પશ્યન્તી/રૂપ દ્વારા ઋત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપ દ્વારા ઋત

સુરેશ જોષી

આજે પ્રવર્તતા આ માનવીય સન્દર્ભને આધુનિક સાહિત્ય ભારે ચોકસાઈથી અને સમૃદ્ધ સન્દિગ્ધતાથી નિરૂપે છે. સાહિત્ય આ જીવનસન્દર્ભનું પ્રતિબિમ્બ પાડે છે એટલું જ નહીં, એ એનાં નિરૂપણ દ્વારા એનો ઉદ્ધાર પણ કરે છે. અરાજકતામાં એ રૂપ દ્વારા ઋતને સ્થાપે છે. આ દુષ્કર કાર્ય આધુનિક સાહિત્યે શી રીતે પાર પાડ્યું છે તે જોઈએ.

આધુનિક સાહિત્યે સમય અને સ્થળની, કલ્પના અને વાસ્તવિકતાની પ્રવહમાનતાને સ્વીકારી છે. એની પાછળ રહેલી આત્મલક્ષી વાસ્તવિકતાને પણ એણે સ્વીકારી છે. પ્રૂસ્તની મહાનવલ ‘રિમેમ્બ્રન્સીસ ઓવ્ ધ થંગ્ઝિ પાસ્ટ’ ઘડિયાળના યાન્ત્રિક સમયનો નાશ કરે છે, કાફકાની સૃષ્ટિને કોઈ ભૂગોળ, નિદિર્ષ્ટ સ્થળ સાથે સમ્બન્ધ નથી. વજિર્નિયા વૂલ્ફની નવલકથામાં માનવીની એષણાઓ અને સ્મૃતિઓ અભિન્ન બની ગયાં છે.

આધુનિક સાહિત્યે આપણી માનસિક ટેવો કે બુદ્ધિના સામાન્ય વ્યાપારને સ્થગિત કરી દીધો છે. કાફકાની નવલકથા ‘ધ ટ્રાયલ’માં કાર્ય અને કારણ વચ્ચે, અપરાધ અને શિક્ષા વચ્ચે કશો સમ્બન્ધ નથી. આલ્બેર કેમ્યૂની નવલકથા ‘ધ આઉટસાઇડર’માં કેન્દ્રભૂત ઘટના સાવ તકલાદી લાગે છે. વ્યંગ અને અનાગતની આગાહી કરવાની અક્ષમતાને અસ્તિત્વના મૂળભૂત સિદ્ધાન્ત રૂપે સ્વીકારી લેવાયાં છે. દોસ્તોએવ્સકીની નવલકથા ‘ભોંયતળિયેનો આદમી’નો નાયક કારણ વગરના દ્વેષનું નિદર્શન પૂરું પાડે છે. માનવીની અર્ધજાગૃત, અજાગૃત ચેતનાનું કે સ્વપ્નનું વિશ્વ તાગવાનું પણ આધુનિક સાહિત્યે માથે લીધું છે. કોનરેડની નવલકથા ‘હાર્ટ ઓવ્ ડાર્કનેસ’, લોરેન્સની ‘વિમેન ઇન લવ’ કે જોય્સની ‘યુલિસિસ’ જેવી કૃતિઓે માનવીની ચેતનાના પ્રવાહને વર્ણવવાને માટે ભાષાની સર્વ સાધનસમ્પત્તિનો ઉપયોગ કરે છે. છતાં, પૂરો આકાર નહીં પામેલા એવા એક અબુધના વિચારો ફોકનરની નવલકથા ‘ધ સાઉંડ એન્ડ ધ ફ્યુરી’માં કેન્દ્રબિન્દુ બની રહે છે. ઓ’નીલનાં નાટક ‘ધ આઇસ મેન કમેથ’નો નાયક વાસ્તવિકતા કરતાં ભ્રાન્તિને વધુ મહત્ત્વ આપે છે.

