદ થયા અને તેમને ઠામે સંસ્કૃત શબ્દો એવા લેવાયા કે જેમના ઉચ્ચાર લખનાર પોતે પણ કરી ન શકે. પાછલા ૫૦ વર્ષમાં આ બેહદ સંસ્કૃત તત્ત્વ કમી કરવા યત્ન થાય છે. પણ તે ફતેહમંદ થતા નથી. આમ થવાથી ખાસ શીખવ્યા સિવાય બંગાળી બંગ સાહિત્ય સમજી શકતો નથી. બંગાળીઓ પુસ્તકની સંસ્કૃતમય ભાષાને સાધુ–ઊંચી ભાષા કહે છે; પણ તેમની ખરી ભાષાને જે વિશેષણ અપાય છે, તેનો અર્થ મધુર ભાષા થાય છે, તેને લખતી વખતે તજવામાં આવે છે. આ તો ‘ઇતિહાસ ફરી ફરીને કથન કરે છે’ તેનો એક દાખલો છે.” મરાઠી ભાષાના સંબંધમાં એ જ વિદ્વાન કહે છે કે “તેમાં લોકપ્રિય એવું પુષ્કળ સાહિત્ય છે. કવિઓ ખરી દેશી ભાષામાં લખતા, અને બહુ ભાગે તદ્ભવ શબ્દોનો ઉપયોગ કરતા. તેને પરિણામે હાલ પણ તેવા શબ્દોમાં તે ભાષા સઘન છે. મહારાષ્ટ્રી પંડિતોએ જો કે પાછલા વખતમાં તત્સમ શબ્દોનો ઉપયોગ કરીને ભાષા બુલંદ કરવાના યત્નમાં કેટલીક ફતેહ મેળવી છે, તથાપિ તે બંગાળીઓ જેવા પૂર્ણ રીતે ફાવ્યા નથી.” સન ૧૯૦૧ના વસ્તી પત્રકના વૃત્તાંત (‘રિપોર્ટ’)માં જણાવ્યું છે કે “ચાલુ બંગાળી પુસ્તકમાં ગણતરી કરતાં સેંકડે ૮૮ ટકા શુદ્ધ સંસ્કૃત શબ્દો માલમ પડે છે, તે જેમ જરૂરના નથી, તેમ તેમને ઠામે તળપદા શબ્દો મળી આવે છે. તેનું પરિણામ ઘણું જ શોકજનક આવ્યું છે, કેમ કે સંસ્કૃત ન જાણનાર તે સમજી શકતા નથી, એટલે લોકોનો મોટો સમૂહ એથી વિમુખ રહે છે. બીજી ભાષાઓમાં હિંદીને પણ એવો ચેપ લાગ્યો છે, કેમ કે તેનું મધ્યબિંદુ જે કાશી તે સંસ્કૃત વિદ્વાનોના હાથમાં છે. હિંદીનો શબ્દભંડાર અને વિચાર દર્શાવવાની શક્તિ અંગ્રેજી કરતાં ઊતરતી નથી, તો પણ હમણાંહમણાં એવું વલણ પકડાયું છે કે લાખો લોકોને વાંચવા માટે નહિ, પણ થોડા સાક્ષરોને પોતાની વિદ્વત્તા બતાવવા માટે ગ્રંથકાર પુસ્તક લખે છે.” ઈતલીના પ્રખ્યાત દેશભક્ત અને કવિ મેઝિનિના સાહિત્ય સંબંધે વિચારો “નવજીવન”માં પ્રસિદ્ધ થયા છે. તેમાં જણાવ્યું છે કે “સાહિત્યે પ્રજાજીવન ઉત્પન્ન કરવું હોય, તો દેશની રગેરગમાં તે વ્યાપી જવું જોઈએ, મજૂરોનાં ઘર સુધી અને ગામડિયાનાં ઝુંપડાં સુધી એણે પહોંચી જવું જોઈએ.” દશમા બંગાળી સાહિત્ય સંમેલનના પ્રમુખ શ્રીયુત આસુતોષ મુકરજી પોતાના અમૂલ્ય ભાષણમાં જણાવે છે કે “દેશના જનસમાજને જો ખરે રસ્તે ચડાવવો હોય, તેને મનુષ્યત્વ આપવું હોય, બંગાળી જાતિને એક મહાન જાતિમાં ફેરવી નાખવી હોય, તો જે વડે તેમના મનની સંપત્તિ ઉત્તરોત્તર વધતી રહે તેવો ઉપાય કરવો જ જોઈએ.” વળી તેઓ કહે છે કે “કેળવાયેલ તરીકે ઓળખતા મુઠ્ઠીભર બંગ-સંતાન પોતાના જ્ઞાનભંડારથી ગમે તેટલા વિભૂષિત હોય, તો પણ તેમની પાછળ અને ચારે બાજુ ફરતા જે આ કરોડો બંગાળીઓ છે, તેમને જ્યાં સુધી તેઓ પોતાની સાંનિધ્યમાં ખેંચી નહિ લાવે, ત્યાં સુધી બંગાળનો ખરેખરો અભ્યુદયે થવાનું માની શકાશે નહિ.” બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાઓ લખનાર બંકિમચંદ્ર ઊછરતા વિદ્વાનોને સાદી સરળ ભાષા વાપરવાનો બોધ કરે છે, અને જગતવિખ્યાત કવિ રબીંદ્રનાથ બાબુ ઘણી ખરી સાદી જ ભાષા વાપરે છે. આપણા સાક્ષરો એવું કેમ કરી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે બચપણમાં તેઓ ચોથા ધોરણ જેટલું ગુજરાતીનું જ્ઞાન મેળવીને અંગ્રેજી ભણવું શરૂ કરે છે; તેમને અંગ્રેજી જેવી અઘરી ભાષાની સાથે બીજી ભાષા ફ્રેંચ કે ફારસી (સહેલાઈને માટે) અથવા સંસ્કૃત લેવી પડે છે, તથા સર્વ જ્ઞાન અંગ્રેજી દ્વારા મેળવવું પડે છે. તેથી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાને તક જ મળતી નથી. ગુજરાતીમાં કંઈ લખવું હોય, ત્યારે પ્રથમ વિચાર તેઓ અંગ્રેજીમાં ગોઠવે છે અને પછી તેને ગુજરાતીમાં ઉતારવા જાય છે, ત્યારે ભાષાના શબ્દ નહિ જડવાથી તેઓ ફારસી, સંસ્કૃત કે વખતે અંગ્રેજી શબ્દો મૂકી દે છે. અંગ્રેજી ને ગુજરાતી છાપાં આવે તો તેઓ ગુજરાતી વાંચવાની ભાગ્યે જ દરકાર કરશે; પણ અંગ્રેજી છાપું ચિત્ત દઈને અથઇતિ વાંચી જશે. ગુજરાતી પુસ્તકો ખરીદવાની કે વાંચવાની તેઓ દરકાર કરતા નથી. તેમના ઘરની પુસ્તકશાળા (જો હોય તો તે)માં ગુજરાતી ગ્રંથો ક્વચિત જ જોવામાં આવશે. તેમને ગુજરાતી લેખ લખવા કહીએ, તો તેઓ કહેશે કે અમને ગુજરાતીમાં લખવું નહિ ફાવેઃ કહો તો અંગ્રેજીમાં લખી આપીએ. માતૃભાષાનો ઊંડો અભ્યાસ કર્યા વગર તેઓ તેમાં સારું લખી ન શકે એ દેખીતું છે. સન ૧૯૧૧ના વસ્તીપત્રક ઉપરથી જણાય છે કે દશ હજાર ઉપરાંત કસ્બાઓને શહેરોમાં લેખીએ તો પણ શહેરોની વસ્તી માત્ર ૭x૧/૩ થાય છે, અને તેમાં પણ નોકરીચાકરી અર્થે, મહેનત મજૂરી માટે કે અન્ય કારણે ગામડાંના લોકો આવી વસેલા હોય, તે બાદ કરીએ તો શહેરીઓની વસ્તી પાંચ ટકાથી પણ કમી થાય, અને નાગરિકોમાં પણ સુશિક્ષિતની સંખ્યા બે ટકાથી વધુ હોતી નથી. મતલબ કે ગામડાંના લોકોની વસ્તી સેંકડે ૯૨x૨/૩થી ૯૫ ટકા ગણાય, એટલે ૯૫ ટકા બોલનારની ભાષાની અવગણના કરવી એ યોગ્ય નથી. પુરવાસીઓને ગામડાની ભાષાનો પરિચય બહુ થોડો હોય છે. શબ્દોનો મોટો જથ્થો ગામડાંમાં વપરાય છે, પણ તેમને આપણા સાક્ષરો ગામડિયા કે ગ્રામ્ય ગણી હસી કાઢે છે, અથવા તળપદા શબ્દોની મજાક કરે છે, સ્થાનિક અને પ્રાંતિક શબ્દો માટે પણ અણગમો બતાવે છે. ગામડામાં જે બહુ અશુદ્ધ શબ્દો વપરાતા હોય તેને ભલે સુધારો કે છોડી દો; પણ એ વિષે ભાષાશાસ્ત્રી મી. બીમ્સ કહે છે કે “ગામડિયા બોલીમાં ભાષાનાં અધમ કે ભ્રષ્ટ રૂપો છે એમ માનવું તે ભૂલ છે. એવી બોલીઓ – શાખાઓ પ્રાચીન કાળથી ચાલી આવેલી બહુધા જણાય છે. તેમાંની એક સુધરે, તેમાં સાહિત્ય ઊપજે, કે બીજી ભાષાઓની મદદથી તે વિકાસ પામે; અને બીજીઓ તેમની મૂળ સ્થિતિમાં જ રહે; તથાપિ વિકાર પામ્યા છતાં ઘણીવાર શબ્દોનાં જૂનાં ને શુદ્ધ રૂપ જે ખેડાએલી બોલીએ છોડી દીધાં હોય, તે તેમણે જાળવી રાખ્યાં હોય છે. ભાષાની શાખાઓ–બોલીઓમાંથી ઘણું શીખવાનું મળે છે. શબ્દોનાં મૂળ અને વ્યાકરણપ્રયોગો શોધવામાં બોલીઓ ઉપયોગી થઈ પડે છે. દાખલા તરીકે ‘ભૂ’ (ભવામિ, ભવસિ, ભવતિ, ઇ.) ઉપરથી ‘હોના’ કેમ થયું. તે ભોજપુરીમાં ચાલતા ‘ભા’ ને ‘ભયા’ ઉપરથી શોધી કઢાય. કેટલીકવાર ભાષાની સ્થાનિક ખાસિયતો તેમાંથી મળી આવે છે, અને જણાવે છે કે “હિંદી જેમ સ્થાનિક શબ્દોના ભરણા માટે જાણીતી છે, તેમ પંજાબી, બંગાળી, મરાઠી ને ગુજરાતી પણ છે. સ્થાનિક શબ્દોનો સંગ્રહ કરવામાં આવે તો ભાષાનો કોશ ઘણો સઘન થશે. એવા શબ્દોની ખાસ ખૂબી એ છે કે તે ઘણું કરીને તેમનાં જૂનાં રૂપ બતાવે છે. હાલની ભાષાઓનું મૂળ ખોળી કાઢવાનું કામ સંતોષકારક રીતે પાર પાડવું હોય, તથા જો સંસ્કૃત અને આજની ભાષાના વચલા વખત ઉપર જે અંધકાર-પિછોડી છવાઈ રહી છે, તે દૂર કરવી હોય, તો ગામડાની બોલીઓ દ્વારા થઈ શકશે, એવી મારી ખાતરી છે. ઘણીવાર હલકા વર્ગોના મોંમાંથી નીકળતાં તુચ્છકારવા જેવાં વચનોથી અણધાર્યા તેમ અતિકઠિન પ્રકારના પ્રશ્નો (‘પ્રોબ્લેમ્સ’)નો નિકાલ થઈ જશે.”

