ભદ્રંભદ્ર/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



ભદ્રંભદ્ર






રમણભાઈ મ. નીલકંઠ







લેખક-પરિચય

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮)


RML-Photo.jpg


નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી. ‘કવિતા અને સાહિત્ય’(૪ ગ્રંથો,૧૯૦૪-૧૯૨૯)માં એમની સાહિત્ય-વિચારણાના તેમજ ગ્રંથવિવેચનના કેટલાક દીર્ઘ લેખો મૂલ્યવાન છે પરંતુ ‘ભદ્રંભદ્ર’ નવલકથા(૧૯૦૦) અને ‘રાઈનો પર્વત’ નાટક(૧૯૧૩) એમનાં યશસ્વી ને ચિરસ્મરણીય સર્જનકાર્યો છે. ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીની આજસુધીની ઉત્તમ હાસ્યનવલ છે ને ભદ્રંભદ્રનું પાત્ર તો ગુજરાતી ભાષામાં વિચારજડતા અને દંભનો એક મૂર્તિમાન રૂઢિપ્રયોગ બનીને અમર થયેલું છે. ‘રાઈનો પર્વત’ સાધ્યની પ્રાપ્તિ માટે અશુદ્ધ સાધન અજમાવતી માતા જાલકા અને નીતિનિષ્ઠ રહેતા એના પુત્ર રાઈને કેન્દ્રમાં રાખતું, કથારહસ્ય અને નાટ્યસંઘર્ષના આલેખન-કૌશલવાળું તથા રચનામાં ભવાઈ, સંસ્કૃત નાટક અને પાશ્ચાત્ય નાટકનાં તત્ત્વો પ્રયોજતું પ્રભાવક શિષ્ટ દીર્ઘ નાટક છે. ‘હાસ્યમંદિર’(૧૯૧૫) રમણભાઈની નર્મમર્મશક્તિનો આહ્‌લાદક પરિચય કરાવતા હાસ્યનિબંધોનું પુસ્તક છે. ‘ગુજરાત સાહિત્યસભા’ના પહેલા પ્રમુખ તરીકે તેમજ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પહેલા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો કરેલાં. વ્યવસાયે વકીલ રમણભાઈ સાહિત્ય અને સમાજનાં અનેક સંચલનોમાં સક્રિય રહ્યા હતા. –રમણ સોની



કૃતિ-પરિચય

‘ભદ્રંભદ્ર’


૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળે– ઈ.૧૯૦૦માં પ્રકાશિત થયેલી રમણભાઈ નીલકંઠની આ નવલકથા ‘ભદ્રંભદ્ર’ એક હાસ્યકથા તરીકે આજસુધી કાયમ રસપ્રદ રહી છે. એણે એક સાથે ઘણાં નિશાન તાકેલાં છે : અત્યંત જૂનવાણી રૂઢિગ્રસ્ત માનસ સામેનો આકરો કટાક્ષ, કેવળ સંસ્કૃતપ્રચુર રહેતી ને એથી દુર્બોધ રહેતી ભાષાની હાસ્યાસ્પદતાનું આલેખન, ઠઠ્ઠાપાત્ર બનતાં વિલક્ષણ પાત્રોનું સર્જન તથા એકમાત્ર સહજ અને અ-વિલક્ષણ પાત્ર અંબારામને મુખે ગુરુ ભદ્રંભદ્રના જીવનચરિત્રાત્મક વૃત્તાંત તરીકે કહેવાતી કથા. લેખક અને અંબારામ વચ્ચે કાલ્પનિક અભિન્નતા ઊભી કરતી આ નવલકથા ઊઘડતા પાનાની વિગતોથી જ એક લાક્ષણિક હાસ્યકથા તરીકે આરંભાય છે. ‘સનાતન આર્યધર્મ’ના ઉદ્ધાર માટે પોતે અવતાર લીધો છે એમ માનતા ભદ્રંભદ્રનાં આવેશભર્યાં ભાષણો ને એમનું સંપૂર્ણ અતાર્કિક વિચાર-વર્તન એમને સતત હાંસીપાત્ર કરતું રહે છે – એની લેખકે-અંબારામે ને ખુદ ભદ્રંભદ્રે પૂરેપૂરી કાળજી રાખી છે! એકબે પ્રસંગો-સંવાદો જોઈએ : અંબારામ સાથે ટ્રેનમાં મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર ટિકિટબારી પર કહે છે –‘શ્રીમોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ કૉર્ટમાં મેજિસ્ટ્રેટ અને એમની વચ્ચેનો સંવાદ : ‘તમારું નામ શું?’ ‘વિદ્યમાન ભદ્રંભદ્ર’ ‘તમારું નામ વિદ્યમાન અને તમારા બાપનું નામ ભદ્રંભદ્ર?’ ‘મારું નામ ભદ્રંભદ્ર છે પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’ છેલ્લા પ્રકરણનું શીર્ષક છે : ‘જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા’! એ સમયે, કેટલાક સમકાલીન વિદ્વાનોને લક્ષ્ય કરીને એમની હાંસી કરાઈ છે એવા આરોપસર ‘ભદ્રંભદ્ર’ વિશે તીવ્ર વિવાદ થયેલો પણ એ સમયસંદર્ભ ખસી ગયા પછી, હવે આજે તો એને એક નરવી હાસ્યનવલ તરીકે આપણે માણી શકીએ છીએ. તો અંબારામની સહાયથી આ આકર્ષક કૃતિમાં પ્રવેશીએ– –રમણ સોની





