બાળ કાવ્ય સંપદા/રાત
રાત
લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)
ધીમે ધીમે રાત આવે,
ચાંદાને લઈ રાત આવે.
ઝરણું ઝમઝમ કરતું જાય,
ડુંગર ડુંગર રાત છવાય !
પલક પલક તારાઓ થાય,
નીંદર મીઠાં હાલાં ગાય.
રાત હવે તો ઢળતી જાય,
અંધારું આછરતું થાય.
તારા તેજે ડૂબતા જાય,
મીઠું મીઠું પંખી ગાય.
ઉગમણે રંગોની ઝાંય,
દુનિયા ઝળહળ ઝળહળ થાય.
હસતી રમતી રાત ગઈ !
સૂરજને ઉઠાડી ગઈ !