ભારતીયકથાવિશ્વ-૫/પંજાબની લોકકથા/રાજા રસાલૂ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજા રસાલૂ

રાજા સલવાને પોતાના એકમાત્ર દીકરા પૂરનને મોતની સજા ફરમાવી હતી. પોતાના તરફથી તો એણે ન્યાય કર્યો હતો અને હકદારને હક આપ્યો હતો. પણ એનું મન પ્રસન્ન નહોતું. બે રાણીઓ હતી, બંનેની ગોદ ખાલી હતી. આટલું મોટું રાજ હતું, મહેલો અને અટારીઓ હતી, પણ ક્યાંય કશી રોનક નહોતી. રાજાની ઉંમર વધતી જતી હતી અને રાજ્યનો કોઈ વારસ પેદા નહોતો થયો. મોટી રાણી, પૂરનની મા ઇચ્છરાંએ રડી રડીને આંખો ગુમાવી દીધી હતી અને નાની રાણી લૂણાનું યૌવન ઢળતું જતું હતું, પણ હજી સુધી એનો ખોળો ભરાયો નહોતો. એના દિલમાં એક ઊંડો ઘા હતો, અને ઘા રોજ ઝર્યા કરતો હતો. એ ડરતી હતી કે કયાંક બેદરકારીમાં, સપનામાં કે ઉગ્રતામાં એ પોતાના પાપની કથની ખુદ પોતે જ જાહેર ન કરી દે. વર્ષોથી એણે શણગાર નહોતા સજ્યા, ન તો એ રિસાઈ હતી, ન તો રાજાએ એને મનાવી હતી. આ મહેલમાં જાણે બધી ચીજ ખોવાઈ ગઈ હતી. દાસદાસીઓ પણ છાયાની જેમ ઘૂમ્યા કરતાં હતાં.

એક દિવસ ખબર આવી કે એક સાધુએ પૂરનના કૂવા પર મુકામ કર્યો છે, વર્ષોથી આ કૂવામાંથી કોઈએ પાણી નહોતું ખેંચ્યું. આસપાસનો બગીચો સુકાઈ ગયો હતો. એટલે સુધી કે કૂવાનાં પાણી પર લીલ જામી ગઈ હતી. લોકો આ અપશુકનિયાળ બાગમાં ફરવા પણ નહોતા આવતા. પણ સાધુના આવ્યા પછી કૂવામાંથી લોકો પાણી લેવા લાગ્યાં. બાગ હર્યોભર્યો થઈ ગયો અને શ્રદ્ધાળુ લોકોનાં ટોળાં જામવાં લાગ્યાં. સાધુનો મહિમા રાજમહેલ સુધી પણ પહોંચ્યો. લોકો કહે છે કે રાજમહેલના કાંગરે એક સફેદ કાગડો બેઠો. ઇચ્છરાં અને લૂણા બંનેને લાગ્યું કે જાણે બેટાએ માને સાદ દીધો. એમણે ઉઘાડા પગે સાધુનાં દર્શને જવાનું નક્કી કર્યું.

રાણી ઇચ્છરાં બાર વર્ષથી ભોંયરામાં પડી રહેલી. આજે પહેલી વાર પોતાના શોકમહેલમાંથી ગુલાબી પોશાક પહેરી બહાર નીકળી. આ ખબર સુવાસની માફક આખા શહેરમાં ફેલાઈ ગઈ. ગાડીવાન ગાડી જોડી રાજમહેલના પ્રવેશદ્વારે હાજર થયો. પણ પાગલ મા, મોહના દોરે ખેંચાઈ ઉઘાડે પગે જ અથડાતીકુટાતી જતી હતી. એની આંધળી આંખો પણ પોતાના પુત્રના બાગનો રસ્તો ઓળખતી હતી. આગળ આગળ રાણી, અને પાછળ પાછળ ઘોડાગાડી. રાણીના આવતાં પહેલાં જ રાણીના સમાચાર પૂરનના કૂબા સુધી પહોંચી ગયા હતા.

