બોલે ઝીણા મોર/અરસિકેષુ કવિત્વનિવેદનમ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અરસિકેષુ કવિત્વનિવેદનમ્

ભોળાભાઈ પટેલ

ભર્તૃહરિ તો રાજા હતા. હા, રાણી પિંગળાવાળા જ ભર્તૃહરિ. પોતાની એ અતિ પ્રિય રાણીની બેવફાઈ જોઈ આ સમગ્ર સંસાર પ્રત્યે એમને એકદમ સખત નફરત થઈ આવી. રાજા ઉપરાંત કવિ હતા, એટલે એક શ્લોકમાં ઠાંસી શકાય એટલી ઘૃણા ઠાંસી હિમાલય, ગંગા અને કવિતા સિવાયના તમામ સંસારને તજી લોકભાષામાં કહીએ તો ‘ભરથરી’ થઈ ગયા. એ શ્લોકમાં એમણે તીવ્ર આવેગમાં કહ્યું કે, ‘હું જે સ્ત્રીનું હૃદયમાં નિરંતર ચિંતન કરું છું તે મારી રાણી મારાથી વિરક્ત છે. એટલું જ નહીં, તે બીજા પુરુષ પર આસક્ત છે, તે પુરુષ વળી બીજી સ્ત્રી ઉપર આસક્ત છે અને એ સ્ત્રી વળી મારા ઉપર પ્રસન્ન છે. ધિક્કાર છે એ સ્ત્રીને અને પેલા પુરુષને અને પ્રેમના દેવતા મદનને – અને આ સ્ત્રીને અને મને.

ધિક્ તા ચ તં ચ મદનં
ચ ઈમાં ચ માં ચ.

પાંચ ‘ચ’ (અને)ના પ્રયોગથી વધતા જતા ધિક્કારની માત્રામાં છેલ્લું અને મહત્ત્વનું પાત્ર તો ભર્તૃહરિ પોતાને ગણે છે. માં ચ… અને મને ધિક્કાર. રાજા તરીકે ઇતિહાસમાં ભર્તૃહરિનો કોઈ ઉલ્લેખ નથી આવતો, લોકકથાઓને આધારે કહીએ તો ઉજ્જયિનીના વિક્રમ રાજાના મોટાભાઈ તે આ ભર્તૃહરિ..

આ ભર્તૃહરિને ગમે તેટલો મોટો વૈરાગ્ય જન્મ્યો, રાજપાટ છોડી દીધાં, જિંદગીના સારરૂપ ‘પ્રેમ’ જેવા પ્રેમને ત્યજી દીધો. ન ત્યજ્યો કવિતા માટેનો પ્રેમ. પિંગળાના પ્રેમમાં હતા ત્યારે શૃંગારની કવિતાઓ રચી, જે શૃંગારશતક કહેવાયું. કાનફટા જોગી થઈ ગયા અને પોતાની રાણીને ‘ભિક્ષા દેને મૈયા પિંગળા’ એમ ‘મૈયા’ કહીને એની પાસેથી ભિક્ષા માગી. પછી કવિતાઓ રચી તે બધી વૈરાગ્યની – એ વૈરાગ્યશતક.

રાજા તરીકે નહીં, જોગી તરીકે નહીં, પણ કવિ તરીકે ભર્તૃહરિ અમર થઈ ગયા. કોઈની પાસે કશુંય ન માગનાર ભરથરીની કવિ તરીકે એક માગણી હતી. એમણે એક શ્લોકમાં એવી યાચના કરી છે કે હે ચતુર્મુખ બ્રહ્મા! તમારે મને બીજાં જેટલાં તાપ, કષ્ટ આપવાં હોય તેટલાં આપો – તે બધાં હું સહી લઈશ પણ—

અરસિકેવુ કવિત્વનિવેદનમ્
શિરસિ મા લિખ મા લિખ મા લિખ.

–જેને રસ ન પડે એવા અરસિકો આગળ કવિતાની વાત કરવાનું મારા ભાગ્યમાં ના લખશો, ના લખશો, ના લખશો.

