પૂર્વોત્તર/ઓડિશા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઓડિશા

ભોળાભાઈ પટેલ

ફેબ્રુઆરી ૨૧, ૧૯૭૯

કલકત્તા તરફ જતા હાવરા ઍક્સપ્રેસમાં બારી પાસે બેઠો છું. વેગથી દોડતી ગાડી કોઈ કારણસર ધીમી પડતી જઈ નિર્જન ખેતરો વચ્ચે ઊભી રહી ગઈ છે. કાળી માટીનાં ખેતરોય જાણે સ્તબ્ધ ઊભાં રહી ગયાં છે. ક્ષિતિજ પર સૂર્યાસ્ત થઈ રહ્યો છે.

આજે સવારનો નીકળ્યો છું. સવારનો ઊગતા સૂરજનો તડકોે અમદાવાદ સ્ટેશને સ્વજનો સાથે જાણે વિદાય આપવા આવ્યો હતો, પણ તે તો સાથે જ રહી ગયો છે! અત્યારે સવારની જેમ જ એના દીર્ઘ કરોનો સ્પર્શ મને થઈ ૨હ્યો છે.

ગાડીમાં વચ્ચે નંદગાંવ આવ્યું ત્યારે ખબર પડી ગઈ કે વસંત બેસી ગઈ છે. લાય લાગી હોય તેવા લાલ લાલ કેસૂડા. એક વાર ઈડર પાસેના પોરોના જંગલમાં કેસૂડાથી સળગી ઊઠેલું વન જોયું હતું. ક્યાંક કેસૂડો જોઉં છું અને એ આખું જંગલ આંખમાં પ્રકટે છે.

સ્તબ્ધતા ચીરતી વ્હીસલ અને હળવા આંચકા સાથે ગાડી ચાલવા લાગી છે — ધીરે ધીરે. ખેતરો વચ્ચેની સાંજ ખસવા લાગી છે.

સાંજ. રવિ ઠાકુરની પંક્તિઓ સ્ફુરે એવી સ્તબ્ધ સાંજ —

રવિ અસ્ત જાય
અરણ્યેતે અંધકાર, આકાશેતે આલો
સંધ્યા નતઆંખિ
ધીરે આસે દિવાર પશ્નાતે.
બહે કિ ના બહે
વિદાય વિષાદ શ્રાન્ત સન્ધ્યાર બાતાસ.

અવશ્ય, અહીં અરણ્ય નથી, સપાટ કાળી માટીનાં ખેતરો છે, એટલે અંધકાર-આલો (પ્રકાશ)નું દ્વૈત નથી. કદાચ અદ્વૈત સધાતું જાય છે. નીચી આંખ કરી દિવસની પછવાડે સાંજ આવી રહી છે. અને પવન? વિદાયના વિષાદથી શ્રાંતિ અનુભવતો જાણે વહે છે કે નથી વહેતો તેની ખબર પડતી નથી, એવું જ છે.

વિદાયવિષાદશ્રાન્ત હુંય. તડકોય હવે તો નથી. સવારમાં સ્ટેશને વિદાય આપવા આવેલા બધા ચહેરા પ્રકટી રહ્યા.

ગાડીએ હવે ગતિ પકડી છે. આ કોઈ ગામનું ગોંદરું આવ્યું. કોઈ અજાણ્યું ગામ મને તો. પણ આ ચાલી જતી બકરીઓને તો કેટલું પરિચિત છે!

ચુપચાપ અંધકાર ગાઢ થતો જાય છે.

ફેબ્રુઆરી ૨૨

ગાડીમાં સવાર પડી છે. તડકો પાછો અંતરંગ આત્મીયની જેમ આવી ગયો છે. આ હમણાં જ એક નદી ગઈ. વૈણગંગા નદી. આ ભીની સ્નિગ્ધ સવારની એના પર પણ અસર હતી. નદીની વચ્ચે એના પ્રવાહને બે વેણીમાં વહેંચી નાખતું મંદિર આછા ધુમ્મસમાં રમ્ય લાગ્યું. મહારાષ્ટ્રનાં ફસલલચિત ખેતરો પસાર થાય છે અને ક્યાંક ફેકટરીઓની ચીમનીઓ પણ ડોકાઈ જાય છે.

દશ વાગવા આવ્યા છે. મધ્યપ્રદેશનાં જંગલો શરૂ થઈ ગયાં છે. ૧૯૬૧માં કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ, ત્યારે આ માર્ગે જતાં જોયાં હતાં, વચ્ચે ફરી એકવાર ભુવનેશ્વર જતાં. મને હિમાલયનાં ચીડ-દેવદારનાં જંગલો યાદ આવે છે. ત્યાં એક વૈપુલ્ય છે, વિશેષે વારિનું. અહીં પણ જંગલો સાથે પર્વતો છે. જંગલ વચ્ચે ક્યાંક પર્વત કાપીને જતી રેલલાઇન જુદી જ લાગે છે. આ પસાર થતો વળાંક અહીં જંગલોના પરિસરમાં કાવ્યાત્મક લાગે છે. થોડીવારમાં ખુલ્લો પ્રદેશ શરૂ થઈ જાય છે. ગામ આવે છે. નાનાં નાનાં ઘર વચ્ચેથી ગાડી પસાર થાય છે. આંગણામાં ઊભેલાં છોકરાંને કૌતુકથી જોઈ રહેતા જોઉં છું. વળી પાછાં જંગલો કાપીને કરેલા ખેતરોને છેડે નાનાં નાનાં ઘર છે. આ પેલી સ્ત્રી લાલ સાડી પહેરી માથે સૂંડલી મૂકી જઈ રહી છે, એક ફ્રેમ વિનાનું ચિત્ર. સ્ટેશનનું નામ બોરતલાવ જોતાં ગુજરાતી નામ લાગ્યું. ગાડી પસાર જ થઈ જાય છે. ત્યાં પેલા રસ્તા પર બાળકો-સ્ત્રીઓ જઈ રહ્યાં છે. આ બાજાુ નાની ઝૂંપડીઓ છે. ત્યાં એક કેસૂડો છે — એકાકી લાલઘૂમ. અહીં ખેતરમાં કાપણી ચાલી રહી છે. આ એક નાનકડી નદી ગઈ. પહાડની તળેટીમાં ગામ ચિત્રાત્મક લાગે છે.

આ બાજાુ નાનો પહાડ છે. એક રસ્તો ઉપર ચઢે છે. રસ્તે રસ્તે નજર ચઢી તો ઉપર મંદિરની ધજા ફરફરે છે. બપોરની વેળા છે. હમણાં જ રાજનંદગાંવ ગયું. થોડો ખુલ્લો ખડકાળ પ્રદેશ, શિવનાથ નદી ગઈ. કાંઠે એક નારી કપડાં ધોતી હતી. નદી અને નારી. અને આ ખાબોચિયામાં માછલીઓ પકડવા કોઈ જાળ નાખી રહ્યું છે. દૂર દૂર સપાટ ભૂમિ છે હવે. વચ્ચે ગામ. ગામમાં માટીનાં ઘર. ગામની રમણીય ભાગોળ વડની વિશાળી છાંયવાળી છે…

ગાડી વેગથી દોેડી રહી છે. ગાડીની બારી બહારનું પલપલ પરિવર્તિત વિશ્વ નજરમાં અંકાયે જાય છે. તેમાં ગાડીની સમાંતર દોડ્યે જતા લાગતા ટેલિગ્રાફના તાર સમલયમાં ઊંચાનીચા, નીચા-ઊંચા થતા દેખાયા કરે છે. કલાકોના કલાક આમ ગાડીની બારી પાસે બેસી રહેવું ગમે છે. સાથે વાંચવા લીધેલી ચોપડીઓ, પત્રિકાઓ બાજાુમાં પડી પડી રાહ જોયા કરે. ઘરની બારીમાંથી તો રોજ લગભગ એનું એ પરિચિત દૃશ્ય દેખાયા કરે — નજીકમાં જ બંધાયેલી સોસાયટીનાં મકાન, પણ સદ્ભાગ્યે હજી ખુલ્લું પડી રહેલું એક ખેતર. પેલાં હારબંધ હવામાં ઝૂલતાં લીમડાનાં ઝાડ, ખેતર પૂરું થતાં થલતેજ ડ્રાઇવ-ઇનની વાહનોથી ભરી ભરી ગતિવંત સડક, ગ્રિડના થાંભલા અને તેના પર થઈ જતા તાર… બારી બહાર જોઈએ, મનુષ્યોના એના એ ચહેરા. કાને પડતા એના એ સ્વર. હા, ખેતરનો ચહેરો બદલાયા કરે. તડકામાં, વરસાદમાં, સવારના, સાંજના. ઘેટાં ચરે, બકરાં ચરે, ક્યારેક ઊંટ. પણ એ ઊંટ જ્યારે ઊતરતા અંધારામાં પેલી ડ્રાઇવ-ઇન સડક પરથી જતા હોય ત્યારે જે છાયાકાર રચાય તે વિલક્ષણ. એ સમયે દોડી જતી હોય સેંકડો મોટરગાડીઓ ડ્રાઇવઇન તરફ. કેવો તો કેન્ટ્રાસ્ટ! એકી સાથે પેસ્ટોરલ અને અર્બન!

ઘરની એ બારીમાંથી જોવું અને ગાડીની આ બારીમાંથી જોવું — બારી હોવી, બારી મળવી, બારી પાસે બેસવું, બારી બહાર જોવું—નદી પસાર થાય છે. નામ જોયું — માંડ. સુંદર વળાંક, પહાડની છાયામાં.

હવે ગાડીની બંને બાજાુ હરિયાળા પહાડો છે. વેગથી પસાર થઈ રહ્યા છે. કેટલા નજીક છે અને છતાં કેટલા રળિયામણા! પણ એ તો દૂર રહી ગયા અને હવે પાછો નગરનો પરિસર. રાયગઢ સ્ટેશન. સ્ટેશનનો કોલાહલ છલકાય છે. પાંચ વાગ્યા છે.

ફરી પાછું જંગલ શરૂ થયું છે. જંગલનો અધિપતિ કેસૂડો છે, આંખોમાં લાલ રેખા અંજાઈ જાય છે. વન માત્ર ન કહો, કહો પલાશવન.

અને સ્ટેશનનું નામ આવ્યું — હેમગિરિ, ઓડિઆ લિપિમાં. તો ઓડિશાની ભૂમિ શરૂ થઈ ગઈ! ઓડિશાને એક બાજાુ અડે છે મધ્યપ્રદેશ, આંધ્ર. એક બાજાુ અડે છે બિહાર, બંગાળ. એક બાજુ બંગાળનો ઉપસાગર. ઓડિશા પણ નદીઓ, પહાડો, જંગલો અને સરોવરોનો મુલક છે. કેટલી તો લાંબી એની સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરા છે! ભગવાન જગન્નાથની આ ભૂમિ.

જગન્નાથની ભૂમિ પર ગાડી દોડી રહી છે. જગન્નાથ અધિષ્ઠાતા દેવતા છે ઓડિશાના. પણ આ ભૂમિ તે એક વેળાનો અંગદેશ. દુર્યોધને કર્ણને અંગદેશનો રાજા બનાવેલ તે જ આ અંગ હશે? અંગબંગ આપણે સાથે જ બોલીએ છીએ. તેવી રીતે આપણું રાષ્ટ્રગીતમાં ઉત્કલબંગ સાથે બોલીએ છીએ. ઉત્કલ નામ પણ પ્રચલિત છે. ઓડિશાની કેન્દ્રિય યુનિવર્સિટીનું નામ પણ ઉત્કલ યુનિવર્સિટી છે.

