ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/કાદમ્બરી કથાસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાદમ્બરી કથાસાર

શૂદ્રક નામે એક મહા પ્રતાપી રાજા સભામાં બેઠો હતો તેની પાસે એક વેળા પ્રાત:કાળે લક્ષ્મી જેવી સ્વરૂપવતી એક ચંડાલકન્યા સોનાના પાંજરામાં પોપટ લઈ આવે છે, અને રાજાને તેનું અર્પણ કરે છે. પોપટ પ્રણામ કરી, એક આર્યા બોલી રાજાની સ્તુતિ કરે છે. આથી વિસ્મિત થઈ રાજા તેના વૃત્તાન્ત વિશે પ્રશ્ન પૂછે છે. પોપટ કહે છે કે વંધ્યાિટવીમાં પમ્પા સરોવર છે. તેની પાસે એક શાલ્મલી વૃક્ષમાં હું જન્મ્યો હતો. મારા પ્રસવ સમયે માતા મરણ પામી તેથી પિતા મને ઉછેરતા હતા. એક દિવસે શિકારને અર્થે આવેલા એક ક્રૂર ભીલે અમારા જ વૃક્ષ પર ચઢીને બીજા પોપટ સાથે મારા પિતાને પણ મારી નાખી નીચે નાખ્યા. તે વેળા હું એમના ખોળામાં લપાઈ ગયો હતો એટલે એમની સાથે જ ગડબડ્યો અને સૂકાં પાંદડાંના એક ઢગલામાં પડ્યો. ત્યાંથી હું પાસેના એક તમાલ વૃક્ષના મૂળમાં ભરાઈ ગયો. થોડી વારે તે ભીલ પેલાં મારી નાખેલાં પક્ષી લઈને ગયા પછી મને તરસ લાગી. પાણીની શોધમાં હું બહાર નીકળી આગળ જવા લાગ્યો પણ બપોરનો વખત અને પાંખો પૂરી આવેલી નહિ એટલે રસ્તામાં લથડતો હતો અને હાંફતો હતો તેવામાં સારે ભાગ્યે જાબાલિ મુનિનો પુત્ર હારીત કેટલાક સોબતીઓ સહિત તે રસ્તેથી ન્હાવા જતો હતો તેણે મને દીઠો અને દયા આવવાથી ઉપાડીને તળાવના કાંઠા ઉપર આણ્યો. ત્યાં જઈ, પાણીથી મને શુદ્ધિમાં આણી, સ્નાન કરી પાછા વળતાં એમને પોતાને આશ્રમ લઈ ગયો. મને જોઈ ત્રિકાલદર્શી જાબાલિ મુનિ બોલ્યા કે આ તો એના અવિનયનું ફલ ભોગવતો દેખાય છે. આ સાંભળી કુતૂહલથી આસપાસના મુનિજન મારો વૃત્તાન્ત પૂછવા લાગ્યા ત્યારે એમણે કહ્યું કે સંધ્યાકાળે આપણે આની વાર્તા કહીશું. હું કહેતો જઈશ તેમ તેમ આ બચ્ચાને પણ પોતાનો પૂર્વ વૃત્તાન્ત સાંભરતો જશે, પછી જ્યારે સ્વકર્મ સમાપ્ત કરીને સાયંકાલે સર્વ મુનિઓ ત્યાં ભરાયા ત્યારે એ ઋષિએ કહ્યું કે: ઉજ્જયિનીમાં તારાપીડ નામે રાજા રાજ્ય કરે છે. તેને વિલાસવતી નામે એક પટરાણી છે અને શુકનાસ નામે એક મહા પ્રવીણ પ્રધાન છે. એ રાજાને બીજાં સર્વ સુખ છતાં પુત્રનું સુખ ન હતું. વિલાસવતીને એક દિવસ તે વિશે શોક કરતી જોઈ તેણે એનું ઘણું આશ્વાસન કર્યું અને ધર્મ ઉપર આસ્થા રાખવાનો ઉપદેશ દીધો. થોડા જ કાળ પછી રાજાએ સ્વપ્નમાં વિલાસવતીના મુખમાં પૂર્ણ ચંદ્રને પ્રવેશ કરતા જોયો. શુકનાસે પણ તે જ રાત્રે સ્વપ્નમાં પોતાની સ્ત્રી મનોરમાના ખોળામાં એક બ્રાહ્મણ જેવી આકૃતિવાળા પુંડરીક(શ્વેત કમલ) મૂકતાં જોયો. કેટલેક દિવસે રાણીને ગર્ભ રહ્યાની વાત રાજાને વિદિત થઈ અને પ્રસવકાલ પૂર્ણ થયેથી તેણે એક પુત્ર પ્રસવ્યો. તે વેળા મનોરમાને