ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/બ્રાહ્મણ અને ત્રણ ધુતારાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બ્રાહ્મણ અને ત્રણ ધુતારાની કથા

ગૌતમ મુનિના આશ્રમમાં યજ્ઞ કરનાર એક બ્રાહ્મણ હતો. યજ્ઞ માટે બીજે ગામથી એક બકરો લાવી, ખભે ઊંચકીને તે જતો હતો. ત્રણ ધુતારાઓએ તે બ્રાહ્મણને જોયો અને બકરો પડાવી લેવાની તેમને ઇચ્છા થઈ. એવો વિચાર કરી ત્રણે જણ એકેએક ગાઉના અંતરે બેઠા, અને બ્રાહ્મણની રાહ જોવા લાગ્યા. પહેલા ધુતારાએ બ્રાહ્મણને જોઈને પૂછ્યું, ‘અરે બ્રાહ્મણ, આ કૂતરાને ખભે નાખીને ક્યાં ચાલ્યા?’ બ્રાહ્મણે કહ્યું, ‘આ કૂતરો નથી પણ યજ્ઞ માટે આણેલો બકરો છે.’ થોડી વાર પછી બીજા ધુતારાએ પણ એવું જ પૂછ્યું. એ સાંભળીને બ્રાહ્મણને મનમાં વહેમ પડ્યો એટલે બકરાને જમીન પર મૂકી થોડો વિચાર કર્યો અને પછી પાછો બકરાને ઊંચકીને ખભે મૂક્યો, અને આગળ ચાલવા લાગ્યો. ફરી તેને ત્રીજો ધુતારો મળ્યો. તેણે પણ બ્રાહ્મણને એવું જ પૂછ્યું. ‘ચોક્કસ, મારી મતિને ભ્રમ થયો છે.’ બકરાને ત્યાં જ મૂકીને સ્નાન કરી ઘેર ગયો અને ત્રણ ધુતારાઓ બકરાને રાંધીને ખાઈ ગયા.