ભારતીય કાવ્યસિદ્ધાંત/રસોમાં તારતમ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રસોમાં તારતમ્ય

જેમ રસોની સંખ્યામાં ઉમેરો કરવાનો પ્રયત્ન થયો છે, તેમ રસોની વચ્ચે તારતમ્ય કરવાનો પ્રયાસ પણ થયો છે; એટલે કે અમુક રસને પ્રધાન ગણી બીજાને ગૌણ ગણવામાં આવે છે અથવા તો અમુક રસને સર્વવ્યાપક ગણી બીજા રસોને એનાં સ્થિત્યંતરો તરીકે જોવામાં આવે છે. રસની આવી શ્રેણીવ્યવસ્થા પાછળ ઘણી વાર રસના કોઈ આંતરિક તત્ત્વ કે રસના કોઈ અવ્યભિચારી લક્ષણ તરફ ઐકાંતિક દૃષ્ટિ હોય છે; જેમ કે હમણાં જ જોયું તેમ આનંદના તત્ત્વ તરફ ઐકાંતિક દૃષ્ટિ રાખવાથી રસોની ભિન્નતા અનાવશ્યક લાગે છે, સમગ્ર એક જ રસની આપણને કલ્પના થાય છે. ભરતમુનિએ શાંતરસને પ્રકૃતિરૂપ ગણી રત્યાદિ ભાવોને એના વિકારો ગણેલ છે.૧[1] એ સાચું છે કે શાંતરસનો જે સ્થાયી ભાવ છે - નિવૃત્તિ કે નિર્વેદ - તે તો એવી ભાવદશા છે કે જેમાં સર્વ ભાવો વિગલિત થઈ જાય છે. એ ભાવ આત્માનો છે - આપણા અસલ ચૈતન્યસ્વરૂપનો છે. અન્ય ભાવો આત્માના પ્રકૃતિગત ભાવો નહિ પણ એમાં થયેલ વિકારો છે. આચાર્ય અભિનવગુપ્ત પણ આત્મજ્ઞાનના — તત્ત્વજ્ઞાનના - ભાવને અન્ય ભાવોની ભૂમિકારૂપ ગણી એને સ્થાયીઓમાં પણ સ્થાયી કહે છે.૨[2] આ બધું જીવનની દૃષ્ટિએ, આત્માની - તત્ત્વની દૃષ્ટિએ બરાબર છે, પણ રસની - કાવ્યની દૃષ્ટિએ? એ દૃષ્ટિએ જોતાં શાંતના આ સ્વરૂપદર્શનની એની કોઈ જાતની મહત્તા પ્રસ્થાપિત થતી નથી. શાંતને આપણે સ્થિર જળ માનીએ અને અન્ય ભાવોને બુદ્બુદો- તરંગો, તેથી રસદૃષ્ટિએ શાંતનું મહત્ત્વ વધતું નથી. સ્થિર જળને પોતાનું મહત્ત્વ છે, તેમ બુદ્બુદો અને તરંગોને પણ છે, એને ભિત્તિસ્થાન તરીકે કલ્પવાથી પણ એ ભિત્તિસ્થાન પર — એ ભૂમિકા પર થયેલ અન્ય ભાવોનાં ચિતરામણોના રસત્વમાં કશી ઊણપ આવતી નથી. અલબત્ત, કાવ્યશાસ્ત્રીઓના કહેવાનો એવો અર્થ છે પણ નહિ. તેઓ પરમ પુરુષાર્થ મોક્ષની દૃષ્ટિએ વિચારે છે ત્યારે જ આમ કહે છે; કારણ કે રસત્વની દૃષ્ટિએ તો તેઓ જ પાછા શાંતને એટલું બધું મહત્ત્વ આપતા નથી - નાટ્યમાં તો શાંતરસ ન આવી શકે એમ પણ કેટલાક માને છે. મહાકવિ ભવભૂતિ ‘एको रसः करुण एव’માં માનનારા છે. એ તો કવિ છે, એટલે એમણે પોતાના આ મતનું વિવેચન નથી કર્યું - માત્ર એક ઉદાહરણ દ્વારા એ રજૂ કર્યો છે. જેમ આવર્તો, બદ્બુદો, તરંગો એ પાણીના વિકારો જ છે, ખરેખર તો એ પાણી જ છે, તેમ શૃંગારાદિ રસો એ વિકારો છે, ખરેખર રસ તો કરુણ જ છે.