પણ એક પુત્ર આવ્યો. રાજકુલમાં અને ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો. રાજાએ પુત્રનું નામ સ્વપ્નને અનુસરીને ચંદ્રાપીડ રાખ્યું અને પ્રધાને વૈશમ્પાયન રાખ્યું. બંને પુત્ર મોટા થયા ત્યારે છઠ્ઠા વર્ષમાં, રાજાએ કુમારને માટે નગરીની બહાર એક વિદ્યામંદિર બંધાવ્યું અને ત્યાં એ બે બાળકને સર્વ શાસ્ત્રમાં પ્રવીણ ગુરુઓને સ્વાધીન કર્યા. દશ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યા પછી ગુરુઓની અનુમતિથી રાજાએ તેમને ઘેર તેડી લાવવા એક અશ્વસૈન્ય મોકલ્યું તથા કુમારને માટે સમુદ્રમાંથી જન્મેલો એક ઇંદ્રાયુધ નામે ઉત્તમ અશ્વ મોકલ્યો. તે ઉપર અસવાર થઈ કુમાર રાજગૃહમાં આવી પહોંચ્યો તથા પિતા માતા અને શુકનાસને મળ્યો. ત્રીજે દિવસે સવારમાં જ એની માતાએ કૈલાસ નામના એક કંચુકી સાથે પત્રલેખા નામની એક સુન્દર રાજકન્યાને તામ્બૂલવાહિની તરીકે એની પાસે મોકલી. તે દિવસથી બંનેને અન્યોન્ય પ્રીતિ ઉત્પન્ન થઈ જે અહનિર્શ વધતી ગઈ. થોડા દિવસ પછી યુવરાજનો રાજ્યાભિષેક દિવસ પાસે આવતો જોઈ શુકનાસે એક વેળા તેને યૌવનના તથા લક્ષ્મીના મદ વિશે ઘણો જ અસરકારક ઉપદેશ આપ્યો, અને અભિષેક થયા પછી કુમાર દિગ્વિજયને અર્થ પત્રલેખા, વૈશમ્પાયન અને એક મોટા સૈન્ય સહિત બહાર નીકળ્યો. ત્રણ વર્ષ સુધી આખી પૃથ્વી ઉપર ફરીને સર્વત્ર જય મેળવતો મેળવતો તે એક દિવસ ઉત્તરમાં કૈલાસની પાસેના સુવર્ણપુર નામે ગામમાં આવી પહોંચ્યો, જે તેણે જીતી લીધું અને થોડા દિવસ સૈન્યનો પડાવ ત્યાં જ રાખ્યો. ત્યાંથી એક વાર મૃગયા સારુ નીકળ્યો હતો તેવામાં એણે એક કિન્નર લોકનું જોડું દૂરથી જોયું તેને પકડવાની ઇચ્છાથી એ પાછળ પડ્યો પણ તે લોક તો ત્રાસ પામી પર્વત પર ચઢી ગયા અને કુમાર એકલો જ પોતાના મુકામથી ઘણે જ દૂર નીકળી ગયો. આ જોઈ એ પશ્ચાત્તાપ સહિત પાછો ફર્યો અને તરસ લાગવાથી કોઈ તળાવની શોધમાં ફરતો હતો એટલામાં એક માર્ગ એની દૃષ્ટિએ પડ્યો અને તેને અનુસરતાં એક વિશાળ સરોવર આવ્યું. તેથી આનંદ પામી ઘોડાને જલ પાઈ પોતે પીને સંતુષ્ટ થઈ ઘોડાને બાંધી, એક વૃક્ષ તળે જરા સૂતો એટલામાં દૂરથી આવતો એક સંગીતધ્વનિ એને કર્ણે પડ્યો. એવા નિર્માનુષ અરણ્યમાં તે આશ્ચર્ય જેવું લાગવાથી તેની શોધ કરવા અશ્વ ઉપર બેસીને તે દિશા તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં, વૃક્ષોથી ઘેરાયેલું એક શિવાલય આવ્યું, ત્યાં અશ્વથી ઊતરી અંદર ગયો તો મૂતિર્ની સામે દિવ્ય સ્વરૂપવાળી, બ્રહ્મચર્ય પાળતી, એક કન્યાને વીણાથી શિવ-સ્તુતિ કરતી જોઈ. આ કન્યાની બ્રહ્મચર્યાવસ્થા જોઈ એને અધિક કુતૂહલ થયું તેથી ત્યાં જ એ બેઠો. થોડી વારે એ બહાર આવી ત્યારે ચંદ્રાપીડને જોઈ એણે આવકાર દીધો અને અતિથિસત્કારને અર્થે એને પોતાની ગુફામાં તેડી ગઈ. ત્યાં