Bhadrambhadra image1.jpg


ભદ્રંભદ્રનું કલાગુરુ રવિશંકર રાવળે કરેલું રેખાંકન



ભદ્રંભદ્ર

એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ


લખનાર
તેમનો શિષ્ય અને ભક્ત
વિ. અમ્બારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ.
જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ.
વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ).
ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩




પ્રસિદ્ધ કરનાર,
સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,
બી. એ., એલએલ. બી.




સોલ એજંટ્‌
અંબાલાલ મોહનલાલ શાહ




પાંચમી આવૃત્તિ
સંવત ૧૯૮૮
ઇ.સ. ૧૯૩૨
કિંમત રૂ. ૨-૦-૦.





[સર્વ હક્ક સ્વાધિન છે.]





છપાવનાર.
અંબાલાલ મોહનલાલ શાહ
મોહનલાલ મ. શાહનો છોકરો
મુ. વડોદરા—ડ ભો ડા.




છાપનાર.
મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ
સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં
પાનકોર નાકા — અમદાવાદ.




પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના.
(પહેલી આવૃત્તિ.)

રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીયા વિશે મુખપૃષ્ટમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે, અને, તેમની ઉમ્મર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહીતી મળે એમ વાંચનારને લાગશે. પરંતુ, તેમની ખાયેશથી આટલી જ હકીકત લખી બાકીની મુકી દેવામાં આવી છે. આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારૂ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર જ્ઞાનસુધામાં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક પ્રસિદ્ધ કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારો વધારો કરી આપ્યો છે. આ લેખ પુસ્તકના આકારમાં દેશભક્ત પત્ર માટે બહાર પાડવાની યોજના રા. રા. દોલતરામ મગનલાલ શાહે સૂચવી અને પૂર્ણ કરી તે માટે તેમનો તથા દેશભક્ત પત્રમાં તેમના સહભાગીદાર રા. રા. વસંતલાલ સુંદરલાલ દેસાઇનો આ સ્થળે આભાર માનવો ઘટે છે. પુસ્તકમાં કેટલાંક ચિત્ર મુકવાનો વિચાર હતો. પરંતુ ગ્રન્થમાંથી કલ્પના પ્રમાણે છબી ચીતરાવવાની મુશ્કેલી બહુ નડી. ફોટોગ્રાફ પડાવી તે ઉપરથી બીબાં કરાવી ચિત્ર છપાવવાની ધારણા કરી, એક બે ફોટોગ્રાફ લેવડાવ્યા, પણ તેમાંએ અડચણો આવી પડી અને બહુ વિલંબ થવાથી આખરે આ પ્રથમ આવૃત્તિ વગર ચિત્રે બહાર પાડવી પડી છે. અમદાવાદ,
સપ્ટેમ્બર, ૧૯૦૦

ર. મ. ની.
 



બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ મર્હુમ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે. આ પુસ્તકમાં ચિત્ર મુકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઇ શકી નથી. અમદાવાદ,
એપ્રીલ ૧૯૧૦

ર. મ. ની.
 


ત્રીજી આવૃત્તિ

આ ત્રીજી આવૃત્તિ છાપતાં દરમ્યાન રા. રા. મોહનલાલ મનસુખરામ મરકીથી અવસાન પામ્યા છે એ નોંધ કરતાં ખેદ થાય છે. પુસ્તકમાં ચિત્ર મુકવાની યોજના આખરે સફલ થઇ શકી છે. રા. રવિશંકર મ. રાવળની કુશલ ચિત્રકલાથી એ સિદ્ધ થઇ છે. અમદાવાદ,
જુલાઇ ૧૯૧૮.

