ભારતીયકથાવિશ્વ-૩/પ્રસ્તાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રસ્તાવના

ભારતીય કથાવિશ્વના પહેલા બે ગ્રંથોમાં વેદ-ઉપનિષદ-બ્રાહ્મણ ગ્રંથો તથા રામાયણ-મહાભારત જેવાં આપણાં મહાકાવ્યોને આધારે આ કથાસાહિત્યની સમૃદ્ધિની થોડી ઝાંખી કરી. ભારતીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો ઉપનિષદોનો છે. મધ્યકાળની જ્ઞાનમાર્ગી ધારાને ઘડવામાં, વિકસાવવામાં આ ઉપનિષદોએ બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે અને છેક રવીન્દ્રનાથ ઠાકુર સુધીનાને આ તત્ત્વજ્ઞાને ભારે પ્રભાવિત કર્યા છે, ત્યાર પછી ભારતીય મહાકાવ્યોએ આ સંસ્કૃતિનું ઘડતર સૈકાઓથી કર્યું છે. આજે પણ રામાયણ, મહાભારત, ભાગવત ગ્રંથો ભારતીય પ્રજાની સંવેદનામાં લોહી બનીને ભળી ગયા છે, સમગ્ર ભારતીય પ્રજા આ મહાકાવ્યોની કથાઓ, તેમનાં પાત્રો ભૂલી શકી નથી અને ભારતીય સર્જકો આ કથાસાહિત્યનાં નૂતન અર્થઘટનો કરીને આ પરંપરાને વધુ ને વધુ સમૃદ્ધ બનાવતા રહ્યા છે. ભારતીય મહાકાવ્યો પછીનું પ્રભાવક સાહિત્ય ગૌતમ બુદ્ધના કારણે જાતક કથાઓમાં તથા એ પ્રકારની કથાઓમાં પ્રગટ્યું છે, અને એ પ્રગટ થતાં વેંત શિલ્પસ્થાપત્ય, ચિત્રોમાં એક અથવા બીજી રીતે, આપણા ભારતમાં જ નહીં પણ અફઘાનિસ્તાનથી માંડીને અગ્નિ-એશિયાના વિવિધ દેશોમાં પ્રસર્યું છે. કદાચ એના મૂળમાં સમ્રાટ અશોક જવાબદાર હશે, સાથે સાથે એ જાતકોના સાહિત્યમાં સર્વકાલીન ભૂમિકાઓ જોવા મળી હોવાને કારણે એ ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. એમ કહેવાય છે કે ગૌતમ બુદ્ધના મહાનિર્વાણ સમયે સુભદ્ર નામના ભિક્ષુએ બીજા ભિક્ષુઓને સંબોધીને કહ્યું હતું, ‘મિત્રો, બુદ્ધના નિર્વાણને કારણે શોક ન કરતા, રુદન ન કરતા. આપણે મુક્ત થઈ ગયા છીએ. ‘આ કરો-આ ન કરો’ એવું કહેનાર હવે કોઈ નથી. આપણને જે મન થશે તે કરીશું અને નહીં મન થાય તે નહીં કરીએ.’ આ માત્ર ગૌતમ બુદ્ધના ઉપદેશને જ લાગુ પડતું નથી. પ્રાચીન કાળથી ચાલી આવેલી આપણી સમગ્ર મૂલ્યવ્યવસ્થાને ફગાવી દેવાની આ વાત છે. સુભદ્રની આવી વાત સાંભળીને મહાકશ્યપ સ્થવિરને સદ્ધર્મના વિનાશનો ભય લાગ્યો. એટલે તેમણે પાંચસો ભિક્ષુઓની સભા બોલાવી. આના પરિણામે બૌદ્ધ વચનોનો સંચય થયો, તેમાંનો એક સંચય એટલે જાતક કથા. સુભદ્રની જેમ ઓગણીસમી સદીમાં પણ આવું વિચારનારા હતા. દોસ્તોએવ્સ્કીની નવલકથા ‘ધ બ્રધર્સ કારામઝોવ’નું એક પાત્ર ઇપ્પોલીટ બોલે છે, ‘ભગવાનનું મૃત્યુ થયું છે એટલે ચાલો હવે જે કરવું હોય તે કરીએ, આપણે સંપૂર્ણ સ્વતંત્ર.’ અર્વાચીન યુગમાં જે ક્રાંતિઓ થઈ તેને કારણે પણ ધર્મ, તત્ત્વજ્ઞાનને બદલે વિજ્ઞાન-ટેકનોલોજી પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. ઇન્ગમાર બર્ગમેન જેવા જાણીતા ફિલ્મ દિગ્દર્શકે પણ કહ્યું હતું કે જ્યારથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સંસ્પર્શ કળાએ ગુમાવ્યો ત્યારથી કળા પાંખી પડી. ક્યારેક નીતિના ખ્યાલો સમાજમાં શિથિલ થઈ રહ્યા હતા અને એની સામે ટોલ્સ્ટોય જેવા પોતાનાં છેલ્લાં વરસોમાં નૈતિક ભૂમિકાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી કરવા માગતા હતા અને એટલે ‘એના કેરેનિના’ જેવી પોતાની જ નવલકથાને બાજુ પર મૂકવા તૈયાર થયા હતા. ગૌતમ બુદ્ધની જાતક કથાઓમાં તેમના પૂર્વજન્મોની કથાઓ છે, આ બધી કથાઓ કાલ્પનિક પણ હોઈ શકે. સમાજને ટકાવી રાખવા માટે આવું કોઈ અસામાન્ય પાત્ર સર્જવું પડે. બની શકે કે ઇતિહાસના ગૌતમ બુદ્ધ અને જાતક કથાઓના ગૌતમ બુદ્ધ જુદા હોઈ શકે. જેવી રીતે રામાયણ-મહાભારતમાં એ સમયે પ્રચલિત ઘણી બધી કથાઓનું સંકલન થયું — (ખાસ તો મહાભારતમાં) તેવી જ રીતે જાતક કથાઓમાં બન્યું હોવાની શક્યતા નકારી ન શકાય. ભારતના સાંસ્કૃતિક જીવનમાં ઇતિહાસપ્રસિદ્ધ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું મહત્ત્વ અસામાન્ય કક્ષાનું છે એમાં તો કોઈ કરતાં કોઈને શંકા નથી. હા, જૈન ધર્મ ગુજરાત, રાજસ્થાન, બિહાર, કર્ણાટક જેવાં રાજ્યોને બાદ કરતાં બીજે પ્રસર્યો નથી પરંતુ જૈન મુનિઓએ પ્રાચીન કાળમાં જે સર્જન કર્યું તેમાં સર્વકાલીન તત્ત્વો તો જોવા મળે છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ — એવાં નામકરણ ભલે આપણે સગવડ ખાતર કરતા હોઈએ પણ એ ધર્મોના સિદ્ધાંતો સર્વકાલીન, સર્વવ્યાપી બનવાની ક્ષમતા તો ધરાવે જ છે, વળી કોઈ સ્પષ્ટ રીતે કહે કે ના કહે પણ મૂલ્યસંવર્ધન માટે એ બધા પાસે જવું જ પડે.

એક જમાનામાં ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથોની કેટલીક કૃતિઓ કે જાતક કથાઓ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હતી. આ કથાઓ અવિકસિત, અપુખ્ત વયનાં બાળકોને સ્પર્શી જતી હતી. ક્યારેક પરદેશી કવિતાઓ પણ ભારતીય વાતાવરણને મળતી આવશે. દા.ત. વીસમી સદીના ચોથા દાયકામાં વિલિયમ યેટ્સની ‘ધ સેકંડ કમીંગ’ નામની રચના જુઓ.

Turning and turning in the widening gyre
The falcon cannot hear the falconer.
Things fall apart, The centre can not hold
Mere anarchy is loosed upon the world.

ઈશ્વરના સ્થૂળ અસ્તિત્વ માટે તો કોઈ જડ આગ્રહ નહીં રાખે પણ આપણા હૃદયમાં તેની આછી તો આછી પ્રતિષ્ઠા થવી જોઈએ ને! ગૌતમ બુદ્ધ ઘણી બધી રીતે વિશિષ્ટ છે, વામન-પરશુરામ-રામ-કૃષ્ણની જેમ ગૌતમ બુદ્ધે કોઈ સ્થૂળ પરાક્રમ કર્યાં નથી; શ્રીકૃષ્ણની જેમ રામે પણ કોઈ ચમત્કારો કર્યા નથી, તો ગૌતમ બુદ્ધની તો વાત જ શી? એમના નામે પ્રચલિત એક કથામાં કિસા ગોતમીના પુત્રને સજીવન કરવાનો કયો ઉપાય બતાવ્યો છે? એવો જ ઉપાય આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકા પુરુષમાં પણ છે, ત્યાં મૃત પુત્રને સજીવન કરવા જેના ઘરમાં કોઈનું મૃત્યુ થયું ન હોય તેના ઘરમાંથી પવિત્ર અગ્નિ લઈ આવવાનું કહેવામાં આવે છે. જૈન ધર્મના ગ્રંથો પર પણ આ રીતે બૌદ્ધ ધર્મની કથાવાર્તાઓનો પ્રભાવ વાંચી શકાશે.

ગૌતમ બુદ્ધના વધતા જતા — વિસ્તરતા જતા પ્રભાવની સામે ભારતીય બ્રાહ્મણોએ ગૌતમ બુદ્ધનો સમાવેશ દશાવતારમાં કરી સમાધાનનો માર્ગ અપનાવી લીધો. બીજા જન્મોમાં તો વિષ્ણુ શસ્ત્રો લઈને અવતર્યા હતા પણ ગૌતમ બુદ્ધ પાસે શું હતું? કરુણાસભર નેત્રો સિવાય કશું જ ન હતું. સુન્દરમ્ની પ્રખ્યાત કવિતા ‘બુદ્ધનાં ચક્ષુ’નો આરંભ કેવી રીતે થાય છે?

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં આ પ્રભુ તણાં
...
પ્રભો! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઉતર્યા,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

સૌ ગુજરાતી ભાવકો વતી ગૌતમ બુદ્ધને અપાયેલી આ ભવ્ય અંજલિ હતી. કવિએ ગૌતમ બુદ્ધની વિશિષ્ટતા તેમની આંખોમાં નિહાળી, તેમની કરુણા સમસ્ત જીવસૃષ્ટિ માટે હતી. આમ જોવા જઈએ તો ગૌતમ બુદ્ધ નિ:શંક રીતે ઇતિહાસ પુરુષ તરીકે (મહાવીર સ્વામીની સાથે) ભારતીય સંસ્કૃતિમાં પ્રતિષ્ઠિત થયા. ભારતમાં અને ભારત બહાર તેમની યશોગાથા વિસ્તરી; ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય — બધે જ ગૌતમ બુદ્ધ છવાઈ ગયા. આ મહાન માનવી વિશે રવીન્દ્રનાથ ઠાકુરનો ‘બુદ્ધદેવ’ નામનો નિબન્ધ જોવા જેવો છે: ‘ભગવાન બુદ્ધે તપસ્યાના આસનેથી ઊઠીને પોતાને પ્રગટ કર્યા. તેમના તે આવિર્ભાવના પ્રકાશથી સત્યના તેજમાં ભારતનો આવિર્ભાવ થયો. માનવઇતિહાસમાં તેમનો ચિરંતન આવિર્ભાવ ભારતવર્ષની ભૌગોલિક સીમાને વટાવી જઈને દેશદેશાન્તરમાં વ્યાપી ગયો. ભારતવર્ષ તીર્થ બની ગયું, અર્થાત્ સઘળા દેશોએ તેનો સ્વીકાર કર્યો. કારણ, બુદ્ધના સંદેશ પ્રમાણે તે જમાનામાં ભારતવર્ષે બધા માણસોનો સ્વીકાર કર્યો હતો. તેણે કોઈની અવજ્ઞા કરી નહોતી, એટલે તે છૂપો રહી શક્યો નહિ. સત્યનું પૂર વર્ણની વાડને ઘસડી ગયું; ભારતનું આમંત્રણ દેશવિદેશની બધીય જાતિઓને પહોંચી ગયું. ચીન બ્રહ્મદેશ આવ્યાં. દુસ્તર ગિરિ-સમુદ્રે અમોઘ સત્યના સંદેશને માર્ગ કરી આપ્યો. એક છેડાથી બીજા છેડા સુધી માણસો બોલી ઊઠ્યા, માણસનો આવિર્ભાવ થયો છે, અમે જોયો છે. મહાન્ત પુુરુષં તમસ: પરસ્તાત્! આ ઘોષણાવાણીએ મધ્યપ્રદેશમાં પથ્થરની મૂતિર્માં અક્ષય રૂપ ધારણ કર્યું. અદ્ભુત અધ્યવસાયપૂર્વક માણસે મૂતિર્માં, ચિત્રમાં, સ્તૂપમાં બુદ્ધની વંદનાને રૂપ આપ્યું!’

જાતક કથાઓનો ચોક્કસ રચનાસમય કહેવો અઘરો તો છે પણ ભારહૂતનાં શિલ્પોમાં આ કથાઓ અંકિત થઈ છે, એનો સીધોસાદો અર્થ એ થયો કે ઈ.સ. પૂર્વે બીજી સદીમાં તો જાતકકથાઓ પ્રચલિત હતી. આ બધી વિગતોને ધ્યાનમાં રાખીને ભદંત આનંદ કૌશલ્યાનંદ માને છે કે કદાચ ઈ.સ. પૂ. પાંચમી સદીમાં થઈ ગયેલા ગૌતમ બુદ્ધ પૂર્વેથી માંડીને ઈ.સ.ની પાંચમી સદી સુધીમાં આ કથાઓ રચાઈ હશે. કેટલાક વિદ્વાનો માને છે કે ભારતીય કથાસાહિત્યમાં સૌથી પ્રાચીન કથાઓ જાતકસાહિત્યમાં છે. રામ, સીતા, યુધિષ્ઠિર જેવાં પાત્રો જાતક કથાઓમાં આવે છે. ‘જયદ્દિસ જાતક’માં કહ્યું છે કે જેવી રીતે દંડકારણ્યમાં ગયેલા રામની માતાએ કલ્યાણ કર્યું હતું તેવી રીતે હું તારું કલ્યાણ કરવા ઇચ્છું છું.’ ‘મહાવેસ્સંતર જાતક’માં નાયિકા માદ્રી પોતાને સીતા સાથે સરખાવે છે. ભારતીય કથાસાહિત્ય અને ગ્રીક નાટકો (ઈ.સ.પૂ. ત્રીજી ચોથી સદી)માં પણ કેટલીક સમાનતાઓ જોવા મળે છે. આપણે એવું અનુમાન કરી શકીએ કે આ બધા જ પ્રાચીન સાહિત્ય પાછળ એક સર્વસામાન્ય પરંપરા પણ હોવી જોઈએ. આર્યો ભારતમાં પ્રવેશ્યા, આર્યોની ટોળીઓ પૂર્વ પશ્ચિમમાં ગઈ તે પહેલાં તેમની પાસે આવી સર્વસામાન્ય પરંપરા હશે જ, અને એમાંથી જ પૂર્વ-પશ્ચિમનું સાહિત્ય રચાયું હશે. બધી જાતક કથાઓની સંરચના લગભગ સરખી છે. શરૂઆતમાં વર્તમાન કથા આવે, પછી ગૌતમ બુદ્ધ એ વર્તમાન કથા સંલગ્ન પાત્રોના ભૂતકાળની અર્થાત્ તેમના પૂર્વજન્મની કથા કહે, એમાં પોતાના પૂર્વજન્મની કથા પણ આવી જાય, પછી થોડું ચિંતન આવે, થોડો બોધ આવે.