પોતાની માને પોતાના તરફ અથડાતીકુટાતી આવતી જોઈને સાધુ પોતાના આસનેથી ઊભો થઈ ગયો. અડધે સુધી એ માની સામે ગયો અને પોતે એનો હાથ ઝાલી લીધો. આ રીતે માદીકરો ચાલ્યાં જતાં હતાં ત્યાં ઇચ્છરાંએ કહ્યું, ‘તારો સ્પર્શ તો મારા દીકરા જેવો છે. તું તો મારો જોગી દીકરો છે.’

સાધુ પણ દ્રવિત થઈ ગયો. એને પણ વર્ષો પછી માનો સ્પર્શ પ્રાપ્ત થયો હતો. એણે કહ્યું:

‘મા, હું તારો જોગી દીકરો છું.’

પૂરનના બગીચાની માફક, પૂરનની મા પણ હરીભરી થઈ ગઈ. એની આંખની રોશની પાછી આવી ગઈ અને એની છાતીમાંથી દૂધની ધાર ફૂટી નીકળી.

ઇચ્છરાંની પાછળ પાછળ જ સલવાન અને લૂણા ચાલ્યાં આવતાં હતાં. જોનારાઓને લાગ્યું જાણે હિમથી ઠુંઠવાયેલાં વૃક્ષ ચાલ્યાં આવતાં ન હોય. પૂરન એમને પણ શું પોતાના સ્પર્શથી હર્યાભર્યા કરી દેશે? પોતાના વૃદ્ધ ઉદાસ પિતાને પોતાની તરફ આવતા જોઈ પોતાના આસન પર ઊભો થઈ ગયો. સલવાન ધૂણી પાસે પહોંચ્યો એટલે એણે નમીને નમસ્કાર કર્યા. રાજા આશ્ચર્યમાં પડી ગયા. એણે કહ્યું: ‘જોગી, મારા પર આટલો બોજ ન નાખો. હું તો તમારી ધૂણીમાંથી એક ચપટી ભભૂત લેવા આવ્યો છું. તમારી કૃપાનો યાચક છું.’

‘રાજા, આ ધૂણી તમારી જ બક્ષેલી છે. જે જોઈએ તે લઈ લો.’

રાજા આશ્ચર્ય અનુભવતો હતો. એનાથી કશું બોલાતું નહોતું, પરંતુ પુત્રવિહોણી લૂણા શી રીતે ચૂપ રહે? એ બોલી,

‘જોગીરાજ, જો કૃપા કરવી હોય તો બસ, રાજાને એક પુત્રનું દાન દઈ દો.’

સાધુએ કહ્યું, ‘રાજાને એક પુત્ર તો પહેલેથી જ છે.’

રાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ બોલ્યો, ‘પુત્ર હતો, હવે નથી. જો હોય તો આજે જ હું એ કુકર્મીને પાછો લઈ આવું. વાંઝિયા મરવા કરતાં તો…’ સાધુએ વાત કાપતાં કહ્યું, ‘ના, રાજા, તારો પુત્ર આજે પણ છે, એ કુકર્મી પણ નથી અને તું એને ઘરે પાછો લાવી શકે તેમ પણ નથી.’

રાજા જાણતો હતો કે સાધુઓ જૂઠું ન બોલે. એણે ક્રોધભરી નજરે લૂણા તરફ જોયું. લૂણા તો પહેલેથી જ પૂતળાની માફક બેઠી હતી. એની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. એક તો સાધુના ચહેરા પર એટલું તેજ હતું કે એની સામે જૂઠુું બોલવાની હિંમત કેમ થાય? અને રાજાની આંખમાં પણ ક્ષોભ ભર્યો હતો. વળી રાણી પોતે પુત્રનું વરદાન માગવા સાધુના મુકામે આવી હતી. એણે રડતાં રડતાં પોતાનો ગુનો કબૂલ કર્યો, ‘પૂરનનો કંઈ વાંક નથી. મારી અક્કલ જ બહેર મારી ગઈ હતી. હું એના રૂપનું તેજ ન ઝીલી શકી. હું ધર્મમાંથી ચળી ગઈ.’