આધુનિક સાહિત્યે માનવઅનુભવના સરળ પણ ચિરાયુ અંશોને ઝડપી લેવાનું સાહસ કર્યું છે. હેમિંગ્વેની કૃતિઓ ‘ધ સન ઓલ્સો રાઇઝીઝ’ કે ‘ધ ઓલ્ડ મૅન એન્ડ ધ સી’માં માનવવ્યવહારને શુદ્ધ કરવાનો, વ્યક્તિના સન્દર્ભમાં નૈતિક આચારસંહિતાને ફરીથી ઘડવાનો પ્રયત્ન છે. ઝિદે ‘ધ ઇમ્મોરાલિસ્ટ’માં પ્રાકૃત વ્યવહારને સંસ્કૃત વ્યવહાર સાથે સરખાવ્યો છે – એ આશાએ કે એથી તેમાં રહેલું સત્ય સ્પષ્ટ થઈ શકે. આજનું નીતિશાસ્ત્ર માનવીની વૃત્તિજન્ય આવશ્યકતાઓ તરફ દ્રુત કદમ માંડી રહ્યું છે.

આધુનિક સાહિત્યે સરળ તેમ જ સંકુલ બંનેને અભિવ્યક્ત કરવાની પદ્ધતિઓ ઉપજાવી છે. એમાં નવીનતમ અને પ્રચલિત એવા જીવનના અંશો પ્રગટ થાય છે. અભિવ્યક્તિની પદ્ધતિઓ, પુરાણકલ્પનો, પરાક્રમી નાયકોની શૌર્યકથાઓ, મરણ અને પુનર્જન્મના પુરાણવિધિઓમાંથી ઉપજાવી હોય છે. એલિયટનું કાવ્ય ‘ધ વેઇસ્ટ લૅન્ડ’, માનની ‘જોસેફ’ નવલકથા, જોય્સનું ‘યુલિસિસ’ આપણી પુરાણકલ્પનોમાંથી મેળવેલી સામગ્રીને વચ્ચે સ્થાપે છે. આધુનિક જગતમાં પ્રવર્તતી અરાજકતાને ઓળખવાનું મૂળભૂત માળખું આપણે પુરાણકલ્પનોમાંથી મેળવીએ છીએ.

આધુનિક સાહિત્યમાં પ્રતીતિકર એવી અનેક છબિઓ આપણને પ્રાપ્ત થાય છે. આપણા સમયની માનવનિયતિને આ માનવીઓ મૂર્ત કરી આપે છે. આ માનવીઓ હિંસા, અત્યાચાર કે પરાજયના ઓછાયા નીચે જન્મ્યા હોવા છતાં માનવની પરિસ્થિતિમાં રહેલાં સત્યને પ્રગટ કરે છે. એલિયટનો પ્રૂફોક, ફોકનરનો જો ક્રિસ્ટમસ, હેમિંગ્વેનો નિક એડમ્સ કે લેડી બ્રેટ, ફિટ્ઝરાલ્ડનો ગેટ્સ્બી, માનનો હાન્સકેસ્ટ્રોપ કે એશનબાખ, લોરેન્સનો બિકિર્ન, જોય્સનો લિયોપોલ્ડ કે મોલી બ્લૂમ, કાફકાનો ‘કે’ – આ બધાં આપણા હૃદયમાંથી ઊંડો પ્રતિભાવ જગાડે છે.

આધુનિક સાહિત્યે, માલાર્મેના શબ્દોમાં કહીએ તો ‘માનવજાતિની ભાષાને શુદ્ધ કરી આપી છે.’ એણે ભાષાભંડોળને પુનર્જીવિત કર્યું છે અને આપણે જે વિલક્ષણ જગતમાં જીવીએ છીએ તેને આવરી લઈ શકે એવા અભિગમો અને રૂપશ્રેણીઓ ઉપજાવી લીધાં છે. આ ભાષા રૂપ અને કુરૂપ, ઉદાત્ત અને હાસ્યાસ્પદ, કરુણ અને સુખાન્ત – આ બધાંનું નિરૂપણ કરવાની ક્ષમતા ધરાવે છે. એ એકી સાથે પ્રાકૃત અને વિદગ્ધ, બુદ્ધિનિર્ભર અને ઊમિર્મય, સીધી અને તિર્યક્ ઇન્દ્રિયસભર અને આધ્યાત્મિક છે. ભાષામાં આવેલી આ ક્રાન્તિનું, ઓગણીસમી સદીના લાગણીવેડાભર્યા વાણીચાતુર્યમાંથી એને ઉગારી લેવાના પુરુષાર્થનું શ્રેય કવિઓને ઘટે છે : યેટ્સ, રિલ્કે, વાલેરી, પાઉન્ડ, એલિયટ, ફ્રોસ્ટ, વોલેસ સ્ટીવન્સ જેવા કવિઓએ આ સિદ્ધ કરી આપ્યું છે, પણ કવિતાની આ નવી ભાષા તો નવલકથા અને નાટકનું પણ અંગ બની રહી છે.