ત્રણ વાર ‘મા લિખ’ ‘મા લિખ’ ‘મા લિખ’ કહી કવિ ભર્તૃહરિએ આવા લોકો આગળ કવિતા કે ચર્ચા કરવાનો કેવો કંટાળો અનુભવ્યો હશે, તેનું અનુમાન કરી શકાય છે.

આટલી લાંબી ભૂમિકા આટલા લઘુલેખની તો હોઈ ન શકે, છતાં આ ભૂમિકા છે, અને એક રીતે કહું તો લેખનો અવિભિન્ન ભાગ જ છે. વાત કેમ કરું છું તે કહું

કવિતા રજૂ કરવાનો મારો અનુભવ ઘણી વાર ભર્તૃહરિ કરતાં જુદા પ્રકારનો પણ છે. સાહિત્યના એક અધ્યાપક તરીકે મારે કવિતા ભણાવવાની આવે છે અને કેટલાંય વર્ષોથી એ કામ કરતો આવ્યો છું. પાંચમા-છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને પણ કવિતા ભણાવી છે, કૉલેજના સ્નાતક અને યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને પણ કવિતા ભણાવી છે. એ બધાને કવિતામાં રસ હોય એવું નથી, એમને મહાપરાણે રસ લેતા કરવા પડે છે. પણ જોયું છે કે જો બરાબર ભણાવવામાં આવે તો તરત સરસ કવિતાની ચમક એમની આંખોમાં જોઉં છું, એમના ચહેરા પર જોઉં છું. પછી તરત કવિતા પોતાનું કામ કરવા લાગે છે. એ પારસમણિ બની લોહને કાંચનમાં ફેરવી નાખે છે.

જોકે આપણા સુરેશ જોષી ઘણી વાર એક પશ્ચિમના વિદ્વાનનું અવતરણ આપતા કે કવિતાના મોટામાં મોટા શત્રુઓ કવિતાના અધ્યાપકો હોય છે. એટલે કાવ્ય ભણનાર છાત્રોના મોઢા પર કે આંખોમાં કવિતાની ચમક આવે ત્યારે જ – જ્યારે અધ્યાપક કાવ્યશત્રુ ન હોય.

નમ્રતાથી વાત કરું તોયે કહીશ કે હું અધ્યાપક છતાં એવો કાવ્યશત્રુ તો નથી જ. પણ ઘણી વાર વિદ્યાર્થીઓની ભાવહીન ‘સ્થિતપ્રજ્ઞતાને’ ચળાવવામાં નિષ્ફળ જાઉં છું. તેમ છતાં સમગ્રપણે મારો અનુભવ કવિતા ભણાવવાનો સારો છે. એમાં મુખ્ય કામ કવિતા અને ભાવક વિદ્યાર્થીનો યોગ કરી દેવાનું છે. પછી કવિતા કવિતાનું કામ કરતી હોય છે.

આ અનુભવ જુદા ક્ષેત્રના ભાવકો સામે પણ થયો. હિન્દીને રાજભાષા બનાવ્યા પછી સરકારી કામકાજમાં, રેલવે, બૅન્ક, વગેરેમાં હિન્દીનો વધારેમાં વધારે કેમ ઉપયોગ થાય, તે માટે ઊંચી કક્ષાના અધિકારીઓ માટે હિન્દી ભાષા શીખવાની વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. ગૂજરાત વિદ્યાપીઠનો હિન્દી વિભાગ નિયમિત આવી વર્કશોપનું આયોજન કરે છે. એ અધિકારીઓ પછી હિન્દીનો રોજબરોજના બૅન્કના કામમાં પોતે ઉપયોગ કેટલો કરે છે, તેની કંઈ જાણ નથી; પણ ભાષાના ઉપયોગના પાઠ ઉપરાંત દર વખતે મને હિન્દી વિભાગના અધ્યક્ષ શ્રી વાર્ષ્ણય આ અધિકારીઓ સમક્ષ ભારતની જુદી જુદી ભાષાની કવિતા વિષે વાર્તાલાપ આપવા નિમંત્રણ આપે છે.

