ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શ્રીકૃષ્ણ અને મહાદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીકૃષ્ણ અને મહાદેવ

બુદ્ધિમાન રુક્મિણીપુત્રે શંબરાસુરનો વધ કર્યો, ત્યાર પછી બાર વર્ષે જાંબવતીએ મને કશુંક કહેવાની ઇચ્છા કરી, રુક્મિણીના પુત્રો પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ વગેરેને જોઈ જામ્બવતી પુત્રની કામના કરતી મારી નિકટ આવીને બોલી,

‘હે અચ્યુત, તમારા જેવો જ શૂર, બળવાનોમાં શ્રેષ્ઠ મનોહર રૂપસંપન્ન, અને નિષ્પાપ પુત્ર જલદીથી આપો. હે યદુકુલશ્રેષ્ઠી, ત્રણે લોકમાં તમારે માટે કશું અપ્રાપ્ય નથી. ઇચ્છા કરવાથી તમે અન્ય લોકોની સૃષ્ટિ રચી શકો છો. તમે બાર વર્ષ તપ કરીને શરીર સૂકવી દીધું અને પશુપતિની આરાધના કરીને રુક્મિણીને પુત્રો સંપડાવ્યા. ચારુદેષ્ણ, સુચારુ, ચારુદેષ, યશોધર, ચારુશ્રવા, પ્રદ્યુમ્ન અને શંભુ. આ બધા સુંદર અને વિક્રમી પુત્રોને રુક્મિણીએ જન્મ આપ્યો, એ જ રીતે મને પણ એક બળવાન પુત્ર આપો.’

દેવીએ આ પ્રકારે મને કહ્યું એટલે મેં તે સુમધ્યમા(સુંદર સ્ત્રી)ને કહ્યું, ‘હે રાણી, તું મને જવા દે, હું તારું વચન પાળીશ.’ એટલે તેણે મને કહ્યું, ‘તમે વિજય ને મંગળ માટે પ્રયાણ કરો. હે યાદવ, બ્રહ્મા, શિવ, કાશ્યપ, નદીઓ, મનના અનુગામી દેવતા, ક્ષેત્ર, ઔષધિઓ, યજ્ઞવાહ, છંદસમૂહ, ઋષિગણ, ધરા, સમુદ્ર, દક્ષિણા, સ્તોમ, તારાગણ, પિતૃઓ, ગ્રહ, દેવપત્નીઓ, દેવમાતાઓ, મન્વંતર, ગાયો, ચંદ્રમા, સૂર્ય, હરિ, સાવિત્રી, બ્રહ્મવિદ્યા, ઋતુ, વર્ષ, રાત્રિ, ક્ષણ, લવ, મુહૂર્ત, નિમેષ, યુગપર્યાય: આ બધાં જ તમે જ્યાં જાઓ ત્યાં તમારી રક્ષા કરે, હે અનઘ, અપ્રમત્ત (સચેત) રહીને ઇષ્ટ માર્ગે પ્રયાણ કરો.’

જ્યારે તેણે મારું આ પ્રકારે સ્વસ્તિઅયન કર્યું, ત્યાર પછી કપીન્દ્ર પુત્રીની આજ્ઞા લઈને પુરુષશ્રેષ્ઠ પિતા અને માતા તથા રાજા આહુક (ઉગ્રસેન) પાસે ગયો. વિદ્યાધરપુત્રીએ દુઃખી થઈને મને જે વાત કરી હતી તે મેં તેમને કહી; અતિ કષ્ટથી તપ માટે જવા તેમની અનુજ્ઞા લીધી. ગદ અને મહાબળવાન બળદેવની અનુમતિ માગી. ત્યાર પછી ગુરુજનોની આજ્ઞા મેળવી ગરુડનું સ્મરણ કર્યું. તેણે મને હિમાલય પર પહોંચાડ્યો અને પછી મેં એને વિદાય કર્યો. તે ઉત્તમ પર્વત પર મેં અદ્ભુત વસ્તુઓ જોઈ. અહીં તપ કરવા માટેનો શ્રેષ્ઠ, ઉત્તમ આશ્રમ મેં જોયો. તે વૈયાધ્રપદ્યગોત્ર મહાત્મા ઉપમન્યુનો દિવ્ય આશ્રમ હતો. દેવતાઓ, ગંધર્વો એની પૂજા કરતા હતા. બ્રાહ્મી લક્ષ્મી પણ ત્યાં હતી. ધવ, કકુભ, કદંબ, નારિયેળ, કુરબક, કેતકી, જાંબુ, પાટલ, વટ, વરુણક, વત્સનાભ, બીલી, સરલ, કપિત્થ, પ્રિયાલ, સાલ, તાલ, પુન્નાગ, અશોક, આમ્રવૃક્ષ, અતિમુક્ત, ભલ્લાતક (ભીલામો), મધૂક, ચંપક, પનસ, અને બીજા વિવિધ ફળફૂલવાળાં અનેક વૃક્ષોથી તે વન ઘેરાયેલું હતું. તે આશ્રમ પુષ્પો, ગુલ્મો, લતાઓથી ભરચક હતો અને કેળનાં પુષ્પોથી તેની શોભામાં અભિવૃદ્ધિ થતી હતી.

