ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/ધોબી અને ગધેડાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધોબી અને ગધેડાની કથા

વારાણસીમાં કર્પૂરઘટક નામનો એક ધોબી રહેતો હતો. એક વખત તે પોતાની જુવાન પત્ની સાથે મોજમજા કરીને ગાઢ નિદ્રામાં સરી પડ્યો હતો. તે વખતે તેના ઘરમાં ચોરી કરવા એક ચોર તેના ઘરમાં ઘૂસ્યો. બારણે એક ગધેડો બાંધ્યો હતો, કૂતરો બેઠો હતો. આ ચોરને જોઈ ગધેડાએ કૂતરાને કહ્યું, ‘આ ચોરને જોઈને તારે શેઠને જગાડવા જોઈએ.’ કૂતરાએ આ સાંભળી કહ્યું, ‘મારા કામમાં તારે માથું મારવું નહીં. રાતદિવસ તેના ઘરની ચોકી કરું છું. એટલે હવે તેને કશી ચિંતા નથી. મારી કિંમત સમજાતી નથી. ખાવાનું પણ સરખું આપતો નથી.’ ગધેડાએ સામો જવાબ આપ્યો, ‘અરે કામ કરવાનો વળી બદલો શાનો? એવી આશા રાખનાર નકામા.’ કૂતરાએ સામો જવાબ આપ્યો, ‘કામ પડે ત્યારે જ ચાકરની ચિંતા કરે તે શેઠ પણ નકામો.’ એટલે ગધેડો મોટે મોટેથી ભૂંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી ધોબી જાગી ગયો, અને મીઠી ઊંઘમાંથી જાગ્યો એટલે ગુસ્સે થયો. લાકડી લઈને ગધેડાને બહુ માર્યો અને ગધેડો મરી ગયો. … આ પછી દમનક સામે ચાલીને પંગિલક પાસે ગયો. રાજાએ તેને માન આપીને બેસાડ્યો, પછી રાજાએ તેનાં ખબરઅંતર પણ પૂછ્યાં. દમનકે બધી વાત કાઢી, ‘તમે પાણી પીવા ગયા પણ પાણી પીધાં વિના કેમ પાછા આવ્યા?’ પંગિલકે કહ્યું, ‘ એ ખાનગી વાત છે. હમણાં વનમાં કોઈ અપૂર્વ પ્રાણી આવ્યું છે. મેં કદી ન સાંભળેલો એવો મોટો અવાજ પણ સાંભળ્યો. તે બહુ બળવાન હોવો જોઈએ.’ દમનકે સિંહને ધીરજ બંધાવતાં કહ્યું, ‘હું જીવું છું ત્યાં સુધી તમારે બીવાને કોઈ કારણ નથી.’ દમનક અને કરટક ત્યાંથી ચાલી નીકળ્યા. પછી કરટકે કહ્યું, ‘આપણા હાથે ભયનું નિવારણ થશે કે નહીં તે જાણ્યા વિના તે આવી પ્રતિજ્ઞા કેમ કરી?’ એટલે દમનકે કહ્યું, ‘મેેં એ ભયનું કારણ જાણી લીધું. તે બળદનો અવાજ હતો. બળદ તો આપણો પણ શિકાર, સિંહનો તો વધુ મોટો શિકાર.’ પછી દમનકે સિંહ, અને ઉંદરની વાત કહી. હવે દમનક અને કરટક સંજીવક પાસે ગયા. કરટક મોટાઈનો દંભ કરી ઝાડ નીચે બેઠો. દમનકે સંજીવક પાસે જઈને કહ્યું, ‘અરે બળદ, સાંભળ. પિંગલક રાજાએ આ વનની રક્ષા માટે કરટકને સેનાપતિ તરીકે નીમ્યો છે. આ સેનાપતિની આજ્ઞા છે કે તારે કરટક પાસે તરત જ જવું. નહીં તો આ વનમાંથી જતો રહે. જો તે ગુસ્સે થાય પછી કશું કહેવાય નહીં.’ એટલે સંજીવકે ગભરાઈ જઈને કરટક પાસે જઈને તેને પ્રણામ કર્યાં. ‘બોલો, મારે શું કરવાનું છે?’ કરટકે કહ્યું, ‘તું જો અહીં રહેવા માગતો હોય તો અમારા રાજા પાસે જઈને વંદન કર.’ સંજીવકે કહ્યું, ‘પણ સિંહ મને મારી નાખે તો. મને અભય વચન આપો તો હું તેની પાસે જઉં. તમે તમારો જમણો હાથ મારા હાથમાં મૂકો.’ કરટકે કહ્યું, ‘એવો ડર ન રાખ.’ પછી બંને શિયાળ સંજીવકને થોડે દૂર બેસાડી સિંહ પાસે ગયા. બંનેએ રાજાને પ્રણામ કર્યાં. રાજાએ કહ્યું, ‘તેં એ પ્રાણી જોયું?’ દમનકે કહ્યું, ‘હા મહારાજ, મેં તેને જોયો. તે ભયંકર છે. તે મહાન હોઈ તમારા જેવા મહાનને મળવા માગે છે. પણ એ બહુ બળવાન છે. એટલે યુદ્ધની તૈયારી કરીને મળવું. માત્ર અવાજથી ડરી ન જવું.’ શબ્દનું કારણ જાણવું અને પછી જ વિચારવું. સાંભળો એક કુટ્ટનીની વાર્તા.