જઈ કુમારનો વૃત્તાન્ત પૂછ્યો તે એણે કહ્યો. ફલાહાર કરી રહ્યા પછી કુમારે તેનો વૃત્તાન્ત જાણવાની આતુરતા દર્શાવી ત્યારે ચોધાર આંસુ સહિત તે બોલી કે મારા જેવી પાપિણીનો વૃત્તાન્ત સાંભળે શું ફલ થવાનું છે? પણ ઇચ્છા હોય તો સાંભળો: ચંદ્રકિરણમાંથી નીકળેલા અપ્સરાઓના એક કુળમાં હું જન્મેલી છું. મારી માતાનું નામ ગૌરી છે. પિતાનું નામ હંસ છે. મારું નામ મહાશ્વેતા છે. હેમકૂટ પર્વત ઉપર મારા કુટુંબનો વાસ છે. એક વાર વસંત ઋતુમાં હું આ અચ્છોદ સરોવર ઉપર મારી માતા તથા સખીઓ સાથે સ્નાન કરવા આવી હતી અને સખીઓ સાથે વૃક્ષોની શોભા નિહાળતી નિહાળતી ફરતી હતી એવામાં મને કંઈક અપૂર્વ સુગંધ આવી, અને આગળ ચાલી તો મેં બે મુનિકુમાર જોયા. તેમાંના એક અતિ રૂપવાનના કર્ણમાં એક કુસુમમંજરી હતી. તે જોવાથી મને લાગ્યું કે આ સુગંધ તેની જ હશે. એ મુનિકુમારનું રૂપ જોતાં જ મદને મને પાશમાં નાખી દીધી અને એની પણ અવસ્થા મને જોઈને મારા જેવી જ થઈ, થોડી વારે મેં એના સોબતીને પૂછ્યું કે આ કોણ છે? અને આ કુસુમમંજરી શાની છે? તેણે કહ્યું કે ભગવાન શ્વેતકેતુ નામે મુનિનો લક્ષ્મીથી ઉત્પન્ન થયેલો આ પુંડરીક નામે પુત્ર છે. અને નંદન-વનદેવતાએ એને અર્પણ કરેલી પારિજાત વૃક્ષની મંજરી છે. આમ અમે વાત કરતાં હતાં તેવામાં પુંડરીક મારી પાસે આવી કહેવા લાગ્યો કે તને જો આ ગમતી હોય તો તું જ પહેર. એમ કહી તે એણે મારા કર્ણમાં પહેરાવી. પણ એટલામાં એના હાથમાંથી ગભરાટને લીધે માળા પડી ગઈ તે એણે જોઈ નહિ પરંતુ મેં લઈ લીધી અને મારા કંઠમાં નાખી. પછી મારી માતા જાય છે એમ સાંભળી હું પ્રણામ કરી પાછી ફરતી હતી તેવામાં બીજા મુનિપુત્રે આ માળા ગયા વિશે એને ઠપકો દીધો ત્યારે એણે મને ખોટો કોપ ધારણ કરી કહ્યું કે મારી માળા આપ્યા વિના તારે જવું નહિ. આ ઉપરથી મેં મારો એકાવલી હાર કાઢીને એના હાથમાં નાખ્યો પણ તે એને વર્ત્યો નહિ અને ત્યાંથી હું સ્નાન કરી ઘેર આવી. પણ જીવ મારો ત્યાં જ ચોંટ્યો હતો. થોડી વારે મારી એક દાસી જે પાછળ રહી હતી તે મારી પાસે આવી અને એક પત્રિકા આપી કહેવા લાગી કે જેણે તમને કુસુમમંજરી પહેરાવી હતી તેણે જ આ મોકલી છે, હરખાઈને મેં એ વાંચી તો મને બમણો વિકાર થઈ આવ્યો. અને દાસી સાથે હું એ વિશે વાત કરતી હતી એટલામાં એક મુનિકુમાર બારણે આવ્યો છે એવી દ્વારપાલે મને ખબર કરી, મેં તરત જ તેને અંદર લાવવા કહ્યું અને જોયું તો એ પુંડરીકનો મિત્ર કપંજિલ હતો. એણે આવીને ઘણી વાર સુધી શરમાયા પછી એના મિત્રની અતિ દુઃખી અવસ્થાનું મને યથાર્થ નિવેદન કર્યું. ઉપદેશ સઘળા વ્યર્થ ગયાથી એણે ધાર્યું હતું કે અમારા સમાગમ વિના બીજા કોઈ ઉપાયથી એ બચે એમ નથી. તેથી એ મને પ્રાર્થના કરવા આવ્યો હતો અને હું ઉત્તર આપું એટલામાં તો મારી માતા મારી