ગૌતમ બુદ્ધને લગતી જે બધી જાતક કથાઓ પ્રચલિત થઈ તે બધી કથાઓમાં મહાવેસ્સન્તર જાતક સવિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીં તેની આછી રૂપરેખા જોઈએ. ગૌતમ બુદ્ધ ધર્મચક્ર પ્રવર્તાવીને જ્યારે કપિલવસ્તુ નગરીમાં ગયા ત્યારે બધા શાક્ય રાજાઓ બુદ્ધ ભગવાનનાં દર્શન કરવા ગયા. શાક્ય પ્રજા અભિમાની અને તોરીલી હતી, વયમાં નાના બુદ્ધની વંદના કરવા તેઓ તૈયાર ન હતા, ગૌતમ બુદ્ધ તેમને પરચો દેખાડે છે અને બધા શાક્ય લોકો તેમની વંદના કરે છે, ત્યારે આકાશમાંથી થતી મેઘવર્ષા અને કમલવર્ષા જોઈને પ્રજા અચરજ પામે છે. તે વખતે ગૌતમ બુદ્ધ આગલા જન્મની કથા કહે છે, તેમાં નાયક તરીકે વેસ્સન્તર સંજય રાજા અને ફુસતી રાણીને ત્યાં જન્મ્યા. જન્મતાં વેંત આ બાળકે માને કહ્યું, ‘મા, હું દાન આપીશ.’ માએ તેને જેટલું દાન આપવું હોય તે આપવાની અનુમતિ આપી અને વૈશ્યોની શેરીમાં જન્મ્યા હતા એટલે તેમનું નામ વેસ્સન્તર પડ્યું. ભારતીય સંસ્કૃતિમાં દાનેશ્વરી તરીકે તો ઘણી વ્યકિતઓ જાણીતી છે. દિલીપ, શિબિ, હરિશ્ચન્દ્ર, કર્ણ...વગેરે. આ બધી વ્યક્તિઓએ પુખ્ત વયે અસાધારણ દાન કર્યું હતું. પરન્તુ વેસ્સન્તરે તો જન્મીને તરત દાન આપવા માંડ્યું. બૌદ્ધ સાહિત્યમાં દાન પારમિતાનો ભારે મહિમા છે. આ પારમિતા વિશે કહેવાયું છે કે જેવી રીતે પાણીના ઘડાને ઊંધો કરીએ તો આખો ઘડો ખાલી થઈ જાય છે, એક ટીપું પણ તેમાં રહેતું નથી તેવી રીતે જે દાન આપવા માગે છે તેણે ધન, પત્ની, યશ, સંતાનો, શરીરનું એકે એક અંગ યાચકને આપી દેવાં જોઈએ, દાનની પરમ સીમા સુધી પહોંચવું પડે. વેસ્સન્તર જાતકમાં બીજી બધી પારમિતાઓ (શીલ પારમિતા, નૈષ્ક્રમ્ય પારમિતા, પ્રજ્ઞા પારમિતા, વીર્ય પારમિતા, ક્ષાન્તિ પારમિતા, સત્ય પારમિતા, અધિષ્ઠાન પારમિતા, મૈત્રી પારમિતા, ઉપેક્ષા પારમિતા) કરતાં દાન પારમિતાનો સવિશેષ મહિમા છે. વેસ્સન્તરનો જન્મ થયો તે જ દિવસે આકાશમાં વિહાર કરનારી એક હાથણી સંપૂર્ણ ધવલ એવા મદનિયાને લઈને આવી અને મંગલહસ્તીના સ્થાને તેને મૂકીને ચાલી ગઈ. આમ જોવા જઈએ તો આ હાથણી સ્વર્ગીય, તેનું બચ્ચું પણ સ્વર્ગીય. એનું નામ પ્રત્યય પાડવામાં આવ્યું, વેસ્સન્તરને જે કંઈ રાજા આપે તે બધું કુમાર દાનમાં આપી દેતો, આઠ વર્ષની કાચી વયે તો તે કોઈ માગે તો હૃદય, આંખો આપી દેવા પણ તત્પર હતો. સોળ વરસની વયે બધી કળાઓમાં — વિદ્યાઓમાં વેસ્સન્તર પારંગત થયા અને પિતાએ તેનું લગ્ન માદ્રી સાથે કરાવી આપ્યું. અહીં સુધી તો ‘મહાવેસ્સન્તર’માં બીજી કોઈ ઘટનાઓ બનતી નથી. આખી કથા જે નિમિત્તે ચાલશે તે તો હાથીના દાનની ઘટના છે. અહીં એક જાણીતું કથાઘટક પ્રવેશે છે અને તે આકરા દુકાળનું. કોઈનાં પાવન પગલાં પડે તો વરસાદ પડે, ભારતીય કથાઓમાં ઋષ્યશૃંગની કથા ખાસ જાણીતી છે, એનું આગમન થાય તો જ વરસાદ પડે એટલે સ્ત્રી વડે ભોળવીને એને દુષ્કાળગ્રસ્ત નગરમાં આણવામાં આવે છે અને પરિણામે વરસાદ પડે છે. અહીં જેતુત્તર નગરની વાત નથી. કલિંગરાષ્ટ્રમાં દુકાળ પડ્યો; રાજાએ વ્રત, અનુષ્ઠાન કર્યાં પણ વરસાદ ન પડ્યો તે ન જ પડ્યો. છેવટે રાજાને ઉપાય બતાવવામાં આવ્યો, ‘જેતુત્તર નગરમાં વેસ્સન્તર નામનો રાજકુમાર છે. તેની પાસેનો મંગલ હાથી જ્યાં જાય છે ત્યાં વરસાદ પડે છે, બ્રાહ્મણોને મોકલીને એ હાથી મંગાવો.’ અને એ રીતે બ્રાહ્મણોએ વેસ્સન્તર પાસે જઈને હાથીનું દાન માગ્યંંુ અને વેસ્સન્તરે બધાં જ આભૂષણો સમેત હાથીનું દાન કર્યું. પણ આ દાન રાજ્યનાં પ્રજાજનોથી સહન થયું નહીં, મંગલ હાથી રાષ્ટ્રની સંપત્તિ કે રાજકુમારની? પ્રજાજનો રાજકુમાર વિરુદ્ધ ફરિયાદ કરવા જઈ પહોંચ્યા. તે સમયની સામાજિક સ્થિતિનું દર્શન અહીં જોવા મળશે. રાજા સામે, રાજકુમાર સામે પ્રજા ફરિયાદો કરી શકતી હતી, વળી આ દાન સ્વદેશના નહીં પણ પરદેશી બ્રાહ્મણોને કરવામાં આવ્યું હતું, અને એ જ કારણે પ્રજા નારાજ થઈ હતી. આવી વ્યક્તિતા ધરાવતા વેસ્સન્તર માટે સમાજને કયા પ્રકારની લાગણીઓ છે? પરોપકારી, દાનેશ્વરી વ્યક્તિને ત્યારનો સમાજ પણ વેઠી શક્યો ન હતો. હાથીનું દાન કર્યું એટલા માત્રથી ક્રોધે ભરાયેલો સમાજ રાજાને અને રાજકુમારને પણ ઝબ્બે કરવા તૈયાર થઈ ગયો, છેવટે વેસ્સન્તરને દેશવટો આપવાની સૂચના રાજાને આપવામાં આવી. દેશવટાનું કથાઘટક પણ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે. કાં તો પિતા પુત્રને દેશવટો આપે- દા.ત. દશરથ દ્વારા રામને અપાયેલો દેશવટો, કાં તો દ્યૂત વગેરેમાં હારવાને કારણે મળતો દેશવટો- દા.ત. મહાભારતમાં નળ રાજા અને પાંડવોને ભોગવવો પડેલો દેશવટો; આ ઉપરાંત લોકકથાઓમાં પણ આવાં કથાઘટકો મળી આવશે. દેશવટાને લગતી રાજાજ્ઞા સાંભળીને વેસ્સન્તરનો પ્રતિભાવ કેવો હતો? આદર્શવાદી, ત્યાગી, વ્યક્તિ તરીકે કથામાં વેસ્સન્તરનું પાત્ર ઊભું કરવું હોય તો તેને ઊલટભેર રાજાજ્ઞાનો સ્વીકાર કરતો બતાવવો પડે. હાથીનું દાન દીધા પછી, સાતસોની સંખ્યામાં — તે હાથી, ઘોડા, રથ, સ્ત્રીઓ, ગાયો, દાસીઓ અને દાસનું દાન આપવા માગતા હતા. પોતે તો દાન આપ્યું, સાથે સાથે માદ્રી પાસે પણ દાન અપાવ્યું. વેસ્સન્તર એકલા જ દેશવટે જવા માગતા હતા — માદ્રીને શું કહ્યું? ‘મારા ગયા પછી બીજો સ્વામી શોધી લેજે, મારા વિયોગે દુઃખી ન થતી.’ આ પ્રકારની વિચારણા છેક અર્વાચીન કાળ સુધી ચાલી આવી. ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર દ્વારા કુમુદને કહેવડાવે જ છે ને કે ‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી...’ જેવી રીતે રામાયણમાં દેશવટો પામેલા રામ પોતાની સાથે સીતાને લઈ જવા માગતા ન હતા તેવી રીતે વેસ્સન્તર જાતકમાં પણ રાજકુમાર પોતાની સાથે માદ્રીને લઈ જવા માગતા ન હતા, સીતા જેવી રીતે જિદ્દી બનીને રામની સાથે વનમાં જવા તૈયાર થયાં હતાં, તેવી રીતે માદ્રી પણ વેસ્સન્તરની સાથે વનમાં જવા તૈયાર થઈ. માદ્રીના મોઢામાં પુનરાવતિર્ત થતી ઉક્તિઓ દ્વારા કાવ્યાત્મક વર્ણન સર્જવામાં આવ્યું. દા.ત. ‘આ સુંદર, પ્રિયભાષી બાળકોને જંગલમાં બેઠેલાં જોઈ રાજ્યની સ્મૃતિ નહીં આવે... આ સુંદર, પ્રિયભાષી બાળકોને જંગલમાં રમતાં જોઈ રાજ્યની સ્મૃતિ નહીં આવે. આ સુંદર, પ્રિયભાષી બાળકોને રમણીય આશ્રમમાં રમતાં જોઈ રાજ્યની સ્મૃતિ નહીં આવે.’ બીજી બાજુ જેવી રીતે રામાયણમાં રામના વનવાસની વાત સાંભળીને કૌશલ્યાએ વિલાપ કર્યો હતો, તેવી રીતે અહીં વેસ્સન્તરની માતા ફુસતીને વિલાપ કરતી બતાવાઈ છે. તેને પણ પ્રશ્ન થાય છે કે નિર્દોેષ વેસ્સન્તરને દેશનિકાલ શા માટે? જેવી રીતે કૌશલ્યાએ દશરથને ઠપકો આવ્યો હતો તેવી રીતે ફુસતી રાણીએ પણ પતિને ઠપકો આપ્યો. અને તે ઠપકો કે શાપ? ‘તમે નિર્દોષને દેશનિકાલ કરી રહ્યા છો. તમારું રાજ્ય મધમાખો વિનાના મધપૂડા જેવું કે જમીન પર પડી ગયેલી કેરીઓ જેવું થઈ જશે. નિર્જલ સરોવરમાં પાંખો વિનાના હંસ જેવું થઈ જશે.’ રાજાનો બચાવ એવો હતો કે હું ધર્મપાલન કરી રહ્યો છું. વેસ્સન્તર રાજકુમાર આ નવી પરિસ્થિતિનો સામનો કરશે કેવી રીતે? રામાયણમાં કૌશલ્યાથી માંડીને ભરત સુધી બધાને પણ આવી જ ચિંતા ન હતી? માદ્રીના સંદર્ભે વિશેષ વલોપાત ફુસતીએ કર્યો: ‘જેના હાથપગ અત્યંત સુકુમાર છે તે અનિંદિત અંગોવાળી માદ્રી આજે વનમાં કેવી રીતે જશે? માલાધારિણી હજાર સ્ત્રીઓની આગળ ચાલનારી અનિંદિત અંગોવાળી માદ્રી આજે વનમાં કેવી રીતે જશે? જે કોશીય જાતિના ઘુવડનો અવાજ સાંભળીને વારુણી યક્ષિણીની જેમ ફફડી ઊઠતી હતી તે અનિંદિત અંગોવાળી ભીરુ માદ્રી આજે વનમાં કેવી રીતે જશે?’ પ્રજાના જે પ્રતિનિધિઓએ રાજાને ફરિયાદ કરી તે સિવાયનાં બધાં નગરજનો વેસ્સન્તરના દેશવટાની વાત સાંભળીને દુઃખી દુઃખી થઈ ગયાં, અહીં અંત:પુરની સ્ત્રીઓ, ભિખારીઓ, ભૂવા, વ્યંઢળો, બ્રાહ્મણો, શ્રમણો પણ આ ઘટના બદલ શોક કરતાં હતાં. રામાયણમાં પણ રામના વનવાસની વાત સાંભળીને અયોધ્યાનાં બધાં લોકોએ કકળાટ કર્યો જ હતો ને! વેસ્સન્તરે જે સાતસોનું દાન આપ્યું તેનું વર્ણન અહીં કાવ્યાત્મક રીતે કરવામાં આવ્યું છે. વેસ્સન્તરે પોતાના પિતાને વિદાય વેળાએ કેવો પ્રતિભાવ આપ્યો? ‘તમે મને કાઢી મૂકો છો, હું વંક પર્વત પર જઉં છું...વનમાં જંગલી જાનવરોની વચ્ચે હું કષ્ટપૂર્વક રહીશ. એ પ્રાણીઓના વનમાં પણ હું પુણ્યકર્મ કરીશ. તમે પંકમાં ડૂબી જશો.’ માદ્રી વનવાસ ન ભોગવે એટલા માટે રાજાએ વનનાં અનેક કષ્ટો વર્ણવ્યાં, માદ્રીએ એનો પ્રત્યુત્તર કેવો આપ્યો? એ પ્રત્યુત્તરમાં તત્કાલીન સામાજિક પરિસ્થિતિ વર્ણવાઈ છે. આપણે ત્યાં કલાપી જેવાએ વૈધવ્યની પ્રશંસા કરી હતી પણ માદ્રીએ વૈધવ્યની ભારે નિંદા કરી. વૈધવ્યમાં કેવાં કેવાં દુઃખ પડે છે તેનો હૂબહુ ચિતાર અહીં આપવામાં આવ્યો છે. ‘વિધવાને એંઠું ખાવાનું નથી મળતું, પુરુષો તેમના હાથ પકડી ખેંચે છે, વાળ પકડીને ભોંય ભેગી કરે છે. પોતાની જાતને બહુ ઉમદા માનનારા લોકો વિધવાની કામના કરતા હોય છે, કાગડાઓ ઘુવડને દમે તેમ એમને ખેંચે છે. સુવર્ણ જેવા સમૃદ્ધ કુલમાં રહીને પણ વિધવાને ભાઈઓ-સખીઓ તિરસ્કારે છે. દસ ભાઈ હોય તો પણ પતિ વિના સ્ત્રીનું જીવવું નિરર્થક છે.’ સંતાનોને મૂકીને જવાની સૂચના પણ માદ્રીએ ફગાવી દીધી. જતી વખતે પણ ફુસતીએ ઢગલો આભૂષણો આપ્યાં તે પણ તેણે દાનમાં આપી દીધાં. આમ જોવા જઈએ તો વેસ્સન્તર પાસે હવે આપવા જેવું કશું જ રહ્યું નહીં. હરિશ્ચન્દ્રની કથામાં એક જ યાચક-વિશ્વામિત્ર; જ્યારે અહીં જુદા જુદા યાચકો છે, તેમને વિવિધ રીતે દાન અપાય છે. દાન ન મેળવનારા ચાર બ્રાહ્મણો નીકળ્યા, તેમને વેસ્સન્તર પાસે ઘોડા માગ્યા, પાછળથી કોઈએ રથ માગ્યો. હવે તેઓ વનમાં પગપાળા નીકળ્યા. આ કથામાં પણ વેસ્સન્તરને પોતાનો દેશનિકાલ નથી ગમ્યો, પિતાનું વર્તન નથી ગમ્યું એ વાત વચ્ચે વચ્ચે આવ્યા કરે છે. ‘મારા પિતા મારી વિરુદ્ધ થઈ ગયા છે’ એ વાત સ્વીકારે છે. ‘રાજા પાસે હવે કશા અધિકાર રહ્યા નથી.’ એ વાત પણ સ્વીકારે છે. ચેતિય રાજ્યના શાસક જ્યારે વેસ્સન્તરને પોતાને ત્યાં રાજ કરવાની ઇચ્છા દાખવે છે ત્યારે પણ વેસ્સન્તર એનો અસ્વીકાર કરે છે, તે તો વંક પર્વત પર કેવી રીતે જઈ શકાય એનો રસ્તો જ પૂછે છે અને બધા તેને રસ્તો બતાવે છે. ગૌતમ બુદ્ધે અહિંસાનો ઉપદેશ આપ્યો એવું તો ઇતિહાસમાં આવે છે, પરંતુ વેસ્સન્તરને માંસાહારી પણ બતાવ્યા છે. ગૌતમ બુદ્ધના સૌથી નજીકના બોધિસત્ત્વ વેસ્સન્તર છે. એટલે આપણને પ્રશ્ન થાય ખરો. આ કથામાં વેસ્સન્તરને સંપૂર્ણ પુરુષાર્થી બનાવવામાં આવ્યા નથી. દેવરાજ ઇન્દ્ર અવારનવાર તેમની સહાય કરે છે, વનમાં તેમના નિવાસસ્થાન માટે આશ્રમ બનાવી આપવાની આજ્ઞા વિશ્વકર્માને આપે છે. વેસ્સન્તરની દાન પારમિતાને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે એક ઘટના અને એક પાત્રને આણવામાં આવ્યા છે. કલિંગ રાજ્યમાં પૂજક નામનો બ્રાહ્મણ હતો. તેના એક મિત્ર પાસે તેનું ધન લેણું નીકળતું હતું, તે ચૂકવી ન શકવાને કારણે મિત્રે પોતાની દીકરી આપી દીધી. અહીં વયનાં કજોડાં, કન્યાવિક્રય જેવી ઘટનાઓ જોવા મળશે. વયનાં કજોડાંને કારણે તેની સખીઓ દ્વારા હાંસીપાત્ર થતી બ્રાહ્મણપત્નીએ પતિ પાસે નોકરચાકરોની માગણી કરી, તેને બળજબરીથી નોકર શોધી લાવવા મોકલી આપ્યો. વેસ્સન્તરના જીવનમાં જે ખલનાયક તરીકે પ્રગટવાનો હતો તેની આ પૂર્વભૂમિકા. વેસ્સન્તરની દાનપારમિતાને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે પૂજક બ્રાહ્મણની યોજના કરી. પત્નીનો દાસ થઈને રહેનારો આ બ્રાહ્મણ પૂરેપૂરો દુષ્ટ, નિર્દય છે. પૂજક બ્રાહ્મણ અને વેસ્સન્તર વચ્ચે અંતરાયો છે, આ અંતરાયો ઊભા કરીને કથાને સંકુલ બનાવવામાં આવી છે. માર્ગમાં વેસ્સન્તરનો પત્તો મને કોણ બતાવશે એવી બૂમો મારતા પૂજકને કોઈ શિકારીએ વહેમ જતાં તેને અટકાવ્યો, પણ પૂજક તો મહાઠગ, પોતાની ખરીખોટી વાતોથી શિકારીને ગેરમાર્ગે દોરી બેઠો, સાથે સાથે વેસ્સન્તરની મહાનતાનો સ્વીકાર અનેક રીતે પૂજકે કર્યો. પરિણામે વેસ્સન્તરનો પત્તો મેળવ્યો, ચૈત્યપુરુષે તેને માર્ગ તો બતાવ્યો પણ તેની આગળ એ વિસ્તારની પ્રકૃતિનું વર્ણન પણ કર્યું અર્થાત્ અહીં કથનાત્મકતાની સમાંતરે વર્ણનાત્મકતાને ઉચિત સ્થાન સાંપડ્યું છે. અહીં જાણીતી- અજાણીતી વનસ્પતિઓનાં વર્ણન પણ જોવા મળશે. અચ્યુત નામના ઋષિને વહેમ ગયો કે બ્રાહ્મણ વેસ્સન્તરની પત્ની તથા બાળકોને લેવા આવ્યો છે, તે પણ વનસ્પતિઓનું વર્ણન કરે છે. બ્રાહ્મણ અને વેસ્સન્તર વચ્ચે આ રીતે તે પ્રદેશની પ્રકૃતિને પ્રયોજવામાં આવી છે. વળી માત્ર વનસ્પતિ નહીં, પ્રાણીસૃષ્ટિ પણ વર્ણવાય છે. હવે આ વર્ણન પછી ફરી કથા આગળ વિસ્તરે છે. માદ્રીને આવતા સ્વપ્નનું અર્થઘટન પામીને વેસ્સન્તર જાણી ગયા કે મારી દાન પારમિતા પૂરી કરવાનો અવસર આવી ગયો છે. પૂજક અને વેસ્સન્તર વચ્ચે બીજી કોઈ વાત થતી નથી અને વેસ્સન્તર બાળકોનું દાન માદ્રીની ગેરહાજરીમાં જ કરી દે છે. હવે બાળકો બે ત્રણ વાર પૂજકના કબજામાંથી ભાગી પણ જાય છે, છેવટે તો ક્રૂર વર્તાવવાળો બ્રાહ્મણ તેમને મારતોપીટતો લઈ જાય છે, જાલિકુમારની આંખે બ્રાહ્મણ કેવો દેખાય છે, તેનું આલેખન વિગતે કરવામાં આવ્યું છે. ‘પહોળા પગ, સડી ગયેલા નખ, લબડી ગયેલી પિંડીઓ, લાંબા હોઠ, મોંમાંથી ટપકતી લાળ, સૂવર જેવા દાંત, ચીબું નાક, ગાગર જેવું પેટ, ત્રાંસી આંખો, તાંબા જેવા વર્ણનું મોં, લાલ વાળ, કરચલી પડી ગયેલી ચામડી, ઝૂકી ગયેલા ખભો, કમર, રાક્ષસી દેખાવ.’ સ્વાભાવિક રીતે કુમારે તો પોતાની બી ગયેલી ચેતના વડે આ આલેખન કર્યું, આવા દેખાવને પૂજકની પત્ની કેવી રીતે વેઠી લે? પૂજક બ્રાહ્મણની ક્રૂરતા પણ કેવી! વેસ્સન્તરના દેખતાં જ બાળકોને મારતા પૂજક બ્રાહ્મણની નિર્દયતાને તો શું કહેવું? વેસ્સન્તરની દ્વિધા પણ સારી રીતે આલેખાઈ છે, ‘ધનુષબાણ અને તલવાર લઈને બાળકોને લઈ આવું’ પણ બોધિસત્ત્વની પરંપરા તેને અટકાવે છે. હવે કૃષ્ણાજિર્ના વિલાપ કરે છે: ‘અમારા પગ દુઃખી ગયા છે. રસ્તો લાંબો અને દુર્ગમ છે. સૂરજ માથા પર છે અને આ બ્રાહ્મણ અમને જલદી જલદી ચલાવે છે. અમે બધાને વંદન કરીએ છીએ. પર્વત, વન, સરોવર, નદી — આ બધાને નમસ્કાર. હે તૃણલતાઓ, ઔષધિઓ, પર્વતો, અરણ્યો — અમારી માતાની ખબર પૂછજો. આ બ્રાહ્મણ અમને લઈ જાય છે. અમારી માતાને સંદેશો આપજો કે જોે તે અમારી પાછળ પાછળ આવવા માગતી હોય તો જલદી આવે.’ વળી મા વિનાનાં સંતાનોની જે પરિસ્થિતિ વર્ણવાઈ છે તે આપણને ‘ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર’ કહેનારા પ્રેમાનંદ કવિના ‘કુંવરબાઈનું મામેરું’ની યાદ અપાવે. માદ્રી આશ્રમમાં જઈને બાળકોને ન જોતાં જો તેમને શોધવા નીકળી પડશે તો તે દુઃખી થઈ જશે એમ માનીને ત્રણ દેવપુત્રો સિંહ, વાઘ, ચિત્તાનું રૂપ લઈને તેનો રસ્તો રોકી રાખે છે, જેથી તે આશ્રમમાં મોડી પહોંચે. અને આમ માદ્રી વનમાં જ ભટકતી રહે છે, બાળકોના સંભવિત વિરહમાં તે કલ્પાંત કરે છે. અહીં માદ્રી રામાયણના રામ-સીતાને યાદ કરે છે. જેવી રીતે રામને વનવાસ તેવી રીતે મારા પતિને વનવાસ, પતિવ્રતા સીતા રામની ઉપેક્ષા ન કરે, એવી રીતે હું ન કરું. આના પરથી સ્પષ્ટ સૂચવાય છે કે વેસ્સન્તરની કથા આલેખાઈ હશે ત્યારે રામાયણકથા પ્રસિદ્ધ હશે. આશ્રમમાં બાળકોને ન જોવાને કારણે માદ્રી જે વિલાપ કરે છે તે સ્વાભાવિક, સહજ છે, બોધિસત્ત્વ તેની સાથે કશો વાર્તાલાપ કરતા નથી, ઊલટ નિર્દયની જેમ તેને કહે છે, ‘માદ્રી, હે શ્રેષ્ઠનારી, હે રાજપુત્રી, હે યશસ્વિની, તું ફળફૂલ લાવવા સવારે નીકળી હતી અને અત્યારે સાંજે પાછી ફરી છે.’ વેસ્સન્તર જે સંબોધનો પ્રયોજે છે તે અને તેના ઉત્તરાર્ધમાં જે ગભિર્ત આક્ષેપ મૂકે છે તે વચ્ચે મેળ ખાતો હોય એમ લાગતું નથી. શું વેસ્સન્તર પણ પુરુષપ્રધાન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે? માદ્રી ચારે બાજુ બાળકોની શોધમાં ઘૂમી વળે છે, વેસ્સન્તરની તટસ્થતાની સામે માદ્રીનું રુદન તુલ્યબળ ઊભું કરે છે, માદ્રીની બેહોશીને બોધિસત્ત્વ તો તેનું મૃત્યુ જ માની લે છે, છેવટે હોશમાં આવેલી માદ્રીને બોધિસત્ત્વ પોતાના દાનની વાત કરે છે. અહીં બીજો પ્રશ્ન થાય — જાલિકુમાર અને કૃષ્ણાજિર્ના- માદ્રીનાં પણ સંતાન. બોધિસત્ત્વ માદ્રીને પૂછ્યા વિના બાળકોનું દાન આપી શકે? મહાભારતમાં દ્રૌપદી પૂછી શકે છે પણ અહીં માદ્રી વધુ વિનીત છે, તે આવું કશું પૂછતી જ નથી. દ્રૌપદી તો અગ્નિકુંડમાંથી જન્મેલી એટલે જન્મની સાથે જ અગ્નિજ્વાળાઓ તેનામાં હતી. માદ્રી તો આ દાનનો સ્વીકાર કરે છે, અને પછી બીજા દેવ તેને અનુમોદન આપે છે. હવે એક બીજી શક્યતા ઇન્દ્ર વિચારે છે. કોઈ ગમે તેવો પુરુષ આવીને માદ્રીનું દાન વેસ્સન્તર પાસે માગે તો? એટલે ચાલ, હું જ બ્રાહ્મણનો વેશ લઈ તેની પાસે માદ્રી માંગી લઉં. વેસ્સન્તરની દાન પારમિતા પરાકાષ્ઠાએ પહોંચી જશે. અને ક્ષણવાર તો માદ્રી કેવી રીતે આપું તેનો વિચાર વેસ્સન્તરને આવી ગયો પણ માદ્રીનું દાન કરી દીધું. માદ્રીના મોઢામાં કયા શબ્દો છે? ‘હું તેની પત્ની છું, તે મારો સ્વામી છે, તે મારો ઈશ્વર છે. તે કોઈને પણ મારું દાન કરે, મને વેચી દે, કે મને મારી નાખે!’ ભારતીય સંસ્કૃતિમાં આવી ઉક્તિને આદર્શ સ્ત્રી સાથે સાંકળવામાં આવી અને એને કારણે પુરુષની ગમે તેવી ઇચ્છાને વિના વિરોધે સ્ત્રી વશ થતી રહી. એ સમયે સ્ત્રી-પુરુષ સમાનતાની વાત હવામાં ન હતી. ઇન્દ્ર તો દાનમાં લીધેલી માદ્રીને પાછી સોંપે છે અને આઠ વર માગવા કહે છે. હવે પૂજક બાળકોને લઈને જેત્તુનગર આવી ચઢે છે. વાત સાંભળીને અમાત્યો વેસ્સન્તરની નિંદા કરે છે. બાળકો પૂજકના ત્રાસની ફરિયાદ કરે છે. વેસ્સન્તરે બાળકોનું ઠરાવેલું મૂલ્ય રાજા અપાવી દે છે. કુમારના કહેવાથી સંજય રાજા વેસ્સન્તરને લેવા માટે મોટી સેના લઈને જાય છે અને સ્વજનોનો મેળાપ થાય છે. રામાયણમાં પણ વનવાસ ભોગવી રહેલા રામને લેવા માટે ભરત જાય છે ત્યારે તેની સાથે વિરાટ સેના હતી. અહીં પૂજકનું મૃત્યુ થાય છે. બોધિસત્ત્વ જ્યારે તેના પિતાને મળે છે ત્યારે ઔપચારિક વાત પછી શું કહે છે તે જોવા જેવું છે. મહાદાનેશ્વરી, બોધિસત્ત્વ તરીકે હોવા છતાં તેમના હૃદયની વેદના તો પ્રગટે જ છે. ‘મહારાજ! જંગલમાં હાંકી કઢાયેલાઓ માટે સુખ શું?- દુઃખ શું?’ (સરખાવો: સરસ્વતીચંદ્રની ઉક્તિ — ‘સુખી હું તેથી કોને શું: દુઃખી હું, તેથી કોને શું?’) ફરી તે કહે છે: ‘ધર્માનુસાર રાજ્ય કરતાં કરતાં મને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો.’ વેસ્સન્તર જાતકનો પ્રભાવ પાછળથી અગ્નિએશિયામાં વિશેષ થયો, એનું એક કારણ એ આપી શકાય કે ભારતમાંથી બૌદ્ધ ધર્મને વિદાય આપવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ પણ બૌદ્ધ ધર્મને એવો આદર તો મળ્યો જ નહીં. વેસ્સન્તર જાતકના સર્જકે કથનાત્મક અને કાવ્યાત્મક શૈલીઓનો વિનિયોગ કર્યો છે, સાથે સાથે લોકકથાઓમાં જોવા મળેલાં કેટલાંક કથાઘટકોનો વિનિયોગ પણ કર્યો છે. કથાને દિવ્યતાનો પુટ આપવા માટે સ્વર્ગના દેવોને તેઓ લઈ આવ્યા છે — ખાસ કરીને તો ઇન્દ્રને, આપણી પ્રાચીન કથાવાર્તાઓમાં આવતું હતું કે જ્યારે જ્યારે કોઈ ઋષિ તપ કરે ત્યારે ત્યારે ઇન્દ્રને પોતાનું આસન જતું રહેશે એવો ડર લાગતો હતો અને એટલે જ તે એ ઋષિનો તપોભંગ કરવા મેનકા, રંભા જેવી કોઈ અપ્સરાને મોકલતા હતા. પુરાણોમાં ઇન્દ્રનું વ્યક્તિત્વ એટલું બધું પ્રશંસનીય ન ગણી શકાય, કેટલીક વખત તો તે વ્યભિચારી પણ પુરવાર થતા હતા — દા.ત. અહલ્યા જેવાના કિસ્સામાં, પરંતુ અહીં ઇન્દ્રનું ચરિત્ર ઉજ્જ્વળ બતાવ્યું છે. વેસ્સન્તર જેવાને મદદ કરવા માટે તેમને ખડેપગે તૈયાર બતાવ્યા છે. અહીં જો કે એક બીજો પ્રશ્ન પણ થાય કે વેસ્સન્તરે ભલે સાવ નાની વયે પોતાનાં હૃદય, પોતાની આંખો કોઈ માગે તો આપી દેવાની તત્પરતા દાખવી હતી પણ સમગ્ર કથામાં તે દાન વૈયક્તિક ભૂમિકાએ નથી કરતા. આરંભે હાથી, ઘોડા, રથ વગેરેનું દાન સ્થૂળ સંપત્તિનું દાન ગણાય, પછી જ બાળકોનું કે માદ્રીનું દાન ઊંચા પ્રકારનું દાન ગણાય. સ્વજનોનંુ દાન તો દાન પારમિતાની પરાકાષ્ઠા આણવા માટે જ થાય છે. સંતાનો અને પત્નીની રક્ષા કરવી એ તો પુરુષની પ્રાથમિક ફરજ ન ગણાય? બાળકોને મારતો મારતો લઈ જતો બ્રાહ્મણ, વારે વારે બ્રાહ્મણના પંજામાંથી છટકી જતાં બાળકો — દર વખતે વેસ્સન્તર તટસ્થ જ રહે છે, શા માટે? બોધિસત્ત્વ બનવાની મહત્ત્વાકાંક્ષા આના મૂળમાં હશે? ‘મહાવેસ્સન્તર જાતક’ કૃતિ બીજી જાતક કથાઓની તુલનામાં દીર્ઘ છે. ભારતીય કથાપરંપરાની જાણીતી લાક્ષણિકતાઓ — વાર્તામાં વાર્તા, દૃષ્ટાંતકથાઓ, બોધકથાઓ અહીં જોવા નહીં મળે. સીધી લીટીએે ગતિ કરતી કથા જોવા મળે છે, વચ્ચે વચ્ચે સામાજિક વાસ્તવનાં ચિત્રણો છે, તે સમયે જોવા મળેલી પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિને કારણે વૈવિધ્ય પ્રવેશ્યું છે; પ્રકૃતિ સાથેની એકરૂપતા વિવિધ પાત્રો દ્વારા વર્ણવાઈ છે. અને આવા પૂર્વજન્મોને કારણે ગૌતમ બુદ્ધનું વ્યક્તિત્વ અસામાન્ય રીતે અહીં પ્રગટી શક્યું છે. આમાંની કેટલી બધી કથાઓ એક જમાનામાં પ્રચલિત હતી. દા.ત. મરેલા ઉંદર વડે શ્રીમંત થયેલા પ્રામાણિક માનવીની કથા, છેતરપિંડી કરીને માછલીઓ ખાઈ જનારા બગલાની વારતા, મચ્છર મારવાને બદલે બાપના માથા પર શસ્ત્રનો ઘા કરનારા મૂરખ પુત્રની વારતા, માથામાં ધોળો વાળ જોઈને નિવૃત્ત થવા માગતા રાજાની વારતા, વાંદરીએ ઉઠાવેલો હાર પાછો મેળવવામાં સફળ થતા મંત્રીની વારતા, લોકોના વિનોદાર્થે, ગૌતમ બુદ્ધના પૂર્વજન્મ સાથે જરાય સંબંધ ન હોય એવી વારતા- જેમાં શૌચ સરખી રીતે કરનારી સ્ત્રી સાથે પરણવા માગતા રાજાની વારતા (સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ આવી વાર્તાઓને ગ્રામ્યતાના દૃષ્ટાંત રૂપે ઓળખાવી છે), સુવર્ણહંસનાં પીંછાં વારાફરતી મેળવવાને બદલે એક સામટા મેળવવા માગતી સ્ત્રીની કથા, વેર વાળવા માટે કાગડા જેવું પક્ષી આખો સમુદ્ર ખાલી કરાવી નાખે, ગૃહિણીઓના વ્યભિચાર રોકવા માગતા પોપટના નિષ્ફળ પ્રયાસ, મૃત હાથીની ગુદામાં પ્રવેશ કરી કેદ થઈ જતા માંસલોભી શિયાળની કથા, કુહાડી-ઢોલ, દહીંની માટલી કરી કેદ થઈ જતા માંસલોભી શિયાળની કથા, એક જ રાતમાં ત્રણ વેદ કેવી રીતે ભણી શકાય તેની કથા, સિંહનું ચામડું ઓઢી ફરતા ગધેડાની કથા, બે હંસ પોતાની ચાંચમાં કાચબાને ઉપાડીને જાય છે તેની કથા, મગરીને રાજી રાખવા વાનરનું કાળજું ખવડાવવા માગતા મગરની કથા, કોઢિયા પતિને પોતાને ખભે બેસાડીને વેશ્યાને ઘેર લઈ જતી પતિવ્રતાની જેમ પ્રિયતમાના વરને પોતાની પીઠ પર બેસાડતા ગરુડની કથા, હરણીએ પ્રાર્થના કરીને પોતાના પ્રિયતમને કેવી રીતે શિકારીના પંજામાંથી છોડાવ્યો તેની કથા, માબાપનું કહ્યું ન કરીને બાળક ગીધ કેવી રીતે મૃત્યુ પામ્યો તેની કથા, એવી જ રીતે માબાપનું કહ્યું ન માની મૃત્યુ પામનાર પોપટની કથા, પોતાના માતાપિતાના હત્યારા રાજાને મારી નાખવા તૈયાર થયેલા રાજકુમારને પિતાનું વચન યાદ આવતાં અહિંસાનો માર્ગ અપનાવતા દીર્ઘાયુકુમારની ખૂબ જાણીતી કથા, પ્રિયતમાનું નામ જાણો તો જ રાજા તેને પરણી શકે એવી શરતવાળી ‘આસંક’ કથા. આ જાતકને આધારે ઉમાશંકર જોશીએ ‘આશંકા’નામનું પદ્યનાટક રચ્યું હતું. વાંદરો અને સુગરીની બાળકોમાં ખૂબ જાણીતી કથા, પૃથ્વી ઊલટી થઈ રહી છે એવું માનીને ભાગતા સસલાની કથા, એવી જ રીતે અનાગત ભયથી કાંપતા વૃક્ષદેવતાની કથા, માનવીની કૃતઘ્નતા અને પ્રાણીઓની કૃતજ્ઞતા વ્યક્ત કરતી કથાઓ, લોખંડ ઉંદરો ખાઈ જઈ શકે તો ચકલી બાળકને ઉપાડી પણ જાય એની ચતુરાઈભરી કથા, હસ્તિશિલ્પ શીખવાડેલા આચાર્ય સાથે સ્પર્ધા કરવા તૈયાર શિષ્યની કથા(આની સાથે ગુત્તિલ ગંધર્વની કથા સરખાવી શકાય.) જેવી રીતે છ આંધળાઓએ હાથીને સ્પર્શીને તેના જુદા જુદા આકારની કલ્પના કરી તેવી રીતે જુદા જુદા સમયે કેસૂડાનું વૃક્ષ જોનારી વ્યક્તિઓની કથા, માળીની કન્યાને પટરાણી બનાવતા રાજાની કથા, પરંપરાથી ચાલી આવતા કાગડા અને ઘુવડની કથા; સિંહ અને બળદની મૈત્રી તોડાવનાર લુચ્ચા શિયાળની કથા (પાછળથી પંચતંત્રથી જાણીતી કથામાળા — મિત્રભેદ), ચંદ્રનું નામ શશાંક કેમ પડ્યું તેની કથા, ગુરુને નીચે બેસાડીને શીખવાથી વિદ્યા ન આવે તેની કથા, સ્ત્રીનું સતીત્વ નષ્ટ કરો તો વિજય મળે તેની કથા, લાંચરુશ્વત ત્યારે પણ હતાં તેની જાણ કરતી અસિલક્ખણ જાતકની કથા, પોતાના શીલવ્રત વડે પતિનો કોઢ દૂર કરતી સ્ત્રીની કથા, દિવસે રાજપુરુષો લૂંટે અને રાતે ચોર લૂંટે — આમ બેવડી રીતે ભીંસાતી પ્રજાની કથા, મહાભારતમાં સુકાઈ ગયેલા શીમળાને ત્યજી ન જવા માગતા પોપટની કથા આવે છે તેવી રીતે અહીં પણ શુકરાજ ફળ વિનાના વૃક્ષને ત્યજી નથી શકતો તેની અને ભદ્રશાલ વૃક્ષ પોતે કપાઈ જઈને પણ બીજાં વૃક્ષોને બચાવવા માગે છે તેની કથા જોવા મળશે. જેવી રીતે કર્ણ પોતાની ઓળખ બ્રાહ્મણ તરીકે આપીને પરશુરામ પાસે વિદ્યા શીખે છે તેવી રીતે અહીં પણ ‘ચિત્તસંભૂત જાતક’માં ચાંડાળો પોતાની જાતિ છુપાવીને વિદ્યા શીખવા મથે છે તેની કથા, એક આંખ માગે તો બંને આંખ આપી દેતા ઉદાર માનવીની કથા (શિવિ જાતક) પણ છે. આમાંની ઘણી કથાઓમાં લોકકથાઓની પુષ્કળ સામગ્રી જોવા મળશે. રાક્ષસની કેદમાં રહીને પણ સ્ત્રીએ પરપુરુષનાં પડખાં સેવ્યાં, અરેબિયન નાઇટ્સમાં આવી કથા આવશે, એવી જ રીતે સાવકી મા ખોટી રીતે બળાત્કારનું આળ સાવકા પુત્ર ઉપર ચઢાવે એ કથાઘટક ઘણી બધી કથાઓમાં જોેવા મળશે; ક્યાંક સાવકી મા વ્યભિચારિણી હોય તો ક્યાંક વ્યભિચારિણી રાણી ચોસઠ પુરુષોનો સહવાસ માણી પુરોહિતને પણ માયાજાળમાં લપેટવા જાય ત્યારે પુરોહિત ન ફસાય, રાણી પુરોહિત પર આળ મૂકે. કેટલીક કથાઓ નાનામોટા ફેરફારો સાથે દશકુમાર ચરિત જેવામાં પણ ચાલી આવે છે. દા.ત. ચુલ્લપદુમ જાતકમાં પિતાએ કાઢી મૂકવાથી સાત ભાઈઓ પોતાની પત્નીઓને લઈને વનમાં ચાલી જાય છે અને ત્યાં અન્નપાણી ન મળતાં છ ભાઈઓ પોતાની પત્નીઓને મારીને ખાઈ જાય છે જ્યારે સાતમો ભાઈ પત્નીને લઈને વનમાં ચાલી જાય છે, ભૂખીતરસી પત્નીને પોતાનાં લોહીમાંસ આપીને જીવતી રાખે છે, એ જ પત્ની હાથપગ કપાઈ ગયેલા પુરુષના પ્રેમમાં પડીને પોતાના પતિને મારી નાખવાના પ્રયત્ન કરે છે, પણ તે પુરુષ (બોધિસત્ત્વ) બચી જાય છે અને પેલી સ્ત્રી પોતાના કહેવાતા પતિને ખભે ઊંચકીને ભીખ માગે છે અને પોતાને પતિવ્રતા તરીકે ઓળખાવે છે! દશકુમાર ચરિતમાં ચાર ભાઈઓની આવી જ કથા જોવા મળશે. બોધિસત્ત્વે પોતાના પૂર્વજન્મોમાં જે અવતારો લીધા તે માત્ર માનવીરૂપે ન હતા. હરણ, કૂતરા, હાથી, કાગડા, ઉંદર જેવાં પ્રાણીઓ રૂપે પણ અવતાર લીધા હતા. આ કથાઓનો પ્રભાવ રામાયણ જેવાં મહાકાવ્યો ઉપર પણ પડ્યો હતો. રામાયણમાં ઋષ્યશૃંગની કથા ખૂબ જ જાણીતી છે. અલંબુસા જાતક અને નળિનિકા જાતકમાં એ જ કથા જોવા મળશે. જો કે નળિનિકા જાતકમાં કથાસામગ્રી અશ્લીલ નિરૂપણની નજીક જઈ પહોંચે એવી છે. આપણને પ્રશ્ન એ થાય કે આવી કથા જાતકમાં સમાવિષ્ટ કેવી રીતે થઈ હશે! એક જમાનામાં જાતક કથાઓ પૂર્વમાધ્યમિક અને માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં આવતી હતી. ભારતીય વિદ્યાર્થીઓ વારાણસીથી અને ત્યાંના રાજા બ્રહ્મદત્તથી ખાસ્સા પરિચિત થયા હતા પણ વિદ્વાનોની વાત માનીએ તો આવો કોઈ રાજા થયો જ ન હતો, વાર્તા કહેવાની આ એક રૂઢિ હતી. વળી જેવી રીતે આપણા લોકસાહિત્યમાં ગર્ભાધાનથી માંડીને મરણોત્તર જીવનનાં સઘળાં પાસાંનો સમાવેશ થયો છે તેવી રીતે જાતક સાહિત્યમાં પણ આપણા જીવનનાં સઘળાં પાસાંનો સમાવેશ થયો છે. ઋગ્વેદથી માંડીને પુરાણ સાહિત્યમાં ઇન્દ્રનો ભારે મહિમા છે. આ ઇન્દ્ર હકારાત્મક અને નકારાત્મક ભૂમિકાઓમાં છે. મોટે ભાગે ઋષિઓનો તપોભંગ કરવા તે સ્વર્ગમાંથી અપ્સરાઓને પૃથ્વી પર મોકલતા હતા. આપણા એક પુરાણ દેવી ભાગવતમાં તો તે પોતાની પુત્રી જયંતીને શુક્રાચાર્ય પાસે દેવોનો સ્વાર્થ સાધવા મોકલે છે! જાતક કથાઓમાં ઇન્દ્ર આવે છે પણ તે નકારાત્મક ભૂમિકાઓને બદલે હકારાત્મક ભૂમિકાઓમાં દેખાય છે. એ રીતે જોઈએ તો જાતક-કથાસાહિત્યે વૈદિક પરંપરાઓને પણ સમાવી છે. તપ કરવા કે ધ્યાન ધરવા બેઠેલી વ્યક્તિઓના માર્ગમાં અવરોધ ઊભા કરવાનાં દૃષ્ટાંતો જાણીતાં છે. બુદ્ધની સામે મારસેનાના આક્રમણની કથા અત્યંત પ્રચલિત છે. તત્ત્વજ્ઞાનમાં, શ્રીમદ્ ભગવદ્ગીતામાં ષડરિપુઓ- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરની વાત અવારનવાર આવે છે. પુનરપિ જન્મં પુનરપિ મરણંવાળી વાત ભલે શંકરાચાર્યે કહી હોય પણ અવારનવાર જન્મ લેવાની ઘટનાને જાતકસાહિત્યમાં પણ દુઃખદ જ કહી છે. એ વાત સાચી કે બધાં જ મનુષ્યો મહાનિર્વાણ, મોક્ષ, મહાપ્રસ્થાન સિદ્ધ કરી શકતાં નથી, બધાં જ માનવીઓ ઉદાર બનીને દાન આપી શકતાં નથી. મહાવેસ્સન્તરનો નાયક, પુરાણોના હરિશ્ચન્દ્ર, શિબિ, જીમૂતવાહન જેવી વ્યક્તિઓ બધે, બધો સમય જોવા ન મળે પણ સાથે સાથે એવું પણ માનવું કે સામાન્ય માનવીઓના જીવનમાં પણ કેટલીક વખત આવી ઘટનાઓ બને છે. ‘કુરુધમ્મ જાતક’માંથી પસાર થઈએ ત્યારે જણાય છે કે અત્યંત સંવેદનશીલ માનવીને સાવ ક્ષુદ્રતમ અપરાધ, સાવ અજાણતાં થયેલો અપરાધ પણ કેટલો બધો યાતનાદાયક થઈ પડે છે. બધા માનવી નિર્ણયો કરવાને સ્વતંત્ર નથી હોતા પણ જેઓ સમજઅણસમજથી નિર્ણય કરવાની સ્વતંત્રતા ધરાવે છે તે સાચા અર્થમાં માનવતાવાદી અભિગમ ધરાવે છે એમ કહી શકાય. જાતક સાહિત્યમાં જે બધી પારમિતાઓના નિર્દેશ આવે છે તે બધાનો સાર પાંચ શીલ (અસ્તેય, અપરિગ્રહ વગેરે)માં છે. આવા આદર્શનો સૌ પ્રથમ નિર્દેશ કદાચ ઈશાવાસ્ય ઉપનિષદમાં જોવા મળે છે. એવા શીલ આદર્શ છે, શક્ય તેટલે અંશે એ શીલ પાળવા એ દરેક સમજુ વ્યક્તિનો ધર્મ છે. એવી વ્યક્તિનું મહાનિર્વાણ કેવું હોય? બુદ્ધ જેવી વ્યક્તિના મહાનિર્વાણ સમયે તેમના શરીરની કાંતિ ખૂબ જ ઉજ્જ્વળ બને છે. વળી બધા ભિક્ષાપિંડોના દાનમાં બે દાનને ગૌતમ બુદ્ધે શ્રેષ્ઠ દાન કહ્યાં છે. જે ભિક્ષાપિંડનો આહાર કર્યા પછી બોધિ પ્રાપ્ત થાય અને જેનો આહાર પામ્યા પછી ભગવાનનું નિર્વાણ થાય. બોધિપ્રાપ્તિની વાત તો સુજાતા જાતકને કારણે બહુ વિખ્યાત બની છે.