રિઝર્વ બૅન્ક અને બીજી બૅન્કના સૌથી ઊંચી કક્ષાના અધિકારીઓ અને કવિતા? પહેલી વાર કહ્યું ત્યારે હું ધ્રૂજી ઊઠેલો. ભર્તૃહરિનું સ્મરણ કરીને કહ્યું હતું – અરસિકેષુ કવિત્વ-નિવેદનમ્? શિરસિ મા લિખ, માં લિખ, મા લિખ. રૂપિયાની ચમક અને ખણક (ખણખણાટ)માં જ જેમને ‘કવિતા’ સંભળાતી હોય, તેવા પ્રૌઢ વયના અધિકારીઓ આગળ કવિતા? કદાચ એ લોકોને પણ પરિહાસ લાગે.

છતાં સાહસ કર્યું.

જુદી જુદી ભાષાઓની કવિતાઓ દેવનાગરી લિપિમાં ઉતારી એક કાગળની ચક્રિત પ્રતિઓ એમને આપી હતી. વ્યાખ્યાન-ખંડમાં હું ગયો. અધિકારીઓની ગંભીર મુખમુદ્રા જોઈ. ફરી ભર્તૃહરિનું સ્મરણ થયું. મને થયું, કસોટી તો છે, મારી અને કવિતાની પણ. વાલેસ સ્ટીવન્સ જેવા એક અમેરિકન કવિની કાવ્યપંક્તિનો એક બૅન્કે જાહેરાતમાં ઉપયોગ કરેલો તે માફ – બાકી બૅન્ક અને કવિતા? સ્ટીવન્સની એ પંક્તિમાં રૂપિયા વિષે કંઈક વાત હતી, એટલે લીધેલી હશે. પણ એ રીતે બૅન્ક કવિતા સુધી પહોંચી એ પણ ઘણું કહેવાય ને?

શરૂઆતમાં મેં સામે બેઠેલા અધિકારી-છાત્રોને કહ્યું કે માત્ર પારિભાષિક શબ્દોથી ભાષા બની જતી નથી. અંગ્રેજીને બદલે હિન્દીના શબ્દો મૂક્યા, એટલે હિન્દીનો વપરાશ શરૂ થાય તે બરાબર, પણ હિન્દી કે બીજી કોઈ પણ ભાષાના વ્યવહારને જીવતો બનાવવો હોય તો તે ભાષાનો ઉપયોગ કરનારે એના સાહિત્યનો થોડો પરિચય પણ કેળવવો જોઈએ. તો એ ભાષાનો એ જીવંત ઉપયોગ કરી શકે. પછી કવિ ટી. એસ. એલિયટના એક નિબંધ ‘કવિતાનું સામાજિક પ્રયોજન’નો હવાલો આપ્યો. પણ આ અધિકારીઓએ કાંઈ એલિયટનું નામ સાંભળેલું હોય? એઓની ગંભીર મુખમુદ્રા એવી જ અચળ હતી.

હું ભોંઠો પડતો જતો હતો. સામે બેઠેલા નિર્વિકાર ચહેરા પર ચમક ક્યાંથી લાવવી? પછી મેં કહ્યું, આપણી બધી ભાષાઓનો સ્રોત લગભગ એક છે — સંસ્કૃત. એટલે જો માતૃભાષા સિવાયની ભાષા પણ સાંભળીએ કે આપણી લિપિમાં વાંચીએ તો ઘણું સમજાય. ઉપરાંત આપણો એક સાંસ્કૃતિક વારસો પણ છે. થોડાંક શબ્દોનાં ઉદાહરણ આપ્યાં. બધા સાંભળતા હતા; પણ હજુ કોઈ ફેરફાર એમના ચહેરા પર ન હતો. મારા ચહેરા પર વધતી ભોંઠપ ન વરતાવા દેવા મેં વ્યૂહ બદલ્યો અને ચક્રિત કાગળ હાથમાં લીધો. મારા મનોચક્ષુ આગળ વિશ્વામિત્રનો તપોભંગ કરાવવા નૃત્ય કરતી મેનકાનું ચિત્ર આવતું હતું. આ બધા એક રીતે ‘મુનિઓ’ જ હતા ને!