રાજાએ તલવાર ખેંચી લૂણાની ગરદન ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો. પણ પૂરને એનો હાથ પકડી લીધો, અને કહ્યું, ‘રાજા, જે કાંઈ પણ થયું તે સારું જ થયું. શા માટે નારાજ થાય છે! તારો પુત્ર આજે પણ જીવતોજાગતો છે અને તારી સામે પ્રત્યક્ષ બેઠો છે.’

સૌએ એની સામે ધારી ધારીને જોયું અને ઓળખવાનો પ્રયત્ન કર્યો તો એમને જોગીના ચહેરામાં રાજકુમારનું મોં દેખાયું. એમણે સાધુને આલિંગનમાં લેવાનો પ્રયાસ કર્યો, પણ સાધુ પોતાની ધૂણીમાંથી સળગતું લાકડું લઈ ઊભો થઈ ગયો. એણે કહ્યું, ‘રાજા, અમે મોહમાયાનાં બંધન તોડી ચૂક્યા છીએ. હવે આપણે ફરીને બાપદીકરો નહીં બની શકીએ. નિરાશ ન થા. તારો પુત્ર જ્યાં પણ જશે, તારા કુળનો મહિમા વધારશે. જ્યાં પૂરન જોગીની ચર્ચા થશે, ત્યાં રાજા સલવાનનું નામ પણ લેવાશે. રાજપાટ તો આથમતી છાયા છે, પણ ધર્મની વાતો યુગયુગાંતર સુધી અટલ રહે છે.’

લૂણા બોલી, ‘મારા કારણે રાજમહેલ સૂનો છે. જ્યાં સુધી રાજાનો પુત્ર મહેલમાં નહીં જાય, ત્યાં સુધી હું પણ મહેલમાં પગ નહીં મૂકું. જોગી બેટા, જ્યાં સુધી તું ઘરે પાછો નહીં આવે, ત્યાં સુધી મારા માથેથી કલંક નહીં જાય. જો માફી આપી જ છે, તો પૂરેપૂરા ગુનાની માફી દઈ દે. આપણા ઘરે ચાલ.’

જોગીએ ભિક્ષાના ખપ્પરમાંથી ચોખાનો દાણો ઉઠાવી લૂણાની હથેળી પર મૂકી દીધો અને કહ્યું, ‘મા, જા, તારે ઘરે પાછી જા.’ તારી સાથે સાથે તારો દીકરો પણ ઘરે જશે. તારી કૂખ પણ આ બાગની માફક હરીભરી થઈ જશે.’

રાજાએ કહ્યું, ‘પૂરના? તું પણ ઘરે પાછો આવી જા! તારા વિના વેરાન ઘર ફરી નહીં વસે.’

પૂરને જવાબમાં કહ્યું, ‘રાજા, અમે ઘરે પાછા ન ફરી શકીએ. તારા માટે અમે મરી ચૂક્યા છીએ. અને મારા મોંમાંથી જે શબ્દો નીકળ્યા છે તે પણ અટલ છે. તારે ઘરે પુત્ર થશે. પણ એને પણ તું ઘરમાં નહીં રાખી શકે. મા ઇચ્છરાંની જેમ મા લૂણા પણ પોતાના પુત્ર વિના રડશે, વલોપાત કરશે.’

થોડા સમય પછી લૂણાની કૂખે રસાલૂનો જન્મ થયો. જ્યોતિષીએ કુંડળી જોઈ સલાહ આપી કે આને પણ બાર વર્ષ સુધી એનાં માબાપથી જુદો રાખવામાં આવે. આનાં ગ્રહનક્ષત્ર પણ પૂરનનાં ગ્રહનક્ષત્ર જેવાં હતાં. પંડિતોએ કહ્યું, ‘આ રાજકુમાર વીર, બળવાન પણ થશે અને સાધુની માફક નિર્લેપ પણ થશે.’