વિવિધ પક્ષીઓનાં ખાદ્ય ફળ અને વૃક્ષો તે વનના અલંકાર હતા, યથાસ્થાને જોવા મળતી વનરાજીઓની તે વન શોભતું હતું. રુરુ, વારણ(હાથી), વાઘ, સિંહ, ચિત્તા, કુરંગ (હરણ), મોર, માર્જાર, સર્પ, મૃગસમૂહ, ભેંસ અને રીંછથી તે આશ્રમ ભરેલો હતો. ત્યાં વિવિધ પુષ્પોની પરાગરજ્થી સુવાસિત, ગજમદથી સુવાસિત, દિવ્ય સ્ત્રીઓના સંગીત જેવો, સુખદ વાયુ વાતો હતો. તે સ્થળ જળધારા ધ્વનિ, પક્ષીઓની શુભ કૂજન, હાથીઓની ચીસ, કિન્નરોનાં ઉદાર ગીત, સામગાન કરનારા ઋષિઓના મંગલ પવિત્ર ધ્વનિથી શોભતો હતો. બીજા પુરુષો મનમાં જેની કલ્પના ન કરી શકે એવાં સરોવરોથી અલંકૃત અને કુશથી છવાયેલા વિશાળ અગ્નિગૃહોથી શોભતો હતો. તે આશ્રમ પુણ્યપવિત્ર જળવાળી જાહ્નવીથી સદા વિભૂષિત હતો. અને ત્યાં અગ્નિ સમા તેજસ્વી તથા ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મહાત્માઓ અને મહર્ષિઓ એ આશ્રમને શોભાવતા હતા.

આ આશ્રમમાં વાયુ અને જળ પીનારા, જપમગ્ન, ચિત્તશુદ્ધિ કરનારા, ધ્યાનનિષ્ઠ યોગીઓ; યજ્ઞનો ધુમાડો, કેટલાંક ઉષ્ણ કિરણો અને દૂધ પીને જીવનારા બ્રાહ્મણેન્દ્રો હતા. અહીં કેટલાક ગાયોની સાથે જ વિચરતા હતા, કેટલાક ખાદ્ય વસ્તુઓને પથ્થરથી વાટીને ખાતા હતા, તો કેટલાક દાંત વડે જ ખાતા હતા, કેટલાક કિરણો, ફીણ પીને જીવતા હતા. કેટલાક મૃગોની સાથે ફરતા હતા. અત્યંત કષ્ટથી નિયમો પાળનારા અનેક પ્રકારના તપસ્વીઓનાં દર્શન કરી મને એ આશ્રમમાં જવાની ઇચ્છા થઈ. આકાશમાં રવિમંડળની જેમ શોભતા એ આશ્રમ પુણ્યકર્મ કરનારા મહાત્મા શિવ આદિ દેવતાઓ વડે ઉત્તમ રીતે પૂજાતો હતો. મહાતપસ્વી મહાત્માઓના પ્રભાવ અને સદ્ગુણોવાળા સાન્નિધ્યથી ત્યાં નોળિયા અને સાપ, વાઘ અને હરણાં મિત્રની જેમ સાથે ક્રીડા કરતા હતા. ત્યાં વેદ વેદાંત પારંગત બ્રાહ્મણોવાળા તથા બધાં પ્રાણીઓ માટે મનોરમ આશ્રમમાં વિવિધ નિયમોથી વિખ્યાત મહાત્મા મહર્ષિઓથી શોભતા આશ્રમમાં પ્રવેશતાં વેંત મેં જટાચીરધારી પ્રભુને જોયા. તેજ અને તપસ્યા વડે અગ્નિ સમાન દેદીપ્યમાન, શાંત, યુવાન દ્વિજવર ઉપમન્યુ શિષ્યોની વચ્ચે હતા. મેં મસ્તક નમાવી તેમની વંદના કરી, પછી તે બોલ્યા,

‘હે પુંડરીકાક્ષ(કૃષ્ણ), તમારું સ્વાગત છે. તમે પૂજ્ય હોવા છતાં મારી પૂજા કરો છો, તમે તો અમારા માટે દર્શનીય છો અને છતાં તમે અમારા દર્શનની ઇચ્છા રાખો છો, એટલે અમારું તપ સફળ થયું.’

મેં હાથ જોડીને તેમને મૃગ, પક્ષી, અગ્નિહોત્ર, ધર્મ અને શિષ્યોના કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી ભગવાન પરમ વચન બોલ્યા, ‘હે કૃષ્ણ, તમને તમારા જેવો પુત્ર નિશ્ચિત પ્રાપ્ત થશે. તમે ઉત્તમ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો. અહીં મહાદેવ પત્ની સાથે ક્રીડા કરે છે. હે જનાર્દન, પહેલાંના સમયમાં ઋષિઓ સાથે દેવતાઓએ આ જ સ્થળે તપસ્યા, બ્રહ્મચર્ય, સત્ય, અને ઇન્દ્રિયનિગ્રહ કરીને દેવતાશ્રેષ્ઠ મહાદેવને તુષ્ટ કરીને શુભ કામનાઓ પ્રાપ્ત કરી હતી. હે શત્રુહર્તા, તમે જેની પ્રાર્થના કરો છો તે તપોનિધિ અને તેજના નિધિ અચિંતનીય શિવ દેવીની સાથે શુભની પ્રાપ્તિ અને અશુભની નિવૃત્તિ કરતા અહીં છે.

મેરુ પર્વતને કંપાવનારો હિરણ્યકશિપુ (આ કોઈ બીજા હિરણ્યકશિપુની વાત લાગે છે) નામનો દાનવ હતો, તેણે શંકરની કૃપાથી અર્બુદ વર્ષો સુધી બધા જ અમર દેવતાઓનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. તેનો પુત્ર મંદર હતો, તેણે મહાદેવના વરદાનથી અર્બુદ વર્ષ સુધી ઇન્દ્ર સાથે યુદ્ધ કહ્યું હતું. હે કેશવ, વિષ્ણુનું ઘોર ચક્ર અને ઇન્દ્રનું વજ્ર પહેલાં એ ગ્રહના અંગોમાં વાગી શક્યું ન હતું. જ્યારે બળવાન ગ્રહે દેવતાઓને બહુ પીડ્યા ત્યારે દેવતાઓએ પણ મહાદેવના આપેલા વરદાનના પ્રભાવથી દાનવોનો વિનાશ કર્યો, દેવતાઓની બુદ્ધિથી તેઓ અંદરઅંદર કલહ કરીને નાશ પામ્યા. મહાદેવે વિદ્યુત્પ્રભ દાનવ પર પ્રસન્ન થઈ તેને ત્રિલોકનું આધિપત્ય આપ્યું, તે એક લાખ વર્ષો સુધી બધા લોકોનો ઈશ્વર બન્યો. તું નિત્ય મારો અનુચર રહીશ એવું વરદાન પણ આપ્યું. તેને સહ અયુત પુત્રો આપ્યા. ભગવાને તેને રાજ્ય ઉપરાંત કુશદ્વીપ પણ આપ્યો. બ્રહ્મા દ્વારા સર્જાયેલા શતમુખ નામના મહાસુરે સો વર્ષ સુધી પોતાના માંસ વડે અગ્નિને તૃપ્ત કર્યો, ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું, ‘હું તારા માટે શું કરું?’