પણ આ ઉત્કલનો જે સૌ પ્રથમ પરિચય તે તો ઇતિહાસમાં કલિંગ નામે. અશોકે કલિંગ દેશ પર ચડાઈ કરી હતી. અહીં એનું હૃદયપરિવર્તન થયું હતું.

તો પછી ઓડિશા? આપણે તો ઓરિસ્સા કહીએ છીએ, અંગ્રેજી જોડણી પ્રમાણે. ઓડિશા થયું છે ‘ઉડ્ર’ કે ‘ઓડ્ર’ પરથી. તે પછી ઉડ્ર કે ઓડ્રનું શું? જાતિ વિશેષ હશે?

ગમે તેમ પણ ઓડિશા કહેતાં ભગવાન જગન્નાથ અને એમની પુરી — જગન્નાથપુરી, ભુવનેશ્વર અને કોણાર્ક, અટકથી કટકવાળું કટક, મહી અને કાઠજુડી, ધૌલી અને ચિલિકા, અને વળી કાંધ આદિવાસીઓની વસતીવાળાં કોરાપુટનાં ઊંચાં જગલો — કૈં કેટલુંય યાદ આવે.

સાંજ પડવામાં છે. તડકામાં નહાતાં જગલો પસાર થાય છે અને પછી આવે છે બેલ પાહાર સ્ટેશન. તો પછી હવે ઝારસુગુડા આવવું જોઈએ. મારે ત્યાં ઊતારવાનું છે.

ફેબ્રુઆરી ૨૩

અત્યારે કટકમાં છું. ગઈ કાલે સાંજે ઝારસુગુડાથી શંબલપુરની બસ લીધી. જે ગાડીમાં હતો, તેમાં બેસીને ખડગપુર સુધી પહોંચી ત્યાંથી બીજી ગાડીમાં કટક જઈ શકાયું હોત, પણ તેમ કરવામાં બાર કલાક કરતાં વધારે સમય જાય. અહીંથી બસરૂટ ટૂંકો પડે છે. શંબલપુર તે ઓડિઆ કવિ ગંગાધર મેહરનું ગામ. શંબલપુરની સાડીઓનો વણાટ વખણાય છે, તેવો વખણાય છે કવિ ગંગાધરની કવિતાઓનો વણાટ. ત્યાંથી નજીક જ મહાનદી પરનો હીરાકુંડ બંધ છે. શંબલપુરથી જ રાત્રિબસ મળી, તે વહેલી પરોઢના અંધારે ત્રણ વાગ્યે કટક. આટલા અંધારામાં શ્રી પ્રભુદાસ પાટડિયાને ત્યાં જવાનું ઉચિત ન લાગ્યું. બસસ્ટૅન્ડ પર થોડો સમય વિતાવવાનો વિચાર કર્યો. મારા જેવા જ બીજા પણ એક ભાઈ હતા. શ્રી મિશ્ર. શંબલપુર બાજુના હતા. તેમની સાથે વાતો જામી પડી, ઓછામાં પૂરું તે કવિતા કરતા હતા. પૂર્વાકાશમાં ચંદ્ર અને શુક્ર મધુર લાગતા હતા. પવનમાં આછો કંપ હતો.

શ્રી પ્રભુદાસભાઈને ત્યાં પહોંચ્યો ત્યારે કહે, ‘કેમ આટલા મોડા આવ્યા? તમારે તો ત્રણ વાગ્યે લગભગ આવવું જોઈતું હતું.’ મારો સંકોચભાવ જાણી તેઓ નારાજ થયા. ‘ત્રણ કલાક બસસ્ટૅન્ડે રોકાવાય?’

પ્રભુદાસભાઈ ગુજરાતી છે અને અહીં કટકમાં વર્ષોથી સ્થાયી થયા છે. ઓડિશા રાજ્યની કોલસાની સેલ એજન્સી તેમની પાસે છે. મોટા કોન્ટ્રાક્ટર પણ છે. ચારેક વર્ષ પહેલાં તેમને ત્યાં આવી ગયેલો, એટલે પરિચય હતો. આપણા સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીના નિકટના સંબંધી છે.

મારે રાત થોડી અને વેશ ઝાઝા જેવી વાત છે. બને તેટલા અહીંના સાહિત્યકારોને મળવાનું હતું, ચોપડીઓ ખરીદવાની હતી અને કટકને જોવાનું તો હતું જ.

પ્રભુદાસભાઈએ તેમની ગાડીની સુવિધા આપી, પણ તેમના પુત્ર હસમુખભાઈ સાથે મોટરસાઈકલ પર ઘૂમવાનું પસંદ કર્યું.

મરાઠાઓનો ઇતિહાસ ભણતી વખતે ‘અટકથી કટક સુધી’ મરાઠાઓની હાક વાગતી હોવાનું ગોખ્યું હતું. અટક તો હવે પાકિસ્તાનમાં પણ આ કટક. કટક પાઘડીપને છે. ખૂબ લાંબુ છે. પણ બીજાું થાય પણ શુ? આખું નગર મહાનદીના બેટ પર વસેલું છે. બંને બાજાુ નદીનો પ્રવાહ વહે છે, વચ્ચે બેટ પર કટક, નદીનાં પાણી નગરમાં ન પ્રવેશે માટે લાંબી દીવાલ બાંધવામાં આવી છે. પણ પાણીનું તો ભલું પૂછવું!

લાંબી બજારમાં પગ-રિક્ષાઓનો પાર નહિ. આ નગરમાં ગુજરાતીઓ પણ ઘણા છે, કલકત્તાના ભવાનીપુરની જેમ એક આ વિસ્તાર ગુજરાતીઓથી વિભૂષિત છે. કટકની ફિલિગ્રી, ચાંદીકામ ઉચિત રીતે જ વખણાય છે. એક ગુજરાતીની દુકાન પર જઈ કેટલાક નમૂના જોયા — ચાંદીનો એક મોર મનમાં વસી ગયો, કિંમત ૨૫૦ રૂપિયા.

મારે ઓડિઆ કવિતાનાં પુસ્તકો ખરીદવાં હતાં, ખાસ તો સર્જાતી કવિતાનાં. એક દુકાનમાંથી જતીન્દ્રમોહન મહાન્તી સંપાદિત ‘આધુનિક ઓડિઆ કવિતા’નું સંચયન મળ્યું તે સારું થયું. ત્યાંથી પ્રમાણમાં ઠીક એવો ઓડિઆ-અંગ્રેજી કોેશ પણ મળ્યો.

બાજુમાં ફ્રેન્ડ્ઝપબ્લિશર્સમાં કવિતાની કેટલીક ચોપડીઓ જોઈ. કોઈ ગુજરાતી ઓડિઆ કવિતાની ચોપડીઓ ખરીદે, તે પ્રકાશકને માટે નવી વાત હતી. આમે કવિતાની ચોપડીઓ ખરીદાતી જ ઓછી હોય છે. સૌભાગ્ય મિશ્રના બે સંગ્રહ જોયા—‘અંધ મહુમાછી’ અને ‘નઈ પહઁરા’. સૌભાગ્ય મિશ્રની કવિતાનો અનુવાદ મેં ‘સંસ્કૃતિ’માં કરેલો અને પછી સુરેશ દલાલના ‘કાવ્યવિશ્વ’માં તે સ્થાન પામેલો. મને એમની કવિતા માટે રૂચિ હતી જ ત્યાં પ્રકાશકને શું સૂઝ્યું કે તેણે સૌભાગ્ય મિશ્રને ફોન જોડ્યો. થોડી વાત કરી, ફોન મારા હાથમાં મૂક્યો. કવિ તે દિવસે સાંજે શાંતિનિકેતન વ્યાખ્યાન માટે જવાના હતા. તેમણે કહ્યું — અત્યારે આવો તો મળીએ.

આ તો આપણે જોઈતું જ હતું. હસમુખભાઈ કટકના ખૂણે ખૂણાને જાણે — એટલે નગરને છેક છેવાડે આવેલા કવિના ઘરે પહોંચવામાં પણ વિલંબ ન થયો. સૌભાગ્ય મિશ્ર કટકના વતની છે, પણ અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કરે છે, બહેરામપુર યુનિવર્સિટીમાં. આજે ગામમાં હતા.

અમારા જવાથી તેઓ રાજી થયા. બંને ભાષાઓની સાહિત્યિક ગતિવિધિઓની વાત ચાલી. ગુજરાતી કવિતા અત્યારે કયા માર્ગે છે, તેમ તેમણે પૂછ્યું. ગુજરાતી સાહિત્યની અદ્યતન ગતિવિધિમાં તેમને રસ હતો. સંક્ષેપમાં વાત કરી, મેં ઓડિઆ કવિતાની, તેના પ્રકાશનની, વિક્રીની પણ વાત પૂછી. મને ખબર હતી કે ઓડિઆમાં આપણા કરતાંય પ્રકાશનની વધારે મુશ્કેલી છે, કવિતાની તો ખાસ, પ્રકાશકોનું વધારે વર્ચસ્ લાગે. ઘણાં પુસ્તકોમાં લેખકીય વક્તવ્ય ન હોય પણ પ્રકાશકીય વક્તવ્ય હોય.

વાતવાતમાં એક વાત આવી. ઓડિઆ કવિતા આઈ. એ. એસ. ઑફિસરો દ્વારા લખાતી કવિતાઓ છે — એવું ઘણાં કહે છે. વાત પણ થોડી તથ્યપરક છે. અત્યારના મુખ્ય કવિઓમાંના સીતાકાન્ત મહાપાત્ર કે રમાકાન્ત રથ કે જગન્નાથ પ્રસાદ દાસ કે રાજેન્દ્રકિશોર પાંડા — આ બધા આઈ. એ. એસ. અમલદારો છે. આ વાત પર વિનોદ પણ થયો.

ઓડિઆ કવિતાઓમાંથી ગુજરાતીમાં સંચય કરવા માટે પસંદગી કરવાનો ખ્યાલ હતો. કવિઓની અને કવિતાઓની સૂચિ તૈયાર કરવામાં તેમણે સહાય કરી. તેમણે કહ્યું, ‘તમે બીજા કવિઓને મળો ત્યારે તેમની પાસેથી પણ તેમની પસંદગીનાં નામ માગશો. મારી આ સૂચિ બતાવશો નહિ. તેમાંય શચી રાઉત રાયને મળો ત્યારે તો ખાસ. તેઓ અત્યારના કવિઓ પર થોડા ચિડાયેલા રહે છે.’

કૉફી પી, ત્યાંથી શચી રાઉત રાયને જ મળવા નીકળ્યા. રસ્તામાં તેમનું ઘર આવતું હતું.

શચી રાઉતની કવિતા વિષે બહુ પહેલેથી જાણતો હતો. એક જમાનામાં તેમનું નામ ‘પીપલ્સ પોએટ’ તરીકે બહુ ગુંજતું હતું. અંગ્રેજીમાં તેમની કવિતાઓના અનુવાદ કવિશ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે કરેલા. તેમનો અભિનંદનગ્રંથ પ્રગટ કરેલો. ‘બાજી રાઉત’ એક કિશોરને કેન્દ્રમાં રાખીને લખાયેલી તેમની કવિતા બહુ પ્રસિદ્ધ થઈ હતી. ગ્રામચિત્રોની કવિતા ‘પલ્લીશ્રી’ પણ એટલી જ પ્રશંસા પામી હતી.