પછી કાગળ પર ઉતારેલા કાવ્યખંડો વાંચવા શરૂ કર્યા. પહેલો કાવ્યખંડ બંગાળીનો હતો અને તે પણ કવિ રવીન્દ્રનાથનો. કાલિદાસ વિષે કવિતા હતી, ‘આમિ જદિ જનમ નિતેમ કાલિદાસેર કાલે.’ રવીન્દ્રનાથ એ કવિતામાં કહે છે. અહીં સીધું ગુજરાતી આપું છું–

મેં પણ કાલિદાસના સમયમાં
જન્મ લીધો હોત
અને હું પણ દૈવની કૃપાએ
નવરત્નોની માળામાં
દશમું રત્ન હોત
તો
એક શ્લોકમાં રાજાની સ્તુતિ કરીને
ઉજ્જયિનીના શાંત વિસ્તારમાં
બાગથી ઘેરાયેલું
એક ઘર
રાજા પાસેથી માગી લેત….
સાંજે ચંપાના વૃક્ષ નીચે
કાવ્યસભા બેસત
અને મારી જીવનનૌકા
મંદાક્રાન્તા તાલે વહી જાત…

મેં જોયું, બે-ત્રણ બંગાળી અધિકારીઓ હતા, તે તો મારી સાથે બંગાળી પંક્તિઓ વાંચવા લાગ્યા હતા. અને બીજા પણ… નવરત્નોની માળા, દશમું રત્ન, ઉજ્જયિની, ચંપાનું ઝાડ આ બધા શબ્દોથી પ્રભાવિત થતા લાગ્યા અને જ્યારે કાવ્યખંડની છેલ્લી લીટી આવી, ‘જીવન તરી બહે યેતો મંદાક્રાન્તા તાલે’. ત્યારે તો એ પંક્તિના તાલમાં લગભગ બધા આવી ગયા તેમ લાગ્યું. ભલે મંદાક્રાન્તા એ છંદનું નામ છે, એની ખબર ન હોય. થોડાક અર્થ સ્પષ્ટ કરી મેં કાવ્યખંડ ફરી વાંચ્યો અને મેં જોયું કે ફેરફાર થઈ રહ્યો છે.

પછી મેં કહ્યું, કોશમાં શબ્દનો અર્થ જુદો થતો હોય, કવિતામાં જુદો હોય. પછી કવિ નિરંજન ભગતે એક કવિનો ઉદ્ગાર કહેલો— Language is a whore, I want to make her virgin’ તે પણ ઉત્સાહમાં મેં કહી બતાવ્યો કે, ‘રોજબરોજના વ્યવહારે ભાષાને વેશ્યા બનાવી દીધી છે, હું (કવિ) એને ફરી કુમારિકા બનાવવા માગું છું.’ કવિ સૌ વડે વપરાતી, દૂષિત થતી ભાષાના શબ્દોને નવો અર્થ આપીને એને કુમારિકા બનાવે છે. ‘વેશ્યા’ અને ‘કુમારિકા’ જેવા શબ્દો મેં જાણી-જોઈને એમને ખેંચવા જ વાપર્યા હતા. એ પણ એક રીતે વેશ્યાકર્મ હતું, પણ કર્યું – આ લોકોને ચળાવવા. પણ એ લોકોનું વરસોનું તપ હતું. એક અદૃશ્ય દ્વન્દ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મેં એક મરાઠી કવિતાનો ખંડ વાંચ્યો :

રોજીચા રોટીચા સવાલ રોજચાચ આહે
કધી ફાટકા બાહેર કધી ફાટકા આંત આહે,
થોડા પાહિલેલે થોડા જોખીલેલે, થોડા સાહિલેલે આહે,
સારસ્વતાંનો કામગાર આહે મી એક ગુના કરનાર આહે.

