ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મહોદર મુનિની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહોદર મુનિની કથા

રામ જ્યારે દંડકારણ્યમાં રહીને રાક્ષસોનો સંહાર કરતા હતા ત્યારે રામે એક રાક્ષસનો શિરચ્છેદ કર્યો, અને એ મસ્તક આકાશમાં ઊછળ્યું. દૈવયોગે એ મસ્તક મહોદર મુનિની સાથળનું હાડકું તોડીને તેમાં પ્રવેશી ગયું. એને કારણે મુનિ તીર્થયાત્રા કરી શકતા ન હતાં. તે મસ્તકમાંથી પરુ નીકળ્યું હતું. અને મુનિ વેદનાથી ત્રસ્ત થઈ ગયા. તો પણ તેઓ તીર્થોમાં ઘૂમતા જ રહ્યા. અને તે નદીકાંઠે, સમુદ્રકાંઠે રહેતા બીજા બધા મુનિઓને પોતાની આપવીતી સંભળાવતા જ રહ્યા.

બધાં તીર્થોમાં સ્નાન કરવા છતાં તેમની આપદા ટળી નહીં. તેમણે કેટલાક મુનિઓના મોઢે સાંભળ્યું કે સરસ્વતીનદીના કાંઠે ઔશનસ નામનું તીર્થ બધાં પાપ ધોઈ નાખે છે. એ સાંભળીને તે મુનિ ત્યાં પહોંચ્યા અને સ્નાન કર્યું, તરત જ પેલું મસ્તક તેમના પગમાંથી નીકળીને પાણીમાં જઈ ચડ્યું. ત્યાંથી પ્રસન્ન થઈને પોતાના આશ્રમ આવીને તેમણે બધા મુનિઓને એ કથા કહી. ત્યારથી તે તીર્થનું નામ કપાલમોચન પડ્યું.

(શલ્ય પર્વ, અધ્યાય ૩૮)