પુનરપિ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે. 10 ખંડકોની 200 ઉપરાંત પંક્તિઓનું સંગ્રહનું પહેલું કાવ્ય ‘દર્શનો વિનોબાનાં’ બે રીતે નોંધપાત્ર છે : એમાં વિનોબા ભાવેનું એક લોકહિતેચ્છુ મહાપુરુષ તરીકેનું વ્યક્તિચિત્ર વિવિધ દૃશ્યાંશો —‘દર્શનો’—માં કાવ્યરૂપ પામ્યું છે, તથા એની સાથે કવિએ પોતે કરેલાં, વિનોબાની પ્રવૃત્તિના વિવિધ પ્રસંગોનાં ચિત્રરેખાંકનો મૂક્યાં છે એ વિશિષ્ટ છે. વિનોબાચરિત્ર પણ અહીં એ કલ્પનો ગૂંથતી લાક્ષણિક અભિવ્યક્તિથી આલેખાયું છે. એ સિવાયની કૃતિઓ પણ અરૂઢ કલ્પન-અલંકરણથી વિશિષ્ટ બનેલી છે. એમાં કવિની વક્રોક્તિઓ પણ રસપ્રદ છે, જેમ કે — ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય’ કે ‘ઈથરમાં તરતું આવ્યું હૃદય બહાર’. સંગ્રહમાં પ્રદેશનું સ્વભાવોક્તિવાળું જીવંત ચિત્ર આપતું ‘કાઠિયાવાડ’, સ્ત્રી-પુરુષ-સંબંધની એક વિલક્ષણ માનસિક સ્થિતિને નિરૂપતું ‘લંડન ઉપર પાછળથી મૂકેલી બારી’ તથા રાજકીય કટાક્ષમાં સરી જતું પણ રસપ્રદ રહેતું લાંબું બાળકાવ્ય ‘હાથરસનો હાથી’ — નોંધપાત્ર કાવ્યો છે. કવિ હજુ પણ કોઈ નવી દિશામાં પ્રયોગશીલતા દાખવે ત્યાં જ, અકાળે એમનું અવસાન થયું. એક મોટી શક્યતા પર જાણે અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયું.

— રમણ સોની