ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/સત્યવ્રતની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્યવ્રતની કથા

દેવદત્ત નામના બ્રાહ્મણે પુત્રની ઇચ્છાથી એક વેળા યજ્ઞ કર્યો. તેમાં ઉદ્ગાતાથી સ્વરભંગ થઈ ગયો એટલે દેવદત્તે ઋષિને ઠપકો આપ્યો ત્યારે ઋષિએ તેને શાપ આપ્યો, ‘જા તારો પુત્ર મૂર્ખ થશે.’ દેવદત્તે ઋષિની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા એટલે ઋષિએ કહ્યું, ‘જા, તારો મૂર્ખ પુત્ર પાછળથી વિદ્વાન થશે.’

થોડા સમય પછી દેવદત્તની પત્ની સગર્ભા થઈ અને દેવદત્તે પત્ની રોહિણીએ જન્મ આપેલા બાળકનું નામ ઉતથ્ય પાડ્યું. તેનો વિદ્યાભ્યાસ શરૂ થયો પણ તે મૂરખનો મૂરખ જ રહ્યો. બાર વર્ષ અધ્યયન કર્યું તો પણ તેને સંધ્યાવંદનનો વિધિ ન જ આવડ્યો. પરિણામે ઘરના અને બહારના લોકો ઉતથ્યની બહુ નિંદા કરવા લાગ્યા. એટલે અપમાનિત થયેલો ઉતથ્ય વનમાં ચાલ્યો ગયો. ગંગાતીરે એક ઝૂંપડી બનાવીને તે રહેવા લાગ્યો. તેણે એક વ્રત લીધું, ‘હું ક્યારેય અસત્ય નહીં બોલું.’

પરંતુ તેને કશાનું જ્ઞાન ન હતું. શૌચ, સ્નાન, સંધ્યાપૂજા, પ્રાણાયામ વિશે તે કશું જાણતો ન હતો. તે સવારે ઊઠીને દાતણ કરી ગંગામાં સ્નાન કરી લેતો, પછી ભૂખ લાગે ત્યારે વનમાંથી ફળ લાવતો, કકહ્યું ફળ ખાવાલાયક છે અને કયું ખાવાલાયક નથી તેની સમજ પણ તેનામાં ન હતી. માત્ર તે સાચું બોલતો હતો, ક્યારેય તેના મોંમાંથી ખોટો શબ્દ નીકળતો ન હતો. એટલે લોકોએ તેનું નામ પાડ્યું સત્યવ્રત. તે ક્યારેય કોઈનું અહિત કરતો ન હતો, કશું અનુચિત કાર્ય કરતો ન હતો. તે કોઈ પણ ભય વિના પોતાની ઝૂંપડીમાં સૂઈ રહેતો હતો. તે પોતાના જીવનને વ્યર્થ માનતો હતો. ‘મેં ગયા જન્મે પુસ્તકનું દાન કર્યું નહીં હોય, કોઈને વિદ્યાદાન કર્યું નહીં હોય, એટલે જ હું મૂર્ખ રહ્યો, મારી બુદ્ધિ દુષ્ટ રહી.’

આમ ને આમ ગંગાકાંઠે તેનાં ચૌદ વર્ષ વીતી ગયાં. નહીં કશી આરાધના, નહીં કશી સ્તુતિ, નહીં કોઈ મંત્રજાપ, આમ જ તે સમય વ્યતીત કરતો હતો. આ સત્ય જ બોલે છે એવી વાત બધાએ સ્વીકારી લીધી.

એક વેળા ત્યાં હાથમાં ધનુષબાણ લઈને વિકરાળ દેખાતો એક શિકારી આવી ચઢ્યો. તેના હાથે એક સૂવર વીંધાઈ ગયું અને તે પ્રાણી બહુ ડરી જઈને તરત જ ઉતથ્ય મુનિ પાસે જઈ પહોેંચ્યું. લોહીથી લથબથ થયેલા સૂવરને જોઈ મુનિને ખૂબ દયા આવી. લોહીવાળા શરીરે આગળ જઈ રહેલા સૂવરને જોઈને ‘ઐ ઐ’ એવું સારસ્વત બીજ તેમના મુખમાંથી નીકળી ગયું. તેણે કદી આ મંત્ર સાંભળ્યો ન હતો. તે તો ભારે શોકમાં ડૂબી ગયો, અને પેલું સૂવર ગીચ ઝાડીમાં જતું રહ્યું; પણ ઘાને કારણે તેનું શરીર ધ્રૂજતું હતું.

હવે થોડી વારે પેલો શિકારી ધનુષબાણ લઈને ત્યાં આવી ચઢ્યો. કરાલ કાળ જેવો તે દેખાતો હતો. સામે બેઠેલા મુનિને પ્રણામ કરીને સૂવર ક્યાં ગયું તે પૂછ્યું. ‘તમે તો સત્યવાદી છો. મારો પરિવાર ભૂખે મરે છે. મારી પાસે ગુજરાન ચલાવવાનો કોઈ બીજો માર્ગ નથી. તો તમે સાચેસાચું કહી દો.’

આ સાંભળીને ઉત્તથ્યના મનમાં જાતજાતના વિચારો આવ્યા. ‘નથી જોયું’ એમ કેવી રીતે કહું? શિકારી ભૂખ્યો છે એટલે જોતાંવેેંત તેને મારી નાખશે. હિંસા થતી હોય તે સત્ય ન કહેવાય. જેનાથી બધાનું હિત થતું હોય તે જ સત્ય કહેવાય. હું કેવો ઉત્તર આપું જેથી મારું સત્યવ્રત ખંડિત ન થાય. ધર્મસંકટમાં પડેલા તે કોઈ નિર્ણય લઈ ન શક્યો. ઘવાયેલા સૂવરને જોઈને તેના મોઢામાંથી ‘ઐ’ શબ્દ નીકળ્યો હતો તે જ મંત્ર વડે દેવી પ્રસન્ન થયાં હતાં. બધી જ વિદ્યાઓનું જ્ઞાન પણ તેને થઈ ગયું, જેવી રીતે વાલ્મીકિ ઋષિને બધું જ્ઞાન થઈ ગયું હતું તેવી રીતે ઉતથ્ય પણ કવિ થઈ ગયો. પછી સામે ધનુષ્યબાણ લઈને ઊભેલા શિકારીને કહ્યું, ‘જોનારી આંખ બોલતી નથી, બોલનારી જીભ દેખતી નથી. તો તું મને વારંવાર શું પૂછ્યા કરે છે?’

આ સાંભળીને પેલો શિકારી નિરાશ થઈને ચાલ્યો ગયો.

ઉતથ્ય વાલ્મીકિની જેમ પ્રકાંડ પંડિત થયો.


(૩, ૫)