ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના

પછી ધમ્મિલ્લે કમલસેનાને (એ દૃષ્ટાન્ત પૂરું કરતાં કહ્યું), ‘હે કમલસેના! જેનું ગાડારૂપી સાધન હરાઈ ગયું છે એવો તે ગાડાવાળો યોગ-ક્ષેમ નિમિત્તે આણેલા બળદોને લઈને વિલાપ કરતો જતો હતો, ત્યારે બીજા કુલીન ઘરના પુત્રે તેને જોયો, અને પૂછ્યું, ‘શા માટે વિલાપ કરે છે?’ તેણે કહ્યું, ‘ભાઈ! આવી આવી રીતે મને છેતરવામાં આવ્યો છે.’ એટલે જેને દયા આવી છે એવા તે કુલપુત્રે કહ્યું, ‘તો એ લોકોના ઘેર જા, અને હું કહું છું તે પ્રમાણે કહેજે.’ પછી તે ગાડાવાળો ગયો, અને ગાન્ધિકપુત્રના ઘેર જઈને કહેવા લાગ્યો, ‘ભાઈ! તમે મારું ધાન્ય ભરેલું ગાડું લઈ લીધું છે, તો આ બળદ પણ લો. ફક્ત મને ખોરાકની બે પાલી આપો, એટલે તે લઈને હું જાઉં. પણ હું જેને તેને હાથે સાથવાની બે પાલી લેતો નથી. પ્રાણથી પણ પ્રિયતમ તમારી પત્ની સર્વ અલંકારોથી વિભૂષિત થઈને તે મને આપે. એથી મને પરમ સંતોષ થશે, અને જીવલોકમાં હું રહું છું એમ માનીશ.’ પછી તેણે સાક્ષી રાખ્યા, અને જે પ્રમાણે કરવાનું હતું તે કહ્યું. થોડીક વારે ગાન્ધિકપુત્રની પત્ની સાથવાની બે પાલી ભરીને નીકળી. તેને ગાડાવાળાએ પોતાના હાથમાં ઉપાડી લીધી, અને ચાલવા માંડ્યો. ગાન્ધિકપુત્રોએ કહ્યું, ‘આ શું કરે છે?’ ગાડાવાળાએ કહ્યું, ‘સાથવાની બે પાલીઓ લઈ જાઉં છું.’ પેલા લોકોએ સાદ પડાવીને મહાજન ભેગું કર્યું. મહાજને સાક્ષીઓને પૂછ્યું કે, ‘આ શું છે?’ તેઓએ જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. આવેલ મહાજનોએ મધ્યસ્થ થઈને ન્યાય કર્યો, અને તેમાં ગાન્ધિકપુત્રોનો પરાજય થયો. પેલી સ્ત્રીને ગાડાવાળા પાસેથી ઘણા પ્રયત્ને મુકાવી શકાઈ. ગાડું ધનથી ભરીને તેને પાછું આપવામાં આવ્યું.

માટે હે કમલસેના! બીજો માણસ જ્યાં આ પ્રકારનો હોય ત્યાં એને કોણ છેતરી શકવાનું હતું?’ આ સાંભળીને કમલસેના હસી, અને તેણે કહ્યું, ‘જાઓ, વિજય કરીને પાછા આવજો.’ પછી કમલસેનાએ વિમલસેનાને કહ્યું, ‘હે વિમલા! આ પુરુષનું જ્ઞાન તો જો!’ ત્યારે વિમલાએ કહ્યું -

‘એ નોકરડાની વાત પણ મારે માટે દ્વેષ્ય છે, એની વાણી પણ મારે માટે દ્વેષ્ય છે, જે સ્થળે એ ઊભો રહ્યો હોય એ ભૂમિ પણ મારે માટે દ્વેષ્ય છે.’

વિમલસેનાનું આ વચન સાંભળીને ધમ્મિલ્લ ત્યાંથી ચાલ્યો ગયો.