ભારતીય કાવ્યસિદ્ધાંત/રસનિષ્પત્તિની પ્રક્રિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રસનિષ્પત્તિની પ્રક્રિયા

સ્થાયી ભાવ, વિભાવ, અનુભવ, વ્યભિચારી ભાવ આદિને રસની કાચી સામગ્રી કહી શકાય. એમના કોઈક પ્રકારના સંયોજનથી રસાનુભવ થાય છે. પણ આ સંયોજન કેવા પ્રકારનું હોય છે, રસનિષ્પતિમાં કારણભૂત આ ભિન્નભિન્ન તત્ત્વોનો પરસ્પર કઈ જાતનો સંબંધ હોય છે. રસાસ્વાદ એટલે ખરેખર શું – એ બધા પ્રશ્નો વિચારવાના રહે છે. રસનિષ્પત્તિની સમગ્ર પ્રક્રિયા – એટલે કે કાવ્યસામગ્રી ભાવકના ચિત્ત પર કઈ રીતે અસર કરે છે તેનો વિચાર કાવ્યશાસ્ત્રીઓએ કર્યો છે; પણ એ બાબત તેઓમાં થોડો મતભેદ છે. રસનિષ્પત્તિની પ્રક્રિયાની આ ચર્ચા કાવ્યશાસ્ત્રીઓએ ભરત મુનિના ‘विभावानुभावव्यभिचारिसंयोगात् रसनिष्पत्तिः ।’ એ સૂત્રના વિવરણરૂપે કરેલી છે. આ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. પણ ભરત મુનિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ સાથે સ્થાયી ભાવનો જ સંયોગ ઉદ્દિષ્ટ હશે એમાં શંકા નથી. સ્થાયી ભાવ અને વિભાવાદિનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય એ ખરું. પણ એ સંયોગ કેવા પ્રકારનો હોય અને એમાંથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય એ મતભેદનો વિષય છે. વળી રસનિષ્પત્તિની આ ચર્ચા નાટકને અનુલક્ષીને થયેલી છે અને એમાં એક છેડે કવિ અને બીજે છેડે ભાવક એ બે વ્યક્તિઓ ઉપરાંત મૂળ પાત્ર અને નટ એમ બીજી બે વ્યક્તિઓ પણ સંકળાયેલી છે. એટલે આમાંથી કોને સ્થાયી ભાવ – મૂળ પાત્રનો, નટનો કે ભાવકનો રસરૂપે પરિણમે છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. આમાંથી જ રસનિષ્પત્તિ અંગેના ચાર વાદ જન્મ્યા છે.