૧[3] અહીં ભવભૂતિ પણ, આપણે શરૂઆતમાં જોયું તેમ, સર્વ રસોના અવ્યભિચારી લક્ષણ કે આત્મારૂપ કોઈ તત્ત્વની વાત કરતા હોય એમ જણાય છે. એ આત્મારૂપ તત્ત્વ તે કરુણ અને એં બ્રાહ્મ સ્વરૂપો તે બીજા બધા રસો છે, જેમ બુદ્બુદાદિ પાણીના બાહ્ય આકાર છે. કરુણને, આમ, સર્વ રસોના આત્મારૂપ માનવા પાછળ ભવભૂતિની દૃષ્ટિ કંઈક હોવા સંભવ છે કે રસાનુભવમાં ચિત્તનો મુખ્ય વ્યાપાર જડતા તજીને દ્રવણશીલ બનવાનો છે અને કરુણના અનુભવમાં ચિત્ત એ વ્યાપારમાં સૌથી વધુ ઉત્કટતાથી પ્રવૃત્ત થાય છે. પણ આવી સર્વ રસોમાં કરુણ આત્મારૂપે રહ્યો છે એમ કહેવું એ તો કરુણની વ્યાખ્યાને બહુ વ્યાપક કરી નાખવા જેવું છે. અને જેને આપણે અન્ય રસોની સાથે સ્વતંત્ર રસરૂપે કલ્પ્યો છે, એ કરુણને આમ બધા રસોના આત્મારૂપે કલ્પવો એ પણ કંઈક વિચિત્ર લાગે છે. ભવભૂતિએ કરુણને મૂળભૂત રસ કહ્યો, તો ભોજે ‘શૃંગારપ્રકાશ’માં શૃંગારને જ ખરો રસ કહ્યો. ખરું જોતાં આ તો કોઈ એક રસ માટેની પ્રબળ અંગત રુચિ જ છે. એને સિદ્ધાંતરૂપે સ્વીકારી લેવામાં ઔચિત્ય ભાગ્યે જ કશું હોય. રસાસ્વાદમાં કોઈ મહત્ત્વના લક્ષણને પોતાના પ્રિય રસનું નામ આપી દેવાની વૃત્તિનું જ આ પરિણામ લાગે છે. ભોજ જ્યારે શૃંગારને જ ખરો રસ કહે છે, ત્યારે એ એને જન્માન્તરોથી અન્તરાત્મામાં રહેલા અને અનેક આત્મગુણોના હેતુરૂપ ‘અભિમાન’ અને ‘અહંકાર’ની સાથે એકરૂપ ગણએ છે. દેખીતી રીતે જ એ અહીં બ્રહ્માનન્દમાં આત્માની જે સ્થિતિ હોય છે એને મળતું વર્ણન કરે છે, અને આ તો રસસામાન્યનું એક લક્ષણ છે ! એટલે દામ્પત્યપ્રેમના અર્થમાં સામાન્ય રીતે સ્વીકારાયેલા શૃંગાર શબ્દને એ જુદું જ તાત્ત્વિક મહત્ત્વ અર્પે છે. ‘સાહિત્યિદર્પણ’કાર વિશ્વનાથ કહે છે કે તેના પ્રપિતામહ નારાયણ અદ્ભુતને જ એકમાત્ર રસ ગણતા:

रसे सारश्चमत्कारः सर्वत्राप्यनुभूयते ।
तच्चमत्कारसारत्वे सर्वत्राप्याद्भुतो रसः ।।

એક રીતે આ વાત સાચી છે. કંઈક ચમત્કારક, કંઈક અવનવો, કંઈક રોજિંદા જીવનથી ભિન્ન-ભવ્ય-અનુભવ થાય છે, ત્યારે જ કાવ્ય સર્જાય છે. અને આવો જ અનુભવ મેળવવાની ઝંખનાથી ભાવક કાવ્ય તરફ વળે છે, કાવ્યાનુભવનું-રસાનુભવનું એ લક્ષણ છે. રસને આપણે અલૌકિક, ચમત્કારી કહીએ છીએ એનો બીજો શો અર્થ થયો? પણ આ અલૌકિક-ચમત્કારકતાને અદ્ભુત રસની સાથે ભેળવી દેવાની જરૂર નથી. મોતીની માળામાં દોરો પરોવાયેલો હોય તેમ ચમત્કાર બધા રસોમાં ઓતપ્રોત છે. પણ એ બહાર દેખાતો નથી, બીજા ભાવો એને ઢાંકી દે છે. અદ્ભુતરસ તો સર્જાય છે એ ચમત્કારકતા જ્યારે પ્રગટ થઈ ઊઠે, બીજા ભાવોથી ઢંકાવાને બદલે બીજા ભાવોને ઢાંકી દે ત્યારે જ. અન્ય રસોમાં આપણે આશ્ચર્યનો ભાવ એટલો પ્રગટ કે ઉત્કટ નથી અનુભવતા, જેટલો અદ્ભુત રસમાં અનુભવીએ છીએ. આ રીતે ચમત્કાર એ રસોનો પ્રાણ ખરો, પણ અદ્ભુતરસ નહિ. આમ, આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં કોઈ અમુક રસને આપણે સર્વવ્યાપક ગણવા પ્રવૃત્ત થઈએ છીએ, ત્યાં ત્યાં એ નામનો કંઈક શિથિલતાથી, કંઈક વ્યાપકતાથી અર્થ લેવો પડે છે. આનો અર્થ એવો નથી કે બધા રસો કે ભાવો એકબીજાથી તદ્દન ભિન્ન છે. ઊલટું, આપણા મનના ભાવોની વ્યવસ્થા એટલી બધી સંકુલ છે કે એ બધાની વચ્ચે ગૌણ-મુખ્યનો, પ્રેરક-પ્રેરિતનો, કાર્ય-કારણનો એમ અનેક જાતના આંતરસંબંધો કલ્પી શકાય. પણ એ બધા કાવ્યની દૃષ્ટિએ, રસત્વની દૃષ્ટિએ ઉપયોગી ન ગણાય. રસની દૃષ્ટિએ જે ઉપયોગી છે તે એટલું જ કે કયા ભાવોની વાસના દૃઢપણે આપણા મનમાં રહેલી હોય છે, કયા ભાવોને આપણું ચિત્ત જલદી ગ્રહણ કરી શકે છે, કયા ભાવો આપણા ચિત્તનો લાંબા સમય સુધી કબજો લઈ શકે છે, કયા ભાવોનો આપણે સ્વતંત્ર અનુભવ કરી શકીએ છીએ અને સામે પક્ષે કયા ભાવો સ્વતંત્ર રીતે આવી શકતા જ નથી. આનો ઉકેલ તો આપણે સ્થાયી અને સંચારીનો ભેદ કરીને શોધી લીધો છે. અલબત્ત, આ ઉકેલ કાયમી કે સર્વસાન્ય છે એમ ભાગ્યે જ કહી શકાય. આપણી ભાવવ્યવસ્થા અને રસવ્યવસ્થા માનવમનનો સંપૂર્ણ વૈજ્ઞાનિક ખુલાસો છે એમ નહિ કહી શકાય, કેમ કે માનવમનનાં ભાવ સંચલનો પૂરેપૂરા સમજવાનો દાવો કરવો એ કંઈક ધૃષ્ટતા જેવું છે અને આપણે જોયું તેમ કેટલાક ભાવોના સ્થાન વિશે સમસ્યા ઊભી પણ થાય છે. છતાં રસોની વચ્ચે તારતમ્ય કરવું હોય તો આપણે ભાવોની વચ્ચે સ્થાયી-સંચારીરૂપે જે પદ્ધતિએ તારતમ્ય કરેલ છે એ પદ્ધતિએ કરી શકાય. રસાનુભવમાં જેમ વાસનાને મહત્ત્વની ગણી છે, સ્થાયી ભાવના નિર્ણયમાં જેમ દૃઢ વાસનાગ્રંથિને લક્ષમાં રાખી છે, તેમ રસોમાં તારતમ્ય કરવામાં પણ સામાજિક વાસનાને જ — સહૃદય સમાજની વાસનાને સમગ્રપણે — લક્ષમાં લેવી જોઈએ. આ દૃષ્ટિએ જોતાં, શૃંગાર અને કરુણ પ્રથમ હરોળમાં સ્થાન લઈ શકે એમ લાગે છે. પ્રૌઢ સહૃદયોનું આ બે રસ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવામાં આવે છે. એટલું જ નહિ, જગતની ઉત્તમ કૃતિઓમાં પણ આ બે રસ ઘણું મહત્ત્વનું સ્થાન રોકતા જણાય છે. શ્રી રામનારાયણ પાઠકે એક સ્થળે કામ અને મૃત્યુને જીવનપ્રવાહના બે કાંઠા કહ્યા છે, તે અહીં લાગુ પાડીને કહી શકીએ કે રતિ કે પ્રણય અને શોક એ જીવનપ્રવાહના બે કાંઠા છે, જેના વિના જીવનને વહેતાં જ નથી આવડતું. માનવમનના એ કદાચ શ્વાસ અને ઉચ્છ્વાસ છે. એના વિનાનું માનવમન જડ જ હોઈ શકે. આ બંને રસ પરસ્પર સંબદ્ધ પણ છે. શોકનો ભાવ તો રતિ વિના સામાન્ય રીતે જાગ્રત થઈ શકતો જ નથી. શૃંગાર, ગમે તેમ, કરુણની છાંટ વિના સંપૂર્ણપણે ભાગ્યે જ ખીલી શકતો હોય છે. આ બે રસમાં પણ તારતમ્ય કરવું હોય તો કરુણ કદાચ પ્રથમ સ્થાનનો અધિકારી બને. માનવજીવનની વિષમતાના અનુભવે, જીવનની અભિલાષાઓની અતૃપ્તિના અનુભવે, કે ગમે તેમ, કરુણની વાસના માનવચિત્તમાં કંઈક પ્રબળપણે પડેલી છે અને કેટલાયે સર્જકો અને વિવેચકોએ એના પ્રત્યે પોતાનો પક્ષપાત જાહેર કર્યો છે.