વિદ્વાનો ગામડાના કે પ્રાંતિક શબ્દોને ભ્રષ્ટ ગણે છે; પરંતુ આધુનિક સર્વ આર્ય ભાષાઓ એક રીતે ભ્રષ્ટ જ છે. તેઓ પ્રાકૃતમાંથી અપભ્રંશ દ્વારા ઊતરી આવી છે. તેમાં ચાલતા શબ્દોને ભ્રષ્ટ કહેવા કરતાં કોમળ ને મધુર કહેવા જોઈએ. એમ છતાં જે અતિભ્રષ્ટ હોય, તેમાં થોડો સુધારો કરીને પણ તે વાપરવા જોઈએ. સેંકડો ને હજારો શબ્દો સુધાર્યા વગર ચાલી શકે એમ છે. જો સ્થાનિક ને પ્રાંતિક શબ્દો બીજા શબ્દો સાથે ભેગા કરવામાં આવે, તો ગુજરાતી કોશ એક લાખ કરતાં પણ વધારે શબ્દોનો થાય, એવો મારો અડસટ્ટો છે. જેને અતિભ્રષ્ટ ગણવામાં આવે, તે પણ ભાષાશાસ્ત્રીઓને કામના થઈ પડે છે. દાખલા તરીકે ગામડામાં બાળકોને બિવડાવી છાનાં રાખવા કહે છે કે ‘ઓ પેલા મણમઠિયાને બોલાવું કે?’ મણમઠિયો તે મન્મથનો અપભ્રંશ છે. દરો જમવાનું નોતરું આપતાં ‘અંગહનું કહું છું’ એમ બૈરાં બોલે છે. અંગહ તે અન્નગ્રસ (અન્ન=કાચું ધાન્ય–કૂલર વગેરે+ગ્રસ=ખાવું) ઉપરથી થાય છે. બેસતા વર્ષના દિવસને ઝાલ (ઝાર) પટોળાં કહેવામાં આવે છે. તે જુહાર પ્રતિપદા બતાવે છે. ‘પેલા ફળિયામાં ઝાવસોઈ મચી છે, ને પેલી પોળમાં આહીદોષ ચાલે છે.’ એ બંને શબ્દોનું મૂળ મોહોરમમાં વપરાતો યાહુસેન શબ્દ છે. (કદાચ અહીસોનું મૂળ પણ તેમ હશે.) નવાઈ સરખું તો એ છે કે અંગ્રેજ સિપાઈઓ (‘સોલજરો’) એ હુસેન-હોસેન શબ્દો સાંભળીને હોબસનજોબસન મોહોરમ તહેવારોને લગાડી દીધા. શબ્દ જેમ ભ્રષ્ટ કે વિકારી થાય છે, તેમ તેના અર્થમાં ફેર પડે છે, એટલે કેટલીક વાર તે ચઢતો ને ઘણીવાર ઊતરતો અર્થ બતાવે છે. કોઈ રજપૂતને ટેડાને બદલે તિર્યક્ કહીએ, કે બંકા-બાંકાને બદલે વક્ર કહીએ તો તે ગુસ્સે થઈ જશે. એ જ રીતે ખતરી – ખાતરીને ઠામે ક્ષત્રિય કે રાણા – રણાને ઠેકાણે રાજા વાપરીએ તે ચાલે નહિ. ગોરને ગરોડો; વિકારવુંને વકારવું, ભટ્ટ, ભટ ને ભાટ; પંડિત ને પંડ્યા; સ્નાન, સનાન, નહાવણ ને નાહ (નાસ), એ સમાનાર્થે વપરાતા નથી. પ્રાંતફેર શબ્દો લઈએ તો એક વસ્તુ માટે અનેક શબ્દો મળી આવે છે. દાખલા તરકે થોડા તાવને તપત, ધખણી (ઉત્તર ગુજરાતમાં), ધીકડી, બળાગર કહે છે. સ્ત્રીઓ ઓવારણાં ઉતારે છે તેને વારણાં, વારીજાઉં, બલા લઉં, હંમર (ઉ.ગુ.) કહે છે, કાછિયાને ઉ.ગુ.માં ખંભાર, ઢાકડો, ધાકડો, પસ્તાગિયો, અગરિયો કહે છે. કપડાં શીવનારને દરજી, સુઈ (સઈ), મેરાઈ, ગાંભુ, ચુકણ (ઉ.ગુ.); શેરડીના ચૂસવા લાયક કડકાને ગંડેરી (સુ) ગબવા–ગબુવા–(મધ્ય ગુ.) માદળિયો (કાઠી.) અને પીતાં–પૈતાં (ઉ.ગુ.); પૈસાને સવાકો-દોઢિયું (સુ), જંઈ, જનાદી, જનાવાદી (મધ્ય ગુ.) અને કાવડિયું (કાઠી); એ સર્વ એક અર્થે ચાલે છે. વળી બચ્ચી, ચૂમી, બોકી, બોસો, કોકા (ઉ.ગુ.) સમાનાર્થ છે. એક ઠેકાણે ઢગ એટલે બહુ, બીજે સ્થળે વાદળાં, ને ત્રીજી જગાએ બળદિયો કહેવાય છે. જાડી હલકી ડાંગરને સુરત તરફ કડો, પૂર્વ ને ઉત્તર ગુજરાતમાં વરી, મધ્ય ગુજરાતમાં સાઠી અને કાનમમાં ઢુંઢણી કહે છે. કેટલીક વાર એક પ્રાંતના શબ્દ ઉચ્ચારતાં બીજા પ્રાંતવાળાને હસવું આવે છે. મોટા વાંદરાને મેં બૂઢ (વૃદ્ધ ઉપરથી) કહ્યો તેથી સુરત જીલ્લાના સાંભળનાર હસી પડ્યા. સુરત તરફથી એક બાઈએ વડોદરા સ્ટેશને કહ્યું કે મારી છોકરી વીઆઈ છે, તેથી સાંભળનારા હસવા લાગ્યા. સારા ઘરની દીકરીને છોકરી કહેવા જતાં કાઠિયાવાડના લોકોને માઠું લાગે છે. સ્થાનિક અને પ્રાંતિક શબ્દોની સંખ્યા ઘણી મોટી છે, તેમાંથી થોડાક દાખલા નીચે આપું છું; એમાંના કોઈ શબ્દ બીજા પ્રાંતમાં પણ વપરાય છે.
ઉત્તર ગુજરાત અર્થ કાઠીઆવાડ અર્થ
કીચુડિયું હિંદોળો પારેઠ આખડી ગાય
ખોટ ઢેકું વરોલ વાંઝણી
જેદર ઘેટું સોડવું સડવા, હોહવા દેવું
ટૂંબો મહેણું રેઢું રવડતું
તીરથ ગધેડું હટાણા બજાર ખરીદી
તોલડ મૂર્ખ અભોલ ઠોઠ
પખાલ જુલાબ ડટ્ઠર બહેર મારી ગયેલ
પેંડાર ગોવાળિયો ગભુ છેક નાની
ભેંડો તડાકો ઉકરાટા કમકમી
મગદળિઓ ખોટી સાક્ષી ખીસર ઉતરાણ
પુરનાર
વહાવું ધોળપું ટબુડી ટોયલી
ફોકો રબારી ધડકી ગોદડી
રાયલી ગોદડી કાટલાં વસાણાના લાડુ
રાઘો ઘેલછાવાળો બજર તમાકુ
રેડો વાછડો ખીજડો સમડો


દક્ષિણ ગુજરાત અર્થ પૂર્વ ગુજરાત અર્થ
ઘરેડ ચીલો સઢો ખપરડાથી આંતરો
ભરી લેવો તે
ગાલ્લી નાની ગાડી કડા વાંસના ખપરડા
અથવા ૩૦ મણ
આંક ધરી ચોપાડ પરસાળ
પોરિયો છોકરો મનખ દાસી, ગોલી
કેથે કહીં વડારણ સદર
વીરભોણ વીરણ ભમરલાલ બાલ કુમાર
કાછો ઘરપાસેનો વાડો ઓઠણ નવાણ પાસે
ઢોર બેસવાની જગા
ફદિયું પૈસાથી હલકુ નાણું
ઝાંસવું નાખવું ઉસ નખોદ
ઉંબાડિયું ઉંધિયું બણગુ હીક, સણક
વાંકડો પહેરામણી ધોયરો ચંદન ઘો
સુપડાં આણું વળાવતાં ભામ ચામડાં માટે મરેલાં
કન્યાને આપે છે તે ઢોર લઈ જવાનું
કાસ
ખાંજણ છીછરી ખાડી ખાજરુ લગ્ન વેરો ખેડૂતો
પાસે
ભાત ડાંગર દાંતી ડુંગરી
થર ચૂડાનો તિરિયો સફેદ ચળકતો
પત્થર
છાપોર જમીન પર તરી
આવેલી પત્થરની
છાટ


મધ્ય ગુજરાત અર્થ મધ્ય ગુજરાત અર્થ
કંટવાં ચોથિઉં થોલ લાગ
ઝુલડી નાની અંગરખી વાલરુ વાલ, ચોળા, તુવેર
આંગલું વગેરેનું ભેગું વાવણુ
જેહુ-જેસુ ધૂળ નઘરોળ બેદરકાર
ધાબું મોટું કુલ્લું ચોબગળુ ચારચેણવાળી બંડી
તરછટ તદ્દન જગધું છોકરું
સરોતરી વાજબી કુચલમારી ફિસાદ
બરછટ કરકરું દરબલી નાની કોઠી

અંગ્રેજી શબ્દોના અર્થ આપતાં (કીડ) એટલે બકરીનું બચ્ચું, (લેમ્બ)–ઘેટાનું બચ્ચું, (કાઉહર્ડ)–ગાયનું ટોળું એવું મુંબઈના એક લખનારે છાપ્યું હતું; કેમ કે બકરીના બચ્ચાને લવારું ઘેટાના બચ્ચાને હલવાન, ગાયના ટોળાને ગોર, ધણ (કાઠિ.) કહે છે તે તેના જાણવામાં નહિ હોય. કાઠિયાવાડમાં બળદના ટોળાંને બાળદું અને ભેંસના ટોળાને ખાડું કહે છે. ઉત્તર ગુજરાતમાં ઊંટના બચ્ચાને બોતડો કહે છે. સંસ્કૃતમાં પોત (કરિપોત) એ હાથીના બચ્ચાનું અને હસ્તિક એ હાથીના ટોળાનું નામ છે. (પેરેપેટ વોલ)ને કાઠિયાવાડમાં હૈયારખી કહે છે, (હેમલેટ)ને (પૂ.ગુ.માં) મુઆંડું, (કેચમેંટ)ને આવણું, કાઠીઆવાડમાં (શોપિંગ)ને હટાણું, પૂ.ગુજરાતમાં (ર્ક્વોર્ટ્ઝ)ને તિરિયો, ટુવાલને અંગુછો-અંગલુછો (ચરોતર) તથા હજુરિયો (ચરોતર) કહે છે. ઊભા રહેવું, નાતરું કરવું એવા બે શબ્દને ઠામે ઊભવું, ઘરગવું એવા કાઠિયાવાડી એક શબ્દથી ચલવી લેવાય છે. પ્રાચીન કવિઓ ગામડાના ને પ્રાંતિક શબ્દો તથા રૂપો છૂટથી વાપરતા અને તે અદ્યપિ મૂળ રૂપે કે થોડા ફેરફાર સાથે ચાલે છે. દાખલા તરીકે પદ્મનાભ, ભીમ, શિવદાસ, મુનિશ્રી ગંગવિજયના ગ્રંથોમાંથી થોડાક નીચે આપું છું. ‘કાન્હડદે પ્રબંધ’ – પાહિ–પાહે (પાસે); રિખી–રિસી–રૂસી; સુધી–સીધી; પીઆરા–પરાયા; તિણી–તિણે–તેણે; કેથું–કેથે; પાતિગ–પાતક; સરૂપ–સ્વરૂપ; આજ–હજી; વખ્યાત–વિખ્યાત; માડિસી–માંડીશ; પઈસિ–પેશી. ‘ષોડશ કળા’ – ભેમ–ભીમ; વેનતિ–વિનતી; આક્ષાન–આખ્યાન; ચુથી–ચોથી; માગેસ–માગીશ; કરેશ–કરીશ. ‘હંસા ચારખંડી – સાબધી–સર્વ; કુણ–કોણ; પછે–પછી; દખી–દુઃખી: ભેભીત–ભયભીત; થાશું–થઈશું; કરતો–કરત; લાવિશ–લાવેશ; ગણેશ–ગણીશ. ‘કુસુમશ્રી રાસ’ – વેંટી–વીંટી; ખિણ–ક્ષણ; કિમ–કેમ; પરજા–પ્રજા; ઉપગાર–ઉપકાર; કહેસ–કહીશ; આંખ્યું–આંખો; વખારૂં–વખારો વળી ‘મુગ્ધાવબોધ ઔક્તિક’માં આપેલાં રૂપ, જેમાં લહિયાથી બગાડ થયો નથી, અને જે પંદરમા શતકના મધ્ય ભાગમાં વપરાતાં તેમાંનાં થોડાંક વિશેષ મુકાબલા માટે નીચે આપ્યાં છે.