રસ્તે જતાં હસમુખભાઈએ કહ્યું કે શચી રાઉત રાયે એક સ્પિનિંગ મિલ ચલાવવાનો પ્રયત્ન કરી જોયો હતો. કવિ મિલની ઑફિસમાં જઈને કવિતાઓ લખતા! મિલ ફડચામાં ગયેલી અને હજી તેમના કેટલાક લેણિયાતો ઊભા છે.

શચી રાઉત રાય દેશવિદેશમાં ખૂબ ભમ્યા છે. વિદેશોમાં પણ વ્યાખ્યાનો આપ્યાં છે. ઓડિશા રાજ્ય સાહિત્ય અકાદેમીના તેઓ અધ્યક્ષ છે. મિશન રોડ પર તેમનું સુંદર મકાન છે. તેઓ મળ્યા. સૌભાગ્ય મિશ્રની વાત સાચી નીકળી. અત્યારના કવિઓની વાત આવતાં જરા ઊકળી ઊઠ્યા. મને થયું, હોય, ‘જનરેશન ગેપ.’ તેમની પાસેથી પસંદ કરવા યોગ્ય કવિઓની સૂચિ મેળવી. પણ અગાઉની સૂચિના બહુ ઓછા કવિઓ તેમાં નહોતા!

કવિના ઘરમાં પુસ્તકો કરતાં વધારે ધ્યાન તો શિલ્પમૂર્તિઓનો સંગ્રહ ખેંચતો હતો. તેમણે કહ્યું કે તેઓ ‘દિગન્ત’ નામે મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટર ચલાવે છે. અને એ નામની ત્રૈમાસિક પત્રિકા પણ પ્રકટ કરે છે.

બપોર પછી ભુવનેશ્વર જવાનું વિચાર્યું. સાહિત્ય અકાદેમીના પારિતોષિક વિતરણ પ્રસંગે દેશની જુદી જુદી ભાષાઓના પ્રતિનિધિ સાહિત્યકાર તથા પારિતોષિક વિજેતા ભુવનેશ્વરમાં એક સ્થળે મળી શકે તેમ હતું.

કાઠજાુડી પસાર કરી. ભુવનેશ્વરમાં પ્રવેશતાં પરિચિત મિત્રને થોડા સમયના અંતરાલ પછી મળવા જેવો આનંદ થતો હતો. પાન્થનિવાસમાં શ્રી યશવંતભાઈ તથા શ્રી અનંતરાય રાવળ મળ્યા. વાહનની સગવડ હતી જ. વિચાર્યું — ઉદયગિરિ ખંડગિરિ જોઈ આવીએ. સાંજ હતી. ઉદયગિરિ ખંડગિરિની ઉપત્યકા યાત્રિકોથી સભર હતી. મારે માટે આ બીજી મુલાકાત હતી. પહેલી મુલાકાત વેળાએ ભીની સવાર હતી, થોડી નિર્જનતા હતી.

પહેલાં ઉદયગિરિની ગુફાઓ જોવી શરૂ કરી. રાજા ખારવેલના શિલાલેખવાળી હાથીગુફા પહેલી જોઈ. ગુફાને કાળે અનેક ક્ષતો કર્યા છે. ખારવેલ જૈન હતો. એને શિલાલેખ શરૂ જ થાય છે — ‘નમો અરહંતાનં..’ શબ્દોથી. ઈ. સ. પૂર્વેની પહેલી સદીનો આ લેખ.

શ્રી યશવંતભાઈ તથા રાવળ સાહેબને મારી પૂર્વ મુલાકાતની યોગ્યતાને બળે માહિતી આપવામાં હું સોત્સાહ હતો. શ્રી પ્રભુદાસભાઈ પણ કેટલીક વિગતો કહે. ગણેશ ગુફા—રાણી ગુફા—આમ થોડું ઝડપથી ફરી લીધું.

ખંડગિરિમાં જે વૃક્ષોનું ગાઢ વન છે, તેમાંથી નીચા નમી પસાર થવાનું બધાને ગમ્યું. સુક્કાં પાંદડાંનો અવાજ આપણને ઓછો પરિચિત હોય છે. અહીં બધી જૈન ગુફાઓ છે. મુખ્યત્વે તો જૈન સાધુઓને રહેવા માટે તે બનાવાઈ હતી.

આ ખંડગિરિ (ગિરિથી ચમકવું નહીં, ઊંચાઈ દોઢસો ફૂટથીય ઓછી) પરથી ભુવનેશ્વરનાં મંદિર અને દૂર ધૌલીનો બૌદ્ધ સ્તૂપ દેખાતાં હતાં. સાંજ થવામાં હતી. નક્કી કર્યું કે કાલે સાંજે ધૌલી જઈશું.

હું પાછો કટક આવી ગયો.

ફેબ્રુઆરી ૨૪

સવારમાં મહાનદી તરફ ગયા. ઓડિશાની આ સૌથી મોટી નદી. આ નદી ઉપર હીરાકુંડ બંધ બાંધવામાં આવ્યો છે, શંબલપુર પાસે. અહીં એના પર એક મોટો પુલ બાંધવામાં આવ્યો છે. હસમુખભાઈએ કહ્યું, એશિયાનો તે લાંબામાં લાંબો પુલ છે.

કટક પાસે પણ એક આડ બંધ છે. તેના પર થઈ મહાનાં પાણી વહી જતાં હતાં. હેઠવાસ ભણી જતા પાણીના પ્રવાહ વચ્ચે જઈ અમે ઊભા. આમ હેઠવાસભણી નદીના મુખ તરફ ચાલ્યા કરીએ તો મહા જ્યાં સમુદ્રને મળે છે, તે પારાદીપ નામનું બંદર આવે.

પારાદીપ કહે કે પારાદ્વીપ. એ પ્રાચીન બંદરેથી બૌદ્ધ સમયમાં જાવાસુમાત્રા ભણી જતાં જહાજો ઊપડતાં. કેટલાંક વર્ષો પહેલાં પારાદ્વીપ ગયો હતો. કટકથી પચાસેક માઈલ હશે. ત્યાંનો સમુદ્રકિનારો એટલો તો ગમી ગયેલો કે ફીણ ઉછાળતાં મોજાંની લીલા કલાકેક જોયા કરેલી. પારાદ્વીપ જતો આ પ્રવાહ ત્યાં જવા જાણે લલચાવતો હતો.

નદી કાંઠેથી ગયા કટકનું પ્રસિદ્ધ સ્ટેડિયમ જોવા. જાૂના બારબાટી કિલ્લા પાસે આવેલું હોવાથી એ નામથી ઓળખાય છે, અહીં અનેક રમતોની વ્યવસ્થા છે. સ્ટેડિયમ ફરતી બહારની બાજાુએ દુકાનો કાઢવામાં આવી છે. અમે ગયા ત્યારે સ્ટેડિયમના એક પ્રાંગણમાં ટેનિસસ્પર્ધા ચાલતી હતી.

કટકની પ્રસિદ્ધ રેવનશા કૉલેજને સોથીય વધારે વર્ષો થઈ ગયાં છે. ટપાલખાતાએ તેની શતાબ્દી ટિકિટ પણ બહાર પાડેલી. એનું મકાન જોતાં આપણી ગુજરાત કૉલેજ યાદ આવી. જાૂની પદ્ધતિની લાંબી ઇમારત. લાકડાના દાદરા. પાંચદશ જણ ઊતરે તો ય મહારવ થાય, તો કૉલેજના વર્ગો છૂટે ત્યારે તો? મોટા મોટા હૉલ. પ્રાચીનતાની વાસ આવે. એડિશાના અનેક બૌદ્ધિકો અહીં તાલીમ પામેલા. ભલે ભુવનેશ્વર રાજધાની હોય, કટક જ ઓડિશાની રાજધાની ગણાય, જેમ અમદાવાદ ગુજરાતની. અહીં ઓડિઆ વિભાગના અધ્યાપકોને મળવાનું બન્યું. વિભાગના અધ્યક્ષ શ્રી મહાન્તિને દશ વર્ષ પહેલાં પતિયાળાની પી. ઈ. એન. કૉન્ફરન્સમાં મળવાનું થયેલું.

બપોર પછી ભુવનેશ્વર જવા નીકળ્યા. આજે ધૌલી જવાનો કાર્યક્રમ હતો. જો કે આકાશમાં થોડા વરસાદના અણસારા હતા. શ્રી ઉમાશંકરભાઈ, શ્રી વી. કે. ગોકાક, શ્રી યશવંતભાઈ અને રાવળસાહેબ—બે મોટરગાડીઓમાં બધા ઊપડ્યા.

કોઈ સ્થળે પહેલી વાર ગયા હોેઈએ અને એક અનિર્વચનીય અનુભૂતિ થતી હોઈ, તે સ્થળે બીજીવાર જતાં પેલી અનુભૂતિને આપણે ફરી ઝંખતા હોઈએ છીએ. પણ અરે! એ ઝંખનાની સભાનતા, અતીતની પેલી અનુભૂતિની ઉત્કટતાના સંદર્ભે આ વખતની થનારી અનુભૂતિમાં અંતરાય બની રહે છે. આ ક્ષણે જે છે, તેની સાથે ચેતનાની અવ્યાહત સન્નિધિ સધાતી નથી. મને ચારપાંચ વર્ષ પહેલાંની મારી અહીંની યાત્રા યાદ આવતી હતી, તે દિવસે પણ વરસાદ પડ્યો હતો—આજે પણ ઝરમર ઝરમર વચ્ચે તડકો પણ ઊઘડી જાય.

પણ આ વેળા ઉમાશંકરભાઈ સાથે છે. તેઓ તે કેટલા મોટા યાત્રિક છે! તેમની ‘સાથે’ જોવાની અ-પૂર્વતા હતી. ભીના વાતાવરણમાં સદ્યધૌત સ્તૂપની અમે સાથે પ્રદક્ષિણા કરી. એવું કલ્પ્યું નહોતું કે અહીં આમ સાથે હોઈશું.

મેં કહ્યું — પેલી વહી જાય છે, તે દયા નદી. નીચે દયા ચુપચાપ વહી જતી હતી. એનો રમ્ય વળાંક મનમાં ચિત્ર અંકિત કરી જાય. આખો ભૂભાગ અહીંથી રમણીય લાગે છે. દયા બોલાવતી રહી, અને અમે વળી ગયા.

યશવંતભાઈ સાથે અશોકના શિલાલેખવાળી ટેકરી ચઢ્યા. યશવંતભાઈની આંખે ચશ્માં જાડા કાચનાં. કહે, તમારી આંખે જોવું પડશે. રાવળ સાહેબ સીધા ચાલે. રોજની ટેવ.

અશોકનો આ જે શિલાલેખ છે, તેમાં એનો પ્રસિદ્ધ આદેશ કોતરાયેલો છે. એ જ આદેશ થોડા બોલીભેદે આપણું ગિરિનગર (જાૂનાગઢ) પાસેની શિલા પર કોતરાયો છે. દેશના આ બે છેડાઓનું જ નહીં, અતીત અને સામ્પ્રતના છેડાઓનું ચિત્તમાં અનુસંધાન રચાતું હતું.