રસાલૂને ભોંયરામાં રાખવામાં આવ્યો. દાસ-દાસીઓ અને નોકરચાકરને એની સેવામાં મૂકવામાં આવ્યાં. બાર વર્ષનો ખર્ચ પણ દેવામાં આવ્યો. જે દિવસે રસાલૂ જન્મ્યો, તે જ દિવસે, રાજાના ઘોડારમાં એક ઘોડાનો જન્મ થયો. એનું નામ પાડવામાં આવ્યું ફૌલાદી. એના પાલનપોષણની વ્યવસ્થા પણ રસાલૂ સાથે કરવામાં આવી.

રસાલૂ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. બાર વર્ષ પૂરાં થયાં ત્યારે એ ભોંયરામાંથી બહાર નીકળ્યો: એ જેટલો સુંદર હતો તેટલો જ તંદુરસ્ત પણ હતો. નિષ્ણાતોએ એને રાજકાજ સંબંધી બધી વિદ્યા શીખવી. ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી અને ભાલા ચલાવવામાં એ એકદમ નિપુણ હતો. ઘરની બહાર એ શિકાર કરતો અને ઘરમાં શેતરંજ.

જ્યારે એ યુવાન થયો ત્યારે રમત રમતમાં ગિલોલ ચલાવવા માંડ્યો. ગામની સ્ત્રીઓ કૂવે પાણી ભરવા જતી ત્યારે રસાલૂ ગિલોલથી એમના ઘડા ફોડી નાખતો. આંખના પલકારામાં જ ઘડામાં દસબાર કાણાં પાડી દેતો. ઠેર ઠેર પાણીની ધાર વહેવા લાગતી. સ્વપ્ન જેવું દૃશ્ય ખડું થઈ જતું. પણ રસાલૂના આ મનોરંજનથી ગામને ખૂબ નુકસાન થતું હતું. સ્ત્રીઓએ લૂણાના મહેલે જઈ ફરિયાદ કરી. લૂણા પોતાના લાડકા દીકરાને ના ન પાડી શકી. એણે લોકોને ઘડાને બદલે ગાગર લઈ આપી. પણ રસાલૂ માથી વધુ ચાલાક નીકળ્યો. હવે એણે હાથમાં ગિલોલને બદલે તીરકામઠું લીધું. એ તીર મારી ગાગરમાં કાણાં પાડી દેતો. પ્રજા ખૂબ દુ:ખી થઈ ગઈ. હવે ફરિયાદ રાજા સુધી પહોંચી. રાજા પોતાના એકમાત્ર દીકરાને રોકી ન શક્યો. પણ પ્રજાનું દુ:ખ પણ એનાથી ન જોવાયું. એણે પોતાના પુત્રના મોંને મળતું એક પૂતળું બનાવડાવ્યું અને મોં કાળું કરી રાજમહેલની બહાર રાખી દીધું. રસાલૂ શિકાર રમી પાછો આવ્યો એણે રાજમહેલના દરવાજે પૂતળું જોયું. કાળું મોં, ભૂરા પગ, એ રાજાના ક્રોધને જાણી ગયો. એ સમજી ગયો કે મહેલમાં એનાં અન્નજળ પૂરાં થઈ ગયાં છે. એણે પોતાને દેશ છોડી દેવાનો નિશ્ચય કરી નાખ્યો.

રાજકુમારના દેશવટાની ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ. હિંમતવાન છોકરાઓ રાજકુમારની સાથે ચાલી નીકળ્યા. સૌએ પાકો નિશ્ચય કરી લીધો કે પોતાના દેશથી બહાર નીકળી કેવળ પોતાની હિંમતના જોરે જ કંઈક કરી બતાવશે, આ છોકરાઓની માતાઓ પાછી લૂણાના મહેલે પહોંચી, ત્યાં જઈ વિનંતી કરી કે તમારા છોકરાને રોકો. પણ તીર કમાનમાંથી છટકી ગયું હતું. રસાલૂ અને એના સાથીદારો શહેરથી ઘણા દૂર નીકળી ગયા હતા. લૂણા મહેલની અગાસીએ ચડી પોતાના મુસાફર પુત્રને જોવા લાગી. પણ ધૂળમાટીનાં વાદળ સિવાય કશું ન દેખાયું.