પ્રાચીન રૂપ ગામડિયા રૂપ સં. મૂળ
તિહાં તિહાં તત્ર
જિહાં જીહાં યત્ર
કાલિ કલ્યે
ગિઈ ગીઈ ગત
અજી અજી-હજી અદ્યાપિ
દૂઉં હુઉં અસ્તુ-ભવતુ
ઓલિઉ આલ્યું અર્વાચીન
હવડાં હવડાં–અવણાં અધુના
માહરઉ માહરો મમ
ઊપિલું ઉપિલું-ઉફેરૂં ઉપરિતનં
અનેરઇ દીસિ અનેરે દીસે અન્યેદ્યુસ

કેટલીક વાર શહેરી કરતાં ગામડિયા શબ્દો વધારે શુદ્ધ હોય છે. જુઓ પિતૃષ્વસ ઉપરથી પ્રાકૃત પુપ્ફા ઉપરથી ફઈ, ફઈઅર (જૈન સાહિત્ય) ફુઓ, (હીંદીમાં ફુફી-ફફુ) ને શહેરીમાં ફોઈ. કુત્ર – કેત્થે (સુતર ભણી), ક્યાં–ક્યહાં (શહેરી), ભૂમિ–ભુંઈ, ભોં, ભોમ અને શહેરી ભોંય, કાઠિયાવાડ ચાંદલો ને આપણો ચાંલ્લો. આપણી ચકલી ને સુરતી ચલ્લીમાંથી કયો શબ્દ શુદ્ધ? વિદ્વાનો જો ટીકા કરવાને બદલે તળપદા ને પ્રાંતિક શબ્દોને પસંદ કરે, તો તેમનું અનુકરણ બીજાઓ જરૂર કરશે. એક સાક્ષરે પમરવું જેવો ભ્રષ્ટ શબ્દ વાપર્યો; કે તે બીજાઓએ ઝડપી લીધો. એ જ રીતે મહેકવું, મઘમઘવું, સોડવું, સોડમ, બોહડો જેવા શબ્દો પણ વાપરવામાં આવી શકે. બસેં ત્રણસેં વર્ષ થયાં પેટીપટારા સેવતો “અનેરો” શબ્દ એકે પસંદ કર્યો. તેને બીજાઓએ વધાવી લીધો. એવીજ રીતે મુદ્દા, હેલામાં, ઉધડકવું, ઉચલવું, પયાસ, આફણીએ આપોપું, લાછ, ક્યહું વગેરે પ્રાચીન કવિઓએ વાપરેલા શબ્દો ઉપયોગમાં લેવાય. સ્વ. ઝવેરીલાલે ‘ઉભે છે એલો’ પ્રયોગ શકુંતલા નાટકમાં પ્રથમ વાપર્યો ત્યારે તે વિષે ટીકા થઈ હતીઃ પણ તે વપરાશમાં આવતો થયો છે. એક વિદ્વાને પરકંબા શબ્દનો ઉપયોગ કર્યો, તે બીજાઓને નાપસંદ પડ્યો, પણ ગુજરાતીમાં તો પરકમ્મા (જૈન સાહિત્યમાં પણ) ને પરકંબા શબ્દો જ ચાલે છે. કોઈ પરિક્રમણ નથી કહેતું. એક સાક્ષરે “પાશેરામાં પહેલી પૂણી” એવી ઘરગથુ કે બૈરાંની કહેવત કામમાં લીધી, તો બીજાઓ આંટી ઉકેલવી કોકડું ઘૂંચાયું, પેટ બાળીને સાંચ્યું ને દીવો બાળીને કાંત્યું, પાયો ટેર્યો, ટાપશી પૂરી જેવી કહેવતોને ઉપયોગમાં લેશે. આમની સભામાં રાજકીય ભાષણ આપતાં એક વિદ્વાને આંટ ઉકેલવી (‘ટુ અન્રેવલ ધી સ્કીન’) એવી કહેવત વાપરી હતી. જોનસન અને મેકોલે જે લાતિન અને ગ્રીક શબ્દોનું ભરણું કરીને પ્રૌઢ કે સંસ્કારી ભાષા લખતા હતા, તેમના વારા વહી ગયા છે. હવે ભાષણો, લેખો ને પુસ્તકો સાદી ભાષામાં જ લખાય છે (જુઓ કેમ્બ્રિજનાં વિજ્ઞાન સંબંધી નવાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો). સ્વતંત્ર સંસ્થાનના નામાંકિત પ્રમુખ વિલ્સન રાજકીય જેવા કઠણ વિષયો બહુ સાદી ભાષામાં લખે છે. કોઈ વાર એમ કહેવામાં આવે છે કે સાદી ભાષા એ વિચારવાની સાદાઈ–ગરીબી બતાવે છે, તેની વિરુદ્ધ ઉપલાં દૃષ્ટાંત બસ થશે. સાદી ભાષાની તરફેણમાં મેં ઘણા ઉતારા આપ્યા છે, કેમ કે મારું દૃઢ મત એવું છે કે જનસમૂહના હિતને અર્થે સાહિત્યનો મોટો ભાગ એવી ભાષામાં હોવો જોઈએ. મારો હેતુ સાક્ષર વર્ગને ગેરઇનસાફ આપવાનો નથી. અંગ્રેજીમાં જે અર્થે ‘મેન ઓફ લેટર્સ’ વપરાય છે, તે જ અર્થે સાક્ષર શબ્દ વપરાય છે, અને તેનો અર્થ ભણેલા–વિદ્વાન એવો થાય છે; પછી ભલે તે સંસ્કૃત, અંગ્રેજી, ફારસી કે અન્ય ભાષાનો વિદ્વાન હોય. એમ છતાં હાલ ગુજરાતીમાં કેટલાક લોક સાક્ષર એટલે સંસ્કૃત જાણનાર વિદ્વાન એવો અર્થ કરીને તેમને નિંદે છે પણ ખરા; પરંતુ એ તેમની ભૂલ છે. સંસ્કૃત જાણનાર લેખકો ભાષાના ભૂષણ રૂપ છે. તેમને માટે હું ઊંચું મન અને ભારે માન ધરાવું છું. આજ સુધી તેમણે બજાવેલી સેવા પ્રશંસાપાત્ર છે. સ્વ. મનઃસુખરામ, ગોવર્ધરામ, મણિલાલ દ્વિવેદી, વગેરેએ સાહિત્યની ઉત્તમ સેવા બજાવી તેમ હાલના સાક્ષરો પણ માતૃભાષા પ્રત્યે પોતાનું કર્તવ્ય રૂડી રીતે બજાવી રહ્યા છે; કેટલાક સાક્ષરો સાદી ભાષામાં, કેટલાક વચલા વચલા વડની ભાષામાં અને કેટલાક સંસ્કારી ભાષામાં અમુક હેતુથી લખે છે. આ પરિષદની સ્થાપના અને અસ્તિત્વ આપણા સાક્ષરોને જ આભારી છે. સંસ્કારી ભાષા લખનાર પણ ધારે તો સાદી ભાષામાં લખી શકે, કેમ કે તેમણે ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરેલો હોય છે; અને તેથી જ તેમને મારી નમ્ર વિનંતી સાદી ભાષા તરફ પણ વલણ કરવા માટે છે. સંસ્કૃતમય અથવા પ્રૌઢ ભાષામાં પણ થોડા સાહિત્યની અગત્ય છે, એમ હું જણાવી ચૂક્યો છું.

જૈન સાહિત્ય

અપભ્રંશથી માંડીને જૂની ગુજરાતીમાં તથા નવી ગુજરાતીમાં જૈન સાહિત્ય વિશાળ છતાં તે ઉપર આજ સુધી ઘણું થોડું લક્ષ અપાયું છે. ગુજરાતીમાં ‘પ્રાચીન કાવ્યમાળા’, ‘બૃહત્ કાવ્યદોહન’ અને બીજાં પુષ્કળ પુસ્તકો પ્રસિદ્ધ થતા સુધી જૈન ભાઈઓ જાગૃતિમાં આવ્યા નહિ; પરંતુ હવે તેમની આંખો ઊઘડી છે. રાજકોટમાં ભરાયેલી પરિષદમાં રા. મનઃસુખ વિ. કીરતચંદ મહેતાએ જૈન સાહિત્ય વિષે વાંચેલા નિબંધ અને સુરતની પરિષદમાં વાંચેલો સ્વ. દલાલનો નિબંધ એ બંનેએ જૈન સાહિત્ય ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પ્રાચીન કાવ્યમાળામાં ‘શીલવતી રાસ’ છપાયા પછી કેટલાક છૂટા ગ્રંથ બહાર પડ્યા છે, પૈકી ‘જૈન કાવ્યદોહન’ પ્રથમ ભાગ રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાએ, ‘ઐતિહાસિક રાસમાળા’ (પ્રથમ પુષ્પ) અધ્યાત્મજ્ઞાનપ્રચારક મંડળીએ, ‘માધવાનળની કથા’ ‘સાહિત્ય’ માસિકે, ‘વિમળપ્રબંધ’ રા. મણીલાલ બકોરભાઈએ છપાવ્યા છે. વળી, શ્રી. ‘આનંદકાવ્યમહોદધિ’નાં મૌક્તિકો રા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ પ્રસિદ્ધ કરવા માંડ્યા છે. પરંતુ આ તો માત્ર ચંચૂપ્રવેશ ગણી શકાય. રા. મનઃસુખલાલે ‘જૈન રાસમાળા’ની પ્રથમ ટીપ છપાવી તેમાં ૩૬૩ પુસ્તકોનાં નામ આપેલાં છે, અને તે પછી તેની પુરવણી રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ સં. ૧૯૭૦માં પ્રગટ કરી, તેમાં બીજા ૨૭૮ ગ્રંથનાં નામ જાહેર થયાં છે. એ શિવાય હજી બીજા ઘણા ગ્રંથ જૈન ભંડારમાં ને અન્યત્ર પડી રહેલા છે. રા. મોહનલાલ જણાવે છે કે જૈન કાવ્યસામગ્રી એટલી બધી છે કે ગુજરાતી છાપખાનામાં પ્રગટ થયેલ ‘બૃહત્કાવ્યદોહન’ જેવા ઓછામાં ઓછા સો ભાગ સહજ પ્રગટ થઈ શકે એમ છે, કે જૈનોએ ગુર્જર સાહિત્ય ઓછું ખિલવ્યું નથી, બલ્કે જૈનેતર પ્રજા કરતાં પણ અનેકધા વિશેષ ખિલવ્યું છે. જૈનબંધુઓ સમૃદ્ધિવાન છે, તેથી આશા રાખવામાં આવે છે કે તેમના બાપદાદાઓએ રચેલા તથા ભંડારોમાં સાચવી રાખેલ ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કરવામાં તેઓ પાછી પાની કાઢશે નહિ. જૈન સાહિત્ય જેમ ભાષાનો ઇતિહાસ ને વિકાસ જાણવા માટે અગત્યનું છે, તેમ તેમાંના ઇતિહાસ, રાસા, પ્રબંધ, ચરિત્ર અતિ ઉપયોગી થઈ પડે એમ છે. વાર્તાઓમાં ‘વિક્રમચરિત્ર’, ‘વૈતાળપંચવીસી’, ‘નંદબત્રીશી’, ‘પંચદંડ’ અને ‘સિંહાસન બત્રીશી’નાં નામ જોતાં એમ લાગે છે કે કવિ સામળભટને આપઉઠાવથી ગ્રંથોનું વસ્તુ ઉત્પન્ન કરવાનું જે માન આપવામાં આવે છે તે યોગ્ય છે, કે તેમણે વસ્તુ જૈન ગ્રંથોમાંથી લીધાનો સંભવ છે? આમ જણાવીને સામળ સરખા પ્રથમ વર્ગના કવિની મહત્તા ઘટાડવાનો મારો હેતુ નથી. એમ તો જૈન કવિઓ – સમયસુંદર, મેઘરાજ, ઋષિવર્દ્ધન અને હર્ષરત્ને ‘નળદમયંતી રાસ’ રચ્યા છે. તેથી કવિ ભાલણે અને પ્રેમાનંદે ‘નળાખ્યાન’ વસ્તુ સદર જૈન કવિઓનું લીધું હશે એવો તેમના પર આરોપ મૂકી શકાય; પરંતુ જૈન અને જૈનેતર કવિઓએ મૂળ વસ્તુ મહાભારતમાંથી લીધેલ જણાય છે. કેટલાક જૈનબંધુઓ નરસિંહ મહેતાને આદિ કવિ ગણવાની ના પાડે છે; કારણ કે મહેતાની પૂર્વે જૈન કવિઓ ઘણા થઈ ગયા છે. આદિ કવિ ગણવામાં જેમ કાળ મુખ્ય ભાગ લે છે, તેમ જેની કવિતા ઘેર ઘેર પ્રસરી ગઈ હોય, એટલે દેશમાં સર્વત્ર સામાન્ય થઈ ગઈ હોય તે આદિ પદને વધારે શોભે છે. વળી જૈન કવિઓની પેઠે જૈનેતર કવિઓ નરસિંહ મહેતા પૂર્વે થયા હતા એ વાતે અજવાળામાં આવતી જાય છે. જો જૈન બંધુઓની પેઠે બ્રાહ્મણધર્મીઓને રાજ્યાશ્રય મળ્યો હોત અને તેમણે ગ્રંથો સાચવી રાખવાની કાળજી રાખી હોત તો તેમના પણ ઘણા પ્રાચીન ગ્રંથો હયાતી ભોગવતા હોત. બ્રાહ્મણધર્મીઓના ગ્રંથભંડાર પ્રભાસપાટણ વગેરે સ્થળે હતા, તેમનો નાશ અલ્લાઉદ્દીન ખૂનીએ કર્યો હતો, એમ છતાં જૈન ધર્મીઓએ ગુજરાતી સાહિત્યની અનુપમ સેવા બજાવી છે એમાં શક નથી, અને તેને માટે સાહિત્યપ્રેમીઓ તેમને ધન્યવાદ હમેશ આપશે. ખેદકારક વાત એ છે કે ધર્માંધપણાથી દોરાઈને લોકો અન્ય ધર્મ કે પંથના પુસ્તકો ઉપર દૃષ્ટિપાત પણ કરતા નથી. સાહિત્યને ધર્મ સાથે સંબંધ રાખવાની જરૂર નથી, તેમ ધર્મના સંબંધ વગરના પુસ્તકો વાંચવાને તો બાધ પણ હોઈ ન શકે. જૈન બંધુઓમાં પંડિત બહેચરદાસ, પંડિત લાલન, રા. જીવણચંદ ઝવેરી, રા. ગોકુળદાસ, વગેરે વિદ્વાનો અને યોગનિષ્ટ શાસ્ત્રવિશારદ શ્રી. બુદ્ધિસાગરસૂરિ (જેમના બાવન ગ્રંથ બહાર પડી ચૂક્યા છે), પૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિ, વગેરે જૈનાચાર્યો પ્રાચીન અને અર્વાચીન સાહિત્યમાં ઘણો વધારો કરશે એવી આશા છે.