શતમુખે તેમને કહ્યું, ‘દેવાધિદેવ, તમારી કૃપાથી મને અદ્ભુત યોગશક્તિ આપો, મને શાશ્વત બળ આપો. પહેલાં સ્વયંભૂના પુત્ર ઋતુએ પણ પુત્રાર્થે યોગ વડે ત્રણસો વર્ષ ભગવાન શંકરનું ધ્યાન ધર્યું હતું. ભગવાને ક્રતુને તેના જેવા એક હજાર પુત્રો આપ્યા. હે કૃષ્ણ, દેવોએ વર્ણવેલા યોગેશ્વર શંકરને તમે નિ:સંદેહ જાણો છો. ભૂતકાળમાં ઇન્દ્રે વાલખિલ્ય મુનિઓનું અપમાન કર્યું હતું, તે ઋષિઓએ ક્રોધે ભરાઈને તપ કર્યું અને એ વડે ભગવાન રુદ્રને પ્રસન્ન કર્યા.

દેવશ્રેષ્ઠ જગત્પતિ પ્રસન્ન થઈને બોલ્યા, ‘તમે લોકો તપસ્યા દ્વારા અમૃત હરી જનારા ગરુડને જન્મ આપશો. (ગરુડની કથા આદિપર્વમાં જુદી રીતે આવે છે.)

ભૂતકાળમાં મહાદેવના રોષથી સઘળું જળ નાશ પામ્યું હતું, ત્યારે દેવતાઓએ સપ્તકપાલ દ્વારા બીજું જળ મેળવ્યું હતું. અત્રિ મુનિની બ્રહ્મવાહિની ભાર્યાએ પતિનો ત્યાગ કરીને પ્રતિજ્ઞા કરી હતી કે હવે કોઈ રીતે હું તે મુનિને વશ નહીં થઉં, એમ કહીને તે મહાદેવના શરણે ગઈ હતી.(પ્રાચીન ચરિત્રકોશમાં અનસૂયાને લગતી આવી કોઈ કથાનો નિર્દેશ નથી) અત્રિના ભયથી નિરાહાર રહીને મહાદેવને પ્રસન્ન કરવા ત્રણસો તપ કર્યું હતું, મૂસલો પર તે સૂઈ રહી હતી. મહાદેવે પ્રસન્ન થઈને તને નિ:સંદેહ પુત્ર થશે અને તારા વંશમાં તે તારા જ નામથી ખ્યાત થશે. હે કેશવ, સંક્ષિતાત્મા શાકલ્યે નવસો વર્ષ મનોયજ્ઞ વડે દેવની આરાધના કરી હતી. ભગવાને પ્રસન્ન થઈને તેને કહ્યું, ‘તું ગ્રંથકાર થઈશ, ત્રણે લોકમાં તારી અક્ષય કીર્તિ થશે. તારું કુલ અક્ષય રહેશે, મહર્ષિઓથી અલંકૃત થશે. સતયુગમાં સાવર્ણિ નામના વિખ્યાત ઋષિ હતા, તેમણે અહીં છ હજાર વર્ષ સુધી તપ કર્યું હતું. ભગવાન રુદ્રે સાક્ષાત્ દર્શન આપીને કહ્યું, ‘હે અનઘ, હું તારા પર પ્રસન્ન છું. તું અજર, અમર થઈ લોકમાં વિખ્યાત ગ્રંથકાર થઈશ. હે માધવ, ભૂતકાળમાં મેં દેવાધિદેવ પશુપતિનું સાક્ષાત્ દર્શન કર્યું હતું, તે પણ સાંભળો. મહાદેવની આરાધના શા માટે કરી હતી તે પણ સાંભળો. ભૂતકાળમાં દેવાધિદેવ મહેશ્વર પાસેથી જે સાંભળ્યું હતું તે આજે સંપૂર્ણ રીતે કહું છું.

સત્યયુગમાં વેદવેદાંગ પારંગત મહાયશસ્વી વ્યાઘ્રપાદ નામના ઋષિ હતા. હું તેમનો પુત્ર, ધૌમ્ય મારો નાનો ભાઈ. હે માધવ, એક વેળા હું ધૌમ્યની સાથે રમતાં રમતાં મુનિઓના આશ્રમમાં આવી ચઢ્યો. ત્યાં મેં દૂધાળી ગાયને દોહવાતી જોઈ, દૂધ અમૃત સમાન સ્વાદિષ્ટ હતું. પછી તે પાણીમાં લોટ ઘોળીને આવી અને આ દૂધ છે એવું કહીને બંને ભાઈઓને પીવા આપ્યું. (સરખાવો: અશ્વત્થામાના શૈશવની આવી કથા.) હે તાત, મેં પહેલાં એક વખત ગાયનું દૂધ પીધું હતું, એટલે તે રસ મને ન ભાવ્યો. ત્યાર પછી મેં બાળવશ મારી માતાને કહ્યું,

‘હે મા, મને ભોજનમાં દૂધ-ભાત આપ.’

