પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યવિભાવનાનું મૂલબિંદુ
પ્લેટોએ સર્જકવ્યાપારને કેવળ અનુકરણનો – તાદૃશ પ્રતિકૃતિનિર્માણનો વ્યાપાર લેખ્યો અને તેથી તેમણે કવિતાને જે સત્યની કસોટીએ ચડાવી તે સ્થૂલ યથાતથ્યની કસોટી બની રહી. ઍરિસ્ટૉટલમાં અનુકરણનો અર્થ બદલાઈ જાય છે અને તેથી સત્યનું ધોરણ પણ પલટાઈ જાય છે એ આપણે જોયું. હવે, ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનામાં એવું કોઈક મૂલબિંદુ હોવું જોઈએ કે જેણે એમને અનુકરણવ્યાપારની ભિન્ન કલ્પના કરવા અને સત્યનું નવું ધોરણ ઉપજાવવાની ફરજ પાડી હોય. આ મૂલબિંદુ શોધી કાઢીએ તો ઍરિસ્ટૉટલના બધા વિચારોને સમજવાની ચાવી મળી જાય. અનુકરણવ્યાપાર અને કાવ્યમાં અપેક્ષિત સત્યના ધોરણ વિશેના ઍરિસ્ટૉટલના વિચારો ઝીણવટથી તપાસીએ તો એમાં આ મૂલબિંદુ ગૃહીત રહેલું જણાશે. ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનાનું આ મૂલબિંદુ તે એમનું કાવ્ય પરત્વેનું સ્વરૂપલક્ષી, આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુ છે. એટલે કે કાવ્યનું સારસ્ય, કાવ્યની ચરિતાર્થતા, કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ એમાં નિર્મિત થયેલી આકૃતિ, એમાં સિદ્ધ થયેલી એકાત્મકતામાં છે એમ માનનારું દૃષ્ટિબિંદુ. ઍરિસ્ટૉટલના આ દૃષ્ટિબિંદુના ભણકારા એમની અનુકરણ અને સત્ય વિશેની ચર્ચામાં નથી સંભળાતા? જુઓ, ઍરિસ્ટૉટલ (અલબત્ત, ટ્રૅજેડીને લક્ષમાં રાખીને) ‘ક્રિયા’ને અનુકરણનો વિષય ગણાવે છે અને એ ‘ક્રિયા’ની એકતા પર અવારનવાર ભાર મૂકે છે; વસ્તુરચના(પ્લોટ)ને અનુકરણ-વ્યાપારનું પરિણામ ગણે છે અને એ ‘વસ્તુરચના’ને પણ એ સાવયવી સમગ્રતાના પ્રતીક તરીકે જુએ છે. ઍરિસ્ટૉટલનાં ‘ક્રિયા’ અને ‘વસ્તુરચના’ એમના આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુથી ભારેલાં નથી બની ગયાં? પછી, અનુકરણનો વ્યાપાર કેવળ પ્રતિકૃતિનિર્માણની પ્રક્રિયા મટીને રૂપ-સર્જનની પ્રક્રિયા બની જાય એમાં શી નવાઈ? એ જ રીતે, કાવ્યગત સત્યની ચર્ચામાં ઍરિસ્ટૉટલ સંભવિતતાનું ધોરણ રજૂ કરે છે અને એ સંભવિતતાના ધોરણને કાવ્યના ઘટક અંશોના પરસ્પરના અને સમગ્ર સાથેના સંબંધનું નિયમન કરતું આંતરિક ધોરણ કલ્પે છે. આ પણ આકૃતિલક્ષી જ દૃષ્ટિબિંદુ થયું. પછી, બાહ્ય સૃષ્ટિ સાથેના યાથાતથ્યની કસોટી કાવ્યમૂલ્યાંકનમાં ઊભી રહી ન શકે, કાવ્યસૃષ્ટિની એક સ્વતંત્ર સૃષ્ટિ તરીકેની પ્રતીતિકરતાની જ કસોટી સ્વીકારવી પડે એ સ્વાભાવિક છે. આમ, અનુકરણ અને સત્ય બન્ને પરત્વે ઍરિસ્ટૉટલે પકડેલા નવા માર્ગમાં કાવ્યનું સ્વરૂપલક્ષી મૂલ્યાંકન અભિપ્રેત છે, એના આધારરૂપ બીજ છે. કલાના સ્વરૂપલક્ષી ધોરણની આ સંપ્રજ્ઞતા ઍરિસ્ટૉટલના કાવ્યમૂલ્યાંકનને સાચી દિશા આપે છે અને તેથી એનું મહત્ત્વ ઘણું છે. પ્લેટો આ સ્વરૂપલક્ષી ધોરણથી સાવ અજાણ હતા એવું કંઈ નથી. ફીડ્રસ’માં એ કહે જ છે – “તમે સ્વીકારશો કે દરેક વક્તવ્યની રચના દેહશીર્ષપાદયુક્ત સજીવ તંત્રની પેઠે થવી જોઈએ; એને મધ્ય જોઈએ, આરંભ-અંત જોઈએ અને એ બધાં પરસ્પર તથા સમગ્ર સાથે સંવાદી રીતે ગોઠવાયેલાં હોવાં જોઈએ.” પરંતુ આકૃતિના વિમર્શનમાંથી જે તૃપ્તિ મળે છે તેની ચર્ચા પ્લેટો કરતા નથી. તેમ એ તૃપ્તિનું જે મનોવૈજ્ઞાનિક મૂલ્ય છે તેની પણ એ વાત કરતા નથી. પ્રશ્નની એ બાજુની એ ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરે છે.[1]
એટલે એકતાના અને સુશ્લિષ્ટતાના સિદ્ધાંતને ઍરિસ્ટૉટલ જે મહત્ત્વ આપે છે તે પ્લેટો નથી આપતા. કદાચ પ્લેટોમાં એ વિચાર સિદ્ધાંતનું રૂપ જ પકડતો નથી, એ માત્ર વક્તૃત્વનો કોઈ સામાન્ય નિયમ આપતા હોય એવી રીતે એની વાત કરી નાખે છે. ઍરિસ્ટૉટલને સાહિત્ય પરત્વેના સ્વરૂપલક્ષી ધોરણની સૂચના પ્લેટો પાસેથી જ મળી હોવાનો સંભવ છે. કેમ કે ઍરિસ્ટૉટલે આકૃતિનો સિદ્ધાંત જે રીતે રજૂ કર્યો છે તેમાં પ્લેટોનાં ઉપર આપેલાં વાક્યોનું જ વિસ્તરણ દેખાય છે. પ્લેટો પણ આકૃતિનો સિદ્ધાંત સમજાવતાં જીવંત પ્રાણીનું ઉદાહરણ લે છે. અપેક્ષિત એકતાને સજીવ એકતા (ઑર્ગેનિક યુનિટી) તરીકે ઓળખાવે છે, સુશ્લિષ્ટ આદિ, મધ્ય, અંતની વાત કરે છે, પરંતુ ઍરિસ્ટૉટલ આકૃતિના સિદ્ધાંતને કાવ્યસૌન્દર્યસાધક સિદ્ધાંત તરીકે સ્થાપે છે, એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય પ્રગટ કરે છે અને કાવ્યમૂલ્યાંકનનાં અન્ય ધોરણોને આ સિદ્ધાંતને અનુવર્તતાં બનાવે છે. આમાં જ ઍરિસ્ટૉટલના આ સિદ્ધાંતની મૌલિકતા રહેલી છે. ટ્રૅજેડીનાં લક્ષણો આપતાં ઍરિસ્ટૉટલે આ આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. અને એને વિશદતાથી, લાક્ષણિક વ્યાખ્યાપદ્ધતિથી વીગતે સમજાવ્યું પણ છે. આપણે હવે તે જોઈએ. ટ્રૅજેડી, ઍરિસ્ટૉટલની વ્યાખ્યા પ્રમાણે, એક ક્રિયાનું અનુકરણ છે. એ ક્રિયા સ્વયંસંપૂર્ણ (કમ્પ્લીટ), સમગ્ર (હૉલ) અને કોઈક નિશ્ચિત કદની (ઑવ્ આ સર્ટન મૅગ્નિટ્યૂડ) હોય છે. આ વ્યાખ્યામાં જ ઍરિસ્ટૉટલનું આકૃતિનું ધોરણ સમાયેલું છે. એમાં ત્રણ તત્ત્વો છે – એકતા અથવા સ્વયંપર્યાપ્તતા, સમગ્રતા, અને કોઈક નિશ્ચિત કદ. ટ્રૅજેડીની ક્રિયા માત્ર એક કે સ્વયંપર્યાપ્ત હોય એ પૂરતું નથી, એ સમગ્રતાના ગુણવાળી પણ હોવી જોઈએ. પણ આ સમગ્રતા તે શું છે? સમગ્ર એટલે ઍરિસ્ટૉટલ કહે છે, જેને આદિ, મધ્ય અને અંત હોય તે. દરેક ક્રિયા કે બનાવને આદિ, મધ્ય અને અંત હોય જ. ઍરિસ્ટૉટલને આવી સાદી વાત નામ પાડીને કહેવાની શી જરૂર પડી એવો પ્રશ્ન થાય. તો, ઍરિસ્ટૉટલ જે સૂચવવા માગે છે તે એ છે કે ક્રિયાને આદિ, મધ્ય અને અંત તરીકે ઓળખાવી શકાય તેવા ભાગો હોવા જોઈએ, એટલે કે ક્રિયા સાવયવ જોઈએ. સાવયવ સમગ્રતાનો આ ખ્યાલ કેવળ એક-તાના ખ્યાલની સામે મુકાયેલો છે, પરંતુ ઍરિસ્ટૉટલના આકૃતિવિચારમાં તો આ બન્ને ખ્યાલો જોડાઈ જાય છે. ક્રિયા સમગ્ર એટલે કે આદિ, મધ્ય અને અંતયુક્ત હોય, પરંતુ એના આદિ, મધ્ય અને અંત એના પોતાના જ હોવા જોઈએ. એટલે કે એ સ્વયંસંપૂર્ણ તો હોવી જ જોઈએ. આમ, આકૃતિનિર્માણ માટે ઍરિસ્ટૉટલ સ્વયંપર્યાપ્ત એકાત્મક સમગ્રતાની અપેક્ષા રાખે છે. આદિ, મધ્ય અને અંતની ઍરિસ્ટૉટલે આપેલી વ્યાખ્યાઓ એના દૃષ્ટિબિંદુને હજુ વધારે સ્ફૂટ કરે છે : જે કશાના પરિણામરૂપ ન હોય, પણ જેના પરિણામ રૂપે કંઈક બનતું હોય તે આદિ, એથી ઊલટું, જે કશાકના પરિણામરૂપ હોય, પરંતુ જેના પરિણામ રૂપે કંઈ બનતું ન હોય તે અંત; અને જે કશાકના પરિણામરૂપ હોય તથા જેના પરિણામરૂપે કંઈક બનતું હોય તે મધ્ય. બીજી રીતે કહીએ તો આદિની પહેલાં કશું નથી હોતું. અંતની પછી કશું નથી હોતું અને આદિ-મધ્ય-અંત વચ્ચે કારણકાર્ય-વ્યાપાર ચાલે છે. ઍરિસ્ટૉટલ કહે છે, સુઘટિત વસ્તુરચના ગમે તેમ આરંભ પામે નહીં, ગમે તેમ અંત પામે નહીં, ઉપરના સિદ્ધાંતોને અનુવર્તે. પહેલી નજરે ઍરિસ્ટૉટલની આદિ અને અંતની વ્યાખ્યાઓ એક પ્રશ્ન ઊભો કરે એવી છે. આ વિશ્વજીવનના સાતત્યમય પ્રવાહમાં જે કશાના પરિણામરૂપ ન હોય તેવું આરંભબિંદુ કે જેના પરિણામરૂપ કશું ન હોય તેવું અંતબિંદુ શોધવું એ વ્યર્થ નથી? કવિ તો વિશ્વજીવનના સાતત્યમય પ્રવાહમાંથી એકાદ અંશ ઝીલે છે. એ અંશ આગળપાછળ સમગ્ર પ્રવાહ સાથે સંકલિત હોય છે. એમાં આવાં આરંભ-અંત ક્યાંથી આવી શકે? વિશ્વજીવનની દરેક ક્રિયા સમગ્ર ભૂતકાળના પરિપાકરૂપ હોય છે એ ખરું છે. છતાં મર્યાદિત મનુષ્યદૃષ્ટિને માટે કોઈ પણ ક્રિયાનો આરંભ અમુક સંકલ્પમાં જોવાનું પર્યાપ્ત હોય છે. એ જ રીતે દરેક