ભારતીયકથાવિશ્વ-૫/ભારતની લોકકથાઓ/બે શિષ્યોની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે શિષ્યોની કથા

કોઈ સિદ્ધ પુરુષના બે શિષ્યો હતા. બંનેએ નિમિત્તશાસ્ત્રની વિદ્યા લખી હતી. એક વાર તેઓ જંગલમાં ઘાસ-લાકડી લેવા જંગલમાં ગયા. ત્યાં તેમણે હાથીઓના પગ જોયા. એક શિષ્યે કહ્યું, ‘આ તો હાથણીના પગ છે.’

‘તેં કેમ જાણ્યું?’

‘તેની લઘુશંકાથી. વળી તે હાથણી એક આંખે કાણી છે.’

‘એ કેવી રીતે ખબર પડી?’

‘તેણે એક બાજુનું ઘાસ જ ખાધું છે.’

શિષ્યે લઘુશંકા જોઈને એ પણ કહ્યું, ‘એ હાથણી પર એક સ્ત્રી અને એક પુરુષ બેઠા છે. તે સ્ત્રી સગર્ભા છે.’

‘એ જાણકારી કેવી રીતે?’

‘તે હાથ ટેકવીને ઊભી થઈ હતી. તેને પુત્ર જન્મશે.’

‘કેમ જાણ્યું?’

‘તેનો જમણો પગ ભારે હતો અને તેણે લાલ રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં.’

‘એ વાત કેવી રીતે જાણી?’

‘આજુબાજુનાં વૃક્ષો પર લાલ તાંતણા લટકતા હતા.’