લૂણાએ વિલાપ કરતાં સાદ દીધો:

વે તું ચલિઉં દેસ બગાને પુત્ત રસાલૂઆ,

વે તૂં મૂડ આ કિસે બહાને પુત્ત રસાલૂઆ,

કલગી તેરી મિટ્ટી ચ રૂલ ગઈ,

તેરે નકશ ના જાણ-પછાણે, વે પુત્ત રસાલૂઆ |

તિખ્ખો છુરો કલેજે ધાણી

જા બેઠી દિલ દે ખાને, વે પુત્ત રસાલૂઆ |

પિચ્છે તાં છડ્ડ ગિઓં, બલદિયાં લાટાં,

વે તૂં બન્ન ગિયો અગ્ગ દે ગાનેં, વે પુત્ર રસાલૂઆ |

(બેટા રસાલૂ, તું અજાણ્યા દેશમાં ચાલ્યો ગયો છે. બેટા રસાલૂ, કોઈ પણ બહાનું કાઢી પાછો આવી જા. તારી કલગી ધૂળમાં રગદોળાઈ ગઈ છે. તારું મોં ઓળખાય એવું નથી. તેજ છરી દિલ-સોંસરવી ઊતરી ગઈ છે. બેટા, રસાલૂ, તારી પાછળ તું ભભકતી જ્વાળાઓ મૂકી ગયો છે, આગનાં ગીતો બાંધી ગયો છે.)

રસાલૂએ શહેર તરફ પીઠ કરી, પછી પાછું વાળી જોયું જ નહીં. સિયાલકોટથી નીકળી એ ગુજરાત પહોંચ્યો, ત્યાં એક ગુર્જર રાજા રાજ્ય કરતો હતો. રાજાએ શહેરની બહાર આવી રસાલૂનું સ્વાગત કર્યું અને પૂછ્યું:

કિસ રાજે દા પુત્તર હૈ,

તે કી હૈ તેરા નામ

કેહડા તેરા દેસ સોણિયાં

કેહડા નગર ગ્રામ?

(તું કયા રાજાનો પુત્ર છે? તારું નામ શું છે? ઓ સુંદર નવયુવાન, તારો દેશ કયો છે? કયા નગરગામથી તું આવ્યો છે? )

રસાલૂએ જવાબ આપ્યો:

મેં રાજે સલવાન દા પુત્તર

મેરા નામ રસાલ

મેરા તાં હુણ દેસ ના કોઈ

પિયો દા દેસ સિયાલ

(હું રાજા સલવાનનો પુત્ર છું. મારો હવે કોઈ દેશ નથી. પિતાના દેશનું નામ સિયાલ છે.)

ગુર્જર રાજા સમજી ગયો કે રસાલૂ ખૂબ સ્વમાની છોકરો છે. એણે કહ્યું, જો પોતાનું જોર જ અજમાવવું હોય તો જેલમ તરફ જા: એ દેશના ચતુર્થાંશ પર તમારા લોકોનો હક છે. તારા પિતા ઘણાં વર્ષો સુધી નિ:સંતાન રહ્યા અને એમણે કદી પોતાનો હક જમાવ્યો જ નહીં.’

ફૌલાદી ઘોડાની પીઠ પર બેસી રસાલૂ આગળ ચાલ્યો ગયો. એણે બે મણનું કામઠું હાથમાં ઝીલી લીધું. આ કામઠામાંથી એક જ સમયે ત્રણ તીર છોડી શકાતાં હતાં અને એ તીર નિશાન વીંધી પાછાં આવતાં હતાં. રસાલૂએ જેલમનો કિલ્લો પલકવારમાં જ જીતી લીધો. પોતાના સાથીઓમાંથી એકને ત્યાંનો રાજા બનાવી પોતે આગળ ચાલી ગયો. બીજા સાથીદારો એની સાથે જવા તૈયાર થયા તો એણે કહ્યું, ‘તમે લોકો અહીં જ રહો. તમારા વિના એ એકલો કેવી રીતે રાજ ચલાવશે? બાકીની મુસાફરી હું એકલો જ પૂરી કરીશ. મારા ફકત બે જ સાથીદાર હશે. એક મારો ઘોડો ફૌલાદી અને બીજો મારો પોપટ શાદી.’