જેવી રીતે મહાભારતમાં પંચતંત્ર પ્રકારની કથાઓ છે તેવી રીતે જાતકમાં પણ એવી કથાઓ છે. ‘કુરંગમિગ’ જાતકમાં હરણને લોભાવવા શિકારી કેટલા બધા પ્રયત્ન કરે છે, એવી જ રીતે બક ‘જાતક’માં લુચ્ચાઈથી બગલો તળાવની માછલીઓ ખાઈ જાય છે પણ છેવટે એક કરચલો તેને ગળે વળગીને મારી નાખે છે. આમ જોવા જઈએ તો બુરાઈનો બદલો દરેકને મળે જ છે. ક્યારેક મૂર્ખાઈનાં પરિણામ કેવાં આવે છે તે ‘મકસ’ અને ‘રોહિણી’ જાતકમાં જોવા મળશે. વ્યક્તિ સાવ નાની ઘટનાથી કેવી ડરી જાય છે તે એક જાતકમાં જોવા મળે છે. સાવ નાની લાકડી પડવાથી હાથી જેવો હાથી કેવો ડરી ગયો હતો! દદ્દભ જાતકની કથામાં તો વડનો ટેટો પડવાથી સસલાએ માની લીધું કે પૃથ્વી ઊંધી થઈ ગઈ છે, અને સસલાની વાતમાં આંધળો વિશ્વાસ મૂકીને વનનાં પ્રાણીઓ ભાગવા માંડે છે ત્યારે સિંહ રૂપે જન્મેલા બોધિસત્ત્વ બધાંને સાચી વાતનો ખુલાસો કરે છે. કેટલીક વખત માછલીઓ ઉપદેશ આપવામાં નિપુણ હોય છે પણ પોતાની જાતને બચાવી શકતી નથી. ‘અનુસાસિક’ જાતકમાં બીજાઓને ઉપદેશ આપનારી ચકલી પોતે જ મરી ગઈ. આકાશમાં બહુ ઊંચેથી જોઈ શકનાર બાજ પક્ષી પાસેનું કશું જોઈ શકતું નથી. એવી જ રીતે વિદ્યા હોય પણ તેનો વિનિયોગ કરતાં શું પરિણામ આવશે તેનો વિચાર ન કર્યો હોય તો મૃત્યુ આવી પડે. ‘સજ્જીવ જાતક’માં મંત્રવિશારદ મરેલા વાઘને જીવતો કરે છે પણ વાઘ તેને જ ખાઈ જાય છે. કેટલીક કથાઓ આપણાં મહાકાવ્યોની કથાઓને મળતી આવે છે. દા.ત. ‘દેવધમ્મ’ જાતકનો પૂર્વાર્ધ રામાયણ આધારિત છે અને ઉત્તરાર્ધ મહાભારત આધારિત છે. ‘નલપાણ જાતક’ પણ એવી જ કથા વર્ણવે છે. તળાવમાં રહેતો રાક્ષસ પાણી પીવા તળાવમાં ઊતરે તેને મારી નાખતો હતો. કેટલીક કથાઓ આપણને આઘાત પણ આપે. ‘અંડભૂત’ જાતકમાં જુગાર રમતા પુરોહિત અને રાજાની કથા છે. દર વખતે પુરોહિત જીતી જાય તો રાજા શું કરે? પુરોહિતની કન્યાનું સતીત્વ નષ્ટ પામે તો જ રાજા જીતી શકે અને રાજા એ કન્યાનું સતીત્વ નષ્ટ કરાવે છે. ભારતીય પુરાણોમાં પણ જાલંધર આખ્યાનમાં વૃંદાનું સતીત્વ નષ્ટ થાય તો જ રાક્ષસનું મૃત્યુ થાય એવી કથા છે. અહીં આ કથાઓ બૌદ્ધ ધર્મની હોવા છતાં મોટા ભાગની કથાઓ સાંપ્રદાયિકતા ધરાવતી નથી. પણ સાથે સાથે વ્યાપક ભૂમિકાએ તે માનવતાવાદી અભિગમ ધરાવતી કથાઓ બની રહે છે. ‘નિગ્રોધમૃગ’ જાતકમાં હરણ રૂપે જન્મેલા બોધિસત્ત્વ કેવી રીતે પોતાના સાથીઓને જ નહીં પણ ધરતી પર, પાણીમાં, આકાશમાં રહેતાં બધા જ જીવોને મુક્તિ અપાવે છે તેની અદ્ભુત કથા છે. એવી જ રીતે ‘અભિણ્દ જાતક’ કૂતરા અને હાથીની મૈત્રીની વાત કરશે, ‘મહાસીલવ જાતક’ કાશીનરેશ સત્યાગ્રહી નીતિ દ્વારા કેવી રીતે દુશ્મન રાજાને નમાવે છે તેની વાત કહેશે, ‘ઉચ્છંગ જાતક’માં તો સામાન્ય રીતે ન જોવા મળતી વ્યવહારનીતિ છે, એક સ્ત્રી પતિ અને પુત્રને બચાવવાને બદલે ભાઈને બચાવવા માગે છે. અંગ્રેજી કહેવત છે — વ્હોટ ઇઝ ધેઅર ઇન અ નેઇમ ‘નામસિદ્ધિ’ જાતક પણ આવી જ કથા કહેશે. પાપકને પોતાનું નામ ગમતંુ નથી એટલે નામ બદલવા માગે છે પણ જે જે નામધારી માનવીઓને જુએ છે તો તેમનાં નામ દ્વારા સૂચવાતા વ્યક્તિત્વ જોવા મળતાં જ નથી એટલે છેવટે પોતાનું નામ છે તેવું ને તેવું જ રાખવાનો નિર્ધાર કરે છે. પિતા પુત્રીના કૌમાર્યની પરીક્ષા કરે છે એવી પણ કથા જોવા મળશે. પવિત્ર સ્ત્રીઓની કથા તો છે જ સાથે સાથે ચતુર, છેતરપિંડી કરવામાં નિપુણ સ્ત્રીઓ પણ જોવા મળશે. ‘બન્ધનમોક્ખ’ જાતકમાં રાજાને છેતરી ચોસઠ પુુરુષો સાથે સહવાસ માંડી બેઠેલી સ્ત્રીની કથા જોવા મળશે. અરેબિયન નાઇટ્સમાં પણ આવી કથા જોવા મળશે.‘મૃદુ પાણી’ જાતક પણ રાજા પુત્રી પર શંકા કરી કડક જાપ્તો રાખે છે તો પણ પેલી કન્યા ભાગી નીકળે છે. અહીં સાહસ, ચતુરાઈ, બુદ્ધિનો પરિચય કરાવતી કથાઓ છે- ‘અપ્પણક’ જાતકમાં બે વણઝારાની કથામાં હોશિયાર વણઝારો કેવી રીતે બચી જાય છે તેની કથા છે, ‘મહાસાર’ જાતકમાં રાણીનો હાર લઈ ગયેલી વાંદરી પાસેથી અમાત્ય કેવી રીતે હાર મેળવે છે તેની કથા છે, અસદિસ કુમારની ધનુુવિર્દ્યાનો પરિચય પણ અહીં થાય છે. મરેલા ઉંદર વડે પણ શ્રીમંત થઈ શકાય તેવી પ્રેરક કથા ‘ચુલ્લસેઠ્ઠિ જાતક’માં મળે છે. તે સમયે સતી સ્ત્રીઓની સાથે સાથે વ્યભિચારી સ્ત્રીઓ પણ હતી રાધ જાતકમાં વ્યભિચારી બ્રાહ્મણના ઘરમાંથી બે પોપટ જતા રહ્યા તેની કથા છે, તે સમાજમાં લાંચરુશ્વતની બદી પણ જોવા મળતી હતી તેનું પ્રમાણ અસિલખ્ખણ જાતક પૂરું પાડશે. ‘વેર વેરથી ન શમે, વેર અવેરથી જ શમે’ એ બોધવચનને મૂર્ત કરતું કથાનક ‘દીધિતી’ જાતક છે. ‘ગામણીચંડ’ જાતકમાં લોકકથાઓની સામગ્રી ભરચક છે, તેમાં ઘણા બધા જીવ પોતાની આપત્તિઓના ઉકેલ શોધી લાવવાની કામગીરી નાયકને સોંપે છે. આપણી કેટલી બધી લોકકથાઓમાં આ પ્રકારની સામગ્રી જોવા મળે છે. પુરાણોમાં શ્રીમદ્ભાગવતનો મહિમા અપરંપાર છે, કૃષ્ણભકિતનો અસામાન્ય રીતે ભારતભરમાં પ્રચાર થયો. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ ગમે તેટલા સમૃદ્ધ હોય તો પણ પ્રસ્તુતિપ્રધાન કળાઓમાં એ ધર્મોની અસર જૂજ હતી પરંતુ કૃષ્ણભક્તિ તો પ્રસ્તુતિપ્રધાન કળાઓમાં બહુ વ્યાપક બની. હવે આપણો પ્રશ્ન એ છે કે કૃષ્ણની કથા આવી ક્યાંથી. ‘ઘતજાતક’માં કૃષ્ણ અને હંસની કથા જોવા મળે છે. બની શકે કે ઘત જાતકમાંથી પણ તે અન્યત્ર વિકસી હોય. ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ પદ્ધતિનાં અનિષ્ટો હજુ એકવીસમી સદીમાં પણ ચાલુ રહ્યાં છે. સ્વાભાવિક રીતે ઈ.સ. પૂર્વેના ગાળામાં બ્રાહ્મણ જાતિનું વર્ચસ વિશેષ હોય. કર્ણ પોતે પરશુરામ પાસે વિદ્યા શીખવા બ્રાહ્મણ છું કહીને જાય છે. એક જાતકમાં ચાંડાલપુત્રો જાતિ છુપાવી વિદ્યા મેળવે છે તેનો નિર્દેશ જોવા મળે છે. રામાયણમાં આવતી દશરથ અને શ્રવણની કથા બહુ જાણીતી બની છે. ‘સામ’ જાતકમાં પણ આ કથા સાથે ઘણી બધી રીતે મળતી આવે એવી કથા છે. રામાયણમાં શ્રવણ મૃત્યુ પામે છે પણ અહીં રાજાના તીરથી ઘવાયેલો સામ બીજાં પાત્રોની સત્યક્રિયા વડે પુનર્જીવિત થાય છે. આવી રીતે જુદી પડતી કથાઓ સામે કોઈ વાંધો ન લે પણ ‘રામપંડિત’ જાતકમાં દશરથ રાજાની પુત્રી તરીકે સીતાનો ઉલ્લેખ આવે છે, એ રીતે જોતાં રામ અને સીતા ભાઈબહેન બન્યા કહેવાય, પણ આ જાતકને બહુ ગંભીરતાથી લેવા જેવું નથી. ‘મહાવેસ્સંતર’ જાતકમાં નાયિકા માદ્રી પોતાની જાતને સીતા સાથે સરખાવે છે. દેખીતું છે કે વનવાસ ભોગવતા રામ-સીતા-લક્ષ્મણની જ વાત આ જાતકમાં પણ ચાલી આવી છે. શાસકનું કર્તવ્ય શું? જો શાસક પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારી ન નભાવે તો પ્રજા બળવા સુધી પહોંચી શકે. ‘ગંડતિન્દુ’ જાતકમાં પ્રજા પ્રત્યે ઉદાસ થઈ ગયેલા રાજાને બોધિસત્ત્વ કેવી રીતે સાચા રસ્તે આણે છે. આ બધી જ જાતકકથાઓના કેન્દ્રમાં માત્ર માનવી જ નહીં પણ પ્રત્યેક જીવ (વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ સમેતના જીવ) માટે કરુણાનો ભાવ છે. એટલું જ નહીં, ભલે ઉત્ક્રાન્તિના સર્વોચ્ચ શિખરે માનવીને સ્વીકારવામાં આવ્યો હોય પણ બધા જીવ સમાન છે, એ સત્ય અહીં ભારપૂર્વક સૂચવાયું છે અને એટલે જ કેટલી બધી જાતક કથાઓમાં બોધિસત્ત્વે ઉચ્ચ કુટુંબથી માંડીને સાવ સામાન્ય કુુટુંબમાં જન્મ લીધો હતો, એટલું જ નહીં, સિંહ, હાથીથી માંડીને કાગડા જેવા જીવ રૂપે પણ જન્મ લીધો હતો. વળી પ્રાણીઓ વચ્ચેની મૈત્રી પણ અહીં સૂચવાઈ છે. કૃતજ્ઞતા માત્ર માનવીઓ જ દાખવી શકે એમ નથી. પ્રાણીઓ પણ કૃતજ્ઞ હોઈ શકે છે, અને માનવીઓ કૃતઘ્ન હોઈ શકે છે. પર્યાવરણીય સમતુલા માટે માનવજાત મોડી મોડી સભાન થઈ છે, પણ જાતકકથામાં સૂચક રીતે આ સમતુલાની વાત જોવા મળશે. વ્યગ્ધ જાતક આવા એક મૂર્ખ અને એક શાણા વૃક્ષદેવતાની વાત કરશે. વાઘ અને સિંહને કારણે વનમાં ભારે દુર્ગન્ધ થતી હતી, વૃક્ષદેવતા વાઘસિંહને ડરાવીને વનની બહાર મોકલી દેવાની વાત કરે છે, બોધિસત્ત્વ તેને સમજાવે છે કે વાઘસિંહ છે તો વન નિર્ભય છે, મનુષ્યનું આગમન થતું ન હતું પણ જ્યાં વાઘ-સિંહ ગયા એટલે વનમાં મનુષ્ય-પ્રવેશ્યા અને વનનું સત્યાનાશ વળી ગયું. આ વાત વીસમી સદીમાં પણ જોવા મળી ને! આ સૃષ્ટિમાં જે કંઈ છે તે બધું જ ઉપયોગી છે, કશું નિરર્થક નથી. ‘જીવક કુમારભૃત્ય’ જાતકમાં ગુરુદક્ષિણામાં શિષ્ય પાસે માગવામાં આવે છે કે આ પાવડો લઈને આસપાસનાં વિસ્તારમાંથી કશા કામની ન હોય એવી એક બે વનસ્પતિ લાવી દે. જીવકને સાવ નિરુપયોગી હોય એવી એકેય વનસ્પતિ ન મળી. પ્રકૃતિના આ સર્જનમાં કશું પણ બિનજરૂરી નથી એ આ રીતે સૂચવાઈ ગયું. કેટલાક જાતક સાવ જુદા પ્રકારના છે. દા.ત. વિધુર પંડિત જાતકના કેન્દ્રમાં મહાબુદ્ધિશાળી વિધુર પંડિત નામનો અમાત્ય છે. અહીં તેમના વિશે એવું કહેવાયું છે કે જેવી રીતે હસ્તિકાન્ત વીણાના મંજુલ ધ્વનિથી હાથી મંત્રમુગ્ધ થઈ જાય તેવી રીતે સમગ્ર જંબુદ્વીપના રાજાઓને તે પોતાના ઉપદેશથી આનંદ આપતો હતો. એ જ વારાણસીમાં ચાર ગૃહસ્થો પ્રવજ્યા લઈને પોતાની શ્રેષ્ઠતા વિધુરપંડિત પાસે પુરવાર કરાવવા ગયા અને પંડિતે ચારેયની વિદ્વત્તા સ્વીકારી. બધાએ જુદી જુદી ભેટો આપી, તેમાં નાગરાજે પોતાનો અમૂલ્ય મણિ આપ્યો, સ્વાભાવિક રીતે નાગરાજની પત્નીએ મણિ વિશે પૂછ્યું ત્યારે નાગરાજે વિધુર પંડિતની બહુ પ્રશંસા કરી. નાગરાણી વિમલાને પંડિતનો ઉપદેશ સાંભળવાનું મન થયું, પણ એમ તો વિધુર પંડિત આવે નહીં એટલે તેણે પંડિતના હૃદયનું માસ ખાવાનો દોહદ થયો છે એવું બહાનું કાઢ્યું. આપણને મગર અને વાનરની કથા યાદ આવી જાય. પણ નાગરાજ કોઈ રીતે પંડિતને પોતાના ભવનમાં લાવવાનો ઉપાય વિચારી ન શક્યા ત્યારે તેમણે પોતાની પુત્રી ઈરન્દતિની મદદ લીધી. પુત્રી પંડિતને લાવી શકે એવા પતિને શોધવા નીકળી. પુણ્યક નામના કુબેરના ભાણેજે પંડિતને લઈ આવવાનું બીડું ઝડપ્યું. પોતાનું નામ માણવક બતાવીને વારાણસીના રાજા સાથે જૂગટું રમે છે અને એમાં રાજાએ હોડમાં મૂકેલા વિધુર પંડિતને જીતી લે છે. આ ઘટના આપણને નળ રાજાનાં અને યુધિષ્ઠિરનાં જૂગટાંની યાદ અપાવે. પંડિતે ત્રણ દિવસની મુદત માગી અને એ દિવસોમાં બધાને ધર્મોપદેશ આપ્યો. બીજી બાજુ માણવકે પંડિતને ભૈરવરૂપ બતાવીને તેને પરાજિત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેને નિષ્ફળતા મળી. પુણ્યક બધી વાત માંડીને કહે છે અને પંડિતને વારાણસી જતા રહેવા પણ કહે છે. વિધુર પંડિતને ખ્યાલ આવી જાય છે કે નાગરાણીને મારું હૃદયમાંસ નથી જોઈતું પણ મારી પાસેથી ઉપદેશ સાંભળવા માગે છે એટલે તે નાગભવન જાય છે અને રાણીને ઉપદેશ આપી પ્રસન્ન કરે છે. આ જાતકમાં કથાતત્ત્વ ઓછું છે અને ઉપદેશ વિશેષ છે. ‘મહાઉમ્મગ્ગ’ જાતક સાવ જુદા પ્રકારનું, એક કરતાં વધારે કથાઓવાળું છે. મિથિલામાં વિદેહ નામના રાજા પાસે ચાર પંડિત છે, બોધિસત્ત્વ જ્યારે પૃથ્વી પર અવતરવાના થયા ત્યારે રાજાને સ્વપ્ન આપ્યું. પંડિતોએ સમજાવ્યું કે કોઈ મહાન આત્મા ધરતી પર અવતરશે. મહાભારતમાં કવચકુંડળ સાથે જન્મેલા કર્ણની વાત આવે છે. અહીં ઔષધિ સાથે જન્મેલા બોધિસત્ત્વની કથા છે. તેની ઔષધિઓ વડે ઘણા રોગી નીરોગી બન્યા. આવી રીતે જન્મેલા બોધિસત્ત્વનું નામ મહોષધ પાડવામાં આવ્યું. નાની ઉમરમાં જ તેમણે શાળા, પુષ્કરિણી અને ઉદ્યાનનું અદ્ભુત આયોજન કર્યંુ. અમાત્યે રાજાના સ્વપ્ન અને મહોષધના જન્મનો મેળ ખવડાવ્યો. રાજા આવા મહોષધને પોતાને ત્યાં આણવા માગતો હતો પણ ઈર્ષ્યાળુ પંડિતો રાજાને જુદાં જુદાં બહાનાં કાઢી મહોષધને દૂર રાખતા હતા. રાજા પાસે જુદી જુદી રીતે પરીક્ષા કરાવી. આપણી લોકકથાઓમાં આવી પરીક્ષાઓ જાણીતી છે. બધી પરીક્ષાઓમાં મહોષધ સફળ થાય છે. રાજાની રાણી ઉદમ્બરાને મહોષધ માટે વહાલ છે. રાણી હવે મહોષધનું લગ્ન કરાવવા માગે છે પણ મહોષધ કન્યા શોધવાની જવાબદારી પોતાના સાથે જ લઈ લે છે. હરિવલ્લભ ભાયાણીના સંચય ‘કમળના તંતુ’માં ‘કન્યાનું પારખું’ નામે આ કથા જોવા મળે છે. આવી કથાઓમાં જોવા મળે તેમ રાજા કોઈક રીતે નાખુશ થયો અને પંડિત ત્યાંથી ભાગી નીકળ્યા. પણ મહોષધની પત્ની અમરા રાજા આગળ ચોખવટ કરી પતિની નિર્દોષતાની પ્રતીતિ કરાવે છે. હવે કથામાં સંઘર્ષનું તત્ત્વ ઉમેરાય છે, એને પરિણામે જાતક વધુ રસપ્રદ અને નાટ્યાત્મક બને છે. ક્યાંક બ્રહ્મદત્ત રાજા છે અને તેનો કુટિલ પુરોહિત કેવટ છે. આ કેવટ બ્રહ્મદત્ત રાજાને ચક્રવર્તી બનાવવા માગે છે, બીજા બધા રાજાઓને ઝેર આપવાનું ષડયંત્ર કરે છે, પણ મહોષધ બધા રાજાઓને યુક્તિપૂર્વક બચાવી લે છે. બ્રહ્મદત્ત રાજા મિથિલા પર આક્રમણ કરવા આવે છે પણ મહોષધની યોજનાઓ એ રાજાને ફાવવા દેતી નથી. એક બીજો રસ્તો કેવટ સૂચવે છે. મહોષધ અને કેવટ — આ બે જ જણ આમને સામને આવી જાય, પણ મહોષધ કેવટને પરાજિત, અપમાનિત કરે છે. હવે કેવટ બીજું કાવતરું કરે છે, બ્રહ્મદત્તની પંચાલચંડી નામની અદ્ભુત રૂપવાન કન્યાની લાલચ મિથિલાના રાજાને આપે છે. એ માટે રાજા આવે, સાથે મહોષધ આવે અને પછી બંનેનો વધ કરવો. મહોષધ રાજાને રોકવા મથે છે પણ રૂપવાન કન્યાનો મોહ તે ત્યજી શકતો નથી એટલે નાછૂટકે તે સંમત થાય છે. કેવટના કાવતરાની જાણ મહોષધને થાય છે. એ માટે તેણે પોતાના પોપટની મદદ લીધી. મહોષધ દુશ્મન રાજાના મહેલમાં પ્રવેશી પોતાને અનુકૂળ આવે એ રીતે રાજાની સંમતિ મેળવીને મહેલમાં તોડફોડ કરે છે, સુરંગો ખોદાવે છે, રાજમાતાને, પંચાલચંડી રાજકન્યાને સુરંગ દ્વારા રવાના કરાવી દે છે. અને એ રીતે કેવટને અને તેના રાજાને મૂરખ બનાવી પોતાના રાજાને વિજયી બનાવે છે.