ક્રિયાનાં પરિણામો ભાવિમાં અનંતપણે વિસ્તરતાં હોય છે, છતાં કોઈ પણ ક્રિયાનાં તાત્કાલિક અનિવાર્ય પરિણામો જ મનુષ્યદૃષ્ટિ પ્રત્યક્ષ કરી શકે છે. ઍરિસ્ટૉટલની વ્યાખ્યાઓનું તાત્પર્ય એટલું જ છે કે કૃતિ જ્યાંથી આરંભ પામતી હોય ત્યાંથી આરંભ પામવા માટે તેમ જ જ્યાં અંત પામતી હોય ત્યાં અંત પામવા માટે સ્પષ્ટ કારણો હોવાં જોઈએ. આરંભની પહેલાં અને અંતની પછી કંઈ અપેક્ષિત રહી ન જવું જોઈએ. એટલે કે જે ક્રિયા કવિએ પોતાના વિષય તરીકે પસંદ કરી છે તેના એ સ્વાભાવિક અને પ્રતીતિકર આરંભ અને અંત હોવા જોઈએ. વળી, મધ્ય એ કોઈ સ્થાનદર્શક સંજ્ઞા નથી એ ખ્યાલમાં રાખવું જોઈએ. આરંભ અને અંત એ બે બિંદુ વચ્ચેનું સર્વ કંઈ મધ્ય છે. એની ઍરિસ્ટૉટલે આપેલી વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે આરંભ અને અંત સાથે કાર્યકારણભાવે સંબદ્ધ ન હોય, એનાથી છૂટું પડી જતું હોય એવું કશું કૃતિમાં આવવું ન જોઈએ. આમ, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કૃતિમાં આરંભ, મધ્ય અને અંત હોય એ પૂરતું નથી; એ આરંભ, મધ્ય, અંત કૃતિની એકાત્મકતા સિદ્ધ કરે એવા હોવા જોઈએ. ઍરિસ્ટૉટલની સમગ્રતામાં સાવયવીપણું અને એકાત્મકતા બન્ને ખ્યાલો જોડાયેલા છે તે આ પરથી સિદ્ધ થઈ જાય છે. આથી જ, ઍરિસ્ટૉટલ કૃતિમાં અપેક્ષિત એકતાને સજીવ એકતા તરીકે ઓળખાવે છે. સજીવ પદાર્થને અનેક અવયવો હોય છે, છતાં એ અનેકતામાં આપણને એકતા પ્રતીત થાય છે, કેમ કે બધા અવયવો વચ્ચે લોહીનો-પ્રાણનો સંબંધ હોય છે. એના એકેય અવયવને સમગ્રને હાનિ કર્યા વિના દૂર કરી શકાતો નથી. કલાકૃતિની વસ્તુરચના પણ, ઍરિસ્ટૉટલ કહે છે, એક ક્રિયાનું અનુકરણ કરે અને એ એક ક્રિયા હોવી જોઈએ સમગ્ર, પણ એના અવયવોનું સંઘટન એવે પ્રકારે થયું હોય કે એમાંથી એકાદને દૂર કરતાં સમગ્રને આઘાત પહોંચે અને એ ખંડિત થાય. જેની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી કશો દેખીતો ફેર ન પડે એને કંઈ સમગ્રનો સજીવ અંશ ન કહેવાય. આવા ફાલતુ અંશો જેમાં હોય એટલે કે જેમાં બનાવો કશાયે આવશ્યક કે સંભવિત અનુક્રમ વગર એક પછી એક બન્યા કરતા હોય એવી વસ્તુરચનાને ઍરિસ્ટૉટલ ‘પ્રસંગપ્રધાન’ (એપિસૉડિક) વસ્તુરચના કહે છે, એટલું જ નહીં, એને કનિષ્ઠ પ્રકારની પણ ગણે છે. બનાવો જ્યારે એકબીજામાંથી સ્વાભાવિકપણે ફૂટે – એક ડાળમાંથી બીજી ડાળ ફૂટે તેમ –અને બધા મળીને એક લક્ષ્ય સિદ્ધ કરે ત્યારે એને જ એકાત્મક વસ્તુરચના કહેવાય અને એ જ ઉત્તમ પ્રકારની ગણાય. ઍરિસ્ટૉટલના આકૃતિના સિદ્ધાંતમાં ત્રીજું તત્ત્વ કદ છે. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સાવયવ એકતાની પ્રતીતિનો આધાર પદાર્થનું કદ છે. દાખલા તરીકે, એક તદ્દન નાનું જીવડું લો. એક પલકારામાં એનું દર્શન થઈ જાય છે. એથી એ એક રૂપે પ્રતીત થાય છે, પણ સમગ્ર રૂપે નહીં. બીજી રીતે કહીએ તો એ સ્વયંસંપૂર્ણ પદાર્થ રૂપે દેખાય છે, પરંતુ એના અવયવો દેખાતા નથી. એથી ઊલટી રીતે એક ખૂબ મોટા કદનું – હજારેક માઈલ લાંબું – પ્રાણી લો. એના અવયવો જોઈ શકાય છે, પરંતુ એની એકતાનો અનુભવ આપણે કરી શકતા નથી. હવે ઍરિસ્ટૉટલના સિદ્ધાંત પ્રમાણે ભિન્નભિન્ન અવયવોની એકતાપર્યવસાયી સંઘટના એ આકૃતિ છે. તેથી એકતાનું દર્શન થતું હોય પણ અવયવોનું દર્શન ન થતું હોવ અને અવયવોનું દર્શન થતું હોય પણ એકતાનું દર્શન ન થતું હોય એ બન્ને પ્રસંગે આકૃતિનો અનુભવ ન હોઈ શકે. એટલે આકૃતિના અનુભવ માટે બહુ નાના નહીં, બહુ મોટા નહીં, પણ ચોક્કસ પ્રમાણના કદની જરૂર રહે છે. ઍરિસ્ટૉટલ પ્રમાણ આ રીતે દર્શાવે છે : જીવંત પ્રાણીઓમાં એક દૃષ્ટિક્ષેપમાં જેને સહેલાઈથી આવરી શકાય એવું કદ જોઈએ; વસ્તુરચનામાં સ્મૃતિથી આવરી શકાય એવું કદ જોઈએ. કદનો સિદ્ધાંત સાચો હોવા છતાં સહેજ વિચાર કરતાં તરત જણાઈ આવશે કે એની કોઈ ચોક્કસ મર્યાદા બાંધવી મુશ્કેલ છે. સ્મૃતિનું માપ પણ માણસે-માણસે અને પ્રસંગે-પ્રસંગે ફરે છે. તેથી સ્મૃતિથી આવરી શકાય એટલું કદ રાખવું જોઈએ એમ કહેવાથી પણ કશી નિશ્ચિતતા આવતી નથી. આરંભ અને અંતને એક દૃષ્ટિમાં આવરી શકાવા જોઈએ કે સમગ્રની સ્પષ્ટ છાપ પડવી જોઈએ – એ ધોરણો પણ વસ્તુગત નહીં પણ વ્યક્તિગત રહેવાનો સંભવ છે. કદનો આ નિયમ કેટલાક કાવ્યપ્રકારોને – ખાસ કરીને એપિક જેવા કાવ્યપ્રકારોને લાગુ પાડવામાં તો વિશેષ મુશ્કેલી પડે. ઍરિસ્ટૉટલ પોતે આવી મુશ્કેલી અનુભવે છે. એ જુએ છે કે એપિકમાં ઘણાબધા ભાગોવાળી રચનાઓ થાય છે, એટલે સુધી કે એક એપિકમાં અનેક ટ્રૅજેડીની સામગ્રી ભરેલી હોય.[2]એકતાની અપેક્ષા તો અહીં પણ એ રાખે જ છે, હોમરના ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’માં એક કે વધુમાં વધુ બે ટ્રૅજેડીની સામગ્રી છે એમ કહી એની વસ્તુની એકતા અને સઘનતાને એ નમૂનારૂપ પણ ગણે છે, છતાં એપિક કથનાત્મક – વર્ણનાત્મક પદ્ધતિનો કાવ્યપ્રકાર હોવાથી તેમાં વિસ્તારને અવકાશ રહે છે અને એકંદરે જોતાં ટ્રૅજેડીના પ્રમાણમાં એપિકમાં ઓછી