પારસી સાહિત્ય

પારસી લોકો પોતાનો દેશ છોડી સંજાણ આવ્યા, ત્યારે ત્યાંના રાજાની આજ્ઞાનુસાર પોતાની પેહલવી અને પાજંદ ભાષાનો ત્યાગ કરીને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને જે જે સમયે જેવી ગુજરાતી ચાલતી હતી, તે તે સમયે તેવી ગુજરાતી તેઓ વાપરતા ગયા. તેમનો સહવાસ શરૂઆતમાં હલકા તથા ગામડિયા લોકો સાથે વિશેષ હોવાથી તથા ગુજરાતી પોતાની મૂળની ભાષા ન હોવાથી તેઓ અશુદ્ધ ગુજરાતીનો ઉપયોગ કરે એ દેખીતું છે. મોબેદ નેર્યોસંગ ધવલ, જેઓ હજારેક વર્ષો ઉપર થઈ ગયા, તેમણે ‘ઇજસ્ને’ના એક ભાગનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું. તેની છેવટમાં સંસ્કૃત સાથે ગુજરાતી ભાષા ભેળવી છે તે કદાચ પાછળથી કોઈની કૃતિ હોય એવો શક રહે. તેથી તે વાત આપણે છોડી દઈશું. પરંતુ પારસી લેખકોએ સં. ૧૪૭૧માં ‘ખુર્દ અથસ્તાર્થ’, અને સં. ૧૫૦૭માં ‘અર્દાગ્વીરા’ તે વખતની ચાલતી ભાષામાં લખેલ છે, એવું રા. નરસિંહરાવે ‘વસંત’માં છપાવ્યું છે. સં. ૧૫૭૬નો રાણા સંગને વજીફો ભેટ કર્યાનો દસ્તાવેજ તથા દીવમાં રહેતા પારસીઓ ઉપર નવસારીથી લખાયેલો પત્ર એ બે મેં ‘વસંત’માં આપેલા છે. વળી સં. ૧૭૩૯ અને સં. ૧૭૪૬ના બે નમૂના રા. પાહલનજી દેસાઈએ પોતાના લેખમાં પ્રસિદ્ધ કર્યા છે તથા તેમણે આજથી ૨૩૩ અને ૨૨૮ વર્ષ પર રચાયેલા ‘સ્યાવકનામા’ તથા ‘જરતોસ્તનામા’માંથી કવિતાના નમૂના એ લેખમાં આપેલ છે, તે ઉપરથી પારસીભાઈઓ પણ હિંદુઓની માફક પાંચસો વર્ષથી જૂની ગુજરાતીમાં લખતા આવ્યા છે એવી ખાતરી થશે.

નવી ગુજરાતી

નવું સાહિત્ય ઉત્પન્ન કરવાનું પ્રથમ માન પારસી ભાઈઓને ઘટે છે; કેમ કે બાપુદેવ શાસ્ત્રીએ ‘ઇસપનીતિ’નું ભાષાંતર સન ૧૮૨૮માં પ્રગટ કર્યું, તે અગાઉ મી. ફરદુનજી મરજબાને સ. ૧૮૧૪માં પ્રથમ છાપખાનું કાઢ્યું, અને ગુજરાતીનાં બીબાં પોતાને હાથે તૈયાર કર્યાં; તેમજ તેમણે સન ૧૮૨૧માં ‘મુંબઈ સમાચાર’ નામના વર્તમાનપત્રને જન્મ આપ્યો. સન ૧૮૪૮માં જ્ઞાનપ્રસારક મંડળીએ ‘જ્ઞાનપ્રસારક’ નામનું માસિક બહાર પાડ્યું, તથા એ મંડળીમાં ઉપયોગી વિષય ઉપર ભાષણો ગુજરાતીમાં આપતાં હતાં. એ સંસ્થાના સરનશીન હિંદના દેશભક્ત દાદાભાઈ નવરોજી હતા. હિંદુઓની બુદ્ધિવર્ધક સભા ને તે નામનું ચોપાનિયું એ પછી આઠ વર્ષે હયાતીમાં આવ્યાં હતાં. સન ૧૮૫૭માં ચૌદ વર્તમાનપત્રો બહાર નીકળતાં હતાં, તેમાંનાં માત્ર બે – ‘સત્યપ્રકાશ’ અને ‘સમશેર-બહાદુર’ સિવાય બાકીનાં સર્વ પારસીઓ કાઢતા હતાઃ એમાં રોજંદાં ત્રણ હતા, ને તે ત્રણે પારસીઓનાં હતાં. ‘રાસ્તગોફ્તર’ સ. ૧૮૫૨માં જન્મ પામ્યું. મહિલાઓને માટે ‘સ્ત્રીબોધ’ નામના માસિકને જન્મ આપનાર પણ પારસી જ હતા. આજથી આઠેક વર્ષ ઉપર તપાસ કરી, ત્યારે એકલા પેટિટ ઇન્સ્તિત્યુતમાં પારસીઓના રચેલા ગ્રંથ પાંચસેં જોવામાં આવ્યા હતા, મતલબ કે પારસીઓનું નવું સાહિત્ય વિશાળ છે. ‘ભારતનો ટંકાર’નું વિવેચન કરતાં રા. રંજિતલાલ પંડ્યા લખે છે કે “ગુજરાતના સાહિત્યનો કોઈ પણ ભાગ જો ગુજરાતી સાહિત્યના રસિકોને સૌથી વધારે અજ્ઞાત હોય, તો તે ગુજરાતનું પારસી સાહિત્ય છે.” તે વિદ્વાન વળી જણાવે છે કે “અત્યંત આવેગભર્યું, અત્યંત રમતિયાળ અને અત્યંત હસમુખુ ગુજરાતનું પારસી સાહિત્ય શુદ્ધ ગુજરાતના સાહિત્યની અત્યંત ઉપયોગી પુરવણી કરે છે.” પારસીઓને માથે એવો દોષ મૂકીએ છીએ કે તેઓ બહુ અશુદ્ધ ભાષા લખનાર છે. તેમની અશુદ્ધતાના કારણ મેં પૂર્વે દર્શાવ્યાં છે. આપણે પોતે ઘરઘરની જોડણી, પ્રયોગો અને અશુદ્ધ શબ્દો પણ વાપરનારા છીએ. એ વાત લક્ષમાં રાખવા જેવી છે કે તેમને આપણે ઉત્તમ પ્રતિનાં કોશ, વ્યાકરણ વગેરે પ્રમાણભૂત સાધનો પૂરાં પાડ્યાં છે પણ ક્યાં? પારસીઓએ શરૂઆત અશુદ્ધ લખાણથી કરી હતી, પણ તેમાં દિવસે દિવસે ઘણો સુધારો થતો આવ્યો છે, અને રા. કાબરાજી જેવાના પ્રયાસથી ગુજરાતીનો સારો અભ્યાસ કરનાર લેખકોથી તેમની ભાષા સુધરતી ચાલી છે. માત્ર અશુદ્ધતાને કારણે તેમના સાહિત્યની અવગણના કરવી યોગ્ય થશે નહિ, તેમ તેમનું સાહિત્ય કેવળ અલગ પડી જાય એ પણ ઇચ્છવા લાયક નથી. આપણે તેમના સાહિત્યની દરકાર કરતા નથી, તેમ આપણાં સંસ્કૃતમય નવા સાહિત્યની તેઓ દરકાર રાખતા નથી. આવી ન ઇચ્છવા લાયક સ્થિતિ દૂર કરવા માટે રા. નરસિંહરાવ પોતાના ભાષણમાં ભલામણ કરે છે કે “પારસી લેખક બંધુઓ સંસ્કૃત તેમજ ફારસીનો સંસ્કાર પ્રાપ્ત કરશે, અને બીજે પક્ષે આપણે કેવલ આડંબર માટે જ સંસ્કૃતમય શૈલીનો આશ્રય કરતા અટકીશું, તો બંને પક્ષ વચ્ચેનું અંતર કાળક્રમે તૂટશે.” આ કીમતી સલાહ ઉભય પક્ષ ધ્યાનમાં લે તો કેવું સારું? અમારા સાક્ષરોએ પ્રથમ પહેલ કરવી જોઈએ, પરંતુ તેની શરઆત “નવજીવન” સિવાય અન્યત્ર થયેલી જોવામાં આવતી નથી. ઊલટું તેમનું અનુકરણ કરવાનો પવન ટૂંકભંડોળિયા હિંદુ લેખકોમાં સંચરવા લાગ્યો છે. પારસી ભાઈઓની ભાષામાં આવકારદાયક ફેર પડેલો જોવામાં આવે છે. સાહિત્યસભાઓની માફક મુંબઈનું પારસી લેખકમંડળ કંઈ કંઈ ઉપયોગી કામ કર્યે જાય છે. પારસી લેખકો સ્વ. મલબારી, સ્વ.તારાપુરવાળા, સ્વ. જહાંગીર પોલીસવાળા, રા. ખબરદાર, રા. પાહલનજી દેશાઈ, ડો. જીવણજી મોદી, દા. ધનજીશાહ, રા. રતનજી શેઠના, ખા.બા. દલાલ, રા. મહેરવાનજી આદરજી, રા. બહેરામજી મહેરવાનજી, રા. હોરમજી દોસાભાઈ, મિસીસ કાબરાજી, મિસ પાલમકોટ, વગેરેના જેવી લખવામાં કાળજી રાખનારા ઘણા પારસી બંધુઓ તૈયાર થશે, તો પારસી ગુજરાતી સુધર્યા વગર રહેશે નહીં. કેટલાક હિંદુ સાક્ષરોની પેઠે કેટલાક પારસી સાક્ષરો ફારસી-અરબી ઘણા શબ્દો વાપરવામાં તથા તદ્ભવ શબ્દોને સુધારવામાં માન સમજે છે, પરંતુ તે બરાબર નથી.

મુસલમાની સાહિત્ય

ગત પરિષદ વખતે રા. નરસિંહરાવે ઇસારો આપતાં સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃતાન્ત’માંથી બે નમૂના વાનગી દાખલ આપ્યા છે. એક વૃદ્ધ ખોજા સ્ત્રીના ભજનોનુ પુસ્તક પોતા પાસે છે, એમ તેમણે જણાવ્યું છે. મુસલમાની સાહિત્ય વિષે ભાગ્યે જ કોઈ કંઈ જાણે છે, તેથી તે વિષે કંઈક વિસ્તારથી કહેવાની મને જરૂર લાગે છે.

ખોજા સાહિત્ય
ખોજાઓ મૂળ હિંદુઓ હતા. તેમનામાં મુખ્ય બે ધર્મ ચાલે છે. ૧. આગાખાની ને ર. ઈસના અશરી (બાર ઈમામને માનનારા). એ સિવાય કેટલાક સુન્ની, સ્વામિનારાયણિયા, ભગત, મસ્જીદિયા, ખાનાઈ, તનાસરી, વગેરે છે. આગાખાની પંથનાં મૂળપુસ્તકો સિંધી લિપિમાં છે, અને તેની ભાષા ગુજરાતી, કચ્છી અને સિંધીથી ભેળસેળ થયેલી છે. તેઓ પોતાને સતપંથી કહેવડાવે છે. અને પીરાણા (અમદાવાદ પાસે)નો ધર્મ પણ સતપંથના નામથી ઓળખાય છે. કેટલાક કહે છે કે તે આગાખાનીમાંથી પેદા થએલો છે. ‘સતપંથ’ શાસ્ત્ર જે રા. એદલજી કાબાએ છપાવ્યું છે, તે સિંધી લિપિમાંથી ઉતારેલું છે, અને તેમાં જે પીરોનાં નામ જણાવ્યાં છે, તેમાંના પીર ઈમામુદ્દીન – ઈમામશાહ – એ પીરાણા પંથના સ્થાપક છે, એમ જણાય છે. ‘સતપંથ’ ગ્રંથમાં પીરોની કવિતા છે, તેમાં ઈમામુદ્દીન કૃત ‘નારાયણના દશ અવતાર’ વાંચનારનું ધ્યાન વિશેષ ખેંચે છે. તેની ભાષા ક્લિષ્ટ છે. એ ગ્રંથ પૈકીના દશમા અવતારનું લેખી પુસ્તક કાવિઠાના પંડિત કાલીદાસ નાથાભાઈ તરફથી કુરાઈના શેખ મૂળજી હીરાભાઈ મારફત મળ્યું (બીજા કેટલાક લેખી ગ્રંથો સાથે). ભાષા શુદ્ધ ને સારા અક્ષરે લખેલી છે. ખોજા કે પીરાણા પંથના ગ્રંથોમાં સાલ આપેલી હોતી નથી. રા. કાબા જણાવે છે કે તેમના જૂના ગ્રંથ ઘણું કરીને ૧૦૦ વર્ષ પૂર્વના નથી. ‘સતપંથ’ ગ્રંથને શાસ્ત્ર ગણવામાં આવે છે. તેમાં પીરોની કવિતા છે. પીર નુરૂદ્દીન, પીર કબીરૂદ્દીન અને પીર ઈમામુદ્દીન એ મુખ્ય છે. દશ અવતારમાં હિન્દુઓના મચ્છ કચ્છ આદિ નવ અવતાર વર્ણવી દશમો અવતાર અરબસ્તાનમાં મહંમદ પેગંબરનો થયો એમ જણાવ્યું છે. પીર સમસુદ્દીને ૨૮ ગરબીઓ નવરાત્રીમાં ગાવા માટે રચી છે. મુમુન ચેતામણી, ચંદ્રભાણ, સુરભાણ, રાજા ગોપીચંદ આખ્યાન, વગેરે બાબતો સમાવી છે, આ સિવાય ખોજા કોમમાં ગવાતાં ધોળ, આરતીઓ, વગેરે ‘ખોજા સર્વસંગ્રહ’માં આપેલ છે. તેમાં હિંદુસ્તાની ભાષા પણ વપરાઈ છે. સમસુદ્દીનની ગરબીઓમાંથી થોડીક કડીઓ આપું છું.