પાસે આવે છે એ ખબર સાંભળવાથી એ ગભરાયો અને મને ફરીથી વિનંતિ કરીને ચાલતો થયો. માતા ગયા પછી મને ગડભાંગ થવા લાગી કે શું કરવું. આખરે ત્યાં જવાનો નિશ્ચય કરી, રાત પડી એટલે મારી દાસી તરલિકા સાથે છાનીમાની હું બહાર નીકળી તે તરફ ચાલી, પણ દુર્ભાગ્યને લીધે તે સ્થળ પાસે આવતાં જ મને રુદન કરતા કપંજિલનો સ્વર સંભળાયો અને ધબકતે હૈયે આગળ ચાલી તો મેં મારા પ્રાણનાથને કામની પીડાથી તત્કાળ મરણ પામેલા જોયા. આ જોઈ એકાએક ભૂમિ પર પડી, વિલાપ કરતી કરતી હું સાથે જ બળી મરવાનો નિશ્ચય કરતી હતી તેવામાં જ આકાશમાંથી એક દિવ્ય પુરુષ ઊતરી આવ્યો. તેણે મને આશ્વાસન દઈને કહ્યું કે પુત્રિ, પ્રાણત્યાગ કરીશ નહિ, પુનરપિ તમારો સમાગમ થશે. એમ કહી એ શબને ઉપાડી તે આકાશમાં જતો રહ્યો, કપંજિલ આ જોઈ ગભરાટમાં પડ્યો અને એને એ અદ્ભુત વૃત્તાન્ત વિશે પૂછવા લાગી તેનો ઉત્તર ન આપતાં કેડ બાંધી એ પણ રોષમાં જ પેલા પુરુષની પાછળ આકાશમાં દોડી ગયો. આ પ્રમાણે એકલી પડવાથી હું તો બમણી શોકાતુર થઈ. પણ પુન: સમાગમની આશાએ તે દિવસથી બ્રહ્મચર્ય ગ્રહણ કરીને આ ઠેકાણે મારી દાસી તરલિકા સાથે રહું છું. એમ કહી ચોધાર આંસુ પાડી એ રુદન કરવા લાગી. ચંદ્રાપીડને આથી ઘણો શોક થયો તથા દયા ઉપજી અને બહુ પ્રકારે એણે એને આશ્વાસન કીધું. પછી બહુ વારે આહાર કરી, રાત પડી એટલે ચંદ્રાપીડ એક શિલાતલ ઉપર સૂવાની તૈયારીમાં હતો તેવામાં એણે, તરલિકા વિશે વિચાર આવવાથી પૂછ્યું કે આપની દાસી તરલિકા કેમ દેખાતી નથી? ત્યારે મહાશ્વેતાએ કહ્યું કે ગંધર્વોમાં ચિત્રરથ નામે રાજા છે તેને કાદમ્બરી નામે પુત્રી છે. અમે બે સાથે ઉછર્યા છીએ એટલે બાલપણથી જ સહીપણાં છે. મારો આવો વૃત્તાન્ત સાંભળ્યો ત્યારથી એણે નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી મહાશ્વેતા દુઃખી છે ત્યાં સુધી હું પાણિગ્રહણ કરનાર નથી. એને લગ્નયોગ્ય અવસ્થામાં આવેલી જોઈ, એનું આ વચન સાંભળવાથી એનાં માતાપિતાને બહુ ખેદ થયો અને બીજો કોઈ ઉપાય ન ચાલવાથી આજ સવારે જ એક કંચુકીને મારી પાસે મોકલ્યો હતો અને મને કહાવ્યું હતું કે તું જેમતેમ કરીને તારી સખીને સમજાવે તો ઠીક. તે ઉપરથી તરલિકાને મેં મારા સંદેશા સહિત કાદમ્બરી પાસે મોકલી છે. આ સાંભળી, ચંદ્રાપીડ એ બધા વૃત્તાન્ત વિશે ચંતિન કરતો કરતો સૂઈ ગયો. પ્રાત:કાળમાં જ કેયૂરક નામે ગંધર્વકુમાર સાથે તરલિકા ત્યાં આવી પહોંચી. તેના કહેવાથી જણાયું કે કાદમ્બરી શિખામણ માનતી નથી. તેથી મહાશ્વેતાએ પોતે જ ત્યાં જવાનો નિશ્ચય કર્યો અને ચંદ્રાપીડને હેમકૂટ જોવા આવવાની વિનંતિ કરી, તે ઉપરથી એ બધાં ત્યાં ગયાં… કાદમ્બરીનો તથા ચંદ્રાપીડનો મેળાપ થતાં જ તેઓને પરસ્પર પ્રીતિ થઈ… એક દિવસ ત્યાં રહીને કુમાર પાછો કેટલાક ગંધર્વકુમાર સાથે ત્યાંથી