ર. મ. ની.
 


ચોથી આવૃત્તિ

આત્રીજી આવૃત્તિ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. અમદાવાદ,
જુન ૧૯૨૩.

ર. મ. ની.
 




આપાંચમી આવૃત્તિની પ્રસ્તાવના.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મ હાસ્યને સમજનાર વર્ગ ધીમે ધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજ તે લેખકની હયાતી નથી એ બાબતે તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખુંચતા. પરંતુ હવે એવો જમાનો આવ્યો છે કે એ આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દે અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે અને જુની રૂઢીઓને વળગી રહેવામાં, બુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈ બહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુસ્તકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલી અર્પી કૃતાર્થ થાઉં છું. અમદાવાદ,
તા. ૯–૪–૩૨.

વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ
 




ગ્રંથકર્તાની પ્રસ્તાવના

શું છે અને શું નથી એ એવો ગહન વિષય છે કે કંઇ છે અને કંઇ નથી એમ કહેવાની મહાપંડિતો સિવાય બીજાની હિમ્મત ચાલતી નથી. ન હતું, નહોતું; હશે, ન હશે; હોત, ન હોત; ન હોયઃ-એમ કહેવું એ સહેલું નથી. કાલનું એ અંગ! અમેરિકામાં ઘોડા દોડે છે, પણ તેથી શું ? જંગલમાંએ ઘોડા દોડે છે. પણ તેથી શું? ત્યાં પહેલાં ઘોડા હતા જ નહિ, પણ તેથી શું? સ્પેનથી આણીને ઘોડા ત્યાં છોડી મુક્યા, પણ તેથી શું? સમય–સમય–પ્રસંગ! એકવાર દૃષ્ટિ કરો, એક વાર લક્ષ ધરો, એક વાર સ્થિર ઠરો, એકવાર અજ્ઞાન હરો, એક વાર સિદ્ધિ વરો, એકવાર અગાધ તરો, એકવાર સત્વર સરો, એક વાર લીલા ફરો, એક વાર પ્રકાશ ઝરો, એક વાર તર્ક ભરો. અદ્‌ભુત! અદ્‌ભુત! હે યમુને! હે ગંગે! યુગે યુગે વાણીઓ બોલાઇ છે, યુગે યુગે વક્તાઓ ગાજ્યા છે; યુગે યુગે સંગ્રામ જામ્યાં છે, યુગે યુગે યોદ્ધાઓ ઘુમ્યા છે, યુગે યુગે શાસ્રાર્થ થયા છે, યુગે યુગે વાદીઓ જીત્યા છે. એ સર્વ મહાવૈભવમાં વિશેષ વૈભવ આર્ય ભાષાનો છે, તેમાં વિશેષ વૈભવ આર્ય ભાષાનાં શાસ્રનો સ્થળે સ્થળે ઉદ્ધાર તથા પુનઃ સ્થાપન કરનાર એક વિરલ પ્રતાપી મહાપુરુષનો છે. ધન્ય છે તેને! એ પરાક્રમી નર વિદ્યમાન છે. વર્તમાન સમયમાં તેમનું કીર્તિ-મંત નામ કોઇને અજાણ્યું નથી. ખુણે ખુણે અને ક્ષણે ક્ષણે જેમણે ખંડનમંડનના વ્યાપાર ચલાવી સનાતન આર્ય ધર્મ સિદ્ધ કર્યો છે અને સુધારાનો નાશ કર્યો છે; અરણ્યોમાં, ઉપવનોમાં, નગરીઓમાં, પર્વતોમાં અને સમુદ્ર પર જેમનાં અલૌકિક ભાષણના પડઘા હજી વાગી રહ્યા છે; શાસ્રજ્ઞાન, રૂઢિરહસ્ય અને વિદ્વત્તાના વિષયમાં જેમની પ્રવીણતાનું કીર્તન કરવાને ભાષા અસમર્થ છે તે ભારતભાનુ ધર્મવીર પૂજ્યપાદ શ્રી ભદ્રંભદ્રના મહાનુભાવ જીવનનાં કેટલાંક વર્ષનું વૃત્તાન્ત તેમના અનુયાયીએ ગુરૂભક્તિ સફલ કરવા લખ્યું છે, અને, તેના પાઠ તથા અભ્યાસથી જગતનું નિઃસંશય કલ્યાણ થશે એવા દૃઢ વિશ્વાસથી તે પ્રસિદ્ધ કર્યું છે. મહાત્માઓનાં જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી. કેમકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે, અને, તે ગુણસંપત્તિ લખનારને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ, વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઇ એવા લેખ હાથમાં લેતાં ક્ષમા માગવી એ કર્ત્તવ્ય છે. તથાપિ એક વિષયમાં આ લખનાર ક્ષમાની પ્રાર્થના કરે છે શ્રી ભદ્રંભદ્રના વચનમાં કોઇ કોઇ ઠેકાણે યવનભાષાના શબ્દો મુકાઇ ગયા છે. એ શબ્દ તે પોતે બોલ્યા હશે એમ તો વાંચનાર નહિ જ ધારે. શુદ્ધ સંસ્કૃત વિના બીજા શબ્દનો ઉચ્ચાર કે ઉચ્છ્‌વાસ તેમનાથી જન્માન્તરે પણ થયો નથી, બનેલા વૃત્તાન્તનું કેટલાક વખત પછી સ્મરણ કરી તે લખતાં અજાણ્યે એ યવનશબ્દ શ્રીભદ્રંભદ્રની ઉક્તિમાં મુકાઇ ગયા છે. અથવા તો તેમણે વાપરેલા સંસ્કૃત શબ્દ નહિ સાંભર્યાથી એવા શબ્દ મુકવા પડ્યા છે. શ્રીભદ્રંભદ્રની વાણીમાં સમાયેલા શબ્દ અને અર્થના અલંકાર જેમ બને તેમ જાળવી રાખ્યા છે. આ લખનારની પોતાની વાણીમાં વાંચનારને કદિ કદિ અલંકાર જણાય તો તેમાં આચાર્યશ્રીના ઉદાહરણ તથા અનુસરણ વિના બીજું કંઇ નથી. આ પંથમાં બીજા લેખકનું અનુકરણ કે અપહરણ કણમાત્ર નથી. માનસ સરોવરના તટને મુકી હંસ વર્ષાકાલે અન્યત્ર જતા નથી. અરે, શ્રી ભદ્રંભદ્રદેવની છાયામાં વિચરતા ઉપવાસકને અન્યત્ર શક્તિઓનો આશ્રય લેવો પડતો નથી. કવિ નર્મદાશંકરના રાજ્યરંગની પ્રસ્તાવના પ્રમાણે આ પ્રસ્તાવનાનો આરંભ કર્યો છે તેમાં ઉદ્દેશ માત્ર સહજ સંમતિનો છે. અંતે એટલું કહેવું આવશ્યક છે કે જેને આ પુસ્તક સમજાય નહિ અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી. એ વર્ગને માટે બીજાં પુસ્તકો ઘણાં છે. જય! જય?! જય?!?

