પુનરપિ/1. નામકરણ: ‘પુનરપિ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


1. નામકરણ: ‘પુનરપિ’

મારી કવિતા વિષેના મારા મનસૂબાઓની ઝાંખી નામકરણવિધિના વર્ણન દ્વારા કરાવવી છે. આ કાવ્યસંગ્રહનું નામ પુનરપિ પાડ્યું તે એક સહેતુક પગલું છે. નામ દ્વારા અને આ ટિપ્પણ દ્વારા એક ‘ગેરહાજર’ના ખુલાસાઓ માત્ર આપવા છે. પંડિત રાશિ જોઈને નામ સૂચવે. ફઈબાનો ન્યાય જુદો. એને તો સુંદર નામ જ ખપે, કેમ કે જે બાળકનું નામ પાડવા તે તલપાપડ છે તેનું મોં તેને સુંદર જ લાગે. મારા પ્રથમ કાવ્યસંગ્રહનું નામ મેં ‘કોડિયાં’ રાખેલું, કેમ કે એ નામસંસ્કરણમાં ઉપમા હતી, દીપ્તિ હતી, ચિત્રાંકન હતું. એનું ઉદ્ભવસ્થાન હતું ઊમિર્ અને શબ્દનું લાલિત્ય. અવસ્થાની ઝાંખી આપવાનો ખ્યાલ મને આ વેળાએ વધુ ઉચિત લાગ્યો, તેથી તો ‘નવાં કોડિયાં કહેવાનો મોહ ત્યજ્યો, કેમ કે એમાં ક્રમનિર્દેશ આવત અને સળંગતાની ભ્રાંતિ ઊપજત અને મારે તો પુન:પ્રસ્થાન ઉપર ભાર મૂકવો હતો અને અંતરાળની પશ્ચાદ્ભૂમિ ઝાંખી કરાવી શ્રીગણેશ કરવા હતા. તે જ ન્યાયે, ‘દર્શનો વિનોબાનાં’ એ આ કાવ્યસંગ્રહનું મુખ્ય કાવ્ય હોવા છતાં એ રચનાના કક્કાથી આ પુસ્તિકાનું નામ નથી શરૂ કર્યું. કવિતામાં વિષય કરતાં વિધાન અને શીર્ષક કરતાં શિલ્પ ઉપર વધારે મદાર બાંધવામાં આવે છે. કવિને સહજ જ મોહ રહે કે વ્યક્તિવિશેષ ઉપર લખતી વેળાએ પણ એની કવિતાનું વ્યક્તિત્વ વધારે તરવરે. આ નોંધોમાં કોઈ પણ શૈલી-સિદ્ધાંતનું પ્રતિપાદન કે પ્રતિકાર કર્યા વિના મારે તો દેશવટો અને ભાષાવટો ભોગવી ચૂકેલા એક લેખક તરીકે — મારી સામે ખડા થયેલા અભિવ્યક્તિના પ્રશ્નોનો અને તેના સૂઝેલા ઉકેલોનો એકરાર કરવો છે. કાવ્યોની આત્મકથાથી વિશેષ ઉદ્દેશ આમાં નથી. કાવ્યકલાની કેડી ફંટાતાં, બેશીંગાળી થતાં, જમણા વળાંકની અવગણના કર્યા વિના મારા પગ ડાબે કેમ વળ્યા તેની વાત કરવી છે. ‘કોડિયાં’ પછીનાં કાવ્યોની પશ્ચાદ્ભૂમિનાં બે સૂચક પાસાંઓનો ઉલ્લેખ અહીં આવશ્યક છે. બન્નેને શ્રી ઉમાશંકર જોશીએ એક જ વાક્યમાં વર્ણવ્યાં છે: કર્તાના અમેરિકા-નિવાસનાં બાર વર્ષો સમેત કુલ ચૌદ મૌન-વર્ષો. ‘(કોડિયાં’ની પ્રસ્તાવના, પાનું 1.) એક નિર્દેશ છે વર્ષોના મૌનનો. બીજો નિર્દેશ છે માત્ર પરદેશવાસનો નહિ પણ પરભાષાઉચ્છ્વાસનો; માત્ર વનવાસનો જ નહિ પણ ગુજરાત અને ગુજરાતીની બહારના, પરભાષીય વનના વાસનો કે પરભાષીય પ્રવૃત્તિનો. કેમ કે હવે અંગ્રેજીમાં મેં બધી લેખનપ્રવૃત્તિ હાથ ધરેલી, જ્યારે ગુજરાતી ગદ્ય અને પદ્યમાં તો મંદ ગતિએ ફરી વાર ચાલતો થયો હતો. ‘કોડિયાં’ની 1957ની સંવર્ધિત અને સંસ્કારેલી આવૃત્તિમાંનાં સત્તાવીસ નવાં કાવ્યો નિર્દેશે છે કે 1934 પછી પ્રવાહ અટક્યો પણ પાતાળે ન પૂગ્યો; અહીંતહીં વીરડીઓ ગાળી શકાય તેટલી જ રેતીનાં આવરણ થયેલાં. એટલે આજની મારી કવિતાની તુલના કરતાં વર્ષોના મારા મૌન અને ‘ભાષાનિકાલ’નો વિચાર કર્યા વિના છૂટકો નથી. મને થયું કે મારા નવા કાવ્યસંગ્રહના નામકરણમાં જ એ અંતરાળનો ટહુકો કરું. વળી મારું માનવું છે કે પશ્ચિમમાં અને પશ્ચિમના સાહિત્યમાં વર્ષો સુધી રમમાણ રહેવાને કારણે, અને વચગાળામાં મારા ગુજરાતી સહકાવ્યકર્તાઓએ જે કાંઈ પ્રયોગો કર્યા છે તે સાથેનો સંપર્ક તૂટવાને કારણે, મારા પદ્યની ઇબારત બદલાઈ છે, અને ઊમિર્ઓ, વિચારો અને શબ્દમૂર્તિઓની અભિવ્યક્તિના માર્ગમાં કઠિન પ્રશ્નો ઊભા થયા છે. માટે આ તત્ત્વોનો સંદર્ભ આપે એવા શબ્દની શોધમાં પડ્યો. થોડાએક કવિમિત્રો અને વિવેચકોને મેં, મને સ્ફૂરેલાં નામોની યાદી મોકલી: ‘પશ્ચિમોત્તર’, ‘પશ્ચિમાયન’, ‘પુનરપિ’, ‘પુનર્વસુ’ વગેરે. અંતે ‘પુનરપિ’ પસંદ પડ્યું. શબ્દના સંગીત ઉપરાંત જે અર્થ મારે ઘટાવવો છે તેનો રણકાર એમાં છે. વળી આ પછીના કાવ્યસંગ્રહ માટે ‘પુનરપિ પુન:’ તો છે જ! તાળીઓના ગડગડાટની યાદ આપતા મૂળે ફ્રેંચ એવા અંગ્રેજી શબ્દ Encoreના બાપદાદા જેવા ‘પુનરપિ’એ મને આનંદિત કર્યો. વળી સંસ્કૃત શ્લોકો ટાંકવા હોય તોપણ પસંદગી મોકલી. ભારતમેધાવિન્ શંકરાચાર્યની પુનરપિ જનનમ્થી શરૂ થતી ભેંકાર માયા ભૂલવાની હિમ્મત કરીએ તોય નીચેનું સુભાષિત છે જ:

ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનશ્ચન્દનં ચારુગંધમ્
છિન્નં છિન્નં પુનરપિ પુન: સ્વાદુ ચૈવેક્ષુદણ્ડમ્
દગ્ધં દગ્ધં પુનરપિ પુન: કાંચનં કાંતવર્ણમ્
ન પ્રાણાન્તે પ્રકૃતિવિકૃતિર્જાયતે ચોત્તમાનામ્

પોતાની પાસે ચારુગંધ ચંદન છે તે તો કોણ કહી શકે? પણ વિચાર કેવો મનોહર છે! અને આ વિચાર મારી એક ઊંડી માન્યતાને વહેતી મૂકવાની તક આપે છે. ફરીફરી ઘસાઈને શીતળતા અને સુવાસ આપવાની લાયકાત મેલવતાં પહેલાં ચંદને સૂકા બનવું રહ્યું, સુકાવું રહ્યું. હું એમ માનતો આવ્યો છું કે અગ્નિને સતેજ રાખવા માટે જેમ વચ્ચેવચ્ચે તમરિયાંની ઊથલપાથલ કરવી પડે છે તેમ જીવનજાગૃતિને જારી રાખવા માટે તબક્કેતબક્કે સમૂળા ફેરફારો (violent changes) કરવાની જરૂર છે. જૂના ચીલાને છોડ્યા વિના નવા માર્ગો લેવાતા નથી અને અચ્છી એવી આળસ વિના પુન:પ્રયાણ વધુ ચાલતું નથી. એનો અર્થ એમ નથી કે ઊગમથી મહેરામણ સુધી સતત દોડતી નદીઓ મહાન નથી; પણ આપણે કેટલીક નદીઓ એવી જોઈજાણી છે કે જે વચ્ચે વિલોપન થયા છતાં ફરી પાછી ફાટી નીકળે. ઊખડેલા આંબા ઊગેય અને ન પણ ઊગે; ઘરે ઊગેલા આભે પહોંચે પણ ખરા અને ઠીંગણા પણ રહી જાય. સતત જાગૃતિ શક્તિ જન્માવનાર છે તેમ જ મગરમચ્છના જેવો બેપરવા પ્રમાસ ઉપકારક નીવડી શકે. ચંદનનું ચોકઠું ફરી વિચારીએ. એ સુકાય તોય સુખડ થાય. અને એક બાવળ એવો છે કે જે હરહંમેશ હરિયાળો રહીને ગાંડો ગણાય છે. એટલે સર્જનને પોષક ટેવોનું મૂલ્યાંકન કઠિન છે.