પોતાના સૈન્ય પાસે આવ્યો. બીજે દિવસે તેની પાસે આવી કેયૂરકે વિનંતિ કરી કે આપના દર્શન વિના દેવી કાદમ્બરી અને મહાશ્વેતા દુઃખી છે માટે ફરીથી આપનું મુખ જોવા ઇચ્છે છે. ચંદ્રાપીડ આ સાંભળી, પત્રલેખાને લઈ, તેની સાથે ફરીથી હેમકૂટ ઉપર ગયો. ત્યાં એણે કાદમ્બરીને કામપીડાથી હિમગૃહમાં સૂતેલી જોઈ. કેટલીક શ્લિષ્ટ વાતચીત થયા પછી ત્યાંથી એ ઊઠી પાછો પોતાને મુકામે આવ્યો પણ કાદમ્બરીની ઇચ્છાથી પત્રલેખાને ત્યાં રહેવા દીધી. સૈન્ય પાસે આવતાં પિતાના તરફથી પત્ર લઈને આવેલા એક દૂતને તેણે જોયો. પત્રમાં લખ્યું હતું કે તમને જોયે બહુ દિવસ થઈ ગયા માટે આ પત્ર વાંચી રહો કે તરત જ તમારે આ તરફ આવવું. આ ઉપરથી એણે મેઘનાદ નામના એક સેવકને બોલાવીને કહ્યું કે પત્રલેખા થોડા દિવસમાં કેયૂરક સાથે અહીં આવશે તેને તેડીને તું આવજે. પછી સૈન્ય ઉપર વૈશમ્પાયનને નીમી, તેમને ધીમે ધીમે આવવા કહી પોતે એકલો જ કેટલાક સવાર સાથે ઉજ્જયિની તરફ ચાલ્યો. માર્ગમાં ચંડિકાનું મંદિર આવ્યું ત્યાં એક દ્રવિડ-ધામિર્ક રહેતો હતો. તેનો વિચિત્ર આકાર વિગેરે જોઈ એને ઘણો વિનોદ થયો. ઘેર આવ્યા પછી કાદમ્બરી વિના પોતે તલપતો હતો એટલામાં થોડા દિવસ પછી, મેઘનાદ પત્રલેખાને લઈને આવ્યો. પત્રલેખાએ કાદમ્બરીની દુઃખી અવસ્થાનો એને બધો વૃત્તાન્ત સંભળાવ્યો અને કહ્યું કે દેવીના પ્રાણ બચાવવાને સત્વર ત્યાં જવું જોઈએ. ચંદ્રાપીડ આ સાંભળી ચિન્તામાં પડ્યો કે શું કારણ બતાવી બહાર નીકળવું? આમ ગભરાટમાં પડ્યો હતો અને એક દિવસ ક્ષિપ્રાને તટે ફરવા ગયો હતો તેવામાં એણે દૂરથી કેયૂરકને કેટલાક સવારો સહિત આવતો જોયો. તેને ઘેર તેડી લાવી, સન્માન આપી, કાદમ્બરીનો સર્વ વૃત્તાન્ત પૂછ્યો તો તેણે પણ એની હૃદયવેધક વેદનાનું યથાર્થ વર્ણન આપ્યું અને કહ્યું કે હવે વિલંબ થશે તો દેવીના પ્રાણ ટકશે એવી કોઈ આશા નથી. આ સાંભળી ચંદ્રાપીડ વિચાર કરવા લાગ્યો કે વૈશમ્પાયન હોત તો કંઈ પણ સલાહ બતાવત, પણ હવે કરવું શું? શું બહાનું કાઢી બહાર જવું? આમ ચિન્તા કરતો હતો એટલામાં સૈન્ય નગરીથી થોડેક દૂર આવ્યાના સમાચાર એને મળ્યા તે ઉપરથી વૈશમ્પાયનને તેડવા સારુ પિતાની આજ્ઞા લઈ એ સૈન્ય તરફ ચાલ્યો પણ ત્યાં ગયો તો વૈશમ્પાયન મળે નહિ! આ જોતાં જ એને મૂર્ચ્છા આવી અને રાજપુત્રોએ જેમતેમ કરીને એને શુદ્ધિમાં આણ્યો. પછી ઘણી વારે મહાકષ્ટે એણે હિમ્મત ધરીને વૈશમ્પાયનનો વૃત્તાન્ત પૂછ્યો તો તેઓએ કહ્યું કે આપના ગયા પછી અમને વૈશમ્પાયન અચ્છોદમાં સ્નાન કરવા તેડી ગયા પણ એમને તો એ ભૂૂમિમાં પગ મૂકતાં જ કંઈક વિકાર થઈ આવ્યો તેથી બાવરા બની જઈને આમતેમ કંઈ શોધતા હોય તેમ ફરવા લાગ્યા. અમે પાછા ફરવાને બહુ સમજાવ્યા પણ માન્યા જ નહિ. આખરે ત્રીજે દિવસે થાકીને અમે કેટલાક માણસ એમની પાસે રાખી