ગુરૂ આવીઆ બીજી રાત કે આવી નાચીઆરે લોલ,
તારે બોલીયા મીઠા બોલ કે અંબરત વાણીમારે લોલ;
તમે સુણજો સરવે સાથ કે ચેતી ચાલજોરે લોલ,
એ તો સારા મકર છે ભરપુર કે નીસ્ટેં જાણજોરે લોલ.



નવું સાહિત્ય

ખોજા કોમનું નવું સાહિત્ય સર્વથી વધારે ધ્યાન ખેંચનારું છે. રા. કાબાની યાદીમાં છપાએલા ૧૪૦ ગ્રંથનાં નામ છે. તેમાં જીવનચરિત્રો ને ઐતિહાસિક ગ્રંથ ૩૫, વાર્તાઓ નવલકથાઓ ૩૨, ધર્મસંબંધી ૩૭, ને બાકીના નીતિ વગેરેના પરચુરણ ગ્રંથો છે. એ સિવાય શેઠ લાલજી દેવરાજે કેટલાંક પુસ્તકો છપાવ્યાં છે.

પીરાણા પંથનું સાહિત્ય

દશમા અવતારની ઉપર હકીકત આવી છે. એ સિવાય બીજા ૬ ગ્રંથ મને કાવિઠેથી મળ્યા છે. તેમાંનો માત્ર એક લઘુ ગ્રંથ “શ્રી ઈમામશાહ બાવા પ્રછા” નામનો છાપેલો છે. બે જ્ઞાનોદયના તેમાંનો એક તૂટક છે, ને બીજામાં મહમદ સાહેબનાં ૯૯ નામ, ‘બાજનામું’, ‘દોવા’, ‘રતનનામું’, ‘પેગંબરી નુરનામું’ જુદા જુદા વેદની ગાયત્રીઓ, વગેરે છે. એક ગ્રંથમાં ધોળ, પંદરતિથિ, ગરબા, ‘નુરનામું’, ‘મોટું નુરનામું’ (ગદ્યમાં) છે. ગદ્યની વાનગીઃ “તે દુનિઆમાં વેપાર કરતા, એણે તોલ રાખાં, વળી બે માપ રાખાં ને લેવાનું મોટું અને આપવાનું નાનું. એણે જાણ્યું જે ચતુર થઈને છેતરૂ છે. એણે સાહેબની બીક ન રાખી, તે માટે એને પેટની તજારક દીધી છે.” એક પુસ્તકમાં ધોળ વગેરે કવિતા છે. એક નાની ચોપડી સીસાપેનથી લખેલી છે, તેમાં સાસતર, ધોળ, આરતી વગેરે છે. પીરાણા પંથના બીજા ગ્રંથો પણ છે, એવી બાતમી મળી છે.

માંગરોળના પીરોનું સાહિત્ય
નવસારી પ્રાંતમાં આવેલા માંગરોળની ગાદીના સજ્જાદાનશીન પીરજાદા મોટા મિયાં સાહેબે કૃપા કરી વડોદરાના જમાદાર બચ્ચુમિયાં મારફતે કેટલાક ગ્રંથ પુરા પાડ્યા છે. તેમના એક વડિલ પીર કાયમદીન બાવા, જેમનો રોજો પાદરા તાલુકાના એકલબારા ગામે છે, તેમના શિષ્યો કાનમ ને સુરત અઠ્ઠાવીશીના વોહોરા વગેરે છે. તેમણે જ્ઞાનનું ઉમદા પુસ્તક ‘નુરરોશન’ નામનું સન ૧૧૧૧ (હીજરી)માં ઉર્દુમાં રચેલું, તેનો તરજુમો – ઉતારો ગુજરાતી ઉર્દુમાં ભગત સુલેમાન મહંમદે કરેલો છે. તેમાંથી ગુજરાતીનો નમૂનોઃ



રાગ ધનાશરી

મારો ન્યારો છે તે ભેદ; નહી જાણે સઉ કોઈ રે અલ્લા. ।।ટેક।।

જહારે પવન સંચરે નહીરે, તહાં નુર અપાર; ।।
પ્રેમ પીયાલો પીતાં ભુલ્યા, જોયું નુર દીદાર; ।।ન જાણેઃ।।

અગમ અકાસમાં નુર નુર, તાસે લાગે પ્રીત, ।।૧।।
સુરત પગથીએ સીડી ચડીએ, તો લીધો અગમ ગઢ ઝીત. ।।

ન જાણે ।।૨।।

ન જાણે કોઈ જોગી સન્યાસીઃ ન જાણે સંસાર. ।।
જાણે કોઈ વીરલો ભેદુઃ આસક મસ્ત દીદાર. ।।ન જાણે.।। ૩।।

બીજો એક અગત્યનો મોટો ગ્રંથ નાગરી સુંદર અક્ષરે લખેલો છે, તેમાં ૮૮ અંગ ૧૬ સ્તુતિ વર્ણવી છે. કર્તા કોઈ વસ્તા હોય એમ જણાય છે, તેની રચ્યા સાલ ૧૮૩૧, ને ઉતાર્યા સાલ ૧૯૦૩ છે, તેની ભાષામાં કોઈ કોઈ હિંદુસ્તાની શબ્દો ને રૂપો આવે છે. જુઓઃ

શ્રી ગુરૂદેવને વંદિયે ।। આવાગમન મિટ જાય ।।
અવર વંદન જ્યાથે ટલે ।। આવાગમન મિટ જાય ।।
બુદ્ધ સુદ્ધ દાતા થયો ।। રીદ્ધ સિદ્ધ દાતા જેહ ।।
સ્વરૂપ દાતા સચિદાનંદ ।। પ્રીતે વેંદૂં તેહ ।।
ગુરૂ સેવા સબથે બડિ ।। તાથે બડી ન કોય ।।
સરવ ધરમકો એક ધરમ ।। ગુરૂ જ્ઞાનિ બુઝે સોય ।।
દેવ સકલ ગુરૂદેવમાં ।। ધરમ સકલ સબ માંહે ।।
શ્રી ગુરૂદેવ ઉપાસતાં ।। અવર ધરમ કો નહિં ।।

પીર કાયમુદ્ધીન બાવા સાહેબના ખાસ મુરીદ (શિષ્ય) અભરામ બાવા, ઉમર બાવા, જીવન મસ્તાન, નબીમીયાં, પુંજા બાવા, રતનબાઈ, વગેરેને પીર સાહેબના પ્રતાપથી જ્ઞાનની પ્રસાદી મળી હતી. તેમના કલામ (ભજન) ઘણાં ગવાય છે. ભક્તિમાં નિમગ્ન થએલ રતનબાઈ અભણ હતી, છતાં તેની કવિતા નૈસર્ગિક ને ઉચ્ચ ભાવના શુદ્ધ ગુજરાતીમાં બતાવનારી છે. જુઓઃ

અરે નરનાર, ભજો કિરતાર, સરજનહાર સાચો છે;
મનુષ્ય અવતાર, નો આધાર, અરે ઓ યાર કાચો છે. ટેક.

અભિમાની, તું થા જ્ઞાની, આ નાદાની કહ્યું માની;
છોડી દે, યાર, થા હુશિયાર, ગરૂરીને તમાચો છે. અરે.૧

ઓ મન મોજી, સમો સમજી, જુઠી બાજી ન થા રાજી.
સમજ મન સાર, છોડી દે ખાર, અગાડી મોત માચો છે. અરે. ૨

*



રાગ પ્રભાત

માળા જપું છું નાથ તમારી, આવો ને મંદિર મારે રે;
દયા કરીને વહેલા પધારો, આનંદ ઉરમાં ભારે રે. ટેક.

સેજ સમારી વાટડી જોતી, વહેલા આવો ગીરધારી રે;
દરસન દોને મુજને વાલા, જાઉં તમો પર વારી રે માળા.

વાળી ઝાડી ઘર કીધું ચોખું, પાંચ પચીસને કાઢી રે;
આવો મારા સ્યામ સલુણા, વાટ જોઉં છું દહાડો રે; માળા.

*



કલામ

ફરો ભમતા તમે શું ભાઈ, સાહેબ બેઠો પોતાની માંઈ. ટેક.

મક્કે જાય ને મદીને જાએ, જાએ દુવારકા કાશી રે;
મનનું તીરથ સરવથી મોટું, મટી જાએ ચોરાશીરે, સા.૧

કુરાન પઢે ને ગીતા વાંચે, ખોલે વેદ પુરાણો રે;
અંતર ખોલ્યા વિના પાર ન આવે, ભાર નકામો તાણો. સા.૨

*
પુંજો બાવો જાતનો ખલાસી હતો, તેની કવિતાનો નમૂનોઃ



રાગ વસંત

ચાલો સખી જોવાને જઈએ, જ્યાં વસંત ખેલે વનમાળી.
નવતમ નાર મળી નવજોબન, હસી હસી લે વાલો તાળી. ટેક.

નટવર નાનો છે લઘુ વેશ, છમક છમક કરે ચાળો;
વળગે ઝુંમે ને મુખ ચુમે, મોહન મોરલીવાળો. ચાલો

અબીલ ગુલાલ અતિ ઘણા ઉડે, કેસર ભરી છે ચોળી;
ચુઆ ચંદન છાંટુ છાંટણ તો, લાલ લીઓ રંગમાં રોળી. ચાલો.

નબીમિયાંની કવિતાનો નમૂનોઃ



રાગ ધીરાની કાફીનો

મરમની માળા રે, બાઈ મારા ઘટમાં ફરી:
રૂંએ રૂંએ બોલે રે, તુંહી સોહંમ ફરી.

મરમના મણકા દમની દોરડી, જપું અજંપા જાપ;
બેંક નાળમાં સુરત નીહાળી, મટી ગયા ત્રણે તાપ;
ગંગા ને જમના રે, નિરમળ સભર ભરી. મરમ. ૧

ત્રવેણી અને ઇંગલા પીંગલા, દીસે ચંદ્ર અને સૂર,
ચાર કોશ ચઢ દેખા ગગનમેં, વાજે અનહદ તૂર;
બ્રહ્મને લોભાણો રે, નિશાને જઈ નજર કરી. મરમ. ૨

અલેખ પુરૂષ સંત અવિનાશી, તે તો કળ્યો નવ જાય
ગુરૂ અભરામે મહેર કરી, તેના દાસ નબી ગુણ ગાય;
પાણી તણા સંગે રે, લુણ જોને ગયું ગળી. મરમ. ૩

માંગરોલના નવા સાહિત્યમાં ‘રસુલે અરબી’ – ‘પેગંબરનું જીવન ચરિત્ર’, ‘ઈસલામી નીતિશાસ્ત્ર’, ‘મુરીદ કોણ કરી શકે’, ‘શેખ કોણ અને સૈયદ કોણ’, ‘આલિમ-બે અલમ’, ‘જાગો જુઓ’, ‘સ્વરાજને કુરબા વગર ચાલશે?’ ‘અરબની તવારીખ’, ‘ખાલિફ બિન વલીદ’, ‘ખુલફા એ શેશદીન’, વગેરે નાનાં પુસ્તકો પ્રસિદ્ધ થએલાં છે. રા. અલારખિયા વીસમી સદી નામક સચિત્ર સુંદર માસિક ચલાવે છે, અને માસ્તર કાસમભાઈ “વનિતા વિનોદ” માસિક કડીથી પ્રસિદ્ધ કરે છે. મુસલમાન બિરાદરોમાં બીજા સારા લેખકો રા. નાનજિયાણી, પીરજાદા મોટાં મિયાં સાહેબ, રા. નનુમિયાં, રા. એદલજી કાબા, રા. જમાદાર બચુમિયાં, રા. અબદુલ હુસેન, રા. કરીમ મહંમદ, વગેરે છે. તેઓ સાહિત્યની અધિક ને અધિક સેવા બજાવશે એવી આશા છે.

ખ્રિસ્તી સાહિત્ય
ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આ દેશમાં પાદરીઓ આવવા લાગ્યા, ત્યારથી ગુજરાતીમાં ખ્રિસ્તી સાહિત્યનું ઉમેરણ થયું છે. પોતાનાં ધર્મનાં પુસ્તકોના તરજુમા ઉપરાંત તેમના ધર્મને પુષ્ટિ આપે એવાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. વળી વિદ્વાન પાદરીઓ ટેલર અને સ્કોટ જેવાએ તથા સુશિક્ષિત વિશવાસીઓએ કેટલાક વાંચવા લાયક ને અગત્યના ગ્રંથો પણ છપાવી બહાર પાડાયા છે.



