ભારતીય કથાવિશ્વ૧/શુન:શેપ ઉપાખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુન:શેપ ઉપાખ્યાન

ઇક્ષ્વાકુવંશના વેધસ રાજાના પુત્ર રાજર્ષિ હરિશ્ચન્દ્ર નિ:સંતાન હતા. તેમને સો પત્નીઓ હતી પરંતુ તેમાંથી કોઈએ પુત્રને જન્મ ન આપ્યો. તે રાજાને ત્યાં એક વેળા પર્વત અને નારદ ઋષિઓ આવ્યા. રાજાએ નારદને પૂછ્યું, ‘જે મનુષ્ય વિવેકી છે અને જે અવિવેકી છે તે બધા પુત્રની કામના કરે છે. એ પુત્રથી પિતાને શો લાભ થાય છે? હે નારદ, મને આ કહો.’ એના પ્રત્યુત્તર રૂપે નારદે એક ગાથા કહી, ‘જો પિતા પોતાના જીવનકાળમાં જ સુખપૂર્વક જન્મેલા પુત્રનું મોં જોઈ લે તો તે પિતા પોતાના ઋણને પુત્રમાં સમ્યકરૂપમાં સ્થાપી દે છે. આમ તે અમૃતત્વ પામે છે.’ બીજી ગાથા કહી, ‘પૃથ્વી પર પ્રાણીઓ માટે જેટલા ભોગ છે, જેટલા જાતવેદમાં છે, જેટલા જળમાં છે તે બધાથી વિશેષ તો પિતા માટે પુત્રમાં ભોગ હોય છે.’ ત્રીજી ગાથા : ‘સર્વદા માતાપિતા પુત્ર દ્વારા અત્યન્ત દુ:ખને વટાવી જાય છે. કારણ કે પિતા જાતે જ પોતાનામાંથી પોતાને ઉત્પન્ન કરે છે. એટલે પુત્ર પાર ઊતરવા માટે અન્નયુક્ત નૌકા સમાન છે. ચોથી ગાથા : ‘ગૃહસ્થાપન કયું સુખ આપશે? વાનપ્રસ્થાશ્રમથી શો લાભ? સંન્યાસાશ્રમથી શો લાભ? એટલે કે કશો લાભ નથી. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે લોક પુત્રની કામના કરો. પુત્ર દોષરહિત હોવાથી અનિન્દનીય લોક છે.’ પાંચમી ગાથા : ‘શરીરમાં પ્રાણરક્ષા માટે અન્ન જ પ્રાણ છે. શરણ છે, સુવર્ણ રૂપ છે. પશુવિવાહ વિશેષ છે. પત્ની સખાસ્વરૂપ છે. પુત્રી દૈન્ય છે, પણ પુત્ર તો જ્યોતિસ્વરૂપ છે. એટલે તે ઉત્કૃષ્ટ આકાશમાં છે.’ છઠ્ઠી ગાથા : ‘પતિ જ પત્નીમાં પ્રવેશે છે. તે ગર્ભરૂપે રહે છે, તે માતામાં ફરી બાળક બનીને દસમા મહિને પુત્ર જન્મે છે.’ સાતમી ગાથા : ‘કારણ કે તે સ્ત્રીમાં પુત્ર રૂપે પિતા ફરી જન્મે છે, એટલે તે જાયા કહેવાય છે... આ સ્ત્રીમાં દેવો અને ઋષિઓએ પોતાનું સત્ત્વ પુત્રોત્પાદન માટે સંપાદિત કર્યું. પછી મનુષ્યોને કહ્યું, હે મનુષ્યો, જે આ જાયા રૂપે છે તે જ ફરી પુત્રને જન્મ આપવા તમારી જનની થાય છે.’ નવમી ગાથા : ‘જેને પુત્ર નથી તેને માટે આ લોકમાં કશું સુખ નથી. એટલે આ વાત પશુઓ પણ જાણે છે. એટલે જ પશુઓમાં ઉત્પન્ન થયેલો પુત્ર પોતાની માતામાં, પોતાની બહેનમાં પુત્રોત્પાદન માટે વીર્ય સીંચે છે.’ દસમી ગાથા : ‘પુત્રવાન લોકો શોકરહિત થઈને જે સુખનો અનુભવ કરે છે તે સુખમાર્ગને મહાન વ્યક્તિઓ ગાય છે. અને સારી રીતે સેવા કરવા યોગ્યને પશુપક્ષી પણ જાણે છે. એટલે જ આ બધા માતા સાથે મૈથુન કરે છે.’ આમ હરિશ્ચન્દ્ર, વરુણ રાજાને પ્રાર્થના કરો કે મને પુત્ર થાય, હું તેના વડે તમારો યજ્ઞ કરીશ.’ તેમણે કહ્યું, ‘ભલે.’ આમ હરિશ્ચન્દ્રે રાજા વરુણને પ્રાર્થના કરી, ‘મને પુત્ર જન્મશે તો હું તેના વડે તમારો યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે.’ પછી રાજાને ત્યાં રોહિત નામનો પુત્ર જન્મ્યો. વરુણે હરિશ્ચન્દ્રને કહ્યું, ‘હરિશ્ચન્દ્ર, તમને પુત્ર જન્મ્યો. હવે તમે એના વડે યજ્ઞ કરો.’ એ સાંભળી હરિશ્ચન્દ્રે કહ્યું, ‘યજ્ઞયાગ કરવા માટેનું પશુ દસ દિવસે યોગ્ય થાય. એટલે આ બાળક દસ દિવસનું થશે ત્યારે હું યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે એમ કરજો.’ જ્યારે તે દસ દિવસનો થયો ત્યારે વરુણે કહ્યું, ‘આ દસ દિવસનો થઈ ગયો છે એટલે હવે એના વડે મારો યજ્ઞ કરો.’ હરિશ્ચન્દ્રે કહ્યું, ‘જ્યારે પશુને દાંત આવે ત્યારે તે યજ્ઞને લાયક બને. એને દાંત ફૂટવા દો, ત્યારે હું તમારા માટે યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે એમ કરજો.’ બાળકને દાંત ફૂટ્યા. વરુણે કહ્યું, ‘હવે તેના દાંત ફૂટ્યા. એટલે મારો યજ્ઞ કરો.’ હરિશ્ચન્દ્રે કહ્યું, ‘જ્યારે પશુના પહેલા દાંત પડી જાય ત્યારે તે યજ્ઞને લાયક બને. એટલે તેના દૂધિયા દાંત પડી જવા દો, પછી હું તમારો યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે એમ કરજો.’ તેને નવા દાંત આવ્યા. વરુણે કહ્યું, ‘હવે આના બીજા દાંત પણ આવ્યા. એટલે તેના વડે મારો યજ્ઞ કરો.’ હરિશ્ચન્દ્રે કહ્યું, ‘જ્યારે ક્ષત્રિય શસ્ત્રધારી થઈ જાય ત્યારે તે યજ્ઞને યોગ્ય બને છે. એટલે તે જ્યારે શસ્ત્રધારી બની જાય ત્યારે હું તમારો યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે.’ હવે તે શસ્ત્રધારી થઈ ગયો. વરુણે હરિશ્ચન્દ્રને કહ્યું, ‘હવે તે શસ્ત્રધારી થઈ ગયો છે. એટલે તેના વડે મારો યજ્ઞ કરો.’ હરિશ્ચન્દ્રે કહ્યું, ‘ભલે.’ પછી પુત્રને બોલાવ્યો, ‘હે પુત્ર, આ વરુણે તારું દાન મને કર્યું છે. એટલે હું પાપી તારા વડે આનો યજ્ઞ કરીશ.’ રોહિત એ વાતનો અસ્વીકાર કરીને ધનુષ લઈને વનમાં જતો રહ્યો. ત્યાં તે એક વરસ સુધી ભટકતો રહ્યો. રોહિત વનમાં જતો રહ્યો એટલે ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજા હરિશ્ચન્દ્રને વરુણ દેવે ગ્રસી લીધા. તેમને જલોદર નામનો રોગ થયો. રોહિતે આ વાત જાણી. એટલે તે અરણ્યમાંથી નગર તરફ આવવા નીકળ્યો. પુરુષનું રૂપ લઈ આવેલા ઇન્દ્ર કહેવા લાગ્યા. ‘હે રોહિત, અમે નીતિકુશળ વિદ્વાનોના મોઢે સાંભળ્યું છે. ભ્રમણ કરનારા (ચરૈવેતિ) ને અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ પુરુષ હોય તો પણ એક જ સ્થળે રહેનારો મનુષ્યોમાં તુચ્છ લેખાય છે. એટલે પિતા પાસે રહેવું યોગ્ય નથી. તારે એવું પણ નહિ વિચારવું કે અરણ્યમાં ભટકતા ભટકતા મારો કોઈ સહાયક નથી, કારણ કે અરણ્યમાં ઘૂમતાં ઘૂમતાં ઇન્દ્ર એટલે કે પરમેશ્વર તારો મિત્ર થશે એટલે તું અરણ્યમાં જ ઘૂમતો રહે.’ રોહિતે બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા ઇન્દ્રની વાત સાંભળીને આદરપૂર્વક મનમાં વિચાર કર્યો. ‘આ બ્રાહ્મણ મને કહે છે કે ચરૈવેતિ.’ એટલે તે ફરી બીજું વરસ અરણ્યમાં ઘૂમતો રહ્યો. ફરી તે અરણ્યમાંથી નગર તરફ નીકળ્યો ત્યારે માનવવેશે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘પર્યટન કરનાર પુરુષની સાથળો પુષ્પિત વૃક્ષ કે લતા જેવી સેવ્ય બને છે. ફરવાના શ્રમને કારણે તે અત્યંત સેવ્ય બને છે. એ જ રીતે આત્મા રૂપ શરીરનો મધ્ય ભાગ પણ વર્ધિત થઈને આરોગ્યરૂપી ફળવાળો બને છે. એ જ રીતે ફરનારાનાં બધાં પાપ પ્રકૃષ્ટ માર્ગમાં શ્રમથી જ નષ્ટ થઈ જાય છે. એટલે તું સર્વથા અરણ્યમાં જ ઘૂમતો રહે.’ રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે ત્રીજા વર્ષે પણ ઘૂમતો રહ્યો. ફરી તે અરણ્યમાંથી નગર તરફ આવવા નીકળ્યો ત્યારે માનવ રૂપે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘બેસી રહેનારનું ભાગ્ય પણ બેસી રહે છે અને ઊભા રહેનારનું ભાગ્ય વૃદ્ધિ તરફ ગતિ કરે છે. ભૂમિ પર સૂઈ જનારનું ભાગ્ય સૂઈ જાય છે અને પર્યટન કરનારનું ભાગ્ય દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. એટલે તું ઘૂમતો રહે.’ રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે ચોથે વર્ષે પણ ઘૂમતો રહ્યો. ફરી તે અરણ્યમાંથી નગર તરફ આવવા નીકળ્યો ત્યારે માનવરૂપે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘કળિયુગ સૂતેલો રહે છે અને દ્વાપરયુગ જાગતો રહે છે. ત્રેતાયુગ ઊભો રહે છે અને સત્યયુગ ચાલતો રહે છે. એટલે તું ઘૂમતો જ રહે.’ રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે પાંચમે વર્ષે પણ અરણ્યમાં ઘૂમતો રહ્યો. ફરી તે અરણ્યમાંથી નગર તરફ જવા નીકળ્યો ત્યારે માનવ રૂપે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘પુરુષ ઘૂમતો રહેજે. ઘૂમનાર મધુ અને મધુર ઉદુમ્બર વગેરે ફળ પ્રાપ્ત કરે છે. સૂર્ય સર્વત્ર વિચરણ કરતો હોવા છતાં ક્યારેય આળસ નથી કરતો. તું સૂર્યને જો. એટલે તું ઘૂમતો જ રહે.’ રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે છઠ્ઠે વર્ષે પણ અરણ્યમાં ઘૂમતો રહ્યો. આ અરણ્યમાં ભૂખેતરસે વ્યાકુળ સૂયવસના પુત્ર અજીર્ગતને જોયો. તેને ત્રણ પુત્ર હતા. શુન:પુચ્છ, શુન:શેપ અને શુનોલાંગુલ. રોહિતે તે ઋષિને કહ્યું, ‘હે ઋષિ, હું તમને સો ગાય આપીશ. તમારા કોઈ એક પુત્ર દ્વારા હું મુક્ત થઈશ.’ ઋષિએ મોટા પુત્રને પોતાની પાસે રાખીને કહ્યું, ‘તમે મારા મોટા પુત્રને ન લો.’ એ જ રીતે માતાએ નાના પુત્રનો હાથ પકડીને કહ્યું, ‘હું આ પુત્ર નહીં આપું.’ પછી તેઓ વચલો પુત્ર આપવા રાજી થઈ ગયા. એટલે રોહિત સો ગાય આપીને શુન:શેપને લઈ તેની સાથે અરણ્યમાંથી નગર તરફ જવા નીકળ્યો. રોહિતે પિતા પાસે જઈને કહ્યું, ‘હે પિતાજી, આનંદની વાત છે કે મેં દ્રવ્યથી આત્માને છોડાવ્યો છે. હું આ શુન:શેષ દ્વારા વરુણમાંથી મુક્ત થઈશ.’ રાજા હરિશ્ચન્દ્રે વરુણને કહ્યું, ‘હું આ બ્રાહ્મણ શુન:શેપ દ્વારા તમારો યજ્ઞ કરીશ.’ વરુણે કહ્યું, ‘ભલે. કારણ કે ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ બાળક મને વધારે પ્રિય છે.’ વરુણે રાજાને રાજસૂય યજ્ઞની વિધિ સમજાવી. આ યજ્ઞમાં શુન:શેપ પુરુષરૂપી પશુનું આલંબન કરવાનો નિર્ણય થયો. હરિશ્ચન્દ્રના આ યજ્ઞમાં વિશ્વામિત્ર હોતા, જમદગ્નિ અધ્વર્યુ, વસિષ્ઠ, અયાસ્ય અને બ્રહ્મા ઉદ્ગાતા હતા. પરંતુ શુન:શેપને યૂપ સાથે બાંધનાર કોઈ ન મળ્યું. ત્યારે તેના પિતા અજીર્ગતે કહ્યું, ‘હે યજમાન અને ઋષિઓ, જો તમે મને બીજી સો ગાય આપો તો આ શુન:શેપને યૂપ સાથે બાંધી દઉં.’ અજીર્ગતને બીજી સો ગાય મળી. હવે તેણે શુન:શેપને યૂપ સાથે બાંધી દીધો. યૂપ સાથે તેને બાંધ્યા પછી મંત્રોના પાઠ પૂરા થયા. હવે તેનો વધ કરનાર કોઈ પુરુષ ન મળ્યો. ત્યારે અજીર્ગતે કહ્યું, ‘હે યજમાન અને ઋષિઓ, જો તમે મને બીજી સો ગાય આપશો તો હું તેનો વધ કરીશ.’ તેમણે બીજી સો ગાય આપી. ત્યારે તે તલવાર લઈ તેની ધાર તેજ કરવા લાગ્યો. પિતાની આવી તૈયારી પછી શુન:શેપે વિચાર્યંુ, ‘પર્યગ્નિ પછી મનુષ્યને તોે અરણ્યમાં છોડી દે છે એવું સાંભળ્યું છે પરંતુ આ લોકો તો મનુષ્ય સિવાયના પશુની જેમ મને મારી નાંખશે.’ તે ખૂબ ભય પામ્યો એટલે ‘હું રક્ષા માટે દેવતાઓ પાસે જઉં.’ આમ વિચારી તે દેવોની વચ્ચે પહેલાં પ્રજાપતિ પાસે જઈને ‘હું કોને પોકારું’ એમ ઋચા બોલવા લાગ્યો. પ્રજાપતિએ તેને કહ્યું, ‘બધા દેવોમાં અગ્નિ સૌથી નિકટ છે. એટલે તું તેમની પાસે જા.’ એટલે શુન:શેપ અગ્નિ પાસે જઈને બોલ્યો, ‘હું દેવોમાં સર્વપ્રથમ અગ્નિને પોકારું છું.’ અગ્નિએ તેને કહ્યું, ‘પ્રેરક રૂપમાં સવિતા બધાં કાર્યોના સ્વામી છે. તું તેની પાસે જા.’ એટલે શુન:શેપ સવિતા પાસે જઈને બોલ્યો, ‘હે સદા રક્ષા કરનારા દેવ..’ સવિતાએ કહ્યું, ‘તું રાજા વરુણ માટે બંધાયો છે, તું એમની પાસે જા.’ એટલે તેણે વરુણ રાજા પાસે જઈને બીજી એકત્રીસ ઋચાઓ ગાઈ. ત્યારે રાજા વરુણે શુન:શેપને કહ્યું, ‘આ અગ્નિ બધા દેવોનું મુખ છે, અત્યન્ત સહૃદય છે. એટલે તું તેમની પ્રાર્થના કર. અમે તને છોડી દઈશું.’ એટલે તેણે બાવીસ ઋચાઓ વડે અગ્નિની સ્તુતિ કરી. અગ્નિએ કહ્યું, ‘તું વિશ્વદેવોની સ્તુતિ કર. અમે તને છોડી દઈશું. હું મહાનને, નાનાને બધાને નમું છું વગેરે...’ વિશ્વદેવોએ તેને કહ્યું, ‘દેવોમાં ઇન્દ્ર સૌથી વધુ તેજસ્વી, બળવાન, સહિષ્ણુ, સત્ત્વશાળી, પાર ઉતારનારા છે. એટલે તું તેમની સ્તુતિ કર. અમે તને છોડી દઈશું.’ તેણે ઇન્દ્રની સ્તુતિ પંદર ઋચાઓ વડે કરી, ‘તમે સોમપાન કરનારા છો, સત્યવાદી છો.’ એમ આ સૂક્ત વડે તથા પછીના સૂક્ત વડે પ્રાર્થના કરી. સ્તુતિથી પ્રસન્ન થઈને ઇન્દ્રે શુન:શેપ માટે એક સુવર્ણમય રથ મનોમન આપ્યો. તેણે પણ મનોમન એનો સ્વીકાર કર્યો. પછી ઇન્દ્રે કહ્યું, ‘તું અશ્વિનીકુમારોની સ્તુતિ કર. પછી અમે તને છોડીશું.’ તેણે ઋચાઓ વડે અશ્વિનીકુમારોને સંતુષ્ટ કર્યા. અશ્વિની દેવોએ કહ્યું, ‘તું ઉષાની સ્તુતિ કર. અમે તને છોડી દઈશું.’ તેણે ઉષાની સ્તુતિ કરી. શુન:શેપ એક એક ઋચા બોલતો ગયો અને તેનાં બંધન ખૂલતાં ગયા, હરિશ્ચન્દ્રનું પેટ ધીમે ધીમે હલકું થતું ગયું. છેલ્લો મંત્રપાઠ થયો એટલે તેમનાં બધાં બંધન ખૂલી ગયાં અને હરિશ્ચન્દ્ર નિરોગી થઈ ગયા. દેવતાઓની કૃપા પામેલા શુન:શેપને ઋષિઓએ કહ્યું, ‘હે શુન:શેપ, તું અમારી આ અહ્ન સંસ્થા(સમાપ્તિ) ને પામ.’ એટલે શુન:શેપે સરલ માર્ગે સોમરસ કાઢવાનો વિશેષ વિધિ જોયો. સોમને ચાર ઋચાઓથી અભિસિક્ત કર્યો. પછી સોમને ઉચ્છિષ્ટ ચમ્બો: ઋચા વડે દ્રોણકળશમાં મૂક્યો. પછી તેણે શુન:શેપના શરીરનો સ્પર્શ કર્યો અને શરૂઆતના ચાર મન્ત્રો વડે સ્વાહાકાર સાથે સોમયાગ કર્યો. પછી યજ્ઞના અન્તિમ કૃત્યને ધ્યાનમાં રાખીને બધાં સાધનો આણીને ‘ત્વં નો અગ્નિ’વાળી ઋચાઓથી અગ્નિનો યાગ કર્યો. પછી શુન:શેપને હજારો રૂપવાળા યૂપથી છોડાવ્યો હતો એ ઋચા વડે હરિશ્ચન્દ્ર પ્રતિ પ્રેર્યો. હવે શુન:શેપ વિશ્વામિત્રના ખોળામાં જઈને બેઠો. સૂર્યવસપુત્ર અજીર્ગતે વિશ્વામિત્રને કહ્યું, ‘ઋષિ, હવે મારો પુત્ર મને સોંપી દો.’ વિશ્વામિત્ર ઋષિએ કહ્યું, ‘ના. દેવોએ તે મને આપ્યો છે.’ દેવો દ્વારા અપાયેલો શુન:શેપ વિશ્વામિત્રનો પુત્ર દેવરાત થયો. તેના કપિલ ગોત્રવાળા બભ્રુ ગોત્રવાળા બંધુઓ થયા. અજીર્ગતે પુત્રને કહ્યું, ‘હે પુત્ર, તું વિશ્વામિત્રને ત્યજીને મારી પાસે આવતો રહે. હું અને તારી માતા બંને તને વિશેષરૂપે બોલાવીએ છીએ.’ ફરી સૂર્યવસપુત્ર અજીર્ગતે કહ્યું, ‘તું જન્મથી આંગિરસ(અંગિરા ગોત્રવાળો) છે. અજીર્ગતપુત્ર રૂપે જાણીતો છે. એટલે હે ઋષિ, તું પિતા-પિતામહના વંશનો ત્યાગ ન કર. ફરી અમારી પાસે આવ.’ છતાં શુન:શેપ ચુપચાપ બેસી રહ્યો. એટલે ફરી અજીર્ગતે કહ્યું, ‘હે પુત્ર, તું જન્મથી અંગિરા ગોત્રમાં પેદા થયો છે. અજીર્ગતના પુત્ર તરીકે વિખ્યાત થયો છે. એટલે હે ઋષિ, તું તારા પિતા-પિતામહના વંશ અંગિરાનો ત્યાગ ન કર. તું અમારી પાસે આવતો રહે.’ એટલે શુન:શેપે કહ્યું, ‘હે પિતાજી, તમારા હાથમાં બધાએ તલવાર જોઈ છે. તે તલવાર કોઈ શૂદ્ર પણ ન ઝાલે. હે અંગિરાગોત્રમાં જન્મેલા પિતાજી, તમે તો મારા નિમિત્તે ત્રણસો ગાય મેળવી છે.’ અજીર્ગતે ફરી શુન:શેપને કહ્યું, ‘હે પિતૃવત્ લાલનપાલન યોગ્ય શુન:શેપ, મેં જે પાપ કર્યું છે તે મારા મનને દઝાડી રહ્યું છે. હું એ પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ. તને સેંકડો ગાય મળે.’ ત્યારે શુન:શેપે કહ્યું, ‘જે વ્યક્તિ એક વેળા પાપ કરે છે તે બીજી વાર એ પાપ વડે બીજાં પાપ કરી શકે છે. એટલે નીચ જાતિ સંલગ્ન ક્રૂર કર્મથી તમે નિવૃત્ત નહીં થઈ શકો. કારણ કે તમે વગર વિચાર્યે કાર્ય કર્યું છે.’ ‘હા, આ પાપમાંથી મુક્તિ ન મળી શકે.’ વિશ્વામિત્રે સૂર પુરાવ્યો. વિશ્વામિત્ર બોલ્યા, ‘હાથમાં તલવાર લઈને તને મારવા તત્પર થયેલો આ બ્રાહ્મણ ભયાનક લાગતો હતો. એટલે હે શુન:શેપ, તું એનો પુત્ર ન બનીશ. મારો જ પુત્ર બની રહે.’ શુન:શેપે કહ્યું, ‘હે રાજપુત્ર! કહો. જેવું તમે કહ્યું છે તે પ્રકારે હું અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલો તમારો પુત્ર કેવી રીતે બનીશ?’ વિશ્વામિત્રે કહ્યું, ‘હે શુન:શેપ, તું મારા પુત્રોમાં સૌથી મોટો. તારી પુત્ર રૂપ પ્રજા પણ શ્રેષ્ઠ થાય. મારા માટે દેવતાઓને પ્રસન્ન થઈને આપેલો ઉત્તરાધિકાર તું પ્રાપ્ત કર. એ રીતે હું તને પુત્ર રૂપે આમંત્રિત કરું છું.’ શુન:શેપે કહ્યું, ‘મારા સૌહાર્દ અને ધનલાભ વિશે તમે તમારા પુત્રોને જણાવો. હે ભરત વંશમાં શ્રેષ્ઠ, જેવી રીતે હું (પુત્રતા) પ્રાપ્ત કરું તેમ તમારા પુત્રો સામે સ્વીકારો.’ એટલે વિશ્વામિત્રે પોતાના પુત્રોને બોલાવ્યા. ‘હે મધુછન્દા, ઋષભ, રેણુ, અષ્ટક... સાંભળો. બીજા જે ભાઈઓ છે તે બધા આનાથી — શુન:શેપથી પોતાને શ્રેષ્ઠ ન સમજે.’ વિશ્વામિત્રના સો પુત્રો હતા; પચાસ મધુચ્છન્દાથી મોટા અને પચાસ નાના. પરંતુ મધુચ્છન્દાથી મોટા પુત્રોએ શુન:શેપને ન સ્વીકાર્યો. ત્યારે વિશ્વામિત્રે તે પુત્રોને શાપ આપ્યો. ‘હે પુત્રો, તમારી પુત્રરૂપી પ્રજા ચાંડાલ વગેરે નીચ જાતિની થશે.’ આમ તે અન્ધ્ર, પુણ્ડ્રા, શબરા, પુલિન્દા અને મૂતંબિ નામની પાંચ નીચ જાતિ થઈ અને ઘણા બધા દસ્યૂઓની સાથે અત્યન્ત નીચ જાતિના લોક વિશ્વામિત્રના સંતાન થયા. પચાસ ભાઈઓની સાથે મધુચ્છન્દાએ કહ્યું, ‘હે શુન:શેપ, અમારા પિતા વિશ્વામિત્ર તને મોટો પુત્ર માનીને સ્વીકારે છે તે અમે પણ સ્વીકારીએ છીએ. તને મોટો પુત્ર માનીને તને મોટો માનીશું, તારું અનુસરણ કરીશું.’ વિશ્વામિત્રે મધુચ્છન્દા સમેત પચાસ પુત્રો દ્વારા શુન:શેપને સ્વીકારાયો એટલે પ્રસન્ન થઈ પુત્રોની સ્તુતિ કરી. ‘હે પુત્રો, તમે મારા અભિપ્રાયને અનુકૂળ રહીને મને શૂરવીર પુત્રયુક્ત કર્યો છે તેવી રીતે તમે વધુ પશુપુત્ર ધનયુક્ત બનો. હે ગાધિપુત્રો, અગ્રગામી દેવરાતના સાન્નિધ્યમાં તમે બધા વીર પુત્રોવાળા થાઓ. બધાના આરાધ્ય બનો. હે પુત્રો, આ દેવરાત તમને સન્માર્ગનું અધ્યાપન કરાવશે. હે કુશિકના વંશજો, આ દેવરાત તમારો મોટો ભાઈ છે, તમે આ વીર દેવરાતનું અનુગમન કરો. મારો ઉત્તરાધિકારી થઈ તે તમને પ્રાપ્ત કરશે, આપણે જે કંઈ વિદ્યા જાણીએ છીએ તે બધી તમારી સાથે રહીને પામશે. હે વિશ્વામિત્રના પુત્રો, ગાધિના પૌત્રો, તમે બધા સમીચીન બુદ્ધિશાળીઓએ દેવરાતની સાથે ધનસંપત્તિવાળા બનીને મારા જ્યેષ્ઠ પુત્ર દેવરાતના રક્ષણ હેઠળ તમારું પાલનપોષણ, શ્રેષ્ઠત્વ સ્વીકાર્યું છે.’

(ઐતરેય બ્રાહ્મણ, તેત્રીસમો અધ્યાય)