ભારતીય કથાવિશ્વ૧/દેવો અને દાનવોની સ્પર્ધા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવો અને દાનવોની સ્પર્ધા
(આ ઉપનિષદ કદમાં મોટું છે, તેનું અધ્યયન અરણ્યમાં કરવામાં આવેલું છે. તેથી તેને આરણ્યક ઉપનિષદ કહ્યું છે, આમ તો બધાં જ ઉપનિષદ અરણ્યમાં જ નિમિર્ત છે. વધુ જાણકારી માટે શંકરાચાર્યનું ભાષ્ય જોવું જોઈએ. મહાભારતમાં પણ કહેવાયું છે કે આત્માની ઉન્નતિ માટે જો સમગ્ર પૃથ્વીનો ત્યાગ કરવો પડે તો કરવો. એક જાણીતું સૂત્ર છે — અહં બ્રહ્માસ્મિ. આ કંઈ કોઈ અભિમાનીનો ઉદ્ગાર નથી. રવીન્દ્રનાથ ઠાકુર પર ઉપનિષદોનો ભારે પ્રભાવ, તેમણે કહ્યું કે લક્ષ જોજનેર દૂર તારકા સેઈ આમાર નામ જાનિ. અર્થાત્ લાખ જોજન દૂરનો તારો પણ મારું નામ જાણે છે. સોઅહમ્, તત્ત્વમસિ વગેરે દ્વારા હું-તું-તે-ને એકરૂપ માની લીધા છે. કોઈ પણ પ્રકારના સંવાદ માટેની આ પ્રાથમિક ભૂમિકા.

સંસ્કૃત તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી પ્રો. મૅકડોનલ્ડે કહ્યું છે :

‘"Brahma or Absolute is grasped and definitely expressed for the first time in the history of human thought in the બૃહદ્ આરણ્યક ઉપનિષદ.’)


પ્રજાપતિ બ્રહ્માના બે પ્રકારનાં સંતાન: દેવો અને દાનવો. દેવોની સંખ્યા ઓછી અને દાનવોની વધારે. તે બંને વચ્ચે સ્પર્ધા થઈ. દેવોએ વિચાર્યું, આપણે યજ્ઞમાં ઉદ્ગીથ (પ્રણવોપાસના)દ્વારા અસુરોને પરાજિત કરીશું. દેવતાઓએ આવો નિશ્ચય કરીને વાણીને કહ્યું, તમે અમારા ઉદ્ગાતા થાઓ. વાણીએ હા પાડી. અને દેવતાઓ માટે ઉદ્ગાન કર્યું. અસુરોને આ જાણીને એમ લાગ્યું કે આને કારણે આપણે પરાજિત થઈશું એટલે ત્યાં જઈને ઉદ્ગાનને પાપથી વીંધી નાખ્યું, શાસ્ત્રથી વિરુદ્ધ બોલતી વાણી જ પાપ ગણાય. હવે દેવતાઓએ પ્રાણને ઉદ્ગાતા બનવા કહ્યું, તેણે પણ હા પાડી. અસુરોએ તેને પણ પાપથી વીંધી નાખ્યું. શાસ્ત્ર જેની ના કહે છે તે સૂંઘવું એ પાપ છે. દેવતાઓએ ચક્ષુને ઉદ્ગાતા બનવા કહ્યું, ચક્ષુએ હા પાડી, જે ઉત્તમ ભોગ હતો તે દેવતાઓને આપ્યો અને અને જે સુંદર હતું તે પોતાને માટે રાખ્યું. અસુરોને લાગ્યું કે આ આપણને પરાજિત કરશે એટલે એમણે ઉદ્ગાનને પાપથી વીંધી નાખ્યું, જે શાસ્ત્રવિરુદ્ધ જુએ છે તે પાપ છે. ત્યાર પછી દેવતાઓએ કાનને ઉદ્ગાતા બનવા કહ્યું. કાને હા પાડી, પોતાનો ભોગ દેવતાઓને આપ્યો, પણ શુભ સાંભળવાનું પોતાની પાસે રાખ્યું. અસુરોએ તે જાણીને તેને પાપથી વીંધી નાખ્યું. જે ખોટું શ્રવણ કરેે છે તે પાપ છે. દેવોએ મનને ઉદ્ગાતા બનવા કહ્યું, તેણે હા પાડી. જે ભોગ હતો તે દેવતાઓને આપ્યો અને ઉત્તમ સંકલ્પ પોતાના માટે રાખ્યા. અસુરોએ આ આપણને હરાવશે એમ જાણી તેને વીંધી નાખ્યું. શાસ્ત્રવિરુદ્ધના સંકલ્પ પાપ છે. પછી શરીરને ચેતના અર્પનાર પ્રાણને ઉદ્ગાતા બનવા કહ્યું. પ્રાણે હા પાડી. અસુરો તેની પાસે ગયા અને પાપથી વીંધવા ગયા પણ જેવી રીતે માટીનું ઢેફું પથ્થર પર પડીને ચૂરચૂર થઈ જાય એવી રીતે તેઓ નષ્ટ થઈ ગયા. આમ દાનવોનો પરાજય થયો.

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય ૧ બ્રાહ્મણ ૩)