એકતા હોય છે એ એમને સ્વીકારવું પડે છે. આને કારણે એ એપિક કરતાં ટ્રૅજેડીને ઉચ્ચ સાહિત્યપ્રકાર પણ ગણે છે. આ ઍરિસ્ટૉટલની આકૃતિની વિભાવના થઈ, અને આકૃતિ માટેનો એમનો આગ્રહ થયો. એની પાછળ ઍરિસ્ટૉટલની સૌન્દર્યશાસ્ત્રીય દૃષ્ટિ રહેલી છે એનું સૂચન ઍરિસ્ટૉટલના એક વાક્ય પરથી આપણને થાય છે. એ કહે છે – સૌન્દર્યના આધાર કદ અને ગોઠવણી બન્ને છે. ગોઠવણી એટલે, અલબત્ત, અવયવોનો આદિથી અંત સુધીનો સ્વાભાવિક તર્કસંગત અનિવાર્ય અનુક્રમ, કૃતિની સ્વયંપર્યાપ્ત એકાત્મકતા સિદ્ધ કરતી યોજના કે ભાત. ગોઠવણીને સૌન્દર્યનો આધાર ગણાવીને ઍરિસ્ટૉટલે કેવી પાયાની વાત કરી નાખી! આ અસંબદ્ધ, અનિશ્ચિત, આકસ્મિક જગત માણસની મતિને મૂંઝવે છે, એના હૃદયને ભાર કરે છે. એ એને પોતાથી અતિરિક્ત, સ્વતંત્ર લાગે છે. એને એ પોતાનું કરવા ઇચ્છે છે. આ એ કેવી રીતે કરી શકે? એ જગતને સમજીને અને ઓળખીને. કોઈ પણ પદાર્થને ઓળખી લઈએ એટલે એના પર આપણું બૌદ્ધિક સ્વામિત્વ સ્થાપિત થઈ જાય છે. એ આપણાથી ભિન્ન સ્વતંત્ર પદાર્થ રહેતો નથી, આપણો બની જાય છે. પણ કોઈ પદાર્થને ઓળખવો એટલે શું? એટલે એ પદાર્થની એકતાની, એની યોજનાની, એના રૂપની બૌદ્ધિક પ્રતીતિ થવી. આ પ્રતીતિ આનંદજનક હોય છે, કેમ કે એથી માણસની મતિને અકળાવનાર આકસ્મિકતા અને અસંબદ્ધતા દૂર હટે છે, અને જગત સાથે સૂક્ષ્મ આત્મીય સંબંધ બંધાય છે. એની બુદ્ધિ કે કલ્પનાએ સાધેલા આ પરિણામમાં એ સૌન્દર્ય જુએ છે. બીજી રીતે કહીએ તો યોજના, અનુક્રમ, ભાત શોધવાની અને નિર્મિત કરવાની માણસની એક સહજવૃત્તિ છે. (અનુકરણની વૃત્તિ સાથે લય અને સંવાદની વૃત્તિને પણ માનવજાતની એક સ્વાભાવિક વૃત્તિ તરીકે ઍરિસ્ટૉટલે ગણાવેલ છે એ અહીં યાદ કરી લઈએ.) અસંબદ્ધતા અને આકસ્મિકતાથી એનું ચિત્ત પ્રત્યાકર્ષણ અનુભવે છે. સુસંબદ્ધ સ્વાભાવિક ગોઠવણી એના ચિત્તને સ્પર્શે છે. એને સૌન્દર્યનો અનુભવ કરાવે છે. ઍરિસ્ટૉટલ ગોઠવણીને સૌંદર્યનો એક આધાર ગણાવે છે તે આ રીતે સાચું છે. પરંતુ કદ એ સૌન્દર્યનો આનુષંગિક આધાર છે એમ કહેવું જોઈએ. કદ જાતે સ્વતંત્ર રીતે સૌન્દર્યજનક નથી, પરંતુ યોગ્ય કદના અભાવે પદાર્થ કે કૃતિની એકતાની કે યોજનાની પ્રતીતિ થઈ શકતી નથી. એટલે કે આકૃતિનું સૌન્દર્ય પ્રત્યક્ષ થતું નથી. સમગ્રની સ્પષ્ટ છાપ ઊભી થવામાં મુશ્કેલી ન પડતી હોય તો, જેટલું મોટું કદ એટલી કૃતિ વધારે સુંદર બને એમ ઍરિસ્ટૉટલ કહે છે ત્યારે પણ એ લક્ષમાં રાખવું જોઈએ કે મોટા કદમાં