શ્રી પ્રભુદાસભાઈએ કટકમાં પોતાને ઘેર ગુજરાતના સાહિત્યકારોને આમંત્રણ આપ્યું હતું. તેઓ સાથે હતા જ. એટલે ત્યાંથી સીધા કટક ભણી. રસ્તે છોકરાઓનાં દલનાં દલ ખભે ખડિયા ઊંચકી ભુવનેશ્વર ભણી જતાં હતાં. હા, આવતી કાલે શિવરાત્રિ છે. ભુવનેશ્વરમાં મહોત્સવ થશે. કટકમાં શ્રી પ્રભુદાસભાઈને ત્યાં ગયા. પણ પછી શ્રી ઉમાશંકરભાઈ અને શ્રી ગોકાકનો ઓડિઆના સ્થાનિક લેખકો સાથે ગોષ્ઠિનો કાર્યક્રમ હોવાથી વહેલા નીકળી ગયા.

સાંજ પડી. અંધારું થવામાં હતું. ચંડી મંદિરે ગયા. કટકનું અતિ પ્રાચીન ચંડી મંદિર. ત્યાંથી ગયા મહાનદીને કાંઠે. અંધારામાં નદીનો પ્રવાહ તો શું જોવાય? મેં આજે જ હવે ભુવનેશ્વર જવાનું નક્કી કરી લીધું. શ્રી પ્રભુદાસભાઈને ત્યાંથી સામાન લઈ લીધો — તેમનો આગ્રહ હતો કે બીજે દિવસે સવારે જવું — પણ ‘કંપની’ જોઈ નીકળી ગયો.

પાંથનિવાસ સુંદર આવાસસ્થાન છે, પ્રવાસીઓ માટે. યશવંતભાઈ અને રાવળસાહેબ એક ઓરડામાં હતા, બાજુના ઓરડામાં હતા પ્રસિદ્ધ ઉર્દૂ વિદ્વાન ડૉ. મલિકરામજી. મને તેમની સાથે ફાવશે કે કેમ તેની મારી આશંકાને યશવંતભાઈએ ‘એ તો અત્યંત મજાના માણસ છે’ કહી દૂર કરી, પણ એ આટલા બધા જીવંત માણસ હશે, આટલા બધા પ્રેમાળ હશે તે તેમણે કહ્યું નહોતું. તેનો પરિચય થતાં વધારે સમય ન લાગ્યો.

મલિકરામ ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન!’ ચા પીતાં પીતાં વાત કરતા ગયા અમે. વળી પાછું રૂમની બહાર નીકળી પાંથનિવાસના વિશાળ કંપાઉંડમાં ચાલ્યા. યશવંતભાઈ, રાવળસાહેબ પણ સાથે. અલકમલકની વાત નીકળતી જાય.

મલિકરામ સાહિત્ય અકાદેમીની ઉર્દૂ સલાહકાર સમિતિમાં છે. જીવન તેમણે પરદેશોમાં વિતાવ્યું છે, ‘ફોરિન સર્વિસ’માં. આધુનિક અરબીનાય નિષ્ણાત. અરબી ભાષાની વાત નીકળી, જાૂની અરબી, આજની અરબી, સાઉદી અરેબિયા, કુવૈત અને અન્ય અખાતી દેશોની અરબી અને ઈજિપ્તની અરબી.

એમના પરિવારનાં સભ્યો બહુભાષાવિદ્. તેમની દીકરીઓ અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી તો જાણે જ. ફ્રેન્ચ, જર્મન, અરબી, ફારસી પણ ઉત્તમ જાણે. દેશદેશમાં ફરવાને લીધે શિક્ષણ જ એ રીતનું. મારે માટે તો આ ‘ફેસ્સીનેટિંગ’ હતું. જુદી જુદી ભાષાઓ માટે મને અત્યંત પ્રીતિ છે. કોઈ નવી ભાષા શીખવાનું હંમેશાં ગમ્યું છે — અને આ તો કેવું કોમ્બીનેશન! મલિકરામ કહે — અમારે ત્યાં કાઈ અરબીભાષી મહેમાન આવ્યા હોય — અને છોકરીઓને જરા જુદી વાત કરવી હોય તો ઉર્દૂનો આશરો લે. ઉર્દૂભાષી આવ્યા હોય તો અરબીનો કે ફ્રેંચ — જર્મનનો આશરો લે!

રૂમમાં પાછા આવ્યા, બહાર રાતરાણી ખીલી ઊઠી હતી તેની ભીની સુગંધ પથરાઈ રહી હતી.

મલિકરામ ‘મૌલાના આઝાદ’ના ‘કલેક્ટેડ વર્ક્સ’નું સંપાદન કરી રહ્યા છે. પણ સૌથી મોટી વાત તો તેમની ઉર્દૂપ્રીતિ હતી, દેશમાં આવ્યા પછી તેઓ ‘તાહરીર’ નામે ઉર્દૂનું માસિક કાઢવા લાગ્યા—પોતાની શક્તિ, સમય અને ધન ખર્ચીને, એ માસિક માટે તેઓ જે જહેમત ઉઠાવતા, તેની જે વાત કરી, તે સાંભળી, તેને બંધ કરવું પડ્યું — તે વાતથી નિસાસો નંખાઈ ગયો. કહે — એકલે હાથે ચલાવવું મહા કઠણ હતું. આખરે બંધ કરવાની જાહેરાત કરી ત્યારે ઘણાઓએ કહ્યું — ‘અમે મદદ કરવા તૈયાર છીએ.’ મલિકરામ ચૂપ રહ્યા. જાણે કોઈ એકના એક સંતાનના અવસાનની વાત કર્યા પછીની ચુપકીદી.

‘ઉર્દૂ હેઝનો ફયુચર ઇન ઇન્ડિયા’ થોડીવાર પછી બોલ્યા. પછી ચુપ. અત્યાર સુધીની વાતમાં ઉમંગી અને વાચાળ મલિકરામનું આ બીજાું રૂપ હતું.

‘ચાલો હવે સૂઈ જઈએ’—કહી આડા થયા. પણ પછી વાતો ચાલ્યા કરી. એમના સૂતા પછી હું જાગું છું. રાતરાણીની મહેંક અહીં સુધી વ્યાપી ગઈ છે અને બેચેન કરી રહી છે.

ફેબ્રુઆરી ૨૫

સવારમાં ચા પીતાં પીતાં ફરી પાછો મલિકરામજી સાથે વાતોનો પટારો ઊઘડ્યો હતો. બધાંની સાથે અભિવાદન કરતા જાય, બોલતા જાય. હું જલદીથી તૈયાર થયો. મારે ભુવનેશ્વરનાં મંદિરોનાં દર્શન કરવાં હતાં, પુરાણી યાદ તાજી કરવી હતી. રસ્તે જતાં થયું, જાણે કે થોડા દિવસ પર જ અહીં આવ્યો હતો. વરસ તો ખાસ્સાં થવા આવ્યાં હતાં. ગઈકાલે થયેલા વરસાદથી જમીનમાં ભીનાશ હતી. ભીની માટી પર તડકાનો સંગ મનને ગમે છે.

આજે મહાશિવરાત્રિ હતી. જોગાનુજોગ કહેવાય. ભુવનેશ્વરનું આ ઘણું મોટું પર્વ. ભારે ભીડ હતી માર્ગમાં — તેથી ભારે ભીડ હતી લિંગરાજ મંદિરના સિંહદ્વારે. ક્યાં કયાંથી લોકો આવ્યા હશે! બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો — સૌ હતાં. મંદિરમાં પ્રવેશ પછી મોકળાશ હતી — વિશાળ પ્રાંગણમાં હજારો માણસો સમાઈ શકે. હા, પાછી મંદિરની અંદર જઈ દેવતાનાં દર્શન કરવાં દોહ્યલાં હતાં. આપણે તો દેવતાને બહારથી જ પાયલાગણ કરી લીધા— અને આ મંદિરના વિરાટ ભાસ્કર્યને જોવા લાગ્યો. વચ્ચે વિરાટ મેદની.

ફરતો ફરતો મંદિરની ઉત્તરજંધા ભણી આવ્યો. મારી પ્રિય પેલી પાર્વતીની મૂર્તિ — ભવ્ય, ઉન્નત, ઈષત્ ખંડિત. કામ્ય ચહેરો, ઉન્મુક્ત ઉદાર કાયા. કેટલું અલંકરણ છે! કણ કણ કંડારાયેલા હોય તેવી કટિમેખલા, જઘન સુધી લટકતી જઘનરશનાઓ, ઢીંચણ સુધી પહોંચતા પારદર્શક બારીક પાષાણવસ્ત્રની નકશીભાત, છાતી પરથી પસાર થતું એવું જ સ્તનાંશુક, જે માત્ર જમણી છાતીને જ ઢાંકે છે. ડાબો સ્તન અનાવૃત્ત, ઘાટીલા પગમાં લાંબી કાંબી, ગળામાં હારની હાર, માથે મુકટ જાણે શિખરબંધી મંદિરનું સૂક્ષ્મ રૂ૫, ખભે અડકી રહ્યાં છે ચાર કર્ણફૂલ, અરે, હા, પેલું સ્તનાંશુક નથી, ડાબે સ્કંધેથી ઢળી જમણી તરફ જતું ઉત્તરીય છે—પાર્વતી પાર્વતી — મારી મા, મારી પ્રિયા… જાણે સમાધિની ક્ષણ આવી ગઈ.

આ બાજુ ભીડ નહોતી. ત્યાં ભુવનભુવનના સ્વામીનાં દર્શનમાં તે ઠેલાતી જતી હતી. અહીં ભુવનેશ્વરીના ચરણમાં હું તો હતો.

લિંગરાજ મંદિરના પ્રાંગણમાં બીજાં અનેક મંદિરે હતાં. બધે આજે માણસો માણસો હતા. આજે મંદિરની ધજા બદલાશે, આજે મહાદેવનાં દર્શન પુણ્યકારી છે. મહાદેવ-શિવ — કેટકેટલાં એમનાં રૂપ છે! આ અન્ આર્ય દેવતા આર્ય રુદ્ર ક્યારે બની ગયા! ભારતીય ધર્મના ઇતિહાસમાં શૈવમતવાદ તો મહાન અધ્યાય છે! કેટકેટલા દેવતાઓ ‘શિવત્વ’ પામ્યા છે! શિવસહસ્ત્ર જ નહિ-દશસહસ્ત્ર નામ મળી આવે. શિવ છતાંય પાછા સંહારના દેવતા. શિવ છતાં મહાકાલ, રુદ્ર, શિવ છે એકી સાથે વૈરાગી, એકી સાથે સંરાગી- ‘એસેટિક અને ઈરોટિક.’ મનુષ્યની આદિમ ધાર્મિકતા એમની લિંગપૂજામાં પ્રગટી છે. લિંગરાજના આ મંદિરના દેવતા છે તે કૃત્તિવાસ શિવ, પણ ઉન્નત લિંગને લીધે ઓળખાય છે લિંગરાજ તરીકે. પ્રણામ દેવતા. પ્રણામ લિંગરાજ.

ભીડના ભક્તિભાવમાં દેવત્વના દર્શન થાય છે. લિંગરાજનું મંદિર પુરાતત્ત્વ ખાતાની એક મૂલ્યવાન પ્રાચીન રક્ષિત ઇમારત જ નથી, જેની છવિના વિજ્ઞાપન દ્વારા પ્રવાસનું ખાતું દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષી રહે. આ તો જીવંત શિવાલય છે. દેવતાનું મહાત્મય આજે ય હજરાહજૂર છે. નહીંતર, આટલા બધા લોકો શા માટે અહીં હાજર હોય!