આપણે જે જીવન જીવીએ છીએ એનો અને આપણાં સાહિત્યનાં સ્વરૂપો વચ્ચે મહત્ત્વનો સમ્બન્ધ રહ્યો છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે દરેક ભાવક એ જે કાંઈ વાંચે છે તે પોતાના જમાનાને પ્રસ્તુત છે કે નહીં તે જાણવા ઇચ્છતો હોય છે. પણ આટલું જ સાહિત્યમાં જોવું તે બસ નથી. પોતાની પ્રાથમિક પ્રતિબદ્ધતાની સ્થિતિથી આગળ પોતે શી રીતે વધી શકે તે પણ ભાવકે જોવું ઘટે. આ માટે ભાવકે થોડી સજ્જતા કેળવવી ઘટે. કોલરિજે કહ્યું હતું તેમ એણે ‘સ્વેચ્છાએ અસમ્મતિને મોકૂફ રાખવી’ ઘટે, આપણે રૂઢિથી નિયન્ત્રિત થઈને જગતને જોવાને ટેવાયા છીએ પણ અર્વાચીન સાહિત્યમાં પરિપ્રેક્ષ્ય બદલાય છે. એ જગતનું પુનવિર્ધાન આપણને અપરિચિત એવી રીતે કરે છે. એમાં વિકલ્પોની સર્જનાત્મક પસંદગી અને હેતુપુરસ્સર આણેલી તિર્યક્તા હોય છે. એનો હેતુ નરી આંખે જે દેખાતું નથી તે બતાવવાનો છે. તમે છાપામાં કોઈ સ્થળે લાગેલી આગનું વર્ણન વાંચો એ રીતે કાફકા કે ફોકનરની વાર્તા વાંચી શકો નહીં એમાં નિરૂપાતી વાસ્તવિકતાનો ઘાટ જુદો છે. મૂળભૂત રીતે સાહિત્યમાત્ર પરાવાસ્તવિક જ હોય છે.

આધુનિક સાહિત્ય અને નૈતિક મૂલ્યાંકનો વચ્ચે ખાસ કશો વિરોધ નથી. એનો સાચો ઉદ્દેશ તો કળા દ્વારા વાસ્તવિકતાનો ઉદ્ધાર કરવાનો છે. પણ આનો એ પ્રચાર કરતું નથી. હિંસા, હતાશા અને અશ્લીલતા સુધ્ધાં એના અંશો બની રહે છે. એનો હેતુ આપણાથી અપ્રગટ કે દબાવી રાખેલાં સત્યોને ઓળખાવવાનો છે. જે અનિષ્ટો આપણને પજવે છે તેને ઓળખાવીને એમાંથી મુક્ત થવામાં આપણને એ મદદ કરે છે.

ભાષા પ્રત્યે ધ્યાન એકાગ્ર કરવું એ પણ સાહિત્યનું કામ છે. એથી શબ્દોના અપ્રગટ સંકેતો આવિષ્કૃત કરી શકાય છે. પ્રતીકો, કલ્પનો, બદલાતા કાકુઓ, સંરચનાની જુદી જુદી તરાહો આ પરત્વે ઘણાં મહત્ત્વનાં છે. આગલા સાહિત્યને મુકાબલે આધુનિક સાહિત્ય અભિધા કરતાં વ્યંજનાનો આશ્રય વિશેષ લે છે. આથી એને વિશે દુબોર્ધતાની ફરિયાદ ઊઠે છે. પણ આપણે એ સાવધાનીભરી ધીરજથી વાંચવું જોઈએ અને આ નવી ભાષા શીખી લેવી જોઈએ.

4-2-1977