મુંબઈના એક મહારાષ્ટ્રીય અધિકારી હતા. મેં એમની પાસે મરાઠી ‘ચ’નો બરાબર ઉચ્ચાર કરાવી, આખો ખંડ વાંચવા કહ્યું. સારી રીતે વાંચ્યો. પહેલી પંક્તિમાં રોજીચા રોજચાચના ૨, ચ વર્ણોની સગાઈ પકડાઈ. આહેનો અંત્યપ્રાસ, કધી ફાટકા બાહેર કધી ફાટકા આંતનો વિરોધ લય પકડાયો. પાહિલેલે જોખીલેલે સાહિલેલેનો શબ્દાનુપ્રાસ એમના કાનને પકડાયો. પછી મેં પૂછ્યું – આ કવિ ‘ફાટકા આંત’ અને ‘ફાટકા બાહેર’ કહે છે ત્યારે શું કહેવા માગે છે? ક્યાંનો ફાટક? ‘ફેક્ટરીનો દરવાજો.’ કોઈ બોલી ઊઠ્યું. કેવી રીતે? કામગાર-કારીગર શબ્દ એણે પકડ્યો. કોઈ કારીગર આ બોલે છે. મેં કવિ નારાયણ સુર્વેનો જરા પરિચય આપી કહ્યું કે આ કવિએ કશમકશનું જીવન વિતાવ્યું છે, મજૂરીનાં કામ કર્યાં છે. એટલે ઉન્નતભ્રૂ (હાઈબ્રો) પંડિતોને કહે છે કે મેં જીવનમાં કંઈક જોયું છે, પારખ્યું છે, સહ્યું છે – હું કારીગર છું – કામદાર છું – હું એક ગુનો કરવાનો છું. કવિ કામદાર શાનો ગુનો કરવા માગે છે? ‘ગુના’ શબ્દનો અર્થ અહીં બદલાઈ જાય છે. એ સૌન્દર્યની નહિ, સમાજ-પરિવર્તનની કવિતા લખવા માગે છે – કદાચ કદાચ કવિતાની આલંકારિક પરંપરાને પ્રહાર કરે છે. રોજીરોટીની વાત કવિતામાં લાવવા માગે છે. પંડિતોની નજરે કવિતામાં એવી વાત એ કદાચ ‘ક્રાઇમ’ છે – એ અર્થમાં આ ‘ગુના’ શબ્દ છે.

મેં ફરી કવિતાખંડ વાંચ્યો. એમની થોડી સંડોવણી થતી લાગી પણ મારી ધીરજ ખૂટતી જતી હતી. પછી નીચેની એક લગભગ અજાણી ભાષા – અસમિયા ભાષાની કવિતા વાંચી :

બન્દુકર શબ્દત
રાતિ પુવાયને?
ઓહોં
પુવાય સે
ચરાઈટાર માતત
યિ કુટિ ખાય
રાતિર અંધારબોર
લાહે લાહે.

મેં કહ્યું – આ અસમિયા ભાષાની કવિતા છે. નાનકડી ને નાજુક. કેટલાક બૅન્ક અધિકારીઓ ગુવાહાટીમાં રહી ચૂકેલા. કવિતાના છેલ્લા બે શબ્દ ‘લાહે લાહે’ એમને સમજાઈ ગયા. ‘લાહે લાહે – આસ્તે આસ્તે’ આલસપ્રિય અસમિયા પ્રજાના પ્રિય શબ્દો આસ્તે આસ્તે. થાય છે – ધીરે ધીરે — લાહે લાહે.