હે માધવ, દુઃખ અને શોકથી ઘેરાઈને મારી માએ લાડથી મને હૈયે ચાંપી, મારું મસ્તક સૂંઘી કહ્યું, ‘હે પુત્ર, નિત્ય વનમાં રહેતા કન્દમૂળફળનું ભોજન કરનારા ઋષિઓના આશ્રમમાં દૂધ-ભાત ક્યાંથી? હે પુત્ર, વરદ સ્થાણુ વિરૂપાક્ષને પ્રસન્ન કર્યા વિના દૂધ — ભાત અને સુખદાયક વસ્ત્ર ક્યાંથી? હે પુત્ર, તું બધી રીતે મહાદેવને શરણ જા. તેમની કૃપાથી બધાં જ મનવાંછિત ફળ પ્રાપ્ત થશે.’ માતાની વાત સાંભળીને મહાદેવ માટે મારામાં નૈષ્ઠિક ભક્તિ પ્રગટી. મેં તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા, પગના અંગૂઠા પર ઊભા રહીને દિવ્ય હજાર વર્ષ વીતાવ્યાં. શરૂઆતનાં સો વર્ષ કેવળ ફળાહાર કર્યો, બીજાં સો વર્ષ સૂકાં પાંદડાં ખાધાં, ત્રીજા સો વર્ષ માત્ર પાણી પીધું. પછીનાં સાત વર્ષ માત્ર વાયુ પર જીવ્યો. પછી સર્વલોકેશ્વર મહાદેવ પ્રસન્ન થયા. બધા દેવતાઓથી ઘેરાઈને મહાયશસ્વી વજ્રપાણિ સહાંશનું રૂપ લઈને પ્રગટ્યા. તે સુધા જેવા સુંદર, રક્તવર્ણી આંખોવાળા, ઊંચા કાનવાળા, મદોત્કટ, ચાર સૂંઢવાળા, ચાર દંતૂશળવાળા, મહાન ઐરાવત પર બેસીને પોતાના તેજથી દીપ્ત થઈને અહીં આવ્યા. તેમના મસ્તકે કિરીટ મુગટ હતો, ગળામાં હાર હતો, હાથે કેયૂર હતા. તેમના માથા પર સફેદ છત્ર હતું, દિવ્ય ગંધર્વોના સંગીતનો મધુર ધ્વનિ થતો હતો, અપ્સરાઓ તેમની સેવા કરતી હતી. દેવરાજે મને કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હું તારા પર પ્રસન્ન થયો છું. મનમાં જે ઇચ્છા હોય તે કહે.’

ઇન્દ્રનું વચન સાંભળી હું પ્રસન્ન ન થયો. હે કૃષ્ણ, મેં દેવરાજને કહ્યું, ‘હું મહાદેવ સિવાય તમારી કે બીજા કોઈ દેવ પાસેથી કશું ઇચ્છતો નથી. હું આ સત્ય કહું છું. ભગવાન પશુપતિ કહેશે તો હું કૃમિ થઈશ કે અનેક શાખાઓવાળું વૃક્ષ થઈશ. અને મહાદેવ સિવાય બીજા કોઈની કૃપાથી ત્રિભુવનનું રાજ્ય — ઐશ્વર્ય પણ મળશે તો પણ નહીં લઉં. ભગવાન શંકરની આજ્ઞા હશે તો કીટ કે પતંગિયું થઈ જઈશ. પણ હે શક્ર, તમે આપો તે ત્રિલોક પણ મને ન ખપે. મસ્તક પર અર્ધચંદ્રવાળા નિર્મલ મુકુટ ધરાવનારા ભગવાન પશુપતિ પ્રસન્ન ન થાય ત્યાં સુધી જન્મ, મરણ, સેંકડો જન્મો લઈને શરીરનાં કષ્ટ સહન કરતો રહીશ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વડે પ્રકાશિત, ત્રિભુવનના સારભૂત, અપાર એક માત્ર પુરુષ, અજર, અમર રુદ્રને પ્રસન્ન કર્યા વિના આ જગતમાં કયો પુરુષ શાંતિ પ્રાપ્ત કરી શકશે?’

ઇન્દ્રે કહ્યું, ‘જો તું શંકર સિવાય બીજા કોઈ દેવની કૃપા નથી મેળવતા માગતો તો એ ઈશ્વરની સત્તાનું પ્રમાણ શું છે?’

ઉપમન્યુએ કહ્યું, ‘બીજા કોઈ કારણનો શો હેતુ? બધાં જ કારણોના કારણ શંકર છે, દેવતાઓ બીજા કોઈના લિંગની પૂજા કરે છે એવું મેં નથી સાંભળ્યું. મહેશ્વર સિવાય બધા દેવતાઓએ કોઈ અન્ય દેવના લિંગની પૂજા કરી છે અથવા પહેલાં કોઈની પૂજા કરી છે? જો તમે સાંભળી હોય તો વર્ણવો. બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓ સમેત તમે પણ જે લિંગની પૂજા કરો છો તેનાથી વિશેષ શ્રેષ્ઠ કોણ છે? એટલે એ જ બધાથી શ્રેષ્ઠ છે. હે વલસૂદન(વલનો વધ કરનાર ઇન્દ્ર) હું એ જ મહેશ્વરના વરદાનની અથવા મૃત્યુની કામના કરું છું, તમે ઇચ્છામાં આવે ત્યાં જાઓ અથવા નિવાસ કરો. મારી ઇચ્છા છે કે મહેશ્વર જ મને વરદાન આપે. અથવા શાપ આપે, બીજા દેવતાઓનાં સર્વ કામ ફળપ્રદ હોવા છતાં હું તેમની આકાંક્ષા કરતો નથી.’