રસાલૂની વિજયયાત્રા આગળ વધતી ગઈ. આ બાજુ રાજા સલવાન વૃદ્ધ થતો જતો હતો. કોણ જાણે ક્યારે કાયામાંથી પંખેરું ઊડી જાય અને સિંહાસન ખાલી જ રહી જાય. રાજાએ દીકરાની પાછળ સંદેશ પાઠવ્યા. સંદેેશવાહકોને ખબર પડે કે આગળ આજે રસાલૂ અમુક જગ્યાએ છે, ને એ લોકો ત્યાં પહોંચે કે રસાલૂ ત્યાંથી પણ આગળ બીજે સ્થળે પહોંચી જતો. પિતાનો સંદેશ પુત્ર સુધી પહોંચી નહોતો શકતો. પછી લૂણાએ સંદેશો મોકલ્યો, પણ એય રસાલૂ સુધી ન પહોંચ્યો. અંતે મા ઇચ્છરાંએ પોતાના પુત્ર પૂરનના નામનું ધ્યાન ધરી રસાલૂને સંદેશ મોકલ્યો. પરમાત્માની કૃપાથી આ સંદેશો રસાલૂ સુધી પહોંચી ગયો અને એ પોતાના ઘર તરફ પાછો વળ્યો. રાજા સલવાને પોતાના પુત્રનો વિવાહ નાની ઉંમરમાં જ પોતાના વજીર મોતીરામની પુત્રી સાથે કરી દીધો હતો. રસાલૂ પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. શહેરની બહાર કૂવે પાણી ભરતી યુવતીઓ પરસ્પર મજાક-મશ્કરી કરતી હતી. એમણે રસાલૂને મસ્ત મનમોજીની માફક પસાર થતો જોયો અને એક છોકરીએ ટોણો માર્યો:

વે ઘોડી દે અસવારા

ફંડેેં તાં તેરે ઉડન હવા વિચ

સાંભ લૈ કડી દે વાંગ

હાય વે ઘોડી દે અસવારા

જે ફંડિયાં તો તૈનૂં ફડિયા કિસે ને

પુટન્ન નહીં દેની લાંઘ

(અરે ઘોડીના અસવાર! તારા વાળ હવામાં ફગફગી રહ્યા છે. છોકરીની માફક વાળ ઓળી લે. અરે, ઘોડેસવાર! કોઈ તને વાળથી પકડી લેશે તો એક ડગલુંય આગળ નહીં જવા દે.)

રસાલૂએ પટાક દઈ જવાબ દીધો:

જાં તાં અપની મોડ લૈ બોલી

નહીં તાં હોણ ના દેવાં તેરા કાજ

ટુટ્ટ જાયે તેરા ચૂડા-બીડા

ધરિયા રહ જાયે દાજ

(કાં તો તારા બોલ પાછા ખેંચી લે, નહીં તો હું તારાં લગ્ન નહીં થવા દઉં, તારો ચૂડો પણ ફૂટી જશે અને દહેજ પણ પડ્યો રહેશે.)

છોકરીને એક તો પોતાના રૂપનું ગુમાન હતું. બીજું એ વજીરની પુત્રી હતી. એ ભલા પોતાના બોલ શું કામ પાછા ખેંચે? એણે ખૂબ અભિમાનથી રસાલૂ તરફ જોયું અને પીઠ ફેરવી લીધી.