યોજના કે આકૃતિની લીલાને મોટો પટ મળે છે, એની વિવિધતા અને એની સંકુલતા પ્રગટ કરી શકાય છે. એટલે કદ આકૃતિના સૌંદર્યનો નૈમિત્તિક હેતુ છે. એ સૌંદર્યને અવકાશ આપે તેમ સૌંદર્ય પ્રત્યક્ષ થવામાં અંતરાયરૂપ પણ બને. અથવા તો એમ પણ કહી શકાય કે આકૃતિનો આધાર કદ છે અને સૌન્દર્યનો આધાર આકૃતિ છે, એટલે કદ સૌંદર્યનો પરંપરયા આધાર છે. ઍરિસ્ટૉટલ આ રીતે આકૃતિના સિદ્ધાંતને માનવવૃત્તિના, સૌન્દર્યશાસ્ત્રના પાયા ઉપર મૂકે છે અને પ્લેટો એનું જે સૌંદર્યશાસ્ત્રીય મૂલ્ય પારખી નહોતા શક્યા તે એ પારખી શકે છે. ઍરિસ્ટૉટલનો એકતા અને આકૃતિનો સિદ્ધાંત તે કલાત્મક એકતા અને આકૃતિનો સિદ્ધાંત છે. દેખીતી, કહેવાતી કે ઉપરછલ્લી એકતાથી ઍરિસ્ટૉટલ છેતરાતા નથી. આથી એ બીજી બે પ્રકારની એકતાનો ઉલ્લેખ કરે છે અને એ સાચી કલાત્મક એકતા નથી એમ બતાવે છે. એમાંની એક તે નાયકની એકતા છે. ઍરિસ્ટૉટલ કહે છે, “કેટલાક લોકો માને છે કે એક નાયક રાખવાથી વસ્તુ-રચનાની એકતા સિદ્ધ થઈ જાય છે; પરંતુ એ ખરું નથી.” કારણ કે એક માણસના જીવનમાં પણ એટલીબધી વૈવિધ્યસભર ઘટનાઓ બનતી હોય છે કે એને એકાત્મક રૂપ આપી ન શકાય; એ જ રીતે માણસની ઘણી ક્રિયાઓ એવી હોય છે કે એમાંથી એક ક્રિયા નિપજાવી ન શકાય. કલાત્મક એકતામાં તો કેન્દ્ર રૂપે એક ક્રિયા હોય અને સર્વ ઘટનાઓ એ ક્રિયા સાથે આવશ્યકતાના સંબંધે – સજીવ સંબંધે જોડાયેલી હોય. ઍરિસ્ટૉટલ દૃષ્ટાંત આપે છે કે હોમરે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની રચના આ ધોરણે કરી છે અને એના નાયકોના જીવનમાંથી આ ધોરણને અનુવર્તતી ઘટનાઓની પસંદગી કરી છે. એકતાનો બીજો પ્રકાર, જેને ઍરિસ્ટૉટલ ઊતરતો પ્રકાર ગણે છે. તે છે સમયની એકતા (યુનિટી ઑફ પિરિયડ), ઐતિહાસિક રચનાઓમાં આવી એકતા હોય છે. તેમણે એક ક્રિયાનું નહીં પણ એક સમયનું, એક સમયમાં એક કે અનેક વ્યક્તિઓના જીવનમાં બનેલ બનાવોનું – એ પરસ્પર સંબદ્ધ ન પણ હોય – આલેખન કરવાનું હોય છે. એમાં બનાવો એકબીજાના અનુક્રમમાં બનતા હોય છે, છતાં એ એક પરિણામ સિદ્ધ કરતા નથી. કલાત્મક એકતામાં તો બધી ઘટનાઓ, કૃતિનું સર્વ તંત્ર એક પરિણામ સિદ્ધ કરવા પ્રયોજિત હોય છે. ઍરિસ્ટૉટલના કાવ્યસિદ્ધાંતમાં આકૃતિનો આ સિદ્ધાંત કેટલું મહત્ત્વનું અને વ્યાપક સ્થાન ધરાવે છે એ ઍરિસ્ટૉટલની કાવ્યચર્ચાના ભિન્નભિન્ન મુદ્દાઓ પર નજર ફેરવવાથી જણાઈ આવે છે. અનુકરણના એમણે કરેલા નવા અર્થમાં તથા એમની કાવ્યનિષ્ઠ સત્યની સ્વતંત્ર