આપણે સોનાનાં ઈડાં મૂકતી મરઘી મારી નાખીએ તો બધાં ઈંડાં સામટાં મળી જાય એવી કથા તો સાંભળી છે, એવી જ કથા ‘સુવણ્ણહંસ’ જાતકમાં છે. હંસ દરરોજ સોનાનું પીંછું આપતો હતો પણ સ્ત્રી લોભી બનીને તેનાં બધાં પીંછાં લઈ લેવા ગઈ પણ કશું નીપજ્યું નહીં. ઉંદર લોઢું ખાઈ જાય? ચકલી બાળકને ઉપાડી જાય? ‘કુટવાણિજ’ જાતક છેતરપિંડી કરવા માગતા મિત્રને એની જ ચાલમાં ફસાવતા બીજા મિત્રની કથા કહે છે. છ આંધળા હાથીનું વર્ણન પોતપોતાની રીતે કરે છે એ કથા તો ખૂબ જાણીતી છે. ‘કિંસુકોપમ’ જાતકમાં એવી જ રીતે જુદા જુદા સમયે કેસૂડાને જોનારા તેનું વર્ણન સાવ જુદી રીતે કરે છે. પંચતંત્રની જાણીતી કથા મિત્રભેદની છે, અહીં ‘સન્ધિભેદ’ જાતકમાં સિંહ અને બળદની મૈત્રી દુષ્ટ શિયાળે કેવી રીતે તોડાવી તેની કથા છે. માબાપની શિખામણ ન માનનાર ગીધબાળ કેવી રીતે ઊંચે ઊડીને મૃત્યુ પામે છે તેની કથા ‘મિગાલોપ’ જાતકમાં જોવા મળશે. કેટલીક કથાઓના વસ્તુ ‘શાકુંતલ’ને મળતાં આવે છે. આનું લાક્ષણિક દૃષ્ટાંત ‘કટ્ઠહારિ’ જાતક છે. રામાયણમાં આવતું ઋષ્યશૃંગ કથાનક જાતકોમાં જુદા જુદા રૂપે આવ્યા કરે છે, દા.ત. મહાપલોભન જાતક લો. મહાભારતમાં ઈન્દ્ર અને પોપટની કથા આવે છે, સાવ કૂંડા જેવા થઈ ગયેલા વૃક્ષને ત્યજીને પોપટ ઊડી જવા માગતો નથી. ‘મહાસુક’ જાતકમાં પણ શુકરાજ નિસ્પર્ણ થઈ ગયેલા વૃક્ષને ત્યજીને જવા તૈયાર નથી. આ કૃતજ્ઞતાથી કથા અવારનવાર આવ્યા કરે છે. ભદ્રસાલ જાતકમાં પણ વૃક્ષ પોતાના આશ્રિતોને બચાવી લેવાનો રાખે છે. કેટલાંક કથાઘટકો પૂર્વ પશ્ચિમમાં, સદીઓથી ચાલી આવ્યાં છે. એવું એક કથાઘટક સાવકી માની દુષ્ટતા. આ દુષ્ટતા બે રીતે જોવા મળે છે. એક દુષ્ટતા કૈકેયી પ્રકારની છે અને બીજી દુષ્ટતા સાવકી મા પુત્રને વ્યભિચારમાં નિમંત્રે એવી છે.