ભીડ પ્રસાદ ભોજનમાં વહેંચાઈ હતી. હાંડલીઓમાં ચડેલા ભાતનો પ્રસાદ અહીં સૌ આરોગે છે. હું બહાર આવું છું.

મારે બીજા પણ થોડાં મંદિર ફરી એક વાર જોઈ લેવાં છે. રસ્તાઓ જનમેદનીથી છલકાય છે. બિન્દુ સરોવરને કિનારે ચાલું છું.

બિન્દુ સરોવરને ખાલી કરી દેવામાં આવ્યું છે. પણ તેને પરિણામે સરોવરને તટે આવેલાં મંદિરોની શોભા હણાઈ છે. ત્યાંથી ચાલતો આગળ વધું કે પેલા શંબલપુર બાજાુના મિત્ર ભેટી ગયા. કટકના બસસ્ટેશન પર અમે રાત્રિના અંતિમ પ્રહરે સાહિત્યગોષ્ઠિ કરેલી તે. ભીડમાં એક પરિચિત ચહેરાના સ્મિતનું અભિવાદન ઝીલી પરશુરામેશ્વર અને મુક્તેશ્વરના મંદિરો ભણી નીકળું છું. લિંગરાજ જેટલી ભીડ અહીં નથી, જો કે મુક્તેશ્વરમાં તો અનેક દર્શનાર્થીઓ છે,

ભુવનેશ્વર-પુરી રાજમાર્ગને ઓળંગી રાજારાણીના મંદિર ભણી ચાલ્યો. થોડું ચાલવું પડે છે આ મંદિર મને બહુ ગમે છે, અને તેમાંય તેની દક્ષિણ જંઘા ઉપરનું શિલ્પ. અહીં છે વિભિન્ન મુદ્રામાં કંડારાયેલી શાલભંજિકાઓની મૂર્તિઓ — અલસકન્યાઓની મૂર્તિઓ. માથે કદંબ કે આમ્રવૃક્ષની ડાળી અને નીચે કમનીય દેહછટાવાળી આ મૂર્તિઓ ભારતીય શિલ્પની લાક્ષણિકતા છે. ખજાુરાહોમાં કોણાર્કમાં આવી મૂર્તિઓ અનેક છે. કદાચ મંદિરપૂજા સાથે સંકળાયેલી દેવદાસીઓ મોડેલ તરીકે શિલ્પીઓની સામે હોય.

અહીં એક જે મને ગમેલી છે તેનું મસ્તક છિન્ન થયેલું છે. મેં કેટલીય વાર કલ્પનાથી ચોંટાડ્યું છે — તેની કેવી તે કામ્ય દેહયષ્ટિ છે, કટિનો રમ્ય લાંક, નિમ્નનાભિ, પીન પયોધર, દીર્ઘ પગ પરસ્પરના ક્રોસમાં, ઉપર સપુષ્પકદંબ શીખા. કયા કલાકારનું સપનું છે આ શાલભંજિકા!

ચાલતો ચાલતો લક્ષ્મણેશ્વર મંદિરસમૂહ આગળ આવ્યો. અગાઉ ભુવનેશ્વર આવ્યો, ત્યારે આ તો જોવાં જ રહી ગયાં હતાં. આ એક મંદિર તો સાતમી સદીનું છે, અતિ પ્રાચીન કહેવાય, એની બારસાખ સલામત છે, બીજાું સામેનું ૧૩મી સદીનું છે. બપોરનો સમય થયો હતો; ત્યાં જોયું એક પોસ્ટર- ‘કવિ સમ્રાટ ઉપેન્દ્ર ભંજ.’ ઓડિઆના મયકાળના એક રાજ્યાશ્રયી રીતિવાદી કવિ આ તો! ફિલ્મ જોવી જ જોઈએ. ઓડિઆ ભાષામાં હતી. પણ પછી કોેઈને પૂછતાં જાણવા મળ્યું બેત્રણ દિવસ ઉપર જ ફિલ્મ ઊતરી ગઈ છે. બહુ ચાલી નહીં. કવિજીવનની ફિલ્મમાં કોને રસ હોય? રાજ્યાશ્રયી કવિ હશે એટલે કદાચ રાજકુમારી કે રાજરાણી સાથે તેના પ્રેમની વાત હશે. આ કવિ વિષે જાણવું પડશે.

પણ ઓડિઆ ફિલ્મ જોવાનો વિચાર પાકે થઈ ગયો. રૂમ પર આવી થોડીવારમાં એક થિયેટર ભણી નીકળી ગયો. ફિલ્મ હતી ‘ગૌરી.’ ગુજરાતી ફિલ્મોને આંટી ખવડાવે તેવી હતી આ ફિલ્મ. ઇન્ટરવલ સુધી બેસવામાં પણ ધૈર્યની કસોટી હતી. બહાર નીકળી એક સરસ ચા પીધી ત્યારે. સાંજ વેળાએ આજે સાહિત્ય અકાદેમીના ઍવોર્ડ આપવાનો રવીન્દ્ર થિયેટરમાં કાર્યક્રમ હતો ત્યાં પહોંચવું રહ્યું.

આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યાં હતાં. વરસાદ પડુંપડું હતું તે ધીમે ધીમે પડવા માંડ્યો હતો. હું રવીન્દ્ર થિયેટરે પહોંચી ગયો. અહીં આજે બધી ભાષાના સાહિત્યકારોને તેમની ભાષામાં સાંભળવા મળશે. આજે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ તરીકે શ્રી ઉમાશંકરભાઈને સાંભળવાનો લહાવ મળશે. હરીન્દ્રને ‘હયાતી’ માટે ઍવોર્ડ મળ્યો હતો. તે હજી આવ્યા નહોતા. વરસાદમાં ભરાઈ પડ્યા હશે.

મંચ પર સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી અને પારિતોષિક વિજેતાઓ હતા. સભામંડપમાં અન્ય સાહિત્યકારો તથા ઓડિશાના સ્થાનિક લોકો હતા. અહીં સીતાકાન્ત મહાપાત્રને મળવાનું થયું. શ્રી ઉમાશંકરભાઈએ પરિચય કરાવ્યો. સીતાકાંત ઓડિશા સરકારના ગૃહમંત્રી છે, પણ તે સાથે ઓડિઆના ઉત્તમ કવિઓમાંના એક છે. ઓડિઆ કવિતાના સંચયની વાતમાં તેમણે ઉત્સાહથી સહકાર આપવાનું વચન આપ્યું. તેમણે આ વર્ષના અકાદેમી પુરસ્કારવિજેતા રમાકાન્ત રથ જોડે ઓળખ કરાવી. શ્રી રથ કેન્દ્ર સરકારના કૃષિવિભાગમાં જોઈન્ટ સેક્રેટરી છે, પણ પાછા ઉત્તમ કવિ.

સભામંડપ ભરાવા લાગ્યો હતો.

કાર્યક્રમ શરૂ થયો.

જે ઓગણીસ ભાષાઓના સાહિત્યકારો પુરસ્કૃત થયા હતા, તેમાંથી ત્રણ તો દિવંગત થયા હતા. ત્રણેક જેટલા આવી શક્યા નહોતા. સ્વ, આરતી પ્રભુનું પારિતોષિક લેવા તેમનો પુત્ર આવ્યો હતો. કોઈ એક કિસ્સામાં સદ્ગત કવિનાં પત્ની આવ્યાં હતાં.

અકાદેમીના મંત્રી દરેક સાહિત્યકારનો સંક્ષેપમાં પરિચય આપે છે. તેની પુસ્તિકા પણ આપવામાં આવે છે. મેં જોયું કે ૧૯ સાહિત્યકારોમાં ૭ જેટલા પ૦ની વયની અંદરના હતા, પણ ૪૦થી કોઈ નાનું ન હતું. ૭૦ વર્ષ ઉપરના ત્રણ જેટલા સાહિત્યકારો હતા. મંચ પર આખા દેશનું ભાષિક રૂપ હતું. પણ તેમાં ધ્યાન જતું હતું કોંકણ, ડોગરી, રાજસ્થાની, મૈથિલી આદિ ભાષાના સાહિત્યકારો પર. અકાદેમીએ આ ભાષાઓને માન્યતા આપી છે, ભારત સરકારે નહિ.

દરેક સાહિત્યકાર પાંચ પાંચ મિનિટ પોતાની ભાષામાં વક્તવ્ય આપતા. તેમના વક્તવ્યનો પાઠ પહેલેથી જ અંગ્રેજી/હિંદીમાં ઉપલબ્ધ હતો. તે સામે રાખીએ એટલે તેઓ શું બોલે છે, તે તેમની ભાષા દ્વારા લગભગ સમજાય.

અસમિયા સાહિત્યકાર હોમેન બરગોહાંઈ આવ્યા નહોતા. બંગાળી સાહિત્યકાર શંકરપ્રસાદ બસુને વિવેકાનંદ વિશેના તેમના પુસ્તક પર પુરસ્કાર મળ્યો હતો. તેમણે પોતાના ગ્રંથલેખનની ભૂમિકા આપી. પણ પછી આવ્યા ડોગરી ભાષાના સાહિત્યકાર નરસિંહદેવ જમ્વાલ. ‘સાંઝી ધરતી લખલેમાનુ’ નવલકથાના લેખક શ્રી જમ્વાલ પોલીસ ઇન્સ્પેક્ટર છે. યુદ્ધમોરચે લડેલા છે. પણ તેઓ કવિ ઉપરાંત શિલ્પી અને ચિત્રકાર પણ છે. ડોગરી જમ્મુ વિસ્તારની ભાષા છે. તેમણે કહ્યું કે હું જે વિસ્તારમાં જન્મ્યો છું ત્યાં બે જ વ્યવસાય મુખ્ય છે — સામાન્ય એવી ખેતી, અથવા લશ્કરમાં ભરતી. ડોગરીમાં લખવામાં તેમને કોઈ લઘુતાગ્રંથિ નથી. પુરસ્કાર પામીને પણ તેમણે કહ્યું :

મેં ઇક મુંજિ પ જાઈ, દઈ મંજલે દા મુંડ પાના એૈ મૈં હાલ્લી દુર જાના ઐ, મૈં હાલ્લી દૂર જાના ઐ.

હું એક મંઝિલ પર જઈ, બીજી મંઝિલને તેને આધાર બનાવું છું. મારે હજી દૂર જવું છે, મારે હજી દૂર જવું છે.

અંતમાં તેમણે કહ્યું, ‘જય ડુગ્ગર, જય હિંદ.’ આપણે કાશ્મીરની ખીણને ડુગ્ગર-ડોગરાભૂમિના ભોગે સમૃદ્ધ કરી રહ્યા છીએ. ‘ડુગ્ગાર’ને આપણે ન ભૂલીએ. મને આ ભૂભાગનો છ માસ પહેલાં જ પરિચય થયો હતો. જમ્મુના ડોડા વિસ્તારમાં ૧૫ દિવસ ફર્યો છું — પગે ચાલીને.

પુરસ્કાર વિજેતાઓમાં સૌથી નાનાં હતાં શ્રીમતી અનિતા દેસાઈ. તેમને ‘ફાયર ઑન ધ માઉન્ટન’ એ નામે અંગ્રેજીમાં લખેલી નવલકથા માટે પુરસ્કાર મળ્યો હતો. તેમણે કહ્યું કે પુરસ્કાર મળવાથી કલાકાર તરીકેના તેમના અધિકારને અને અંગ્રેજી ભાષામાં લખવાની ક્ષમતાને વિશ્વાસ પ્રાપ્ત થયો છે.

અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો વિષે સદૈવ એક પ્રશ્ન મનમાં રહ્યા કરે છે. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં તો ક્યારેય તેમને સ્થાન મળવાનું નથી. કોનરાડ જેવા લેખકને બાદ કરતાં અંગ્રેજી પ્રજાએ ભાગ્યે જ અન્ય દેશના અંગ્રેજીમાં લખતા સાહિત્યકારને સ્વીકાર્યો છે, પોતાની ભાષાના ઇતિહાસમાં. ભારતના કેટલા લેખકો અંગ્રેજીમાં લખે છે—અને છતાં કોઈ સ્વીકારાતા નથી. તેમનું ‘કેલીબર’ ઓછું છે?

અંગ્રેજીમાં લખનાર મોટા ભાગના લેખકોની માતૃભાષા કઈ બીજી ભારતીય ભાષા હોય છે — અને માતૃભાષા સિવાય અન્ય ભાષામાં સર્જનાત્મક અભિવ્યક્તિ એટલી મોકળી હોઈ શકે એમાં સંદેહ છે. છતાં અંગ્રેજીને પણ ભારતીય એક ભાષા સ્વીકારી, તેમાં લખનારાઓને વર્ગ ઘણો મોટો છે. ઘણા તેમાં પ્રતિષ્ઠા પામ્યા છે — ‘ઇન્ડોએંગ્લીકન’ એવી સંજ્ઞા આ સાહિત્યકારો સાથે જોડાય છે.

અંગ્રેજીમાં લખનારા આ લેખકો ભણેલાગણેલા વર્ગમાં દેશમાં અને દેશ બહાર જલદી પહોંચે છે. હજી ‘અંગ્રેજી’ આખા દેશમાં — ભલે ઓછી સંખ્યાના લોકોમાં — પહોંચવાનું માધ્યમ છે એ વાત સ્વીકારવી જ રહી. ભાષાવૈજ્ઞાનિકોએ તો અંગ્રેજીની એક કૅટેગરી ‘ઇન્ડિયન ઇંગ્લિશ’ તારવી કાઢી છે.

હરીન્દ્ર આવ્યા. તેમની ‘હયાતી’ (સંપા. સુરેશ દલાલ)ને ઇનામ મળ્યું હતું. સૌ પ્રથમ તેમણે સંપાદકનો આભાર માન્યો. તેમણે અત્યંત નમ્રતાથી કહ્યું કે કવિતા તેમને માટે જીવનનો શ્વાસ છે. ‘મારે માટે કવિતા લખવી તે સૂર્યની પાસે જવું તે છે. મને ઘણી વાર ગ્રીક ચરિત્ર ઇકારસ યાદ આવે છે. તે જ્યારે સૂર્યની પાસે પહોંચે છે ત્યારે તેની મીણની પાંખો ઓગળી જાય છે. મારામાં પણ આ મીણ જેવું જે કૈં ફાલતુ હોય તે ઓગળી જાય જેથી મારું સાચું અસ્તિત્વ પ્રકટ થાય. મારા રચનાત્મક પ્રયોગની આ પ્રાર્થના — આ મારું ‘સૂર્યોપનિષદ’ છે.

હરીન્દ્રને તાલીઓથી વધાવ્યા. ખાસ.

હિંદી કવિ ભારતભૂષણ અગ્રવાલના ‘ઉતના વહ સૂરજ હૈ’ સંગ્રહને ઇનામ મળ્યું હતું. પણ કવિનું તો અવસાન થયું હતું. હિંદીના અધ્યાપક તરીકે તેમની કવિતાથી તો પરિચિત હતો, તે સાથે તેમના શોધનિબંધ ‘હિંદી કથા સાહિત્ય પર પાશ્ચાત્ય પ્રભાવ’થી પણ.

કાનડીના લેખક બી.જી.એલ. સ્વામીને તેમના ‘હસુરુ હોન્નું’ ગ્રંથ પર અને કોંકણી લેખક સુખઠણકરને તેમના ગ્રંથ ‘માની પુંનવ’ પર પુરસ્કાર મળ્યો હતો. સુખઠણકર ગોવાના વતની અને વ્યવસાયે ડૉક્ટર છે. તેમણે કહ્યું કે ‘મારા વ્યવસાયના લોકોનું કહેવું છે કે, હું દુર્ભાગ્યવશ લેખક બની ગયો છું.’ તેમના આ પુસ્તકમાં રેખાચિત્રો છે. તેમણે કહ્યું કે બધાં જ રેખાચિત્રો ગોવાનાં છે. તેમાં નાઈ અને ધોબી પણ આવે છે. તેમણે ઉમેર્યું કે મનુષ્યના જીવનમાં હાસ્યની સૌથી વધારે જરૂર છે અને તે જ સૌથી સફળ દવા છે એમ હું ભલામણ કરું છું. કોંકણી જાણે ભારતીય ફ્રેન્ચ.

મૈથિલીના કવિ ઉપેન્દ્ર ઠાકુર તો મૈથિલી પાઘડીમાં આવ્યા હતા. ઘણા વૃદ્ધ, મને થયું કે કવિ વિદ્યાપતિ ઠાકુરની આ છ સદી પછીના ઉત્તરસૂરિ. ડોસા કહે — હું પ્રાચીન સિદ્ધાંતનો પક્ષપાતી હોવા છતાં હું મારી કાવ્યરચનાઓમાં આધુનિક રંગનો છંટકાવ કરું છું. મેં તો પ્રાચીન અને નવીન વચ્ચે મધુર સેતુની કલ્પના કરી છે. મૈથિલી સાંભળવે બહુ મીઠી લાગે. ‘બાજી ઊઠલ મુરલી’ નામનો તેમનો સંગ્રહ પુરસ્કૃત થયો હતો. મલયાલમનો પુરસ્કાર ‘રાત્રિમષ’ કવિતાસંગ્રહની કવયિત્રી શ્રીમતી સુગતકુમારીને ફાળે જતો હતો, મણિપુરીનો નાટકકાર ગીતચંદ્ર તોંબ્રાને તેમના નાટક ‘ડબોખાઉં’ માટે. મરાઠીમાં આરતી પ્રભુને તેમનો સંગ્રહ ‘નક્ષત્રાંચે દેણે’ને મળ્યો હતો. આરતી પ્રભુની કવિતાઓ ગુજરાતીમાં ઊતરી છે, જયા મહેતા દ્વારા. આ તો કવિનામ છે. તેમનું નામ તો છે ચિં. ત્ર્ય. ખાનોલકર. તેમણે નવલકથાઓ અને નાટક પણ લખ્યાં છે.

નેપાળીનો પુરસ્કાર લેવા આવ્યા શ્રી શિવકુમાર રાઈ. તેમણે કહ્યું — ‘નેપાળી અર્થાત્ ગોર્ખાને દુનિયા એક વીર જાતિ અને એક યોદ્ધાના રૂપમાં ઓળખે છે. આજે સાહિત્ય અકાદેમીએ એક ભાવનામય હૃદયવાળા મનુષ્યરૂપે, એક સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા સાહિત્યકારના નવા રૂપમાં સ્થાપીને બધા ભારતીય નેપાળીઓના ગૌરવને વધાર્યું છે અને રાષ્ટ્રની મુખ્ય ધારાની સાથે વહેવાની તક આપીને તેના હૃદયમાં નવી પ્રેરણા અને અભિલાષા જગવી છે.’

નેપાળી સમજાતી હતી. ભારતીય આર્ય પરિવારની જ એ ભાષા છે. શ્રી રાઈનો ‘ખહરે’ ‘વાર્તાસંગ્રહ’ પુરસ્કૃત થયો હતો.

પછી નામ બેલાયું રમાકાંત રથનું. તેમના નામની સાથે સભાગૃહમાં તાળીઓનો ગડગડાટ થયો. રમાકાંત અહીંની ભૂમિનું સંતાન હતા. તેમણે કહ્યું કે ‘પુરસ્કાર મળે એટલે સાહિત્ય વિષે અભિપ્રાય આપવાનો હક મળી જતો નથી. હું તો સાહિત્ય વિષે એટલું જ કહીશ કે તે લેખકને ભ્રમ અને દુ:ખથી ભરી દે છે. ક્યારેક કયારેક એવું પણ થયું છે કે હું બેઠો હોઉં પ્રેમકવિતા લખવા અને કવિતા મૃત્યુ અને નિરાશાની રચાઈ ગઈ હોય.’ તેમણે ઉમેર્યું કે ‘લેખક પોતાના દિમાગમાં થનારાં અસંખ્ય પરિવર્તનો સામે અસહાય હોય છે. ક્યારેક એક હલકોફુલકો વિચાર મહામંથનકારી તોફાનમાં ફેરવાઈ જાય છે અને ટ્રેજિક અનુભવ કવિતાના અંતમાં સુખદ અનુભવમાં ફેરવાઈ જાય છે.’ કવિ ૨માકાન્તને ‘સપ્તમઋતુ’ પર સન્માન મળ્યું હતું.

પંજાબી લેખક ગુરુમુખસિંહ મુસાફિરને મરણોત્તર ઍવોર્ડ મળ્યો, તેમના વાર્તાસંગ્રહ ‘ઉરવાર પાર’ પર, પછી આવ્યા રાજસ્થાની લેખક અન્નારાય સુદામા. તેમને ઇનામ મળ્યું હતું ‘મૈવે ૨ા રુદ્રાખ?’ (મેવાનું ઝાડ?) નવલકથા પર.

રાજસ્થાનમાં શિક્ષણ સાહિત્યની ભાષા હિંદી છે. હિંદીએ કદાચ રાજસ્થાનની તળ ભાષાઓને સૂકવી નાખી છે. પણ પાછલાં ઘણાં વર્ષોથી રાજસ્થાનીમાં વિપુલ સાહિત્યસર્જન થાય છે. રાજસ્થાની તે આપણી નજીકતમ ભાષા. શ્રી સુદામાને રાજસ્થાનીમાં સાંભળવાની મજા પડી. તેમણે અકાદેમીનો સૌ પ્રથમ આભાર માન્યો એટલા માટે નહિ કે ‘મને ઇનામ મળ્યું છે, પણ એટલા માટે કે અકાદેમીએ એક જ મંચ ઉપર દુર્લભ સંગમને મૂર્તિમંત કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. મને અપાર હર્ષ થાય છે કેમકે રાજસ્થાનીના માધ્યમથી હું સુદૂર કેરળ અને કામાખ્યા પ્રદેશના સાહિત્યોપાસકોને મળી રહ્યો છું.’

અકાદેમીને તેમણે આભાર માન્યો જે ‘મ્હને બોલણરો મોકો દિયો.’

ઓડિશામાં આપણા સાખપાડોશીને સાંભળવાની એક મઝા હતી.

‘ચીખ’ નામે સિંધી કવિતાસંગ્રહ પર પુરસ્કાર પાનાર સદારંગાણીને અગાઉ પણ સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘રુબાઈ અને ગઝલ જેવાં પરંપરાગત રૂપોથી કવિતા લખવી શરૂ કરી હતી, હવે મુક્ત છંદ સુધી પહોંચી ગયો છું. આ લાંબી બીહડ યાત્રામાં અનેક પ્રભાવો, પ્રયોગો અને અનુભવોમાંથી પસાર થયો છું, ત્યારે જતાં, મારી પોતાની આગવી રીત શોધી શક્યો છું.’