ગુજરાતીના ગુણદોષ

तुलसी तलसी जाता । मुकुन्दोडपि मकनायते ।।
गुर्जराणां मुखं प्राप्य । शिवोपि शवतां गतः ।।

એવો કોઈએ જોડી કાઢેલો શ્લોક ભણીને બીજા લોકો ભલે આપણી ભાષાને વખોડે, કે अबे तबे के सोलहि आने । इकडे तिकडे बार ।। अठे कठे के आठहि आने । सुसां पेसा चार ।। એવો દુહો કહીને ભલે તેની કીમત ઓછી આંકે; પરંતુ પાણિનીય શિક્ષામાં સંસ્કૃત વાણી કેમ ઉચ્ચારવી તે માટે દૃષ્ટાંત આપ્યું છે કેઃ

यथा सौराष्ट्रिका नारी । तक्रं इत्यभिमापते।।
एवं रङ्गा प्रयोत्कव्या । खे अशँ इव खेदया ।।

માધુર્યને માટે ટેલરે ગુજરાતીને હિદુસ્તાનની ઇતાલિયન કહી છે. વળી તે જણાવે છે કે “ગુજરાતીમાં આર્યકુળની – સંસ્કૃતની દીકરી ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી તેને કોણ કદી અધમ કહે.” આગળ જતાં તે લખે છે કે “મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો, તો તેની ભાષા અધુરી, પણ પછી જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા શણગારેલી પણ દેખાય.” એક વિદેશી વિદ્વાન ગુજરાતી માટે આટલું અભિમાન ધરાવે છે, તો જેમની તે માતૃભાષા છે, તેમણે તો ખસૂસ તેને માટે મગરૂર રહેવું જોઈએ, ભરતખંડ સિવાય અન્ય દેશોમાં તે ભાષા વપરાય છે, અને ત્યાં નિશાળો ને વર્તમાનપત્રાદિ ચાલે છે. તે વેપારીની ભાષા હોવાથી વધારે પ્રસરેલી છે. તેણે હિંદને હિસાબ રાખવાની ઉત્તમ પદ્ધતિ પૂરી પાડી છે, તથા હુંડી, પેંઠ, પરપેંઠ, વીમો, વીમાચિઠ્ઠી અને કાપિયું (ચક્રવદ્ધિ) વ્યાજ કાઢવાની ચમત્કારી રીત ઉપજાવનાર પણ એજ ભાષા છે. હિદુસ્તાનને માટે જો એક સામાન્ય લિપિ કરવી હોય, તો તેને માટે એક મદ્રાસી વિદ્વાન ગુજરાતી લિપિને પસંદ કરે છે, કેમ કે તેનો અક્ષર સુંદર છે, તેમ તે ઝડપથી પણ લખી શકાય છે. પ્રેમાનંદનાં નાટકો જેવાં નાટકો કોઈ આધુનિક આર્યભાષામાં રચાયાં હોય એવું જાણવામાં નથી. મરાઠીમાં જેમ તુકારામના અભંગ ને મોરોપંતના આર્યા વખાણાય છે, જેમ હિંદીમાં “ચંદ છંદ પદ સૂર કે, દુહો બિહારીદાસ, ચોપાઈ, તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ” પ્રસિદ્ધ છે, તેને પ્રેમાનંદ ને વલ્લભના છંદ, નરસિંહ મહેતાનાં ને દયારામનાં પદ, સામળાના ને આખાના છપ્પા, ધીરાની કાફી ને ભોજા ભગતના ચાબકા મશહુર છે. ભ્રષ્ટપણું જોવા જઈએ, તો હાલની સર્વ આર્યાભાષાઓ (તથા યુરોપની ચાલતી ભાષાઓ પણ) ભ્રષ્ટ જ છે; કેમ કે તેઓ પોતપોતાની પ્રાકૃત–અપભ્રંશમાંથી અનેક તરેહના વિકાસ પામીને થએલી છે. આપણે મેણ, ભેંડા, વગેરે બોલનારને હસી કાઢીએ છીએ, પણ મરાઠીમાં મેણબત્યા, ભેંડે, જેવણ બોલવામાં વાંધો લેવાતો નથી. સાંવખેડા (સંખેડા), ગાંવ (ગામ), ઓસ્તાદ-વોસ્તાદ (ઉસ્તાદ), ખણ (ખંડ) એવા શબ્દો પણ તે ભાષામાં ચાલે છે. આપણી ત્રવાડી, દવે, જાની, પરોત વગેરે અટકો જેમ અશુદ્ધ છે, તેમ બીજી ભાષાઓની તેવારી, મીસર, ચેતરજી, ચકબત્તી વગેરે અવટંકો પણ અશુદ્ધ છે. આપણે સારી (સાડી), વારી (વાડી), થારી (થાળી), પારી (પાળી) શબ્દોને અશુદ્ધ લેખીએ છીએ; ત્યારે હિંદમાં બારી (વાડી) બિગરી (બિગડી), બરદીઆ (બળદીઆ), હોરી (હોળી) મજેથી વપરાય છે. અનો ઓ કરીને આપણામાં હોળ (હળ), ઢોગ (ઢગ), બોલનારને ગામડિયા કહીશું, ત્યારે બંગાળીમાં ઓરોબિંદો (અર્વિંદ), પ્રોસોનોકુમાર (પ્રસન્નકુમાર) ‘ભદ્ર લોગ’ પણ બોલે છે. સેંકડો વર્ષથી ચાલી આવતી ખેડાએલી, ને પુષ્કળ સાહિત્યવાળી ભાષાઓને ભ્રષ્ટ કહી નિંદવી યોગ્ય નથી. એમ છતાં, હાલની ગુજરાતીમાં બે મોટી ખામીઓ નજરે પડે છે. એક તો જોડણી અનિશ્ચિત છે, એટલે જે જેમને વાયે આવે તેમ તે શબ્દો લખે છે. બીજી ખામી એ છે કે આપણું નવીન સાહિત્ય બીજી ભાષાના સાહિત્ય જેવું ગૌરવ ધરાવતું નથી, કેટલીક વાર પુસ્તકોની સંખ્યામાં તે મરાઠી કરતાં પણ વધે છે, પરંતુ તેમાં જોઈએ તેટલું સંગીનપણું કે ઉત્કૃષ્ટતા નથી.

સાહિત્ય પરિષદ

આ પરિષદ સ્થપાયાને ૧૪ વર્ષ વીતી ગયાં છે, એટલે તેની કિશોરીની અવસ્થા પૂરી થવા આવી છે. તેની બાલ્યાવસ્થામાં બનેલ બનાવો જોઈએ તો સાહિત્ય વિષે લોકોમાં જાગૃતિ પેદા થઈ છે, સમર્થ વિદ્વાનોનાં ભાષણો ને નિબંધો પ્રસિદ્ધ થયાં છે, મોટાં શહેરોમાં સાહિત્ય સભાઓ સ્થપાઈ છે. તેમાં જાહેર ભાષણો ને વ્યાખ્યાનો અપાય છે, ગુજરાતી સાહિત્યસભા તરફથી સાહિત્યના અભ્યાસકોની પરીક્ષા લેવાઈ ઇનામો અપાય છે. લોકોમાં લખવા વાંચવાનો ઉમંગ કંઈક દરજ્જે વધ્યો છે, અને પહેલાં કરતાં ગ્રંથકારોની સંખ્યામાં ઘણો (પણ ઉત્તમ પ્રતિનો નહિ એવો) વધારો થયો છે. પ્રો. ઠાકોરના પ્રયાસથી એક ભંડોળ (ફંડ) ઊભું થતાં તેના વ્યાજમાંથી થોડાક ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. પરંતુ હવે પરિષદની યુવાવસ્થા શરૂ થતાં તેની પાસેથી ઘણાં અને મહત્ત્વનાં કામ લેવા માટે જરૂરી તૈયારીઓ કરવાની ફરજ આપણે માથે આવી પડે છે. સરસ્વતી દેવી અને લક્ષ્મી દેવી એક બીજાથી અલગ રહે એ ઇચ્છવા લાયક નથી. પરિષદ એકલા પંડિતોને માટે છે, એમ સમજી તેમાં શ્રીમંતો ન ભળતા હોય તો એ અયોગ્ય છે એમ બતાવીને તેમને ભેળવવાનો આપણે યત્ન કરવો જોઈએ. શ્રીમંત વર્ગમાં પણ ઉપાધિવાળા, સુશિક્ષિત અને સાહિત્યપ્રેમીઓ છે, તેઓ તો પરિષદમાં ખુશીથી સામેલ થાય એમાં નવાઈ નથી; અને બાકીનાઓ વિદ્યાદેવી ઉપર વિશેષ ભાવ રાખતા થાય તેને માટે આપણા તરફથી સતત આગ્રહ થવો જોઈએ. એ મહાન દેવીનાં દ્વાર સર્વ વર્ગના લોકોને માટે ખુલ્લાં હોવાં જોઈએ, અને તેના સેવકોની વૃદ્ધિ માટે આગેવાનોએ હંમેશ મંડ્યા રહેવું જોઈએ. સાહિત્યવૃદ્ધિ કામ એવડું મોટું ને મહત્ત્વનું છે કે તેની પાછળ લાખો રૂપિયાનું ખરચ પણ ઓછું પડે. આપણે, જનક, વિક્રમ ને ભોજ જેવા પ્રતાપી પણ પર પ્રાંતના રાજાઓએ વિદ્યા અને સાહિત્ય પાછળ અઢળક દ્રવ્ય ખરચેલું તે વાત છોડી દઈને માત્ર ગુજરાતના દાખલા લઈશું. કુમારપાળ રાજાએ કરોડો રૂપિયા ખરચીને ૨૧ ભંડારો સ્થાપ્યા હતા. વસ્તુપાળે ૩ ભંડારો પાછળ ૧૮ કરોડનો ખરચ કર્યો હતો. વડોદરાના શ્રીમંત મહારાજ ગાયકવાડ સાહિત્ય ને વિદ્યા પાછળ દર વર્ષે લાખો રૂપિયા વાપરે છે. એક કવિએ નવો ગ્રંથ રચી તેની સવા લાખ રૂપિયા કીમત આંકી. તે ઘણે ઠેકાણે ફર્યો, પણ એટલી મોટી રકમ આપનાર કોઈ મળ્યું નહિ. આખરે વડુ (તાલુકે પાદરા) ગામના અમીને તે સવા લાખ રૂપિયા આપીને ખરીદી લીધો! ગુજરાતમાં મોટાં રાજ્ય ઘણાં છે, તેઓ વડોદરાને અનુસરે તો કેવું સારું! અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે; તેમાં ઈશ્વરકૃપાએ લક્ષાધિપતિ અને કોટ્યાધિપતિ શેઠિયા વસે છે. જેમની માતૃભાષા ગુજરાતી છે એવા મુંબઈમાં હિંદુ, પારસી ને મુસલમાન કરોડપતિઓ અબ્જપતિઓ પણ છે, ત્યારે શું અમદાવાદામાંથી સર ચીનુભાઈ જેવા કે મુંબાઈમાંથી મી. જમશેદજી ટાટા જેવા આ અગત્યના કામ માટે લાખો રૂપિયાની ઉદારતા બતાવવા નહિ તૈયાર થાય? ગુજરાત એ પૈસાદાર પ્રાંત છતાં તે સાહિત્યના કામમાં દરિદ્રતા દાખવે, તો તે અફસોસની વાત છે. મહારાષ્ટ્ર દેશમાં જેટલો સાહિત્યનો પ્રસાર થાય છે, તેટલો વસ્તીના પ્રમાણમાં પણ અહીં થતો નથી એ ખરેખર સંતાપજનક છે. જેમ ધનાઢ્યો પાસે પૈસાની ભિક્ષા માગવાની છે, તેમ વિદ્વાનો પાસેથી તે કરતાં પણ વધારે અગત્યની ભીખ જોઈએ છે. કેમ કે સાહિત્યનો ખિલવણી કરવાનું મહાન કાર્ય તેમના ઉપર અવલંબે છે. બીમ્સ, ગ્રિઅર્સન, ટેસિટોરી અને પિશલ જેવા ભાષાશાસ્ત્રીઓ તથા ટોડ, ફોર્બસ ને એલ્ફિન્સ્તન જેવા ઇતિહાસ લખનારા તેમાંથી પેદા થવાની જરૂર છે. ભાઊદાજી, ભગવાનલાલ ઇંદ્રજી અને ભંડારકર જેવા શોધકો અમને જોઈએ છે. બોસ અને ગજ્જર જેવા વિજ્ઞાનના અપૂર્વ અભ્યાસીઓ અને અસાધારણ શોધકો ગુજરાતમાં ઘણા પેદા થાઓ અને લોકોને ઉપયોગી થઈ પડે એવા ગ્રંથો રચો એમ આપણે ઇચ્છીશું. સરોજિની નાયડુ અને રબીંદ્રનાથ બાબુ જેવા જગવિખ્યાત ને નૈસર્ગિક કવિઓની ગુજરાતમાં ઘણી ખોટ છે. બંકિમચંદ્ર અને ગોવર્ધનરામ જેવા અસલ ઉત્તમ નવલકથાઓ લખનારા આપણે અહીં પેદા થવા જોઈએ. ઉદરનિર્વાહની દરકાર નહિ કરતાં જેમણે આખું જીવન સાહિત્ય અને સમાજસેવામાં ગાળ્યું એવા નર્મદો થવા જોઈએ. ઊંચી નોકરી ને મોટી પદવીની તૃષ્ણા ન રાખતાં સાહિત્ય અને સમાજસેવામાં જીવિત વ્યતીત કરનાર ઘણા મલબારીઓની અમને અગત્ય છે. જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષાદ્વારા ઊંચી કેળવી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગુર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જઈએ. દેશી ભાષાઓ ઉપર ગુર્જરગિરા સર્વોપરી પદ પામે એવી મહત્ત્વકાંક્ષા રાખી કાર્યસિદ્ધિ થતા સુધી પાઘડી ન પહેરવાનું પણ લઈ આખું આયુષ્ય સાહિત્યસેવામાં ગાળ્યું એવા ઘણા પ્રતાપી પ્રેમાનંદો ગુજરાતમાં પ્રગટ થવા જોઈએ. આપણા જાણીતા સાક્ષરો કેશવલાલ, નરસિંહરાવ, આનંદશંકર, મણિશંકર ભટ્ટ, કવિ નાનાલાલ, કૃષ્ણલાલ, પાહલજી, જીવણજી મોદી, નાનજિયાણી, વગેરેમાંથી જેઓ નોકરીચાકરીથી કે અન્ય કામકાજથી વિરક્ત થયા છે, થનાર છે, તેઓ પોતાનું જીવન દિ. બા. રણછોડભાઈની માફક સાહિત્યસેવામાં ગાળવાનું આદરે અને ખતરવટ મંડે, તો તેઓ એ પ્રદેશમાં ગઢના ગઢ ઉથામી નાખે એમાં શક નથી. જે તરુણ પદવીધરો નોકરીઓમાં કે બીજા વ્યવસાયમાં રોકાય હોય, તેઓએ સાહિત્યપૂજા ભણી બનતું લક્ષ આપવું જોઈએ. હવે હું કેટલીક સૂચનાઓ આપ સર્વેના વિચાર માટે નમ્રતાપૂર્વક રજૂ કરી જરા લંબાણ થએલું મારું ભાષણ ખતમ કરીશ. મારે જણાવવું જોઈએ કે પરિષદના પ્રમુખો વગેરેએ કરેલી સૂચનાઓ માત્ર કાગળ ઉપર ન રહેતાં, જે ગ્રહણ કરવા યોગ્ય જણાય તે માટે ઠરાવો થઈ અમલમાં મૂકવાની ગોઠવણ થવી ઇષ્ટ છે. દિ.બા. અંબાલાલ અને રા. નરસિંહરાવની વ્યવહારુ ભલામણો તેમના ભાષણમાં જ ભરાઈ રહી છે, એ પ્રમાણે થવું ઠીક નથી.