પૈશાચી ભાષામાં રચાયેલી ગુણાઢ્યકૃત ‘બૃહત્કથા’ અગિયારમી-બારમી સદી સુધી ટકી અને પછી તે લુપ્ત થઈ ગઈ. સદ્ભાગ્યે સોમદેવે તેનું સંસ્કૃત રૂપાંતર ‘કથાસરિત્સાગર’ નામે કર્યું, તેને આધારે મૂળની સમૃદ્ધિનો આછોપાતળો ખ્યાલ આપણને આવે છે. ‘વસુદેવહિંડી’ ગં્રથના પહેલા ભાગના કર્તા સંઘદાસગણિ છે, જ્યારે મધ્યમખંડના કર્તા ધર્મસેનગણિ છે. પહેલા ભાગનો અનુવાદ શ્રી ભોગીલાલ સાંડેસરાએ કર્યો છે, જ્યારે બીજા ભાગનો ગુજરાતી અનુવાદ હજુ પ્રગટ થયો નથી. ‘કથાસરિત્સાગર’ ગ્રંથ બિનસાંપ્રદાયિક છે જ્યારે ‘વસુદેવહિંડી’ ગ્રંથ જૈન ધર્મના અનુશાસન માટે રચાયો છે એટલે ક્યાંક કથાઓમાં કૃત્રિમતા પ્રવેશવાની. ‘વસુદેવહિંડી’ નામકરણનો અર્થ વસુદેવનું ભ્રમણ થાય. હજુ આજે પણ તળપદી ગુજરાતીમાં હેંડવું એટલે ચાલવું એવો અર્થ જાણીતો છે. ગુણાઢ્યની ધમ્મિલ્લની અને અગડદત્તની જે કથાઓ આવે છે તેમનું માળખું કથાસરિત્સાગરને મળતું આવે છે, એટલે કે મોટે ભાગે વસુદેવહિંડીના કર્તા પણ ‘બૃહત્કથા’ને અનુસર્યા હશે. ભારતીય કથનપરંપરામાં વાસુદેવ અર્થાત્ શ્રીકૃષ્ણની કથાઓ વિશેષ જાણીતી છે, વસુદેવની એટલે કે શ્રીકૃષ્ણના પિતાની કથા જાણીતી નથી. ‘વસુદેવહિંડી’ના ઉત્તરાર્ધમાં વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા અને અનેક કન્યાઓ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં, આ વસુદેવ પોતાના અનુભવોની કથા કહી સંભળાવે છે, એટલે ઘણી બધી આપણી પ્રાચીન કથાઓની જેમ નાયક પોતાના સ્વાનુભવોની વાત બીજાઓને કરે છે. ગુણાઢ્યની ‘બૃહત્કથા’ની પ્રશંસા તો અનેક કવિઓએ, વિદ્વાનોએ કરી છે. કાલિદાસ, બાણ, દશરૂપકના કર્તા ધનંજય જેવાઓ પણ બૃહત્કથાના પરિચયમાં આવ્યા હતા. આ કથાસંચયમાં પણ બીજી બધી કથાઓની જેમ પુષ્કળ આડકથાઓ છે. ક્યારેક પ્રશ્ન થાય થાય- મૂળ બૃહત્કથામાં જે કંઈ હતું તે બધું કથાસરિત્સાગરમાં તો લઈ લીધું છે એમ તેના કર્તા સોમદેવે તો કહ્યું જ છે. ‘વેતાલપચીસી’ તરીકે બહુખ્યાત કથા મૂળ બૃહત્કથામાં હશે કે કેમ તે ચોક્કસ કહી શકાતું નથી. વળી બૃહત્કથા અને સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’માં એક મહત્ત્વનો ભેદ પણ નોંધવો જોઈએ. મૂળ કથાનો હેતુ ‘નિર્ભેળ આનંદ’ આપવાનો હતો, જગતભરમાં આ પ્રકારની કથાઓ શ્રોતાઓનો તેમના કડવા અનુભવજગતમાંથી બહાર આણવા માટે રચાઈ છે. મહામારી, દરિયાઈ-રણના પ્રવાસો દરમિયાન વતન છોડીને આવેલા પ્રવાસીઓના મનોરંજન માટે આવી કથાઓ કહી સમય પસાર કરાવવામાં આવતો હતો. સ્વાભાવિક રીતે આવા વાતાવરણમાં, આવા સંજોગોમાં કહેવાયેલી કથાઓમાં વેદના, દુઃખ, મૃત્યુના વિષયો ન જ આવે. આજની ભાષામાં વાત કરવી હોય તો બૃહત્કથા કે કથાસરિત્સાગર બિનસાંપ્રદાયિક ગણાય, જ્યારે ‘વસુદેવહિંડી’ કે ‘પઉમચરિય’ સાંપ્રદાયિક ગણાય. વળી આવી ધર્મકથાઓ ઘણી વાર કોઈ પણ રીતે પ્રચાર કરી જાય, પરિણામે સાહિત્યિકતા ન પણ જળવાય.