૧[4] કરુણને एको रसः ગણવામાં ભવભૂતિ આ દૃષ્ટિએ અને આટલે અંશે સાચા ગણાય. કરુણ અને શૃંગાર પછી હાસ્ય અને વીરનું સ્થાન આવે. વિદૂષકની માગ ઘણી હોવા છતાં હાસ્યને સૌથી આગળનું સ્થાન મળી શકે તેમ નથી, કારણ કે એને સ્થૂળતામાં સરી પડવાનો સૌથી વધુ ભય છે અને એવા સ્થૂળ હાસ્ય પ્રત્યે પ્રૌઢ સામાજિકનું નહિ, પણ સાધારણ જનસમાજનું આકર્ષણ હોય છે. સૂક્ષ્મ અને સાચું હાસ્ય નિષ્પન્ન કરવાની શક્તિ વિરલ છે એ પણ એક કારણ ખરું. બાકીના રસો — અદ્ભુત, બીભત્સ, ભયાનક, રૌદ્ર અને શાંત — નું સ્થાન આ ચાર રસો પછી આવે. બાલદશાના સહૃદયોને અદ્ભુતનું આકર્ષણ સૌથી વધારે અને સારી પેઠે હોય છે. કેળવાતાં કેળવાતાં સહૃદયની અદ્ભુતરસની વાસની રસની - શૃંગારકરુણાદિ ગમે તે રસની - અલૌકિકતામાં જ સંતોષાતી જાય છે, એની પ્રગટ ચમત્કારકતાની વાસના મંદ થતી જાય છે. અલબત્ત, આ વ્યવસ્થા વ્યાપક દૃષ્ટિએ જ થઈ શકે. તાત્ત્વિક દૃષ્ટિએ તો કોઈ પણ ભાવ, એ ભાવની દૃઢ વાસનાગ્રંથિવાળા ભાવકને માટે, રસની ચરમ કક્ષાએ પહોંચી શકે. જગતની ઉત્તમ કૃતિઓની હરોળમાં બેસે એવી હાસ્યરસની કૃતિ મળી શકે, પ્રૌઢ સામાજિકને પણ પૂર્ણપણે સંતોષે એવું અદ્ભુતરસનું આલેખન થઈ શકે. આ તો વ્યાપક રુચિને લક્ષમાં રાખી કરેલી વ્યવસ્થા છે. એમાં મતભેદને અવકાશ છે. એને જડતાથી વળગી ન રહેવાય.


  1. ૧. न यत्र दुःखं न सुखं न द्वेषो नापि मत्सरः
    समः सर्वेषु भूतेषु स शान्तः प्रथितो रसः ।
    भावा विकारा रत्याद्याः शान्तस्तु प्रकृतिर्मता ।।
  2. ૨. तत्वज्ञानं तु सकलभावान्तरभित्तिस्थानीयं सर्वस्थायिभ्यः स्थायितमम् । आत्मैव.. स्थायी । (अभिनवभारती)
  3. ૧. एको रसः करुण एव निमित्तभेदाद्
    भिन्नः पृथक्पृथगिवाश्रयते विवर्तान् ।
    आवर्तबुद्बुदतरंगमयान् विकारा-
    नंभो यथा सलिलमेव तु तत्समग्रम् ।। (उत्तररामचरितम्)
  4. ૧. ભવભૂતિ તો છે જ. એક ઉપરાંત શેલી કહે છે : ‘Our sweetest songs are those that tell of saddest thoughts.’ શેલીના અનુસરણમાં કલાપીએ ગાયું : ‘અમારાં તો મીઠાં રુદનમય છે ગીત સઘળાં’ નરસિંહરાવભાઈ પણ કહે છે : ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે.’ આચાર્ય આનંદશંકર ધ્રુવે કહ્યું છે તેમ : ‘આત્માની ઉન્નતિ કરનાર કરુણ જેવો બીજો કયો રસ છે?’ કાકાસાહેબ કાલેલકર પણ કહે છે : ‘કરુણ રસ ખરેખર રસસમ્રાટ છે.’ અને સુમિત્રાનંદન પંત કહે છે તેમ : ‘वियोगी होगा पहला कवि, आहसे उपजा होगा गान ।’