ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/ચંદનદાસ અને લીલાવતીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદનદાસ અને લીલાવતીની કથા

બંગાળમાં કૌશાંબી નામની એક નગરી. ચંદનદાસ નામે ખૂબ ધનવાન વણિક ત્યાં રહેતો હતો. મોટી ઉંમરે તેણે કામવાસનાને વશ થઈને, ધનના ગર્વને કારણે લીલાવતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. તે કન્યા તો યૌવનના પુરબહારમાં હતી. તેને વૃદ્ધ પતિથી સંતોષ થતો ન હતો. હિમથી દુઃખી થતા માનવીઓ ચંદ્રથી અને તાપે પીડાતા લોકો સૂર્યથી આનંદ પામતા નથી. તેવી રીતે વૃદ્ધાવસ્થાથી જીર્ણ પતિથી સ્ત્રીઓનું મન આનંદ પામતું નથી. જેના વાળ ધોળા થઈ ગયા હોય, ઘસાઈ ગયા હોય તે પુરુષમાં કામાવેગ ક્યાંથી? સ્ત્રીઓ તો બીજા પુરુષમાં રસ લેતી હોઈ કામોત્તેજક અંશને ઔષધ ગણે. હવે આ ચંદનદાસ તો લીલાવતી પાછળ ગાંડો હતો. બધા જ માનવીઓને ધનની આશા હોય, જીવવાની આશા હોય, વૃદ્ધ પુરુષને તો તરુણ વયની પત્ની પ્રાણ કરતાંય વહાલી હોય. આવો વૃદ્ધ વિષયો ભોગવી ન શકે, વિષયો ત્યજી ન શકે. પડી ગયેલા દાંતવાળો કૂતરો હાડકું ચાટીને આનંદ મેળવે તેમ તે વણિક પોતાની પાસે પત્નીને રાખીને પંપાળ્યા કરતો હતો. હવે આ લીલાવતી કુલમર્યાદાને ઉલ્લંઘતી કોઈ એક વણિકપુત્રના પ્રેમમાં પડી. સ્વતંત્રતા, પિયરમાં લાંબા સમય સુધીનો નિવાસ,યાત્રા ઉત્સવોમાં પુરુષો સાથેની મૈત્રી, નિયમબંધન વિનાના પુરુષોનો સંસર્ગ, વિદેશનિવાસ, વારાંગનાઓ સાથે મૈત્રી, પતિની વૃદ્ધાવસ્થા, ઈર્ષ્યાળુ પતિ, પતિની વિદેશયાત્રા — આ બધાં સ્ત્રીનો વિનાશ કરનારાં પરિબળ છે. સ્ત્રીઓનાં દૂષણ કયાં? — માદક પદાર્થોનું સેવન, પતિવિરહ, યથેચ્છા વિરહ, બીજાનાં ઘરમાં સૂવું-રહેવું: આ છ દૂષણ. સ્ત્રી સુંદર પુરુષને જોઈ — પછી તે ભાઈ હોય કે પુત્ર હોય — તેના પ્રેમમાં પડે છે. યોગ્ય સ્થળ ન હોય, અનુકૂળ સમય ન હોય, પ્રેમ વ્યક્ત કરનાર પુરુષ ન હોય આ બધાંને કારણે સ્ત્રીઓનું સતીત્વ ટકી રહે છે. …એક વખત લીલાવતી રત્નોની માળાનાં કિરણોથી શોભતા પલંગ ઉપર પેલા વણિક પુત્ર સાથે નિરાંતે બેઠી હતી ત્યારે તેની જાણબહાર એ પલંગ ઉપર જ પોતાના પતિને બેઠેલો જોતાં તે એકદમ ચોંકી અને તેના પતિના વાળ ઝાલી પતિને પાસે ખેંચ્યો અને તેને ગાઢ આલિંગન આપી ચુંબન કરવા માંડી. એ અવસરનો લાભ લઈ પેલો વણિકપુત્ર નાસી ગયો. આમ અચાનક પતિને આલિંગન કરતી જોઈ પાસે રહેતી કુટ્ટની વિચારવા લાગી. આ પતિને અકસ્માત આલિંગન કેમ આપે છે? પછી તેણે તેના આલિંગનનું સાચું કારણ જાણી લીધું અને ખાનગીમાં લીલાવતી પાસેથી પૈસા પડાવ્યા.