ઈ.સ.ની પહેલી સદીમાં ગુણાઢ્યની ‘બૃહત્કથા’ રચાઈ હોવી જોઈએ. આજે સાવ અપ્રાપ્ય બનેલી આ કથાનો સંસ્કૃત અનુવાદ તો અગિયારમી સદીમાં થયો. આ અનુવાદમાં એટલે કે ‘કથાસરિત્સાગર’માં જાતક-કથાઓને મળતી કેટલીક કથાઓ છે. મહાભારતની કેટલી બધી આડકથાઓ, પંચતંત્ર, હિતોપદેશની કથાઓ જાતકકથાઓ સાથે સામ્ય ધરાવે છે. જાતકકથાઓની સામગ્રી ચારે દિશાઓમાં પ્રસરી અને એ પ્રસારમાં બહુ મોટો ભાગ ભજવ્યો પંચતંત્રના પહેલવી અનુવાદે, જો કે આજે એ અનુવાદ મળતો નથી પણ એ અનુવાદ પરથી થયેલા અનુવાદો વિશ્વભરમાં પ્રચલિત થઈ ગયા. પ્રાચીન ભારતીય કથાસાહિત્યમાં વારાંગનાઓનાં પાત્રો અવારનવાર આવતાં રહે છે. જગતની બીજી સંસ્કૃતિઓમાં પણ આ પ્રકારની સ્ત્રીઓ જોવા મળતી હતી. પરંતુ સાંપ્રત કાળમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, ચિત્ર — વગેરે કળાઓમાં નિપુણ હોય એવી વારાંગનાઓ જોવા ન મળે. પ્રાચીન કાળ એ રીતે વસંતસેના, આમ્રપાલી જેવી વારવનિતાઓથી સમૃદ્ધ હતો. ‘વસુદેવહિંડી’ના આરંભે જ કુબેરસેના વારાંગનાની વાત આવે છે, સગર્ભા બનેલી તેણે માતાની સલાહને અવગણીને બે જોડકાં બાળકોને જન્મ આપ્યો અને કુબેરદત્ત તથા કુબેરદત્તા એવું નામકરણ કરાવીને બે જુદી જુદી નાવડીઓમાં બાળકોને નદીમાં વહેવડાવી દીધાં. બે વણિકોને એ બાળકો મળ્યાં અને મોટાં થાય ત્યારે તેમનું લગ્ન કરવાનું નક્કી કર્યંુ અને એ પ્રમાણે લગ્ન કર્યું, પણ લગ્ન પછી તરત જ દ્યૂત રમવા જતાં બંનેએ પોતાની માતાઓને પૂછ્યું, રહસ્ય જાણ્યું. આમ બંને ભાઈબહેન પરણ્યાં એટલે યુવાન પ્રવાસે જતો રહ્યો અને રખડતા રખડતા તે પોતાની જ માને ત્યાં જઈ ચઢ્યો અને બંને પ્રેમમાં પડ્યા, એક બાળકનો જન્મ થયો. સાધ્વી થયેલી કુબેરદત્તાને અવધિજ્ઞાન થયું અને તે કુબેરસેનાને ત્યાં જઈ ચઢી અને ચિત્રવિચિત્ર લાગે તેવું હાલરડું ગાવા લાગી. બાળક એક રીતે પોતાની માનો જ પુત્ર એટલે ભાઈ થયો, પોતાના જ ભાઈનો પુત્ર એટલે ભત્રીજો થયો, બાળકનો પિતા સાધ્વીનો પતિ અને ભાઈ, બાળકની મા શોક્ય થઈ, ભાઈની પત્ની એટલે ભાભી થઈ અને પતિની મા એટલે સાસુ પણ થઈ. આવા અનેક પ્રકારના સંબંધો તેણે હાલરડામાં રજૂ કર્યા, જૈન કથા છે એટલે છેવટે બધા દીક્ષા લે છે. અહીં પણ બીજી પ્રાચીન કથાઓની જેમ દૃષ્ટાંતકથાઓ આવે છે. ઉપદેશ આપવા માટે આવી દૃષ્ટાંતકથાઓ બહુ ઉપયોગી નીવડે છે, મૂળમાં તો ઇન્દ્રિયાસક્તિ નિર્મૂળ થવી જોઈએ એટલે આસક્તિરત મનુષ્યો, પ્રાણીઓની થતી દુર્દશાનો ખ્યાલ આવી દૃષ્ટાંતકથાઓ દ્વારા મળી રહે છે, પંચતંત્ર, હિતોપદેશ તો આવી કથાઓના ભંડાર છે. મહાભારતમાં જરત્કારુ પોતાના પિતૃઓને હવડ કૂવામાં ઊંધા માથે લટકતા જુએ છે તેની કથા આવે છે. ‘વસુદેવહિંડી’માં પણ મધુબિન્દુના દૃષ્ટાંત દ્વારા આવી જ કથા જોવા મળશે. કૂવાકાંઠે લટકતી વડવાઈ પકડીને ઊભેલા પુરુષની નીચે મોં ફાડીને ઊભેલો અજગર, ભીષણ સર્પો, વડવાઈને કાપતા ધોળા-કાળા ઉંદર, એ પુરુષના માથાના વાળને અડકતો હાથી, વડ પરના મધપૂડામાંથી ટપકતા મધબિંદુને ચાટતો પુરુષ- આવું ચિત્ર આપીને મનુષ્ય જીવનની વ્યર્થતા સમજાવવામાં આવે છે. આ બધી કથાઓ રૂપકપ્રધાન હોય છે. અહીં મનુષ્યવાણીમાં બોલતાં પાત્રો છે. આરંભની કથામાં જંબુકુમાર ચોર પ્રભવને અનેક દૃષ્ટાંતો આપીને મનુષ્યે મોક્ષ માટે પ્રયત્નો કરવા જોઈએ એવો ઉપદેશ તેને આપે છે. એવી રીતે સંસારની માયાથી સાવ અસ્પૃષ્ટ, સ્ત્રી-પુરુષનો ભેદ ન જાણનાર વલ્કલચીરી ઋષ્યશૃંગની પરંપરાનો છે. આવી કથાઓ એક પછી એક આવતી રહે છે. વસુદેવની કથા આરંભાય તે પહેલાં એક બીજી કથા આરંભાય છે અને તે છે ધમ્મિલની દીર્ઘકથા આ કથા એક રીતે જોઈએ તો સાહસકથા-શૃંગારકથા છે; ગણિકાપુત્રી વસન્તતિલકાના પ્રેમમાં તે રચ્યોપચ્યો છે અને બધું ધન ગુમાવી બેઠેલા પિતા ધમ્મિલની માતાને એક પછી એક કથાઓ કહી સંભળાવે છે. ગણિકાપુત્રીની માતાને આ સંબંધ પસંદ નથી એટલે ધમ્મિલને હાંકી કાઢે છે, એવાં દુઃખી ધમ્મિલને અગડદત્ત મુનિનો ભેટો થાય છે અને હવે અગડદત્ત મુનિ પોતાની આત્મકથા કહે છે, તેમાં પણ સ્ત્રી સાથેના સંબંધની વ્યર્થતા જ કેન્દ્રમાં રહે છે. જેવી રીતે જાતક કથાઓમાં સ્ત્રીનાં ચરિત્રને વગોવવામાં આવ્યાં છે એવી જ રીતે અહી પણ સ્ત્રીઓના વ્યભિચાર, કૃતઘ્નતા અવારનવાર આલેખાયાં છે. અગડદત્તની કથામાં પણ આડકથા તો આવશે જ, સર્જક વિતરાગ મુનિ હોવા છતાં તેમને સંસારનો, સંસારના માનવીઓનો, ચોર જેવાઓનો પણ પૂરો પરિચય છે. સ્ત્રીઓનાં વર્ણનો પરંપરાની સહાયથી કર્યાં હોવાનું માની લઈએ તો પણ એ વર્ણનોમાં કૃત્રિમતાનો ભાસ થતો નથી. અગડદત્તનાં અદ્ભુત સાહસો સાંભળનાર ધમ્મિલને અને વાચક તરીકે આપણને મંત્રમુગ્ધ તો કરે જ છે. વળી અગડદત્તને દૃઢધર્મ મુનિઓ પોતાની કથા કહી સંભળાવે છે. આમ એક કથામાંથી બીજી કથા, એ બીજી કથામાંથી વળી ત્રીજી કથા કહેવાતી જાય છે. સાથે સાથે સુભાષિત જેવી ઉક્તિઓ પણ આવશે- દા.ત. ‘ગંગામાં રેતી કેટલી છે, સાગરમાં જળ કેટલું છે અને હિમાલયનું પરિમાણ કેટલું છે એ બુદ્ધિમાનો જાણે છે, પણ સ્ત્રીનું હૃદય જાણતા નથી.’ અગડદત્તના અનુભવ સાંભળીને ધમ્મિલ ઉત્તમ સ્ત્રીઓની કથા કહી સંભળાવશે. વળી ધમ્મિલ એક પછી એક પરાક્રમો કરીને ન રીઝાતી વિમલસેનાના પ્રેમ માટે પુુરુષાર્થ માટે કરે છે. આપણને કુસ જાતક યાદ આવી જાય. તેમાં કુરૂપ કુસ પોતાની અતિસુંદર પત્ની પ્રભાવતીનું હૃદય જીતવા કેટલા બધા પ્રયત્નો કરે છે — અહીં પણ ધમ્મિલ પોતાના બાહુબળ વડે વિઘ્નો દૂર કરે છે. અહીં સહજ રીતે જોવા ન મળતી કેટલીક આડકથાઓ છે. દા.ત. નગરજનોએ છેતરેલા ગાડાવાળાની કથા અને ગાડાવાળાએ છેતરેલા નગરવાસીઓની કથા. ઉત્તરાર્ધમાં વસુદેવ ભ્રમણ કરતાં કરતાં અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે તો અહીં પૂર્વાર્ધમાં ધમ્મિલ્લ પણ કેટલીય કન્યાઓ સાથે લગ્ન કરે છે, એ રીતે ધમ્મિલ્લ જાણે વસુદેવની પૂર્વભૂમિકા રચી આપે છે. આ પ્રકારની કથાઓમાં પૂર્વભવની વાતો અવારનવાર આવતી રહે છે. અને આ કથા સાથે ધમ્મિલને પૂર્વજન્મનું સ્મરણ થતાં તેણે દીક્ષા લઈ લીધી.આમ અચાનક ધમ્મિલ્લ પ્રકરણ પૂરું થઈ જાય છે. ધમ્મિલ્લની કથાને વસુદેવકથા સાથે કોઈ રીતનો સંબંધ નથી. હવે વસુદેવકથા આરંભાય છે. વસુદેવના પુત્રો બળરામ અને કૃષ્ણ. અહીં કૃષ્ણ પદ્માવતીનું અપહરણ કરી લાવે છે. એમ કરીને જાંબવતી, સત્યભામા, રુક્મિણી જેવી કન્યાઓ સાથે કૃષ્ણનાં લગ્ન થાય છે. રામાયણમાં સુગ્રીવને રામના શૌર્ય વિશે શંકા થાય છે ત્યારે રામ તમાલ વૃક્ષો એક જ બાણથી વીંધી બતાવે છે. અહીં રુક્મિણીને કૃષ્ણના બળ વિશે શંકા થાય છે ત્યારે કૃષ્ણ વૃક્ષોને વીંધી નાખે છે, એટલું જ નહીં રુક્મિણીની આંગળીની વીંટીના હીરાનો ચૂરો કરી નાખે છે. અહીં પણ વસુદેવના અનેક વિવાહની વાત કરતા પૂર્વે વાસુદેવના અનેક વિવાહની વાત કરવામાંં આવી છે. લોકકથાઓમાં જોવા મળતી સામગ્રી અહીં પણ જોવા મળશે, પ્રદ્યુમ્નના અપહરણની કથા અને તેમના પૂર્વભવોની કથા, સાથે સાથે બ્રાહ્મણ અને જૈન સંપ્રદાય વચ્ચેના સંઘર્ષની કથા પણ આવે છે. છેવટે પ્રદ્યુમ્ન રુક્મિણી પાસે જાય છે. અહીં એક નવો કથાતંતુ જોડ્યો છે. પ્રદ્યુમ્ન પોતાની માતા રુક્મિણીનું હરણ કરે છે અને પછી કૃષ્ણ સાથે યુદ્ધ થાય છે. અહીં પણ સત્યભામા શોક્ય રુક્મિણીના પ્રદ્યુમ્ન જેવો જ પુત્ર માગે છે. પછી પ્રદ્યુમ્ન મામાની પુત્રી વૈદર્ભી સાથે પરણે છે. સાંબ અને ભાનુ વચ્ચે ઉત્કટ ગંધની સ્પર્ધા થાય છે. ભાનુને સીધી રીતે જીતી નહીં શકાય એમ માનીને સાંબે એક વિચિત્ર પ્રયોગ કર્યો. ડુંગળી, લસણ, દારૂ, હીંગ વગેરેને બકરાના મૂત્રમાં મિશ્ર કરીને સંપુટમાં મૂક્યા. વિજય સાંબનો જ થયો કારણ કે ઉત્કટ ગંધની સ્પર્ધા હતી, શુભ કે અશુભ ગંધની સ્પર્ધા ન હતી. ફરી આભૂષણોની સ્પર્ધા થઈ, તેમાં પણ સાંબ જીત્યો. સાંબથી કંટાળી જઈને કૃષ્ણે તેને દેશવટો આપ્યો, અને વસુદેવની પૂર્વભૂમિકા રૂપે ૧૭૮ કન્યાઓ સાથે તે પરણે છે. હવે વસુદેવ પોતાની આત્મકથા બધાની આગળ માંડે છે, એ રીતે જોઈએ તો વસુદેવહિંડીનો પ્રારંભ થાય છે. વસુદેવ પાછળ તરુણીઓ ગાંડી બનતી હતી એટલે વસુદેવ ત્યાંથી નીકળી જાય છે અને બનાવટી આત્મહત્યાનો દેખાવ કરીને ભાગી જાય છે, અને પછી એક પછી એક સાહસો કરવા માંડે છે. ગોમુખની અદ્ભુત નિરીક્ષણ શક્તિની કથા પણ આગળ આવે છે. ચારુદત્તની આત્મકથા અસામાન્ય સાહસકથા બની રહે છે. એવી જ રીતે પિપ્પલાદની ભયાનક કથા પણ આપણને ભારે આઘાત આપે છે. આ ઉપરાંત રામાયણકથા પણ મૂળની જેમ જ જોવા મળે છે અને એમ જૈન તીર્થંકરોનાં ચરિત્રો આલેખાયાં છે. કંસના પૂર્વભવની વાત-વસુદેવ-દેવકી-કથા કહેવાય છે અને ત્યાં અચાનક વસુદેવહિંડીની કથા પૂરી થઈ જાય છે. આપણે આશા રાખીએ કે ‘વસુદેવહિંડી’ના મધ્યમ ખંડનો અનુવાદ નજીકના દિવસોમાં મળે.

આપણે ત્યાં રામાયણ સૌથી વધુ લોકપ્રિય એવો ગ્રંથ છે. છેક પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધી એક અથવા બીજા સ્વરૂપે રામાયણ કથા જુદી જુદી રીતે રચાતી આવી છે. વિમલસૂરિનું ‘પઉમચરિય’ સહજ રીતે જોવા ન મળે એવી રામકથા કહે છે. મૂળ વાલ્મીકિ રામાયણને અનુસરતું હોવા છતાં ઘણી બધી બાબતોમાં તે જુદું પડે છે. સામાન્ય રીતે લગ્નજીવનના આદર્શ તરીકે રામ-સીતાની વાત પરંપરાથી પ્રચલિત છે પણ જૈન પરંપરા પ્રમાણે રામને ૮૦૦૦ રાણી હતી. એટલું જ નહીં, સામાન્ય રીતે વાલ્મીકિને અનુસરીને મોટા ભાગના કવિઓએ રામ અને સીતાને કૃતિના નાયક-નાયિકા તરીકે આલેખ્યાં છે. પણ ‘પઉમચરિય’માં રામની સાથે સાથે લક્ષ્મણ, રાવણને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન કવિઓ એવું માનતા હતા કે હિંદુ કવિઓની કથાઓ જૂઠાણાંથી ભરી ભરી છે, અનેક અસંગતિઓ — અસંભાવનાઓથી ભરેલી છે. વિમલસૂરિની દૃષ્ટિએ રાક્ષસો-વાનરો વિદ્યાધરો હતા. રાવણની મા પોતાના ગળામાં જે રત્નમાળા પહેરતી હતી તેમાં રાવણના મોં નવ વખત પ્રતિબિંબિત થતા હતા એટલે ‘દહમુહ’વાળી વાત પ્રચલિત થઈ. જૈન રામાયણમાં કૈકેયી રામને વનવાસ નથી આપતી, વાલી સુગ્રીવને રાજ્ય સોંપીને પોતે દીક્ષા લે છે, લક્ષ્મણ અકસ્માત શંબૂક વધ કરે છે, રાવણ શાન્તિનાથ ભક્ત છે, એટલે ભવ્ય મંદિર ઊભું કરે છે, મૂળ પરંપરાથી જુદા પડીને જૈન કવિ રાવણનો વધ રામ દ્વારા નહીં પણ લક્ષ્મણ દ્વારા કરાવે છે. ‘પઉમચરિય’ કેટલી બધી રીતે વાલ્મીકિ રામાયણથી જુદું પડશે. અહીં સગર રાજાના સાઠ હજાર પુત્રોની વાત આવશે ખરી, પરંતુ સગરપુત્રોએ પર્વતની ચારે બાજુ જે રચના કરી તે જોઈને નાગેન્દ્રે બધા સગરપુત્રોને ભસ્મ કરી દીધા, ભગીરથ અને ભીમને જીવતા રાખ્યા. ‘પઉમચરિય’માં અંજનાસુંદરી, પવનંજય અને હનુમાનની કથા મૂળ પરંપરાથી જુદી રીતે આલેખાઈ છે. અંજના અને પવન નામ તો પરંપરાથી ચાલી આવ્યાં છે, પણ અહીં રાવણના પક્ષે રહીને પવનંજય યુદ્ધ કરે છે. આપણી લોકવાર્તાનાં કેટલાંક ઘટકોનો વિનિયોગ કરીને પવનંજય અને અંજના વચ્ચેના વિસંવાદ અને સંવાદ આલેખાયાં છે, વળી આ બેના સંબંધને પરિણામે જન્મેલા હનુમાનની કથામાંથી કેટલાંક કથાઘટકો પણ વિકસ્યાં હોવાની શક્યતા નાખી દેવા જેવી નથી. પવનંજય જો રાવણના પક્ષે રહીને લડે તો તેનો પુત્ર હનુમાન પણ રાવણના પક્ષે રહીને લડે, પછી તો તેને અનેક પત્નીઓ સાંપડે છે. આમ આપણી મુખ્ય ધારામાં હનુમાનને બાલબ્રહ્મચારી બતાવ્યા છે તેનાથી આ કથા સાવ જુદી પડી જાય છે. વાલ્મીકિ રામાયણમાં રામને કેન્દ્રમાં રાખીને રાવણ સાથેના તેમના સંઘર્ષની કથા આલેખાઈ છે, પરંતુ ‘પઉમચરિય’માં લક્ષ્મણને મહત્ત્વનું સ્થાન અપાયું છે. એ રીતે અહીં રામ-રાવણયુદ્ધને બદલે લક્ષ્મણ-રાવણયુદ્ધનું આલેખન થયું છે. વાલ્મીકિની જેમ વિમલસૂરિ યુદ્ધનાં વર્ણન વિગતે કરે છે; રાવણે શક્તિપ્રહાર કરીને લક્ષ્મણને વીંધ્યો અને તે અચેત બની ગયો. આવા પ્રસંગે રામ જેવા રામ મહાનાયકને અતિભાવુક બનાવ્યા છે અને તે શસ્ત્રસંન્યાસ લઈ લેવાનો વિચાર કરે છે; એટલું જ નહીં ચિતાપ્રવેશ કરવા પણ તૈયાર થાય છે. આવા પ્રસંગે રામને આશ્વાસન તેમના સાથીઓ આપે છે અને બહુ જ સ્વસ્થતાથી તેઓ રામને ધીરજ બંધાવે છે. કથામાં જરા જુદો વળાંક લાવવા માટે એક વિદ્યાધરનો વિનિયોગ કરવામાં આવ્યો છે અને તે ભરતે છાંટેલા ચંદનજળ વડે કેવી રીતે મૃત્યુના મોઢામાંથી ઊગર્યો તેની કથા કહે છે, એ કથા કહેતાં કહેતાં તે દ્રોણમેઘ રાજાની પુત્રી વિશલ્યાની વાત કરે છે. આ વિશલ્યાની વાત બીજે ખાસ જાણીતી નથી. આ વિશલ્યાના પૂર્વભવની કથા એક મુનિ દ્વારા જાણવામાં આવી હતી. પૂર્વજન્મમાં અનંગશરાએ તપ કર્યું, અજગર દ્વારા તે ગળી જવાતી હોવા છતાં મંત્રજળથી તેણે અજગરને ન માર્યો, પરિણામે તે વિશલ્યા રૂપે જન્મી. અને તે કન્યાના વિરહથી તપ્ત થયેલ પુનર્વસુ દીક્ષા લઈને બીજા જન્મે લક્ષ્મણ થયો. હવે રામે વાનરોને ભરત પાસે મોકલ્યા અને ભરત તો વિશલ્યાને જ લઈ જવાની વાત કરે છે. વિશલ્યાના પિતા પુત્રીને મોકલવા તૈયાર ન હતા ત્યારે કૈકેયીએ તેમને સમજાવ્યા. આમ જોઈએ તો રામાયણની કૈકેયી કરતાં આ કૈકેયી બહુ જુદી પડી જાય છે. વાલ્મીકિએ આલેખેલી કૈકેયીને ભારતના લોકો ખૂબ જ ધિક્કારે છે અને મોટે ભાગે એટલે જ કોઈ માબાપ પોતાની પુત્રીનું નામ કૈકેયી પાડતાં નથી, પણ પઉમચરિયના કર્તાએ અહીં કૈકેયીનું ઉદાત્ત ચિત્રણ કર્યું છે. આ કૈકેયીને રામલક્ષ્મણની ભારે ચિંતા છે. વિશલ્યા બેસુધ લક્ષ્મણને સ્પર્શ કરીને તેના શરીરમાંથી શક્તિને બહાર કાઢે છે. અહીં ચંદનનો છંટકાવ ઇન્દ્રજિત વગેરે રાવણના સાથીઓ ઉપર પણ થાય છે, એ રીતે જોઈએ તો માનવતાવાદી અભિગમ પ્રગટ થાય છે. આ વિશલ્યા સાથે લક્ષ્મણનું લગ્ન થાય છે. આ વિગતે પણ કર્તા વાલ્મીકિથી જુદા પડી જાય છે. મૂળ રામાયણમાં લક્ષ્મણને ઊમિર્લા સિવાય બીજી કોઈ પત્ની હતી જ નહીં. અહીં ગ્રન્થસ્થ એક કથામાં રાવણ બહુરૂપા વિદ્યાની પ્રાપ્તિ માટે સાધના કરે છે. વાલ્મીકિ રામાયણમાં રાવણ શિવભક્ત છે, જો કે તો પણ તે કૈલાસ પર્વત ઊંચકી લાવવા જાય છે, જૈન રામાયણમાં રાવણ તીર્થંકર શાન્તિનાથનો ભક્ત છે અને લંકામાં તેણે શાન્તિનાથનું ભવ્ય મંદિર ઊભું કર્યું હતું. આ મંદિરમાં જઈને તે બહુરૂપા વિદ્યાને પ્રાપ્તિ માટે તપ કરવાનો નિર્ધાર કરે છે. આ રાવણનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે તે જુઓ- ‘શુદ્ધ ઇન્દીવર કમળ જેવા નીલવર્ણના મહાત્મા રાવણે નૈવેદ્ય, સુગન્ધિત ધૂપ અને પુષ્પોથી પૂજા કરી. શ્વેત વસ્ત્રધારી, નિયમપાલનવાળા, કુંડળોને કારણે તેજસ્વી લલાટવાળો રાવણ મનસા, વાચા ત્રણે પ્રકારે વંદન કરી અર્ધપર્યંકાસનમાં બેસી, હાથમાં અક્ષમાલા લઈને વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યો.’ મંદોદરી દેખરેખની બધી જવાબદારી ઉપાડી લે છે. આમ ‘પઉમચરિય’ના કર્તા વિમલસૂરિએ વધુ સ્ત્રીદાક્ષિણ્ય દાખવ્યું છે. રાવણની પૂજા દરમિયાન ગમે તેવા માનવીએ પણ પાપ નહીં કરવું અને જે પાપ આદરશે તેનો વધ કરવામાં આવશે એવી સૂચનાઓ પણ મંદોદરી આપે છે. બીજી બાજુ રાવણની સાધનામાં ભંગ કરવા માટે વાનરો લંકામાં પ્રવેશ્યા છે. ઋષિઓનો તપોભંગ કરવા માટે ઇન્દ્ર સ્વર્ગમાંથી અપ્સરાઓને મોકલતા હતા એ વાતો પુરાણોમાં અનેક વાર આવી ગઈ છે. વાનરોને રાવણની સમાધિ તોડવા મોકલવાની વાત રામ પાસે આવે છે. જો કે રામ તેમની પ્રકૃતિ પ્રમાણે ચૈત્યગૃહમાં પૂજા કરી રહેલા રાવણને જરાય હેરાન કરવા માગતા નથી, તેમ છતાં વિભીષણ આગ્રહ રાખે છે, પરિણામે થોડો સમય જવા દઈ વાનરો લંકામાં દાખલ થાય છે અને રાવણની નિર્ભયતા બદલ તેમને ભારે અચરજ થયું. શાન્તિનાથ મંદિરના દેવો રામને ફરિયાદ કરે છે પણ લક્ષ્મણ રાવણની દુષ્ટતા ફરી તેમને સંભળાવે છે. શાન્તિનાથ મંદિરમાં જવાના રસ્તે માયાવી રચનાઓ હતી, વાનરો પ્રતિમાને જીવંત સ્ત્રી માની લે. આપણને મહાભારતમાં પાંડવોએ કરેલા રાજસૂૂય યજ્ઞ વખતે ઊભી કરેલી સભા યાદ આવે. અહીં રાવણની દુષ્ટતા હોવા છતાં અંગદ અને બીજા વાનરો રાવણની સ્ત્રીઓ સાથે જે ગેરવર્તાવ કરે છે, મંદોદરીના કેશ પકડીને તેને ખેંચે છે. આ બધું રામના સૈનિક ગણાતા વાનરોને ન શોભે અને આ બધા ઉધામા છતાં રાવણને બહુરૂપા વિદ્યા પ્રાપ્ત થાય છે. ‘પઉમચરિય’માં કર્તા એક જુદા રાવણની છબિ આપણી આગળ પ્રસ્તુત કરે છે. રાવણને જિનધર્મનો અનુયાયી બનાવ્યો, એટલું જ નહીં રામ-સીતાના યુગલને જુદું પાડ્યું એ બદલ તે ભારે પસ્તાવો કરે છે, પરનારી માટે આસક્તિ બતાવી એ બદલ પોતાની જાતને ધિક્કારે છે. તે સીતાને પાછી સોંપી દેવાનો વિચાર સુધ્ધાં કરે છે. પણ તે પહેલાં યુદ્ધ તો કરવું જ પડે, રામલક્ષ્મણને યુદ્ધમાં જીતીને સીતાને સોંપવાની વાત તે વિચારે છે. મંદોદરી રાવણને છેક સુધી સીતાને સોંપી દેવાની વાત કરે છે અને સાથે સાથે કટાક્ષ પણ કરે છે, આટલી બધી સ્ત્રીઓથી જેને સંતોષ નથી થયો તેને આ માનુષી સ્ત્રીથી કેવી રીતે સંતોષ થશે? વિમલસૂરિ બીજા પાત્રના મોઢે એમ પણ કહેવડાવે છે કે દશાનન રાક્ષસ ન હતો, માંસભક્ષી પણ ન હતો. આવી વાતો કહેનારા મૂર્ખ કુકવિઓ છે. રાવણે કૈલાસ પર્વત હચમચાવીને ઉઠાવવાની કથા પુરાણોમાં જાણીતી છે. એવી જ કથા અહીં જોવા મળે છે. રાવણ પુષ્પક વિમાનમાં બેસીને જઈ રહ્યો છે ત્યારે તેનું વિમાન અષ્ટાપદ પર્વત આગળ રોકાઈ જાય છે અને પછી જાણવા મળે છે એટલે રાવણ અનેક રીતે સમૃદ્ધ કૈલાસને જુએ છે. રાવણ તપ કરતા વાલી પર ક્રોધે ભરાય છે અને જમીન ભેદીને પર્વતની નીચે જઈ તેને ઊંચકવા મથે છે. પર્વત પરનાં પશુપક્ષી જ નહીં, પ્રકૃતિનાં આદિમ તત્ત્વો પણ ખળભળી ઊઠે છે ત્યારે તપસ્વી વાલી અંગૂઠો દબાવે છે, પરિણામે રાવણ બહાર આવે છે. રાવણના અંત:પુરનાં શૃંગારદૃશ્યો આલેખતા આ સર્જક રાવણનું ઉદાત્ત ચિત્ર ઊભું કરે છે, એટલું જ નહીં પણ રામને બદલે લક્ષ્મણને વધુ મહત્ત્વ આપીને લક્ષ્મણના હાથે રાવણનો વધ કરાવે છે.