તમિળનું ઇનામ તમિળ નવી કવિતાના વિવેચનગ્રંથને મળ્યું હતું. લેખક શ્રી વલ્લિ કણ્ણન. તેલુગુમાં દે. વે. કૃષ્ણશાસ્ત્રીને તેમના સર્જનાત્મક સાહિત્ય માટે મળ્યું હતું. ઉર્દૂમાં શ્રી યુસુફ હુસૈન ખાનને ‘હાફિઝ અને ઇકબાલ’ પરના તેમના વિવેચનસંગ્રહ પર મળ્યું હતું. ચાર દિવસ પહેલાં જ શ્રી ખાનનું અવસાન થયું છે.

આજે આપવામાં આવેલાં ૧૯ પારિતોષિકોમાં ૧૫ જેટલાં સર્જનાત્મક સાહિત્યને ફાળે જતાં હતાં.

અધ્યક્ષસ્થાનેથી શ્રી ઉમાશંકર જોશીએ પ્રવચન આપ્યું. તેમણે ‘ભારતીય સાહિત્યની અભરાઈ’નો વિચાર આ અખિલ ભારતીય મંચ ઉપરથી આપ્યો. દરેક ભાષામાંથી પસંદ થયેલાં ૨૦ પુસ્તકો પહેલાં હિંદી કે અંગ્રેજીમાં અનૂદિત થાય અને જ્યાં સીધા અનુવાદો સુલભ ન હોય ત્યાં તે ભાષાઓના માધ્યમથી દરેક ભાષામાં થાય. આમ ૨૦ જેટલી ભાષાઓનાં ૪૦૦ જેટલાં પુસ્તકો થાય — તે રચી રહેશે ભારતીય સાહિત્યની અભરાઈ. તેમનો વિચાર અને વિચારને કાર્યમાં મૂકવા માટેની ભલામણ બધામાં બહુ આવકાર પામી.

આ પછી ઓડિસી નૃત્યનો કાર્યક્રમ હતો. ‘દશાવતાર’નો વિષય હતો. આ નૃત્ય જોતાં ખજુરાહો, ભુવનેશ્વર અને કોણાર્કની નાયિકાઓના અંગવિક્ષેપો યાદ આવી જાય. લયાન્વિત દેહ જોવો તે નયનોત્સવ હતો.

ફેબ્રુઆરી ૨૬

ઓડિશા સરકાર તરફથી આજે ભુવનેશ્વર મુકામે આવેલા ભારતીય લેખકોને કોનારક (કોણાર્ક) અને પુરીના દર્શને લઈ જવાના હતા. એક જ બસમાં ભારતની ઘણી ખરી ભાષાઓના ધ્વનિ સાંભળી શકાતા હતા. યશવંતભાઈ, રાવળ સાહેબ અને હું — અમારી વાતચીત ગુજરાતીમાં ચાલતી હોય, ત્યાં અન્ય કોઈની સાથે વાત શરૂ થાય કે હિન્દી, અંગ્રેજીનું બટન દબાય. શ્રી મલિકરામ સાથે ક્યારેક અંગ્રેજી, ક્યારેક હિન્દી એમ ચાલે. દક્ષિણના લોકોની ભાષાના આરોહઅવરોહ ધ્યાન ખેંચતા હોય, બધાને જેનો વ્યવહાર કરવો પડે તેવી કોઈ એક ભાષા હોય તો તે અંગ્રેજી.

ભુવનેશ્વરની ભાગોળથી જ સુષમામંડિત પ્રદેશ શરૂ થઈ જાય છે. બે દિવસ પહેલાં દયા નદી પાર કરી ધૌલી તરફ ગયા હતા, તે પ્રદેશ પસાર થઈ ગયો. દૂર સુધી પેલો શ્વેત બૌદ્ધ સ્તૂપ નજરમાં વસતો હતો. ઓડિશાનાં ગામ, ખેતર પસાર થવા લાગ્યાં. બસમાં જ અમારી સાથે બધાં સ્થળોની માહિતી આપનાર માર્ગદર્શક હતા. આસપાસના પ્રદેશની વાત કરતાં કરતાં તેઓ એડિશાના ઇતિહાસને પણ ગૂંથી લેતા. પહેલાં કોનારક જતા હતા એટલે એની વાત.

કોનારકનું સૂર્યમંદિર તેરમી સદીમાં રાજા નરસિંહદેવે બનાવડાવ્યું. ૧૨૦૦ કારીગરોેે ૧૨ વર્ષ સુધી કામ કરતા રહ્યા હતા. ભારતનાં ધર્મક્ષેત્રે કાં તો શિવક્ષેત્ર હોય છે, કાં તો વિષ્ણુક્ષેત્ર અને ક્યાંક અર્કક્ષેત્ર. કોના૨ક અર્કક્ષેત્ર છે. અર્ક એટલે સૂર્ય. આ સ્થળે કૃષ્ણપુત્ર શામ્બને શાપમુક્તિ મળી હતી.

સાગરકાંઠે ચંદ્રભાગા નદીની નિકટ કોનારકનું સૂર્યમંદિર છે. એ સમયે સૂર્યપૂજાનું પ્રચલન હતું. બહુ ઓછાં સૂર્યમંદિરો આજે અસ્તિત્વમાં છે. (મને આપણું મોઢેરાનું સૂર્યમંદિર યાદ આવ્યું, અને યાદ આવ્યું કાશ્મીરનું માર્તંડ મંદિર. માર્તંડની તો છેક પાસે થઈને ગયો હતો, પણ ઉપર ચઢી મંદિર સુધી જવાનો સુયોગ નહોતો બની આવ્યો. કચ્છમાં પણ કંથકોટની પાદરમાં પ્રાચીન સૂર્યમંદિરના અવશેષો છે.)

માર્ગદર્શકે મંદિર નિર્માણની સાથે જોડાયેલી દંતકથાઓ પછી કહેવી શરૂ કરી. સ્થપતિ હતો શિબેઈ સાંતરા. અહીં સ્થપતિ તરીકે આવ્યો, તે પહેલાં એક આદિવાસી કન્યા સાથે તેને પ્રેમ હતો. તેનો પુત્ર હતો ધર્મપદ. બધા તેને અણબાપુવા (નબાપા) તરીકે ઓળખતા. તે વારસામાં પિતાની સર્ગશક્તિ લઈને આવેલો. તે કામ શોધતો શોધતો અહીં આવી પહોંચ્યો. તેની હૈયાઉકલતથી મંદિરનો અંતિમ ભાગ ગોઠવી શકાયો… વગેરે દંતકથાઓ કલિંગના ઇતિહાસની સાથે ગૂંથાઈ ગઈ છે. ઓડિઆ ભાષામાં આ વસ્તુ પર કવિતાઓ, નાટકો લખાયાં છે. (હિન્દીમાં જગદીશચંદ્ર માથુરનું આ વિષય પર પ્રસિદ્ધ નાટક છે.) આ વાત પૂરી થાય ન થાય ત્યાં બસ નારિયેળી વડ આદિથી છવાયેલી વનરાજિ પાસે આવી ઊભી રહી. નિચાણમાં, ચારે બાજુ દીવાલથી ઘેરાયેલું, સામે હતું ભગ્ન સૂર્યમંદિર.

મારે માટે સૂર્યમંદિરની આ ત્રીજીવારની પરકમ્મા હતી. જોઉં જોઉં ને એ ભગ્ન ખંડિયેરમાંથી આખી ઇમારત આસપાસ ઊંચે આવકાશમાં ઘડવા મથું — સૂર્યમંદિરની આખી પ્રકલ્પના રૂપવિધાયિની શક્તિનો રોમહર્ષક નમૂનો છે. આ સૂર્યમંદિર એટલે સૂર્યદેવતાના સારથિ અરુણથી હંકારાતા સાત અશ્વોથી ખેંચાતો, ચોવીસ ચક્રો પર ચાલતો મહારથ. જાણે સમયદેવતાની ગતિયાત્રા. આ ચોવીસ ચક્ર એટલે જાણે ચોવીસ પક્ષ (પખવાડિયાં) એટલે કે બાર માસ, દરેક ચક્રમાં આઠ આરા તે જાણે આઠ પ્રહર. સાત અશ્વ તે સાત વાર, આ મહારથ એટલે પ્રહર, દિવસ, પક્ષમાં વહેતા જતા કાળની ગતિ. કેવી તે ઉન્નત કલ્પના છે! ગ્રેટ!

નટમંડપ, મંડપ, સભામંડપ, અંતરાલ, ગર્ભગૃહ—ધીરે ધીરે વધતી જતી ઊંચાઈ. ગર્ભગૃહમાં જ્યાં સૂર્યદેવતાની—મધ્યાહ્નના પ્રખર સૂર્યદેવતાની પ્રતિમા હતી, તે સ્થળ શૂન્ય છે. પણ ઉત્તરે, દક્ષિણે પ્રભાતના અને સંધ્યાના સૂર્યદેવતાની પ્રતિમાઓ છે. આ આ પ્રતિમાઓ ઈરાનિયન શૈલીની છે. પગે બૂટ છે. આ સાંધ્ય સૂર્યદેવને તો જુઓ! ભવ્ય રમ્ય!

સૂર્યરથના એક ચક્ર પાસે આવીને ઊભા. માર્ગદર્શકે તેની કલાગત ખૂબીઓ સમજાવી. કવિ હરીન્દ્ર સાથે હતા જ. તેમની કવિકલ્પના તો શતગુણ થઈ ગઈ હશે. આ ચક્ર ઓડિશાની સાંસ્કૃતિક ધરોહર છે, જેમ આપણે માટે વડનગરનું તોરણ. ચક્ર તે કંઈ ચક્ર. ૯ ફુટ ૮ ઈંચનો વ્યાસ છે. તેના આઠ આરા. આખો સંસાર તેમાં કોતરેલો પાછો.

હમણાં જ વરસાદ પડી ગયો હતો અને તડકાછાંયડાની રમત તો હજી ચાલતી હતી.

કોનારકની શૃંગારમૂર્તિઓ, આલિંગનબદ્ધ મિથુનો સૌનું ધ્યાન ખેંચે તે સ્વાભાવિક હતું. ખજુરાહો કરતાં અહીંની મૂર્તિઓ કદમાં મોટી હતી-આદમકદ. અહીં પણ દર્પણસુંદરીઓની, અલસકન્યાઓની, શાલભંજિકાઓની રમ્ય મૂર્તિઓ છે. પણ વધારે તો ગમી એક અશ્વારોહી નારી!

અને આ અશ્વપાલ (જેનું માથું હવે નથી) સાથેના સૂર્યમંદિરના ઘોડા કે વિરાટ કાય હાથીઓ ઊર્જિતનો જ અનુભવ કરાવી રહે. વેરવિખેર પડ્યા છે. કોઈએ ગણતરી મૂકી છે. કોનારકના મંદિરમાં ૧૪,૫૦૦ નાનામોટા હાથીઓ કોતરાયેલા છે! આ ભવ્યમંદિર એ કેમ બન્યું, કેમ તૂટયું એની અનેક કથાઓ છે, પાસે જ દરિયો ઘૂઘવી રહ્યો છે. જો કે સોમનાથ જેટલે નજીક નહીં. કહે છે કે સૂર્યદેવતાની મૂર્તિને ગર્ભમંડપમાં નિરાધાર ટકાવી રાખવા મોટાં મોટાં લેહચુંબકોેનો ઉપયોગ થયેલો. એ એટલાં બધાં શક્તિશાળી હતાં કે અહીં થઈ જતાં જહાજો કિનારે ખેંચાઈ આવતાં. એટલે એ તોડવામાં આવ્યું કે પછી કાળની ગતિથી એ તૂટયું — બધું કલ્પનાશ્રિત કથાઓમાં માત્ર છે. આજે તો એ ખંડિયેરની ભવ્યતા લઈને ઊભું છે.