દિક્કાલને સીમા નથી ત્યાં
સ્થળ કે સમય શો લખવો?

વિ. અ. વિ. કે. અ. મો.
 




અર્પણોદ્‌ગાર

પગી અમથા કાળા
આપ સકલગુણસંપન્ન છો,
આપ સર્વ ઉપમાયોગ્ય છો.
આપ રાજમાન રાજશ્રી છો,
શ્રૂયતામ્‌ શ્રૂયતામ્‌
આપની દૃઢતા અનુપમ છે!
દસમી વાર કેદમાં જતાં પણ આપનું ધૈર્ય ડગ્યું નહિ,
એક અશ્રુબિંદુ નયનમાંથી પડ્યું નહિ,
એક નિઃશ્વાસ ઓષ્ટમાંથી નિકળ્યો નહિ,
એક રેખા મુખ ઉપર બદલાઇ નહિ,
આપનો નિશ્ચય ફર્યો નહિ.
દૃશ્યતામ્‌ દૃશ્યતામ્‌
આપની અચળ આર્યતામાં સુધારાનો કદિ ઉદ્‌ભવ નથી. પાંચ હજાર વર્ષ ઉપર આપના પૂર્વજ હતા તેવા આપ આજ છો.
ધન્ય!
એ રીત્યા
ધર્મની સનાતનતા આપે સિદ્ધ કરી છે.
ફેરફાર અને ઇતિહાસક્રમ આપે ખોટા પાડ્યા છે,
એવી નિશ્ચલતા બીજી પ્રજામાં નથી.
નિશ્ચલતા એ અમારૂં સર્વસ્વ છે.
નિશ્ચલતા એ આર્યત્વનું રહસ્ય છે.
ગૃહ્યતામ્‌ ગૃહ્યતામ્‌
આ પુસ્તક હું આપને અર્પણ કરૂં છું.
આ પુસ્તક હું આપના કરમાં મુકું છું,
આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું,