ભારતીયકથાવિશ્વ-૫/મીઝો લોકકથાઓ/બાળકની સંભાળ લેતો છુરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાળકની સંભાળ લેતો છુરા

એક દિવસ છુરાની પત્ની ડાંગરના ખેતરે ગઈ, જતી વખતે બાળકની સંભાળ લેવા છુરાને કહ્યું. ભૂખે-તરસે બાળક આખો વખત રડતું રહ્યું, છુરા તેને છાનું રાખી ન શક્યો.

બાળકને તેણે ખોળામાં લીધું, ક્યારેક પીઠ પાછળ મૂક્યું. આમ તેમ ચાલીને બાળકને છાનું રાખવાનો બહુ પ્રયત્ન કર્યો. તે શા માટે આટલું બધું રડે છે એનું કારણ જાણવા માગતો હતો. બાળકને આમતેમ તપાસ્યું. બાળકના માથે હાથ ફેરવ્યો, તેને લાગ્યું કે બાળકના માથામાં મોટો ફોલ્લો છે. હા, હવે સમજાયું, આ ફોલ્લાને કારણે તે રડ્યા કરે છે.’ એટલે તે ફોલ્લો દૂર કરવા મથ્યો, એને કારણે જ બાળક રડ્યા કરતું હતું.

છુરાએ પોતાનો સામાન એકઠો કર્યો, પછી બાળકના માથામાં શારડી ફેરવી. તેણે આખું મગજ કાઢી નાખ્યું, બાળકને છાનું રાખતાં બોલ્યો, હવે ચિંતા નથી, દુ:ખ દૂર થઈ ગયું છે.

બાળક તો સાવ શાન્ત થઈ ગયું, હવે રડતું બંધ થઈ ગગયું, નિરાંતે તે સૂઈ ગયું હતું એમ તેણે માની લીધું.

સાંજે જ્યારે તેની પત્નીએ ઘેર આવીને બાળકના સમાચાર પૂછ્યા. છુરાએ બધી વાત કરી. ‘બાળકને મોટો ફોલ્લો હતો એટલે તે રડ્યા કરતું હતું, પણ મારી મહેનતને કારણે હવે તે શાંતિથી સૂઈ રહ્યું છે.’

પત્નીએ દોડીને બાળકને જોયું, ‘અરે ભગવાન, આ તમે શું કર્યું? બાળક સાવ ઠંડું પડી ગયું છે, અને મૃત્યુ પામ્યું છે, હવે તમે એને મૃતમાનવીની ગુફામાં જઈને દાટી આવો.’

રસ્તામાં બાળકને વીંટાળેલું વસ્ત્ર ઢીલું પડી ગયું, શબ રસ્તે પડી ગયું. છુરાને કામ સારી રીતે પત્યું તેનો સંતોષ થયો.

પાછા ફરતી વખતે તે પોતાના બાળકના શબ પાસે આવ્યો. તેને ગુસ્સો આવ્યો, ‘કેવા બેદરકાર, બેજવાબદાર માણસે પોતાના બાળકનું શબ આ રીતે ફેંક્યું છે. મારી વાત કરો તો. મેં મૃત બાળકને સારી રીતે દફનાવ્યું છે.’ એમ કહીને તેણે શબને લાત મારી. તેને એ ખ્યાલ આવ્યો જ નહીં કે એ મારું જ બાળક છે અને એ જ જમીન પર ફંગોળાયું હતું.

પછી સભાનપણે તેણે પોતાના કાનને હાથ અડકાડ્યો. તેને હવે ખબર પડી કે મૃત્યુને કારણે કાન ઠંડા પડી જાય છે. પછી તે મનોમન બોલ્યો, ‘અરે, હવે હું મૃત્યુ પામ્યો છું, મારા કાન સાવ ઠંડા પડી ગયા છે.’

જરા પણ વખત ગુમાવ્યા વિના તે પાછો પેલી ગુણ આગળ આવ્યો.

ત્યાં બધા શબ મૂકવામાં આવતાં હતાં. ત્યાં તે આખો દિવસ રહ્યો. પોતાને મરેલો માની લીધો.

સાંજે એક વૃદ્ધા શોકગ્રસ્ત ગુફા પાસે આવી અને પોતાના એકલવાયાપણાથી ત્રાસીને તે બોલી, ‘અરે ગુફાવાસીઓ, આજે તમારો સમય કેવી રીતે પસાર થયો?’

વાસ્તવમાં કશા પ્રત્યુત્તરની તેને આશા ન હતી પણ છુરાએ ઘોઘરા સાદે કહ્યું, ‘અમે અમારી ઇચ્છા પ્રમાણે સમય પસાર કર્યો.’

આ અણધાર્યા ઉત્તરથી તે વૃદ્ધા ગભરાઈને પોતાને ઘેર ભાગી ગઈ. વૃદ્ધાને શું થયું એ જાણીને છુરા તેની પાછળ દોડ્યો અને ઊભા રહેવા કહ્યું.

પણ આ જોઈને તે તો વધુ ઝડપથી દોડી, છુરા તેને વટાવી ન શક્યો. બંને બહુ ઝડપથી દોડીને છેવટે પોતાને ગામ પહોંચ્યા.