બૃહદ છંદોલય-અન્ય/ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)

આયુષ્યની અર્ધી સદી હજુ વટાવી ન હતી
ત્યારે આઘીપાછી નજર તો, કવિ, તમે નાખી હતી;
ત્યારે તમે કહ્યું હતું, ‘ગયાં વર્ષો –
ખબર ન રહી કેમ ગયાં!’
રહ્યાં વર્ષો તેમાં અવનિનું અમૃત જે
પ્રણય આકંઠ પીવો હતો.
સમુદ્રમંથન સમે ચૌદ રત્નો વિશે
પ્રેય જે કૈં હતું, અન્ય સૌએ વ્હેંચી લીધું;
વિષ રહ્યું, કોઈકે તો પીવું –
નામ તમે સાર્થક શું કરી રહ્યા!
વિષ હો કે અમૃત હો, યથાર્થ જ સુપથ્ય હો!
સમજવું, સદા બસ સમજવું;
જે કૈં, જેટલું કૈં શક્ય હોય સમજ્યાં જ જવું,
અમૃત એ.
આજ અહીં તમારા સૌ મિત્રો તમારા જ ઘરમહીં
તમારું સ્વાગત કરે,
એવા તમે ચિરઅતિથિ શા નિજ ગૃહે, પૃથ્વી પરે,
નિજ-પર સૌનાય અહમ્ની સામે
નિજ-પર કેટલાય સંસારના જીવો વચ્ચે
સતત જે યુદ્ધે મચ્યો,
યુદ્ધનીયે વચ્ચે સદા ‘શાંતિ, શાંતિ’ રટી રહ્યો
તમારો આ આત્મા
તેને આજ અભિનંદે, અભિવંદે,
‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’
તમારી એ કાવ્યયાત્રા, આયુર્યાત્રા –
વિશ્વશાંતિ? ક્યાં છે શાંતિ? નથી. સૌને અભિજ્ઞા છે.
છતાં આજ આટલું તો કહીશું જ  :
તમારાં આ સાઠ વર્ષો વ્યર્થ નથી ગયાં.

૧૯૭૧