બાળ કાવ્ય સંપદા/કોણે ?
Jump to navigation
Jump to search
કોણે ?
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
નીલેરા આભની રૂપાળી જાજમે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?