મને ઉત્સાહ થતો જતો હતો. મેં કવિતાનો અર્થ સમજાવવા માંડ્યો. કવયિત્રી પ્રશ્ન કરે છે, ‘બંદૂકના ભડાકાથી શું સવાર થાય છે? ના રે ના. (ઓહોં) સવાર તો થાય છે પેલા પંખીના કલરવથી (ચરાઈટાર માતત), જે રાતના અંધારાને ચપચપ ચણી જાય છે ધીરે ધીરે.’

જેવો મેં આ અર્થ કર્યો કે તરત કેટલાક ગંભીર ચહેરા ‘વાહ’ કહી ઊઠ્યા. ઘણાના ચહેરા પર ચમક આવી. એમને અવશ્ય કંઈ નવું લાગ્યું. ભાષાનો, કવિતાનો કંઈક સ્પર્શ થયો.

એમનું દિમાગ કંઈક અર્થ શોધવા પણ લાગી ગયું. પછી મેં જરા વધારે વિવરણ કર્યું – બંદૂકનો ભડાકો એટલે શું? યુદ્ધો, લડાઈઓ, ઝઘડાઓ – શું એનાથી પ્રભાત થાય છે? એટલે કે દુનિયા બદલાય છે? દુનિયામાં કષ્ટ ઓછાં થાય છે? નવી તાજગી આવે છે?

કોશમાં રહેલો બંદૂકનો અર્થ કવિતામાં બદલાઈ ગયો. પ્રભાતનો અર્થ બદલાઈ ગયો. મેં બતાવ્યું. પછી આવ્યા શબ્દો-પંખીનો કલરવ. આ પંખી એટલે શું? સંત, કવિ, કલાકાર, જનસેવક. પંખી રાતના અંધારાને ચપચપ કરતાં ચણે છે. આ સંતો, કવિઓ, કલાકારો દુનિયાનાં કષ્ટોને, દુઃખોને કંઈક ઓછાં કરવા મથે છે. અંધારાં (અંધારબોર) બહુવચન છે, એને ચોંચથી એક એક દાણો કરીને ચણવાનાં છે. વાર ઘણી લાગે છે – પણ એ ધીરે ધીરે ચણે જાય છે. એનાથી પ્રભાત થાય છે.

મેં ફરી કવિતા વાંચી, બધા મારી સાથે વાંચવા લાગ્યા હતા. એ સૌ અધિકારીઓની આંખો ચમકી ઊઠી. કવિતાએ એનું કામ એમના હૃદય પર શરૂ કર્યું હતું. અર્થ (દ્રવ્ય)ની જ વાત કરનાર કવિતાના અર્થની નવી વાત પર આવી ગયા હતા. મને જરા પ્રસન્નતા થઈ.

પછી એક ઓડિયા અને પછી એક પંજાબી કવિતાના ખંડ લીધા છે જેની ભાષા હતી એમની પાસે વંચાવી અને આખો એ વર્ગ કવિતામાં ડૂબી જતો લાગ્યો.

પાઠનો સમય પણ પૂરો થઈ ગયો હતો. છેલ્લે મેં અજ્ઞેયજીની એક કવિતાની બે લીટીઓ વાંચી–

ટેર વંશીકી યમુન કે પાર
અપને આપ ઝુક આયી
કદમ કી ડાર

જમનાને સામે કિનારે વાંસળી વાગે છે અને આ બાજુ આપમેળે કદંબની ડાળી ઝૂકી આવે છે.

વાંસળી, યમુના, કદંબ-ચિરપરિચિત કૃષ્ણ-ગોપી પ્રેમના શબ્દો. છેક સૌના હૃદયમાં પહોંચી વાહ વાહ ઉદ્ગાર કરાવી ગયા.

આભાર માનવા ઊભા થયેલા અધિકારીએ કહ્યું કે આજે અમે ખરેખર ‘ભાષા’ ભણ્યા! મને એમાં માત્ર ઔપચારિકતા નહોતી લાગી.

કવિતાએ એનું કામ બરાબર કર્યું છે એમ મને લાગ્યું. કવિતાની આ પ્રભાવકતા જોઈ ભર્તૃહરિ હોત તો એ અવશ્ય રાજી થયા હોત.