દેવરાજને આમ કહીને હું દુઃખથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો, રુદ્ર શા માટે મારા પર પ્રસન્ન થતા નથી એની ચિંતા કરવા લાગ્યો અને ક્ષણેકમાં મેં એ ઐરાવતને જોયો. હંસ, કુન્દ અને ચંદ્ર જેવો શ્વેત, મૃણાલ, કુમુદ જેવી પ્રભાવાળો, સાક્ષાત્ ક્ષીરસાગર જ વૃષભનું રૂપ લઈને ઊભો હતો. એ મહાકાય વૃષભનું પૂંછડું કાળું હતું, નેત્ર મધની જેમ પિંગળવર્ણા હતા, તે સુવર્ણની છડીઓથી આભૂષિત હતો. તેનાં નેત્ર રાતાં હતાં, નાસિકા મોટી હતી, કાન, કટિ અને પડખાં અત્યંત સુંદર હતાં, તે દર્શનીય હતો. તે વૃષભનું કકુદ સ્કન્ધપૂરણ થઈને અધિષ્ઠિત હતું. હિમાલય પર્વતના શિખર કે શ્વેત વાદળો જેવા વૃષભ પર ભગવાન દેવાધિદેવ ઉમા સહિત પૂનમના ચંદ્રની જેમ શોભતા હતા. તેમના તેજથી પ્રગટેલી અગ્નિની તથા સહ સૂર્યની દીપ્તિ ગરજતા મેઘો સમેત ચારે દિશાઓમાં વ્યાપ્ત હતી. મહા તેજસ્વી ઈશ્વર પ્રલય કાળના સંવર્તક અનલની જેમ જાણે બધાં પ્રાણીઓને ભસ્મ કરવા પ્રગટ્યા છે એવું લાગતું હતું. તે પોતાના તેજથી ચારે તરફ વ્યાપી રહ્યા હતા, તેમની સામે જોવું અઘરું હતું, હું ઉદ્વિગ્ન ચિત્તે વિચારવા લાગ્યો કે આ શું છે?

એટલામાં જ જે તેજ દસે દિશાઓમાં વ્યાપ્ત હતું તે દેવની માયાથી થોડા જ સમયમાં પ્રશાંત થઈ ગયું. પછી મેં ધુમાડા વિનાના અગ્નિની જેમ સૌમ્યદર્શન, મનોહર સર્વાંગી પાર્વતીની સાથે પરમેશ્વરને વૃષભ પર જોયા. તેઓ નીલકંઠ, મહાત્મા, તેજનિધિ, અઢાર હાથવાળા, બધાં આભરણો સમેત ભગવાન સ્થાણુ હતા. શ્વેત વસ્ત્ર અને શ્વેત માલાધારી શ્વેત ધજાવાળા, અજેય, શ્વેત યજ્ઞોપવિતવાળા ભગવાનનાં મેં દર્શન કર્યા.

પોતાના જ જેવા પરાક્રમી દિવ્ય અનુચરો સાથે હતા, આ લોકો ગાતા હતા, નાચતા હતા, કૂદતા હતા. બાલેન્દુના મુકુટવાળા, શ્વેત વર્ણવાળા દેવ શરદ્ના ચંદ્રની જેમ પ્રગટ્યા. ત્રણ ઊગેલા સૂર્યની જેમ તેમનાં ત્રણે નેત્ર પ્રકાશિત હતા. તે દેવના ઉજ્જ્વળ પ્રભાવવાળા ગૌર શરીરમાં સુવર્ણમય કમલોથી ગુંથાયલી, રત્નભૂષિત માળા શોભતી હતી. હે ગોવિંદ, અમિત તેજસ્વી મહેશ્વરના સર્વ તેજોમય મૂર્તિમાન અસ્ત્રોને મેં જોયાં. મહાત્માના ઇન્દ્રધનુષ જેવું, પિનાક નામે ઓળખાતું ધનુષ મહાન પન્નગ(સાપ) રૂપે પ્રગટ્યું હતું. તે સાત ફેણવાળો, મહાકાય, તીક્ષ્ણ દંત અને વિષને કારણે મત્ત હતો. તેની મહાન ગ્રીવા પ્રત્યંચાવાળી હતી. તે પુરુષશરીર ધારણ કરીને સ્થિર હતો. પ્રલયકાળના અગ્નિ અને સૂર્યસમાન પ્રકાશિત ભગવાનનું શર હતું. ત્યાં અત્યંત ભયંકર મહાન દિવ્ય પાશુપત અસ્ત્ર હતું. તે અદ્વિતીય, અનુપમ, બધાં પ્રાણીઓને ભય પમાડનારું અને વિશાળકાય હતું, પોતાના મોઢામાંથી સ્ફુલ્લંગોિ જેવા અગ્નિની વર્ષા કરી રહ્યું હતું. તે એક ચરણવાળું, મોટી દાઢોવાળું, સહ શિર, સહોદર, સહભુજ, સહ જિહ્વા અને સહ નેત્ર રૂપથી આગ ફેંકી રહ્યું હતું. હે મહાબાહુ, તે પાશુપત અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નારાયણસ્ત્ર, ઇન્દ્ર-શસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, વારુણ્યાસ્ત્રથી પણ ચઢી જાય એવું અને સર્વશસ્ત્રવિઘાતક હતું. હે ગોવિંદ, મહાદેવ રમત રમતમાં તેના એક જ બાણથી ક્ષણભરમાં દૈત્યોનાં ત્રણે નગરોને બાળીને ભસ્મ કર્યાં હતાં. તે અસ્ત્ર જો મહાદેવની ભુજાઓમાંથી છૂટે તો અર્ધા નિમેષમાં ચરાચર ત્રણે લોકને નિ:સંદેહ ભસ્મ કરી મૂકે.