સૂચનાઓ

૧. સાહિત્યવૃદ્ધિને માટે એટલાં બધાં મહત્ત્વનાં કામ નિરંતર કરવાનાં છે, કે તેને માટે મોટી થાપણ ઊભી કરવાની પ્રથમ આવશ્યકતા છે. તેને માટે હું આપણા ધનવંતોને અરજ કરી ચૂક્યો છું, કે કમીમાં કમી રૂપિયા દશ લાખની થાપણ ગુજરાત જેવા દ્રવ્યવાન દેશમાં ભરાઈ જશે. જો એક વજનદાર પંચ (ડેપ્યુટેશન) મોટાં મોટાં સ્થળોએ જઈ રાજામહારાજાઓને તથા શેઠશાહુકારોને આગ્રહપૂર્વક વિનવે, તો કાર્યસિદ્ધિ થયા વગર રહે નહિ, એમ મને લાગે છે. આપણે પણ જો આપણા ગજા પ્રમાણે નાણાનો ફાળો આપીએ, તો એક સારી રકમ ઊભી કરી શકીએ. ૨. સાહિત્યપરિષદ ભલે મોડીવહેલી મળે; પરંતુ હમેશના કામકાજ માટે એક જાથુની મંડળી અને બીજી વ્યવસ્થાપક મંડળી સ્થાપવી જોઈએ. વ્યવસ્થાપક મંડળીનો એક કે વધારે મંત્રી પગારદાર નીમવો અને તેને પૂરતું પગારદાર મહેકમ આપવું. હાલમાં પાંચ મંત્રીઓ નીમેલા છે, અને તેમનું કામ પરિષદના બંધારણમાં નિર્દિષ્ટ થએલું છે. તે પ્રમાણે જો કામ ચાલ્યા કરે, તો પરિણામ સંતોષકારક આવવા વિષે મને ભય રહે છે. ૩. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર માટે. अ પ્રાચીન સાહિત્ય સંબંધે મેં ઘણું કહ્યું છે. પ્રાચીન ગ્રંથો શોધી કાઢવા, સંશોધવા અને પ્રસિદ્ધ કરવાનું કામ પરિષદે ખંતથી ઉપાડી લેવું જોઈએ. એ ઉપરાંત કાઠિયાવાડી ને કચ્છી જૂના સાહિત્યની શોધ થવી જોઈએ, ભાટચારણોના ગ્રંથ મેળવવા જોઈએ. છૂટાંછવાયાં ગવાતાં ગીતો, ભજનો, રાસડા (પવાડા) એકઠા કરવા જોઈએ. આ કામ માટે લાયક માણસો પગારદાર નીમવા જોઈએ. ब નવા ગ્રંથ તૈયાર કરાવવા. આ કામમાં શ્રીમંત ગાયકવાડ મહારાજના ઉદાર આશ્રયથી વડોદરાના કેળવણી ખાતાએ ઘણું કર્યું છે. પ્રસિદ્ધ થએલી યાદી જોતાં એ ખાતાં તરફથી છપાવેલાં, છપાતાં ને તૈયાર થતાં પુસ્તકોની સંખ્યા ૫૮૦ થાય છે, અને વિજ્ઞાન તથા બાળજ્ઞાન ઉપર સારું લક્ષ અપાયું છે. શ્રીમંતની ઇચ્છાનુસાર સાદી ભાષા વાપરવા જે સમજુતી છપાઈ છે, તે ઉપર કાર્યવાહકો લક્ષ આપશે એવી આશા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ પુસ્તકો પ્રસિદ્ધ કરનારી અગ્રગણ્ય સંસ્થા હોઈ તેના તરફથી પણ સેંકડો પુસ્તકો બહાર પડ્યાં છે. દિન પ્રતિદિન ગદ્યગદ્ય લખનારાઓની સંખ્યા વધતી જાય છે, પણ તેમાંના ઘણાનું લખાણ નમાલું હોય છે. કવિતા અને કાદંબરીઓના ઊભરા ઊભરાય છે, પરંતુ તેમાં ઉત્તમ પ્રતિની કૃતિઓ થોડી જોવામાં આવે છે. જે ભાષાંતરો ને અનુવાદો પ્રગટ થાય છે, તેમાંના ઘણા ખરાની ભાષા એવી હોય છે કે તે જનસમાજનો ઉપયોગી થઈ ન પડે. એક જ વિષયના અનેક ગ્રંથ વાંચીને સ્વતંત્ર પુસ્તક સાદી ભાષામાં લખવું જોઈએ. તરજુમા કે નકલ કરતાં આપઉઠાવથી ગ્રંથો લખનારા કેટલા થોડા છે? વિજ્ઞાન, હુન્નરકળા ને વ્યાપારરોજગાર વિષેના સાહિત્યની ઘણી ખોટ છે. ધર્મ, નીતિ, સંસારસુધારો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ખેતીવાડી, આદિના પુષ્કળ ગ્રંથોની જરૂર છે. શિક્ષણશાસ્ત્ર અને તેને લગતા વિષયો ઉપર સેંકડો ગ્રંથ લખાવા જોઈએ. સ્ત્રીસાહિત્ય, ને બાલસાહિત્ય બહુ જુજ પ્રસિદ્ધ થયું છે. યુરોપ અને અમેરિકામાં એવું સાહિત્ય બહોળો વિસ્તાર પામ્યું છે, તથા તેને માટે માસિકો, વર્તમાનપત્રો, દીવાળીનાં ખાસ પુસ્તકો જથાબંધ નીકળ્યા જ કરે છે. જો આપણી વિદુષી બહેનો આ બાબત હાથમાં ધરે, તો તેઓ ઘણું ને સારું કામ કરી શકે એમ છે. क પરિષદ પોતે ખાસ અથવા ઘણે હાથે રચવાના ગ્રંથો માથે લે, અને પસંદ કરેલા વિષયો પર પારિતોષિક આપીને ગ્રંથો લખાવે જે લેખકો પોતાને જોખમે ગ્રંથો છપાવે તેમને ઉત્તેજન મળતું નથી, તેથી ઘણા લેખી ગ્રંથો તેમની પેટીઓમાં પડ્યા રહે છે. સારા લખનારને પણ છપામણી ખરચ કાઢવા સારુ કે પુસ્તકો ખપાવવા માટે ભીખ માગવા જવું પડે અથવા લોકોને શરમાવવા પડે, તે ઇચ્છવા લાયક નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી કે વડોદરાના કેળવણી ખાતા તરફથી ગ્રંથકારોને કંઈક મદદ મળે છે, પણ તેમને વધારે આશ્રય મુંબાઈના ફોર્બ્સ ફંડમાંથી, સાહિત્ય પરિષદ તરફથી, રાજારજવાડાથી, અંગ્રેજી રાજ્યના કેળવણી ખાતાથી અને દરેક વ્યક્તિ તરફથી યથાશક્તિ મળવો જોઈએ, વિદ્યાનો વિસ્તાર થવા માટે, અને તેનો લાભ ગરીબો પણ લઈ શકે એટલા માટે, સસ્તા સાહિત્યની યોજનાઓ વધતી જોઈએ.

૪. કોશ

આપણી ભાષાનો વિશાળ, શબ્દોની વ્યુત્પત્તિ સાથેનો, સર્વમાન્ય કોશ તૈયાર થયો જોઈએ. કવિ નર્મદાશંકરે એકલે હાથે કોશ લખવાનું સ્તુત્ય કામ કર્યું હતું. ગુ.વ. સોસાઈટી મોટો કોશ તૈયાર કરે છે, પણ તેનું કામ ટગુમગુ ચાલે છે. આ કામ ઘણા વિદ્વાનોને હસ્તક થવું જરૂરનું છે. એની પાછળ સાઠ હજારથી પોણો લાખ રૂપિયા ખરચ થશે એવો મેં અડસટ્ટો કાઢેલ છે. મરાઠી કોશ માટે કેન્દિ સાહેબને જાણવા પ્રમાણે સરકારથી રૂ. ૫૦૦૦૦ ની મદદ અપાઈ હતી. એવી મદદ આપણને પણ મળે, તેને માટે પ્રયત્ન કરવો જોઈએ.

૫. જોડણી

આધુનિક સર્વ આર્ય ભાષાઓની જોડણી લગભગ મુકરર થઈ છે; પરંતુ અત્યારે ગુજરાતીની જોડણી માટે તો બાર પૂર્વીઆના તેર ચોયા જેવું ચાલે છે, તે આપણને લજ્જાસ્પદ છે. આપણી તરફથી એક વાર આ કામ માટે ઉઠાવણી થઈ હતી, પણ તેનું કંઈ પણ પરિણામ ન આવતાં આખું પ્રકરણ દફતરે દાખલ થઈ ગયું છે! પાઠ્ય પુસ્તકોની જોડણી સર્વમાન્ય થવી જોઈએ. ઘરઘરની જુદી જોડણીથી ઘણો ગૂંચવાડો થઈ રહેલો છે. જુદા જુદા વિચારના વિદ્વાનો ભેગા કરી વાંધા પડતી જોડણી માટે બહુમતે નિકાલ લાવ્યા સિવાય બીજો માર્ગ જણાતો નથી. પોતપોતાની ખેંચતાણ છોડી દઈ સર્વ વિદ્વાનોએ દેશના સામાન્ય હિતની ખાતર બહુમતનું ધોરણ સ્વીકારવું જોઈએ.

૧. વ્યાકરણ

ગુજરાતી ભાષાનું ઉત્તમ ને મોટું વ્યાકરણ તૈયાર કરવાની અગત્ય છે. જે નાના વ્યાકરણો નિશાળોમાં ચાલે છે તે બસ નથી. વ્યાકરણનો એક ભાગ ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ ને બીજો ભાગ વ્યાકરણના સર્વ વિષયોની વિસ્તીર્ણ હકીકત સાથે લખાવો જોઈએ.

૭. માસિક

સાહિત્ય પરિષદ તરફથી એક માસિક પ્રસિદ્ધ થવું જોઈએ, તેમાં જે જે પુસ્તકો બહાર પડે તેમનું નિષ્પક્ષપાતીથી લંબાણ વિવેચન થવું જોઈએ. તેથી સારા નરસા ગ્રંથોની ખરી હકીકત લોકોના જાણવામાં આવતાં સારા ગ્રંથોને ઉત્તેજન આપવાનું બની શકશે. વળી શાળાઓમાં ચાલતાં ને નવાં દાખલ થતાં પાઠ્ય પુસ્તકોની પણ તેમાં ટીકા થવી જોઈએ. ગુજરાતીમાં આજ સુધી પ્રસિદ્ધ થએલા ગ્રંથોની વિગતવાર યાદી અપાવી જોઈએ, અને તેમાં નવા નવા ગ્રંથો ઉમેરવા જોઈએ. ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’ની પેઠે શોધખોળના વિષયો અને ભાષા તથા સાહિત્યને લગતા ખાસ લેખોનો તેમાં સમાસ કરવો જોઈએ.