જેવી રીતે ગુણાઢ્ય કૃત ‘બૃહત્કથા’ લુપ્ત થઈ ગઈ તેવી જ રીતે પાદલિપ્તાચાર્યની ‘તરંગલોલા’ પણ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ. સદ્ભાગ્યે તેનો સંક્ષેપ ‘તરંગવતી’ના નામે કોઈ અજ્ઞાત કવિએ કર્યો હતો. ઈ.સ. ૧૯૨૧માં લોય્માને જર્મન ભાષામાં આ કૃતિનો અનુવાદ કર્યો. એના પરથી ગુજરાતીમાં નરસંહિભાઈ પટેલે કરેલો અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. આ મૂળ સર્જક વિશે થોડી વિગતો ૧૯૯૮માં પ્રગટ થયેલા ‘તરંગવતી’ના અનુવાદમાં હરિવલ્લભ ભાયાણીએ આપી છે. તેઓ લખે છે: ‘તરંગવતીનું અત્યંત સંવેદનશીલ, સંસ્કારસમૃદ્ધ અને પ્રગલ્ભ વ્યક્તિત્વ સમગ્ર કથાનકમાં તેના પ્રાણપદ અને ચાલક તત્ત્વ તરીકે વ્યાપી રહ્યું છે. પાદલિપ્તના જેવી પાત્રની સૂક્ષ્મ અને પ્રબળ રેખાઓ અંકિત કરવાની, કથાવસ્તુના ક્ષમતાવાળા અંશોને પારખીને બહલાવવાની અને ભાવવાહી નિરૂપણ તથા વાસ્તવિક તેમ જ આલંકારિક વર્ણનની શક્તિ એક સાથે પ્રાકૃત કે સંસ્કૃત કથાસાહિત્યમાં ઝાઝી જોવા મળતી નથી.’ આ આખી કથા જૈન સાધ્વી બનેલી નાયિકાના આત્મકથન રૂપે અહીં આલેખાઈ છે. સર્જકે ધાર્યું હોત તો ત્રીજા પુરુષની કથનશૈલી દ્વારા રેખાયિત ક્રમમાં આખી કથા યોજી શક્યા હોત. પરંતુ પહેલેથી કથાના વાચકોને નાયિકાએ જૈન ધર્મની દીક્ષા લઈ લીધી છે એ વાત જણાવી દીધી. પછી એ વાત જન્મજન્માંતરોની કથામાંથી વિસ્તરતી વિસ્તરતી આગળ વધે છે. આપણી આગળ હજારો વર્ષ પહેલાંનું જગત દૃશ્યગોચર થાય છે. કુટુંબ, સમાજજીવનની સાથે સાથે પ્રાકૃતિક જગત પણ સુંદર રીતે નિરૂપાયેલું આપણે જોઈ શકીએ છીએ.

ગુણાઢ્યકૃત બૃહત્કથાને સાતવાહન રાજાએ આરંભે ન સ્વીકારી તેના કારણમાં તો એ કથાની ભાષા-પૈશાચી-ને ગણાવી શકાય. વાસ્તવમાં આ અસ્વીકાર પાછળ કોઈ તાકિર્ક કારણ ન હતું પણ સંસ્કૃતને દેવભાષા માની લેવામાં આવી હતી, સંસ્કૃત નાટકોમાં સ્ત્રીઓના મોઢામાં સંસ્કૃત ઉક્તિઓને બદલે પ્રાકૃત ઉક્તિઓ મૂકવામાં આવતી હતી. શિષ્ટ ભાષા અને લોકબોલી વચ્ચેનો ઉચ્ચાવચ ભેદ છેક અર્વાચીન કાળ સુધી ચાલી આવ્યો. સોમદેવ પાસે જ્યારે ગુણાઢ્યની બૃહત્કથા આવી ત્યારે કદાચ શિષ્ટ ભાષામાં — સંસ્કૃતમાં — હશે તો વધુ લોકો સુધી પહોંચશે એવી તેની ગણત્રી હોઈ શકે. આજે તો સોમદેવના ‘કથાસરિત્સાગર’ને આધારે જ મૂળ બૃહત્કથાની સમૃદ્ધિ કેવી હશે તેનો ખ્યાલ આવે. આરંભે જ કવિ સ્પષ્ટતા કરે છે કે બૃહત્કથાનો ‘સારસંગ્રહ’ કરી રહ્યા છે. અહીં ‘સાર’નો અર્થ સંક્ષેપ કરવાનો નથી. કારણ કે પછી તેઓ કહે છે: મૂળ કથામાં છે તેનો અહીં સંચય કરવામાં આવ્યો છે, મૂળ ગ્રંથમાં અને ‘કથાસરિત્સાગર’માં જરાય ભેદ નથી. જે દીર્ઘ કથાઓ છે તેને થોડી ટૂંકાવી છે ખરી, માત્ર ભાષા જુદી છે. એટલું જ નહીં પાંડિત્યદર્શન માટે આ ગ્રંથ તૈયાર કર્યો નથી, પણ અતિ દીર્ઘકથાઓને સ્મૃતિમાં રાખી શકાય એટલા માટે આવો અનુવાદ કર્યો છે. આરંભ શિવ-પાર્વતીના સંવાદથી થાય છે. પાર્વતીની ઇચ્છા કોઈ નવી કથા સાંભળવાની હતી, શિવ તેને પૂર્વજન્મની કથા તો કહે છે પણ પાર્વતીને એ કથા મનોહર લાગતી નથી. એટલે દિવ્ય અને માનવીય પ્રકૃતિના મિશ્રણ એવા વિદ્યાધરોનું ચરિત્ર સંભળાવવા ભગવાન શિવ તૈયાર થાય છે, પણ તે વેળા પુષ્પદંત ગણ યોગશક્તિ દ્વારા શિવપાર્વતી પાસે જઈ ચઢે છે અને શિવે કહેલી બધી કથાઓ સાંભળે છે. પછી એ પોતાની પત્ની જયાને સંભળાવે છે, જયા એ જ કથાઓ પાર્વતીને સંભળાવે છે. શિવ દ્વારા પુષ્પદંતની વાત જાણીને તેને તથા તેના વતી બોલનારા માલ્યવાનને શાપ આપી મનુષ્ય તરીકે અવતરશો એમ પાર્વતી કહે છે. હવે શાપમુક્તિ કેવી રીતે થાય? કુબેરના શાપથી સુપ્રતીક નામનો યક્ષ વિંધ્યવનમાં કાણભૂતિ નામધારી પિશાચ છે. એ યક્ષને જોઈને તું-પુષ્પદંત-પૂર્વજન્મનું સ્મરણ કરીશ અને આ કથા તેને સંભળાવીશ ત્યારે શાપમુક્તિ થશે. માલ્યવાન કાણભૂતિ પાસેથી કથા સાંભળશે ત્યારે કાણભૂતિની સાથે તે પણ મુક્ત થઈ જશે. આમ કથા કહેવાનો અને સાંભળવાનો પ્રભાવ પરોક્ષ રીતે વર્ણવાયો છે. મધ્યકાળમાં તો કથાપ્રભાવ સીધેસીધો વર્ણવાતો હતો. આરંભે વરરુચિ-એટલે કે પુષ્પદન્ત-પોતાની આત્મકથા કહે છે, એને ઘેર આવેલા અતિથિઓમાંના એક વ્યાડિ વળી પોતાની આત્મકથા કહે છે; તે અને તેનો ભાઈ કાતિર્ક સ્વામીની સૂચનાથી પાટલિપુત્ર નગરમાં રહેતા વર્ષ પાસે જાય છે. વર્ષની પત્ની ફરી એક કથા કહે છે. હવે વર્ષ તેમને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના નિર્માણની કથા કહે છે. આમ આપણે જોઈશું કે કથામાં કથા, તેમાંય પાછી કથા — આ રીતે કથાસરિત્સાગરની કથાઓ ચાલ્યા કરે છે. બ્રહ્મદત્ત રાજાની કથામાં એવી વિગત આવે છે કે રાજાએ પોતાના રાજ્યમાં બધાં પ્રાણીઓને અભયદાન આપ્યું હતું. નિગ્રોધમૃગ જાતકમાં પણ હરણના રૂપે જન્મેલા બોધિસત્ત્વ રાજા પાસેથી બધા જ જીવોને માટે અભયદાન માગે છે. દાનવીર પુત્રકને એકબીજા સાથે ઝઘડતા મયાસુરના પુત્રો મળે છે. તેમની પાસે આકાશમાં ગતિ કરાવનારી પાવડી, જે કંઈ લખાય તે સત્ય બનાવતી લાકડી, અને ઇચ્છાપ્રમાણે ભોજન આપતું પાત્ર- ( આ ઘટકો ધરાવતી અરેબિયન રાત્રિઓમાં પણ જોવા મળશે.) આ ત્રણે લઈને પુત્રક પાટલીને પ્રાપ્ત કરી શક્યો. અહીં બીજી એક કથા ઉપકોશાની જોવા મળશે. તે કથા ‘દેવસ્મિતા’ની કથાને મળતી આવે છે, આ કથા પણ ભારત બહાર પ્રસરી છે. રાજા યોગાનન્દના અંત:પુરમાં સ્ત્રીઓના વેશે રહેતા પુરુષોની વાત આવે છે. અરેબિયન નાઇટ્સના આરંભે પણ આવી જ કથા આવે છે. સ્ત્રીઓની-પત્નીઓની બેવફાઈને કારણે જ સુલતાન સમગ્ર સ્ત્રી જાતિ પર વેર વાળવા માગે છે. માનવી પશુમાં ફેરવાઈ જાય એવી કથાઓ તો અવારનવાર જોવા મળી છે પણ માનવીઓ ફળમાં રૂપાંતરિત થઈ જાય એવી વાત બહુ ઓછી જોવા મળે છે. મૃગાંકદત્ત પોતાના સાથીઓને લઈને એક દિવ્ય વૃક્ષ પાસે જાય છે. અને તેના પરનાં રસદાર ફળ જોઈને સાથીઓ ખાવાની લાલચ રોકી શકતા નથી અને ખાતાવેંત તેઓ બધા ફળમાં રૂપાંતરિત થઈ જાય છે. જેવી રીતે દશકુમાર ચરિતમાં વારાફરતી બધા કુમાર પોતાની કથા કહે છે તેવી રીતે અહીં પણ મૃગાંકદત્તના સાથીઓ પોતાની કથા કહે છે. આ રીતે જોઈશું તો આ બધી કથાઓ આત્મવૃત્તાંત રૂપે જ આવે છે. માનવીઓ જ્યાં પણ જાય ત્યાં તેમને બીજા માનવીઓ મળવાના. ઉપદેશ માટે, હિંમત બંધાવવા માટે તેઓ કથાવાર્તાઓ કહેવાના. એ રીતે સુન્દરસેન અને મંદારવતીની કથા આવી. કેટલીક વખત નાયકને મહેણું મારવામાં આવે કે બહુ અભિમાન હોય તો આ સ્ત્રીને લઈ આવ અને પછી નાયક એ સ્ત્રીને પામવા માટે નીકળી પડે. આ પ્રકારનાં કથાઘટક લોકવાર્તાઓમાં ચાલી આવ્યાં. બધી જ નાયિકાઓ અનુપમ, અદ્વિતીય જ હોવાની. આપણી સંસ્કૃત કૃતિઓમાં ‘નેત્રનિર્વાણ’ની વાત આવે, આવી કથાઓમાં એમ કહેવાય કે જેણે આ વ્યક્તિને જોઈ નથી તેનાં નેત્ર નિષ્ફળ. સમુદ્રયાત્રામાં- અને એવા વિઘ્નોમાંથી ઉગારનાર પણ મળી આવે. આસમાની આપત્તિઓમાં મિત્રો છૂટા પડી જાય, ભેગા થઈ જાય. પુરૂરવા જેવી રીતે પ્રકૃતિનાં બધાં તત્ત્વોમાં ઉર્વશી જોતો હતો તેવી જ રીતે સુન્દરસેન મંદારવતીને બધે શોધ્યા કરે છે. એ રીતે ગુણાઢ્યે કે સોમદેવે આ બધી પ્રાચીન પરંપરાઓ આત્મસાત્ કરી હોવી જોઈએ. તે સમયે પત્રલેખન કેવી રીતે થતું તેનો એક નમૂનો જુઓ: ‘સ્વસ્તિ શ્રી ભૂમંડલને અલંકૃત કરનાર શ્રીમાન મૃગાંકદત્ત- જે અયોધ્યાનગરીના મહારાજાધિરાજ અમરદત્તના પુત્ર છે, રાજાઓ જેમની પાસે ઝૂકીને આવે છે અને તે એઓ અત્યારે વનભૂમિના કિનારે છે, જે કુલરૂપી સમુદ્ર માટે ચંદ્રમા જેવા ઉજ્જયિનીના મહારાજ કર્મસેનને આદરપૂર્વક એક સ્પષ્ટ સંદેશ મોકલીએ છીએ.... ઉજ્જયિનીની રાજકુમારી પોતાની સખીને મૃગાંકદત્ત કેવા છે તેની તપાસ કરવા મોકલે છે. હંસાવલિની કથા સાથે આટલી વાત સરખાવી શકાય. ‘કથાસરિત્સાગર’માં મૂળ બૃહત્કથા લગભગ સચવાઈ રહેલી છે એવી સોમદેવે આરંભે કરેલી વાત માની લઈએ તો બૃહત્કથામાં જાતકકથા કે મહાભારતમાં જોવા મળતી પંચતંત્ર પ્રકારની કથાઓ હશે? વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કે બીજી કોઈ રીતે જાણીતી થયેલી બધી કથાઓ ‘કથાસરિત્સાગર’માં જોવા મળે છે. સિંહ, રીંછ અને કૃતઘ્ન રાજપુત્રની કથા ભારતભરની ભાષાઓમાં જાણીતી થઈ ગઈ છે. કેટલીક વખત આવી કથાઓ ઇતિહાસકથા તરીકે પણ જાણીતી થઈ છે. દા.ત. ચાણક્યની કથા. સાત દિવસમાં જો નંદને ન મારું તો મારી શિખા નહીં બાંધું એવી પ્રતિજ્ઞા ચાણક્યે કરી હતી, કદાચ આના પરથી જ ગુજરાતમાં પ્રેમાનન્દે ચોટલી નહીં બાંધું એવી પ્રતિજ્ઞા કોઈએ કિંવદન્તિ તરીકે ચઢાવી છે. આ ઉપરાંત પંચતંત્રની કેટલી બધી જાણીતી કથાઓ ‘કથાસરિત્સાગર’માં જોવા મળે છે. સંજીવક બળદ અને પિંગલક સિંહ, દમનક-કરટકની કથા, બગલો-કરચલો, સિંહ-સસલું, જૂ અને માકણ, મદોત્કટ સિંહ, ટિટોડી અને સમુદ્ર, બે હંસ અને કાચબો, ત્રણ માછલાં, સૂચીમુખ પંખી અને વાનર, સાપ-બગલો, લોઢું ખાઈ જતા ઉંદરો, મહિના સુધી ગાય ન દોહી એક સાથે દૂધ દોહવાની આશા રાખતો ગોવાળ, બ્રાહ્મણ અને ત્રણ ધૂતારા, વાનર અને મગર (અહીં વળી વાનર એક આડકથા પણ કહે છે), બ્રાહ્મણી અને નોળિયો, ઘટકર્પર, ચોર, નોળિયો-બિલાડી-ઉંદર-ઘુવડ. મહાભારતમાં લાક્ષાગૃહદહનની ઘટનામાં પાંડવો અને કુન્તી તો વિદુરની પરોક્ષ સહાયથી ભાગી નીકળે છે પણ તે વેળા આશરો લેવા આવેલી સ્ત્રી અને તેના પુત્રો બળી જાય છે, કૌરવો માની લે છે કે કુંતી અને પાંડવો મૃત્યુ પામ્યા. એ કથા સાથે થોડું ઘણું સાદૃશ્ય વાસવદત્તા બળી મર્યાની અફવા સાથે છે, પણ અહીં આપણને આઘાત એ વાતનો લાગે કે કોઈ ગાંડી સ્ત્રીને વાસ્તવમાં સળગાવી જ દીધી. કેટલીક કથાઓ અદ્ભુત સાદૃશ્ય ધરાવે છે. વાસવદત્તાના પિતા ઉદયનને કેવી રીતે વશ કરવો તેની વિમાસણમાં છે અને એવા ઉદયનને વશ કરવા સૈનિકોને બનાવટી હાથીમાં પૂરીને તેમની મદદથી ઉદયનને બંદી બનાવે છે. આપણને તરત જ ટ્રોય નગરમાં પ્રવેશવા માટે લાકડાનાં તોતિંગ ઘોડામાં ગ્રીક સૈનિકોને દાખલ કર્યા હતા તેની યાદ આવી જાય. અને પછી તો વાસવદત્તાના અપહરણની કથા એક અદ્ભુત સાહસકથાની જેમ કહેવાય છે.