આ લોકમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓમાં આ શસ્ત્રથી કોઈ અવધ્ય નથી. હે તાત, મેં તે ઉત્તમ, અદ્ભુત અસ્ત્ર જોયું હતું. એના જેવું અથવા એનાથી ચઢિયાતું, ગુહ્ય, પરમ અસ્ત્ર જોયું. બધા લોકમાં તે ત્રિશૂળ નામે ઓળખાય છે. શૂલપાણિના હાથમાંથી જો છૂટે તો તે સમસ્ત પૃથ્વીમંડળને વિદીર્ણ કરી નાખે, સમુદ્રને શોષી લે, સમસ્ત જગતને નષ્ટ કરી નાખે, ભૂતકાળમાં આ ત્રિશૂળ વડે ચક્રવર્તી, ત્રિલોકવિજ્યી રાજા માંધાતા સેના સહિત માર્યા ગયા હતા. હે ગોવિંદ, તે રાજા મહાબલવાન, મહાપરાક્રમી, ઇન્દ્ર જેવો વિક્રમી હતો. તે અસ્ત્ર લવણના હાથમાંથી છૂટતાંવેંત રાજાનો નાશ થયો. તેનો આગલો ભાગ અતિ તીક્ષ્ણ છે, તે મહા ભયંકર અને રોમાંચકારી છે, માનો તે પોતાની ભ્રમરો ત્રણ સ્થળે વાંકી કરીને ઊભું છે. હે કૃષ્ણ, ધુમાડા વગરનું, જ્વાળાઓ સમેત કૃષ્ણવર્ણું તે શસ્ત્ર સૂર્યની જેમ પ્રગટ્યું હતું, તે હાથમાં સાપ ઝાલેલા અવર્ણનીય શક્તિમાન પાશધારી યમ જેવું દેખાતું હતું. ભગવાન રુદ્ર પાસે મેં તે જોયું હતું. ભૂતકાળમાં મહાદેવે પ્રસન્ન થઈને પરશુરામને ક્ષત્રિયોનો નાશ કરનાર તીક્ષ્ણ ધારવાળું પરશુ આપ્યું હતું, તેનાથી મહાયુદ્ધમાં ચક્રવર્તી કાર્ત્તવીર્ય મૃત્યુુ પામ્યો હતો, મેં તેમની પાસે આ પણ જોયું હતું. હે ગોવિંદ, અક્લિષ્ટ કર્મણા જમદગ્નિપુત્ર પરશુરામે તેના વડે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી. તે તીક્ષ્ણ ધારવાળું, ભયંકર મોંવાળું, સર્પયુક્ત કંઠવાળા મહાદેવના કંઠના અગ્ર ભાગે હતું. પ્રજ્વલિત અગ્નિ સમાન તે પરશુ શૂલધારી શંકર પાસે હતું.

હે અનઘ, તે ધીમાન પાસે બીજાં પણ અસંખ્ય દિવ્ય શસ્ત્રો હતાં. તમને મુખ્ય મુખ્ય અસ્ત્રોની વાત કરી. તે દેવની જમણી બાજુએ લોકપિતામહ બ્રહ્મા હંસ સમેત મનોવેગી દિવ્ય વિમાનમાં બેઠેલા હતા. ડાબી બાજુએ શંખચક્રગદાધારી ભગવાન નારાયણ વિનતાપુત્ર (ગરુડ) પર બિરાજેલા હતા. પાર્વતી દેવીની નજીક બીજા પાવક (અગ્નિ)ની જેમ સ્ક્ન્દ કંઠમાં શક્તિ ધારણ કરી મયૂર પર આરૂઢ હતા. શંકર સમ્મુખ શૂલ ગ્રહણ કરીને બીજા શંકરની જેમ ઊભેલા નંદીને મેં જોયા. સ્વાયંભુવ આદિ મનુ, ભૃગુ ઋષિઓ તથા ઇન્દ્ર સમેત દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા. તે બધા મહાદેવને ચારે તરફથી ઘેરીને, પ્રણામ કરીને ઊભા હતા. દેવતાઓએ તે સમયે વિવિધ સ્તોત્રોથી મહાદેવની સ્તુતિ કરી હતી.

(અહીં શંકરની અનેક રીતે સ્તુતિ કરી છે.)

ત્યાર પછી મારા મસ્તક પર શીતળ જળવાળા, દિવ્ય ગંધવાળી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓના કિંકરો (સેવકો) દિવ્ય દુંદુભિ વગાડવા લાગ્યા. પવિત્ર સુગંધવાળો સુખદાયક પવન વાવા લાગ્યો. ત્યાર પછી વૃષભ પર પત્ની સાથે બેઠેલા મહાદેવે મને પ્રસન્ન કરવા બધા દેવતાઓને કહ્યું, ‘આ મહાત્મા ઉપમન્યુ મારી એકાગ્ર ભાવે જે પરમ ભક્તિ કરે છે તે જુઓ.’

શૂલપાણિએ આમ કહ્યું એટલે દેવતાઓ હાથ જોડીને વૃષભધ્વજને પ્રણામ કરીને બોલ્યા, ‘હે ભગવન્, દેવદેવેશ, લોકનાથ, જગત્પતિ, આ દ્વિજવર તમારી પાસેથી બધાં જ કામ્યફળ મેળવે.’

ભગવાન શંકર બ્રહ્મા અને બીજા દેવતાઓનું આવું વચન સાંભળી પ્રસન્ન થઈ મને કહેવા લાગ્યા,

‘હે વત્સ, હે મુનિપુંગવ, હું તારા પર પ્રસન્ન છું, તું મારું દર્શન કર, હે વિપ્રર્ષિ, તું મારો દૃઢ ભક્ત છે, મારી જિજ્ઞાસા સંતોષાઈ છે, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારા મનની જે અભિલાષા હશે તે હું પાર પાડીશ.’

મહાદેવનાં વચન સાંભળી મારી આંખોમાંથી હર્ષાશ્રુ વહેવાં લાગ્યાં અને મને રોમાંચ થયા.

