પુનરપિ/અંગત મંત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંગત મંત્રી

ગરુડે ચડીને ઊડ્યા વિષ્ણુ ભગવાન
(વાત છે ત્યારની વીઆઈપીને ન્હોતાં મળતાં વિમાન).
ગરુડે ચડીને આવ્યા વૈકુંઠવાસી,
પદ-નહિ પણ પંખ-યાત્રા કરતા પ્રવાસી,
હિમાદ્રીને શિખરે શિખરે
(જટા જેવી જ્યાં નદીઓ વિખરે)
વેરતાં ફૂલ. આવ્યા માનસ પાસ,
પાળમાં જેની સંઘરાયો છ પ્રકાશ.
આવ્યા માનસ પાસ,
સ્નાન કર્યું.
ફરી વીંઝતું ગરુડ સર્યું
તરલ નાવ શું આભના ઊંધા સાગરે.
પહોંચ્યા જેવા કૈલાસના પાદરે,
ધ્યાન ફેંકી દઈ ઊઠ્યા શિવ
(નાગના હારથી સુગ્રીવ);
ભેટ્યા પ્રભુને, પાથર્યું વ્યાઘ્રચર્મ.
સોમ મગાવ્યો જાણી યજમાનનો ધર્મ.
અલકમલકની વાતો કરતાં,
ટીખળ કરીને મનડાં હરતાં,
આવ્યા મુદ્દાની વાત:
કેવી આ દેવની નાત!
સ્વર્ગમાં શાંતિ કેમ સ્થપાય?
આમ બે પ્રભુઓ જ્યાં શિખર પરિષદે તલ્લીન થાય,
ત્યાં લાગ સીધાની નાગ ઉઠાવે ફેણ,
ગરુડજીને કહેવા તું-તાના વેણ:
ચાંચ વાંકી ને પાંખમાં કાણાં,
—ન્હોરમાં તારા મેલના દાણા.
અહીંથી આઘો ખસ,
ઉડણ પાવડીને, અંગત મંત્રીન
ન છાજતો મોટાની વાતમાં રસ!
આંખ વીંચી એક, ગરદન તોળી
આમ બોલ્યા ગરુડ:
બાપલા માફ કરો હું મૂઢ.
એકલા કો’દિ મળશું આપણે
કેતકી ફૂલની કાતીલ પાંપણે,
વિષ્ણુ વિના હું ને આપશ્રી રુદ્ર વિના;
જોશું પછી શી બનશે બીના.

2-2-’60