પુનશ્ચ/એંશીમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એંશીમે

ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે
ઘરના કબાટમાં ને ટેબલમાં,
પેટીમાં ને પટારામાં
ને છાજલીમાં ને માળિયામાં
જે કૈં હતું
કામનું ને નકામનું —
ચિઠ્ઠીઓ, ચબરખીઓ,
કાપલીઓ, કાગળિયાં,
પત્રો, નોંધો,
કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં —
બધું અગ્નિને અર્પણ કર્યું હતું
ને અતીતનું તર્પણ કર્યું હતું.

એંશી વર્ષ થયાં ત્યારે
મનના ખૂણે ખૂણામાં,
ચિત્તના સ્તરે સ્તરમાં
ને હૃદયના કોષે કોષમાં
જે કંઈ છે
સારું ને નરસું —
રાગ, દ્વેષ,
ગમા, અણગમા,
તિરસ્કાર, પુરસ્કાર,
હર્ષ, શોક —
એ બધું આજે હવે વિસ્મરું
અને અનાગતનું સ્વાગત કરું.

૨૦૦૬