ઘરે પહોંચતાં જ રસાલૂએ પોતાનાં માબાપને કહ્યું, ‘મને જે કામ માટે બોલાવ્યો છે, એ કામ ઝટ પતાવી દો. મારાથી તમારી ચાર દીવાલોમાં ઝાઝો સમય કેદ નહીં રહેવાય.’ માબાપને થયુું કે દીકરાનાં લગ્ન કરી લઈએ. ઘરમાં વહુ આવશે તો એનું મન લાગી જશે. બીજે જ દિવસે રાજા જાન જોડી મોતીરામને ઘરે પહોંચ્યા. છોકરીએ સોળે શણગાર સજ્યા અને મંડપમાં આવીને બેઠી. બ્રાહ્મણે બેયની છેડાછેડી બાંધી. ચાર ફેરા થઈ ગયા. હજી ત્રણ બાકી હતા. હવે વધૂથી આગળ જતાં પહેલાં રસાલૂએ મોં ફેરવી વધૂને જોઈ. આંખો ચાર થઈ અને બંનેએ એકબીજાને ઓળખી લીધાં. આંખના પલકારામાં જ રસાલૂએ મ્યાનમાંથી તલવાર કાઢી અને છેડાછેડીની ગાંઠ દૂર ફગાવી દીધી. વીજળીની ઝડપે આંગણામાંથી દોડી એ બહાર ઊભેલા ફૌલાદી પર ચડી બેઠો. જાનૈયાસામૈયા જોતા જ રહી ગયા. પણ રસાલૂ શહેરથી દૂર નીકળી ગયો હતો. પિતાએ બૂમ પાડી, ‘માથે તિલક તો લગાવી જા. આજથી અહીંનો રાજા તું છે.’

ચાલતાં ચાલતાં રાજા એક સઘન જંગલમાં પહોંચ્યો. ત્યાં અનહદ ગરમી હતી, પણ ખૂબ તીવ્ર સુવાસ ફેલાયેલી હતી. થોડેક આગળ જઈને જોયું તો ચંદનનું એક ઝાડ બળતું હતું. થોડી વાર પછી વૃક્ષમાંથી બળતી પાંખે એક હંસ નીકળ્યો, અને રાજાના પગ પાસે પડ્યો. એને જોઈ રાજાનું દિલ દ્રવી ઊઠ્યું. એણે હંસને પૂછ્યું, ‘વૃક્ષને આગ લાગતાંમાં જ તું કેમ ન ઊડી ગયો?’ હંસે જવાબ દીધો, ‘આખી જિંદગી જે વૃક્ષનો મેવો ખાધો, શીતળ છાયાનો આનંદ લીધો, એના માથે જ્યારે મુશ્કેલી આવે ત્યારે મારાથી શી રીતે ભાગી જવાય?’ રસાલૂએ પોતે પરિશ્રમ કર્યો, નદીનો પ્રવાહ વૃક્ષ તરફ વાળ્યો અને પરમાત્માને પ્રાર્થના કરી કે આ વૃક્ષનું દુ:ખ દૂર કરો. આગ બુઝાઈ ગઈ એટલે હંસ ફરી વૃક્ષ પર જઈને બેઠો. હંસ અને ચંદનના વૃક્ષનો પ્રેમ જોઈ રાજાનું દિલ ભરાઈ આવ્યું, પણ એ પોતે તો સર્વ સ્નેહપ્રેમ તોડીને આવ્યો હતો. રસાલૂ આગળ વધ્યો એટલે હંસે કહ્યું:

કલમુકલ્લા ભોરે પાલિયોં, ક્લ્લે તેરે રાહ

કલમુક્લ્લે જંગલ થાની, કલ્લા કલ્લા જા.

(તું ભોંયરામાં એકલો રહીને ઊછર્યો છે. તારો માર્ગ એકલો છે. એકાંત જંગલમાં તું એકલો જ જા.)

રાજા ચાલતો જ ગયો. જંગલ પૂરું જ નહોતું થતું. બીજે દિવસે સવારે રસાલૂને રસ્તામાં એક સાપ મળ્યો. આંધીમાં જે રેતી ઊડેલી, એનાથી એની આંખો આંધળી થઈ ગયેલી. ઘોડાના ડાબલા સાંભળી સાપે અનુમાન કર્યું કે કોઈ માનવી અહીંથી પસાર થઈ રહ્યો છે. એણે વિનંતી કરી:

એની રાહીં લંધાર્દયા, ગલ્લ સાડી સુન જા,

જે તું મેહરાં વાલડા સાડી અકખ કંકર કટ્ટ જા