વ્યાખ્યામાં એ આધારરૂપ છે એ આપણે આરંભમાં જ જોયું. નાટકની બીજી ઝીણીમોટી અનેક બાબતોના પરીક્ષણમાં પણ ઍરિસ્ટૉટલ એકાત્મકતાની કસોટી જ લાગુ પાડે છે. આંતરિક સંઘટનનું ધોરણ જ ઍરિસ્ટૉટલના વિવેચનમાં ચક્રવર્તી બની જાય છે. આપણે થોડાંક ઉદાહરણો જોઈએ : (૧) સંકુલ વસ્તુરચનાવાળી ટ્રૅજેડીનું એક આવશ્યક લક્ષણ છે પરિણામ- વિપર્યય એટલે કે અમુક પરિણામ લાવવા ભરેલાં પગલાં કંઈક જુદું જ પરિણામ લાવે. આ પરિણામવિપર્યયનું અંતે ભાન થાય એ પણ જરૂરનું હોય છે. હવે, ઍરિસ્ટૉટલ કહે છે કે આ પરિણામવિપર્યય અને એનું ભાન બન્ને વસ્તુના આંતરિક સંઘટનમાંથી ઉદ્ભવવાં જોઈએ, એટલે કે આગળની ક્રિયાના આવશ્યક કે સંભવિત પરિણામ રૂપે સર્વ કંઈ બનવું જોઈએ. (૨) ગૂંચ એ નાટકનું આવશ્યક અંગ છે. અહીં પણ ઍરિસ્ટૉટલ કહે છે કે ગૂંચ અને ગૂંચનો ઉકેલ બન્ને નાટકની વસ્તુરચનામાંથી જ ઉદ્ભવવાં જોઈએ, બહારનું કોઈ દૈવી તત્ત્વ એ સિદ્ધ કરે એવું બનવું ન જોઈએ. (૩) કરુણા અને ભય જગાડવાં એને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીનું કાર્ય ગણે છે. કરુણા અને ભય ચક્ષુગમ્ય સાધનો દ્વારા જગાડી શકાય અને કૃતિના આંતરિક સંઘટન દ્વારા પણ જન્માવી શકાય. આ બીજી રીતને ઍરિસ્ટૉટલ વધુ સારી રીત અને સારા કવિની નિશાનીરૂપ ગણે છે. (૪) સામાન્ય રીતે ગાયકવૃંદ (કૉરસ) એ ગ્રીક નાટકનું કંઈક શિથિલ અંગ જણાય છે, પરંતુ ઍરિસ્ટૉટલ તો કહે છે કે કૉરસને પણ નાટકના નટસમુદાયના એક ભાગ તરીકે ગણવું જોઈએ; એ સમગ્રનો ઘટનાત્મક અંશ હોવો જોઈએ અને નાટકની ક્રિયામાં એનો ફાળો હોવો જોઈએ. (૫) એકાત્મકતાનો આધાર નાટકની ‘ક્રિયા’ છે અને આકૃતિનું પ્રતીક છે વસ્તુરચના. આ ક્રિયા અને વસ્તુરચનાથી પાત્રાલેખનને ઍરિસ્ટૉટલ ગૌણ સ્થાને મૂકે છે. એટલે સુધી કે પાત્રાલેખન વગર ટ્રૅજેડી સર્જી શકાય પણ ક્રિયા વગર નહીં એમ પણ એ કહી નાખે છે. આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે.
પાદટીપ
- ↑ “Plato, though he must have been sensitive to this aspect of literary art, studiously avoided discussing the satisfaction to be derived from the contemplation of structure and pattern in literature or the possible psychological value of such satisfaction.” – ડેવિડ ડેઇચિઝ, ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર, પૃ. ૩૭
- ↑ ‘લિટલ ઇલિઅડ’માં આઠ ટ્રૅજેડીનું વસ્તુ છે એમ ઍરિસ્ટૉટલ નોંધે છે.