૮. પુસ્તકાલય ને સંગ્રહસ્થાન

પરિષદને અંગે એક સારું પુસ્તકાલય તથા સંગ્રહસ્થાન જોઈએ. પુસ્તકાલયમાં સર્વ પ્રસિદ્ધ થએલા ગ્રંથો, લેખી પુસ્તકો, પ્રાકૃત અને આધુનિક ભાષાનાં સાન્વય વ્યાકરણ, ભાષાશાસ્ત્રનાં પુસ્તકો, સાહિત્યને ખાસ મદદ કરે એવાં, અને જે ઉપરથી ગુજરાતીમાં ગ્રંથો લખાય એવાં સંસ્કૃત, અંગ્રેજી અને અન્ય ભાષાનાં પુસ્તકો રાખવાં જોઈએ. સંગ્રહસ્થાનમાં શિલાલેખ, તામ્રલેખ, દરદસ્તાવેજ, ચિત્રો, શિક્કા, વગેરે સાહિત્યના ઉપયોગ માટે સંગ્રહવાં જોઈએ.

૯. મકાન

પરિષદને માટે સ્વતંત્ર મકાનની જરૂર છે. જ્યાં સુધી નવું મકાન બાંધી ન શકાય, ત્યાં સુધી અનુકૂળ પડે એવું મકાન રાખી લેવું જોઈએ. હાલમાં પુસ્તકો વગેરે ગુ.વ. સોસાઇટીમાં રાખવાની જરૂર પડે છે. એ વ્યવસ્થા પસંદ કરવા જોગ નથી. વળી વ્યવસ્થાપક અને જાથુની મંડળી તથા કારકુનો બેસવા માટે પણ સ્થાનની અગત્ય છે.

૧૦. પદવીઓ, વિદ્યાર્થીવેતન ને ઇનામ

જેઓ સારી શોધખોળ કરે, ઉત્તમ પ્રકારના રિસાલા, નિબંધ કે પુસ્તક લખે, તેમને તથા જેઓ ગુજરાતી ભાષાનો ઊંડો અભ્યાસ કરે તેમને, લાયકી પ્રમાણે ઇનામ, વિદ્યાર્થીવેતન (‘ફેલોશિપ’) તથા અમુક પદવી પરિષદ તરફથી આપવાની યોજના કરવી.

૧૧. કેળવણી

સાહિત્યની વૃદ્ધિને માટે કેળવણીવૃદ્ધિની આવશ્યકતા છે. વડોદરા રાજ્યમાં જેમ કેળવણી ફરજિયાત થઈ છે, અને બીજે કેટલેક ઠેકાણે તેની શરૂઆત થઈ છે, તેમ સર્વત્ર લાગુ થવી જોઈએ. મુંબઈની ધારાસભાએ પસાર કરેલા કાયદાનો લાભ સર્વ સુધરાઈઓ, પ્રાંતપંચાયતો ને તાલુકાપંચાયતો લે તેને માટે તથા સરકાર પણ જ્યાં તેવી સંસ્થાઓ ન હોય ત્યાં કેળવણી ફરજિયાત કરે તેને માટે સખત લખાણો કરવાં જોઈએ; અને ભાષણોદ્વારા લોકોને સમજૂત આપવી જોઈએ. જેમ વાંચનારની સંખ્યા વધે, તેમ સાહિત્ય વધરા પ્રસરે એ સ્પષ્ટ છે.

૧૨. દેશી ભાષાદ્વારા ઊંચી કેળવણી

દેશી ભાષાદ્વારા ઊંચી કેળવણી આપવાની ચળવળ ચાલી રહી છે, તે ભાષાના ઉદ્ધારનું ને જ્ઞાનની વૃદ્ધિનું સુચિહ્ન છે. પાઠશાળાઓ (‘હાઈસ્કૂલો’) અને મહાપાઠશાળાઓ (‘કોલેજો’)માં ગુજરાતી ભાષાનું વિશેષ જ્ઞાન આપવું જોઈએ, અને એમ.એ.ની પરીક્ષામાં જેમ દેશી ભાષા દાખલ થઈ છે, તેમ બીજી પદવીઓ માટે પણ થવું જોઈએ.

૧૩. પુસ્તકાલયો

આપણે અહીં પુસ્તકાલયો બહુ થોડાં ને નાના પાયાપર છે. પુસ્તકાલયો, વાંચનાલયો, ને ફરતાં વાંચનાલયોની ગોઠવણ વડોદરા રાજ્યમાં ઉત્તમ પ્રકારે થઈ છે; તેનું અનુકરણ સર્વ ઠેકાણે થવાની જરૂર છે. મુંબઈની હોમરૂલ લીગ તરફથી, અમદાવાદ કેળવણી મંડળ તરફથી, તેમ કોઈ કોઈ ગૃહસ્થોની ઉદારતાથી પુસ્તકાલયો વધતાં જાય છે એ ખુશી થવા જેવું છે. સાહિત્યના ઉઠાવનો એ સર્વોત્તમ માર્ગ છે. સુધરેલા દેશોની મોટી પુસ્તકશાળાઓમાં એકજ નવીન ને સારા પુસ્તકની કોડીબંધ કે સેંકડો પ્રતો સામટી ખરીદી લેવાય છે.

૧૪. દેશી ભાષામાં ભાષણો

જાહેર સભાઓમાં ભાષણો દેશી ભાષામાં આપવાની રીતિ મહાત્મા ગાંધીજીએ ચલાવી છે, તેને સદાય વળગી રહેવું જોઈએ. ખાસ કરીને પ્રાંતિક સભાઓમાં – રાજકીય, સામાજિક, ઔદ્યોગિક કે ધાર્મિક–માં તો તેનો ઉપયોગ રૂડી રીતે થઈ શકે એમ છે.

૧૫. કચેરીઓની ભાષા

કચેરીઓમાં ને અદલતોમાં થતો અંગ્રેજીનો ઉપયોગ બંધ પડવો જોઈએ. દેશી અમલદારો તેમના ફેંસલો ને હુકમનામાં શા માટે અંગ્રેજીમાં લખે; અને વકીલો શા માટે અંગ્રેજીમાં વાદવિવાદ કરે? કારકુની ભાષા કેવળ અશુદ્ધ લખાય છે, ને તેમાં અંગ્રેજી શબ્દો ઘૂસવા પામે છે. ઉપરી અમલદાર ઉપાધિવાળો હોય, છતાં એવી ભાષા ચાલવા દે એ બરાબર નથી. ઉપરીઓનું લક્ષ હોય, તો ભાષામાં સુધરાવટ જરૂર થાય. અંગ્રેજી ભણેલા અધિકારીઓ અંગ્રેજીને બદલે દેશી ભાષામાં લખવાનો નિર્ણય કરે, તો તે પ્રસંગે બની શકે એમ છે.

૧૬. સાહિત્યને સરકારથી ઉત્તેજન

પહેલાં સરકાર ગ્રંથકારોને ઉત્તેજન આપવા માટે અમુક રકમ કાઢતી હતી. કેળવણી આપવામાં તે પુષ્કળ ખરચ કરે છે, તો સાહિત્યને ઉત્તેજન આપવા સારુ અમુક રકમ ખરચના વાર્ષિક અંદાજપત્રક (‘બજેટ’)માં દાખલ કરવા માટે પરિષદે માંગણી કરવી જોઈએ. ૧૭. વર્તમાનપત્રો ને માસિકોમાં જેમ વધારો થયો છે, તેમ પહેલાં કરતાં તેમાં સુધરાવટ પણ થઈ છે; પરંતુ તેમની ભાષા નમૂનેદાર ને પ્રમાણભૂત ગણાય, એટલા માટે આ ઊંચો ધંધો વિદ્વાનોએ હાથ ધરવો જોઈએ. સર્વ વર્ગોને પસંદ પડે અને ઉપયોગી થાય એવાં વર્તમાન-ચોપાનિયાંથી કમાણી પણ જરૂર થશે, અને તે ચલાવનારા દેશની એક અગત્યની સેવા બજાવશે. સુધરેલા દેશોમાં પ્રખ્યાત પત્રોના તંત્રીને એક હાકેમ (‘ગવર્નર’) જેટલો કે વધારે પગાર મળે છે. એવી સ્થિતિ આપણા દેશમાં ઘણી ભાષાઓને લીધે થવી શક્ય નથી; પરંતુ ધીમે ધીમે એ ધંધો સારી કમાણીવાળો થશે એ નિઃસંદેહ છે. ૧૮. છેવટની સૂચના એ છે, કે માતૃભાષા ઉપર અભાવ ન રાખો, હલકી ગણી તેને તુચ્છકારો નહિ, તેનો ઊંડો અભ્યાસ કરો, અને તેને સમૃદ્ધ કરવાના ઉપાય લો. માંહેમાહેની તકરારો સમાવી દો, આપસઆપસમાં તડ પડે અને વિદ્વાનોના વાડા જુદા બંધાય એ કોઈ રીતે ચહાવા લાયક નથી. સર્વ બાબતમાં એકસંપની ભારે અગત્ય છે. શ્રીયુત આસુતોષ મુકરજી પોતાના ભાષણમાં કહે છે કે “અને હું કયારે જોઈશ કે જેઓ દેશનો અવાજ રજૂ કરનારા અને સમાજના નેતા છે, તેમની બંગાળી ભાષા ઇષ્ટ દેવી થઈ હોય? હું એ ક્યારે સાંભળીશ કે હવે કેળવાએલ બંગાળીઓ બંગાળી ભાષામાં જ સહુ સમક્ષ વાતચીત કરતાં કે સભાઓમાં ભાષણો કરતાં અચકાતા નથી, અગર તો બંગાળી ભાષાના સેવક તરીકેની ઓળખાણ આપતાં શરમાતાં નથી? મનુષ્યમાત્રને માટે વાંછનીય પોતાની જાતીયતા અને જાતીય સાહિત્યનું ગૌરવ અખંડિત જાળવવા તથા વધારવા માટે બંગાળીઓ જો પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન-વિજ્ઞાનના ઐશ્વર્યનો ખજાનો પોતાની માતૃભાષામાં પ્રગટ કરે, તથા તરતના મળતા યશની સંમોહની તૃષાને વશ ન થઈ સ્વદેશ તેમજ સ્વજ્ઞાતિના હિતની કામનાએ એક માત્ર બંગાળી ભાષાને જ સેવ્ય તરીકે સ્વીકારે, તો આ મુશ્કેલ જણાતું કાર્ય બહુ જ સરળ થઈ જશે.” વહાલાં બહેનો ને ભાઈઓ, મારા જેવો જર્જરીભૂત થએલ અલ્પજ્ઞ પ્રાણી આથી વધારે શું કહી શકે? અને હવે વિશેષ કરી પણ શું શકે? ગરવી ગુજરાતના કવિ શિરોમણિ પ્રેમાનંદે રાખેલી અભિલાષા તેમના જ શબ્દોમાં ગાઈને તે સુજ્ઞ શ્રોતાજનોને પ્રેરે છે, અને વિરામ પામે છે.



શાર્દૂલવિક્રીડિત

સાંગોપાંગ સુરંગ વ્યંગ અતિશે, ધારો ગિરા ગુર્જરી,
પાદે પાદ રસાળ ભૂષણવતી, થાઓ સખી ઉપરી;
જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં, તે સ્થાન એ લ્યો વરી,
થાયે શ્રેષ્ટ સહુ સખીજનથકી, એ આશા પૂરો હરિ!

તથાસ્તુ

* * *




પાદટીપ

  1. કેટલાક જૈનાચાર્યો એથી વિરુદ્ધ મત ધરાવે છે ને કહે છે કે જૈન સાહિત્ય મૂળે અર્ધમાગધીમાં રચાયું હતું. અર્ધમાગધી એટલે શૌરસેની અને માગધી મળીને થએલી ભાષા, એમ છતાં રા. મણિલાલ બકોરભાઈ અનુમાન કરે છે કે, અર્ધમાગધી તે બીજી કોઈ નહિ પણ ગુજરાતની તે કાળની લોકભાષા હોવી જોઈએ?
  2. ‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’
  3. ‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’
  4. ‘ઉત્સર્ગમાળા’માં શાસ્ત્રી વ્રજલાલે થોડાક આપેલા છે.
  5. ‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’
  6. દા. ભાઉ દાજી તે કચ્છ હશે એમ ધારે છે
  7. રા.બા. ગોવિંદભાઈનો ‘પ્રાચીન ઈતિહાસ.’
  8. રા. રમણલાલ મોદી ‘ભાલણચરિત્ર’માં આ વિષે શંકા ઉઠાવે છે.
  9. મુગ્ધાવબોધમાં લિઈ, દિઈ એવાં રૂપ છે, વળી કૃદંતમાં કરી, લેઈ, દેઈ એવાં તેમાં આધુનિક રૂપો આપેલાં છે
  10. મુગ્ધાવબોધમાં લિઈ, દિઈ એવાં રૂપ છે, વળી કૃદંતમાં કરી, લેઈ, દેઈ એવાં તેમાં આધુનિક રૂપો આપેલાં છે
  11. સત્તરમી સદીમાં ગુજરાતી લિપિ ચાલતી હતી તેનો આ એક પુરાવો છે. અકબરના દસ્તાવેજમાં પણ એ લિપિ વપરાઈ છે.
  12. દયારામની અપ્રસિદ્ધ કવિતા છપાવાનું કામ ડભોઈવાળા રા. નારાયણદાસે શરૂ કર્યું છે તે ઉત્તેજનને પાત્ર છે.
  13. જેણે ગુજરાતી નાનું વ્યાકરણ રચ્યું છે, અને જે વેદાન્તમાં બરાબરી કરી શકે છે.