ચાલ્યા આવ્યા છીએ. આ સાંભળી ચંદ્રાપીડ શોક અને વિસ્મયમાં પડ્યો પણ વિચારવા લાગ્યો કે એક પાસેથી આ મને અનુકૂલ પડશે. વૈશમ્પાયનને તેડવા સારું પિતામાતા મને ના કહેશે નહિ, ત્યાંથી પછી હું કાદમ્બરી પાસે જઈશ. આમ વિચારી સૈન્ય સાથે પોતે ઉજ્જયિની પાછો આવ્યો… પછી મેઘનાદને, કેયૂરકને તથા પત્રલેખાને આગળથી મોકલી, માતાપિતા પાસેથી જેમતેમ કરી આજ્ઞા લઈ વૈશમ્પાયનને તેડવા જવા નીકળ્યો. પણ માર્ગમાં મેઘસમય નડવાથી ઘણે દિવસે એ અચ્છોદ પાસે પહોંચી શક્યો. ત્યાં આવીને ચોતરફ પેરો મૂકી શોધ કરી પણ વૈશમ્પાયન જડ્યો નહિ! તેથી એ વધારે ગભરાઈ ગયો પણ મહાશ્વેતાને કદાચ એની વાત જાણવામાં હશે એમ ધારી તેના આશ્રમ ભણી ચાલ્યો. ત્યાં આવ્યો તો રુદન કરતી મહાશ્વેતાને તરલિકાએ ઝાલી રાખેલી દીઠી. આ જોઈ, રખે ને કાદમ્બરીને કંઈ થયું હોય એમ શંકા આવવાથી એ ‘શું થયું’ એમ પૂછવા લાગ્યો ત્યારે મહાશ્વેતાએ એવી જ અવસ્થામાં ઉત્તર દીધો: આપના ગયાના ખબર સાંભળી, શોકાતુર થઈ હું હેમકૂટથી અહીં આવી ત્યારે મેં આપના જેવડા જ કુમારને અહીં ફરતો જોયો. મને જોઈ એની નજર બગડી તથા વાર્યા છતાં એ મારી પાછળ ભમવા લાગ્યો અને એક વાર રાત્રે હું શિલાતલ પર સૂતી હતી તેવામાં એ મારી સમીપ આવી કુવચન બોલ્યો તેથી મને ઝટ ઝાળ ચઢવાથી મેં એને શાપ દીધો કે પોપટની પેઠે તું સમજ્યા વિના ગમે તેમ બોલે છે માટે મારા સત્ય વચનથી તેવો જ થઈને તે જાતિમાં પડ. આવું કહ્યું કે તત્કાળ એ કાષ્ઠવત્ થઈ ભૂમિ પર પડ્યો. પણ એના મરણ પછી મેં સાંભળ્યું કે એ તો આપના મિત્ર હતા. આ સાંભળતાં જ ચંદ્રાપીડનું તો હૈયું જ ફાટી ગયું અને એને ભૂમિ પર પડતો જોઈ તરલિકાએ દોડી આવી ઝાલી લીધો. એનું મૃત્યુ થયું જોઈ મહાશ્વેતા વધારે ગભરાઈ ગઈ. પરિજન વિગેરે સૌ દોડી આવ્યા અને મહાશ્વેતાને ગાળો દઈ શોક કરવા લાગ્યા. એટલામાં ચંદ્રાપીડના આવવાની ખબર પત્રલેખાએ કહ્યાથી કાદમ્બરી તેને મળવા સારુ પત્રલેખા તથા બીજી સખીઓ સાથે ત્યાં આવી પહોંચી પણ ચંદ્રાપીડને મરણ પામેલો જોઈ મૂછિર્ત થઈ. પત્રલેખાને પણ મૂર્ચ્છા આવી. મૂર્ચ્છામાંથી જાગી એટલે કાદમ્બરી સહગમન કરવાનો નિશ્ચય કરી ચંદ્રાપીડનું મસ્તક ખોળામાં લઈને બેઠી. તેવામાં જ એના સ્પર્શને લીધે ચંદ્રાપીડના શરીરમાંથી એક જ્યોતિ બહાર નીકળ્યું અને તે અંતરીક્ષમાં રહીને મહાશ્વેતાને આશ્વાસન દઈ કાદમ્બરીને કહેવા લાગ્યું કે પ્રાણત્યાગ મા કર. ફરી તારો ચંદ્રાપીડ સાથે સમાગમ થશે. આ શરીરને અગ્નિસંસ્કાર આદિ ન કરતાં આમ ને આમ જ રાખી મૂકવું. એવું કહી તે અંતહિર્ત થઈ ગયું પણ પત્રલેખા તો એ જ્યોતિના શીતલ સ્પર્શથી મૂર્ચ્છામાંથી ઊઠી. દોડીને ઇંદ્રાયુધ સહિત સરોવરમાં પડી! ગભરાટમાં સર્વે ચકિત દૃષ્ટિથી સામું જોઈ રહ્યાં હતાં તેવામાં જલમાંથી એક મુનિકુમાર નીકળ્યો ને