હું પૃથ્વી પર દંડવત્ પ્રણામ વારંવાર કરીને હર્ષ પામી ગદ્ગદ્ થઈ કહેવા લાગ્યો, ‘જ્યારે સાક્ષાત્ મહાદેવ જ પ્રસન્ન થઈને ઊભા હોય તો આજે જ મારો જન્મ થયો, આજે મારું તપ સફળ થયું. દેવતાઓ આરાધના કરીને જે અમિત વિક્રમી દેવનું દર્શન કરી શકતા નથી તેમનું મેં દર્શન કર્યું, એટલે મારાથી વિશેષ કોણ ધન્ય હશે? વિદ્વાનો આ જ સમ્મુખવર્તી મૂર્તિ રૂપ સનાતન પરમ તત્ત્વનું ધ્યાન કરે છે. આ મૂર્તિ બીજા દેવની અપેક્ષાએ વિશિષ્ટ મૂર્તિ હોવા છતાં પરાત્પર, અક્ષર, ષડ્વિંશક સ્વરૂપથી વિખ્યાત છે. સમસ્ત તત્ત્વોનું આદિ કારણ, અવ્યય, સર્વ તત્ત્વોના વિધાનના જ્ઞાતા અને પ્રધાન પુરુષેશ્વર જ આ દેવ છે. તેમણે જ પોતાના જમણા અંગમાંથી લોકસંભવ બ્રહ્માને અને ડાબા અંગમાંથી લોકરક્ષા માટે વિષ્ણુને ઉત્પન્ન કર્યા છે. યુગાન્ત આવે ત્યારે ભગવાન રુદ્રને પોતાનાં અંગોમાંથી પ્રગટાવે છે. આ સ્થાવર જંગમ સમસ્ત જગતના સંવર્તક અગ્નિની જેમ મહાતેજસ્વી કાલસ્વરૂપે સંહાર કરે છે. આ મહાદેવ ચરાચર જગતનું સર્જન કરે છે. અને કલ્પાન્તે બધાની સ્મૃતિનો લોપ કરી વસે છે. તે બધે જ ગમન કરે છે, સર્વભૂતાત્મા છે, બધા ભૂતોના ઉદ્ભવ અને વૃદ્ધિનું નિત્ય સર્વવ્યાપી હોવા છતાં બધા દેવતાઓથી અદૃશ્ય રહે છે. હે શંકર ભગવાન, જો તમે પ્રસન્ન થયા હો અને વરદાન આપવા માગતા હો તો હું વર માગું છું કે તમારામાં મારી શાશ્વત ભક્તિ રહે. હે વિભુ, હે સુરશ્રેષ્ઠ, ભૂત — વર્તમાન અને જે કંઈ ભવિષ્ય છે તે બધું તમારી કૃપાથી જાણી શકું, હું મારા બાંધવો સહિત અક્ષય દૂધભાતનું ભોજન કરું અને મારા આશ્રમમાં સદા તમારું સાન્નિધ્ય રહે.’

લોકપૂજિત, ચરાચર ગુરુ મહાતેજસ્વી મહેશ્વર મારી આવી પ્રાર્થના સાંભળીને બોલ્યા, ‘હે દ્વિજવર, તું મારી કૃપાથી અજર-અમર થઈશ, મુનિ, તું જ્યાં ઇચ્છીશ ત્યાં દૂધ-ભાત મળશે. તારી કામના બધે જ સફળ થશે, તને દૂધ-ભાતની નિકટતા મળશે, તું અમૃત સહિત દૂધ-ભાત ખાઈશ. તું બંધુ જનોની સાથે દૂધ-ભાતનું ભોજન એક કલ્પ સુધી કરીશ. ત્યાર પછી તું મારી પાસે આવીશ. હે દ્વિજોત્તમ, હું નિત્ય આશ્રમની સમીપ રહીશ. હે વત્સ, મરજી પ્રમાણે નિવાસ કર, કશી ઉત્કંઠા કરીશ નહીં, તું મારું સ્મરણ કરીશ અને તને દર્શન આપીશ.’

કોટિ સૂર્યની પ્રભાવાળા ભગવાન આમ કહીને વરદાન આપીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. હે કૃષ્ણ, આ પ્રકારે સમાધિમાં મેં દેવાધિદેવના દર્શન કર્યા. તે ધીમાને જે કંઈ કહ્યું હતું તે બધું મને પ્રાપ્ત થયું. હે કૃષ્ણ, તમે આ બધું પ્રત્યક્ષ નિહાળો, અહીં સિદ્ધ, ઋષિ, વિદ્યાધર, યક્ષ, ગંધર્વ, અને અપ્સરાવૃંદ છે. જુઓ, અહીંનાં વૃક્ષ સદા મનોહર, ફળફૂલથી ભરચક છે; ઋતુ ઋતુનાં ફૂલોથી, સ્નિગ્ધ પલ્લવથી પરિપૂર્ણ, ઉત્તમ શાખાઓવાળાં આ વૃક્ષ છે. હે મહાબાહુ, અહીં ભગવાનની કૃપાથી બધું દિવ્ય ભાવયુક્ત છે. હે માધવ, જો ભગવાને અહીં રહેનારા બધા ઉપર, સહ લોકો ઉપર કૃપા કરી છે તો તમારા ઉપર કૃપા કેમ નહીં કરે?

તમારા જેવા શ્રદ્ધાવાન, બ્રાહ્મણપૂજક, કોમળ પુરુષનો સહવાસ તો દેવતાઓને માટે પણ પ્રશંસનીય છે. હું તમને જપમંત્ર આપું છું, એના દ્વારા તમે ભગવાન શંકરનું દર્શન કરી શકશો.’

શ્રીકૃષ્ણ બોલ્યા,

મેં તેમને કહ્યું કે હે મહામુનિ, તમારી કૃપાથી હું દૈત્યદળોનો સંહાર કરનારા ત્રિદશેશ્વર મહાદેવનું દર્શન કરીશ. આઠમે દિવસે તે વિપ્રે મને વિધિપૂર્વક દીક્ષા આપી. હું દંડધારી, મુંડાવેલા મસ્તકવાળા, કુશચીરવાળો, અને ઘૃતાક્ત થયો, મેં મેખલા ધારણ કરી. એક મહિનો ફળાહાર કર્યો, બીજો મહિનો પાણી પીને કાઢ્યો; ત્રીજા, ચોથા, પાંચમા મહિને વાયુભક્ષણ કર્યું. હાથ ઊંચા કરીને, અતન્દ્રિત મને, એક પગ પર ઊભા રહીને મેં તપ કર્યું. ત્યાર પછી મેં આકાશમંડળમાં સહ સૂર્યોનું તેજ જોયું. તે તેજની વચ્ચે એક વિશેષ તેજમંડળ જોયું, તે ઇંદ્રધનુષથી છવાયેલું હતું, વિદ્યુત્માલા તેના ગવાક્ષ જેવી હતી. તે તેજ નીલ પર્વતના જેવું હતું. મેઘમાલા બકપંક્તિઓથી શોભતી હતી. મહાદ્યુતિવાન ભગવાન શંકર તપ, તેજ, કાન્તિ, દીપ્તિવાળાં ભાર્યા સાથે હતા. ભગવાન મહેશ્વર દેવી સાથે શોભતા હતા, જાણે ચંદ્રમા સહિત સૂર્ય મેઘમંડળમાં ન હોય! મેં રોમાંચિત શરીર અને વિસ્મયપૂર્ણ નેત્રો વડે બધા દેવસંઘની ગતિ જેવા અને બધાના દુઃખભંજન એવા હરને (શંકરને) જોયા. આ કિરીટધારી, ગદાધારી, શૂલપાણિ, વ્યાઘ્રાંબરધારી, જટાધારી, દંડપાણિ, પિનાકી, વજ્રધારી, હતા; તેમણે તીક્ષ્ણ દાંતવાળા, શુભાંગદ, સર્પમય યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. વક્ષસ્થળ પર અને ઘુંટણ સુધી અનેક વર્ણની દિવ્ય માળાઓ ધારણ કરી હતી, શરદ્ ઋતુમાં સાંજે ચંદ્રમા દેખાય તેમ મેં તેમના દર્શન કર્યા. પરિધિથી ઘેરાયેલા, શરદ્ ઋતુમાં દુષ્પ્રેક્ષ્ય પ્રકાશિત સૂર્ય જેવા, ભૂતગણોથી ઘેરાયેલા મહાદેવ મુશ્કેલીથી દેખાતા હતા.

મનને વશમાં રાખનારા શુભ કર્મશીલ એવા વૃષભ પર બેઠેલા શંકરની સ્તુતિ કરતા હતા. આદિત્ય ગણ, વસુ, સાધ્ય, વિશ્વદેવ, અશ્વિનીકુમારો વિશ્વસ્તુતિ દ્વારા તે વિશ્વદેવની સ્તુતિ કરતા હતા.

(શંકરની વિવિધ રીતે સ્તુતિ)

તે સમયે મહાદેવની સામે જોવાની શક્તિ મારામાં ન હતી. પછી ભગવાને મને કહ્યું, ‘હે કૃષ્ણ, મારું દર્શન કરો અને ઇચ્છા હોય તે વર માગો.’

મેં મસ્તક નમાવી દેવની વંદના કરી, ઉમા દેવી પ્રસન્ન થયાં, પછી મેં બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા મહાદેવની સ્તુતિ કરી.

(ફરી મહાદેવની સ્તુતિ)

ત્યાર પછી મેં મનને સંયત કરી મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા અને તેજપુંજવાળા ભગવાનને કહ્યું,

‘હે ભગવાન્, ધર્મમાં દૃઢતાવાળા, યુદ્ધમાં શત્રુનાશી, શ્રેષ્ઠ યશ, ઉત્તમ બળ, યોગપ્રેમી, દસ હજાર પુત્રો માગું છું, તમારું સાન્નિધ્ય માગું છું.’

મહાદેવે મારી પ્રાર્થના સાંભળી ‘તથાસ્તુ’ કહ્યું.

ત્યાર પછી જગન્માતા, ધરણી, તપોનિધિ, સર્વપાવની ઉમા દેવીએ મને કહ્યું, ‘હે નિષ્પાપ, ભગવાને તમને સાંબ નામનો પુત્ર આપ્યો. હવે તમે આઠ વરદાન મારી પાસે માગો. હું તે આપીશ.’

મેં તે સમયે મસ્તક ઝુકાવી દેવીને પ્રણામ કરી કહ્યું,

‘હે માતા, બ્રાહ્મણો પર ક્રોધ ન કરું, પિતાને પ્રસન્ન રાખું, શતપુત્ર, પરમ ભોગ, કુટુંબપ્રીતિ, માતાકૃપા, શમપ્રાપ્તિ અને કાર્યદક્ષતા માગું છું.’

દેવીએ મને કહ્યું, ‘અમર સમાન પ્રભાવવાળા, તમે જે માગ્યું તે મળશે. આ સિવાય બીજા આઠ વરદાન આપું છું, હું મિથ્યા બોલતી નથી. તમે મહાપ્રભાવશાળી હશો, અસત્ય નહીં બોલો, સોળહજાર પત્નીઓ મળશે, તેઓની તમારા પર પ્રીતિ રહેશે, બધું અક્ષય રહેશે. બાંધવજનોમાં પરમ પ્રીતિ પામશો, શરીર સુંદર રહેશે, દરરોજ સાત હજાર અતિથિઓ તમારે ત્યાં ભોજન કરશે, મેં તમને આ આઠ વરદાન આપ્યા.’

આમ પાર્વતી પરમેશ્વર ચોવીસ વરદાન આપીને નિજગણો સાથે અંતર્ધાન થઈ ગયા.

(અનુશાસન પર્વ, ૧૪-૧૬)