કથાસરિત્સાગરમાં આપણાં મહાકાવ્યોની કેટલીક વિગતો પણ જોવા મળશે. રામાયણનાં સીતા, વિભીષણ, મહાભારતનાં કુન્તી, દુર્વાસા, કદ્રૂ-વિનતા, રુુરુ-પ્રમદ્વરા જેવાં પાત્રો સાથે સંકળાયેલી કેટલીક વિગતો જોવા મળે છે. આવી કથાઓનો એક ગૌણ ઉદ્દેશ માનવવ્યક્તિત્વની ગરિમા દેખાડવાનો પણ પ્રયત્ન છે. શિબિ રાજાની કથા તો બહુ જાણીતી કથા છે, એવી જ રીતે નાગનો જીવ બચાવવા પોતાનો જીવ આપવા તૈયાર થયેલા જીમૂતવાહનની ઉદારતા સૌને સ્પર્શી જાય એવી છે. કોઈને બચાવવા પોતાનો જીવ હોડમાં મૂકવાની કથાઓ છેક મહાભારત કાળથી જાણીતી છે. અહીં જીમૂતવાહનના પૂર્વજન્મની અને બીજી બે આડકથાઓ કવિએ ગૂંથી લીધી છે, એક કથા જીમૂતવાહનના પૂર્વજન્મની અને બીજી કથા કદ્રૂ, વિનતા અને ગરુડની. માત્ર માનવીઓ જ ઉદાર બને છે એવું નથી. ભૂખ્યા સિંહકુટુંબને પોતાનું શરીર એક વરાહ અર્પણ કરી દે છે. જો કે અહીં તો ધર્મ પરીક્ષા કરવા આવ્યા હતા તેવી વાત છે. વેસ્સંતરજાતકમાં નાયક એક પછી દાન કરતો જ જાય છે. કથાસરિત્સાગરમાં એના જ કદાચ અનુકરણ રૂપે ‘તારાવલોક’ની કથા છે. પંચતંત્રમાં કાષ્ઠના ઘોડાની કથામાં વિષ્ણુનો બનાવટી વેશ ધારણ કરેલાની વાત આવે છે. અહીં એવી જ રીતે વિષ્ણુનો વેશ સજતા લોહજંઘની એક સાહસકથા છે, એમાં વિભીષણ પણ પ્રવેશે છે અને એ લોહજંઘ પોતાનું જૂનું વેર વાળવા માટે કેવી રીતે સાહસો કરે છે તે કથા રસપ્રદ રીતે કહેવાઈ છે. રામાયણની એક કથા પ્રમાણે રાવણને પરસ્ત્રી પર જોરજુલમ ગુજારવા જતા મૃત્યુનો શાપ છે. અહીં પણ મદનમંચુકાનું અપહરણ કરનાર માનસવેશ તેના પર જોરજુલમ કરી શકતો નથી, સ્ત્રીઓ પર બળાત્કાર કરનારાઓને મૃત્યુનો શાપ છે. આ કથાઓ લખાઈ ત્યારથી માંડીને અત્યાર સુધીનો સમાજ પુરુષપ્રધાન રહ્યો છે, અને એેને કારણે મોટા ભાગની સ્ત્રીઓ કૃતઘ્ન, વ્યભિચારિણી આલેખાઈ છે, આરંભે ગમે તેવી નિષ્ઠાવાન, સચ્ચરિત્રવાળી સ્ત્રીઓ હોય પણ પાછળથી તો તે વ્યભિચારિણી જ પુરવાર થાય છે,એના લાક્ષણિક દૃષ્ટાંત તરીકે નિશ્ચયદત્ત અને અનુરાગપરાની કથા ટાંકી શકાય. આ ઉપરાંત સતીસાધ્વી સ્ત્રીઓ ઉપર પુરુષો — અને તે પણ ઋષિઓ — આક્ષેપો કરતા અચકાતા નથી. કથાસરિત્સાગરમાં રામાયણકથા છે, તે થોડી જુદી પડે છે- લંકાવિજય કરીને રામ-સીતા ગાદીએ બેઠા પછી રામ પોતે નગરચર્યા જોવા જાય છે અને ત્યાં ઘરમાંથી પતિએ હાંકી કાઢેલી સ્ત્રી મોટે મોટેથી બોલે છે — આ જુઓ, રાજા રામથી પણ ચઢી ગયો, હું તો મારા પતિના ભાઈને ઘેર જ રહેવા ગયેલી એમાં મને કાઢી મૂકે છે. આ સાંભળી રામ સગર્ભા સીતાને વનમાં મોકલાવી દે છે. વાલ્મીકિ આશ્રમમાં ગયેલી સીતા પર ઋષિઓ શંકા આણે છે અને પરીક્ષા લે છે, એ પરીક્ષામાંથી પસાર થયેલી સીતાને પછી બધા સ્વીકારે છે. આમ જોઈએ તો કેટલી બધી પરીક્ષાઓમાંથી સ્ત્રીઓએ પસાર થવું પડે છે. એક કથામાં બેસુધ હાથીનો સ્પર્શ કોઈ પતિવ્રતા કરે તો જ તે પાછો હરતોફરતો થાય, એક રાજાની ૮૦૦૦૦ રાણીઓ હતી, તેમાંથી એક પણ હાથીને જીવંત કરી ન શકી! છેવટે એક સાવ ગરીબ સ્ત્રી હાથીને સ્પર્શી તેને જીવતો કરે છે! સાસુના ત્રાસ ભોગવીને ભાગી છૂટેલી કીર્તિસેના કેવી રીતે અવારનવાર દુર્ઘટનાઓમાંથી બચતી બચતી મરવા પડેલા રાજાનો રોગ નાબૂદ કરે છે તેની અદ્ભુત કથા અહીં છે. આપણને જાતકની જીવક કૌમારભૃત્યની કથા પણ યાદ આવી જાય. એવી જ રીતે પોતાનું શીલ ભ્રષ્ટ કરવા આવી ચઢેલા ચાર પુરુષોને અને તેમને મદદ કરનાર તાપસીને તથા તેની શિષ્યાને દેવસ્મિતા કેવી રીતે સજા કરે છે તેની કથા છે. બૃહત્કથા, વસુદેવહિંડી, કથાસરિત્સાગર અને એને આધારે પશ્ચિમમાં બહુ જાણીતી થયેલી અરેબિયન નાઇટ્સમાં અવારનવાર અતિપ્રાકૃત તત્ત્વો જોવા મળશે. અહીં જાતજાતના ચમત્કારોની કથાઓ છે. ઋષિઓ કે દેવતાઓના શાપને કારણે રાક્ષસ, પશુમાં ફેરવાઈ જતા મનુષ્યોની કથાઓ વારેવારે જોવા મળશે. એક કથામાં તો ગણપતિની પૂજા કર્યા વિના માણસોએ ફળ ખાધાં એટલે તેઓ પોતે ફળમાં રૂપાંતરિત થઈ ગયા. દેવતાઓ પણ સ્તુતિ કરો એટલે પ્રસન્ન થઈને વરદાન આપતા રહેશે. એક જાણીતું કથાઘટક બળાત્કારના ખોટા આળનું છે, આપણી કેટલી બધી લોકકથાઓમાં આ કથાઘટક આવે છે. સંગીત, નૃત્યમાં વિશારદ એવા ગુણશર્માની કથા આવી છે. એના આશ્રયદાતાની રાણી ગુણશર્મા પર મુગ્ધ થઈ જાય છે પણ નાયક જરાય મચક આપતો નથી. છેવટે બળાત્કારનો તથા રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે છે. વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે ગુણશર્માની આત્મકથા અહીં વિગતે આલેખાઈ છે. ગુણશર્મા તો કળારસિક હતો એટલે કદાચ કોઈ સ્ત્રી આકર્ષાય, પણ કેટલી બધી કથાઓમાં તો રસ્તે ચાલતા ગમે તે પુરુષ પર સ્ત્રીઓ મોહી પડે છે! આ બધી કથાઓમાં વારાંગનાઓ વારેવારે આવી છે એનો નિર્દેશ કરી ગયા. એક કથા વિક્રમાદિત્ય અને મદનમાલાને આવરી લે છે. અહીં વિક્રમાદિત્યનાં સાહસો કરતાં મદનમાલાનો વિક્રમ પ્રત્યેનો પ્રેમ વધુ ચઢી જાય એવી રીતે આલેખાયો છે. જ્યારે વિક્રમ અને કુમુદિકાની કથામાં વિક્રમને પોતાની પ્રિયતમા પર આંધળો વિશ્વાસ આલેખાયો છે, એનો મંત્રી એવો વિશ્વાસ કરતો નથી, રાજાની સાથે સતી થવા તૈયાર થયેલી વારાંગના પણ શુદ્ધ હૃદયથી વિક્રમને નહીં પણ બીજા કોઈને ચાહતી હતી એ વાત બહાર આવે છે. આ કુુમુદિકાના જમા પક્ષે એટલું કહી શકાય કે તે જાતે બધી કબૂલાત કરે છે. કેટલીક કથાઓમાં પૂર્વવર્તી પરંપરાઓને યથાતથ જાળવી રાખવામાં આવી છે, તો કેટલીક કથાઓમાં ઘણું બધું બદલાઈ જાય છે. મહાભારતમાં દ્રુપદને ત્યાં ધૃષ્ટદ્યુુમ્નનો જન્મ થાય છે પણ તે જન્મ્યો ત્યારે સ્ત્રી હતો, પાછળથી એક યક્ષ પોતાનું પુરુષત્વ આપીને એનું સ્ત્રીત્વ લઈ લે છે. (મહાભારતયુદ્ધમાં ભીષ્મ એની સામે લડવા તૈયાર નથી થતા કારણ કે એ મૂળ સ્ત્રી તરીકે જન્મ્યો હતો.) કથાસરિત્સાગરની એક કથામાં સ્થૂલશિરા યક્ષ પણ આ જ રીતે પોતાની પુંસકતા દાનમાં ધરી દે છે. મહાભારતમાં આવતી ધર્મવ્યાધની કથાને મળતી કથા અહીં છે, મૂળ પાત્રો પણ જળવાઈ રહ્યાં છે. એવી જ રીતે મહાભારતમાં ખાસ્સો પ્રસ્તાર નલોપાખ્યાનનો છે. સોમદેવે મહાભારતની મૂળ કથાને યથાતથ જાળવી રાખી છે, આચાર્યશ્રી હેમચંદ્ર ‘ત્રિષષ્ઠિ શલાકાપુરુષ’માં મૂળ કથામાં અનેક ફેરફારો કરે છે. સોમદેવે કાદમ્બરીને આધારે જ બે વિદ્યાધરીઓની કથા લખી, તેમાં મહાશ્વેતા અને કાદમ્બરીનાં નામ બદલી નાખ્યાં અને મૂળ કથાને વફાદાર રહીને આલેખન કર્યું છે. આનો અર્થ શો થઈ શકે? ગુણાઢ્યના સમયે તો બાણ ભટ્ટ હતા જ નહીં. હા, સોમદેવના સમયે ‘કાદમ્બરી’ હતી. કથાસરિત્સાગરના આરંભે સોમદેવે જે કંઈ લખ્યું તેને ચુસ્ત રીતે તે વળગી રહ્યા નથી એમ લાગે છે. આ પ્રકારની કથાઓમાં અવારનવાર વારાંગનાઓની અને તેમની કુટિલ માતાઓની વાત આવે છે. ‘વસુદેવહિંડી’માં પણ ધમ્મિલને હાંકી કાઢવા માગતી કુટ્ટનીની વાત આવશે. ‘કથાસરિત્સાગર’માં પણ આવી કુટ્ટનીઓ આવ્યા કરશે. હળવી શૈલીમાં આલેખાયેલી ‘આલજાલ’ની કથા મનોરંજનાત્મક છે. ‘આલજાલ’ની કુટ્ટની વારાંગનાઓની બધી જ યુક્તિપ્રયુક્તિઓ જાણે અને શીખવે પણ ખરી. એ કળા શીખ્યા વિનાના નાયકનું બધું ધન વારાંગના અને તેની મા લઈ લે છે અને એ કળા શીખ્યા પછી નાયક મા દીકરીનું ધન લઈ લે છે. રમણભાઈ નીલકંઠના પ્રખ્યાત નાટક રાઈનો પર્વત’માં વૃદ્ધ પર્વતરાયને જુવાન બનાવવાનો કીમિયો કરવા માગતી જાલકા અને તેના ષડયંત્રથી દૂર રહેવા માગતા રાઈની કથા છે. આ નાટક કથાસરિત્સાગરમાં આવતી તરુણચંદ્ર વૈદ્યની કથા પરથી આધારિત હોવાની શક્યતા છે, અલબત્ત રમણભાઈ નીલકંઠે એના આધારે સાવ જુદા પ્રકારની કૃતિ રચી એનો ઇન્કાર ન કરી શકાય. આ કથાઓમાં આવતાં રાજસેવકો રાજાને પૂરેપૂરા વફાદાર રહે છે. વીરવર બ્રાહ્મણની કથા એનું લાક્ષણિક દૃષ્ટાંત છે. તો બીજી બાજુએ હંસાવલીની કથામાં હંસાવલીની સખી જ દ્રોહ કરે છે અને આખરે તો ઈશ્વરી ન્યાય મળી જ રહે છે. બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણધર્મ વચ્ચેના સંઘર્ષની વાત મોટે ભાગે મૂળ બૃહત્કથામાં નહીં હોય, સોમદેવ તો શંકરાચાર્ય પછી થઈ ગયા, એટલે આ બે ધર્મ વચ્ચેના સંઘર્ષની વાત સોમદેવે ઉમેરી હોય એવું લાગે છે. કેટલીય કથાઓમાંથી લોકકથાઓને સામગ્રી મળી રહી હશે. મૂર્ખ રાક્ષસ અને તેની બુદ્ધિશાળી પુત્રી, રાક્ષસોના જીવ ક્યાંક બીજે સંતાડેલા હોય, સાતમો ઓરડો નહીં ખોલવાની રૂઢિ તો જાણીતી છે. બાળકોને નદીમાં પધરાવી દેતી માતાઓ, અતિશયોક્તિભરી વિગતો દસ લાખ હાથી, ચૌદ લાખ રથ, દસ કરોડ પછતિ વગેરે... લેખક અને વાચક બંને સમજી જાય કે આ માત્ર શબ્દરમત છે. વળી આપણી પ્રાચીન કથાઓમાં ભાડૂતી વરની વાત આવ્યા કરશે. દીકરો કુરૂપ હોય અને એવા દીકરાને બદલે કોઈ સુંદર યુવાનને ગોઠવી દેવાની યુક્તિઓ ઘણી બધી કથાઓમાં જોવા મળશે.

કથાસરિત્સાગરના સર્જક કોઈ ધર્મસંપ્રદાયના નથી, પ્રત્યક્ષ રીતે કોઈ પ્રકારનો ઉપદેશ આપવા માગતા નથી. હા, વાચક પોતાની મેળે ચરિત્રોના જીવનમાં બની ગયેલી ઘટનાઓમાંથી કોઈ બોધ તારવી લે એ જુદી વાત છે. વાચકને જન્મ સાથે તો આંખો મળી જ હતી પણ હવે એ આંખોથી કથાસરિત્સાગરમાં વિહાર કરવો ન ચાલે એટલે બીજી આંખો આપી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણ પાસે દિવ્યચક્ષુ માગે છે, અહીં પણ વાચકે પોતાના ચર્મચક્ષુને બાજુ પર રાખવાનાં છે, પણ એમાં વિહાર કરવા માત્ર આંખો ન ચાલે, પાંખો પણ જોઈએ, એટલે ગુણાઢ્ય કે સોમદેવ વાચકને પાંખો આપે છે. વાચક પોતાના વાસ્તવ જગતમાંથી કથાના વાસ્તવ જગતમાં, કથાએ ઊભા કરેલા ત્રિલોકમાં એ પાંખો વડે વિહાર કરવા માંડે છે, એ વિહાર કરતી વખતે એક કપોલકલ્પિત વિશ્વ તેની સામે આવી જાય છે. એ વિશ્વમાં ક્રૂરમાં ક્રૂર, મહાન શક્તિશાળી રાક્ષસો પણ મૂર્ખ સાબીત થાય છે- દા.ત. શૃંગભુજ અને રૂપશિખાની વાર્તા જુઓ. પ્રેમમાં ઉન્નત બનેલી કન્યા પિતાની ઉપરવટ જઈને પોતાના માનીતા શૃંગભુજને કેટલી બધી સહાય કરે છે. આપણી લોકકથાઓનાં કેટલાં બધાં ઘટકોનો વિનિયોગ કરવામાં આવ્યો છે! અહીં શૃંગભુજને તેની સાવકી માતાઓ તથા સાવકા ભાઈઓ કેવી રીતે હેરાન કરે છે તેની કથા અને એ હેરાનગતિઓમાંથી નાયક કેવી રીતે બચી જાય છે તેની કથા આલેખાઈ છે, વળી સાચા પ્રેમના સ્પર્શે નાયકમાં કેટલી બધી ઉદારતા પ્રગટે છે કે અપરાધ કરનારાઓને તે ક્ષમા આપે છે. અહીં પશુઓ-પક્ષીઓને પોતાની આત્મકથાઓ કહેતા બતાવ્યા છે, એટલું જ નહીં મંત્રતંત્ર, કામણટૂપણનો પાર નથી. ગળામાં બાંધેલી દોરી કાઢી નાખો એટલે મોરમાંથી કે વાંદરામાંથી માનવી બની જાઓ. આવાં પાત્રો પાસેથી દૃષ્ટાંતકથાઓ જાણવા મળશે. ક્યારેક અશ્લીલ લાગે એવાં વર્ણન પણ જોવા મળશે. સ્ત્રીઓનાં સાહસ, ચતુરાઈ, હિંમતને તો દાદ આપવી જોઈએ. કેટલીક કથાઓ સેંકડો વર્ષોથી રૂપાંતરિત થઈ થઈને આપણી પાસે આવી છે, દા.ત. હરિશર્મા બ્રાહ્મણની કથા આપણને તીડા જોષીની કથા રૂપે જોવા મળે છે. આ એવો સમાજ છે, જ્યાં એક કરતાં અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકાય છે. મોટે ભાગે સ્ત્રીઓ એક કરતાં વધુ પુુરુષો સાથે પરણતી નથી- મહાભારતની દ્રૌપદી અપવાદ રૂપ બનશે, જો કે એનું કારણ એનો પૂર્વજન્મ છે એવું મહાભારતકારે કહ્યું છે. શાકુંતલકથામાં તો માછલીના પેટમાંથી વીંટી નીકળી હતી, અહીં તો માછલીના પેટમાંથી જીવતીજાગતી સ્ત્રી પણ નીકળી શકે છે. નર્તકીઓ ભીંતો પરની પ્રતિમાઓમાં પ્રવેશી જશે, એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ શાપ આપવાની ક્ષમતા ધરાવે છે. આપણા સમયમાં કપોલકલ્પિત તત્ત્વ કથાઓમાં નથી આલેખાયું એમ કહી શકાશે ખરું? ફ્રાન્ઝ કાફકાની ‘મેટમોર્ફોસિસ’, ઘનશ્યામ દેસાઈની ‘કાગડો’, ‘લાભશંકર ઠાકરનું ‘વૃક્ષ’ નાટક, મધુ રાયની વાર્તા ‘ઈંટોના સાત રંગ’ — આ ઉપરાંત પણ બીજી ઘણી વાર્તાઓમાં કપોલકલ્પિત તત્ત્વ દેખાશે. એકાએક કરોડો લોકોને કારાવાસમાં નાખી દેનારી રાજકીય કટોકટીને કયા નામે ઓળખાવીશું? આપણું વાસ્તવ એ કંઈ સીધુંસાદું વાસ્તવ તો નથી, એમાં વ્યાપ, સંકુલતા, ઊંડાણ ખાસ્સાં છે. આ કથાઓમાં પણ એવું વાસ્તવ જોવા મળશે.