મહાશ્વેતા પાસે આવી પૂછવા લાગ્યો કે મને ઓળખો છો? તેણે તરત જ શું હું પાપિણી કપંજિલને પણ ન ઓળખું? એમ કહી પ્રણામ કરી સર્વ વૃત્તાન્ત પૂછ્યો. તેણે કહ્યું: તમને એકલાં મૂકી હું આકાશમાં એ દિવ્ય પુરુષ પાછળ ગયો ત્યારે એ મને ચંદ્રલોકમાં લઈ જઈને કહેવા લાગ્યો કે હું ચંદ્ર છું. મને તારા મિત્રે મરણ સમયે શાપ દીધો કે મને તું આવી પીડા આપી મરણ પમાડે છે માટે તું પણ મારા જેવી જ પીડા જન્મે જન્મે ભોગવી મરણ પામજે. આ શાપથી ક્રોધ પામી મ્હેં પણ તેવો જ શાપ એને સામો દીધો. પછી મને જણાયું કે એ તો મારો જામાતા થાય. પણ ‘જન્મે જન્મે’ કહ્યાથી એણે મારી સાથે બે વાર તો મનુષ્યલોકમાં જન્મવું પડશે. એનું શરીર અવિનષ્ટ રહે એટલા માટે હું અહીં લાવ્યો છું અને પુત્રીને મેં આશ્વાસન કીધું છે. આ વૃત્તાન્ત તું શ્વેતકેતુને કહી આવ. તે ઉપરથી હું દોડતો દોડતો કહેવા જતો હતો એટલામાં એક ક્રોધી, વિમાનમાં બેઠેલા દેવને મારી અડફટ વાગી તેથી તેણે મને શાપ દીધો કે અશ્વની સમાન વગર વિચાર્યે તું આમ ચાલે છે માટે અશ્વ જ થઈ પૃથ્વી પર પડ. આથી નિરાશ થઈ મેં ઘણી આજીજી કરી ત્યારે એણે એટલું કહ્યું કે મર્ત્યલોકમાં ચંદ્રમા તારાપીડને ત્યાં તથા તારો મિત્ર શુકનાસને ત્યાં અવતરશે માટે અશ્વ રૂપે પણ તું તારા મિત્ર સાથે રહી શકીશ અને તે રાજપુત્રના મરણ પછી શાપમુક્ત થઈશ. આ સાંભળતાં જ હું નીચે સમુદ્રમાં પડ્યો અને ત્યાંથી અશ્વ થઈ નીકળ્યો… હવે તમે સમજ્યાં હશો કે તમે જેને અજાણતાં શાપ દીધો તે મારા મિત્ર પુંડરીકનો જ અવતાર હતો! મહાશ્વેતા તો આ સાંભળી ઘણા જ શોકમાં પડી; તેને આશ્વાસન દઈ બાકીનો વૃત્તાન્ત જાણવા કપંજિલ પાછો ગગનમાર્ગે જતો રહ્યો. તેના ગયા પછી કાદમ્બરી ચન્દ્રાપીડના શરીરને ખોળામાં રાખી નિત્ય પૂજા કરતી ત્યાં રહેતી હતી. તેવામાં ઉજ્જયિનીથી કેટલાક દૂત આવી પહોંચ્યા, જેઓ સર્વ તે અશુભ સમાચાર લઈને પાછા ગયા. તે ઉજ્જયિની પહોંચતા હતા તેવામાં જ પુત્રને અર્થે દેવીની આરાધના કરવા નગરીની બહાર આવેલી વિલાસવતીએ તેમને દીઠા. સમાચાર પૂછતાં તેઓ કંઈ ઉત્તર આપી શક્યા નહિ એટલે એ અત્યંત વિલાપ કરવા લાગી. તારાપીડને ખબર થવાથી એ પણ મંત્રી સહિત દોડતો આવ્યો. વિલાસવતીને છાની રાખી તેણે સર્વ વૃત્તાન્ત પૂછી જોયો… અને ચંદ્રાપીડનું શરીર એવું ને એવું છે એમ સાંભળી ધૈર્ય રાખી રાણી, શુકનાસને વિગેરે સહિત ત્યાં જવા નીકળ્યો. ત્યાં જવા નીકળ્યો. ત્યાં આવી દર્શનથી જરા સુખ પામી વિરક્ત થઈ, વનવાસનો અંગીકાર કરીને રહ્યો.