પાસે જ દરિયો છે. ઝાઉનાં વૃક્ષો વટાવી જાઓ, એટલે વિશાળ સાગર. એનાં ભૂરાં જળમાં ૧૯૭૪માં આવ્યો ત્યારે કલાકો સ્નાન કર્યું હતું. આજે તો જલદી જલદી બસમાં બેસી જવાનું હતું. જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે બપોરનો દોઢ થયો હતો. બસ પાંથનિવાસના પ્રાંગણમાં ઊભી રહી, બહાર ઊતરી જોયું તો સામે ઊછળી રહ્યો જગન્નાથનો સાગર, ફેબ્રુઆરીના મંદ્ર તડકામાં દિગંતપ્રસારી પાણી ચમકતાં હતાં.

થોડીવાર પાંથનિવાસની બાલ્કનીમાંથી જોતો રહ્યો. દૂર દૂરથી આવતાં ભૂરાં પાણી કિનારે આવતાં શ્વેત ફીણ થઈ જતાં હતાં. જાણે ચિત્રમાં આલેખી હોય તેવી હેડીઓ શઢ ચઢાવીને ઊભી હતી. મારી પાસે ઊભા હતા કાશ્મીરના એક કવિ. પાર્વત્યભૂમિના જીવ. સાગર જોઈને એટલા તો પ્રસન્ન હતા!

સાગર સુધી પહોંચી કિનારે કિનારે લાંબી ફલાંગો ભરતા પાણી ઉછાળતા ચાલ્યા. અમે યશવંતભાઈની રાહ જોતા હતા. પણ એ જનાબ તો અમારી પહેલાં જ પહોંચી કિનારે કિનારે દૂર સુધી ચાલતા ગયા હતા. હરીન્દ્રભાઈ કહે — આ નીલસાગરમાં નીલવરણ કૃષ્ણ જોઈ ચૈતન્ય મહાપ્રભુ ‘કૃષ્ણ કૃષ્ણ’ કરતાં દૂર દરિયામાં ધસી જઈ તેમાં વિલીન થઈ ગયા હતા—એમ કહેવાય છે, નીલ હતે સાગર, શું કૃષ્ણ આવા નીલ હશે!

જગન્નાથનું મંદિર જોયું. એક રથયાત્રાના દિવસે દેવતા વિનાનું ખાલી મંદિર જોયું હતું. તે વખતે તો કંઈ ભીડ! પણ આજે ભીડ નહોતી. બહુ જ નિકટથી જોઈ બલરામ, સુભદ્રા અને જગન્નાથ કૃષ્ણની દારુ મૂર્તિઓ. જગન્નાથ ઓડિશાના મુખ્ય દેવતા છે. ઓડિશાની ધાર્મિક સાંસ્કૃતિક ધારાના અધિષ્ઠાતા દેવતા. અહીં સૌ કોઈ સમાન છે. ના, સમાન નથી. મંદિર જોવા ઊતરીએ તે પહેલાં જ માર્ગદર્શકે કહ્યું—માત્ર હિંદુઓને જ પ્રવેશ છે. સાંભળી આઘાત થયો. ક્ષણેક તો થયું કે બિનહિંદુ મિત્રો સાથે હુંય બસમાં બેસી રહું — મંદિરે ન જાઉં — પણ કેમ નીકળી ગયો? શ્રી મલિકરામ હિંદુ હતા, પણ પોતાના એક મુસ્લિમ મિત્ર સાથે બસમાં બેસી રહ્યા. એમનું મોં ઉદાસ હતું.

જગન્નાથના મંદિરની આ મૂર્તિઓની એક કથા છે, માર્ગદર્શકે કહ્યું. વિશ્વાવસુ નામનો શબર રાજા જગન્નાથની ઉપાસના કરતો હતો—જંગલમાં. રાજાનો મંત્રી એકવાર આ જંગલમાં જઈ પહોંચ્યો, અને તેના દેવતાને નગરમાં લઈ આવ્યો. પણ રાજા પર પ્રસન્ન થવાને બદલે દેવતા અંતર્ધાન થઈ ગયા. રાજાને સ્વપ્નમાં મહાપ્રભુએ કહ્યું : ‘હું એક દારુ — લાકડા રૂપે મળીશ. એક દિવસે સાગરકાંઠે વિરાટ દારુ વહેતું આવ્યું. તેમાંથી દેવની મૂર્તિઓ બનાવવાનું કામ એક ઘરડા સુથારે સ્વીકાર્યું. શરત એટલી કે એકવીસ દિવસ સુધી બારણાં ખોલવાં નહીં. રાજાની અધીરી રાણીએ વહેલાં બારણાં ખોલ્યાં તો મૂર્તિએ તો હતી, પણ હાથપગ વિનાની અધૂરી પછી તો એ મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ.

આ મૂર્તિઓ દર બાર વર્ષે બદલવામાં આવે છે. ‘નવકલેવર’નો ઉત્સવ થાય ત્યારે જૂની મૂર્તિઓ સળગાવી દેવામાં આવે છે. આ નવી મૂર્તિઓનું કાષ્ઠ પણ બહુ શોધ પછી મળે છે. તે બે પાંખિયા ડાળીવાળું લીમડાનું, શંખચક્રનાં ચિહ્નવાળું હોવું જોઈએ, લીમડો સ્મશાનની નજીક ઊગ્યો હોવો જોઈએ, તેના પર પંખીઓના માળા ન હોવા જોઈએ, તેના મૂળમાં સાપનો રાફડો હોવો જોઈએ, જેમાં કાળા અને સફેદ નાગ રહેતા હોય! આ લાકડાને સામાન સાથે વાજતેગાજતે નગરમાં લવાય, અને જૂની મૂર્તિઓ જેવી પાછી અસલ મૂર્તિઓ તેમાંથી ઘડાય.

જગન્નાથનું મંદિર બારમી સદીનું ગણાય છે. અગાઉ જોયેલું તો તેની બહારની દીવાલો પ્લાસ્ટરવાળી સાદી હતી અને તે દીવાલો પર મૂર્તિઓ હતી. મૂર્તિઓ પરંપરાગત શૃંગારની, પણ તેને જોઈ રસબોધ ભાગ્યે જ થાય. આવી જ મુદ્રામાં કોનારકની મૂર્તિઓ ભાગ્યે જ અશ્લીલ લાગે, અહીં અશ્લીલનો જ બોધ જાગે, કારણ કે આ મૂર્તિઓ અ-સુંદર છે, સુન્દર કદીય અશ્લીલ ના હોય. અશ્લીલતા કદર્યતામાંથી જન્મે છે. આપણને થાય કે મહાપ્રભુના પ્રવેશદ્વારે આવી મૂર્તિઓ કેમ હશે?

આ વખતે જોયું કે મંદિરની થોડી દીવાલો પરના પ્લાસ્ટરનો અંશ ઉખાડવામાં આવ્યા છે—અને આ શું! કેટલું ઉત્તમ, સુરૂપ શિલ્પકાર્ય છે દીવાલો પર! પ્લાસ્ટરથી તો શું બધી દીવાલો પરનું શિલ્પ ઢાંકી દેવામાં આવ્યું છે? આ બધી દીવાલો પરના પ્લાસ્ટરને ઉખાડી નાખવામાં આવે તો પેલી કદર્ય લાગતી પ્રતિમાઓને સ્થાને અંદરથી અસલ મૂર્તિઓ મનને મોહિત કરશે. આપણને પ્રશ્ન થાય કે કેમ આ મૂર્તિઓને પ્લાસ્ટરમાં ચણી લેવામાં આવી હશે? મૂર્તિભંજક મુસલમાન આક્રમણકારોથી બચવા? અથવા નૈતિકતાનાં કથળતાં ધોરણે પછી સૌંદર્યનો સ્વસ્થ દૃષ્ટિકોણ અળપાયો હશે કે પછી કોઈ ‘ધર્મગુરુ’ના આદેશથી મૂર્તિઓને ચણી લેવામાં આવી હશે? શું જીવ ચાલ્યો હશે?

જૈનતીર્થ શત્રુંજયના મુખ્ય મંદિરની આસપાસ પણ નાની નાની ઓરડીઓ દ્વારા ઢાંકી દેવાયેલા શિલ્પને પુન: આવિષ્કૃત કરવામાં આવ્યું છે ને!

ભવ્ય મંદિરના આ ભવ્ય નટમંડપ, હવે જાણે તેનો ઉપયોગ રહ્યો નથી. અહીં દેવદાસીઓના નર્તનથી વાતાવરણ ગુંજરિત રહેતું હશે. (ગઈ કાલનાં ઓડિશી નૃત્યોમાં એ નર્તનની ઝાંકી થઈ હતી.) ગીતગોવિંદની મધુર કોમલ કાન્ત પદાવલિ સાથે અનંત રૂપાકારો હવામાં વલયિત થઈ ઊઠતા હશે, અનંત નૂપુરરવ ઝંકૃત થઈ ઊઠતા હશે. આ જ દેવદાસીઓ કંડારાઈ ગઈ છે ને મંદિરની દીવાલો પર!

જગન્નાથનો પ્રસાદ-ચોખાનો પ્રસાદ પણ અભડાતો નથી. અહીંના પ્રસાદનું મહાત્મ્ય પણ ઘણું છે. ભગવાનનાં જ્યાં ભોજન તૈયાર થાય છે તે સ્થળે ગયા. ઘીની મહેંક હવામાં અને ઘીનો ભેજ ફરશ પર. પ્રસાદના ડુંગર જોઈ લો. ભગવાન જગન્નાથની સેવામાં છ હજારથી ય વધુ લોકો રોજ કામ કરે છે.

બસ ઊપડી ત્યારે સાંજ પડવામાં હતી. મારે ભુવનેશ્વર પહોંચી પહેલાં તો ટિકિટ કન્ફર્મ કરવાની હતી. ત્યાંથી કલકત્તાની આ બેઠોે છું તે ગાડી પકડવાની હતી.

પાન્થનિવાસે પહોંચી પહેલાં તો ચા પીધી. તે પછી યશવંતભાઈ, રાવળસાહેબ અને મલિકરામની વિદાય લઈ હું નીકળી પડ્યો. ટિકિટ ‘કન્ફર્મ’ થઈ હતી.

મારી ગાડી અત્યારે કલકત્તા ભણી ધસી રહી છે. કટક આવ્યું અને ગયું. બારી બહાર જોઉં છું. અમાસનું અંધારું વ્યાપ્ત છે. મારા ચિત્તમાં આજનો આખો દિવસ ઊભરાય છે. જગન્નાથનો સાગર ઊછળે છે. સૂર્યદેવતાનો રથ દોડે છે, જ્યારે બહાર તો આ અગ્નિરથ રાતના અંધારામાં દોડી રહ્યો છે.