આટલું કહી જાબાલિ મુનિ બોલ્યા કે હવે તમે સમજયા હશો કે આ પોપટ કોણ છે અને એણે શું કર્યું છે… પછી વૈશમ્પાયન પોપટ કથા આગળ ચલાવે છે. થોડી વારે કપંજિલ એ આશ્રમમાં આવી પહોંચ્યે તેને જોઈ મને ઘણો હર્ષ થયો, તેણે મને પોતાનો વૃત્તાન્ત કહી પિતાનો સંદેશો કહ્યો કે શાપના અંત સુધી તારે જાબાલિ મુનિ પાસે જ રહેવું એમ કહી એ ઊડી ગયો. મને થોડા દિવસમાં પાંખો આવી અને મુનિના કહેવા પ્રમાણે સ્મરણ તો થયું હતું જ એટલે મહાશ્વેતાને મળવાની ઉત્કંઠાથી હું એક દિવસ આહારને બહાને આશ્રમમાંથી તે દિશા તરફ ઊડ્યો, પણ થાક લાગવાથી એક વૃક્ષ પર બેસી ઊંઘી ગયો, જાગ્યો ત્યારે તો પાશમાં પકડાયો હતો એમ જણાયું! સામે એક ચંડાલ ઊભો હતો તેને મેં છોડવાની વિનંતિ કરી પણ એ તો ઉપાડીને મને એના સ્વામીની પુત્રી પાસે લઈ ગયો. તેણે મને એક દુર્ગંધી પાંજરામાં પૂર્યો, મને આમ ચંડાલને હાથ જવાથી પશ્ચાત્તાપ અતિશય થયો તેથી હું બોલ્યોચાલ્યો નહિ અને એ કન્યાએ બહુ કહ્યું ત્યારે બીજે દિવસે મેં ફલાહાર કર્યો, એમ કેટલાક દિવસ ગયા પછી એક સવારે મેં જોયું તો એકાએક જ ચંડાલવાડો બદલાઈ ગયેલો ને મારું પાંજરું સોનાનું થઈ ગયેલું જણાયું. આથી વિસ્મય પામી હું પૂછવાનું કરતો હતો તેવામાં એ કન્યા ઉપાડીને મને અહીં લાવી. બાકી કંઈ હું જાણતો નથી. શૂદ્રકે આ સાંભળી મહા આશ્ચર્ય પામી એ કન્યાને બોલાવી, તેણે આવીને કહ્યું: મહારાજ, આપ ચંદ્રનો અવતાર છો અને આ આપનો પૂર્વજન્મનો મિત્ર વૈશમ્પાયન છે. માટે હું, એની માતા લક્ષ્મી, એને આપની પાસે લાવી છું. હવે આપના શાપનો અંત આવ્યો છે. એટલું કહી એ ઊડી ગઈ કે તરત જ શૂદ્રકને પૂર્વજન્મ સાંભરી આવ્યાથી કાદમ્બરીના વિરહની ભારે પીડા થવા લાગી. જે દિવસે દિવસે એટલી વધતી હતી કે આખરે તેની કાયા કાષ્ઠ જેવી થઈ ગઈ. વૈશમ્પાયનને પણ મહાશ્વેતાને લીધે તેમ જ થયું.

એવામાં એક વાર વસંત ઋતુમાં મદનોત્સવને દિવસે સાયંકાળે કાદમ્બરીના શરીરની પૂજા કરી અસહ્ય ઉત્કંઠાથી તેને છાને માને આલંગિન દીધું તો અચાનક તેનામાં જીવ આવ્યો. તેથી હષિર્ત થઈ બંને જણ સુખ પામતા હતાં અને ચંદ્રાપીડે પુંડરીકના સજીવન થવાની ખબર કહ્યાથી કાદમ્બરી મહાશ્વેતાને વધામણી ખાવા જતી હતી તેવામાં આકાશમાંથી કપંજિલ સહિત પુંડરીક ઊતરી આવ્યો. આ સમાચાર કાદમ્બરીની સખીએ દોડી તારાપીડ વગેરેને કહ્યા તથા કેયૂરકે જઈને કાદમ્બરી તથા મહાશ્વેતાનાં માતાપિતાને કહ્યા. તેઓ સર્વે ત્યાં હર્ષભર્યા આવ્યાં અને ઘણા કાળથી વાંછિત મનોરથ પૂર્ણ થયાં જોઈ કૃતાર્થ થયાં. કપંજિલે શ્વેતકેતુના વચનથી પુંડરીકને શુકનાસને સ્વાધીન કર્યો. પછી હેમકૂટ ઉપર જઈને ગંધર્વરાજે તથા હંસે ચારે જણનાં લગ્ન બહુ ઉત્સાહથી કર્યાં. પત્રલેખા એ ચંદ્રની પત્ની રોહિણીનો અવતાર હતી એક કાદમ્બરીના પૂછવાથી ચંદ્રાપીડે જણાવ્યાથી તે સાંભળીને કાદમ્બરીને ઘણો આનંદ થયો. અને પુંડરીકને સર્વ રાજ્યભારનું અર્પણ કરીને ચંદ્રાપીડે કાદમ્બરી સાથે યથેચ્છિત સુખ ભોગવ્યું. મહાશ્વેતા પણ ચિરવિરહિત પુંડરીક સાથે વસીને મહા સુખ પામી. (કથાસાર: છગનલાલ પંડ્યા)